એસ. ટી. બસની ટીકીટ

     

                                        એસ. ટી. બસની ટીકીટ

      મારા પી.એચ.ડી.ના અભ્યાસ દરમ્યાન, હું કુટુંબ સાથે ત્રણ વર્ષ મદ્રાસ (ચેન્નાઈ) માં રહ્યો હતો. ત્યાં મકાન ભાડે રાખ્યું હતું. ત્યારે મારાં બંને બાળકો નાનાં. અડધી ટીકીટમાં ગણાય. મદ્રાસમાં ચારેક મહિના થયા, અને થોડું વેકેશન આવ્યું. એટલે થયું કે ચાલો, વિષ્ણુકાંચી-શીવકાંચી ફરી આવીએ. આ સ્થળો મદ્રાસથી આશરે ૧૦૦ કી.મી. દૂર છે.

અમે એક સવારે મદ્રાસથી એસ.ટી. બસમાં નીકળ્યા. બસમાં ચડ્યા, બેસવાની જગા મળી ગઈ. થોડી વારમાં કંડકટર ટીકીટ માટે આવ્યો. મેં બે આખી ને બે અડધી ટીકીટ માગી. મારી, મીનાની અને વિરેન-મિલનની. કંડકટર મારા મોટા પુત્ર વિરેનની સામે જોઇ રહ્યો. પછી તેને કોણ જાણે શું સૂઝ્યું તે તેણે વિરેનને ઉભો કરીને આગળ તરફ લઇ જવા માંડ્યો. મને થયું કે ‘કંડકટર આવું કેમ કરે છે ? વિરેનને તે શું કામ ઉઠાડી મૂકે છે ?’ એટલે મેં વિરેનને પકડીને પાછો સીટ પર બેસાડી દીધો. કંડકટરે મને તમિલ ભાષામાં કંઇક કહ્યું. અને વિરેનને ઉઠાડીને ફરી આગળ તરફ ખેંચવા માંડ્યો. અમને કોઈને ય તમિલ ભાષા બિલકુલ આવડે નહિ. એટલે હું ગુજરાતી-હિન્દી મીક્સ ભાષામાં જવાબ આપું કે “આને તમે ઉઠાડીને આગળ તરફ કેમ ખેંચી જાવ છો ? અમે કોઈની રીઝર્વેશન સીટ પર તો બેઠા નથી” પણ કંડકટરને ગુજરાતી કે હિન્દી જરા ય આવડે નહિ. એટલે એ ભાઈ વિરેનને પકડીને ઉઠાડે, અને હું વિરેનને પકડીને પાછો બેસાડી દઉં. આવું ચારેક વાર થયું.

પછી મને લાગ્યું કે આમાં કંઇક કારણ જરૂર છે. બાજુવાળા એક ભાઈએ મને કંઇક સમજાવવા પ્રયત્ન કર્યો, પણ તે ય તમિલમાં. એનો કંઈ અર્થ નહોતો. પણ તેની વાતમાં એક શબ્દ આવતો હતો, “હાઈટ”. મને લાગ્યું કે “હાઈટ” એટલે કે ‘ઉંચાઈ’ને લગતી કોઇક વાત લાગે છે. એટલે પછી, કંડકટર વિરેનને આગળ લઇ જવા માંડ્યો, ત્યારે મેં તેને રોક્યો નહિ. અને ‘કંડકટર શું કરે છે,’ તે જોવા હું પણ તેની સાથે આગળ ગયો. કન્ડકટરે વિરેનને ડ્રાઈવરની કેબીનની જાળી આગળ ઉભો રાખ્યો. અને પછી તરત જ તેણે વિરેનને છોડી દીધો. હું અને વિરેન અમારી સીટ પર આવીને બેસી ગયા. કંડકટરે પણ અમને બે આખી અને બે અડધી ટીકીટ આપી દીધી.

કંડકટરે વિરેનને આગળ લઇ જઇને શું કર્યું ? તેણે વિરેનની ઉંચાઈ માપી લીધી. ડ્રાઈવરની કેબીનની જાળી પર ઉંચાઈનું એક નિશાન કરેલું હતું, ૪૮ ઈંચનું. અહીંની એસ.ટી. બસમાં એવો નિયમ હતો કે ૪૮ ઈંચ કરતાં વધુ ઉંચાઈ હોય તો આખી ટીકીટ લેવાની. વિરેનની ઉંચાઈ ૪૮ ઈંચ કરતાં ઓછી હતી, એ તેણે ચેક કરી લીધું, અને તેની અડધી ટીકીટ આપી દીધી. બસ, આ માટે જ તે વિરેનને પકડીને આગળ લઇ જતો હતો.

આપણે ત્યાં ગુજરાતમાં બસમાં ઉંમર પ્રમાણે અડધી કે આખી ટીકીટ લેવાય છે. અહીં તમિલનાડુ રાજ્યમાં ઉંચાઈ પ્રમાણે અડધી કે આખી ટીકીટ નક્કી થાય છે. એક જ દેશમાં કેવી વિવિધતા છે !અને ભાષા આવડે નહિ, એટલે આ જે ઘટના બની એમાં પછી તો ખૂબ મઝા આવી ગઈ. અમે ઘણું હસ્યા, પણ કંડકટર તો સીરીયસ જ રહ્યો. આજે ય આ વાત યાદ રહી ગઈ છે. કંડકટર વિરેનને આગળ ખેંચે, અને હું તેને પાછળ ખેંચું – આ દ્રશ્ય મગજમાં કોતરાઈ ગયું છે. અત્યારે ય આ સીન દેખાય છે.

એક કિસ્સો – નદી પર બંધ અને કેરીનું ઝાડ

                                     

                                         એક કિસ્સો – નદી પર બંધ અને કેરીનું ઝાડ

     અમે એક વાર વેકેશનમાં પંચમહાલ જીલ્લાના દેવગઢબારીઆ ગામે, એક સ્નેહીને ત્યાં ગયા હતા. દેવગઢબારીઆ ગામ ઘણું જ સરસ છે. ગામની ત્રણ બાજુએ ડુંગરા અને ચોથી બાજુ પાનમ નદી. ફરવા માટે એટલું સરસ કુદરતી વાતાવરણ કે અહીં રહી પડવાનું મન થઇ જાય. વળી, રાજાના વખતનું ગામ, રાજાએ ગામમાં ખૂબ પહોળા રસ્તા બનાવડાવેલા, અને ટ્રાફિક બિલકુલ નહિ. એટલે રહેવાની બહુ જ મજા આવે. આવા બારીઆ ગામથી આશરે દસેક કી.મી. દૂર એક નદી પર બંધ બાંધેલો છે, એનું નામ અદલવાડા ડેમ. બીજે દિવસે અમે આ બંધ જોવા નીકળી પડ્યા. બંધ જોયો, ઉપરવાસ, નીચવાસ, બંધમાંથી કાઢેલી નહેર – બધુ જ જોયું. ચારે બાજુ જંગલ જ હતું. અહીં બંધની દેખરેખ રાખનારા પાંચેક લોકો હતા. મનમાં થયું કે આ લોકો આ જંગલમાં કઈ રીતે રહેતા હશે ? એટલે પૂછી જ નાખ્યું, ‘ભાઈ, તમે લોકો આખો દિવસ બંધ પર દેખરેખ રાખો અને કામ કરો, પછી રાતના ક્યાં જાવ ?’

એક ભાઈએ જવાબ આપ્યો, ‘સાહેબ, અમારે તો રાતના ય અહીં જ રહેવાનું. બંધ પર કંઈ કામ આવી જાય તો ? જુઓ, પેલું સામે મકાન દેખાય છે ને ? એ જ અમારું ઘર. સરકારે રહેવા માટે આપ્યું છે.’

મેં કહ્યું, ‘ઘરમાં ખાવાપીવાની ને બીજી બધી સગવડ ખરી ?’

તેણે જવાબ આપ્યો, ‘સગવડ તો ઠીક, થોડા થોડા દિવસે અમારામાંથી એક જણ બારીઆ જઈ બધુ ખરીદી લાવે, અને એમાંથી અમારું ગાડું ચાલ્યા કરે.’

મેં કહ્યું, ‘તમારું પોતાનું ઘર ? ઘરવાળી ? છોકરાં ?’

તેણે કહ્યું, ‘સાહેબ, અમારે ય કુટુંબ છે. બધાં બીજા ગામમાં રહે છે. ત્યાં ય થોડા દહાડે આંટો મારી આવીએ. પણ સાહેબ, તમે અમારું અહીંનું ઘર જોવા તો આવો.’

મને થયું કે ચાલો, એનું ઘર પણ જોઇ લઈએ. નજીક જ હતું. ચાલતાં ચાલતાં પાંચ મિનિટમાં તો તેનું ઘર આવી ગયું. ત્યાં પહોંચ્યા એટલે તેણે આંગણામાં કાથીનો ખાટલો ઢાળી આપ્યો. અમે બધા ખાટલામાં બેઠા. તેણે ઘરમાંથી પાણી લાવીને પીવડાવ્યું. આંગણામાં જ આંબાનું ઝાડ હતું. જૂન મહિનો હતો, એટલે આંબા પર કેરીઓ લટકતી હતી. મારી નજર કેરીઓ પર પડી. તે ગામડાનો માનવી મારું મન પારખી ગયો હોય તેમ બોલ્યો, ‘સાહેબ, તમારી મહેમાનગતિ માટે અમારી પાસે બીજી કોઈ સગવડ નથી, પણ આંબા પરથી કેરીઓ તો તમને તોડી આપવાનો જ છું.’

એમ કહી, મારી કેટલી યે ‘ના’ છતાં એમનામાંનો એક જણ આંબા પર ચડી ગયો અને ઉપરથી કેરીઓ તોડી, નીચે નાખતો રહ્યો. હું અને મારી પત્ની મીના શર્ટ અને સાડીની ઝોળી બનાવી એમાં કેરીઓ ઝીલતા રહ્યા. મારાં બાળકો વિરેન-મિલનને તો મજા આવી ગઈ. કોઈ આંબા પરથી કેરીઓ તોડીને નીચે નાખે અને આપણે ઝીલી લેવાની, આવું એમને શહેરમાં ક્યાં જોવા મળે ?

છેલ્લે, કેરીઓ લઇ, તેની ખૂબ જ મનાઈ છતાં તેના ખિસ્સામાં થોડા રૂપિયા મૂકી અમે વિદાય થયા. જતાં જતાં અમે તેમનાં નામ પૂછ્યાં, તે અ પ્રમાણે હતાં, શાંતિભાઈ, સુખાભાઈ, સંતોકભાઈ, ભાવસિંહ અને અમરસિંહ. મને થયું કે આ લોકોમાં શાંતિ, સુખ અને સંતોષ કેટલાં બધાં છે ! ભારતના લોકોની આ ભાવના અમર રહો.

સૂર્યમંદિર, બોરસદ

                                               સૂર્યમંદિર, બોરસદ

      ભારતમાં બે પુરાણાં સૂર્યમંદિરો ખૂબ જાણીતાં છે, એક કોણાર્કનું સૂર્યમંદિર અને બીજું મોઢેરાનું સૂર્યમંદિર. આ ઉપરાંત, ગુજરાતમાં બોરસદ નગરમાં ૧૯૭૨માં એક નવું સૂર્યમંદિર બન્યુ છે. આ મંદિર પણ ઘણું જ ભવ્ય છે, જોવા જેવું છે.

આ મંદિર બાંધવા પાછળની કથા કંઇક આવી છે. ૧૯૭૨માં અહીં એક દિવ્ય પ્રસંગ બની ગયો. બોરસદના એક વકીલ શ્રી રમણભાઈ પટેલ અને ડાહીબેનનો ૫ માસનો પુત્ર કલ્પેશ, જે હજુ બોલતાં પણ શીખ્યો ન હતો, તે એક દિવસ અચાનક બોલ્યો, ‘સૂર્યમંદિર બંધાવો’. રમણભાઈ અને ડાહીબેન તો આ સાંભળીને ખૂબ નવાઈ પામ્યાં. પાંચ માસનું બાળક બોલી જ કઈ રીતે શકે? પણ પછી તેમને પ્રેરણા થઇ કે કદાચ ભગવાન સૂર્યદેવ જ બાળકમાં પ્રગટ થયા હોય. તરત જ બાળકના શરીર પર કંકુ દેખાવા લાગ્યું. જાણે કે સૂર્યદેવ પોતે જ કંકુ સ્વરૂપે પ્રગટ થયા હોય. પછી થોડી વારમાં કંકુ અદ્રશ્ય થઇ ગયું. રમણભાઈને થયું કે હવે બોરસદમાં સૂર્યમંદિર બંધાવવું જ જોઈએ. તેમની પાસે તો જમીન કે મૂડી હતાં નહિ. તેમણે ગામમાં બીજા આગળ પડતા લોકોને ભગવાન સૂર્યદેવ પ્રગટ થયાની અને મંદિર બંધાવવાની વાત કરી. સૂર્યદેવે જ બોરસદના અંબાલાલ પટેલ અને હરીભાઈ પટેલને સૂર્યમંદિર માટે જમીનનું દાન કરવા પ્રેર્યા, ભગવાને નરેન્દ્ર પટેલને સૂર્યમંદિરની ડીઝાઈન કરવા પ્રેર્યા, મહેન્દ્ર કંથારિયાને એન્જીનીયરીંગનું કામ કરવા પ્રેર્યા, બીજા ઘણાને દાન આપવા માટે પ્રેરણા આપી, અને જોતજોતામાં તો બોરસદમાં સૂર્યમંદિર બની ગયું. આ કથાનો શિલાલેખ ત્યાં મંદિરના પ્રાંગણમાં કોતરેલો છે. ત્યાં જનાર સર્વેની ઈચ્છા ભગવાન સૂર્યદેવ પૂરી કરે છે.

મંદિરના પ્રાંગણમાં ફુવારા છે. પ્રવેશદ્વાર ભવ્ય છે. ગર્ભગૃહમાં સૂર્ય ભગવાન ઉપરાંત, બીજા દેવો પણ બિરાજમાન છે. બધા દેવોની એકતાનું આ ઉદાહરણ છે. પ્રવેશદ્વારની ઉપર ભગવાન સૂર્યદેવ સાત ઘોડાના રથ ઉપર સવાર છે. આ દેખાવ બહુ જ સુંદર લાગે છે. મંદિરની આગળ વિશાળ બગીચો અને પાર્કીંગ માટેની જગા છે. અહીં આવનાર યાત્રીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા છે.

સૂર્યભગવાને બોચાસણના પ્રમુખસ્વામીને, ખુંધેલીના છોટે મુરારી બાપુને અને નડિયાદના ભગવતી કેશવ મહારાજને દર્શન આપ્યાં છે. અહીં મુરારી બાપુ, રમેશભાઈ ઓઝા, છોટે મુરારી બાપુ, કૃષ્ણશંકર શાસ્ત્રી, ચીમનભાઈ પટેલ, દમયંતિ બરડાઇ, દિવાળીબેન ભીલ વગેરે મહાનુભાવો મુલાકાતે આવી ગયા છે.

વકીલ રમણભાઈએ અહીં એક પબ્લીક ટ્રસ્ટ ઉભુ કર્યું છે. તે આ મંદિરનો વહીવટ કરે છે. આ ટ્રસ્ટ ગરીબોને અન્ન અને કપડાંની મદદ કરે છે, વિદ્યાર્થીઓને પુસ્તકો આપે છે, અપંગને સાઈકલ આપે છે. તથા જિંદગી શાંત અને અર્થપૂર્ણ રીતે જીવવાનો દરેકને બોધ આપે છે.

આ મંદિર ખૂબ જ પવિત્ર છે, કેમ કે તે ભગવાનની ઈચ્છાથી બન્યુ છે. દુનિયાભરના લોકો અહીં દર્શને આવે છે. દર્શનાર્થીઓની સંખ્યા રોજની લગભગ ૨૦૦૦ જેટલી હોય છે. બોરસદ એક યાત્રાધામ બની ગયું છે. આણંદથી બોરસદ ૧૭ કી.મી. દૂર છે.

સૂર્યદેવ  લોકોનાં દુઃખદર્દ દૂર કરે છે. ભગવાન સૂર્યદેવ સૌને સુખી, સમૃધ્ધ રાખે અને દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના.

Suryamandir, Borsad

‘ગીતોના ગાયક’ ના જવાબ

                                                  ‘ગીતોના ગાયક’ ના જવાબ

નં

ગીત

ફિલ્મનું નામ

ગાયક

1 કભી તન્હાઈયોં મેં યુ, હમારી યાદ આયેગી હમારી યાદ આયેગી મુબારક બેગમ
2 ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં સરસ્વતી ચંદ્ર લતા – મુકેશ
3 ભીગા ભીગા મૌસમ આયા, બરસે ઘટા ઘનઘોર ભયાનક હેમલતા
4 આ જા રે, આ જા રે ઓ મેરે દિલબર આ જા નૂરી લતા – નીતીન
5 તેરે મેરે હોઠો પે, મીઠે મીઠે ગીત મીતવા ચાંદની લતા – બાબલા
6 અખિયોં કે ઝરોખોં સે, મૈને દેખા જો સાંવરે અખિયોં કે ઝરોખોં હેમલતા
7 જબ હમ જવાં હોંગે, જાને કહાં હોંગે બેતાબ લતા – શબ્બીર
8 તેરી ઝીલ સી ગહરી આંખો મેં, કુછ દેખા હમને ધુએં કી લકીર નીતીન – વાણી
9 તેરે મેરે બીચમે, કૈસા હૈ યે બંધન અનજાના એક દૂજે કે લિયે લતા – એસપી
10 તૂને પ્યાર કી બીન બજાઈ, મૈ દોડી ચાલી આઈ આઈ મિલન કી રાત અનુરાધા
11 પાલકી મેં હોકે સવાર ચલી રે, મૈ તો અપને સાજન ખલનાયક અલકા
12 ઘુંઘટકી આડસે દિલબરકા, દિદાર અધૂરા રહતા હૈ હમ હૈ રાહી પ્યારકે અલકા -શાનુ
13 પરદેશી, પરદેશી જાના નહિ, મુઝે છોડકે, મુઝે છોડકે રાજા હિન્દુસ્તાની અલકા-ઉદિત-સપના
14 ના કજરે કી ધાર, ના મોતિયોં કે હાર મોહરા સાધના-પંકજ
15 મારે હિવડે મેં નાચે મોર, તક થૈયા થૈયા હમ સાથ સાથ હૈ અલકા-હરીહરન-ઉદિત
16 મુસાફિર જાને વાલે, નહિ ફિર આને વાલે ગદર પ્રીતિ-ઉદિત
17 અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ ઝહર શ્રેયા-ઉદિત
18 કજરા રે, કજરા રે, તેરે કારે કારે નયના બન્ટી ઔર બબલી આલીશા-શંકર
19 બરસો રે મેઘા મેઘા બરસો રે ગુરુ શ્રેયા-ઉદય
20 તુઝે યાદ ન મેરી આઈ, કિસી સે અબ ક્યા કહના કુછ કુછ હોતા હૈ અલકા-ઉદિત-મનપ્રીત