આજે દુબઈમાં આવેલ “મીરેકલ ગાર્ડન” ના થોડા ફોટા મૂકું છું.
જીવનની દરેક ક્ષણને માણો
20 જુલાઈ 2014 Leave a comment
10 જુલાઈ 2014 Leave a comment
અમેરીકા ટુર – 4
ડલાસનું હનુમાન મંદિર
ડલાસ જેવા અમેરીકન શહેરમાં હનુમાનનું મંદિર હોય એવી કલ્પના કરી શકાય ? પણ એ હકીકત છે. ડલાસમાં વસતા હિંદુ લોકોએ આ મંદિર ઉભું કર્યું છે. આ મંદિર ડલાસના ફ્રીસ્કો નગરમાં ઈન્ડીપેન્ડન્સ પાર્ક વે રોડ પર આવેલું છે. તે ‘કાર્ય સિદ્ધિ હનુમાન ટેમ્પલ’ તરીકે ઓળખાય છે. ડલાસની ૬૮ લાખની વસ્તીમાં લગભગ ૧ લાખ જેટલા ભારતીયો વસે છે, એટલે દરરોજ ઘણા ભાવિક ભક્તો આ મંદિરે દર્શન કરવા આવે છે.
ડલાસમાં હનુમાન મંદિર ઉપરાંત, બીજાં મંદિરો પણ છે. એમાં એક મુખ્ય હિંદુ મંદિર છે. એમાં હિન્દુઓના લગભગ બધા જ દેવીદેવતાઓનાં મંદિર છે, એટલે એ મંદિરમાં તો બધા જ ભારતીયો દર્શને જાય છે. આ ઉપરાંત, ડલાસમાં ગણેશ મંદિર, સાંઈબાબા મંદિર, સ્વામીનારાયણ મંદિર, રામમંદિર, કાલાચંદ (ઇસ્કોન) મંદિર વગેરે મંદિરો પણ છે. આ બધાં મંદિરોએ જાવ એટલે એમ જ લાગે કે આપણે ભારતમાં જ છીએ.
અમે એક શનિવારે ‘કાર્ય સિદ્ધિ હનુમાન મંદિર’માં દર્શન કરવા ઉપડ્યા. શનિવાર એટલે હનુમાનજીનો વાર. શનિવારે તો ભક્તોની સંખ્યા ખૂબ જ વધી જાય. વળી, શનિવારે બપોરે દર્શન પૂરાં થયા પછી પ્રસાદ લેવાની (જમવાની) વ્યવસ્થા પણ હોય છે.
ડલાસના હનુમાન મંદિરની સ્થાપના પાંચ વર્ષ પહેલાં થઇ હતી. મંદિર બાંધવા માટે મંજૂરી, જમીન અને ખર્ચની વ્યવસ્થા કરવાનું કામ પરમ સ્વામીએ ઉપાડ્યું હતું. ભક્તોની ભાવના અને મદદથી આ કાર્ય સફળતાપૂર્વક પાર પડ્યું હતું, અને ૩ જુલાઈ ૨૦૦૯ના રોજ શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીએ અહી હનુમાન કલ્ચરલ સેન્ટર અને મંદિર શરુ કર્યું હતું. હાલ ૨૦૧૪ની ૩ જુલાઈએ, મંદિરની પાંચમી વર્ષગાંઠ ધામધુમથી ઉજવાઈ, ત્યારે સ્વામી સચ્ચિદાનંદ અહીં પધાર્યા હતા. સ્વામીજી અવધૂત દત્તપીઠના પંડિત છે.
હનુમાનજી પવનપુત્ર છે, તેઓ રામના પરમ ભક્ત છે, તેમનામાં અપાર શક્તિ છે, તેઓ વેદોના જાણકાર છે, તે વીરતા, ભક્તિ, પરોપકાર અને માનવતાના પ્રતિક છે. ભક્તો એમને ભક્તિભાવથી પૂજે છે.
ડલાસના હનુમાન મંદિરમાં હનુમાન ઉપરાંત, રામપરિવાર, ગણપતિ, શીવ, રાજરાજેશ્વરી માતા, દત્તાત્રેય, વેન્કટેશ્વર, સુબ્રમણ્યમ, અય્યપા અને નાગેન્દ્ર ભગવાનની મૂર્તિઓ છે. ડલાસમાં તમિલનાડુ, કેરાલા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક એટલે કે દક્ષિણ ભારતના ઘણા લોકો વસે છે, એટલે તેઓ તેમના દેવોના દર્શને પણ અહીં આવે છે.
હનુમાન મંદિરમાં દર્શનનો સમય સોમથી શુક્ર સવારના ૧૦ થી ૧ અને સાંજના ૫-૩૦ થી ૮-૩૦ નો છે. શનિ, રવિ અને રજાના દિવસોએ મંદિર આખો દિવસ સવારે ૯-૩૦ થી સાંજના ૮-૩૦ સુધી ખુલ્લું રહે છે. મંદિરમાં દરરોજ નિત્ય
પૂજા, હનુમાન ચાલીસા અને આરતી થતાં હોય છે. આરતી બપોરના ૧૨ વાગે અને સાંજે ૮ વાગે થાય છે. અહી અઠવાડિક અને માસિક પૂંજા પણ થતી હોય છે. ઘણા લોકો, પોતે નવી ગાડી ખરીદી હોય તો તેની પહેલી પૂજા આ મંદિરમાં પૂજારી પાસે કરાવે છે. મંદિર આગળ વિશાળ લોન અને પાર્કીંગની ખૂબ સરસ સુવિધા છે. દર શનિવારે પ્રસાદમાં ભાત, સંભાર (દાળ), દહીં, મેંદુવડાં વગેરે હોય છે. વ્યવસ્થા બહુ જ સારી છે.
ખાસ અગત્યની વાત એ છે કે આ મંદિરમાં ઘણી જાતના ક્લાસ ચાલે છે. જેમ કે ૩ થી ૧૨ વર્ષનાં બાળકો માટે આર્ટસના ક્લાસ છે. તેમાં બાળકોને મણકા, વોટરકલર, માટી, ચોક અને તેલનો ઉપયોગ કરી ડ્રોઈંગ, પેઈન્ટીંગ અને શિલ્પકળા શીખવાડાય છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓ પણ શીખવાડાય છે. ભજન અને સંગીતના ક્લાસ પણ છે. યોગ, ત્રિયોગ અને વિષ્ણુ સ્તોત્ર શીખવાની સગવડ પણ છે.
આ મંદિરમાં વર્ષ દરમ્યાન બધા જ તહેવારો ઉજવાય છે. જેમ કે દિવાળી, મકરસંક્રાંતિ, વસંતપંચમી, મહાશિવરાત્રી, ગુડી પડવો (યુગાડી), હોળી, રામનવમી વગેરે. એકાદશી પણ ઉજવવામાં આવે છે. એપ્રિલ માસમાં હનુમાન જયંતિ ઉજવાય છે, તે વખતે હનુમાન મંત્ર લખવાની અને હનુમાનનો ડ્રેસ પહેરવાની હરિફાઈ યોજાય છે. દિવાળી વખતે ભૂખ્યાઓને અન્નદાન અપાય છે. બાળ દત્તાનો વાર્ષિકોત્સવ બાળકો ઉજવે છે, તેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. ગુરુ દત્તાત્રેયના પ્રસંગ વખતે પ્રધાન અનાગાષ્ટમી વ્રત ઉજવાય છે.
અય્યપાના તહેવાર વખતે ખાસ અય્યપા પૂજા થાય છે. સુબ્રમણ્યમ અભિષેક પણ ઉજવાય છે. થાઈપુસમના ઉત્સવ દરમ્યાન પૂજા, દત્તાત્રેય અભિષેક અને હનુમાન ચાલીસાના પાઠ કરાય છે. અનાવરમ ઉત્સવ વખતે સત્યનારાયણ મહોત્સવ ઉજવાય છે. ત્યારે લોકો સત્યનારાયણ વ્રત રાખે છે. અહી કુચીપુડી નૃત્યનું આયોજન પણ થાય છે.
આ ઉપરાંત, ઈસુનું નવું વર્ષ અને ભારતનો પ્રજાસત્તાક દિન પણ ઉજવાય છે. બ્લડ ડોનેશન કેમ્પ પણ ગોઠવવામાં આવે છે. ૨૦૧૪ની ૨૯ માર્ચના રોજ ‘અર્થ અવર’ પણ મનાવવામાં આવ્યો હતો. એમાં ઉર્જા બચાવના હેતુથી રાતના ૧ કલાક લાઈટ બંધ રાખીને, એ સમય દરમ્યાન હનુમાન મંત્રના જાપ જપવાનો કાર્યક્રમ રાખ્યો હતો.
આ બધું જોતાં લાગે છે કે આ હનુમાન મંદિર શ્રદ્ધાળુઓનું ફક્ત એક મંદિર જ નથી, બલ્કે ઘણી બધી સામાજિક અને સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. હનુમાનજીની શક્તિ અને ભક્તિનાં જે સ્પંદનો ફેલાય છે, તે તેમના દર્શન માત્રથી આપણા હૃદયમાં પ્રવેશે છે અને આપણા મનને જાગ્રત કરે છે.
અમે અહીં દર્શન કરી ધન્યતા અનુભવી. અત્રે પધારેલા ભક્તોનો મેળો જોઈ, ભારતના જ કોઈક સ્થળે ગયા હોઈએ એવું લાગ્યું. છેલ્લે, હનુમાનજીનો પ્રસાદ આરોગી ઘેર પાછા આવ્યા.
ઓમ નમો હનુમંતે નમઃ |
06 જુલાઈ 2014 Leave a comment
અમેરીકા ટુર – ૩
યુ.એસ.એ.(અમેરીકા)નો સ્વાતંત્ર્ય દિન
આપણો ભારતનો સ્વાતંત્ર્ય દિન જેમ ૧૫ ઓગસ્ટે આવે છે, તેમ યુ.એસ.એ.નો સ્વાતંત્ર્ય દિન ૪ જુલાઈએ છે. યુ.એસ.એ.માં પણ, અહી વસીને સ્થાયી થયેલી પ્રજા પર બ્રિટન (ઇંગ્લેન્ડ)ના અંગ્રેજોએ પોતાની સત્તા ઠોકી બેસાડી હતી. અંગ્રેજોની જોહુકમી અને શોષણખોરીને લીધે, યુ.એસ.એ.ના લોકોએ સ્વતંત્ર થવાની લડત ઉપાડી અને તેમાં વિજયી થતાં, ઈ.સ. ૧૭૭૬ ની ચોથી જુલાઈએ અમેરીકા સ્વતંત્ર થયું. અહીં લોકશાહીની સ્થાપના થઇ અને ૧૭૮૯માં જ્યોર્જ વોશિંગટન પહેલા પ્રમુખ થયા. અહી દર ચાર વર્ષે પ્રમુખપદ માટેની ચૂટણી થાય છે. ચૂંટાયેલા પ્રમુખ દેશનો વહીવટ સંભાળે છે.
દર વર્ષે અહીં ૪ થી જુલાઈએ સ્વાતંત્ર્ય દિન ઉજવાય છે. આ દિવસે જાહેર રજા હોય છે. આ ઉજવણીમાં ખાસ તો દરેક શહેરમાં રાતે ભવ્ય આતશબાજી કરવામાં આવે છે. આતશબાજીને અહી Fireworks કહે છે. કોઈ કોઈ જગાએ અનુકૂળતા મૂજબ આતશબાજી, ૪ થી જુલાઈના અગાઉના અઠવાડિયામાં કરાય છે. આ આતશબાજી જોવા લગભગ આખું શહેર ઉમટી પડે છે.
ડલાસમાં આ વખતે આતશબાજી એક અઠવાડિયું વહેલી હતી. ડલાસ ઘણું મોટું શહેર છે. એટલે એક કરતાં વધુ જગાએ આતશબાજીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. કે જેથી લોકો પોતાને નજીક પડે એ જગાએ પ્રોગ્રામ જોવા જઇ શકે, અને કોઈ એક જગાએ બહુ ભીડ ના થાય.
ડલાસમાં અમારા ઘરથી લગભગ ૨ કી.મી. દૂર આવેલા સેલીબ્રેશન પાર્કમાં આતશબાજી થવાની હતી. સેલીબ્રેશન પાર્ક એ વિશાલ ખુલ્લી જગા છે. અહી બાળકોને રમવા માટે ઘણાં સાધનો છે, રમતો રમવા માટે મેદાનો અને ઘાસની લોન છે. પાણીનું તળાવ અને ફુવારા છે, ચાલવા માટે ટ્રેક છે, પીકનીક મનાવવા માટે સુંદર જગા છે. ચાલુ દિવસોએ અહીં ઘણા લોકો ફરવા આવે છે અને મોજ માણે છે.
ડલાસમાં અત્યારે ઉનાળો હોવાથી, સૂર્ય બહુ મોડો આથમે છે. લગભગ નવ વાગ્યા સુધી અજવાળું રહે છે. આતશબાજી તો અંધારું થયા પછી જ શોભે. એટલે આતશબાજીનો પ્રોગ્રામ લગભગ સાડા નવ પછી શરુ થવાનો હતો.
અમે ઘેરથી સાડા આઠે ગાડીમાં નીકળ્યા. વિરેનના બે મિત્રો ફેમિલી સાથે અહી વિરેનને ઘેર આવી ગયા હતા, એટલે અમે બધા સાથે જ નીકળ્યા. જમવાનું સાથે લઇ લીધું હતું. રસ્તામાં લોકોનો પ્રવાહ સેલીબ્રેશન પાર્ક તરફ જ વહી રહ્યો હતો. સેલીબ્રેશન પાર્ક આગળ તો પાર્કીંગની જગા મળવી શક્ય જ ન હતી. પાર્કની જેમ નજીક આવતા ગયા તેમ આજુબાજુની સોસાયટીઓના રસ્તા પણ ગાડીઓના પાર્કીંગથી ફુલ જણાતા હતા. અહીં સ્કુટર કે બાઈક તો હોતાં જ નથી. બધા જ લોકો ગાડીઓમાં ફરે. પાર્કીંગ ઘણે દૂર કરવું પડશે એમ લાગતું હતું. છતાં પણ ગાડી સેલીબ્રેશન
પાર્કની શક્ય એટલી નજીક લીધી કે જેથી ઓછું ચાલવું પડે. અમે બધા ત્યાં ઉતારી ગયા, વિરેન-હેતવી ગાડી પાર્ક કરવા ગયા. લગભગ દોઢ કી.મી. દૂર પાર્કીંગની જગા મળી.
અમે પાર્ક તરફ ચાલ્યા. પાર્કની અંદર મેદાનનો થોડો ભાગ આતશબાજી માટે કોર્ડન કરી લીધેલો હતો. બાકીના ઘાસની લોનવાળા ભાગમાં પબ્લીકે બેસવાનું હતું. અમે ત્યાં પહોંચ્યા ત્યારે આખું મેદાન લોકોથી ભરાઈ ગયું હતું. ક્યાંય ખાલી જગા ન હતી. લોકો ઘાસમાં શેતરંજીઓ પાથરીને ગોઠવાઈ ગયા હતા. ઘણા લોકો ઘેરથી ફોલ્ડીંગ ખુરસીઓ પણ લઈને આવ્યા હતા. આતશબાજી તો આકાશમાં ઉંચે જ જોવાની હોય, એટલે કોઈ ખુરસીમાં બેઠા હોય તો પણ પાછળવાળાને નડે નહિ. આપણા દેશમાં ય રાવણ દહન કે એવા કોઈ પ્રોગ્રામો થાય ત્યારે લોકોની જે મેદની જોવા મળે, એવું જ અહીં લાગતું હતું. ઉત્સવોની ઉજવણીમાં ભારત હોય કે અમેરીકા, બધે જ એકસરખો માહોલ જોવા મળે છે. હા, અહીંના લોકો તમને અમેરીકન પોષાકમાં જોવા મળે. જીન્સ, ચડ્ડો, હાફ પેન્ટ, ટી શર્ટ, બાંડિયું – એમ ભાતભાતનાં કપડાંમાં લોકો જોવા મળે. ક્યાંય ડ્રેસ કે સાડી દેખાય નહિ. અહીં રહેતા ભારતીયો પણ આવાં જ કપડાં પહેરતા થઇ ગયા છે.
સેલીબ્રેશન પાર્કની બહાર પણ રસ્તાઓની આજુબાજુ લોન કરેલી છે. અમે આવી એક લોનમાં શેતરંજીઓ પાથરીને ગોઠવાઈ ગયા. ઘેરથી બોલ લઈને આવેલા, છોકરાં બોલ રમવામાં પડ્યાં. ફેરિયાઓ રંગબેરંગી લાઈટોવાળા ફુગ્ગા વેચતા હતા. બિલકુલ ભારત જેવો જ માહોલ લાગે. પણ અહીં શિસ્ત ખૂબ જ. લોકો ઘોંઘાટ કે બૂમબરાડા ના પાડે, બાજુવાળો ડીસ્ટર્બ ના થાય તેનો ખ્યાલ રાખે, રોડ પર ઉતરીને ટ્રાફિકને ડીસ્ટર્બ ના કરે. આજે અહીં આવવા માટે સરકારે પબ્લીક બસો પણ મૂકી હતી.
અમે ભાખરી, ઇદડાં, સૂકી ભાજી, મસાલો – એવું બધું જમી લીધું. ખાઈને થર્મોકોલની ડીશો, પ્યાલા વગેરે પ્લાસ્ટીકની કોથળીમાં ભરી લીધું. કચરો ગમે ત્યાં નહિ જ નાખવાનો. બાથરૂમ જવું હોય તો પણ ખાસ ઉભાં કરેલાં ફોલ્ડીંગ બાથરૂમોમાં જ જવાનું.
લગભગ પોણા દસ વાગે આતશબાજી શરુ થઇ. આકાશમાં ઉંચે જઈને ફાટતા ફટાકડાઓથી આકાશ ભરાઈ જતું હતું, એ જોઇને લોકો આનંદ પામે, તાળીઓ પાડે અને ખુશીના પોકારો કરે. વળી, ફટાકડા પણ કેવા રંગબેરંગી, વિવિધ આકારો રચે, આકાશમાં જાતજાતની ભાત દેખાય, કોઈ ભાત મરચાંના બી જેવી લાગે, કોઈ હેલોજન લેમ્પ જેવા ચમકતા લીસોટા રચે, કોઈ જાસુદના ફુલ જેવો ઝમકદાર લાલ ઝબકારો રચે, કોઈ કોઠી કે તારામંડળનો ભાસ ઉભો કરે – આકાશમાં એટલી બધી વિવિધતા દેખાય કે એ જોઇને મન આનંદિત થઇ ઉઠે. બાળકો જેટલાં ખુશ થાય, એટલી જ ખુશી મોટાંઓને પણ થાય. લોકો આતશબાજીના ફોટા પડે, વિડીઓ ઉતારે. અમે પણ ફોટા પાડ્યા.
આતશબાજી ત્રીસથી ચાલીસ મિનિટ ચાલી. પબ્લીક ખુશ ખુશ થઇ ગઈ. લોકો પોતપોતાની ગાડીઓ તરફ જવા લાગ્યા. અમે લગભગ દોઢ કી.મી. જેટલું ચાલીને અમારી ગાડીઓ જ્યાં પાર્ક કરી હતી, ત્યાં પહોંચ્યા. અહી ગમે એટલી ગિરદી હોય તો પણ લોકો લાઈનમાં જ ગાડી ચલાવે, બાજુમાં સહેજ જગા દેખાય તો તેમાં ઘૂસી ટ્રાફિક જામ
કરી દેવા જેવી ગેરશિસ્ત કોઈ ના કરે. રોંગ સાઈડમાં કોઈ જ ના નીકળે. આમ કરવાથી બધા જ લોકો જલ્દીથી પોતાના સ્થાને પહોંચી શકે.
અમે રાત્રે બાર વાગે ઘેર પહોંચ્યા અને એક સરસ પ્રોગ્રામ જોયાનો આનંદ માણીને ઉંઘવા પડ્યા.