ગીરા ધોધ

                                                                                ગીરા ધોધ

     ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આ ધોધ આવેલો છે. વઘઈથી સાપુતારા જવાના રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી, સાઇડમાં એક રસ્તો પડે છે. આ રસ્તે ૨ કી.મી. જેટલું જાવ એટલે ગીરા ધોધ પહોંચી જવાય. ટૂંકમાં, વઘઈથી ગીરા ધોધ ૪ કી.મી. દૂર છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધરૂપે પડે છે. અને આગળ વહી, બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે. ચોમાસામાં જયારે અંબિકામાં પુષ્કળ પાણી હોય ત્યારે આ ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે. ઘણે દૂરથી ધોધની ગર્જના સંભળાય છે. ધોધ પડતો હોય એ જગાએ તો પાણીમાં ઉતરાય જ નહિ, ડૂબી જવાય અને ખેંચાઈ જવાય. અરે ! થોડે દૂર પણ પાણીમાં ઉતરવા જેવું નથી. ધોધ પડ્યા પછી, નદી વળાંક લે છે, એટલે નદી કિનારે ધોધની બરાબર સામે ખડકાળ પથ્થરો પર ઉભા રહી ધોધનાં દર્શન કરી શકાય છે. ધોધ બહુ જ સુંદર લાગે છે. એમ થાય કે બસ અહીં ઉભા રહી ધોધને જોયા જ કરીએ અને એનો કર્ણપ્રિય ધ્વનિ સાંભળ્યા કરીએ ! અહીંથી ધોધના ફોટા સરસ રીતે પાડી શકાય છે. ધોધને જોઇ મનમાં એક જાતનો રોમાંચ અને આનંદ થાય છે.

ચોમાસા પછી ડીસેમ્બર સુધી આ ધોધ જોવા માટે ઉત્તમ સમય છે. ધોધની નજીક છેક નદીના કિનારા સુધી વાહનો જઈ શકે છે. અહીં ચા, નાસ્તો, મકાઈ, રમકડાં વગેરેની દુકાનો છે. નજીકમાં અંબાપાડા ગામ છે, વાંસનાં ગાઢ જંગલો છે.

ગિરિમથક સાપુતારા અહીંથી ૫૦ કી.મી. દૂર છે. એ એક જોવા જેવું સ્થળ છે. વઘઈ, સૂરતથી ૧૫૦ કી.મી., અમદાવાદથી ૪૦૦ કી.મી. અને મુંબઈથી ૨૫૦ કી.મી. દૂર છે. વઘઈ રેલ્વે સ્ટેશન, બીલીમોરા-વઘઈ રેલ્વે લાઈન પર આવેલું છે. રહેવા માટે વઘઈ અને સાપુતારામાં હોટેલો છે.

આ ગીરા ધોધ વિકસાવાય, ધોધ આગળ રહેવાજમવા અને બાગબગીચા વગેરે સગવડો ઉભી થાય તો પ્રવાસીઓની સંખ્યા ઘણી વધે અને આવક પણ ઉભી થાય, તથા ધોધ દુનિયામાં જાણીતો થાય. ધોધ ખરેખર એક વાર જોવા જેવો છે. અહીં મૂકેલ, ધોધની તસ્વીરો જુઓ.

આ વિસ્તારમાં શિંગણા ગામની નજીક ગિરમાળ આગળ એક બીજો ધોધ આવેલો છે. એ ધોધ ગુજરાતનો ઉંચામાં ઉંચો ધોધ છે. એનું નામ જાણો છો ? જાણતા હો તો કહો.

Gira waterfall_1Gira waterfall_2

ગરમ પાણીના કુંડ, ટુવા

                                                            ગરમ પાણીના કુંડ, ટુવા

     ગુજરાતમાં ઘણી જગાએ ગરમ પાણીના કુંડ આવેલા છે. ટુવા તેમાંનું એક છે. ગોધરા-અમદાવાદના રોડ પર તે ગોધરાથી આશરે ૧૫ કી.મી. દૂર આવેલું છે. ટુવાને રેલ્વે સ્ટેશન પણ છે, અને તે ગોધરા-આણંદ રેલ્વે લાઈન પર છે. ગરમ પાણીના કુંડ, સ્ટેશનથી ૧ કી.મી. દૂર, ટુવાથી મહેલોલ જવાના રસ્તા પર છે.

કુદરતના સાનિધ્યમાં વસેલું આ નાનકડું ગામ, આ કુંડને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં જમીનમાંથી ગરમ પાણીના ઝરા સતત ફૂટે છે. આવા ઝરા આગળ નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે. કુંડની પાળી પર બેસી, કુંડના પાણીથી સ્નાન કરી શકાય છે. સાથે મૂકેલ ફોટો જુઓ. થોડા કુંડમાં ખૂબ જ ગરમ પાણી આવે છે, તો થોડામાં મધ્યમ ગરમ અને અમુકમાં સાદું પાણી આવે છે. જમીનમાંથી ફૂટતા ગરમ પાણીને જોઈને લોકોને અચરજ થાય છે. શ્રધ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે. કિનારે ટેકરી પર એક મંદિર અને થોડી દુકાનો છે.

કુંડમાં તથા આજુબાજુ ચોખ્ખાઈ કરી, કુંડની પાળીઓ થોડી સુધારવામાં આવે અને સરસ બગીચો, લોન, વિરામસ્થાન વગેરે ઉભુ કરવામાં આવે તો આ જગા એક સરસ ટુરિસ્ટ સ્થળ બની શકે એમ છે. એવું થાય તો લોકોનું આકર્ષણ અહીં વધે.

અમદાવાદથી ગોધરા જવા નીકળ્યા હો તો વચ્ચે અડધોપોણો કલાક ફાળવી, આ કુંડ જોતા જવાય. ગરમ પાણીના કુંડ ગુજરાતમાં ટુવા ઉપરાંત, બીજે ક્યાં આવેલા છે, તે જાણો છો ? જાણતા હો તો કહો.

DSCF3040_Kund, Tuva

 

જરવાણી ધોધ

                                                                   જરવાણી ધોધ 

ગુજરાતમાં રાજપીપળાથી માત્ર વીસેક કી.મી. દૂર આવેલો આ ધોધ જોઈને લાગશે કે શું ગુજરાતમાં પણ આવો સરસ ધોધ છે ! આ ધોધ નર્મદા ડેમની આજુબાજુની ટેકરીઓની વચ્ચે છુપાયેલો હોય એવું લાગે. રાજપીપળાથી ગાડી કે જીપ લઈને નીકળો અને છેલ્લા ચાર કી.મી. બાકી હોય ત્યારે જરવાણી ધોધની કેમ્પસાઇટની એન્ટ્રી આવે છે. અહીં ટીકીટ લેવાની હોય છે. છેલ્લા ચાર કી.મી. નો આ રસ્તો કાચો અને ડુંગરો વચ્ચેથી પસાર થાય છે. પણ ગાડી આરામથી જઈ શકે. ધોધની નજીક પહોંચો એટલે ગાડી મૂકી દેવાની અને ધોધ પડ્યા પછી જે નદી વહે તેમાં થઈને ચાલતા જવાનું. અને ધોધની નજીક પહોંચવાનું. ધોધનું શું સરસ દર્શન છે ! કુદરતને ખોળે આવી ગયા હોય એવું લાગે. ધોધની સાવ નીચે પાણી ઉંડુ છે. એટલે ધોધ પડે છે ત્યાં જવાય એવું નથી. પણ સહેજ દૂર, નહાવાનો આનંદ માણી શકાય છે. ઘણા જુવાનિયાઓ અને સાહસિકો તો ધોધના ખડકો પર ચડીને ધોધની વચ્ચે પહોંચે છે. પણ જો પડ્યા તો…….

ધોધની નદીને કિનારે ઉંચી ટેકરી પર વનવિભાગે રહેવા માટે કોટેજો બાંધી છે. જમવાની સગવડ પણ છે. પણ આ ટેકરી પર ગોળ ગોળ સાંકડા રસ્તા પર ગાડી બહુ જ સાચવીને ચડાવવી પડે. ઉપર પહોંચ્યા પછી નીચેની નદીનું દ્રશ્ય બહુ જ મનોહર લાગે છે. તો બોલો, ક્યારે ઉપડો છો જરવાણી ધોધ જોવા ?

DSCF4629

 

DSCF4647

રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર

હું, ગુજરાત તથા દેશનાં જોવાલાયક સ્થળો વિષે ટૂંકી માહિતી લખવા વિચારું છું. આજે શરૂઆત કરીએ એક જાણીતા મહેલથી.

                                                                 રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર 

     આ સાથેની બે તસ્વીરો વાંકાનેરના રણજીત વિલાસ પેલેસની છે. ઇ.સ. ૧૯૦૭ માં વાંકાનેરના રાજા અમરસિંહે આ પેલેસ બંધાવેલો. મહેલ ૨૨૫ એકરમાં પથરાયેલો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે.

મહેલ, વાંકાનેરમાં એક ટેકરી પર આવેલો છે. મહેલ પર વોચ ટાવર છે. મહેલનો ઘુમ્મટ મુગલ શૈલીનો, બારીઓ વિક્ટોરિયન પ્રકારની અને આગળનો ફુવારો ઇટાલિયન સ્ટાઈલનો છે. મહેલ બનાવવામાં દુનિયાની ઉત્કૃષ્ટ ચીજોનો ઉપયોગ થયેલો છે. ફર્નીચર માટે બર્માનું લાકડું, અને બેલ્જીયમના કાચ વાપર્યા છે. મહેલનો દીવાનખંડ ખૂબ ભવ્ય છે. મહેલમાં વિશાળ કમાનો અને ઝરૂખાઓ છે. અહીં રાખેલ પ્રદર્શનમાં રાજવીઓની ઘણી એન્ટીક ચીજો મૂકેલી છે. તેમાં તલવાર, ભાલા, ઢાલ અને બખ્તરો છે, મસાલા ભરીને સાચવેલાં પ્રાણીઓનાં શરીરો છે તથા રાજાઓનાં પોર્ટ્રેઇટ ચિત્રો છે. અહીં કાઠીયાવાડી ઘોડાઓનો તબેલો પણ છે. બહાર બગીચા, વાડી અને ત્રણ માળ ઉંડી વાવ છે. ‘મટરૂ કી બીજલી કા મંડોલા’ ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોનું શુટીંગ આ મહેલમાં થયેલું.

હાલ રાજાના વારસદારો આ મહેલની દેખભાળ કરે છે. અહીં રોયલ ઓએસીસ હોટેલ ઉભી કરવામાં આવી છે. મહેલ બનાવવામાં ભલે પુષ્કળ નાણાં ખર્ચાયાં હોય, પણ ભારતનાં પ્રાચીન સ્મારકોમાં આ મહેલ અગત્યનું સ્થાન ધરાવે છે. ટુરિસ્ટો માટે આ મહેલ એક અગત્યનું આકર્ષણ છે. વાંકાનેર અમદાવાદથી ૨૧૦ કી.મી. અને રાજકોટથી ૬૦ કી.મી. દૂર છે. બોલો, ક્યારે જાઓ છો વાંકાનેરનો આ મહેલ જોવા ?

Ranjit Vilas Palace, Vankaner

 

MINOLTA DIGITAL CAMERA