દાહોદ પાસે આવેલું શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર

દાહોદ પાસે આવેલું શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર 

       આપણા ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારમાં એવાં ઘણાં સ્થળો આવેલાં છે કે જે જોતામાં જ ગમી જાય. જોયા પછી એમ થાય કે અરે ! આવી સરસ જગ્યાએ અત્યાર સુધી આપણે કેમ આવ્યા નહિ. પણ આવી જગ્યાઓ બહુ જાણીતી ના હોય, એટલે એના વિષે ખબર પડી ના હોય. પંચમહાલ જિલ્લામાં દાહોદથી માત્ર ૯ કી.મી.ના અંતરે ચોસાલા ગામ નજીક આવું જ એક સરસ મંદિર આવેલું છે. શીવજીના આ મંદિરનું નામ છે શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર.

       અમે ગોધરાથી આ બાજુ ફરવાનો એક પ્રોગ્રામ બનાવી કાઢ્યો. ગોધરાથી દાહોદ ૭૦ કી.મી. દૂર છે. દાહોદથી ચોસાલા જતાં, આજુબાજુ ખુલ્લો વિસ્તાર અને ચોતરફ ફેલાયેલી હરિયાળી મનને મોહી લે છે. વચ્ચે પાંડવવન નામે એક સ્થળ આવે છે. અહીં ઉંચા, નીચા, ઢોળાવવાળા પ્રદેશમાં જાતજાતનાં ઝાડ ઉગાડેલાં છે અને તેને પાંડવોનાં નામ આપેલાં છે. જેમ કે “યુધિષ્ઠિર બોરસલ્લી”, “અર્જુન રાયણ” વગેરે. અહીં બેસવા માટે છત્રીઓ બનાવેલી છે. અહીં બેસીને આજુબાજુનો દૂર દૂર સુધીનો ટેકરીઓવાળો લીલોછમ વિસ્તાર અને ધીમો ધીમો વરસતો વરસાદ જોવાની કેટલી બધી મઝા આવે ! આ વનમાં અર્જુનનું ગાંડીવ ધનુષ્ય અને ભીમની ગુફા બનાવેલાં છે. અમને આ બધું જોવાની મઝા આવી. મહાભારતની વાર્તા મનમાં તાજી થઇ.

       પાંડવવનથી મૂળ રસ્તે થોડા આગળ જઈએ એટલે કેદારેશ્વર મહાદેવ આવે. મંદિરની બહાર બગીચો, લોન, બેસવાના બાંકડા એવું બધું છે. બહારથી જરાય ખ્યાલ ના આવે કે આ બગીચાની નીચે ગુફા છે અને તેમાં શ્રી કેદારેશ્વર મહાદેવ બિરાજે છે ! પ્રવેશદ્વાર આગળથી તો આ મંદિર, એક સામાન્ય મંદિરથી ખાસ વિશેષ કંઇ ના લાગે. પણ અંદર પેસીને થોડાં પગથિયાં ઉતર્યા પછી જ અંદરની ભવ્યતાનો ખ્યાલ આવે છે. અહીં એક મોટી વિશાળ ગુફા છે. આમ તો, એને ગુફા પણ ના કહેવાય, કેમ કે તે એક બાજુથી ખુલ્લી છે.

       ગુફાની બીજી બાજુ તથા છત પથ્થરોની બનેલી છે. વિશાળ જગામાં કુદરતી રીતે જ પથ્થરની ગુફાનું સર્જન થયેલું છે. છત જ્યાં પૂરી થાય ત્યાં છત પરથી સતત પાણી પડ્યા કરે છે. વરસાદ પડતો હોય એવું જ લાગે. આને લીધે અહીં સરસ ઠંડક રહે છે. બારે માસ આ પાણી આ રીતે પડે છે. અમે આ વરસાદમાં ઉભા રહીને નહાવાનો આનંદ માણ્યો.

       ગુફામાં શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિર બહુ જ સરસ છે. ઘણા લોકો અહીં દર્શને આવે છે અને કેદારેશ્વર મહાદેવની પૂજા કરે છે, બિલીપત્ર ચડાવે છે, પાણીનો અભિષેક કરે છે અને શ્રીફળ વધેરે છે. વાતાવરણ એટલું સરસ અને પવિત્ર લાગે છે કે અહીં કલાકો સુધી બેસી રહેવાનું મન થાય.

       બાજુમાં શ્રીમહાકાલેશ્વર મહાદેવની મૂર્તિ છે. તેની બાજુમાંથી એક ભોંયરામાં ભૂગર્ભમાર્ગ શરુ થાય છે. કહે છે કે આ ભોંયરું છેક ઉજ્જૈનમાં ખુલે છે.

       અહીં છત પરથી પડતું પાણી એકઠું થઈને ગુફાના ખુલ્લા ભાગ બાજુથી કોતરમાં વહે છે અને નજીકમાં આવેલી માછણ નદીમાં જાય છે. કોતર તરફની આ જગામાં ગીચ ઝાડી જંગલ છે. આ બધાં કુદરતી દ્રશ્યો એવું સરસ વાતાવરણ ઉભું કરે છે કે અહીં રોકાવાનું મન થઇ જાય.

       લોકો અહીં આવીને પીકનીક મનાવે છે. સમાધિરૂમમાં ધ્યાન ધરવા માટે પણ બેસે છે. મંદિર સંકુલમાં કાલભૈરવબાબા મંદિર, શ્રીનાથબાબાની સમાધિ અને શ્રીમહાકાળીમાતાનું મંદિર આવેલાં છે. આ બધું જોઈ, પગથિયાં ચડીને મંદિરની બહાર આવ્યા. બગીચામાં બેસીને નાસ્તો કર્યો. અહીં બહાર થોડી દુકાનો પણ લાગેલી છે. પણ ચોખ્ખાઈનો અભાવ છે. આ સ્થળને ચોખ્ખું કરી, વિકસાવવામાં આવે તો અહીં કેટલા બધા પ્રવાસીઓ આવે ! અને મંદિર કેટલું બધું જાણીતું થાય !

       અહીંથી અમે ૨ કી.મી. દૂર આવેલો માછણ નદી પર બાંધેલો ડેમ જોવા ગયા. એ જોઈને દાહોદ તરફ પાછા વળ્યા. દાહોદમાં એન્જીનીયરીંગ કોલેજથી ૮ કી.મી. દૂર ભેંસાસુર નામની જગાએ એક નાનો ધોધ છે, પણ છેલ્લા ૨ કી.મી. નો રસ્તો સારો નથી, એવી જાણ થતાં, ત્યાં જવાનું મુલતવી રાખ્યું.  આમ, અડધો દિવસ ફરવાનો આનંદ માણી ગોધરા પાછા પહોંચ્યા.

One Comment (+add yours?)

  1. pravin1947
    Sep 11, 2011 @ 13:34:33

    Excellent sir…

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 137 other followers