વીરેશ્વર તથા પોળોનાં મંદિરોના દર્શને

                                        વીરેશ્વર તથા પોળોનાં મંદિરોના દર્શને

       પાંચસોથી હજાર વર્ષ પહેલાંના સમયગાળામાં ગુજરાતના વિજયનગર ગામની નજીક પોળો નામની નગરી વસેલી હતી. અહીં વહેતી હરણાવ નદીના કિનારે એક વાર દાનવીર ભામાશા પસાર થતા હતા ત્યારે અહીંનું સુંદર વાતાવરણ જોઈને ખુશ થઇ ગયા અને અહીં એક જૈન મંદિર બનાવ્યું. અરાવલ્લીના પહાડી જંગલો વચ્ચે આવેલ આ જગાએ ત્યાર પછી થોડા થોડા અંતરે બીજાં મંદિરો બનતાં ગયાં. ધીરે ધીરે મંદિરોની આ સંખ્યા ત્રણસો જેટલી થઇ ગઈ. આ મંદિરોમાં જૈન મંદિરો ઉપરાંત શીવ મંદિરો પણ હતાં. વખત જતાં કાળજીના અભાવે પોળોનાં આ મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયાં. આજે આ મંદિરોના ખંડેર અવશેષો જોવા મળે છે. પોળોનાં મંદિરોની નજીક વીરેશ્વર મહાદેવ નામનું એક સુંદર સ્થળ આવેલું છે.

અમે આ ઇતિહાસપ્રસિદ્ધ મંદિરો વિષે ઘણું સાંભળ્યું હતું. તે જોવા જવાની ખૂબ જ ઈચ્છા હતી. એટલે એક વાર અમે એ માટેનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. ચોમાસાની એક સવારે ઘેરાયેલાં વાદળોની વચ્ચે અમે ચાર જણ અમદાવાદથી ગાડી લઈને નીકળી પડ્યા અને પ્રાંતિજ, હિંમતનગર થઈને ઇડર પહોંચ્યા. રસ્તામાં નરોડા શ્રી મહાપ્રભુજીની બેઠકનાં અને ગિયોડમાં શ્રી અંબેમાનાં દર્શન કર્યાં તથા ચા-નાસ્તો તો ખરો જ. અમદાવાદથી ઇડરનું અંતર ૧૧૩ કી.મી. છે. ઇડર આગળનો ઈડરિયો ડુંગર ભવ્ય લાગે છે.

ઈડરથી ઉત્તરમાં બે રસ્તા પડે છે. એક સીધો રસ્તો ખેડબ્રહ્મા તરફ અને બીજો સહેજ પૂર્વ દિશામાં વિજયનગર તરફ જાય છે. ઈડરથી વિજયનગરનું અંતર ૫૧ કી.મી. છે. ઈડરથી અમે આ રસ્તા તરફ આગળ વધ્યા. ૨૩ કી.મી. પછી વીરેશ્વર મહાદેવનું બોર્ડ આવ્યું. ડાબી બાજુના આ સાંકડા રસ્તે બે કી.મી. જેટલું ગયા પછી, વીરેશ્વર મહાદેવ પહોંચ્યા.

અહીં અરાવલ્લીનાં જંગલો વચ્ચે એક ટેકરી પર વીરેશ્વર મહાદેવ બિરાજ્યા છે. મંદિર નાનું છતાં સરસ છે. બાજુમાં નરસિંહ ભગવાનનું મંદિર છે. પાછળ એક ઝરણું છે. વરસાદની ઋતુમાં આ ઝરણામાં પાણી વહેતું હોય ત્યારે આ જગા ખૂબ જ સુંદર લાગે. વીરેશ્વર મહાદેવની બાજુમાં એક આંબાના ઝાડ નીચે આંબાવાળા હનુમાનજીનું મંદિર છે. પાછળ, રહેવા માટે રૂમો બાંધેલી છે, તથા રસોઈઘર છે. અહીં એક બે દિવસ રહેવાનો પ્રોગ્રામ કરીને

આવો તો પણ મઝા આવે. વચ્ચેની ખુલ્લી જગામાં એક ફુવારો છે. રસોઈઘરની બાજુમાં અખંડ ધૂણો છે તથા તેની બાજુમાં ગૌમુખમાંથી સતત પાણી વહે છે. અહીં આવતા દર્શનાર્થીઓને મંદિર તરફથી ચા પીવડાવવાની પ્રથા છે. જમવાના સમયે અન્નઘરમાં જમવાની પણ વ્યવસ્થા છે.

આ મંદિર સંકુલની પાછળ, ઉપર આવેલાં જંગલોમાં ગુપ્તગંગા નામનું સ્થળ છે. અહીં ડુંગરમાંથી કુદરતી રીતે જ પાણીની સરવાણી ફૂટે છે અને શુદ્ધ નિર્મળ જળ નીચે મંદિર તરફ વહે છે. ખૂબ જ સુંદર જગા છે. વીરેશ્વર મંદિરની બાજુનાં પગથિયાં ચડીને, દસેક મિનિટમાં ગુપ્તગંગા આગળ પહોંચી જવાય છે. આ સ્થળે ગીચ ઝાડીમાં પથરાયેલા પથ્થરો પર બેસી કુદરતી નઝારો માણવાનું મન થઇ જાય છે. અહીંથી જંગલોમાં ટેકરીઓ પર હજુ દૂર જવું હોય તો જઈ શકાય છે અને ટ્રેકીંગની મઝા લઇ શકાય છે.

અમે અહીં થોડી વાર બેસી, વીરેશ્વરથી મૂળ રસ્તે આવી, વિજયનગર તરફ આગળ વધ્યા. વીરેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઘણો આનંદ આવ્યો. અહીં નાનાં ગામ વસાહત તરીકે ઓળખાય છે. વીરેશ્વરથી દસેક કી.મી. જેટલું ગયા પછી, એક ગામ આવ્યું. અહીંથી હવે પોળોનાં મંદિરો શરુ થતાં હતાં.

સરકારે આ ખંડેર મંદિરોની ઓળખ માટે દરેક મંદિર આગળ બોર્ડ મારેલું છે તથા બોર્ડમાં તે મંદિરનું નામ અને તે ક્યારે બન્યું તેની આશરે તવારીખ લખેલી છે. આ ગામ આગળ ‘શીવ પંચાયત’ મંદિરનું બોર્ડ જોયું. પણ આ મંદિર પાછા વળતી વખતે જોવાનું રાખી, અમે આગળ વધ્યા. થોડી વારમાં નદી પર લોદરી પુલ આવ્યો. પુલ ઓળંગ્યા પછી મોટા અક્ષરે ‘Polo Retreat 6 km’ લખેલું બોર્ડ આવ્યું. હવે અમે પોળોનાં મંદિરોથી માત્ર ૬ કી.મી. જ દૂર હતા. અહીં બે રસ્તા પડે છે તેમાં ડાબા રસ્તે જવાનું. થોડું જતામાં જ, વડવાઈઓ ઘુસી ગઈ હોય તેવા એક તૂટેલા મંદિરનાં દર્શન થયાં. પછી આંતરસુબા અને અભાપુર ગામ આવ્યાં. અભાપુર ગામમાં ‘શરણેશ્વર મંદિર’ છે.

અહીં પહોંચતાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વરસાદ જોવાની મઝા આવી ગઈ. વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ. અમે અડધો કલાક ગાડીમાં જ બેસી રહ્યા. સાથે લાવેલ થેપલાં, ભાખરી, શાક, છુંદો, મેથીનો મસાલો એવું બધું ખાઈ લીધું. પછી મંદિર જોવા ગાડીમાંથી બહાર આવ્યા.

પથ્થરોનું બનેલું આ મંદિર તૂટીફૂટી હાલતમાં છે છતાં ઘણું સરસ લાગે છે. પ્રવેશ આગળ પથ્થરની કમાન છે. મંદિર સામે પોઠિયો છે. હજાર વર્ષ પહેલાંના શીવમંદિરની રચના, અત્યારનાં શીવમંદિરો જેવી જ છે. મંદિરના પ્રાંગણમાં ચોખ્ખાઈ સરસ છે. વ્યવસ્થા જાળવવા માટે પૂજારીજી છે. મંદિર આગળ વિશાળ ખુલ્લી જગા છે. અહીં કુદરતની સમીપમાં બેસવાનું ખૂબ ગમે એવું છે.

અમે આગળ ચાલ્યા. ૨ કી.મી. પછી, બાજુની ટેકરી પર એક ખંડેર મંદિર દેખાયું. સહેજ આગળ, પોળોનાં મંદિર જોવા આવનાર માટે, એક મોટી ઓફીસ બનાવેલ છે. અહીં સ્વાગત કક્ષમાં, મંદિરોનો ઇતિહાસ, રચના, મંદિરોનું સ્થાન વગેરેને લગતી માહિતી મળી શકે છે. ઓફીસના ગેટ આગળ, જૂના જમાનાની પથ્થરોની બે મોટી છત્રીઓ છે. એવું લાગે છે કે દસેક કિલોમીટરના પટ્ટામાં પથરાયેલા પોળોના મંદિરોની લગભગ વચ્ચેના ભાગે આ ઓફીસ બનાવેલ છે. ઓફીસથી સહેજ આગળ જતાં, ‘પોળો જૈન મંદિરો’ નું બોર્ડ જોયું. અહીં ગાડી મૂકી, બોર્ડમાં બતાવેલા રસ્તે વળ્યા. હરણાવ નદી પરના બ્રીજ પર થઈને જંગલોમાં દાખલ થયા. અહીં, ‘શીવ મંદિર કુંડ’, ‘લાખેણા મંદિર સમૂહ’, ‘જૈન મંદિર-૧,અભાપુર’ એવાં બોર્ડ જોયાં. કુંડ અને તૂટેલું મંદિર જોયાં. મંદિર સુધી જવા માટે રસ્તો બાંધેલો છે, પણ સફાઈ થતી હોય એવું લાગ્યું નહિ. પૂજારી નથી, બીજી કોઈ વસ્તી નથી. ફક્ત પ્રવાસીઓ આવે છે અને મંદિર જોઈને જતા રહે છે. આજે પણ ઘણા પ્રવાસીઓ આવેલ હતા. અહીં કોઈ ચાપાણીની દુકાન પણ નથી. આ જગા જો સાફ કરીને વિકસાવવામાં આવે અને ખાવાપીવા તથા રહેવાની સગવડ ઉભી કરવામાં આવે તો કેટલા બધા લોકો અહીં ફરવા માટે આવે ! નદી, જંગલ અને મંદિરોવાળી આ જગા એટલી સરસ છે કે પ્રકૃતિપ્રેમી લોકોને તો ખૂબ જ ગમે. એક ટુરીસ્ટ સ્થળ ઉભું થાય અને આવક પણ ઉભી કરી શકાય. પુરાતત્વ વિભાગે આ જર્જરિત મંદિરોને પુનઃસ્થાપિત કરવાનું વિચાર્યું છે ખરું. જયારે આ મંદિરો બન્યાં હશે ત્યારે અહીં કેટલા બધા લોકો રહેતા હશે ! અને આ સ્થળ કેવી જાહોજલાલી ધરાવતું હશે તેની કલ્પના સહેજે થઇ જાય છે. પોળોનાં બધાં મંદિરો જોવાં હોય તો દિવસો સુધી હરણાવને કિનારે જંગલો ખૂંદવાં પડે. થાકી જવાય.

ગાડી આગળ પાછા આવીને, મૂળ રસ્તે બીજા ૨ કી.મી. જેટલું ગયા. અહીં વનાજ ગામ આગળ હરણાવ નદી પર ડેમ બાંધેલો છે. ઉપરવાસમાં ભરાયેલું પાણી જોયું. જો ડેમ પૂરેપૂરો ભરાયેલો હોય તો આ સરોવર ખૂબ મોટું લાગે.

આ અમારું છેલ્લું સ્ટોપ હતું. અહીંથી વિજયનગર લગભગ ૧૦ કી.મી. જેટલું દૂર છે. પણ વિજયનગર જવાનું કોઈ પ્રયોજન હતું નહિ. એટલે વનાજ ડેમથી અમે પાછા વળ્યા. શરણેશ્વર આગળ ફરી વરસાદ પડ્યો. મૂળ રસ્તે ઈડરથી હિંમતનગર તરફ વળ્યા.

હિંમતનગર સાતેક કી.મી. જેટલું બાકી રહે ત્યારે વક્તાપુર ગામ આવે છે. અહીં રોકડિયા હનુમાનનું મંદિર છે. કહે છે કે હનુમાનજીની આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. કોઈ શ્રદ્ધાળુ પગપાળા આ મંદિરે આવી દર્શન કરે તો તેની ઈચ્છા અવશ્ય પૂરી થાય છે. તેની યાત્રા અચૂક સફળ રહે છે અને તેને અકસ્માત થતો નથી. અમારી આજની યાત્રા તો સફળ હતી જ. અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરી, હિંમતનગર તરફ આગળ વધ્યા. વચ્ચે સપ્તેશ્વર મહાદેવ જવાનો ફાંટો પડે છે. અહીંથી તે ૨૩ કી.મી. દૂર છે. અમે એ બાજુ ગાડી લીધી અને સપ્તેશ્વર પહોંચ્યા.

સપ્તેશ્વર મહાદેવ, સાબરમતી નદીને કિનારે, ડેભોલ અને સાબરમતીના સંગમ આગળ આવેલું છે. આ મંદિર આગળ, કુદરતી રીતે જ પાણીની ધારા ફૂટે છે અને પાણી કુંડમાં ભેગુ થાય છે. કુંડમાં સ્નાન કરવાનો મહિમા છે. કહે છે કે સાત ઋષિઓએ અહીં ભેગા મળીને તપશ્ચર્યા કરી હતી. અમે અહીં શીવલીંગનાં દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિર આગળ ખાણીપીણીની દુકાનો લાગેલી છે. રહેવાની પણ વ્યવસ્થા છે.

અહીંથી હિંમતનગર પાછા આવ્યા, તથા શામળાજીના રસ્તે ૭ કી.મી. દૂર આવેલા બેરણા પ્રકૃતિ મંદિર નામના સ્થળે ગયા. બહુ જ સરસ જગા છે. અહીં કંટાળેશ્વર હનુમાનજીનું ભવ્ય મંદિર છે. આ મૂર્તિ ૭૦૦ વર્ષ જૂની છે. આ ઉપરાંત, અહીં એક શીવમંદિર, વેદમાતા ગાયત્રી, સહસ્ત્રલીંગ શીવજીની પ્રતિમા, વૈકુંઠધામ અને ટેકરી પર બિરાજમાન સાંઈબાબાની વિશાળ મૂર્તિઓ છે. તેઓનાં દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે. આ જગા પક્ષીઓ, વૃક્ષો, ચોતરા, કમળતળાવ વગેરેથી ખૂબ જ શોભે છે. અહીં રહેવા જમવાની સરસ વ્યવસ્થા છે. એક દિવસની પીકનીકનો પ્રોગ્રામ કરીને અહીં આવવા જેવું છે.

હવે અંધારું થવા આવ્યું હતું. એક જ દિવસમાં અમે ઘણાં સ્થળોએ ફર્યા. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ હતો. શ્રાવણ માસ એટલે ભગવાન શીવજીનો મહિનો. આ દિવસે અમને ઘણાં શીવમંદિરોમાં દર્શન કરવાની તક મળી, એથી ઘણો આનંદ આવ્યો. બેરણાથી પાછા વળતાં, રસ્તામાં એક હોટેલમાં ભોજન કરી, અમદાવાદ પહોંચ્યા.

નોંધ: સપ્તેશ્વર પાસે ધારેશ્વર મહાદેવ તથા પેઢામલીમાં મીનીઅંબાજી પણ જોવાલાયક સ્થળો છે. પ્રાંતિજ પાસે ગળતેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે. વળી, રસ્તામાં છાલા ગામથી ૭ કી.મી. દૂર કંથારપુરા ગામે કબીરવડ જેવો એક વિશાળ વડ છે, તે પણ જોવા જેવો છે.

વીરેશ્વર મંદિર

IMG_1744

IMG_1750

 

શરણેશ્વર શીવ મંદિર

 

IMG_1769

 

પોળોનાં મંદિરમાંનું એક

 

પોળોનાં મંદિર જોઈને પાછા

 

IMG_1784

 

IMG_1786

 

IMG_1798

 

સહસ્ત્રલિંગ શિવજી, બેરણા

 

બેરણા

રૂપાલની પલ્લી

દર વર્ષે આસો સુદ નોમની રાત્રે રૂપાલ ગામમાં પલ્લી નીકળે છે, એની વાત આજે કરીએ.                                         
                                                         રૂપાલની પલ્લી

રૂપાલની પલ્લીનું નામ તો બધાએ જરૂર સાંભળ્યું હશે. ગાંધીનગર જીલ્લાના રૂપાલ ગામે નવમા નોરતે એટલે કે આસો સુદ ૯ ની રાતે વરદાયિની માનો રથ આખા ગામમાં ફરે છે, આ રથને પલ્લી કહે છે. આ પલ્લીનું ઘણું માહાત્મ્ય છે. એકલા ગુજરાતમાં જ નહિ, વિદેશોમાં પણ રૂપાલની પલ્લી પ્રખ્યાત છે આ દિવસે દેશવિદેશથી લાખ્ખો લોકો પલ્લીનાં દર્શને આવે છે. રૂપાલ એક નાનકડું ગામ છે, પણ આ દિવસે લાખ્ખો લોકોની ભીડને કારણે ગામમાં ક્યાંય પગ મૂકવા જેટલી જગા પણ બાકી રહેતી નથી. ગામને છેડે ૨ થી ૩ કિલોમીટર સુધી વાહનો પાર્ક થયેલાં નજરે પડે છે. વાહન પાર્ક કરીને આ અંતર ચાલીને જ ગામમાં આવવું પડે છે.

પલ્લી, રાત્રે લગભગ ત્રણ વાગે પલ્લીવાળા વાસમાંથી નીકળે છે અને ગામના બધા રસ્તાઓ અને ચોરે ચૌટે ફરીને સવારે લગભગ સાતેક વાગે માતાના મંદિરે પહોંચે છે.  લોકો પલ્લીનાં દર્શન માટે, પલ્લી જે રસ્તેથી પસાર થવાની હોય ત્યાં રસ્તાની બંને બાજુએ તથા ચોક વિસ્તારમાં અગાઉથી ગોઠવાઈને ઉભા રહી જાય છે. ઘણા લોકો આજુબાજુના મકાનના કઠેડાઓ અને ધાબા પર પણ ગોઠવાઈ જાય છે. બધાને પલ્લીનાં નજીકથી દર્શન કરવાની તાલાવેલી હોય છે. દૂર દૂરથી આવેલા લોકો પલ્લીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. પલ્લી એ ભાવિકોની પરિપૂર્ણ થયેલી માનતા અને ઘીનો ઉત્સવ છે. ગામના ૨૭ ચોકમાં પલ્લી, ઘીના અભિષેક માટે ઉભી રહે છે. સુખ અને સમૃદ્ધિ માટે માતાની માનતા રાખનારા ભક્તો માનતાનું ઘી લઈને આવે છે અને પલ્લી પર ચડાવે છે. લોકો માની પલ્લી પર ફૂલો અને શ્રીફળના હાર પણ ચડાવે છે અને ચોખા તથા કંકુથી માને વધાવે છે. પલ્લીરથ મંદિરમાં પહોંચતાં જ માની મૂર્તિ ખૂબ જ સુંદર, ભાવવિભોર, આનંદી અને જાણે હમણાં જ હસી ઉઠશે એવી મનોહર દેખાય છે. પછી ત્યાં આરતી થાય છે, ગરબા ગવાય છે અને ભક્તો પ્રસાદ લઈને વિખૂટા પડે છે.

વરદાયિની માતાના ઈતિહાસની થોડી વાત કરીએ.

શરણાગત દાનાર્ત પરિત્રાણ પરાયણે |

સર્વ સ્યાતે હરે દેવી વરદાયિની નમો સ્તુતે ||

આ શ્લોકમાં વરદાયિની માતાની સ્તુતિ કરવામાં આવી છે. આપણા પુરાણોમાં મા વરદાયિનીનો ઉલ્લેખ છે. ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો સંહાર કરવા વરદાયિની માતાની આરાધના કરી શસ્ત્રોનું વરદાન મેળવ્યું હતું. ભગવાન રામે પણ રાવણનો સંહાર કરવા મા વરદાયિની પાસેથી વરદાન મેળવી શસ્ત્રો મેળવ્યાં હતાં. પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે મા વરદાયિનીને પ્રાર્થના કરી હતી. એ વખતે અહીં ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું. પછી અહીં રૂપાલ ગામ વસ્યું. પાંડવો, વિરાટનગર કે એટલે આજના ધોળકામાં પોતાનો ગુપ્તવાસ પૂરો કરી ફરી માના સ્થાનકે પાછા ફર્યા હતા અને ખીજડાના ઝાડમાં છૂપાવેલાં શસ્ત્ર પાછાં મેળવી, માના આશિર્વાદ લીધા હતા. તથા ત્યાં યજ્ઞ કરી પાંચ દીવાની જ્યોતવાળી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ, પલ્લીનો પ્રારંભ પાંડવોએ કર્યો હતો પણ પછી સોનાની પલ્લીની જગાએ, માને ખીજડાનાં ઝાડ પસંદ હોવાને કારણે, ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવવાનો રીવાજ ચાલુ થયો. સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવવા માટે પણ માના આશિર્વાદ લીધા હતા. માળવા જતાં રસ્તામાં રૂપાલમાં સિદ્ધરાજે યજ્ઞ કરી, માતાજીની પંચધાતુની સુંદર મૂર્તિ બનાવી, મંદિરમાં સ્થાપના કરી હતી અને એ મૂર્તિની જાળવણીની જવાબદારી ચાવડા રજપૂતોને સોંપી હતી. આજે પણ રૂપાલના ચાવડા રજપૂતો માની પલ્લીની ઉઘાડી તલવારો સાથે, પલ્લીની સન્મુખ પાછા પગે ચાલતા રહીને, પલ્લીની રક્ષા કરે છે.

માતાજીની પલ્લી તૈયાર કરવા માટે ગામમાં વસતા અઢારે આલમના લોકોને સેવા કરવાની તક આપવામાં આવે છે. હરિજન ભાઈઓ પલ્લી માટે ખીજડાનું વૃક્ષ કાપી લાવે છે. તેમાંથી ગુર્જર સુથારભાઈઓ પલ્લીનો રથ ઘડીને તૈયાર કરે છે. પછી, વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથની ચારે બાજુ બાંધી રથ શણગારે છે. પછી તેને પલ્લીવાળા વાસમાં જ્યાં માનો ગોખ અને છબી છે, ત્યાં મૂકવામાં આવે છે. ત્યાર બાદ કુંભાર પલ્લી પર, ઘી ચડાવવા માટે માટીનાં પાંચ કુંડાં તૈયાર કરી જાય છે. જ્યોત માટે પીંજારો કપાસ પૂરી જાય છે. પંચાલભાઈઓ ખીલા આપે છે અને માળી માતાજીને ફૂલહારથી શણગારે છે. આમ, માની સુંદર પલ્લી આગલી સાંજે તૈયાર થાય છે. માની પલ્લી પર પાંડવોના પ્રતિક સમી જ્યોત ઝળહળે છે. માતાજીનો પ્રસાદ બ્રાહ્મણો રાંધે છે.

અમને ઘણાં વર્ષોથી પલ્લીનાં દર્શન કરવાની ઈચ્છા હતી. છેવટે આ વર્ષે તો આસો સુદ ૯ ની રાતે અમે અમદાવાદથી નીકળી પડ્યા. સવારે ૪ વાગે ગાડી લઈને નીકળ્યા અને ઉવારસદ તથા અન્ય ગામડાઓમાં થઇને, ૨૮ કિલોમીટરનું અંતર કાપીને, ૫ વાગે રૂપાલ પહોંચ્યા. કેટલાય લોકો પલ્લીનાં દર્શન કરીને પાછા વળી રહ્યા હતા, તે બધા અમને સામે મળ્યા. રૂપાલ ગામથી ૨ કિમી દૂર પાર્કિંગની જગા મળી. ગાડી પાર્ક કરીને, પૂછી પૂછીને પલ્લી ક્યાંથી નીકળે છે, તે શોધી કાઢ્યું. અહીં તો માનવ મહેરામણ ઉમટ્યો હતો ! ચાલવાની પણ જગ્યા ન હતી. પલ્લી નીકળી ચૂકી હતી. રસ્તા પર બધે ઘી ઢોળાયેલું હતું.

પલ્લી ગામમાં ફરી રહી હતી. પોલીસ વ્યવસ્થા પણ ઘણી સરસ હતી. પલ્લી ક્યાં જોવા મળશે, તેની માહિતી મેળવીને, રસ્તાના એક ત્રિભેટે, ચોક આગળ માણસોના સમૂહ વચ્ચે અમે ઉભા રહી ગયા. થોડી વારમાં, પાછા પગે ચાલતા, ઉઘાડી તલવારવાળા રક્ષકો સહિત પલ્લી અહીં આવી પહોંચી. પલ્લીનાં દર્શનથી મન પ્રફુલ્લિત થઇ ગયું. જે માતાજીની પલ્લીનાં દર્શનની વર્ષોથી ઉત્કંઠા હતી, તે સંતોષાતાં મનમાં આનંદની લાગણી ઉભરાઇ આવી. મનમાં એક પ્રકારની શાંતિ સ્થપાઈ ગઈ. કદાચ માતાજીની કૃપાનો જ આ પ્રતાપ હશે. પલ્લીને લોકો ખેંચતા હતા.પલ્લી પર જ્યોત પ્રગટાવેલ હતી. અમે ટોળામાં ઘૂસી જઈને, પલ્લીની સાવ નજીક જઈને ફોટા પાડી લીધા. ઘણા લોકો મોબાઈલથી ફોટા ખેંચતા હતા. માતાજીનાં દર્શન થતાં અમને ગરબો યાદ આવી ગયો, “મા તારી પલ્લી ઝાકમઝોળ, ઉડે રે ઘીની છોળ….”

હવે થોડી વાત કરીએ માતાજીને ઘી ચડાવવા વિષે. પલ્લી પર ઘી ચડાવવાનો ખૂબ મહિમા છે. પલ્લીની સાથે ટ્રકોમાં, તપેલાં અને કોઠીઓ ભરીને ઘી રાખેલું હોય છે એ ઘી પલ્લી પર ચડાવાતું જાય, એ ઉપરાંત પણ, લોકો માનતા માનેલું જે ઘી લાવ્યા હોય તે, ચાલુ પલ્લીએ, પલ્લી પર ચડાવતા જાય. અમારી સામે ચોકમાં પલ્લી થોડી વાર માટે ઉભી રહી તે દરમ્યાન ઘણા ભક્તો પલ્લી પર ચડી ગયા, લોકોએ આપેલાં  ઘીનાં તપેલાં તેમણે પલ્લી પર ચડાવ્યાં અને પોતાના શરીર પર પણ ઢોળ્યાં. ઘણા લોકોએ બાળકોને માતાજીને પગે લગાડ્યાં. પલ્લીના આખા માર્ગે થઈને હજારો મણ ઘી પલ્લી પર ચડે છે. આ બધું ઘી છેવટે તો રસ્તા પર જ ઢોળાય છે. રસ્તા પર તો ઘીની નદી વહેતી હોય એવું લાગે. રસ્તા પર ધૂળ હોય એટલે આ ઘી ધૂળમાં રગદોળાય, એટલે તે કાદવ અને પેસ્ટ જેવું લાગે. માણસો એમાં ઉભા હોય અને ચાલતા હોય એટલે તે વધુ ગંદુ થાય. માણસોના ચંપલ ઘીમાં લથપથ થઇ જાય. અમુક લોકો તો આ ઢોળાયેલું ઘી ખોબા ભરીને, તપેલાં અને ડોલોમાં ભેગું કરીને પોતાને ઘેર લઇ જાય છે અને તેને સાફ કરીને તેનો ખાવામાં પણ ઉપયોગ કરે છે !

અમે આ બધું જોયું. પલ્લીનો મહિમા જોયો. લોકોની ભક્તિ અને શ્રદ્ધા જોયાં. આ વખતે લગભગ ૬ લાખ લોકો પલ્લીનાં દર્શને આવ્યા હતા ! છેલ્લે અમે ચાલીને અમારી ગાડી સુધી પહોંચ્યા અને એ જ રસ્તે અમદાવાદ પાછા વળ્યા. પલ્લી જોવાની મનોકામના પૂરી થઇ. વરદાયિની માતા બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે એવી આશા રાખીએ.

2_827B_Pic-09

6_825B_Pic-07

DSCF5840

DSCF5847

કડીયા ડુંગર પરની પાંડવ ગુફા

                           આ વખતે ફોટાઓ સાથે, એક પ્રવાસ વર્ણન મૂકું છું. આવતી વખતથી જોવા લાયક સ્થળો વિષે ચાલુ રાખીશ.              

                                                   કડીયા ડુંગર પરની પાંડવ ગુફા 

     કુદરતના સાનિધ્યમાં પીકનીક મનાવવા એક દિવસ જવું હોય તો કડીયા ગુફા એક સારી જગા છે. ભરુચથી ઝગડીયા જવાના રસ્તે તે ભરૂચથી ૩૫ કી.મી. દૂર આવેલી છે. આ રસ્તે ગુમાનદેવ મંદિર પછી વાલિયા આવે, વાલિયાથી જમણી બાજુ વળી જવાનું અને ગામડાંઓમાં થઈને આ ડુંગર સુધી પહોંચવાનું. બોર્ડ મારેલાં નથી, એટલે રસ્તો પૂછતા પૂછતા જવું પડે. રસ્તો સાંકડો પણ સારો છે. ગાડી આરામથી જઈ શકે. અમે ભરુચ ગયા ત્યારે કડીયા ડુંગર જોવાનો એક દિવસનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો. જમવાનું ઘેરથી બનાવીને લઇ લીધું અને સવારે ૧૦ વાગે નીકળ્યા. અમે ૪ ગાડીમાં કુલ ૧૬ જણ હતા. ગામડાંઓમાં થઈને આજુબાજુનાં ખેતરોમાં લહેરાતા મોલને જોતા જોતા, એક કલાકમાં તો ત્યાં પહોંચી ગયા. કડીયા ડુંગર અને તેના પરની ગુફાઓ દૂરથી જ દેખાતી હતી. નીચે આશ્રમ છે. આશ્રમના પ્રવેશદ્વારની સામેની ખુલ્લી જગામાં ગાડીઓ મૂકી દીધી. પ્રવેશ પર બોર્ડ મારેલું છે, ‘હરિહર, ઉદાસીન અખાડા સંત શ્રી ગંગાદાસજી મહારાજ કડીયા ડુંગર’. અહીં ડુંગર આગળ, નીચે એક મોટો આશ્રમ બનાવ્યો છે. અહીં વડનાં ઝાડ ઘણાં છે. એની છત્રછાયામાં બાંકડા અને પાળીઓ પર બેસીને અહીંનું સૌન્દર્ય નીરખવાનું ગમે એવું છે. બાજુમાં બગીચો, મંદિર અને આશ્રમની ઓફિસ છે. દર પૂનમે તો અહીં ઘણા લોકો આવે છે. તે વખતે અહીં જમવાની વ્યવસ્થા પણ હોય છે. આજે પણ અહીં ઘણા લોકો આવેલા હતા. આશ્રમની એક તરફ આ આશ્રમના સ્થાપક બાપાનું સમાધિ મંદિર છે. ત્યાં અખંડ ધૂણી ધખે છે. વડના ઝાડ પર વાંદરાઓ કૂદાકૂદ કરતા નજરે પડે છે. વાંદરાનાં બચ્ચાં, વડની વડવાઈઓ પર લટકીને ઝૂલતાં હોય, એ દ્રશ્ય તો બાળકો અને મોટાંઓ બધાને જોવાનું ગમે છે. આ આખું સ્થાન ‘હરિહર’ના નામે ઓળખાય છે. આશ્રમના છેડેથી ડુંગર પર ચડવાનાં પગથિયાં શરુ થાય છે. અમે પણ આશ્રમમાં થોડું મહાલ્યા પછી પગથિયાં ચડવાનું શરુ કર્યું. પગથિયાં વ્યવસ્થિત બનાવેલાં છે. આશરે ૧૫૦ પગથિયાં ચડો એટલે ડુંગર પરનું મંદિર આવે છે. એમાં મા મનસાદેવી અને ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરની બહાર બેસવાની સગવડ છે. પગથિયાં ચડીને આવો એટલે સહેજે અહીં બેસવાનું મન થઇ જાય. અહીં બેઠા બેઠા નીચેનું દ્રશ્ય બહુ જ સુંદર લાગે છે. વડનાં ઝાડ, આશ્રમ અને દૂર દૂર સુધીનો નઝારો જોવાની મજા આવે છે. મંદિરમાં દર્શન કરીને મનમાં એક પ્રકારનો સંતોષ થાય છે. હવે, અહીંથી બીજાં પચાસેક પગથિયાં ચડીએ એટલે ડુંગરમાં કોતરેલી ગુફાઓ જોવા મળે છે. આ ગુફાઓ પાંડવ ગુફાઓ તરીકે જાણીતી છે. કડીયા ડુંગર પર આવેલી હોવાથી, ઘણા તેને ‘કડીયા ગુફા’ પણ કહે છે. અહીં એક એક રૂમ જેવડી લગભગ આઠ દસ ગુફાઓ ડુંગરના પથ્થરોમાં કોતરેલી છે. ગુફાઓમાં પેસવા માટે બારણાં જેટલી જગા પણ કોતરેલી છે, જો કે બારણાં લગાડેલાં નથી. પાંડવો વનવાસ દરમ્યાન અહીં થોડો સમય રહ્યા હતા, એવું કહેવાય છે. ગુફાઓમાં ચોખ્ખાઈ નથી. અંદરની બંધિયાર હવા ગંધાય છે. આ બધી ચોખ્ખાઈ કરવામાં આવે તો ગુફામાં અંદર જઇને બેસી શકાય. મંદિરથી ગુફાઓ સુધીનાં પગથિયાંની બંને બાજુ પાઈપોની રેલીંગ છે. એટલે આ રેલીંગ પકડીને ઉપર ચડી શકાય. ગુફાઓ આગળ પણ રેલીંગ પકડીને ધીમે ધીમે આગળ વધવાનું. પડી ના જવાય એનું ધ્યાન રાખવું પડે. ગુફાઓ પૂરી થયા પછી આપણે થોડી ખુલ્લી જગામાં આવીએ છીએ. અહીંથી નીચેના ઘણા મોટા વિસ્તારનું દ્રશ્ય આંખોમાં ઝીલાય છે. ફોટા પાડવા માટે આ સરસ જગા છે.  અત્યારેચોમાસું હતું એટલે સર્વત્ર લીલોતરી જ દેખાતી હતી. હવે, અહીંથી છેક ડુંગરની ટોચ પર જવું હોય તો બીજાં વીસેક પગથિયાં જેટલું ચડવું પડે. પણ અહીં તો વ્યવસ્થિત પગથિયાં છે જ નહિ. પગથિયાંના નામે, ડુંગરના ખડકમાં થોડું કોતરી, માત્ર નાનાં પગથિયાંનો રફ આકાર આપ્યો છે એટલું જ. એની પર પગ ટેકવીને, જરૂર પડે તો આગળ હાથ ટેકવીને એટલે કે “ચાર પગે” ધીરે ધીરે ઉપર ચડવાનું. હા, ઘણા બે પગે પણ ચડે. ચારે બાજુ ખુલ્લું અને આટલી ઉંચાઈએ ઘુમ્મટ જેવા ભાગ પર ચડીને ટોચે પહોંચવાનું. પવન આવે, ડર લાગે, જો ચક્કર આવે અને પડ્યા તો ગયા જ સમજો. છેક નીચે જ પહોંચી જવાય. બધા લોકો છેક ટોચે ચડતા નથી, પણ ટોચે પહોંચીને ખુલ્લામાં ઉભા રહેવાનો જે આનંદ છે, તે તો ત્યાં પહોંચનારા જ અનુભવી શકે. અમારામાંથી મોટા ભાગના તો ટોચે ગયા જ. છેક ટોચ પર ભીમની ચોરી છે. ભીમે અહીં લગ્ન કર્યાં હતાં, એવી કથા છે. નીચે જમીન પર લગ્ન કરવાને બદલે, ભીમ કડીયા ડુંગરની ટોચે લગ્ન કરવા માટે કેમ પહોંચ્યા હશે, એ તો એક સંશોધનનો વિષય છે. અમે બધા અહીં, પંદરેક મિનિટ, ટોચના ઢોળાવ પર બેઠા. નીચેનો આશ્રમ, અમારી ગાડીઓ, રસ્તો બધુ જ અહીંથી દેખાતું હતું. છેવટે, સાચવીને ઉપરથી ઉતર્યા અને ગુફાઓ તથા મંદિર આગળ થઈને નીચે પહોંચ્યા. ભૂખ તો બરાબર લાગી હતી. આશ્રમના એક ભાગમાં રસોઈઘરની રૂમો તથા ખુલ્લો વિશાળ હોલ છે. એ જગાએ બેસીને અમે ઘેરથી લાવેલું ભોજન જમ્યા. થેપલાં, ભાખરી, પૂરી, બટાકાનું શાક, ખમણ, ઇદડાં, અથાણું, ચટણી, પાપડ – ખાવાની મજા આવી ગઈ. થોડો વિરામ, ફોટા, વાંદરાંની રમત, આ બધુ માણી, આશ્રમમાં થોડું ફરી બહાર આવ્યા અને અમારી ગાડીઓ ભરુચ તરફ હંકારી મૂકી. પાછા વળતાં રસ્તામાં ગુમાનદેવ મંદિરમાં દર્શન કર્યાં. એક દિવસની પીકનીકમાં ખૂબ આનંદ આવ્યો. સમૂહમાં ફરવાનો તો આનંદ જ અનેરો હોય છે. રાજપારડીથી પણ કડીયા ડુંગર અવાય છે. રાજપીપળાથી આવનારને એ બાજુથી આવવાનું વધુ અનુકૂળ રહે. રાજપારડીમાં લીગ્નાઈટ પ્રકારના કોલસાની ખાણો છે. અહીંનો કોલસો અંકલેશ્વર, ભરુચ અને દહેજનાં કારખાનાંમાં વપરાય છે. અંકલેશ્વરથી પણ ગુમાનદેવ થઈને કડીયા ડુંગર જઈ શકાય છે. અંકલેશ્વરથી તે આશરે ૨૫ કી.મી. દૂર છે. 1_IMG_0004   2_IMG_0005   3_IMG_0007   4_IMG_0045   5_IMG_0009   6_IMG_0013   7_Picture 764[1]   8_IMG_0041   9_IMG_0018   10_IMG_0019   11_IMG_0021   12_IMG_0024   13_IMG_0028   14_IMG_0026   15_IMG_0030   16_IMG_0042

 

17_IMG_0047

 

18_IMG_0052