માંડવી અને અંબેધામ, કચ્છ

                             

                                          માંડવી અને અંબેધામ, કચ્છ 

     આપણા ગુજરાતમાં એવી કેટલી યે જગાઓ છે જે ખરેખર જોવાલાયક હોવા છતાં, તે બહુ જાણીતી ના હોય એટલે ત્યાં પ્રવાસીઓ ઓછા આવતા હોય. આવી એક જગા છે કચ્છમાં આવેલું માંડવી અને તેની નજીક આવેલું અંબેધામ. આ સ્થળોએ ભવ્ય મંદિરો, રાજાનો મહેલ અને વિશાળ સમુદ્રતટ, એક સાથે જોવાનો લ્હાવો મળે છે. તો ચાલો આ સ્થળોના પ્રવાસે.

અમે ભૂજથી માંડવી અને અંબેધામનો એક દિવસના પ્રવાસનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો અને ભાડાની ગાડી કરીને એક સવારે ભૂજથી માંડવી તરફ નીકળી પડ્યા. માંડવી આવતા પહેલાં કોડાય ચાર રસ્તાથી અંબેધામ જવાનો રસ્તો પડે છે. અહીંથી અંબેધામ ૧૬ કી.મી. દૂર છે. અમે એ તરફ વળ્યા.

અંબેધામ ગોધરા નામના ગામમાં આવેલું છે. (પંચમહાલ જીલ્લામાં આવેલું ગોધરા અને આ અંબેધામવાળું ગોધરા, બે અલગ છે.) ગામ નાનુ છે એટલે આ પંથકમાં અંબેધામને સહુ કોઈ જાણે છે. અહીં આરસનું બનાવેલું અંબામાતાનું ભવ્ય મંદિર છે. મંદિરનો ગેટ, ઓટલો, છત, થાંભલા – બધું જ આરસનું. મંદિરના ઓટલા પર વાઘની બે પિત્તળની મૂર્તિઓ ગોઠવેલી છે. તે તરત જ ધ્યાન ખેંચે છે. મંદિર બહુ જૂનું નથી, એટલે જાણે હમણાં જ બન્યું હોય એટલું નવું લાગે છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ પામે છે. અહીં પ્રવાસીઓ કરતાં ભક્તો વધુ આવતા હોય એવું લાગે છે.

આ મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. સંકુલમાં બીજાં ઘણાં મંદિરો છે. મુખ્ય મંદિરની પાછળ ભારતમાતાની ભવ્ય મોટી મૂર્તિ છે. મૂર્તિને વંદન કરવાનું મન થઇ જાય છે. મનમાં દેશદાઝ પ્રગટી આવે છે. બાજુમાં જ એક પ્રદર્શન રૂમ છે. તે જોવા જેવું છે. બીજા એક નાના કુંડમાં પાણી ભરેલું છે અને તેમાં મૂકેલો પથ્થર પાણી પર તરે છે. પાણી પર તરી શકે એવા પથ્થરનો આ નમૂનો છે. રામાયણની કથા મૂજબ, રામ ભગવાને આવા પથ્થર વાપરીને લંકા જવા માટેનો પૂલ, સમુદ્ર પર બનાવ્યો હતો.

એની બાજુમાં પ્રેરણાધામ છે. અહીં મહાવીર સ્વામીની મૂર્તિ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓ વિગેરેની પ્રતિકૃતિ અને મૂર્તિઓ છે. બે ઘડી ઉભા રહીને આ બધું જોવાનું ગમે એવું છે. તેની બાજુમાં એક વધુ પ્રદર્શન કક્ષ છે. અહીં આપણા ધાર્મિક ગ્રંથોમાં આવતા પ્રસંગોને પૂતળાં રૂપે રજૂ કર્યા છે એ જોઈને આપણને આ પ્રસંગોની યાદ મનમાં તાજી થઇ જાય છે. જેમ કે એક પગે ઉભા રહીને તપ કરતા ધ્રુવ, હિરણ્યકશ્યપનો વધ કરતા નરસિંહ ભગવાન વગેરે.

એની બાજુમાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને મોટો કૈલાસ પર્વત બનાવ્યો છે. એની ટોચ પર શંકર ભગવાન બિરાજે છે. પર્વત બહુ જ સરસ અને જોવા જેવો છે. દૂરથી જ તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે. પર્વતની અંદર ગુફામાં દાખલ થઇ, વાંકાચૂકા ચઢાણવાળા માર્ગે ફરી, છેક ટોચ પર બહાર નીકળાય છે. ગુફાના માર્ગમાં પણ ઘણા દેવદેવીઓની મૂર્તિઓ છે. ગુફાની રચના ખૂબ જ આકર્ષક અને અદભૂત છે. ટોચ પર શંકર ભગવાનની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન થાય છે. ટોચ પરથી પગથિયાં ઉતરીને નીચે આવી જવાય છે.

આ બધાં મંદિરો આગળ બગીચા અને રસ્તાઓ પણ છે. તેમાં થઈને અન્નક્ષેત્રમાં જવાય છે. અન્નક્ષેત્રમાં અહીં  આવતા પ્રવાસીઓને માટે જમવાની વ્યવસ્થા છે. જમવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, જે ઈચ્છા હોય એટલી ભેટ નોંધાવી દેવાની. જમવાનું ખૂબ જ સારું અને વ્યવસ્થા પણ ઘણી સારી છે. રસોડામાં અને જમવાના હોલની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી છે. આમ જુઓ તો આખો અંબેધામ વિસ્તાર ખૂબ જ ચોખ્ખો છે. જમીને બગીચામાં કે મંદિરમાં કે ઓફિસ વિસ્તારમાં બેસવાનું કે થોડો આરામ ફરમાવવાનું ગમે એવું છે. આખું સ્થળ એવું સરસ છે કે અહીં બેસીને બધું જોયા કરવાનું મન થાય. અંબેધામમાં ત્રણેક કલાક તો સહેજે પસાર થઇ જાય. ખરેખર આ એક જોવાલાયક જગા છે.

અંબેધામથી અમારી ગાડી ઉપડી માંડવી તરફ. રસ્તો સારો છે. અંબેધામથી ૯ કી.મી. પછી માંડવીનો મૂળ રસ્તો આવી જાય છે. માંડવીમાં પહેલાં તો વિજય વિલાસ પેલેસ જોવા ગયા. પેલેસ જોવાની ટીકીટ લેવાની હોય છે.

મહેલની આગળના ખુલ્લા મોટા વિસ્તારમાં ખૂબ જ ઝાડપાન ઉગાડેલાં છે. મહેલ આગળ ખુલ્લા મેદાનમાં મહારાજા ઓફ કચ્છ, મહારાજ ધીરજ મીરઝાનું સ્ટેચ્યુ મૂકેલું છે. બહારથી જોતાં મહેલ ખૂબ જ ભવ્ય લાગે છે. જાણે કે પથ્થરોમાંથી કંડારેલું ત્રણ માળનું મોટું ગચ્ચું જ જોઇ લો ! મહેલને ભોંયતળિયે બેઠકરૂમ, બેડરૂમ, લોબીઓ, વરંડા વગેરે છે. બેઠકરૂમમાંનું ફર્નીચર ઉચ્ચ કક્ષાનું છે. લોબીઓમાં રાજાઓ અને તેમના વંશજોના ફોટા મૂકેલા છે. રાજાઓએ કરેલ શીકાર, યુધ્ધ વગેરેના પણ નમૂના મૂકેલા છે. ભોંયતળિયે પાથરેલી જાજમ, ઝુમ્મરો, દીવાઓ, સોફા, બેડ બધું જ ભવ્ય લાગે.

પહેલે માળે રાજાનું રહેઠાણ છે. પણ એ રૂમો પબ્લીક માટે ખુલ્લા નથી. સીડી દ્વારા બીજા માળે ચડીએ પછી ધાબુ આવે છે. ધાબા પર ઘુમ્મટ તથા કલાત્મક છત્રીઓ બનાવેલી છે. ધાબા પરથી આજુબાજુનાં દ્રશ્યો બહુ જ સરસ દેખાય છે. જંગલ, ઝાડપાન, દૂર દેખાતાં બીજાં મકાનો, એક બાજુ દૂર દેખાતો દરિયો, દરિયાકાંઠે ઉભી કરેલી પવનચક્કીઓ – આ બધું મનને હરી લે છે. માહોલ ઘણો જ સરસ છે. નાનાં છોકરાંને દોડાદોડી અને ધમાલ કરવાનું અહીં સારું ફાવે એવું છે. મોટાંઓને પણ અહીં દરિયા પરથી આવતી ઠંડા પવનની લહેરોમાં બે ઘડી આડા પડ્યા રહેવાનું કે પેલી છત્રીઓની વચ્ચેની જગામાં બેસવાનું મન થઇ જાય એવું છે. ફોટા પાડવા માટે આ બહુ જ સરસ જગા છે. ફિલ્મ ‘દિલ દે ચૂકે હૈ સનમ’નું શૂટીંગ અહીં થયેલું. અમને એનાં દ્રશ્યો યાદ આવી ગયાં.

છેવટે મહેલ જોઈને બહાર નીકળ્યા, માંડવી ગામ પહોંચ્યા અને ત્યાંથી ચાલ્યા દરિયાકિનારે. આજે દિવાળીનો તહેવાર હતો. એટલે અહીં દરિયાકિનારે પુષ્કળ લોકો આવ્યા હતા. ગીરદી બહુ જ હતી. ગાડી પણ દૂર જ પાર્ક કરવી પડી અને ચાલીને આવ્યા દરિયાકિનારે. અહીંનો બીચ ઘણો જ સરસ છે. પોચી, મુલાયમ રેતી અને પાણી પણ ઉંડુ નહિ, દરિયામાં ડર વગર ઉતરીને નાહી શકાય. મોજાં તો એવાં જબ્બર આવે કે પાણીમાં ઉભા હો તો મોજાંના ધક્કાથી ગબડી પડાય. પણ મોજાંનો માર ખાવાની અને ગબડવાની પણ મઝા આવે.

અમે દરિયામાં નાહ્યા, ખૂબ નાહ્યા, પાણી ઉડાડીને બધાને નવડાવ્યા, મોજાંનો માર આનંદથી માણ્યો, ઘણા બધા ફોટા પાડ્યા, એટલી બધી ધમાલ ચાલી કે પાણીમાંથી બહાર નીકળવાનું જ મન ના થાય. જયારે મન ખૂબ આનંદ પામે ત્યારે પડવાનો અને ઉછળવાનો થાક પણ શરીરને વર્તાતો નથી. કાયમ યાદ રહી જશે માંડવીનો આ દરિયાકિનારો.

અને કિનારા પર તો માનવમહેરામણ ઉમટ્યો હતો. એટલા બધા લોકો હતા કે કિનારા પર ક્યાંય સુધી બસ માણસો જ માણસો દેખાય. અહીં કિનારે લાઈનબંધ પવનચક્કીઓ લગાડેલી છે. દરિયાના પવનની લહેરોમાં આ ચક્કીઓ ફર્યા કરે છે. તેનાથી ઉત્પન્ન થતી વીજળી પાવરગ્રીડમાં પહોંચે છે. પવનથી આ વીજળી પેદા થતી હોવાથી, તે લગભગ મફતમાં મળે છે. ગુજરાત અને દેશને એટલો ફાયદો થાય છે. દરિયામાં ઉભા રહીને, ઘૂમતી પવનચક્કીઓનું દ્રશ્ય મનોહર લાગે છે.

કિનારે ઘણાં ઉંટ હતાં. ઉંટસવારી, ખાણીપીણી, ચગડોળ….. મનોરંજન માટે આ બધાથી વિશેષ શું જોઈએ ? અહીંથી દૂર દૂર પેલો મહેલ પણ દેખાતો હતો. આ જગા છોડીને જવાનું મન થતું ન હતું, છતાં અમે દરિયો અને માંડવી ગામ છોડીને ચાલ્યા ભૂજ તરફ. માંડવીમાં દરિયાકિનારે મોટું બંદર પણ છે.

કોડાય ચાર રસ્તા પાછા પહોંચ્યા. અહીં એક મોટું સ્વામીનારાયણ મંદિર છે. અમે અહીં દર્શન કરવા ઉતર્યા. મંદિર ઘણું વિશાળ છે. દર્શન કરી, બાજુમાં આવેલા શીવમંદિરમાં ગયા. આ મંદિર કમળ આકારનું છે. અહીં ભોળા શીવજીનાં દર્શન કર્યાં.

ત્યાર બાદ અહીંથી નજીક આવેલા જૈનોના ૭૨ જિનાલયમાં ગયા. જૈનોનું આ ધામ ઘણું જ મોટું છે અને ખૂબ પ્રખ્યાત છે. તેમાં એક મુખ્ય મંદિર તથા ચારે બાજુ બીજાં ૭૨ મંદિર આવેલાં છે. આ મંદિરોમાં મહાવીર સ્વામી તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ છે. બધાં જ મંદિરો આરસનાં છે. બહારથી બધાં મંદિરોનાં શિખરો દેખાય છે. આટલાં બધાં મંદિરો એક જ સ્થળે સળંગ બનાવવામાં કેટલો બધો સમય લાગ્યો હશે, કેટલા કારીગરો, કેટલો આરસપહાણ, કેટલા પથ્થરો, કેટલો સિમેન્ટ અને કેટલું બધું ધન વપરાયું હશે, એની કલ્પના કરી જુઓ ! મંદિરોની ડીઝાઈન કરનારા નિષ્ણાતો, બાંધકામ કરનારા અને વ્યવસ્થા તથા સંચાલન કરનારાઓની સૂઝસમજને દાદ દેવી ઘટે. જૈન સમાજે આવાં મંદિરો ઘણી જગાએ બાંધ્યાં છે.

આ મંદિરે ઘણી વિશાળ જગા રોકી છે. ૭૨ જિનાલય ઉપરાંત, બહારના ભાગમાં મોટું પ્રાંગણ, પાર્કીંગ, રહેવા માટેની સુવિધા, બાગબગીચા, ભાતાઘર – આ બધું મળીને આ કેટલું મોટું સંકુલ થાય ! ભાતાઘરમાં બધા દર્શનાર્થીઓને ચા અને નાસ્તો ફ્રી મળે છે. મંદિરની ઓફિસેથી કુપન લઇ, ભાતાઘરમાં પહોંચી જવાનું. તેનો સમય છે ૯ થી ૧૧ અને ૨-૩૦  થી ૫.

બધું ફરીને છેવટે ભૂજ પાછા આવ્યા. ભૂજમાં હીલ ગાર્ડન જોઇ ઘેર પહોંચ્યા. હીલ ગાર્ડન એ એક ઉંચી ટેકરી પર બનાવેલો મોટો ગાર્ડન છે. અહીં પણ એક ડુંગર બનાવી, તેના પર શીવજીની મૂર્તિ બેસાડેલી છે. બાગબગીચા, છત્રી, બેઠકો વગેરેને લીધે ગાર્ડન સુંદર લાગે છે. એક જગાએ ડાયનોસોરનું હાડપિંજર ગોઠવેલું છે. ખાણીપીણીની દુકાનો તો છે જ.

અમારો એક દિવસનો પ્રવાસ આનંદદાયક રહ્યો. ફરવાની મઝા આવી ગઈ. માંડવી અને અંબેધામ એક વાર જોવા જેવાં તો ખરાં જ. અમદાવાદથી ભૂજનું અંતર આશરે ૪૦૦ કી.મી. અને ત્યાંથી માંડવીનું અંતર ૬૦ કી.મી. છે. ભૂજ જવા માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા છે.  ભૂજને પોતાનું એરપોર્ટ પણ છે. ભૂજ ગયા વગર અમદાવાદથી માંડવી સીધા પણ જઈ શકાય. આ અંતર ૩૮૪ કી.મી. છે. (નોંધ : કચ્છનું માંડવી અને સૂરત બાજુ આવેલું માંડવી બંને અલગ સ્થળો છે.)

1_DSCF3443

 

2_DSCF3418

 

3_DSCF3419

 

4_DSCF3420

 

5_DSCF3423

 

6_DSCF3442

 

7_DSCF3444

 

8_DSCF3471

 

9_DSCF3473

 

10_DSCF3791

 

11_DSCF3793

‘હિન્દી ફિલ્મ, ઈંગ્લીશમાં’ ના જવાબો

                              ‘હિન્દી ફિલ્મ, ઈંગ્લીશમાં’ ના જવાબો

ગઈ વખતે મેં ઈંગ્લીશમાં લખેલ હિન્દી ફિલ્મોનાં, હિન્દી નામ આ રહ્યાં !
અહીં તો મેં ‘બોલ બચ્ચન’ ફિલ્મમાં આવે છે, એવું હિન્દી ફિલ્મોનું ઈંગ્લીશ કર્યું હતું. એટલે થોડી મજા આવે.
બે વાંચકોએ જવાબ લખ્યો છે. બંનેના જવાબ સરસ રહ્યા.
(૧) માધવ ઈટાલિયા અને (૨) ચેતન ઠકરાર

1. Life death – જીવન મૃત્યુ

2. The heart is mad – દિલ તો પાગલ હૈ

3. We are together – હમ સાથ સાથ હૈ

4. Something something is happening – કુછ કુછ હોતા હૈ

5. Mirror – આયના

6. Father is saying – પાપા કહતે હૈ

7. Will you marry me – મુઝસે શાદી કરોગી

8. Revenue – લગાન

9.Enemy – દુશ્મન

10. King Indian – રાજા હિન્દુસ્તાની

11. Without you – તુમ બીન

12. After 20 years – બીસ સાલ બાદ

13. Nine colours – નવ રંગ

14. Who was she – વો કૌન થી

15. Two roads – દો રાસ્તે

16. Two thieves – દો ચોર

17. Let સાવન come – સાવન કો આને દો

18. Black stone કાલા પથ્થર

19. We two – હમ દોનો

20. Walk singing song – ગીત ગાતા ચલ

21. Heart beat -ધડકન

22. Fire road – અગ્નિપથ

23. God made couple રબને બના દી જોડી

24. In your love, white girl – ગોરી તેરે પ્યારમેં

25. If you were not there અગર તુમ ન હોતે

26. To live in your street – જીના તેરી ગલી મેં

27. For each other – એક દૂજે કે લિયે

28. Second person – દૂસરા આદમી

29. Seven over seven – સત્તે પે સત્તા

30. Ten over nine – નેહલે પે દેહલા

31. Uncle nephew – ચાચા ભતીજા

32. Speak lie, crow bite -જૂઠ બોલે કૌવા કાટે

33. Came time of meeting – આઈ મિલનકી બેલા

34. Two eyes twelve hands – દો આંખે બારહ હાથ

35. Hearty people will take wife – દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે

હિન્દી ફિલ્મ, ઈંગ્લીશમાં

આજે એક નવી રમત મૂકું છું. જવાબ શોધી મને મેલમાં લખજો. નેક્સ્ટ પોસ્ટમાં હું તેના જવાબ લખીશ. જવાબ આપનારનાં નામ પણ લખીશ.

મારું e-m એડ્રેસ pravinkshah@gmail.com છે.

હિન્દી ફિલ્મ, ઈંગ્લીશમાં

      નીચે કેટલીક હિન્દી ફિલ્મોનાં નામ અંગ્રેજીમાં આપ્યાં છે, તો તે ફિલ્મનું હિન્દીમાં શું નામ છે, તે કહો.

દા. ત.  Who are we yours – હમ આપકે હૈ કૌન

1. Life death

2. The heart is mad

3. We are together

4. Something something is happening

5. Mirror

6. Father is saying

7. Will you marry me

8. Revenue

9. Enemy

10. King Indian

11. Without you

12. After 20 years

13. Nine colors

14. Who was she

15. Two roads

16. Two thieves

17. Let સાવન come

18. Black stone

19. We two

20. Walk singing song

21. Heart beat

22. Fire road

23. God made couple

24. In your love, white girl

25. If you were not there

26. To live in your street

27. For each other

28. Second person

29. Seven over seven

30. Ten over nine

31. Uncle nephew

32. Speak lie, crow bite

33. Came time of meeting

34. Two eyes twelve hands

35. Hearty people will take wife

માનગઢ હીલ અને પાનમ ડેમ

                                   માનગઢ હીલ અને પાનમ ડેમ

       ભારતમાં અંગ્રેજી હકુમત દરમ્યાન, ૧૯૧૯માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્રિત થયેલા લોકો પર જનરલ ડાયરે ધડાધડ ગોળીઓ ચલાવીને આશરે ૩૦૦ જેટલા લોકોની લાશો ઢાળી દીધી હતી. ઇતિહાસમાં આ બનાવ ખૂબ જ જાણીતો છે. આવો જ એક બનાવ ગુજરાતના સંતરામપુર શહેરની નજીક આવેલી માનગઢની ટેકરીઓ ખાતે બન્યો હતો. પણ આ બનાવ ઇતિહાસનાં પૃષ્ઠો પર કદાચ નોંધાયો નથી. અહીં શું બન્યુ હતું, તેની જરા વિગતે વાત કરીએ.

અહીંની ગામડાની અભણ, આદિવાસી પ્રજામાં ગોવિંદ ગુરુ નામે એક નેતા થઇ ગયા. તેમનો જન્મ ૧૮૫૮માં ડુંગરપુર ખાતે થયો હતો. તેમણે ૧૯૦૩માં સંપ સભા નામે એક સંગઠન ઉભુ કર્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ અહીંની પ્રજાને એકતા, વ્યસન નાબૂદી, શિક્ષણ, સદાચાર, ગુનાથી દૂર રહેવું વગેરે માટે જાગૃત કરવાનો હતો. સંપ સભા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પણ કાર્ય કરતી હતી. આ બાબત અંગ્રેજ સત્તાના ધ્યાનમાં આવી. સંપ સભાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર માનગઢની ટેકરી હતું. ૧૯૧૩ના નવેમ્બરની ૧૭ તારીખે સંપ સભાના ભક્તો એકઠા મળ્યા હતા ત્યારે અંગ્રેજ કર્નલ શટને માનગઢ પહાડીઓને ઘેરી લઇ, તોપો અને મશીનગનથી હુમલો કરી સંખ્યાબંધ આદિવાસી ભક્તોને મારી નાખ્યા. કહે છે કે અહીં મરનારાની સંખ્યા ૧૫૦૦ જેટલી હતી. ગોવિંદ ગુરુ જીવતા પકડાયા. તેમને અંગ્રેજોએ વર્ષો સુધી જેલમાં પૂરી રાખ્યા. આ ઘટના જલિયાંવાલા બાગથી યે વધુ બર્બર હતી. શહીદોની યાદમાં, માનગઢ હીલ આજે પણ ગુજરાત અને રાજસ્થાનના ગ્રામ્ય લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં ગોવિંદગુરુની સમાધિ બનાવવામાં આવી છે. આ જગાએ એક ‘અમર જ્યોતિ સ્તંભ’ ઉભો કરવામાં આવ્યો છે. આ જગાને ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ નામ આપવામાં આવ્યું છે. આ સ્મૃતિવનનું શ્રી નરેન્દ્ર મોદીએ તા. ૩૦-૭-૧૨ના રોજ લોકાર્પણ કર્યું હતું. ( યાદ રહે કે પંજાબના ગુરુ ગોવિંદસિંહ અને આ ગોવિંદ ગુરુ અલગ વ્યક્તિઓ છે.)

માનગઢ હીલ વિષે અમે થોડું ઘણું સાંભળ્યું હતું. પણ તે નજરે જોવાની ઈચ્છા ખૂબ હતી. એટલે એક દિવસનો પ્રોગ્રામ બનાવી એક સવારે અમે નવ જણ ગોધરાથી બે ગાડીઓ લઈને નીકળી પડ્યા. ગોધરાથી શહેરા, લુણાવાડા થઈને સંતરામપુર પહોંચ્યા. ગોધરાથી સંતરામપુર ૭૪ કી.મી. દૂર છે. શહેરા આગળ મરડેશ્વર મહાદેવ અને માતાજીનું મંદિર જોવા જેવાં છે. લુણાવાડા ગામ શરુ થતા પહેલાં જ સંતરામપુરનો ફાંટો પડે છે. અહીં રસ્તામાં કચોરી ખાધી. સવારનો પહેલો નાસ્તો ઝાપટવાની તો ખૂબ મજા આવે. શીંગોડાં પણ ખાધાં. પંચમહાલ જીલ્લાના આ વિસ્તારમાં શીંગોડાં ખૂબ જ પાકે છે.

લુણાવાડાથી ૧૪ કી.મી. પછી ગોધર ગામમાં સ્વામીનારાયણ ભગવાનનું મંદિર છે, ત્યાં દર્શન કર્યાં. આગળ જતાં, રસ્તાની બંને બાજુ મોટું સરોવર ભરાયેલું નજરે પડે છે. પાનમ નદી પર બાંધેલા બંધને કારણે આ સરોવર રચાયું છે. સરોવરનો માહોલ બહુ જ સરસ લાગે છે. આ સરોવરમાં ઘણાં ઝાડપાન ડૂબી ગયાં હોય એવું લાગે છે. અહીં ગાડીમાંથી ઉતરીને ફોટા પાડ્યા.

સંતરામપુરથી માનગઢ હીલ ૨૧ કી.મી. દૂર છે. સંતરામપુર પછીનો આ બધો વિસ્તાર ટેકરીઓવાળો છે. એમાંથી પસાર થતા ઉંચાનીચા, વાંકાચૂકા સિંગલ લાઈનવાળા સાંકડા રસ્તે ગાડી દોડાવવાની મજા આવે એવું છે. છેલ્લે, માનગઢ હીલ ૧ કી.મી. બાકી રહે ત્યાં તો એકદમ સીધો ઢાળ છે. અહીં તો ગાડી ખૂબ સાચવીને ચલાવવી પડે. જો ભૂલ થાય તો ગયા જ સમજો. આ એક થ્રીલીંગ રાઈડ જેવું છે. અમે સફળતાપૂર્વક ઢાળ ચડાવીને હીલ પર પહોંચી ગયા. આજુબાજુની બધી ટેકરીઓમાં આ સૌથી ઉંચી ટેકરી છે. ઉંચાઈ છે ૧૨૧૫ ફૂટ એટલે કે ૩૭૦ મીટર.

ઉપર સારી એવી સપાટ જગા છે. ગાડી પાર્ક કરવા માટે પણ ઘણી જગા છે. પાર્કીંગની જગાએ શેડ કરેલો છે. શેડમાં એક સરસ ઝાડ છે. પાર્કીંગની સામે જ એક જૂનો હોલ છે. આ હોલમાં જ ગોવિંદ ગુરુની સમાધિ છે. સૌ પ્રથમ અમે ‘અમર જ્યોતિ સ્તંભ’ જોયો. પછી સમાધિ હોલમાં દાખલ થયા. હોલની દિવાલો પર આરસની તકતીઓ લગાડેલી છે અને એમાં ગોવિંદ ગુરુના જન્મથી માંડીને સંપ સભાની પ્રવૃતિઓ તથા અંગ્રેજોએ કરેલ સંહારની કથા વિગતે લખેલી છે. એ વાંચીને એમ થાય કે આપણા દેશભક્તો પર એક વિદેશી પ્રજાએ કેવી ક્રૂરતા આચરી હતી ! આ હોલમાં એક બાજુ ગોવિંદ ગુરુની સમાધિ પર ભક્તો ધૂપ સળગાવે છે, ફૂલો ચડાવે છે અને ભજન કીર્તન કરે છે. આજુબાજુનાં ગામડાંમાંથી કેટલા યે ભક્ત લોકો અહીં સમાધિનાં દર્શને આવે છે. અમે પણ અહીં બે મિનિટ ભાવપૂર્વક ઉભા રહીને એક દેશભક્ત વીર પૂરુષને મનોમન વંદન કર્યાં. હોલની બહાર ગોવિંદ ગુરુનું સ્ટેચ્યુ મૂકેલું છે.

હોલમાંથી બહાર આવી, ટેકરી પર બીજી બાજુ ચાલ્યા. અહીં એક ભીંત પર, અંગ્રેજોએ ભક્તો પર ગોળીઓ ચલાવી ત્યારનું દ્રશ્ય થ્રી ડી સ્વરૂપમાં બનાવીને ચીતર્યું છે. બે ઘડી ઉભા રહીને આ ચિત્ર જોવા જેવું છે. આગળ રેનબસેરા નામની રૂમોમાં રાત્રે રહેવાની વ્યવસ્થા છે. જો કે કોઈ પ્રવાસી અહીં રાત્રે રોકાતા નથી. અહીં તમને ચાપાણી કે ખાવાપીવાનું કંઇ જ મળે નહિ, અને રાત બિહામણી લાગે. રેનબસેરાથી આગળ શંકર ભગવાનનું એક નાનકડું મંદિર છે. અહીં આજુબાજુ બધે જ સરસ બગીચા બનાવ્યા છે. લોન પણ ઉગાડી છે. બાજુમાં એક છતવાળો ચોતરો છે. અહીં બધે બેસવાની અને રમવાની મજા આવે છે. ફોટા પાડવા માટે લોકેશન ખૂબ સરસ છે. આગળ જતાં, ટેકરીની ધાર પર બીજો ચોતરો છે. અહીં ઉભા રહીને નીચેની ખીણ અને સામેની બીજી ટેકરીઓનો અદભૂત નઝારો જોવા મળે છે. ખીણમાં વહેતી નદી પણ અહીંથી દેખાય છે. આ ટેકરીઓની પછી રાજસ્થાનની હદ શરુ થાય છે.

આ બધુ જોઇ, ચોતરા પર થોડી વાર બેસી, મૂળ સમાધિ હોલ આગળ પાછા આવ્યા. હવે ભૂખ તો લાગી જ હતી. જમવાનું ઘેરથી લઈને જ આવ્યા હતા. એટલે પાર્કીંગની જગામાં બેસીને ખાઈ લીધું. ભાખરી, થેપલાં, ડુંગળી, અથાણું, પાપડી – ખાવાની મજા આવી ગઈ.

આ ટેકરી પર જ એકાદ કી.મી. દૂર, રાજસ્થાન સરકાર એક સ્મારક બાંધી રહી છે. ગાડીમાં બેસીને એ જોવા ચાલ્યા. વચમાં એક જગાએ અંગ્રેજોના હુમલા વખતનું ખૂબ મોટું ભીંતચિત્ર નવું બનાવ્યું છે તે જોયું. રાજસ્થાન સરકારનું બાંધકામ હજુ ચાલુ છે. એ જોઈને મૂળ જગાએ પાછા આવ્યા. અહીં હવે જમીન પર કોથળા પાથરીને, નાની દુકાનો લાગવા માંડી હતી. કદાચ બપોર પછી વધુ પ્રવાસીઓ આવતા હશે.

છેવટે અમે અહીંથી પાછા જવા નીકળ્યા. ટેકરીનો એ જ ઉતરાણ વખતનો ઢાળ, સંતરામપુર, લુણાવાડા….એ બધુ વટાવી ગોધરા તરફ વળ્યા. રસ્તામાં પાનમ ડેમ જોઇ આવવાનું વિચાર્યું. લુણાવાડાથી બારેક કી.મી. જેટલું ગોધરા તરફ આવ્યા પછી ડાબા હાથે એક રસ્તો પડે છે. આ રસ્તે ૧૪ કિ.મી. જાવ એટલે પાનમ ડેમ પહોંચી જવાય. રસ્તો સીંગલ અને ઉંચોનીચો છે, જંગલઝાડીમાંથી પસાર થાય છે. વચ્ચે વચ્ચે નાનાં ગામડાં આવે છે. આ રસ્તાની રોમાંચક સફર માણીને અમે પાનમ ડેમ પહોંચ્યા.

પાનમ નદી દેવગઢબારીઆ નજીક આવેલા રતનમહાલના ડુંગરોમાંથી નીકળે છે અને મહી નદીને મળે છે. કેળ ઉઝર ગામ આગળ એના પર ડેમ બાંધેલો છે. અહીં નદીનો પટ બહુ પહોળો છે, બંને બાજુ ઉંચી ટેકરીઓ છે. ડેમ પાછળ ભરાયેલું વિશાળ સરોવર, નાખી નજર ના પહોંચે એટલું વિસ્તરેલું છે. પાણીના વિશાળ સાગર જેવું લાગે. ડેમમાંથી કાઢેલી નહેરો મારફતે ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ૨ મેગાવોટ વીજળી પેદા કરતું નાનું પાવરહાઉસ પણ છે. ડેમ પછી નીચવાસમાં વહેતી પાનમ નદી જાજરમાન લાગે છે. ડેમની નજીક વિશ્રામગૃહમાં રહેવા જમવાની વ્યવસ્થા છે. ડેમથી પંદરેક કી.મી. દૂર સતકુંડા નામનો એક ધોધ છે. આ ધોધ એક પછી એક સાત સ્ટેપમાં નીચે પડે છે. જોવા જેવો છે. ડેમ જોઇ ગોધરા પાછા પહોંચ્યા ત્યારે સાંજનું અંધારું પડવા આવ્યું હતું.

માનગઢ હીલ જેવી જગા ગુજરાતમાં જ છે, એની કદાચ બહુ ઓછા લોકોને જાણ હશે. અહીં પ્રવાસીઓ વધે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. જંગલમાં રખડવું હોય તો પાનમ ડેમ તરફ જતા રસ્તાની આજુબાજુનાં જંગલો બહુ જ સરસ જગા છે.

IMG_0260

 

IMG_0193

 

IMG_0269

 

IMG_0201

 

IMG_0205

 

IMG_0245

 

IMG_0255

 

IMG_0296