રેશનીંગની લાઈન

        લતા અને બીના એક જ સોસાયટીમાં રહેતા હતા. બંને સખીઓ હતી. એક વાર બંને જણ રેશનીંગની ખાંડ લેવા માટે રેશનીંગની દુકાને ગયા. ત્યાં લાંબી લાઈન હતી. બંને જણ લાઈનમાં ઉભા રહી ગયા.

         લતાને વાતોના તડાકા મારવાનું બહુ ગમે. એણે તો બીના જોડે, એની સાસુની, ઘરની અને એવી બધી વાતો શરુ કરી દીધી. એમની પાછળ પણ લાઈન ઘણી લાંબી થઇ ગઈ હતી. એક કલાક પછી એમનો નંબર આવ્યો. એટલે લતા બોલી,” શું બીના, એટલી વારમાં આપણો નંબર આવી ગયો ?  મારે તો હજુ ઘણી વાતો કરવાની બાકી રહી ગઈ !! એમ કર, ચાલ, આપણે  અહીંથી લાઈનમાંથી નીકળીને લાઈનને છેડે ઉભા રહી જઈએ. !!!!”

એક દિવસના પ્રવાસે

        ક્યારેક રવિવારે અથવા તો એકાદ દિવસ ની રજા મળી હોય ત્યરે મનમાં એમ થાય કે એક દિવસમાં ક્યાંક નજીકના સ્થળે ફેમીલી સાથે ફરી આવીએ કે જેથી રોજીંદા કામમાંથી તાજામાજા થઇ જવાય અને ઘરના સભ્યો પણ ખુશ ખુશ થઇ જાય. ઘરમાં બાળકો પણ કહેતા હોય છે કે પપ્પા, ચાલો ને ક્યાંક ફરી આવીએ.”

આવું લગભગ દરેક ઘરમાં બનતું હોય છે.તો મિત્રો ચાલો, આવા એક દિવસના અમે કરેલા એક પ્રવાસની તમને વાત કરું.

અમે પાલનપુરની આસપાસ આવેલા હાથીદરા, બાલારામ, ઇકબાલગઢ અને સિધ્ધપુર ફરવાનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો. અમે ચાર ફેમીલીના મળીને કુલ આઠ જહતા. તવેરા ગાડી ભાડે કરી લીધી.

સવારે સાત વાગે અમે અમદાવાદથી નીકળ્યા. અને આશરે ૧૨૫ કી.મી. કાપી મહેસાણા, ઊંઝા અને સિધ્ધપુર થઈને પાલનપુર પહોંચ્યા. ચોમાસાની સીઝન હતી. વાદળછાયું વાતાવરણ હતું. આવા સરસ વાતાવરણમાં રસ્તામાં એક જગાએ ચા અને ભજીયા ઝાપટ્યા. આમેય સવારનો પહેલો નાસ્તો કરવામાં તો ખુબ જ મઝા આવે. પાલનપુરથી હાથીદરા ૨૦ કી.મી. દુર છે. હાથીદરા નજીક આવ્યુ તેમ દુરથી જ લોકો પથ્થરોના ઉંચા ટેકરા પર ચડતા દેખાયા. દ્રશ્ય ખુબ જ સરસ હતું.

હાથીદરામાં એક નદી વહે છે, તેમાં ચેક ડેમ બાંધેલો છે. ચેક ડેમ ઓવરફ્લો થતો હોય તો જોવાનો ઘણો જ આનંદ આવે. નદીના કિનારે એક મંદિર છે. તેમાં એક નાની ગુફામાં શંકર ભગવાન બિરાજમાન છે. બાજુમાં એક વાવ છે પણ તેમાં ઉતરાય એવું નથી. એક પ્રાર્થના હોલ છે અને બાજુમાં જમવાની વ્યવસ્થા છે. અહી આવનાર દરેક જણને મફત જમવાની સગવડ છે. મંદિરની બાજુમાં જ પથ્થરોનો બનેલો ટેકરો છે. ૨૦૦ પગથીયા ચડીને ઉપર પહોંચો, ત્યાંથી આજુબાજુનું અને નીચેનું દ્રશ્ય અદ્ભુત લાગે છે. અહી લોકો બેસે, ફોટા પાડે અને કુદરતી સૌંદર્યની મઝા માણે. પગથીયા ચડ્યાનો થાક તો ક્યાય ઉતારી જાય. નીચે આવીને લાડુ, ફૂલવડી, બટાકાનું શાક, વાલ, દાળભાત જમ્યા. મઝા આવી ગઈ. પ્રાર્થના હોલમાં થોડી વાર બેસી પ્રભુસ્મરણ કર્યું.

હવે અહીંથી નીકળ્યા બાલારામ તરફ. ગામડાના સાંકડા રસ્તા વીંધીને આશરે દસેક કી. મી. પછી ચિત્રાસણી પહોંચ્યા. ચિત્રાસણીમાં જ નદીકિનારે બાલારામનું મંદિર છે. અહી શંકર ભગવાનના લિંગ પર, આજુબાજુના ડુંગરોમાંથી આવતા પાણીનો કુદરતી રીતે જ અભિષેક થાય છે. ડુંગરોના સાનિધ્યમાં મંદિર ઘણું જ શોભે છે. બાજુમાં વહેતી નદી છે. નદી ઓળંગીને સામે કાંઠે ગયા અને પાછા આવ્યા આજે અહી મેંળો ભરાયેલો હતો. ઘણા લોકો નદીમાં સ્નાન કરતા હતા. અમે નદીમાં નહાવાનો પ્રોગ્રામ આગળ ઉપર રાખ્યો હતો.

બાલારામ પ્રભુના દર્શન કરી અમે ગાડી દોડાવી ઇકબાલગઢ તરફ. બાલારામમાં જ બાલારામ રિસોર્ટ આવેલો છે. આ એક ભવ્ય હોટેલ છે.સૂર્ય વંશમ ફિલ્મનું ઘણું શુટીંગ આ રિસોર્ટમાં થયેલું છે. રિસોર્ટ, બહારથી જ ગાડીમાં બેઠા બેઠા જોઈ લીધો. બાલારામથી આશરે ૧૬ કી.મી. પછી ઇકબાલગઢ આવ્યું. અહીંથી ત્રણેક કી.મી. જેટલું જઈને વિશ્વેશ્વર ભગવાનના મંદિરે પહોંચ્યા. આ મંદિર બનાસ નદીના કિનારે આવેલું છે. આ વિસ્તારમાં આ મંદિર ઘણું પ્રખ્યાત છે. પુષ્કળ લોકો અહી આવેલ હતા. મંદિરથી નદીના વહેતા પાણીમાં ઉતર્યા. પાણી ખુબ જ ચોખ્ખું અને વહેતું હતું. સામે કિનારે જંગલો દેખાતા હતા.વરસાદ વરસી રહ્યો હતો. આવા માહોલમાં નદીમાં નહાવાની કેટલી બધી મઝા આવે ! અમે બે કલાક સુધી નાહ્યા, તો પણ નદીમાંથી નીકળવાનું મન થતું ન હતું. આ નદી પર આગળ દાંતીવાડા પાસે બંધ બાંધેલો છે.

છેવટે નાહીને નીકળ્યા પાલનપુર તરફ. પાલનપુર ગામમાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં શિવજીના દર્શન કર્યા. આ મંદિર ત્રણેક માળ જેટલું ઊંડું ભોંયરામાં છે, અને તેનો ઘુમ્મટ જમીનથી પાંચેક માળ જેટલો ઉંચો છે. શિવ ભગવાન બધાની માનતા પૂરી કરે છે , એવી માન્યતા છે.

હવે અમે અમદાવાદ તરફ પાછા વળ્યા. વચમાં સિધ્ધપુર આવ્યું.. સિદ્ધપુરનો રુદ્ર મહાલય ખુબ જ જાણીતો છે. ગામમાં જઈ તે સ્થળ શોધી કાઢ્યું.. ઈતિહાસપ્રસિદ્ધ આ મહાલય અત્યારે ખંડેર હાલતમાં છે. બે માળના થોડા ખંડિત થાંભલાઓ દેખાય છે. સિદ્ધરાજ જયસિંહના વખતમાં આ મહાલયની કેવી જાહોજલાલી હશે તેની કલ્પના મનમાં આવી ગઈ. આ જગા અત્યારે બાબરી મસ્જિદની જેમ વિવાદાસ્પદ બની ગઈ છે. રુદ્ર મહાલયના પ્રાંગણમાં આશરે ૧૦૦૦ વર્ષ જુનું શંકર ભગવાનનું મંદિર ખંડેર હાલતમાં દેખાય છે. આગળ પોઠીયો છે અને ગર્ભ ગૃહમાં અંધારું જ છે. રીનોવેશન થાય તો ઘણા લોકો જોવા આવે. ઈતિહાસને વાગોળતા અમે પાછા વળ્યા.

રસ્તામાં ચાપાણી પીધા. અંધારું થવા આવ્યું હતું. નવેક વાગે અમે અમદાવાદ પહોંચી ગયા. આજે જોયેલા પાંચેય સ્થળોમાં દરેક જગાએ શંકર ભગવાનના જ મંદિર હતા, એ એક અગત્યની વાત હતી.

 

રામદેવના યોગ

       આજની પોસ્ટમાં એક જોક મુકું છું.

    એક માણસ સો વર્ષની ઉમરે મર્યો અને તેના સારા કર્મોને હિસાબે  સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં તો બધું જ સારું સારું હતું. ખાવાપીવાનું સરસ, બાગબગીચા, પક્ષીઓનો કલરવ, સરસ ઝરણા, જંગલો, અપ્સરાઓના નૃત્યો- એ માણસ તો ખુશ થઇ ગયો. એણે સ્વર્ગના અધિકારીને કહ્યું પણ ખરું કે ” અહી તો મને ખુબ ગમી ગયું, બસ જલસા જ જલસા છે.”

      એટલે સ્વર્ગના અધિકારીએ કહ્યું,” તો પછી અહી વહેલા આવવું હતું ને ? પૃથ્વી પર છેક સો વર્ષ સુધી કેમ જીવ્યો ? ”

       એટલે પેલા માણસે કહ્યું, ” શું કરું ? રામદેવના યોગના રવાડે ચડી ગયો, અને દસ વર્ષ વધુ જીવાઈ ગયું. “

ગળતેશ્વર મહાદેવ, પ્રાંતિજ

     ગુજરાતમાં પ્રાંતિજ પાસે ગળતેશ્વર મહાદેવ નામનું એક જાણીતું સ્થળ આવેલું છે. શંકર ભગવાનનું આ મંદિર સાબરમતી નદીને કિનારે વસેલું છે. મંદિર નાનું છે પણ અહીંથી દેખાતું કુદરતી દ્રશ્ય ખુબ જ મનોહર છે. નદી કરતા મંદિર ઊંચાઈ પર આવેલું હોવાથી ક્યાય સુધી નદીની લંબાઈ દેખાય છે. જાણે કે ઉપર હેલીકોપ્ટરમાંથી નદી જોતા હોય એવું લાગે.

     મંદિરથી થોડા પગથીયા ઉતરીએ એટલે કોતર અને જંગલ દેખાય અને પછી ઢાળ ઉતરીએ એટલે સીધું નદીમાં પહોચાય. નદીમાં પાણી વહેતું અને ચોખ્ખું છે. આ જ નદી અમદાવાદ પહોચે ત્યારે કેવી થઇ જાય છે !  અમે તો અહી નદીના પાણીમાં ફોટો પડાવવાની લાલચ ના રોકી શક્યા. નદીમાં નહાવાની પણ મઝા આવે.

     પાછો ઢાળ ચડીને જંગલમાં બેઠા અને કુદરતી ઠંડકનો અનુભવ કર્યો. ખુબ મઝા આવી ગઈ.

  અહી જવા માટે અમદાવાદથી પ્રાંતિજના રસ્તે જવાનું. પ્રાંતિજ ૨ કી.મી. જેટલું બાકી રહે ત્યારે ડાબી બાજુ વળી જવાનું. અહીંથી ગળતેશ્વર ૫  કી.મી. દુર છે. અમદાવાદથી પ્રાંતિજનું અંતર આશરે ૫૦ કી.મી. છે.

“તમને શું લાગે છે ?”

  અમે બધા મિત્રો એન્જીનીયરીન્ગનું ભણી રહ્યા પછી પોતપોતાના નોકરી ધંધે ગોઠવાઈ ગયા, ત્યાર બાદ મારા એક મિત્ર રાજેશ સાથે બનેલા પ્રસંગની વાત  કરું. તેને વિવાહ માટે એક છોકરી જોવા જવાનું હતું. એટલે નક્કી કરેલા સમયે તે છોકરીને ઘેર પહોચ્યો. છોકરીના પપ્પા-મમ્મી સાથે થોડી ઔપચારિક વાતો પત્યાં પછી એક અલાયદા રૂમમાં તેનો છોકરી સાથે ઇન્ટરવ્યું ગોઠવાયો. છોકરીનું નામ  હેતલ હતું.

ત્યાં રાજેશે વાતચીતની શરૂઆત કરી,” તમે કેટલું ભણેલા છો  ? ”

હેતલે  જવાબ આપ્યો, ” તમને શું લાગે છે ?”

રાજેશે આગળ પૂછ્યું, ” હેતલ,  તમને રસોઈ બનાવતા આવડે છે ?  સમોસા બનાવતા આવડે ?”

હેતલનો જવાબ, “તમને શું લાગે છે ?”

રાજેશ તો ગુચવાયો. આમાં શું સમજવું  ? બધા પ્રશ્નોના જવાબમાં તે “તમને શું લાગે છે ?” કહેતી હતી !!

છતાય તેને આગળ પૂછ્યું, “તમને કેવી જાતની બૂક વાંચવાની ગમે ?”

એ જ જવાબ. “તમને શું લાગે છે ?”

રાજેશને હવે વધુ પૂછવાનું ઠીક ના લાગ્યું. ઉઠીને બહાર આવી ગયો. બહાર હેતલના પપ્પા સોફા પર બેઠા હતા. ત્યાં સામે આવીને બેસી ગયો. હેતલ પણ બહાર આવીને બારણા આગળ ઉભી રહી. હેતલના પપ્પાએ પૂછ્યું, “બોલો, રાજેશભાઈ, મારી હેતલ તમને પસંદ પડી ?”

  રાજેશે જવાબ આપ્યો ,”તમને શું લાગે છે ?”

આ જવાબ બારણા  આગળ ઉભેલી હેતલે પણ સાભળ્યો. રાજેશે હેતલને પસંદ કરી કે નહિ, તે વિષે આગળ કઈ કહેવાની જરૂર ખરી ?

ઈશ્વરીય સંકેત

     એક વાર અમે એક દિવસનો ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો. વડોદરાથી સવારે નીકળી કાયાવરણ,  માલસર અને નારેશ્વર થઈને સાંજે ભરુચ પહોંચવું એવું નક્કી કર્યું હતું. ગાડી લઈને અમે સવારે વડોદરાથી નીકળી પડ્યા. મારી સાથે ગાડીમાં બીજા ચાર જણ હતા. કુલ પાંચ જણમાં ત્રણ સ્ત્રીઓ અને અમે બે પુરુષ.

    પ્રોગ્રામ આખો દિવસ સરસ ચાલ્યો. પણ નારેશ્વરમાં જ સાંજ પડી. અંધારું થઇ ગયું. હજુ અહીંથી આશરે ૨૫ કી.મી. કાપીને ભરુચ પહોંચવાનું હતું. આ વિસ્તાર પહેલા ક્યારે ય  જોયેલો નહિ. નારેશ્વરથી ભરૂચનું બોર્ડ મારેલું હતું, તે રસ્તે મેં ગાડી દોડાવી. ગ્રામ્ય વિસ્તાર હતો, બીજું કોઈ વાહન પણ દેખાય નહિ. રોડ પર ફક્ત અમારા એકલાની જ ગાડી દોડી રહી હોય એવું લાગતું હતું.

       દસેક કી.મી. ગયા પછી સામે રસ્તાના બે ફાંટા આવ્યા. હવે ? કયા ફાટામાં જવું ? ક્યાય ગામના નામનું બોર્ડ મારેલું ન હતું, કે માઈલ સ્ટોન ન હતો. ચારે બાજુ અંધારું. લેડીઝ તો બહુ ગભરાય. કોઈ ગામ કે કોઈ માણસ પણ ન હતો. પુછવું કોને ? છેવટે ભગવાનનું નામ લઇ જમણા ફાંટામાં મેં ગાડી લીધી. મનમાં નક્કી પણ કર્યું કે જો ખોટો રસ્તો હશે તો પાછા આવીને બીજા ફાંટામાં જઈશું.

આશરે ચારેક કિમી જેટલું ગયા પછી એક માણસ જોવા મળ્યો. પૂછ્યું, તો અમે લીધેલ રસ્તો સાચો હતો ! પછી તો માઈલ સ્ટોન પણ આવ્યા. કોઈ ગામ પણ આવ્યું. પાકી ખાતરી કરી લીધી અને ભરુચ પહોંચ્યા.  

   શું આવા વખતે મનને કોઈ ઈશ્વરીય સંકેત મળતો હશે કે “તું આ રસ્તે જા ” ? 

હું તો ચોક્કસ માનું છું કે આવે વખતે કોઈ અદ્રશ્ય શક્તિ જ આપણને માર્ગદર્શન આપે છે.

આવા શિક્ષકો અત્યારે જોવા મળે ખરા ?

      હું મૂળ ગુજરાતના એક ગામડાનો વતની. મારું બાળપણ ગામડામાં જ  વીત્યું છે. એસ. એસ. સી. એટલે કે ધોરણ ૧૧ સુધી હું ગામડાની હાઈ સ્કુલમાં ભણ્યો છુ.

  મારા સ્કુલના એક અનુભવની વાત કરું. સ્કુલના અમારા શિક્ષકો ખુબ જ સારા. મન દઈને ભણાવે. વિદ્યાર્થી સારું ભણે એની ખુબ કાળજી રાખે. ત્યારે અત્યારના જેવી ટ્યુશન પ્રથા નહિ.  શિક્ષકો પણ ટ્યુશનલક્ષી નહિ.

     આમ છતાં પૈસાદાર માબાપના બેચાર છોકરા એવા ખરા કે જે, કોઈ શિક્ષક્નુ ટ્યુશન રાખે. અમારા ગુજરાતી અને સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી અરવિંદભાઈને ત્યાં આવા ત્રણેક છોકરાઓએ ટ્યુશન રાખેલું.

    અરવિંદભાઈ બહુ જ સારા અને પ્રેમાળ શિક્ષક. સ્કુલમાં હું હોશિયાર વિદ્યાર્થી ગણાતો હતો. મારે ટ્યુશનની જરૂર હતી પણ નહિ. આમે ય હું ગરીબ ઘરનો દીકરો. ટ્યુશન રાખવાનું વિચારી પણ ના શકાય. અરવિંદભાઈ સાહેબને મારા માટે અપાર લાગણી. એટલે એ મને કહે કે,” તું મારે ત્યાં શીખવા માટે દરરોજ આવ”

    મેં કયુ, “સાહેબ, મારી પાસે તો ટ્યુશન રાખવાના પૈસા નથી. હું તમારે ત્યાં કેવી રીતે શીખવા માટે આવું ?”

   અરવિંદભાઈ સાહેબ કહે, ” મેં તારી પાસે પૈસા ક્યાં માગ્યા છે ? તારે તો મારા બીજા ટ્યુશન વાળા છોકરાઓ જોડે જ બેસી જવાનું”.

     આમ મારું અરવિંદભાઈ સાહેબના બીજા ટ્યુશનવાળા છોકરાઓ જોડે ભણવાનું શરુ થયું. મારી પાસે પૈસા લીધા વગર પણ અરવિંદભાઈ સાહેબે મારા પર ઘણું ધ્યાન આપ્યું. એટલું જ નહિ, અરવિંદભાઈ સાહેબના પિતા, જે એક જમાનામાં અમારી ગામની પ્રાથમિક શાળાના હેડ માસ્તર હતા,તેમણે પણ મને સાથે સાથે ગણિત શીખવાડ્યું. અરવિંદભાઈ સાહેબની એટલી કાળજી કે રાતના ૧૧ વાગે ભણાવવાનું પૂરું થાય પછી મને ઘેર જતા બીક ના લાગે તે માટે ફાનસ લઈને મારા ઘર સુધી મૂકવા આવે.

     એસ.એસ.સી. ના રીઝલ્ટમાં હું મારી સ્કુલમાં પ્રથમ આવ્યો, એટલું જ નહિ, સંસ્કૃત અને ગણિતના વિષયોમાં હું જિલ્લાકક્ષાએ પણ પ્રથમ આવ્યો, મને ઇનામો પણ મળ્યા, અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સાયન્સ પ્રવાહમાં એડમિશન પણ મળ્યું. ગુજરાતના એક નાના ગામડાના વિદ્યાર્થીએ અમદાવાદની આટલી  સરસ કોલેજમા  એડમિશન મળવાની કલ્પના પણ કરી હોય ખરી ?

    આ બધો પ્રતાપ મારા અરવિંદભાઈ સાહેબનો છે. આવા શિક્ષકો અત્યારે જોવા મળે ખરા ?

ભરોસો અને ઉદારતા

   મારા રહેઠાણની નજીક આવેલી બેંકમાં મારું ખાતું ચાલતું હતું. બેન્કનો સ્ટાફ ઘણો જ  સરસ અને માયાળુ હતો. મારી પત્ની માધુરીને અવારનવાર બેંકમાં જવાનું થાય,એટલે એને ખાસ તો સ્ત્રી કર્મચારીઓ જોડે સારી મિત્રતા થઇ ગઈ હતી. રમાબેન, ઉર્વશીબેન, નયનાબેન એની સારી મિત્રો હતી.

    એમાં જયારે મારા પુત્રને ભણવા માટે અમેરિકા જવાનું થયું ત્યારે સારા એવા રૂપિયાની જરૂર ઉભી થઇ. સગા વહાલા  પાસે થી ભેગા કર્યા તો પણ હજુ ૮ લાખ રૂપિયા ખુટતા હતા. માધુરીને આની ચર્ચા બેંકમાં એની મિત્રો સાથે પણ થઇ. બીજે દિવસે રમાબેને કહ્યું,” માધુરીબેન, તમારે જરૂર હોય તો હું તમને રૂપિયા આપું. મારા મમ્મીની એફ. ડી. છે, તે તોડાવીને આપું.”

   અમે રમાબેન પાસેથી ૮ લાખ રૂપિયા લીધા, અને અમારું કામ ઉકલી ગયું. પંદર દિવસમાં તો સગવડ કરીને અમે રમાબેનને પૈસા વ્યાજ સહીત પાછા પણ આપી દીધા.

   અગત્યનું એ છે કે ફક્ત બેંકમાં થયેલા ઓળખાણથી રમાબેને અમારા પર ભરોસો મૂકી આટલી  મોટી રકમ ઉછીની આપી.  ભરોસો અને ઉદારતાનું આ ઉદાહરણ અમને કાયમ યાદ રહેશે.

સાચું બોલવાનો લાભ

  મારી નોકરી દરમ્યાન, મારી અમદાવાદથી મોરબી બદલી થઇ ત્યારે, હું દર પંદર દીવસે અમદાવાદ આવતો. અમદાવાદથી પાછા જવાનું થાય ત્યારે અમે અમદાવાદથી વહેલી સવારે પાંચ વાગે સૌરાષ્ટ્ર મેલમાં બેસીને વાંકાનેર ઉતરતા અને ત્યાંથી મોરબી જવાનું વાહન મળી જતું.

સૌરાષ્ટ્ર મેલ મુંબઈથી આવે  અને અમદાવાદમાં રિઝર્વેશનના ડબ્બા પણ લગભગ ખાલી થઇ જાય. એટલે અમે રિઝર્વેશનવાળા ડબ્બામાં અમદાવાદથી બેસી જતા. રેલવેનો   ટીટી પણ ૪ રૂપિયા લઈને અમને રિઝર્વેશનના ડબ્બામાં બેસવા દેતો. આમાં રેલવેને પણ ફાયદો, અને અમારી સગવડ પણ સચવાય.

      એક દિવસ આ રીતે એક  ટીટી અમારા ડબ્બામાં ચડ્યો. બાજુના વિભાગમાં એક જણને તેણે પૂછ્યું,” બીજો કોઈ  ટીટી અહી આવીને બધાની પાસેથી ચાર ચાર રૂપિયા લઇ ગયો ?”

ખરેખર બીજો કોઈ  ટીટી આવ્યો હતો જ નહિ, છતા ય પેલી વ્યક્તિએ કહ્યું,” હા, બીજો  ટીટી આવીને પૈસા લઇ ગયો ”

પછી આ  ટીટી મારી પાસે આવ્યો અને મને પૂછ્યું. મેં તો સાચું કહી દીધું કે, “બીજો કોઈ  ટીટી આવીને પૈસા લઇ ગયો નથી.”

મારી સાચું કહેવાની છાપ એ પડી કે એણે મારી પાસેથી ૪ રૂપિયા લીધા જ નહિ. અને પેલા જુઠું બોલનાર તરફ મો બગડી ને ચાલતો થયો.

  સાચું બોલવાથી લાભ તો થાય જ, છતા ભલે ક્યારેક લાભ ના થાય તો પણ માનસિક સંતોષ તો જરૂર મળે.

ગામડાની મહેમાનગતિ

        ભારતીય ગામડાની સંસ્કૃતિ તમે નજીકથી જોઈ છે ખરી ? અહી એવી એક વાત કરું.

      અમે કચ્છમાં કાળો ડુંગર જોવા ગયા હતા. રસ્તામાં ઘણા ગામડાઓમાંથી પસાર થવાનું થાય. એવા એક ગામડાના એક કુટુંબની ઝુંપડીનો ફોટો અહી મુક્યો છે. આવી ઝુપડીને બુન્ગો કહે છે.

      અમે અમારી ગાડીમાંથી ઉતરીને એ ઝુંપડીમાં  ગયા. ઝુપડીનાં માલિક લાખાભાઈએ અમારું સ્વાગત કર્યું. ખુબ આગ્રહ કરીને ચા પીવડાવી. કહે કે ,”તમારા જેવું શહેરનું માનવી અમારે આગણે ક્યાંથી ?” ઝુંપડીમાં બધો સામાન ખુબ જ સરસ રીતે ગોઠવેલો. અંદર તો એસી જેવી ઠંડક લાગે. લાખાભાઈની છોકરી માથે હેલ મુકીને પાણી ભરવા જતી હતી. અમને જોઈને ઉભી રહી ગઈ. અમે એની સાથે માથે હેલ મુકીને ફોટો પડાવ્યો. આજુબાજુના છોકરા પણ ભેગા થઇ ગયા. અમે બધાને ચોકલેટ લાવવા માટે થોડા રૂપિયા આપી ને તેમને ખુશ કર્યા.

    મનમાં ખુબ જ સંતોષ સાથે અમે આગળ વધ્યા. કોઈ પણ જાતના ઓળખાણ વગર પણ ગામડાના લોકો કેવી લાગણી દર્શાવે છે, તે ઘટના મને યાદ રહી ગઈ છે. 

Previous Older Entries