વાર્તા – બેગની બલિહારી !

                                                      

                                                          બેગની બલિહારી !

     અમદાવાદના એરપોર્ટ પર મુંબઈથી આવેલા વિમાને, ઘરઘરાટી સાથે ઉતરાણ કર્યું. વિમાનનું બારણું ખુલતાં જ પેસેન્જરો ઉતરીને કન્વેયર બેલ્ટ પરથી પોતપોતાનો સામાન લેવા પહોંચ્યા.

બધા મુસાફરોની સાથે આશકા પણ બેલ્ટ તરફ ચાલી. તેને પોતાનો સામાન લઇ, જલ્દીથી ઘેર પહોંચવું હોય એવું એની ચાલ પરથી લાગતું હતું. ગૌર બદન અને પાતળી સોટા જેવી ઉંચી કાયા ધરાવતી આશકા બ્લ્યુ જીન્સ અને આછા ગુલાબી ટોપમાં આધુનિક યુવતિ હોવાનું પ્રમાણ પૂરું પાડતી હતી. ચહેરા પર છૂટા વાળની સેરો પવનમાં લહેરાઈને ચહેરાને  વધુ સુંદર બનાવતી હતી. આંખ પરના કાળા ગોગલ્સ, માથાના વાળ પર ચડાવી આજુબાજુ જોતી તે ઝડપથી બેલ્ટ તરફ ચાલતી હતી. તેની ચપળતા જોઈને અને ઉંચી હીલના સેન્ડલનો ચપ ચપ અવાજ સાંભળીને, આજુબાજુવાળાઓનું  ધ્યાન તેના તરફ અચૂક જતું હતું. આશકા બેલ્ટ આગળ જઈને ઉભી રહી. તેના સામાનમાં તો આછા લીલા કલરની એક એટેચી જ માત્ર હતી. મુંબઈથી અમદાવાદ એક દિવસના ઇન્ટરવ્યૂ માટે આવેલી વ્યક્તિનો સામાન કેટલો હોય ? તેને આજે અગિયાર વાગે ગ્રીનવેલી કંપનીની ઓફિસે પહોંચવાનું હતું. એટેચીને બેલ્ટ પરથી ઉઠાવી, આશકા રીક્ષા કરીને નવરંગપુરામાં માસીને ઘેર જવા રવાના થઇ.

વિમાનમાંથી છેલ્લો ઉતરનાર મુસાફર હતો મી. આદિત્ય ઝવેરી. તે મારા મિત્ર શ્રીકાંત ઝવેરીનો લાડકોડમાં ઉછરેલો પુત્ર હતો. શ્રીમંત બાપનો નબીરો હતો. મનમાની રીતે જીવવા વાળો હતો, છતાં યે મિલનસાર અને બુદ્ધિશાળી હતો. રખડવાનો શોખીન જીવ હતો. તેની સાથે થોડો યે સમય પસાર કરનારને તેની સાથે સારું ફાવી જતું. મિત્રપુત્રના નાતે તે મારો ભત્રીજો હોવાની સાથે મારો મિત્ર પણ હતો. તેણે કોમર્સ ગ્રેજ્યુએશન કરી, વધુ ભણવાનું મુલતવી રાખી, બાપનો ધંધો સંભાળી લીધો હતો.

છેલ્લી ઘડીએ ટીકીટ બુક કરાવીને, છેલ્લો ઉતરનાર આદિત્ય આરામથી બેલ્ટ આગળ પહોંચ્યો ત્યારે બેલ્ટ પર માત્ર તેની જ એક એટેચી પડી હતી. નફકરા લાગતા આદિત્યે એટેચી ઉઠાવી, ખભે ભરાવીને ચાલતી પકડી. બહાર તેને લેવા આવનાર ડ્રાઈવર મહેશ રાહ જોતો ઉભો હતો. આદિત્યને જોઈને તે બોલી ઉઠ્યો, ‘નાનાશેઠ, આવી ગયા ? કાંઈ તકલીફ તો નથી પડી ને ?’

‘અરે ! તકલીફ શું પડવાની હતી ? લે, આ એટેચી. મૂક ગાડીમાં.’

મહેશે એટેચી હાથમાં લીધી. તેને એટેચી વજનદાર લાગી. બોલ્યો, ‘ શેઠ, મુંબઈથી ખરીદી કરી લાવ્યા છો કે શું ? તમે ગયા ત્યારે તો એટેચી આટલી વજનદાર ન હતી.’

આદિત્ય બોલ્યો, ‘અરે, મૂક ને માથાકૂટ વજનની. તું ય શું સવારના પહોરમાં લઇ મંડ્યો છે.’

પણ ચૂપ રહે તો મહેશ શાનો ? ‘શેઠ, આજનો તમારો પ્રોગ્રામ જાણો છો ને ? મોટા શેઠે કહ્યું છે કે તમારે જમીને તરત ઓફિસે પહોંચી જવું.’

આદિત્ય બોલ્યો, ‘સારું જા, હું ઘેર જમીને તરત ઓફિસે જવા નીકળીશ. બસ, હવે આગળ કંઈ બોલતો નહિ.’

ગાડી ઘેર પહોંચી. પપ્પા તો ક્યારના ય ઓફિસે જતા રહ્યા હતા. મમ્મી તો હતી નહિ. વરસો પહેલાં, આદિત્યને મૂકીને, પ્રભુને ત્યાં સિધાવી ગઈ હતી. પણ પપ્પા શ્રીકાંતભાઇની કાળજી અને સારા સંસ્કારોથી આદિત્ય ખરાબ રવાડે ચડતાં બચી ગયો હતો. હા, થોડો બેદરકાર અને નચિંત જીવ ખરો. શ્રીકાંતભાઇ હવે તેને પરણાવી દેવા અધીરા બન્યા હતા. અત્યારે તો રસોયણ બાઈ રસોઈ કરીને જમાડતી હતી, પણ ઘરની વહુ રસોઈ કરે તેમાં ફેર તો પડે ને ?

આદિત્યે તૈયાર થવા માટે એટેચી ખોલી. પણ આ શું ? તેના આશ્ચર્ય વચ્ચે, એટેચીમાંની કોઈ વસ્તુ તેની પોતાની ન હતી. અંદર હતાં પફપાઉડર, બંગડીઓ, ગળાનો નકલી હાર, બુટ્ટી, લેડીઝના ડ્રેસ વગેરે વગેરે. ‘નક્કી કંઇક ગરબડ થઇ છે. કોઈકે મારો સામાન ચોરીને લેડીઝનો સામાન ભરી દીધો લાગે છે. મહેશ સાચુ જ કહેતો હતો કે એટેચીનું વજન વધી ગયું છે.’

તેના મનમાં ઝબકારો થયો, ‘કદાચ આખી એટેચી જ બદલાઈ ગઈ લાગે છે. બીજા કોઈકની આવા જ રંગની આવી એટેચી હશે, એણે ભૂલમાં મારી એટેચી બેલ્ટ પરથી ઉઠાવી લીધી હોય એવું બને. હું તો છેલ્લો પ્રવાસી હતો, એટલે ખબર પડી હોત તો પણ મારી એટેચી શોધવા ક્યાં જાત ?’

પણ હાલપૂરતી આ વાત બાજુએ રાખી, ઘરમાંની સાધનસામગ્રીની મદદથી નહાવાધોવાનું પતાવી, આદિત્ય ઓફિસે પહોંચ્યો. આજે ઓફિસમાં રીસેપ્શનીસ્ટની જગા માટેના ઇન્ટરવ્યૂ રાખેલ હતા. પપ્પાએ ઇન્ટરવ્યૂ લેવાનું ક્યારનું ય શરુ કરી દીધું હતું. ચારેક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પતી ગયા હતા. પટાવાળાએ પાંચમા ઉમેદવારના નામની બૂમ પાડી, ‘મીસ આશકા મોદી.’

મીસ આશકા મોદી એટલે આપણી આ વાર્તાની હીરોઈન આશકા. તે રૂમની અંદર આવી. તેણે પહેરેલાં કપડાં જોઈને શ્રીકાંતને જરા કૂતુહલ થયું. ઝભ્ભો અને સફેદ લેંઘો, વાળ છૂટ્ટા, હાથે બંગડી નહિ, ગળામાં માળા નહિ, કાને એરીંગ નહિ. એક છોકરા જેવો દેખાવ જોઈ, શ્રીકાંત સહેજ નવાઇ પામ્યા. પણ તેમણે તો ઇન્ટરવ્યૂ લેવાનું શરુ કરી દીધું.

‘મીસ…….’

આશકા બોલી, ‘હું મીસ આશકા મોદી, સર’

શ્રીકાંત, ‘આશકા, તમે અહીં અમદાવાદમાં જ રહો છો ? કે બહાર ?’

આશકા, ‘સર, હું મુંબઈથી આવું છું. અહીં મારાં માસીનું ઘર છે ત્યાં ઉતરી છું.’

શ્રીકાંત, ‘રીસેપ્શનીસ્ટની જવાબદારી ઘણી મોટી હોય છે. આગંતુકનું સ્મિત અને પ્રેમાળ શબ્દોથી સ્વાગત કરવું, એ ખૂબ જરૂરી બાબત હોય છે.’

આશકા, ‘હું એ જવાબદારી સમજુ છું, સર.’

શ્રીકાંત, ‘પણ આશકા, મુંબઈમાં રહેનારને અમદાવાદની આ નોકરી ફાવશે ખરી ? અહીં ક્યાં રહેશો ? અવારનવાર મુંબઈ જવાનું મન નહિ થઇ જાય ?’

આશકા, ‘સર, તમે કહો છો એવું થાય ખરું, પણ અમે મૂળ તો અમદાવાદના જ વતની છીએ, એટલે અમદાવાદનું આકર્ષણ છે. અને બીજુ, ભવિષ્યમાં જો મારાં લગ્ન અમદાવાદમાં થાય તો પછી અમદાવાદમાં જ રહેવાનું થાય ને ?’

શ્રીકાંતભાઈને આશકાનો જવાબ ગમી ગયો. આદિત્ય માટે ગૃહિણી શોધવાની છે તે મનમાં યાદ આવી ગયું. તેઓ આશકાને નોકરીએ રાખવાનું વિચારતા હતા એવામાં આદિત્ય ઓફિસમાં દાખલ થયો. એની નજર આશકા પર પડી. તેના માથાથી પગ સુધી તેની નજર ફરી વળી. તેને પણ આશકાએ પહેરેલાં કપડાં જોઈને અચરજ થયું. બિલકુલ પૂરુષનાં જ કપડાં. એટલું જ નહિ, એવાં કપડાંની એક જોડ એની પોતાની પાસે પણ હતી ! પણ આજે એ જોડ પેલી એટેચીમાંથી ગુમ હતી ! કદાચ એ કપડાં જ આ છોકરીએ પહેર્યાં હોય. અર્થાત….? ‘એનો અર્થ એવો કે આ છોકરીની અને મારી એટેચી અદ્દલ સરખી હતી ? અને આ છોકરી પણ સવારે મુંબઈથી આવી હોય અને ભૂલથી મારી એટેચીને પોતાની સમજીને, એ ઉપાડીને ચાલી નીકળી હોય.’

આશકા તો સંકોચ અનુભવતી હતી. ‘ઇન્ટરવ્યૂ લેનાર વડિલ અને આ જુવાનિયો મારાં કપડાં જોઈને કેમ ચમકે છે ? શું મેં પૂરુષનાં કપડાં પહેર્યાં છે એટલે ? પણ એમને શું ખબર પડે કે મારી બેગ એરપોર્ટ પર બદલાઈ ગઈ છે ! એમાં મારી આ દશા થઇ છે !’

છેવટે આદિત્યે મૌન તોડ્યું, ‘મેડમ, તમે મુંબઈથી આજે સવારની ફ્લાઈટમાં જ આવ્યાં ?’

આશકા જરા ગભરાઈ, ‘આ જુવાનિયો આ બધુ ક્યાંથી જાણી ગયો ?’ બોલી, ‘જી’

આદિત્ય, ‘તમારા સામાનમાં આછા લીલા રંગની એક એટેચી છે ને ?’

આશકાને થયું કે ‘મારી ઉલટતપાસ થઇ રહી છે કે શું ?’ બોલી, ‘હા, કેમ ?’

આદિત્ય, ‘બસ મેડમ, તાળો મળી ગયો. તમે પહેર્યાં છે તે કપડાં મારાં છે.’

આશકાને હજુ કશી ગતાગમ પડતી ન હતી. એને તો એમ કે ‘આ બંને જણ મારાં કપડાંની પાછળ પડી ગયા છે. હું ઇન્ટરવ્યૂ આપવા આવી છું કે પોલિસ ચોકીએ ?’

આખરે આદિત્યે ભેદ ખોલ્યો, ‘મેડમ, હું પણ આજ સવારની જ ફ્લાઈટમાં મુંબઈથી આવ્યો છું. આપણા બંનેની એટેચી આછા લીલા રંગની અને એકસરખા દેખાવની છે. તમે મારી એટેચી લઈને દોડ્યાં અને છેલ્લે વધી તે તમારી એટેચી હતી, તેને મારી સમજીને હું લઇ ગયો. એવું બને કે તમારી પાસે બીજાં કપડાં નહિ જ હોય એટલે મારી એટેચીમાંનાં મારાં કપડાં પહેરીને તમે અહીં પહોંચી ગયાં. અને ઈત્તફાક તો કેવો કે તમારે બીજે ક્યાંય નહિ ને ઇન્ટરવ્યૂ માટે અહીં મારી સામે જ આવવાનું થયું ! ચોર, ચોરેલો સામાન સામે ચાલીને સોંપવા આવે તે આનું નામ !’ એમ કહીને આદિત્ય ખડખડાટ હસવા માંડ્યો.

આશકાના મન પરથી પણ હવે ભાર હળવો થઇ ગયો. તે ય હસવા માંડી. અને બોલી, ‘એ મીસ્ટર, હું ચોર નથી હોં. હવે મને મારી એટેચી પાછી આપો, નહિ તો તમે પણ ચોર, મારા જેવા.’

શ્રીકાંતભાઈ આખી વાતનો મર્મ પામી ગયા. એ પણ હાસ્યમાં જોડાઈ ગયા. તેમણે આશકાને નોકરી માટે પસંદ કરી જ, અને ભવિષ્યમાં બધુ બરાબર લાગે તો આશકાને, આદિત્ય માટે પણ પસંદ કરવાનું મનોમન વિચારી લીધું.

આશકાનો જવાબ સાંભળી, આદિત્ય ઓર ખીલી ઉઠ્યો. આશકા દેખાવમાં તો તેને ગમી જ ગઈ હતી. બોલ્યો, ‘ભલે હું ચોર, મને તો તમારું દિલ ચોરવાનું પણ મન થઇ ગયું છે, જો તમારી મંજૂરી હોય તો.’

આશકા શરમાઈ ગઈ, ‘મને નોકરી તો શરુ કરવા દો. પછી જે ચોરવું હોય તે ચોરજો.’

કહેવાની જરૂર ખરી કે આદિત્ય અને આશકા, એક જ ઓફિસમાં કામ કરતાં કરતાં પરણી ગયાં ? ફક્ત બેગ બદલાઈ જાય, એ નજીવી ઘટના ક્યારેક બે જણને કેવાં જોડી દે છે !

આ ઘટનાના એક વર્ષ પછી હું, મારી પત્ની, મારો મિત્ર કમ ભત્રીજો આદિત્ય અને આશકા, એક ગૃપની સાથે, જબલપુરની નજીક આવેલા કાન્હા નેશનલ પાર્કના પ્રવાસે નીકળ્યા. ફરવાનો શોખ તો અમને બધાને એકસરખો. અમારો મુકામ કાન્હા રીસોર્ટમાં હતો. રીસોર્ટ આગળ ઉતર્યા ત્યારે અંધારું પડી ગયું હતું. બસમાંથી અમારો બધાનો સામાન ઉતર્યો તેમાંથી અમારી બેગો ઉપાડીને અમે અમારી રૂમમાં પહોંચ્યા. રૂમ ખોલીને બેગો અંદર લીધી. થોડી વારમાં અમારા ગૃપનો એક છોકરો દોડતો અમારી રૂમમાં આવ્યો અને બોલ્યો, ‘તમારું નામ પ્રવીણભાઈ છે ?’

મેં કહ્યું, ‘હા, શું છે એનું ?’

તે બોલ્યો, ‘કાકા, તમારી બેગ બદલાઈ ગઈ છે, અને તે અમારી સાથે આવી ગઈ છે. એ બેગ પર એક ખૂણામાં ‘પ્રવીણભાઈ’ લખેલું વાંચી, તમને શોધતો શોધતો હું અહીં આવ્યો.’

મેં ઉંચકી લાવેલી બેગ ધ્યાનથી જોઈ. તે મારી ન હતી. હું ભૂલથી બીજાની બેગ લઈને આવી ગયેલો. મેં એ બેગ પાછી આપી અને મારી બેગ મેળવી લીધી. મારો ભત્રીજો આદિત્ય અને આશકા બાજુમાં જ ઉભાં ઉભાં આ તમાશો જોઈ રહ્યાં હતાં અને મંદ મંદ હસી રહ્યાં હતાં. આદિત્ય બોલ્યો, ‘કેમ કાકા, શું વિચાર છે ? ગઈ સાલ મારી બેગ બદલાઈ ગઈ ત્યારે, મને તો બેગની સાથે સાથે આ આશકી મળી ગઈ. તમને શું મળશે ?’

આદિત્યની કોમેન્ટ સાંભળીને અમે બધાં ય હાસ્ય સાગરમાં ડૂબી ગયાં.

હોગેન્કલ ધોધ

હોગેન્કલ ધોધ

કુદરતે આ પૃથ્વીને કેટલું બધું આપ્યું છે ! નદીનાળાં, પર્વતો, દરિયા, ધોધ, જંગલો અને ઘણુંબધું. પ્રકૃતિની આ લીલા નીરખવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. તેમાં ય ધોધ તો કુદરતનું મનોહર અને નિરાળુ સ્વરૂપ છે. તમને ધોધ જોવાનો ગમે ને ? આપણા દેશમાં નાનામોટા એટલા બધા ધોધ આવેલા છે કે એમાંથી બહુ ઓછાનાં નામઠામ આપણે જાણીએ છીએ. આવું એક નામ છે હોગેન્કલ ધોધ. કાવેરી નદી પર આ ધોધ આવેલો છે. કાવેરી નદી કર્ણાટક રાજ્યના કોડાગુ જિલ્લામાં આવેલી બ્રહ્મગિરિની ટેકરીઓમાંથી નીકળે છે અને કર્ણાટક તથા તમિલનાડુમાં વહીને બંગાળાના ઉપસાગરને મળે છે. કર્ણાટકમાં કાવેરી નદી પર શીવસમુદ્રમ ધોધ છે, અને આગળ જતાં કર્ણાટક-તમિલનાડુની સરહદ આગળ તમિલનાડુના ધર્માપુરી જિલ્લામાં હોગેન્કલ ધોધ આવેલો છે.

હોગેન્કલ એ માત્ર એક જ ધોધ નથી. પણ વિશાળ જગામાં પથરાયેલ ઘણા ધોધોની હારમાળા છે. હોગેન્કલ આગળ, રેતાળ બીચવાળા મોટા વિસ્તારમાં નદી પથરાય છે, તેથી તે અનેક જળધોધ રચે છે અને એક અલૌકિક દ્રશ્ય ખડુ કરે છે. ધોધનો ફોટો જોતાં જ એની ખબર પડી જશે. આ ધોધ સરેરાશ ૨૦ મીટરની ઉંચાઈએથી પડે છે. તમિલ ભાષામાં hoge એટલે ધુમાડા અને kal એટલે ખડકો. ધોધ પડે ત્યારે અહીં ખડકોમાંથી ધુમાડા નીકળતા હોય એવું લાગે છે. એટલે આ ધોધ હોગેન્કલ(Hogenakkal)તરીકે ઓળખાય છે. તમિલમાં તેને મેરીકોટ્ટાયમ પણ કહે છે. વળી, હોગેન્કલ નામના ગામ આગળ આ ધોધ આવેલો હોવાને લીધે પણ તેને હોગેન્કલ કહે છે. અમેરિકાના નાયગરા ધોધ જોડે તે થોડું સામ્ય ધરાવતો હોઈ, તે ‘ભારતના નાયગરા’ તરીકે પણ જાણીતો છે.

ધોધનું પાણી ખડકો પરથી નીચે ખીણમાં પડે ત્યારે વાદળના ગડગડાટ જેવો અવાજ સતત સંભળાય છે. એક બાજુ ઘુઘવતો, ગર્જના કરતો, ઉછળતો ધોધ અને બીજી બાજુ સાંકડી ખીણમાં શાંત લયબદ્ધ રીતે વહેતું ધોધનું પાણી. કેવું સરસ દ્રશ્ય ! સામે અનેક જગાએથી ધોધ જોઈ શકાય છે. પણ પાણીમાં ઉતરાય એવું નથી. લોકો આ ધોધ જોવા ચોમાસુ પૂરું થયા પછી તરત આવતા હોય છે કે જેથી ચોમાસાના પૂરની રૌદ્રતા ન હોય અને પાણી ઘટીને ઓછું પણ ના થઇ ગયુ હોય. આવા સમયે અહીં ઘણી ભીડ હોય છે. કુદરતના ચાહકો માટે આ એક રમણીય પીકનીક સ્થળ છે. વળી,આ એક પવિત્ર સ્થળ છે. લોકો અહીં સ્નાન કરીને પવિત્ર થાય છે. નહાવાનું ઉપરવાસમાં વધુ અનુકૂળ છે. નદીની આજુબાજુ ગાઢ જંગલો આવેલાં છે. તેમાં ટ્રેકીંગની મજા લઇ શકાય છે.

આ ધોધ ખાસ બે બાબતો માટે વધુ જાણીતો છે. એક તો, આ પાણીમાં નહાવાથી ચામડીના રોગો દૂર થાય છે, એવી માન્યતા છે. ધોધરૂપે પડતા પહેલાં કાવેરી નદી જંગલની વનસ્પતિમાં થઈને પસાર થાય છે, એટલે તેનું પાણી દવાની ગરજ સારે છે. જાણે કે સ્પા માટેનો હેલ્થ રીસોર્ટ ! અને બીજી બાબત એ કે ધોધ પડ્યા પછી, ખીણમાં વહેતા પાણીમાં, ખાસ પ્રકારની બોટમાં બેસીને બોટીંગ કરી શકાય છે. અહીના સ્થાનિક લોકો, ગોળ ટોપલા જેવી હોડી બનાવે છે. વાંસની આ હોડીનો વ્યાસ આશરે સાત ફૂટ જેટલો હોય છે. તેમાં વધુમાં વધુ આઠ જણ બેસી શકે છે. હોડીનો નાવિક તેને એક જ હલેસાથી આગળ ધકેલે છે. અહીના લોકો આવી હોડી, વાંસના સળિયા ગૂંથીને એક જ દિવસમાં તૈયાર કરી નાખે છે. તળિયે ચામડાની ખાલ કે પ્લાસ્ટિકનુ કપડું મઢી લે છે, એટલે પાણી હોડીમાં પેસી ના શકે. આ હોડી કેવી દેખાય છે તે ફોટામાં જોઈને તરત જ ખ્યાલ આવી જશે. આવી હોડીને તમિલમાં ‘પરિસાલ’ તથા કન્નડ ભાષામાં ‘ટેપ્પા’ કે હરિગોલુ’ કહે છે. આવી ગોળ થાળી જેવી હોડીમાં બેસવાની કેવી મજા આવે ! ઘણા પ્રવાસીઓ તો, આવી હોડીથી આકર્ષાઈને ખાસ તેમાં સફર કરવા માટે અહીં આવે છે. હોડીવાળો, હોડીને ધોધની સામે લઇ જઈને ધોધનાં નજીકથી દર્શન કરાવે છે. ધોધના વહેતા તરંગમય પાણી પર, લયબદ્ધ રીતે ઊંચીનીચી થતી બોટની સફર કેવી રોમાંચક હોય ! એની મજા તો આ હોડીમાં બેસો તો જ માણવા મળે. જો કે ધોધમાં પાણી પુષ્કળ હોય ત્યારે હોડીઓ ફરતી બંધ થઇ જાય છે. જમીન રસ્તે તો ધોધની સામે નજીક પહોંચાય એવું છે જ નહિ. ટોપલાહોડીમાં જ જવું પડે. હોડીવાળાની, હોડીમાંથી થતી કમાણી એ જ તેમની આવકનું મુખ્ય સાધન છે. હોડીવાળા માછલી અને નાસ્તો પણ વેચતા હોય છે. નદીકિનારે દુકાનોમાં પણ આ બધું મળે છે. અહીં મસાજ કરનારા પણ મળી રહે છે.

નીચવાસમાં ખીણની બંને બાજુ ઉંચા ઉંચા ખડકો છે.અહીં નાના છોકરાને થોડા રૂપિયા આપો તો તે ત્રીસેક ફૂટ ઉંચા  ખડક પરથી ખીણમાં કૂદી, પળવારમાં તો સીધા ચઢાણવાળા ખડક પર ચડીને ઉપર પાછો પહોંચી જાય. એની ચપળતા, ઝડપ અને સાહસ જોઈને દંગ રહી જવાય.

ધોધ પડ્યા પછી, તે દક્ષિણ બાજુએ વહી જાય છે અને પછી, મેત્તુર ડેમ આગળ મોટુ સરોવર રચે છે. આ ડેમ ૧૯૩૪ માં બંધાયો હતો. બંધના પાણીનો ઉપયોગ સિંચાઇ અને વીજળી પેદા કરવામાં થાય છે. તમિલનાડુ સરકાર, હોગેન્કલ ધોધમાંથી પીવાનું ચોખ્ખું પાણી મેળવવાનો પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.

ફિલ્મોવાળાને તો આવો ધોધ જરૂર આકર્ષે. અહીં ઘણી તમિલ ફિલ્મોનાં શુટીંગ થયેલાં છે. હિન્દી ફિલ્મ ‘રોઝા’ ના એક ગીતનું શુટીંગ અહીં થયેલું છે.

હોગેન્કલ ધોધ ધર્માપુરીથી ૪૬ કી.મી. અને બેંગ્લોરથી ૧૮૦ કી.મી. દૂર છે. હોગેન્કલ જવા માટે બેંગલોર અને સાલેમથી બસો મળે છે. નજીકનું રેલ્વે સ્ટેશન ધર્માપુરી છે. ક્યારેક તક મળે તો ધોધ જોવા અને પેલી ટોપલાહોડીમાં બેસવા જરૂર જજો.

પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને

                                                    પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને 

ગુજરાતમાં ખૂબ જાણીતાં હોય એવાં ઘણાં બધાં યાત્રાધામો છે. જેવાં કે ડાકોર, અંબાજી, સોમનાથ, શામળાજી, વડતાલ વગેરે. પાલિતણા પણ આવું જ પ્રસિદ્ધ યાત્રાધામ છે. જૈન ધર્મનાં અહીં એટલાં બધાં મંદિરો છે કે ના પૂછો વાત ! અહીં ફક્ત જૈન મંદિરો હોવા છતાં, ધર્મના કોઈ પણ જાતના બાધ વગર, બધા લોકો દર્શને આવે છે, એવું એ પવિત્ર ધામ છે. અમે પણ આ પવિત્ર ભૂમિના દર્શને જવાનો કાર્યક્રમ બનાવી, એક દિવસે બપોરે બે વાગે પાલિતણા જવા નીકળી પડ્યા.

અમદાવાદથી પાલિતણા શહેરનું અંતર ૨૨૦ કી.મી. છે. અમદાવાદથી બાવળા, બગોદરાના રસ્તે જવાનું. બગોદરાથી ભાવનગર તરફ વળવાનું. ત્યાંથી ધંધુકા, બરવાળા, વલભીપુર, ધાંધલી, શિહોર અને સોનગઢ થઈને પાલીતણા પહોંચાય. આમ તો આ રસ્તે પણ ઘણાં જૈન તીર્થો આવે છે. બગોદારમાં નવકાર તીર્થ છે. હમણાં એક વર્ષ પહેલાં જ બન્યું છે. ખુલ્લી વિશાળ જગામાં બગીચા, પાર્કીંગ અને રહેવાજમવાની વ્યવસ્થાવાળું આ સ્થળ ઘણું જ સરસ છે. અહીં બેસો તો મનને શાંતિ જરૂર લાગે છે. અમે અહીં પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી પ્રવાસ આગળ વધાર્યો.

ધંધુકા પછીના તગડી ગામે વૈષ્ણવ સંપ્રદાયની શ્રીમહાપ્રભુજીની બેઠક આવેલી છે. તળાવને કિનારે આવેલી આ જગા પણ એક સરસ નૈસર્ગિક સ્થળ છે. અહીં વૈષ્ણવો માટે રહેવાજમવાની વ્યવસ્થા છે. તગડીથી બરવાળાના રસ્તે પાંડવકાલીન ભીમનાથ મહાદેવ આવે છે. એ પણ એક જાણીતું શીવમંદિર છે. બરવાળાથી ૨૦ કી.મી. પછી અયોધ્યાપુરમ નામે એક પ્રખ્યાત જૈન મંદિર છે. ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અહીં આદિનાથ ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિનાં દર્શન કરીને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આદિનાથ દાદા એટલે જૈનોના પહેલા તીર્થંકર. મહાવીર સ્વામી એ ચોવીસમા તીર્થંકર. જૈનોના પ્રખ્યાત તીર્થ સમેતશિખરજીમાં પાર્શ્વનાથ પ્રભુ અને ગીરનારમાં નેમિનાથ પ્રભુ બિરાજે છે. અયોધ્યાપુરમમાં પણ રહેવાજમવાની સગવડ છે. જૈનોનાં બધાં તીર્થોમાં જમવાની વ્યવસ્થા હોય જ છે. દર્શને આવનારાઓને તકલીફ ના પડે તેની સારી કાળજી લેવાય છે. તમે આ રસ્તે નીકળો તો અયોધ્યાપુરમ થોભીને આ મંદિર જરૂર જોજો.

અમે આગળ ચાલ્યા. વલભીપુર પસાર થયું. અહીં વલભીપુરમાં કોઈ દાતાએ એક મોટો બંગલો પ્રજા માટે દાનમાં આપેલો છે. અહીંથી પસાર થતા જૈન ધર્મીઓને રાત્રિનિવાસ કરવો હોય તો અહીં થઇ શકે છે. આગળ જતાં ધાંધલી, શિહોર અને સોનગઢ ગામ આવ્યાં. ધાંધલીથી શિહોરનો રસ્તો થોડો ખરાબ છે. પણ વાહનો તો આરામથી જઈ શકે. સોનગઢની હીંગ વખણાય છે. સોનગઢથી આગળ જઈએ એટલે ‘શેત્રુંજય પ્રવેશદ્વાર’ લખેલી મોટી કમાન આવે છે. અહીંથી પાલિતણા માત્ર ૨૮ કી.મી. દૂર છે. આગળ જતાં વીસેક કી.મી. પછી અઢીદ્વીપ નામનું જૈન મંદિર આવે છે. આ બધું જોતા જોતા અમે સાંજે સાત વાગે પાલિતણા પહોંચી ગયા.

પાલિતણામાં પુષ્કળ લોકો દર્શનાર્થે આવે છે. વર્ષના કોઈ પણ સમયે અહીં લોકોની ભીડ દેખાય છે.તહેવારોમાં તો માનવ મહેરામણ ઉમટે છે. જૈનોના સંઘ તો અવારનવાર આવ્યા જ કરે છે. આટલા બધા લોકોને રહેવા માટે અહીં ઘણી ધર્મશાળાઓ ઉભી થઇ છે. નામ ભલે ‘ધર્મશાળા’ હોય, પણ તેમાં હોટેલ જેવી બધી સગવડો હોય છે. અમે અગાઉથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવ્યું ન હતું, એટલે ધર્મશાળામાં રૂમ મળવામાં થોડી તકલીફ પડી, પણ છેવટે મળી તો ગઈ જ. ફોનથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવીને આવવું વધુ સારું. રાત્રે જમીને આરામ કર્યો. બીજે દિવસે શેત્રુંજય ડુંગર ચડવાનો કાર્યક્રમ હતો.

પાલિતણા શહેર એક નાના નગર જેવું લાગે. શહેરના રસ્તાઓ ખૂબ જ સારા અને પહોળા છે. રસ્તાઓ પર ચોખ્ખાઈ ખૂબ જ છે. પાલિતણાનું મુખ્ય આકર્ષણ છે શેત્રુંજય ડુંગર અને ડુંગર પરનાં જૈન મંદિરો. પાલિતણા નગરના છેડેથી જ ડુંગર શરુ થાય છે. આ જગાને તળેટી કહે છે. પાલિતણાની મોટા ભાગની ધર્મશાળાઓ તળેટીની નજીક જ આવેલી છે. શેત્રુંજય તીર્થની યાત્રાએ આવનારા લોકો, તળેટીથી ડુંગર ચડવાનું શરુ કરે છે. અહીં ડુંગર તરફ ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે. પ્રવેશદ્વારમાં દાખલ થતામાં જ એક મોટું મંદિર છે. તેને બાબુ દેરાસર કહે છે. દેરાસરમાં આદિનાથ ભગવાનની મૂર્તિ છે. આ દેરાસર ખૂબ વિશાળ પરિસરમાં પથરાયેલું છે. જેને શેત્રુંજય ડુંગર ન ચડવો હોય કે શારીરિક તકલીફને કારણે ચડી શકાય તેમ ન હોય તે બાબુ દેરાસર સુધી તો આવે જ. એટલે અહીં તો મોટા મેળા જેવું લાગે. લોકો બાબુ દેરાસરમાં પૂજાપાઠ, અર્ચન કરતા હોય છે. જૈન ધર્મની દીક્ષા લેવાની વિધિ પણ અહીં થાય છે. અહીં મહારાજ સાહેબ(મ.સા.) તથા સાધ્વીઓનાં દર્શન કરવાની તક પણ આસાનીથી મળે.

બાબુ દેરાસરની બાજુમાં સમોવર્ષણ નામનું દેરાસર છે. તેનો દેખાવ ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અજાયબીમાં ગણી શકાય એવી સરસ આ કલાકૃતિ છે. સમોવર્ષણની તસ્વીર એ પાલિતણાની ઓળખ છે. થોડી વાર સુધી જોયા જ કરવાનું મન થાય એવો એનો દેખાવ છે.

શેત્રુંજય પર ચડવાનો રસ્તો બાબુ દેરાસર અને સમોવર્ષણ દેરાસરની વચ્ચે થઈને પસાર થાય છે. અમે આ બંને દેરાસરમાં દર્શન કરી, ડુંગર ચડવાનું શરુ કર્યું. રસ્તો પગથિયાંવાળો છે. પગથિયાં એટલાં સરસ અને પહોળાં બનાવ્યાં છે કે ચડવાનું સહેલું લાગે. વળી, દરેક પગથિયાની ઊંચાઈ પણ છ ઈંચથી વધારે નથી એટલે ચડવામાં થાક ઓછો લાગે. દર પચાસ પગથિયાંએ પગથિયાંનો નંબર લખેલો છે એટલે તમે કેટલાં પગથિયાં ચડ્યા, તેનો અંદાજ મળતો રહે. ડુંગરની ટોચ સુધી કુલ ૩૩૬૪ પગથિયાં છે. થોડા થોડા અંતરે પગથિયાંની બંને બાજુએ શીલાઓ પર ભગવાનને નમન કરતાં સૂત્રો લખેલાં નજરે પડે છે. ઘણા લોકો ચંપલ પહેર્યા વગર ડુંગર ચડવાની બાધા રાખતા હોય છે, એટલે ગરમીમાં પગે દઝાવાય નહિ તે માટે પગથિયાં પર બંને બાજુએ થોડા ભાગમાં સફેદ રંગ કરેલો છે. એક બાજુનો સફેદ પટ્ટો ચડનારાઓ માટે તથા બીજી બાજુનો પટ્ટો ઉતરનારાઓ માટે. થોડા થોડા અંતરે વિસામાઓ પણ આવે છે. વિસામા પર માટલાનું ઠંડું ચોખ્ખું પીવાનું પાણી મળી રહે છે. અહીં પાણી પીને બે ઘડી બેસવાથી નવું જોમ આવી જાય અને પછી યાત્રિકો આગળ પગથિયાં ચડવાનું શરુ કરે.

લગભગ છસો એકાવન પગથિયાં પછી થોડો સપાટ રસ્તો આવે છે. પછી વળી પાછાં પગથિયાં. લગભગ અઢારસો પગથિયાં પછી હિંગળાજ માતાનું મંદિર આવે છે. માતાને પગે લાગી યાત્રિકો આગળ વધે છે. બધાને ઠેઠ ટોચ પર પહોંચી આદિનાથ દાદાને મન ભરીને નિરખવા છે. અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી જીંદગીમાં ધન્યતા અનુભવવી છે. એ ઉત્સાહમાં થાક વર્તાતો નથી. આમ છતાં, યાત્રિકો ચડતાં ચડતાં હાંફી જાય તો દર થોડાં પગથિયાંએ સહેજ ઉભા રહીને થાક ખાઈ લે છે. જાતે ન ચડી શકનારા માટે ડોળી મળી રહે છે. પણ ચઢાણવાળા રસ્તે આપણી જાતને બીજા મનુષ્યો દ્વારા ઉચકાવવી એ માનવતા વિરુદ્ધનું કૃત્ય લાગે છે. ડોળીમાં બેસીને યાત્રા કરવાથી ભગવાન પ્રસન્ન થતા હશે કે કેમ, એ તો ભગવાન જ જાણે !

અમે એક બહેનને તો દરેક પગથિયે નીચે બેસી, માથું પગથિયે નમાવી, ઉપર ચડતાં જોયાં. એ બહેનને કેટલું કષ્ટ પડ્યું હશે ? એ ભગવાનમાં કેટલી અતૂટ શ્રદ્ધા ધરાવતાં હશે ?

શેત્રુંજયની ઉપર પહોંચ્યા પછી, અહીનાં મંદિરોનો માહોલ તો ખરેખર અદભૂત છે. અહીં કુલ કેટલાં મંદિરો હશે, તે કલ્પી શકો છો ? લોકોના કહેવા પ્રમાણે, અહીં મંદિરોની સંખ્યા ૯૦૦ જેટલી છે ! દરેક મંદિરમાં દર્શનનો લ્હાવો લેવા જેવો છે. આ મંદિરો અગિયારમી સદીથી ઓગણીસમી સદી સુધીના આઠસો વર્ષના ગાળામાં બંધાયાં છે. મંદિરો બાંધવામાં પથ્થર અને આરસનો ઉપયોગ થયેલો છે. મંદિરોની દિવાલો પરની દેવદેવીઓની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ જોતાં એમ લાગે છે કે એ વખતના લોકો કેવા કલાપ્રેમી હશે ! આટલું બધું શિલ્પકામ કરવામાં કેટલો બધો સમય લાગ્યો હશે ! પણ નિપુણતા, પ્રભુભક્તિ અને શોખને લીધે આ બધું શક્ય છે. અને મંદિરો કેવાં ભવ્ય અને ઉત્તુંગ શિખરોવાળાં છે ! એક જુઓ અને એક ભૂલો, એવાં આ મંદિરો જોઈને મન આનંદ, ભક્તિ અને પ્રભુપ્રેમમાં તરબોળ થઇ જાય છે. અમને આબુનાં દેલવાડાનાં દહેરાં અને મોઢેરાનું સૂર્ય મંદિર યાદ આવી ગયાં. અહીનાં મંદિરોમાં મુખ્ય મંદિર આદિનાથ દાદાનું છે. આ મંદિરને દાદાની ટુક પણ કહે છે. આદિનાથ દાદાનાં દર્શન કરીને મન પાવન થઇ જાય છે. એક વાર તો અહીં દર્શન કરવા જજો જ.

શેત્રુંજયની ટોચ પરથી, પાલિતણાની બાજુમાં વહેતી શેત્રુંજી નદીનું દ્રશ્ય બહુ જ સુંદર લાગે છે. શેત્રુંજી પર બાંધેલા બંધને લીધે ઉપરવાસમાં ભરાયેલ સરોવર અહીંથી દેખાય છે. ટોચ પથી ચારે બાજુ નજર કરતાં એમ લાગે કે ભગવાને કેવી સરસ સૃષ્ટિ રચી છે ! ઘણે દૂર એક અન્ય ડુંગર પર બાંધેલાં મંદિરો પણ ઝાંખાં ઝાંખાં દેખાય છે. એ છે હસ્તગિરિ પરનું જૈન મંદિર. બીજા દિવસે અમે હસ્તગિરિ જવાના હતા.

બસ, પછી મનમાં સંતોષ ભરી અમે ડુંગર ઉતરવાનું શરુ કર્યું. પેલાં છસો એકાવન પગથિયાંના સપાટ રસ્તા આગળ, એક ભાઈ ભાતાગૃહમાં નાસ્તો કરવાના(નવકારસીના) પાસ આપતા હતા. તે પાસ લઈને તળેટીએ પહોંચી ગયા.

તળેટીમાં ચાનાસ્તાની દુકાનો છે. તે એકદમ વ્યવસ્થિત રીતે લાઈનબંધ ઉભી કરેલી છે. ચોખ્ખાઈ તો ખૂબ જ. અહીં શેરડીનો રસ બારે માસ મળે છે. અમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો. અહીં કાચું પપૈયું અને ચવાણું નાખેલી ખાસ પ્રકારની ભેળ મળે છે. તે ખાવાની મજા આવી. બાજુમાં જ ભાતાગૃહ છે. પેલા પાસ ધરાવનારને અહીં ખાવાપીવા માટે બુંદી, સેવ અને ચા મળે છે, અને તે પણ જોઈએ તેટલાં. ખાધા પછી સાકર-વરિયાળીનું પાણી મળે છે. આ બધાથી ડુંગર ચડ્યાઉતર્યાનો થાક ઉતરી જાય છે.

ભાતાગૃહમાં ખાધા પછી અમે ત્રણેક કલાક આરામ કર્યો અને સાંજના પાલિતણા નગર જોવા નીકળ્યા. તળેટીની નજીકના વિસ્તારમાં મણીભદ્ર દેરાસર, કાચનું દેરાસર તથા અન્ય જાણીતાં મંદિરો છે. મ.સા. તથા સાધ્વીઓના મુકામ માટે પણ વ્યવસ્થા છે. એ બધું જોયું.

બીજા દિવસે અમે પાલિતણાથી ૧૭ કી.મી. દૂર આવેલા હસ્તગિરિ ડુંગર જવા નીકળ્યા. શેત્રુંજીના કિનારે કિનારે રસ્તો છે. હસ્તગિરિ ડુંગરની ટોચ પર છેક મંદિર સુધી ગાડી તેમ જ લક્ઝરી બસો જઈ શકે છે. વળાંકો તેમ જ ઢાળ પર જરા સાચવીને ડ્રાઈવિંગ કરવાનું. કુલ છ કિલોમીટરનું ચઢાણ છે. ઉપર ઋષભદેવ(આદિનાથ) ભગવાનનું ભવ્ય દેરાસર અને પરિસરમાં ૭૨ જિનાલય છે. આખું બાંધકામ સફેદ આરસનું છે. સવારના સૂર્યના કોમળ તડકામાં આ મંદિરોનાં શિખરો ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. મંદિરની બહાર ચારે બાજુ વિશાળ ચોગાન અને તેમાં ઉભાં કરેલાં નાનાં મંદિરો અહીના આકર્ષણમાં ઓર વધારો કરે છે. એમ થાય કે આ જગાએ બસ, બેસી જ રહીએ. મનને અપૂર્વ શાંતિ મળે છે અને ચારે બાજુનો નઝારો એટલો સરસ કે બસ જોયા જ કરો. દૂર દૂર શેત્રુંજયની ટોચ પણ દેખાય છે.

છેવટે હસ્તગિરિથી પાલિતણા પાછા વળી, જમીને અમદાવાદ તરફ વળ્યા. રસ્તામાં અયોધ્યાપુરમ, તગડી અને બગોદરાના નવકારતીર્થમાં વિરામ કર્યો. સાંજે તો અમદાવાદમાં. પ્રવાસમાં ખૂબ જ આનંદ આવ્યો. સારા વિચારો અને ભગવાન પ્રત્યેની શ્રધ્ધાને થોડું બળ મળ્યું. એક વાર તો પાલિતણા જોવા જેવું ખરું જ. કોઈક શ્રદ્ધાળુ લોકો તો બે મહિનાના ગાળામાં શેત્રુંજય ડુંગરની ૯૯ વખત યાત્રા કરે છે.

પાલિતણાથી સૌથી નજીકનું મોટું શહેર ભાવનગર અહીંથી ૫૧ કી.મી. દૂર છે. અમદાવાદ, ભાવનગર, ગારિયાધાર વગેરે સ્થળોએથી પાલિતણા જવા માટે એસ.ટી. બસો મળી રહે છે. ભાવનગરથી પાલિતણા રેલ્વે રસ્તે પણ જવાય છે. પાલિતણાથી આગળ બગદાણામાં સીતારામ બાપનો આશ્રમ, તળાજા પાસે ગોપનાથ મહાદેવ, ભાવનગર પાસે ખોડિયાર માતાનું મંદિર, નિષ્કલંક મહાદેવ વગેરે જોવાલાયક સ્થળો છે. અમદાવાદથી બગોદરા પહોંચતા પહેલાં, ધોળકા પાસે ગણેશપુરામાં ગણેશ મંદિર અને અરણેજમાં બૂટભવાની માતાનું મંદિર પણ જાણીતાં છે. ત્યાંથી નજીકમાં જ લોથલમાં પુરાના જમાનાના અવશેષો મળી આવ્યા છે. બરવાળાથી ૩ કી.મી. દૂર કુંડળમાં સ્વામીનારાયણ મંદિર, દરબારગઢ અને શનિદેવ તથા ત્યાંથી ૧૧ કી.મી. દૂર સાળંગપુરમાં હનુમાન મંદિર પણ પ્રખ્યાત છે.

Follow

Get every new post delivered to your Inbox.

Join 137 other followers