ચિત્રકોટ અને તીરથગઢ ધોધ

                                              ચિત્રકોટ અને તીરથગઢ ધોધ

ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટ નામે એક ખૂબ જ જાણીતું નગર છે, જ્યાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમ્યાન, ઘણો લાંબો સમય રહ્યા હતા. ચિત્રકૂટ એક ધાર્મિક સ્થળ છે. અહી ઘણાં મંદિરો આવેલાં છે. આ લેખમાં આપણે જે વાત કરવાના છીએ તે, આ ઉત્તર પ્રદેશવાળા ચિત્રકૂટની નહિ, પણ છત્તીસગઢ રાજ્યના બસ્તર જીલ્લામાં આવેલા ચિત્રકોટ ધોધની વાત છે.

છત્તીસગઢમાં જગદાલપુર નામે શહેર આવેલું છે. આ શહેરની વસ્તી ૨ લાખ જેટલી છે. ચિત્રકોટ ધોધ આ શહેરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ૪૦ કી.મી. દૂર આવેલો છે. અહીં ઇન્દ્રાવતી નદી જ આખી ધોધરૂપે પડે છે. ધોધ ૨૯ મીટર ઉંચાઈએથી પડે છે.

ઇન્દ્રાવતી નદી વિંધ્ય પર્વતમાળામાંથી નીકળે છે, અને પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તે ચિત્રકોટ આગળ ધોધરૂપે પડ્યા પછી આગળ વહીને ગોદાવરી નદીને મળે છે. અહીંની ભાષામાં ચિત્તલ એટલે હરણ. અહીં આજુબાજુ હરણની વસ્તી ખૂબ છે. ચિત્તલનું ચિત્તર થયું, પછી ધોધનું નામ પડી ગયું ચિત્રકોટ. બસ્તરના લોકો એને ચિત્રકોટ ઘુમર પણ કહે છે. ઘુમર એટલે ધોધ.

ચિત્રકોટ ધોધમાં ચોમાસામાં પાણી ખૂબ જ હોય છે. નદી બંને કાંઠે વહેતી હોય ત્યારે ધોધની પહોળાઈ ૧૫૦ મીટર જેટલી થાય છે. આ વખતે ધોધ ખૂબ જ વિશાળ, જાણે કે મોટો દરિયો ઘુઘવતો હોય એવો રૌદ્ર લાગે છે. ધોધમાં પાણીનો જથ્થો એટલો બધો હોય છે કે લોકો તેને અમેરીકાના નાયગરા ધોધ જોડે સરખાવે છે. અને તેને ‘ભારતનો નાયગરા‘ કહે છે. નાયગરાની જેમ, ચિત્રકોટ ધોધનો આકાર પણ ઘોડાની નાળ જેવો છે. ધોધ પડવાનો અવાજ એટલો મોટો થાય છે કે ધોધની નજીક ઉભા રહીને બીજા જોડે વાત કરીએ એ પણ સંભળાતી નથી. ચોમાસામાં પાણીમાં કાંપ અને માટી ઘસડાઈ આવે છે, એટલે પાણી બહુ જ ડહોળું માટી કલરનું દેખાય છે. ચોમાસામાં નદી જયારે ગાંડીતૂર બને છે, ત્યારે લોકોને ધોધની નજીક જવા દેતા નથી.

શિયાળામાં ધોધમાં પાણી ઓછું થાય છે ત્યારે તેની પહોળાઈ ઘટે છે. પાણી સફેદ દૂધ જેવું દેખાય છે. નદીના કિનારા પરથી ધોધ તથા ઉપરવાસમાંથી આવતી આખી નદી દેખાય છે. થોડાં પગથિયાં ઉતરીને નીચે આવીએ એટલે નીચવાસના કિનારે અવાય છે. અહીં બોટની વ્યવસ્થા છે. બોટવાળા બોટને ધોધની બિલકુલ સામે, સાવ નજીક સુધી લઇ જાય છે. ધોધનાં ફોરાં અને ધુમ્મસ આપણા પર ઉડે છે. પલળી જવાય છે. અહીંથી ઉપર નજર કરો તો એમ લાગે કે ઉપર આકાશમાંથી ધોધમાર પાણી પડી રહ્યું છે, અને તે બોટને ડુબાડી દેશે. જોઇને કદાચ ડર લાગી જાય. પણ આ એક અદભૂત રોમાંચ છે. આ બોટીંગ ફક્ત શિયાળામાં જ થઇ શકે. ચોમાસામાં પુષ્કળ પાણી હોય ત્યારે ના થઇ શકે. શિયાળામાં લોકો ઉપરવાસમાં નદીમાં ઉતરે છે પણ ખરા.

ધોધ જોવા આવનારા લોકો ધોધના સીનીક સૌન્દર્યને માણવા કિનારે બેસી રહે છે અને મન ધરાય ત્યાં સુધી ધોધને નિહાળ્યા કરે છે. અહીં સવારમાં જોગીંગ કરનારા, યોગ કરનારા, ધ્યાન ધરવાવાળા, ચિત્રકારો અને ફોટોગ્રાફરો આવતા હોય છે. મનની શાંતિ અને ધ્યાન ધરવા માટે આ સરસ જગા છે. રોજ ઘણા બધા પ્રવાસીઓ ધોધ જોવા આવે છે. અહીં નદી કિનારે સ્થાનિક લોકો લાકડાનાં રમકડાં, પીણાં, દૂધ, નમકીન વગેરે વેચતા નજરે પડે છે. શિયાળામાં સ્થાનિક લોકો માછલાં પણ પકડે છે.

ધોધની બધી બાજુ જંગલો છે. ધોધ આગળ પક્ષીઓના અવાજ સંભળાય છે. ધોધ પર ક્યારેક મેઘધનુષ્ય રચાય છે. પહેલી વાર આ ધોધ જોનારા લોકો આ ધોધના પ્રેમમાં પડી જાય છે. અને કોઈ લાગણીના બંધનમાં બંધાઈ જાય છે. એવું અહીંનું આકર્ષણ છે. આ એક સરસ પીકનીક સ્થળ છે.

ચોમાસામાં ધોધ જોવા માટે જુલાઈથી ઓક્ટોબર સૌથી સારો સમય છે. શિયાળામાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી અનુકૂળ સમય છે. જગદાલપુર, રાયપુરથી આશરે ૩૦૦ કી.મી. દક્ષિણમાં આવેલું છે. જગદાલપુરને રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ છે. જગદાલપુરમાં તથા ધોધ આગળ રહેવાની વ્યવસ્થા છે. જગદાલપુરથી ધોધ તરફ આવવા માટે બસ તથા ઘણાં વાહનો મળી રહે છે. છેક ધોધના કિનારા સુધી વાહનો આવી શકે છે. ધોધના કિનારે છત્તીસગઢ ટુરીઝમનું ગેસ્ટ હાઉસ છે. તેના રૂમોની બાલ્કનીમાંથી ધોધનો વ્યૂ બહુ સરસ દેખાય છે. આ ગેસ્ટ હાઉસમાં જમવાનું પણ મળી રહે છે. ગેસ્ટ હાઉસ તરફથી નદી કિનારે રાત્રે લાઈટીંગની વ્યવસ્થા છે. નદી કિનારે કેમ્પ સાઈટ છે, ત્યાં તંબૂમાં રહેવાની વ્યવસ્થા છે.

લોકો મોટે ભાગે જગદાલપુરમાં રહેવાનું રાખે છે અને ધોધની દિવસની ટ્રીપ કરીને પાછા આવી જાય છે. જગદાલપુરથી ધોધ તરફના રસ્તામાં પણ ઘણી હોટેલો અને રીસોર્ટ છે.

આ જ વિસ્તારમાં બીજો એક જાણીતો ધોધ તીરથગઢ છે. તે જગદાલપુરથી દક્ષિણ-પશ્ચિમમાં ૩૮ કી.મી. દૂર કંગાર નદી પર આવેલો છે. આ વિસ્તાર કંગાર વેલી નેશનલ પાર્ક કહેવાય છે. આ ધોધ ખડકોનાં એક પછી એક એવાં ઘણાં સ્તરો પર થઈને પડે છે. એટલે પગથિયાં પરથી ધોધ પડતો હોય એવું લાગે છે. ધોધ ૯૧ મીટરની ઉંચાઈએથી પડે છે, એટલે જાણે કે ઉંચે આકાશમાંથી પડતો હોય એવું દેખાય છે. પાણી બહુ હોય ત્યારે આ ધોધ બહુ જાજરમાન લાગે છે. ચોમાસામાં તેની પહોળાઈ ૧૬૦ મીટર જેટલી થઇ જાય છે. બાકીના સમયે તે શાંત અને સફેદ દૂધ જેવો દેખાય છે. અહીં પગથિયાં ઉતરીને છેક ધોધ સુધી જઇ શકાય છે. ધોધમાં ઉભા રહેવાય એવું છે. નાહી પણ શકાય છે.

તીરથગઢ ધોધ જગદાલપુરથી સુકમા જવાના રોડ પર દરભા ગામ આગળ આવેલો છે. દરભાથી જીપ કે રીક્ષામાં જઇ શકાય છે. આ ધોધ આગળ એક શીવમંદિર છે. એટલે અહીં ઘણા ભક્તો આવે છે.

આ ધોધની નજીક કુટુમસર અને કૈલાસ ગુફાઓ જોવા જેવી છે. કુટુમસર ગુફા જમીનથી ૩૫ મીટર ઉંડે છે અને ૧૩૭૧ મીટર લાંબી છે. ભારતની આ લાંબામાં લાંબી ગુફા છે. અંદર થોડેક સુધી જ જવાય છે. ગુફામાં દેડકા, સાપ, ચામાચીડિયાં વગેરે રહે છે અને ઓક્સીજનનું પ્રમાણ પણ ઓછું હોય છે.

જગદાલપુરની નજીક મન્દ્રા (૧૨ કી.મી.) અને ચિત્રધારા (૧૯ કી.મી.) વગેરે ધોધ પણ છે. જગદાલપુર શહેરમાં બસ્તર પેલેસ અને જૂની જાતિઓને લગતું એન્થ્રોપોલોજીકલ મ્યુઝીયમ જોવા જેવાં છે.

કહે છે કે જગદાલપુરની આસપાસ જંગલોમાં નક્સલવાદીઓ રહે છે. તેઓ ક્યારેક કોઈ ગામમાં લોકોને બાનમાં લે છે. એટલે તપાસ કરીને ત્યાં જવું જોઈએ.

છતાં, ક્યારેક તક મળે ત્યારે જગદાલપુર જજો અને ચિત્રકોટ તથા તીરથગઢ ધોધ જોતા આવજો. ચિત્રકોટ જોઇને ભારતનો મોટો ધોધ જોયાનો સંતોષ થશે.

1_Chitrakot waterfalls2_Chitrakot waterfalls3_Chitrakot waterfalls4_Chitrakot waterfalls5_Chitrakot waterfalls6_Chitrakot waterfalls7_Chitrakot waterfalls8_Chitrakot waterfalls9_Chitrakot waterfalls10_Chitrakot waterfalls map11_Tirathgarh waterfall.12_2_Bottom of Tirathgarh waterfall13_Tirathgarh waterfall.14_Tirathgarh waterfall.15_Tirathgarh waterfall.16_Tirathgarh waterfall.17_Chitradhara waterfalls

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: