મત્તુર ગામ

                                             મત્તુર ગામ, જ્યાં લોકો સંસ્કૃતમાં વાતો કરે છે.

     ભારતમાં કે દુનિયામાં એવું ગામ ક્યાંય જોયું છે કે જ્યાં લોકો રોજબરોજની વાતો સંસ્કૃત ભાષામાં કરતા હોય? આવું એક જ ગામ ભારતમાં છે, તે ગામનું નામ મત્તુર છે અને તે કર્ણાટક રાજ્યના શીમોગા શહેરની નજીક આવેલું છે. શીમોગાથી ચીકમગલુર જવાના રસ્તે, શીમોગાથી માત્ર ૫ કી.મી.ના અંતરે તે આવેલું છે. અહીં લોકો સવારે ઉઠે ત્યાંથી તે રાત્રે સૂતા સુધી જે કંઇ બોલવાનું થાય, વાતોચીતો થાય, એ બધું જ તેઓ સંસ્કૃતમાં બોલે છે. અરે, શાકભાજી વેચનારા ફેરીયા પણ શાકની બૂમો સંસ્કૃતમાં પાડે છે. લોકોને એટલું સરસ સંસ્કૃત આવડે છે. બધાને તમે સંસ્કૃતમાં વાત કરતા જુઓ ત્યારે એમ જ લાગે કે પ્રાચીન ભારતના કોઈ ગામમાં આપણે પહોંચી ગયા છીએ. અહીંના લોકોને વેદો તથા સંસ્કૃત ધર્મગ્રંથોનું જ્ઞાન પણ ઘણું છે. આ ગામના લોકો ભારતની સંસ્કૃત ભાષાને તથા પુરાણી વેદ સંસ્કૃતિને જીવાડવા પ્રયત્ન કરી રહ્યા છે.

અહીંના લોકોની મહેમાનગતિ પણ એટલી જ ઉદાત્ત ભાવનાવાળી છે. તમે આ ગામમાં મહેમાન બનીને જાઓ ત્યારે, ભલે તમે કોઈને ઓળખતા ન હો, તો પણ અહીંના લોકો તમારું ઉમળકાભેર સ્વાગત કરશે. “આવો ભાઈ, અમારે ઘેર પધારો. તમારા જેવા મહેમાન અમારે આંગણે ક્યાંથી?” એવા પ્રેમભર્યા શબ્દોથી તમને આવકારશે. આપણને જરા ય પરાયાપણું નહિ લાગવા દે. આપણને એમ જ લાગશે કે આ લોકો તો આપણા જ છે. એમની સાથે આપણો જૂનો નાતો છે. આપણે જરા ય સંકોચ રાખ્યા વગર તેમની સાથે ભળી જઈશું. કોઈ ને કોઈ ઘરની મહેમાનગતિ માણીશું. તેમની સાથે જમીન પર બેસી ભોજન કરીશું. ગામલોકો સાથે અલકમલકની વાતોમાં પરોવાઈ જઈશું. રાતે મજાની નિદ્રા માણીશું, અને ગામનાં સંભારણાં મનમાં ભરીને, ભારે હૈયે તેમની વિદાય લઈશું, ત્યારે લાગશે કે આવો પ્રેમ, આવી લાગણી અને આવાં માનવી, આપણે દુનિયામાં ક્યાંય જોયાં નથી. ચાલો, અહીં આ ગામ વિષે થોડી વિગતે વાત કરીએ.

તુંગા નદીને કિનારે વસેલું મત્તુર ગામ આશરે ૫૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે. એમાં ૧૫૦૦ જેટલા તો બ્રાહ્મણો છે. રાજા કૃષ્ણદેવરાયે આ ગામ બ્રાહ્મણોને દાનમાં આપી દીધેલું. તુંગાને સામે કિનારે હોસાઅલ્લી ગામ છે. મત્તુર અને હોસાઅલ્લી જોડિયાં ગામ કહી શકાય. હોસાઅલ્લીમાં પણ ઘણાખરા લોકો સંસ્કૃતમાં વાત કરે છે.

મત્તુર ગામના બધા લોકોને સંસ્કૃત ભાષાનું અને હિંદુ પ્રણાલિકાઓનું સારું એવું જ્ઞાન છે. સંસ્કૃત એ એમના જીવનનો એક ભાગ છે. ગામનું દરેક કુટુંબ, સંસ્કૃત અને હિંદુ સંસ્કૃતિ વિષે શીખવવામાં પ્રવૃત્ત હોય એવું અહીં જોવા મળશે. લોકો અહીં સાદું જીવન જીવે છે અને મોટા ભાગનો સમય આધ્યાત્મિક કામોમાં પસાર કરે છે.

આ ગામ ઘણે અંશે ખેતી પર નિર્ભર છે. ગામની રચના એવી છે કે એક બાજુ બધાનાં ઘરો હોય, અને બીજી બાજુ ખેતરો હોય. લોકો ખૂબ હળીમળીને અને સંપીને રહે છે.

‘વાર્તા કહેવી’ એ અહીંના લોકોની એક આગવી કલા છે. ‘વાર્તા કહેવી’ એને અહીં ‘ગામાકા’ કહે છે. બહુ જૂના જમાનાથી આ કલા લોકોમાં ઉતરી આવી છે.

સંસ્કૃત એ અહીંના લોકોની સ્થાનિક ભાષા છે. સંસ્કૃત ઉપરાંત, બધાને કન્નડ ભાષા પણ આવડે છે. અહીં બહુ જ થોડા લોકોને હિન્દી કે ઈંગ્લીશ આવડતું હશે. આપણે મત્તુર ગયા હોઈએ તો ભાષાની તકલીફ પડે ખરી. (સંસ્કૃત આવડતું તો હોય તો કોઈ જ તકલીફ નથી.) પણ આમ તો સ્વાગત અને પ્રેમની ભાષા તો બધે જ એકસરખી હોય છે. તમે અહીં જાવ તો કશી જ મુશ્કેલી વગર અહીંના લોકો સાથે હળીભળી જાવ છો. તમારે સંસ્કૃત શીખવું હોય તો અહીં સાતેક દિવસ રહેવું પડે. એટલા દિવસોમાં તો સંસ્કૃતમાં બોલવાનું ફાવી જાય છે. વેદ અને ઉપનિષદો વિષે શીખવા માટે આ સારામાં સારું કેન્દ્ર છે. દુનિયામાં ક્યાંય પણ ઓનલાઈન સંસ્કૃત શીખવું હોય તો અહીંના લોકો ૨૦ દિવસમાં શીખવાડી દે છે.

મત્તુર વિષે જાણ્યા પછી, ઘણા લોકો મત્તુર જવાની ઈચ્છા ધરાવે છે. આથી તો અહીં દર વર્ષે ઘણા બધા પ્રવાસીઓ આવે છે. અહીંના લોકો તેમનું સ્વાગત કરવા તત્પર હોય છે. તેઓ મહેમાનોને જમાડે છે, રાત્રે તેમના ઘેર રહેવાની વ્યવસ્થા પણ કરે છે. મહેમાનોને પણ એક જૂની ભારતીય પરંપરામાં ભળવાની મજા આવે છે. અહીંના લોકોએ ‘અતિથિ દેવો ભવ’ સૂત્રને ખરેખર સાર્થક કર્યું છે. મત્તુર ગામમાં ક્યાંય રેસ્ટોરન્ટ કે હોટેલ નથી.

આ ગામનું બીજું એક ખાસ આકર્ષણ અહીંનાં મંદિરો છે. અહીં રામમંદિર, શીવાલય, સોમેશ્વર મંદિર અને લક્ષ્મીકેશવ મંદિર જાણીતાં મંદિરો છે. ગામથી લગભગ ૮૦૦ મીટર દૂર આ મંદિરો આવેલાં છે. મંદિર સંકુલમાં ચોખ્ખાઈ ખૂબ જ છે. ત્યાં એક બગીચો છે. તેની બાજુમાં એક ઝરણું વહે છે. મંદિરના રસ્તે જતાં, વચ્ચે ઘણાં ઝાડ અને પક્ષીઓના માળા છે, એ ગામની સુંદરતામાં વધારો કરે છે. ગામમાં બધા હિંદુ તહેવારો ઉજવાય છે. દશેરા એ અહીંનો મહત્વનો તહેવાર છે.

મત્તુર ગામમાં એક જ સ્કુલ છે. આમ તો એને પાઠશાળા જ કહી શકાય. અહીં બાળકોને સંસ્કૃત ઉપરાંત, થોડું અંગ્રેજી પણ શીખવાડાય છે. ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો શીમોગા, મેંગલોર કે બેંગ્લોર જવું પડે છે. અહીં છોકરો સામાન્ય રીતે ૧૧ વર્ષનો થાય એટલે એને હિંદુ ધર્મગ્રંથો અને વેદો શીખવાડાય છે. છોકરીઓએ આ બધું જ્ઞાન લગ્ન પછી તેના પતિ પાસેથી મેળવવાનું હોય છે. અહીં મોટા ભાગનાં લગ્નો ગામના જ છોકરા-છોકરી સાથે થાય છે. મત્તુરમાં પુરુષોનો પહેરવેશ લુંગી અને શાલ છે. લોકો લાંબા વાળ અને ચોટલી રાખે છે. સ્ત્રીઓ સાડી પહેરે છે અને માથામાં ફૂલોની વેણી કે ગજરો નાખે છે.

મત્તુરની મુલાકાતે વર્ષમાં ગમે ત્યારે જઇ શકાય છે. પણ નવેમ્બરથી માર્ચનો સમય વધુ સારો. એ વખતે હવામાન ખુશનુમા હોય છે. શીમોગા મોટું શહેર છે. શીમોગાથી મત્તુર જવા માટે ઘણી બસો અને રીક્ષાઓ મળે છે. શીમોગામાં રહેવા માટે હોટેલો અને ખાણીપીણીનાં રેસ્ટોરન્ટ ઘણાં છે.

એક દિવસ રોકાવા માટે મત્તુર સરસ જગા છે. દુનિયાનાં પ્રેમાળ માનવીઓને મળવું હોય તો મત્તુર જરૂર જજો. કર્ણાટક બાજુ ફરવા નીકળ્યા હો તો એક દિવસ મત્તુર માટે ફાળવજો. મત્તુરમાં રાત રોકાજો અને ભારતની જૂની પરંપરાનો અનુભવ કરજો. તમને મત્તુરમાં ગમી જશે. તમે પાછા ફરશો ત્યારે ત્યાંની યાદોને લઈને આવશો.

મન થયું ને નીકળી પડ્યા !

                                     મન થયું ને નીકળી પડ્યા !

ચોમાસામાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય ત્યારે લીલીછમ ધરતી, ડુંગરા, ઝરણાં અને જંગલોની વચ્ચે ધોધરૂપે પડતી નદીઓ આપણને દૂરથી સાદ પાડીને બોલાવી રહી હોય એમ લાગે. આપણા ગુજરાતમાં આવું નૈસર્ગિક સૌંદર્ય અનેક જગ્યાએ વેરાયેલું પડ્યું છે. આ જગ્યાઓએ ભમવાની મજા તો કંઈ ઔર જ છે ! ચાલો, આવા એક યાદગાર પ્રવાસની તમને વાત કહું.

પ્રકૃતિની ખોળો ખૂંદવા માટે અમે બે દિવસનો એક કાર્યક્રમ ગોઠવી કાઢ્યો. અમારા આ કાર્યક્રમમાં સોનગઢની નજીક આવેલું ગૌમુખ, ગિરિમાલા ધોધ, શબરીધામ, પંપા સરોવર, ગિરાનો ધોધ અને ઉનાઈના ગરમ પાણીના કુંડનો સમાવેશ હતો હતો. અમે કુલ આઠ જણા ભરૂચથી એક ભીની ભીની સવારે ગાડીઓ લઈને નીકળી પડ્યા. ત્યાંથી સુરત અને વ્યારા થઈને અમે સોનગઢ પહોંચ્યા. સૂરતથી સોનગઢ 66 કિ.મી. દૂર છે. ચોમાસાની આહલાદક ઠંડકમાં અમે ચા સાથે ગરમ ગરમ ભજીયાંનો સ્વાદ માણ્યો.

અમારો ખરો પ્રવાસ સોનગઢથી શરૂ થતો હતો. જંગલોનું સૌન્દર્ય માણવાની કલ્પના મનમાં અનેરો આનંદ જગાવી રહી હતી. સોનગઢથી 14 કિ.મીનું અંતર કાપ્યા બાદ અમે સૌપ્રથમ ગૌમુખ પહોંચ્યા. ત્યાં જંગલોની મધ્યમાં, એક ગાયના મુખમાંથી પાણી નીકળે છે, જેથી આ જગ્યા ‘ગૌમુખ’ તરીકે ઓળખાય છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ તો એક ધોધ છે. ગૌમુખથી વૃક્ષોની ઘટાઓમાં પસાર થઈને 125 પગથિયાં નીચે ઊતરતાં આ ધોધ પાસે પહોંચી શકાય છે. ધોધ સુધી પહોંચવું આસાન છે એમ જાણ્યા પછી મન ઝાલ્યું રહે ખરું ? અમે સૌ સડસડાટ ધોધ સુધી પહોંચી ગયા. ધોધનું પાણી પથ્થર પર થઈને વહેતું હોવાથી સૌએ બે કલાક સુધી નહાવાનો આનંદ માણ્યો. ધોધ નીચે ઊભા રહેતાં પાણી એટલા જોરથી વરસે છે કે બરડા પર કોઈ ડંડા મારતું હોય એવો અનુભવ થાય છે ! આ રોમાંચક અનુભવને માણીને અમે પગથિયાં ચઢીને ઉપર આવ્યા. અહીં આસપાસમાં બે-ચાર દૂકાનો આવેલી છે જ્યાં ચા-નાસ્તો મળી રહે છે. એક દુકાનદારને થોડી માહિતી પૂછતાં એમણે આજુબાજુના ગામનો હાથે દોરેલો એક નકશો અમને બતાવ્યો. અમે એ ડાયરીમાં નોંધી લીધો. આગળના સ્થળોની મુલાકાત લેવા માટે આ નકશો અમને ખૂબ કામ લાગ્યો.

હવે અમારો પ્રવાસ આગળ વધ્યો. ગૌમુખથી 38 કિ.મીનું અંતર કાપીને ખપાટિયા થઈને અમે શીંગણા પહોંચ્યા. શીંગણાથી 14 કિ.મીના અંતરે ગિરિમાલાનો પ્રખ્યાત ધોધ આવેલો છે. અહીં છેલ્લા 4 કિ.મીનો રસ્તો ખૂબ ખરાબ છે જેથી ગાડી સાચવીને ચલાવવી પડે છે. રસ્તામાં આવતી નદીઓ પર ચેકડેમ બાંધેલા જોઈ શકાય છે. વરસાદની મોસમ હોવાથી બધા જ ચેકડેમો છલકાતાં જોવા મળ્યા. જંગલ વિસ્તારમાં આ દશ્ય મનોહર લાગતું હતું. એ પછી એક રેસ્ટોરન્ટ આવી, જેનું નામ હતું ‘યુ ટર્ન રેસ્ટોરન્ટ’. અફાટ જંગલની વચ્ચે આ એક માત્ર મકાન જણાતું હતું. અહીં અમે જમવાનો ઑર્ડર નોંધાવીને ગિરિમાલા ધોધ પહોંચ્યા. આ ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો ધોધ છે. તેની ઉંચાઈ 300 ફૂટ છે. (અત્રે ઉલ્લેખનીય છે કે ભારતનો સૌથી ઊંચો ધોધ જોગનો ધોધ કહેવાય છે. તેની ઉંચાઈ 2600 ફૂટની છે.) અહીં બે મોટી ધારાઓ નીચે મોટું તળાવ રચે છે અને એ પછી પાણી આગળ વહે છે. ગિરિમાલાના ધોધમાં કે ત્યાંથી આગળ વહેતા પાણીમાં ઉતરી શકાય એમ નથી. આસપાસના કિનારાઓ પર રેલિંગ બાંધેલી જોવા મળે છે. જો કે ધોધના સૌન્દર્યને નિહાળવા માટે અહીં આરામદાયક ‘પોઈન્ટ’ બનાવવામાં આવ્યા છે. કિનારેથી 109 પગથિયાં ઉતરીને ધોધ નજીકથી જોઈ શકાય છે. શહેરી વસવાટથી દૂર આ ગાઢ અંતરિયાળ જંગલમાં આ ધોધને જોઈને થાય છે કે આ કેવી નૈસર્ગિક જગ્યાએ આપણે આવી પહોંચ્યા છીએ ! શું ખરેખર આપણે ગુજરાતમાં જ છીએ ? – ધોધને મન ભરી નિહાળી અમે એ જ રસ્તે 4 કિ.મી પાછા આવી પેલી રેસ્ટોરન્ટ તરફ પરત ફર્યા. બધાને જોરદાર ભૂખ લાગી જ હતી તેથી વરસાદી મોસમમાં અમે રોટલા, ખિચડી, કઢી અને રીંગણના શાકની મહેફિલ જમાવી.

ભોજન બાદ શીંગણા ગામ સુધી પાછા ફરી, સુબિર થઈને અમે ‘શબરીધામ’ પહોંચ્યા. શીંગણાથી શબરીધામનું અંતર 8 કિ.મી. છે. અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે. ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે. કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીનાં એઠાં બોર આરોગ્યાં હતાં. મંદિરમાં શ્રીરામ, લક્ષ્મણ, શબરીની પ્રતિમા અને શીલાનાં દર્શન થાય છે. દર્શન કરતાં જ જાણે બધો થાક ઊતરી જાય છે. મંદિરના શિખરેથી આસપાસનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે. અમે પહોંચ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. તેથી શબરીધામથી ત્રણેક કિ.મી દૂર ‘શબરી રિસોર્ટ’ નામની રહેવા માટેની એક સરસ જગ્યા અમે શોધી કાઢી. જંગલની વચ્ચે માત્ર એકલો અટૂલો આ સગવડભર્યો આવાસ છે. ચા, ગરમાગરમ નાસ્તો અને જમવાની સગવડ મળી રહે છે. અમે રાત અહીં રોકાઈ ગયા. સૌ થાકેલા હતા. તેથી પરવારીને પથારીમાં પડતાં જ જાણે સવાર પડી ગઈ !

સવારે સૌ તાજામાજા હતા. બહાર વરસાદ વરસી રહ્યો હતો. રિસોર્ટની પરસાળમાં બેસીને અમે ચા-નાસ્તો લીધો. આસપાસના મનોરમ્ય ફોટોગ્રાફ્સ લીધા. મનમાં તો એમ થતું હતું કે બે દિવસ આ રિસોર્ટમાં જ રોકાઈ જઈએ પરંતુ અમારે તો હજી આગળ વધવાનું હતું. તેથી અમે ચાલ્યા પંપા સરોવર તરફ. શબરી રિસોર્ટથી 10 કિ.મી. દૂર પંપા સરોવર આવેલું છે. રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે. પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે. અહીં ચેકડેમમાંથી ઓવરફલો થતું પાણી આસપાસના પથ્થરોમાં વહીને સરોવરમાં આવે છે. પથ્થરોમાંથી વહેતા પાણીનો નાદ કાનને સાંભળવો ગમે છે. પાણીમાં સાચવીને ઊતરી શકાય એમ છે. પરંતુ ઑવરફલો થતા ડેમની નજીક જવામાં જોખમ છે. કિનારે બેસીને સ્નાનનો આનંદ માણી શકાય છે. જો કે અહીં રહેતા ગ્રામ્ય વિસ્તારના બાળકો ઊંડા પાણીમાં ભૂસકો મારીને આરામથી તરી શકે છે. તેઓ માટે આ સમાન્ય છે. એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ વધતાં વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું. અહીં એક મોટા પથ્થર પર હનુમાનજી મૂર્તિરૂપે બિરાજમાન છે.

પંપા સરોવરથી અમે ચાલ્યા આહવા તરફ. અમે ડાંગ જિલ્લામાં પ્રવેશી રહ્યા હતા. ચારે તરફ જંગલો વચ્ચે ઊંચા નીચા રસ્તાઓ અને એક તરફ ડુંગરા અને બીજી બાજુ ખીણો. એકંદરે રસ્તા સારા છે તેથી જોખમ નથી. 27 કિ.મીનું અંતર કાપીને અમે આહવા પહોંચ્યા. આહવા એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. ત્યાંથી અમે 32 કિ.મી પસાર કરીને વધઈ પહોંચ્યા. વધઈમાં બોટાનીકલ ગાર્ડન અને વાંસદા નેશનલ પાર્ક આવેલ છે. વધઈથી સાપુતારાને રસ્તે 4 કિ.મી જેટલું આગળ વધ્યા બાદ ‘ગિરા ધોધ’ તરફ જવાનો રસ્તો પડે છે. આ રસ્તે ફક્ત 2 કિ.મીના અંતરે ‘ગિરા ધોધ’ આવેલો છે. ગિરા ધોધનું દૂરથી દેખાતું દ્રશ્ય ખૂબ જ સુંદર છે. વિશાળ પટ ધરાવતી નદી ધોધરૂપે નીચે પડતી હોય ત્યારે એ કેવી સુંદર લાગે, એ તો કલ્પના જ કરવી રહી ! જ્યારે નદી આખી છલોછલ ન હોય ત્યારે આ ધોધ અલગ અલગ ઘણા નાના-મોટા ધોધમાં વહેંચાઈને પડતો હોય છે. અમે વરસતા વરસાદમાં ખડકાળ પથ્થરો વચ્ચે ચાલીને ધોધની નજીક જઈને ઊભા રહ્યા અને ધોધને ક્યાંય સુધી નિહાળ્યા કર્યો. કુદરતની અપાર લીલા જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. ઈશ્વરે માનવીને આનંદ આપવા માટે કેવી અજબગજબની રચનાઓ પૃથ્વી પર કરી છે ! પણ માનવીને આનંદ લેતાં આવડે તો ને ! પાણી ખૂબ ઊંડું હોવાથી અહીં સ્નાન કરી શકાય તેમ નથી. નદી-કિનારે ચા-નાસ્તો, મકાઈ વગેરે મળી રહે છે.

ગિરા ધોધનો આનંદ માણીને અમે પાછા ગાડીમાં ગોઠવાયા અને ચાલ્યા વાંસદા તરફ. આમ તો વધઈથી સાપુતારા માત્ર 48 કિ.મી. જ દૂર છે પરંતુ બે દિવસના અમારા ટૂંકા પ્રવાસમાં તેનો સમાવેશ કરવો શક્ય નહોતું. વાંસદા પસાર કરીને અમે ઉનાઈ પહોંચ્યા. વધઈથી ઉનાઈ કુલ 35 કિ.મી. છે. ઉનાઈમાં ગરમ પાણીના કુંડ આવેલા છે. અહીં જમીનમાંથી આવતું ગરમ પાણી એક હોજમાં ભેગું થાય છે અને એક પ્રવાહ રૂપે બહાર વહે છે. આ પ્રવાહને કિનારે બેસીને સ્નાન કરી શકાય છે પરંતુ પાણી ઘણું ગરમ હોય છે. એમ કહેવાય છે કે પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોવાથી, સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. ઉનાઈ નજીક પદમડુંગરી નામના સ્થળે સરકારી ગેસ્ટહાઉસમાં રહેવાની સુવિધા છે જો કે અમને તેની જરૂર નહોતી પડી. વધઈ પાસે કિલાડ તથા સુબિરની નજીક મહલમાં પણ રહેવાની આ પ્રકારની વ્યવસ્થા છે.

હવે અમારો પ્રવાસ સમાપ્ત થવા આવ્યો હતો. ઉનાઈથી વ્યારા થઈને અમે સીધા જ ભરૂચ પરત ફર્યા. વરસાદી ઋતુમાં નદીનાળાં, ધોધ અને જંગલો ખૂંદવાનો કાર્યક્રમ અમે મન ભરીને માણ્યો. સાથે સાથે એ પણ અનુભવ્યું કે ગુજરાતમાં આ પ્રકારના અનેક સ્થળો છે જે લોકોની જાણ બહાર છે. શહેરોથી દૂર એવાં આ નાનાં નાનાં ગામડાંમાં આવેલાં પર્યટન સ્થળો આપણા ગુજરાતને ખરા અર્થમાં સ્વર્ણિમ બનાવે છે. પ્રવાસમાં જોયેલી આ અદ્દભૂત જગ્યાઓ કાયમ યાદ રહેશે અને એ યાદો મનમાં હંમેશાં રોમાંચ જગાવતી રહેશે.

પ્રોફેસરનું લેકચર

                                                    પ્રોફેસરનું લેકચર

“શાહસાહેબ, તમે મારું આઠમી સેમેસ્ટરના ક્લાસનું શુક્રવારનું છેલ્લું લેકચર ભણાવી આવશો? હું તમારું બુધવારનું લેકચર લઇ લઈશ.”

મેં કહ્યું, “ભલે વાડિયાસાહેબ, મને કોઈ જ વાંધો નથી. મને ફાવશે.”

વાડિયાસાહેબ આગળ બોલ્યા, “શાહસાહેબ, વાત એમ છે ને કે મારું ફેમિલી મારા વતન સુરેન્દ્રનગરમાં રહે છે. એટલે હું દર શનિ-રવિ સુરેન્દ્રનગર જાઉં છું. શુક્રવારે કોલેજ પત્યા પછી હું સુરેન્દ્રનગર જવા નીકળી જાઉં છું, એટલે સાંજે જ ઘેર પહોંચી જવાય. મારા ટાઈમટેબલમાં મારે શુક્રવારનું છેલ્લું લેકચર છે. એટલે જો એ તમે લઇ લો તો હું એક કલાક વહેલો નીકળી શકું અને સુરેન્દ્રનગર વહેલો પહોંચું.”

મેં કહ્યું, “ વાડિયાસાહેબ, મને કોઈ જ વાંધો નથી. તમારું શુક્રવારનું લેકચર હું ભણાવી દઈશ.”

વાડિયાસાહેબ બોલ્યા, “શાહસાહેબ, બસ તો પછી તમે દર શુક્રવારે મારું લેકચર લઇ લેજો, અને હું દર બુધવારે તમારું લેકચર લઇ લઈશ.”

મેં કહ્યું, “સારું.”

પહેલાં તો હું આ ગોઠવણ એક અઠવાડિયા પૂરતી સમજ્યો હતો. પણ વાડિયાસાહેબે મારી સાથે આ ગોઠવણ આખી ટર્મ માટે કરી નાખી. જો કે એમાં મને કશી તકલીફ નહોતી.

ઉપરનો સંવાદ આજથી ૩૦ વર્ષ પહેલાંનો છે. એ વખતે અમે બધા પ્રોફેસરો અમદાવાદની એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં નોકરી કરતા હતા. એ જમાનામાં તો વિદ્યાર્થીઓ કોલેજમાં બહુ જ નિયમિત રીતે લેકચરોમાં હાજરી આપતા. દરેક ક્લાસમાં આશરે નેવું ટકા જેટલી હાજરી તો હોય જ. અને આખી ટર્મ સુધી નિયમિત ક્લાસ ચાલે. અમે બોર્ડ પર જે ભણાવીએ તે, વિદ્યાર્થીઓ પોતાની નોટમાં ઉતારે. તે વખતે કોમ્યુટર અને લેપટોપ નહોતાં. મોબાઈલ ફોનનું તો કોઈએ નામે ય નહોતું સાંભળ્યું. આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. વિદ્યાર્થીઓની હાજરી ખૂબ જ ઓછી હોય છે. આખી ટર્મમાં પણ તેઓ થોડાઘણા ક્લાસ ભરે. અમે ભણાવીએ તે, પોતાની નોટમાં ઉતારવાની તસ્દી પણ લેતા નથી. અરે ! નોટીસબોર્ડ પરની નોટીસનો ય મોબાઈલથી ફોટો પાડી લે. અમે તૈયાર કરેલી નોટનો ય ફોટો પાડી લે. દાખલા ય વાંચી જાય, કાગળપેન લઈને જાતે ના ગણે. તેમને હાથથી લખવાનું કશું જ નથી ગમતું. પરીક્ષામાં પેપર હાથથી લખવાનું આવે ત્યારે કેટલું વસમું લાગે?

પણ એ વાત બાજુએ રાખી, આપણે વાડિયાસાહેબની વાત આગળ ચલાવીએ. મેં એમનું શુક્રવારનું લેકચર લેવાની હા પાડી, એટલે તે ખુશ થઇ ગયા. મેં તેમનું શુક્રવારનું લેકચર લેવાનું શરુ કરી દીધું, અને તેમણે દર શુક્રવારે એક કલાક વહેલા નીકળી, સુરેન્દ્રનગર એક કલાક વહેલા પહોંચવાનું શરુ કરી દીધું.

આમ તો કોલેજમાંથી એક કલાક વહેલા નીકળી જવાની છૂટ હોય નહિ, પણ બધું ચાલ્યા કરતુ હોય છે .

એમ ને એમ બે અઠવાડિયાં પસાર થઇ ગયાં. મારું શુક્રવારે તેમનું લેકચર લેવાનું ચાલુ જ હતું. એક વાર મને વિચાર આવ્યો કે “લાવ, મારું બુધવારનું લેકચર, છોકરાઓ ભરે છે કે નહિ, તે જઈને જોઉં તો ખરો.” એટલે ત્રીજે અઠવાડિયે હું બુધવારે મારા લેકચરના ટાઈમે ક્લાસ આગળ પહોંચ્યો, એવી ધારણા સાથે કે વાડિયાસાહેબ ક્લાસમાં ભણાવતા જ હશે. ક્લાસ આગળ જઈને જોયું તો ક્લાસમાં કોઈ નહોતું. છોકરાઓ ય નહોતા, અને વાડિયા સાહેબ પણ નહિ. મને થયું કે આમ કેમ હશે? બેચાર છોકરા આજુબાજુ ફરતા હતા. હું તેમને ઓળખી ગયો. તેઓ મારા ક્લાસના જ હતા. મેં તેમને ઉભા રાખ્યા, અને એક જણને પૂછ્યું, “કેમ મહેશ, અત્યારે તમે બધા, ક્લાસમાં ભણવા આવ્યા નથી? ક્યાં ગયા બધા?”

મહેશ બોલ્યો, “સર, તમારું અત્યારનું લેકચર તો ફ્રી હોય છે ને? તમે દર બુધવારે લેકચર લેવા આવતા નથી ને, એટલે.”

મેં કહ્યું, “એવું કેમ બને? મારું બુધવારનું લેકચર લેવા, મારે બદલે વાડિયાસાહેબ આવે છે ને?”

મહેશ બોલ્યો, “ના સર, વાડિયાસાહેબ આ લેકચર લેવા નથી આવતા.”

મેં કહ્યું, “કેમ, વાડિયાસાહેબે તમને કહ્યું નથી કે તમારા ક્લાસમાં એમનું શુક્રવારનું લેકચર હું લઈશ, અને મારું બુધવારનું લેકચર એ લેશે?”

મહેશ બોલ્યો, “ના સર, એમણે એવું નથી કહ્યું.”

મેં પૂછ્યું, “તો એમણે શું કહ્યું હતું?”

મહેશ, “એમણે તો એટલું જ કહ્યું હતું કે શુક્રવારનું એમનું લેકચર શાહસાહેબ લેશે.”

ઓહ ! હું તો આશ્ચર્યચકિત થઇ ગયો. મને અત્યારે જ ખબર પડી કે તેઓ મારું બુધવારનું લેકચર લેવા નથી જતા. એટલું જ નહિ, તેમણે છોકરાઓને આવું કહ્યું પણ નથી. એટલે છોકરાઓ પર તો એવી જ છાપ પડે કે “શાહસાહેબ બુધવારનું લેકચર લેવા આવતા નથી.” છોકરાઓ ડીપાર્ટમેન્ટના હેડને આ બાબતની ફરિયાદ કરવા પણ જઇ શકે. એવું થાય તો હેડ આગળ એવી છાપ પડે કે “શાહસાહેબ બુધવારે પોતાનું લેકચર લેવા જતા નથી.”

એક બાજુ મેં વાડિયાસાહેબને સગવડ કરી આપી, અને તો ય હેડ આગળ મારી જ છાપ બગડે. ભલે એવું કંઇ થયું નહિ. પણ વાડિયાસાહેબની મને સાચી ‘ઓળખ’ પડી.

પછી મેં એક વાર વાડિયાસાહેબને આ વાત કરી પણ ખરી. તો તેમનો જવાબ હતો કે “બુધવારે છોકરાઓ જ આવતા નથી. કદાચ તમારું એ લેકચર ભરવાનું તેમને નહિ ગમતું હોય.”

બુધવારે છોકરાઓ જો ખરેખર નહોતા આવતા, તો વાડિયાસાહેબ મને આ વાત જણાવી શક્યા હોત. અને એ જ છોકરાઓ શુક્રવારે છેલ્લું લેકચર ભરવા તો આવતા હતા, જે હું ભણાવતો હતો. એટલે છોકરાઓને મારું લેકચર નથી ગમતું, એવું તો કેવી રીતે બને?”

પણ વાડિયાસાહેબ આગળ આ બધી દલીલો કરવાનો કોઈ અર્થ ન હતો. તેઓ તેમનું કામ બીજાને સોંપી, કામમાંથી છટકવાના રસ્તા શોધવામાં પાવરધા હતા. પછી તો મને ખબર પડી કે વાડિયાસાહેબ બીજાં કામોમાંથી પણ છટકબારીઓ શોધી લેતા હતા.

અમે બધા ક્લબમાં જયારે ચા પીવા એકઠા થતા ત્યારે આ વાડિયાસાહેબ ઘણી વાર મન અને ભગવાન વિષેની આધ્યાત્મિક વાતો કરતા, જેમ કે “માણસનું મન જ માણસ પાસે સારાંનરસાં કામ કરાવે છે. જો મનને વશ કરી લઈએ અને સારાં કામ કરીએ તો જીવનનું કલ્યાણ થઇ જાય, જીવનમાં સુખ અને આનંદ છવાઈ જાય” વગેરે વગેરે. આવું સાંભળીને અમને લાગતું કે વાડિયાસાહેબ મહાન છે વિદ્વાન છે, જીવનની ફિલોસોફી તેમણે પચાવી જાણી છે. પણ પછી લાગ્યું કે વાડિયાસાહેબનો આ એક ‘શો’ જ છે, દેખાવ જ છે, પોતે કામ કરવું નથી, એ બાબતને ઢાંકવા માટેની આ એક ચેષ્ટા જ છે.

એલ.ડી. એન્જીનીયરીંગ એ સરકારી કોલેજ છે. કોલેજમાં આવા પ્રોફેસરો હોઈ શકે છે. પણ….. કૃષ્ણ ભગવાને ઉદબોધેલી ‘ગીતા’ તો દુનિયાનો સૌથી ઉત્તમ ગ્રંથ છે. કર્મ કોઈને છોડતું નથી.

એક મહિના પહેલાં જ હું એક કોલેજમાં એક મિત્રને મળવા ગયેલો. મને વાડિયાસાહેબ અચાનક ત્યાં મળી ગયા. અમે બંને એકબીજાને ઓળખી ગયા. તેઓ વૃદ્ધ થઇ ગયા હતા, શરીર ખખડી ગયું હતું, માંડ ચાલી શકતા હતા. મેં કહ્યું, “ અરે સાહેબ, તમે અહીં ક્યાંથી? તમારી તબિયત કેમ છે? કેટલાં બધાં વર્ષ પછી તમને જોયા. શું ચાલે છે?”

મેં તો પ્રશ્નોની ઝડી વરસાવી નાખી. નિરાશવદને તેઓ બોલ્યા, “જુઓ ને, મારા છોકરાનો છોકરો ઋત્વિક અહીં આ કોલેજમાં ભણે છે. પણ અહીં કોઈ ભણાવતું જ નથી લાગતું. જો કોઈ સાહેબ ટ્યુશન કરતા હોય તો મારે ઋત્વિકનું ટ્યુશન રખાવવું છે. મારા દિકરાને ટાઈમ નથી, એટલે હું અહીં આ કામે આવ્યો છું.”

મને મનમાં થયું કે “સાહેબ, તમે પણ તમારા જમાનામાં કેટલું ભણાવતા હતા?” હું મનમાં ગણવા બેઠો કે આ સાહેબે, કામ નહિ કરીને જેટલા રૂપિયા મફત પગાર ખાધો હશે એટલા રૂપિયા, કદાચ એથી યે વધુ રૂપિયા તેઓ ટ્યુશન પાછળ ખર્ચી નાખશે. આ તો એક ભૌતિક બાબત થઇ, પણ બીજી અનેક બાબતો –મનની શાંતિ, સુખ, આરોગ્ય, કામ કર્યાંનો સંતોષ- આ બધામાં પણ કર્મનો સિધ્ધાંત લાગુ પડતો હશે ને? ‘વાડિયાસાહેબો’ આ બધું સમજે તો દુનિયા કેટલી સુખી થઇ જાય !

સાપુતારા, અજંતા-ઈલોરાના પ્રવાસે – ૩

સાપુતારા, અજંતા-ઈલોરાના પ્રવાસે – ૩

પાંચમા દિવસે સવારે અમે શનિદેવથી નીકળ્યા ઔરંગાબાદ જવા. શનિદેવથી ઔરંગાબાદનું અંતર ૮૦ કિ.મી. છે. ઔરંગાબાદ જોવાનું બાકી રાખી અમે અહીંથી દોલતાબાદ અને ઈલોરા થઈને ઘ્રુષ્ણેશ્વર પહોંચ્યા. ઔરંગાબાદ, દોલતાબાદ, ઈલોરા અને ઘ્રુષ્ણેશ્વર એક જ રૂટ પર છે. આ રસ્તો આગળ ધૂળિયા થઈને સૂરત જાય છે. ઔરંગાબાદથી દોલતાબાદ ૧૩ કી.મી., ત્યાંથી ઈલોરા ૧૧ કી.મી.અને ત્યાંથી ઘ્રુષ્ણેશ્વર માત્ર ૧ કી.મી. દૂર છે.અમારે આ બધાં સ્થળ જોવાનાં હતાં.

ઘ્રુષ્ણેશ્વર એ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. અમે ત્ર્યંબકેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લીંગોનાં દર્શન કરી આવ્યા. અમારા આ પ્રવાસમાં આ ત્રીજું જ્યોતિર્લીંગ હતું. એક સાથે ત્રણ જ્યોતિર્લીંગ જવા મળે એ અમારું અહોભાગ્ય !

ઘ્રુષ્ણેશ્વરને ઘ્રુષ્મેશ્વર પણ કહે છે. તે વેલુર નામના ગામમાં આવેલું છે. આ જ્યોતિર્લીંગ અંગેની કથા એવી છે કે “જૂના જમાનામાં ઘુશ્મા નામની એક સ્ત્રી રોજ શીવલીંગ બનાવીને શીવજીની પૂજા કરતી. તેના પતિની પહેલી પત્ની સુદેહાને તેની ઇર્ષ્યા આવતી. ઇર્ષ્યામાં તેણે ઘુશ્માના દિકરાને મારી નાખ્યો. ઘુશ્માએ તો શીવની આરાધના ચાલુ રાખી. શીવજીની કૃપાથી તેનો પુત્ર જીવતો થયો. શીવજી તેની અને ગામલોકોની સમક્ષ સદેહે પ્રગટ થયા. ઘુશ્માની વિનંતિથી શીવજી અહીં જ જ્યોતિર્લીંગ તરીકે નિવાસ કરવા લાગ્યા.” આ જગા એ જ ઘ્રુષ્ણેશ્વર જ્યોતિર્લીંગ. રાજા કૃષ્ણદેવરાયે ૧૦મી સદીમાં આ મંદિર બંધાવ્યું હતું.

અહીં દર્શન કરીને બહુ જ આનંદ થયો. અમે સાક્ષાત શીવ ભગવાનની સામે જ ઉભા હોઈએ એવો ભાવ મનમાં પેદા થયો. અહીંનું વાતાવરણ બહુ જ પવિત્ર હતું.

અહીં દર્શન કરી, અમે ૧ કી.મી. પાછા આવી ઈલોરાની ગુફાઓ જોવા ગયા. આ ગુફાઓ ભારત તથા વિદેશોમાં પણ પ્રખ્યાત છે. અહીં કુલ ૩૪ ગુફાઓ છે. આ ગુફાઓ એક લાઈનમાં અને ક્રમમાં જ છે. એમાં ૧ થી ૧૨ નંબરની ગુફાઓ બૌદ્ધ ધર્મની, ૧૩ થી ૨૯ નંબરની હિંદુ ધર્મની અને ૩૦ થી ૩૪ નંબરની જૈન ધર્મની છે. આ ગુફાઓ છઠ્ઠીથી તેરમી સદી દરમ્યાન બની હોવાનું કહેવાય છે. દરેક ગુફા પોતાના ધર્મની વિશેષતાથી ભરપૂર છે. દરેક ગુફામાં ટેકરીઓના પત્થરના ખડકોમાં કોતરકામ કરીને અદભૂત સ્થાપત્ય ઉભું કર્યું છે.

બુદ્ધ ગુફાઓમાં ૧૦ નંબરની ગુફા અગત્યની છે. એની છત લાકડાનાં બીમ ગોઠવ્યાં હોય એવી દેખાય છે. ગુફામાં ૧૫ ફૂટ ઉંચું બુદ્ધનું પૂતળું બેઠેલી અને ઉપદેશ આપતી મુદ્રામાં છે. અજંતાની ૨૬ નંબરની ગુફા જેવી અહીં રચના છે.

હિંદુ ગુફાઓમાં ગુફા નં. ૧૬ અગત્યની છે. તે કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે. અહીં જાણે કે શીવજીનું નિવાસસ્થાન ઉભું કર્યું છે. એક જ ખડકમાંથી ગુફા કોતરેલી છે. બે માળનું પ્રવેશદ્વાર, U આકારનો સભામંડપ, તેની બંને બાજુ ૩ માળની ગેલેરીઓ, દરેકમાં કોતરકામ અને દેવદેવીઓનાં શિલ્પ, વચ્ચે ૧૬ થાંભલા પર ઉભેલું ૩૦ મીટર ઉચું શીવમંદિર, મંદિરમાં લીંગ, નંદી, બે ધ્વજસ્તંભ, રાવણ કૈલાસ પર્વત ઉંચકતો હોય એવું શિલ્પ – આ બધું જોઇને એમ લાગે છે કે જાણે શીવના ધામમાં આવી ગયા છીએ. અહી સભામંડપમાં બેસી રહેવાનું ગમે છે.

૧૯ નંબરની ગુફામાં નૃત્ય કરતા શીવ (નટરાજ) તથા શીવપાર્વતીના લગ્નનું સ્થાપત્ય છે. ગુફા નં. ૩૨માં બે માળની ઇન્દ્રસભા છે. ઈલોરાની ગુફાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેલ છે.

ઈલોરાની ગુફાઓ ચાલીને જોવી હોય તો ચાલવાનું બહુ જ થાય. જૈન ગુફાઓ તો દૂર અલગ જગાએ છે. અમે રીક્ષાઓ કરી લીધી. રીક્ષાવાળો ચાર જગાએ ફેરવે છે. દરેક જગાએ ઉતરીને આજુબાજુની ગુફાઓ જોઈ લેવાની. વળી, ગુફામાં ચડવાનું-ઉતરવાનું પણ થાય. થાકી જવાય. આમ છતાં, ગુફાઓ જોવાની મજા આવે છે. પત્થરોમાં આટલું સુંદર કોતરકામ જોઇને છક થઇ જવાય છે. ગુફાઓ આગળ બગીચો બનાવ્યો છે. અહીંનો માહોલ બહુ જ સરસ છે.

આજે રવિવાર હતો. અજંતાની ગુફાઓમાં સોમવારે રજા હોય છે. એટલે અમે અજંતા પણ આજે જ જોવાનું નક્કી કર્યું, અને દોલતાબાદ-ઔરંગાબાદ જોવાનું કાલે સોમવાર પર રાખ્યું.

ઈલોરાથી અમે નીકળ્યા અજંતા તરફ. અજંતા અહીંથી ૧૧૦ કી.મી. દૂર છે. અજંતાની ગુફાઓ પણ જગપ્રસિદ્ધ છે. અહીં ગાડી પાર્કીંગમાં મૂક્યા પછી, દુકાનો વચ્ચે થઈને દસેક મિનીટ ચાલવાનું છે. પછી બસમાં બેસી ત્રણેક કી.મી. જવાનું, એટલે અજંતાનું પ્રવેશદ્વાર આવે. અમે ટીકીટ લઈને અંદર પેઠા.

અહીં કુલ ૩૧ ગુફાઓ છે. તે વાધુર નદીના કિનારે યુ આકારની ભેખડોમાં કોતરેલી છે. આ ગુફાઓ ઈ.સ. ૨૦૦ થી ૬૫૦ના અરસામાં બનેલી છે. એક બ્રિટીશ ઓફિસરે ૧૮૧૯માં આ ગુફાઓ શોધી હતી. અહીં પહેલાં તો પચાસેક પગથિયાં ચડવાનાં છે. પછી ગુફાઓ શરુ થાય. અહી ભેખડોના પત્થરોમાં ગુફાઓ કોતરી તેમાં બુદ્ધ ભગવાનની મૂર્તિઓ, મંદિરો, બુદ્ધના જીવનપ્રસંગો તથા અન્ય સ્થાપત્યો કંડાર્યાં છે. થોડી ગુફાઓમાં દિવાલો અને છત પર રંગીન ચિત્રો દોરેલાં છે. આ ચિત્રો બહુમૂલ્ય ગણાય છે. ગુફા નં. ૯, ૧૦, ૧૯ અને ૨૬નાં સ્થાપત્યો જોવા જેવાં છે. ગુફાઓમાં બૌદ્ધ ધર્મની ઉત્તમ કલા પ્રદર્શિત થઇ છે. અજંતા પણ યુનેસ્કોની સાઈટમાં છે.

અહીંથી આજુબાજુનું દ્રશ્ય બહુ જ સરસ દેખાય છે. ચોમાસામાં પાણી હોય ત્યારે અહીં નદીમાં ધોધ પડતો દેખાય છે. ગુફાઓ જોયા પછી નદીના કિનારે થઈને પાછા અવાય છે.

ઈલોરા અને અજંતાની ગુફાઓ જોઈ મનમાં ભારતનો ભવ્ય ઈતિહાસ તાજો થયો. આ ગુફાઓ કોતરવામાં કેટલી મહેનત પડી હશે, એની તો કલ્પના જ કરવી રહી. અમે અજંતાથી ઔરંગાબાદ પાછા આવી, એક મિત્રના આગ્રહને વશ થઇ રાત્રે તેમને ત્યાં જ રોકાયા.

બીજા દિવસે નાહીધોઈને અમે નીકળી પડ્યા. પહેલાં તો અમે દ્વારકાધીશની હવેલીમાં દર્શન કર્યાં. પ્રવાસનો આ છઠ્ઠો અને છેલ્લો દિવસ હતો. આજે ઔરંગાબાદ અને દોલતાબાદ જોઈ વડોદરા પરત ફરવાનું હતું.

ઔરંગાબાદનું નામ ઔરંગઝેબના નામ પરથી પડ્યું છે. ઔરંગાબાદ એક ટુરિસ્ટ સેન્ટર છે. અહીં રહેવા માટે ઘણી હોટેલો છે. આ શહેરમાં ઘણાં ઐતિહાસિક સ્મારકો આવેલાં છે. અમદાવાદના દરવાજાઓની જેમ અહીં શહેરમાં કુલ ૫૨ દરવાજા છે. આથી તો ઔરંગાબાદને ‘દરવાજાઓનું શહેર’ કહે છે. શહેરમાં લટાર મારવા નીકળો તો આ વાતની ખબર પડી જાય છે.

ઔરંગાબાદમાં ખાસ જોવાલાયક જગા ‘બીબી કા મકબરા’ છે. આ મકબરો, ઔરંગઝેબના દિકરા આઝમશાહે, તેની મમ્મી રૂબિયા ઉદ દુરાનીની યાદમાં ૧૬૬૦માં બંધાવ્યો હતો. એ આગ્રાના તાજમહાલની કોપી જેવો છે. એને ‘ડેક્કનનો મીની તાજ’ પણ કહે છે. દૂરથી તે ખૂબ ભવ્ય લાગે છે. પ્રવેશદ્વાર ઘણું જ સરસ છે. પછી પાણીનો નાનો કુંડ, ફુવારા અને ફુવારાની બંને બાજુ ચાલવાના વિશાળ રસ્તા છે. આ રસ્તે ચાલીને મકબરા આગળ પહોંચાય છે. અહીં ખૂબ ઉંચા પ્લેટફોર્મ પર મકબરો બાંધેલો છે. અંદર કબર છે. ચાર ખૂણે મિનારા છે. અહીં બે ઘડી ઉભા રહીને આજુબાજુનાં દ્રશ્યો જોવાનું ગમે એવું છે,

બીજી જોવા જેવી જગા બાબાશાહ મુસાફિરની દરગાહ આગળ આવેલી પનચક્કી છે. તેમાં ૮ કી.મી. દૂરના પર્વત પરથી પાણી આવે છે. એનાથી પનચક્કીનાં પાંખિયાં ફરે છે. આથી એની સાથે જોડેલી લોટ દળવાની ઘંટી ચાલે છે. વગર વીજળીએ ચાલતી આ ઘંટી એ ઉર્જાબચતનું અનોખું ઉદાહરણ છે.

નૌખંડા મહેલ પણ જોવા જેવો છે. તે મલિક અકબર નામના સુલતાને, મોગલો સામેની જીતની યાદમાં ૧૬૧૬માં બંધાવેલો. ઔરંગાબાદમાં આ ઉપરાંત, સુનહરા મહેલ, સલીમ અલી તળાવ, પક્ષી અભ્યારણ્ય, બુદ્ધ ગુફાઓ વગેરે જોવા જેવાં છે.

અમે ‘બીબી ક મકબરા’ જોઈએ ખુશ થઇ ગયા. અહીંથી અમે દોલતાબાદ ઉપડ્યા.

દોલતાબાદ એટલે આબાદીનું શહેર. તેનું મૂળ નામ દેવગીરી હતું. દિલ્હીનો સુલતાન મહમદ બીન તઘલખ ૧૩૨૭માં રાજધાની દિલ્હીથી બદલીને અહીં લઇ આવ્યો. તેણે દેવગીરી નામ બદલીને દોલતાબાદ કરી નાખ્યું. બે વર્ષ અહીં રહ્યા બાદ, પાણીની તકલીફને લીધે, રાજધાની પાછી દિલ્હી લઇ ગયો. આથી તો ‘દિલ્હીથી દોલતાબાદ’ અને ‘તઘલખી તુક્કા’ જેવી કહેવતો પડી છે.

અહીં ટેકરી પર ૧૨મી સદીમાં બનેલો કિલ્લો જોવા જેવો છે. તેની બાંધણી સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. સારા કિલ્લામાં તેની ગણતરી થાય છે. કિલ્લો ખામ નદીને કિનારે છે. સંરક્ષણના હેતુથી, ૨૦૦ મીટર ઉંચી શંકુ આકારની આ ટેકરીની ધારો કાપીને સીધી કરી દીધેલી છે. કિલ્લા પર જવા ફક્ત એક સાંકડો બ્રીજ છે. પછી ખડકોમાં કોતરેલી ચડતા ઢાળવાળી લાંબી ગેલેરી છે. ગેલેરીના અડધે રસ્તે, સાઈડમાં પગથિયાંવાળો ભાગ છે, જ્યાં યુદ્ધ સમયે મશાલો સળગેલી રહેતી. વચ્ચે વચ્ચે ક્યાંક ગુફાના દ્વાર જેવું દેખાય છે, પણ એ તો દુશ્મનને ગૂંચવવા માટે જ. કિલ્લો ખૂબ મજબૂત છે. આ કિલ્લામાં ખાનગીમાં છટકવાના ઘણા રસ્તા છે. કિલ્લાની બહારની દિવાલ ૪.૪૩ કી.મી. લાંબી છે.

કિલ્લાની અંદર ભારતમાતા મંદિર, જામી મસ્જીદ, ચાંદ મિનાર, હાથી તળાવ, ચીની મહલ, જૂના જમાનાની તોપ વગેરે સ્મારકો છે. ચાંદ મિનાર એ ૬૪ મીટર ઉંચો ટાવર છે. પાયા આગળ તેનો ઘેરાવો ૨૧ મીટર છે. તે અલ્લાઉદીન બહમનીએ ૧૪૪૫માં કિલ્લો જીતવાના માનમાં બંધાવ્યો હતો. આ મિનાર અને કિલ્લો ઘણે દૂરથી દેખાય છે.

દોલતાબાદની બાજુમાં જ ખુલદાબાદ છે. અહીં ઘણા સુફી સંત રહેતા હતા. અહીં ઔરંગઝેબનો મકબરો છે.

અમે કિલ્લો જોઈ બહાર આવ્યા. અમારે જોવાનાં બધાં સ્થળો પૂરાં થયાં હતાં. એટલે આ જ રસ્તે ઈલોરા, ઘ્રુષ્ણેશ્વર થઈને ધૂળિયા તરફ આગળ વધ્યા. ધૂળિયાથી નવાપુર, બારડોલી અને સુરત થઈને વડોદરા પહોંચ્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. દોલતાબાદથી ધૂળિયા ૧૩૦ કી.મી., ધૂળિયાથી કડોદરા ૨૨૦ કી.મી. અને કડોદરાથી વડોદરા ૧૩૫ કી.મી. દૂર છે. કડોદરા એટલે સુરત નજીકનું હાઈવે પરનું ગામ.

પ્રવાસ બહુ જ સરસ રહ્યો. છ જ દિવસમાં આટલાં બધાં સ્થળો જોયાં, એટલે પ્રોગ્રામ બહુ જ પેક રહ્યો. બહારગામ જઇ હોટેલોમાં પડી રહી આરામ ફરમાવીએ, એવું ના થયું. પણ એકંદરે તો ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના દર્શને મજા કરાવી દીધી. કોઈ જ તકલીફ વગર પ્રવાસ હેમખેમ પૂરો થયો તે શીવજી, મહાપ્રભુજી, બુદ્ધ, મહાવીર, રામ ભગવાન, ગણેશજી, સાંઇબાબા, શનિદેવ અને સપ્તશૃંગી માતાની કૃપાને લીધે જ.

સાપુતારા, અજંતા, ઈલોરાના પ્રવાસે – ૨

સાપુતારા, અજંતા, ઈલોરાના પ્રવાસે – ૨

ત્રીજે દિવસે સવારથી નાસિકમાં ફરવા નીકળી પડ્યા. નાસિક એ પવિત્ર યાત્રાધામ છે. ગોદાવરી નદી શહેરની વચ્ચેથી જ પસાર થાય છે. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમ્યાન અહીં પંચવટી વિસ્તારમાં પર્ણકુટી બાંધીને રહેતાં હતાં. રાવણ અહીંથી જ સીતાજીનું હરણ કરી ગયો હતો. લક્ષ્મણે શૂર્પણખાનું નાક નાસિકમાં કાપ્યું હતું. એટલે તો આ સ્થળ નાસિક કહેવાયું.

અમે પહેલાં તપોવન ગયા. અહી ગોદાવરીને કિનારે રામની પર્ણકુટી જોઈ. કિનારે સીતાકુંડ છે. સીતાજી ત્યાં સ્નાન કરતાં. બાજુમાં લક્ષ્મણ મંદિર છે. ત્યાં લક્ષ્મણ શૂર્પણખાનું નાક કાપતા હોય એવી મોટી મૂર્તિ છે. અહીંથી અમે કાલારામ મંદિરે ગયા. જૂના જમાનાનું આ મંદિર જોવા જેવું છે. તેની નજીકમાં સીતા ગુફા છે.

અહીંથી રામકુંડ જોવા ગયા. રામકુંડ એ ગોદાવરી નદીના કિનારે આવેલી ખૂબ જ જાણીતી જગા છે. અહીં લોકો નદીમાં સ્નાન કરે છે, નદીમાં ફૂલ વગેરે પધરાવે છે તથા કિનારે બેસીને પૂજા કરે છે. અહીં મૃત વ્યક્તિનાં અસ્થિ પધરાવવાની પ્રથા છે. ગાંધીજી, નેહરુ અને ઈન્દિરાજીનાં અસ્થિ અહીં પધરાવેલાં. અહીં બહુ જ લોકો એકઠા થાય છે, એટલે માનવમેળો ભરાયો હોય એવું લાગે છે. અહીંનું દ્રશ્ય, હરદ્વારની ગંગા કિનારે આવેલી ‘હર કી પૌડી’ જેવું લાગે છે. ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અહીં જોવા મળે છે. નાસિકનો અર્ધકુંભમેળો પણ આ જગાએ જ ભરાય છે. અમે રામકુંડમાં ગોદાવરીનું જળ માથે ચડાવી પાછા વળ્યા. નજીકમાં જ ગાંધી સ્મારક છે.

રામકુંડની પાસે જ મહાપ્રભુજીની બેઠક આવેલી છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાં, પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રીમહાપ્રભુજીએ દેશાટન કરી અમુક સ્થળોએ કથાઓ કરી લોકોને સન્માર્ગે વાળ્યા હતા. આ સ્થળો મહાપ્રભુજીની બેઠકો કહેવાય છે. ભારતમાં તેમની ૮૪ બેઠકો છે. અમે બેઠકમાં મુખ્યાજીને મળીને ઝારીજી ભરવાની વિધિ કરી. પછી બેઠકજીનાં દર્શન કર્યાં. બાજુના દ્વારકાધીશ મંદિરમાં પણ દર્શન કર્યાં. પછી પ્રસાદ લઈને, મહાપ્રભુજીને મનોમન વંદન કરીને બહાર આવ્યા.

પંચવટી વિસ્તારમાં, લક્ષ્મણે દોરેલી લક્ષ્મણરેખા છે, એવું વાંચ્યું હતું, પણ તે જગા મળી નહિ. અહીંથી અમે મુક્તિધામ જોવા ગયા. પંચવટીથી તે સાતેક કી.મી. દૂર છે. મુક્તિધામ એ સફેદ આરસનું બનેલું સુંદર બાંધકામ છે. અહીં બધા જ ભગવાનની મૂર્તિઓ છે, તથા ૧૨ જ્યોતિર્લીંગો પણ છે. દિવાલો પર ગીતાના ૧૮ અધ્યાયના શ્લોકો લખેલા છે. જોવાની ગમે એવી આ જગા છે.

નાસિકમાં આ ઉપરાંત, સોમેશ્વર મંદિર, પાંડવલેની ગુફા, શ્રીદત્ત મંદિર, ગણેશ મંદિર વગેરે જોવા જઇ શકાય. નાસિક નજીક દેવલાલીમાં સિક્કા બનાવવાની સરકારી ટંકશાળ છે. અમારે નાસિક જોવાનું પૂરું થયું હતું. એટલે અમે હવે ગાડી લીધી શિરડી તરફ. નાસિકથી શિરડી ૮૭ કી.મી. દૂર છે.

શિરડીમાં પેઠા પછી, રોડની બંને બાજુએ હોટેલો જ જોવા મળી. શિરડી એ સાંઇબાબાની કર્મભૂમિ છે. સાંઇબાબાએ અહીં ઘણા ચમત્કારો દેખાડેલા તથા લોકોની બહુ જ સેવા કરી હતી.તેમના ભક્તોની ઈચ્છાઓ તેમણે પૂરી કરી હતી. આજે દેશવિદેશમાં તેમના લાખો ભક્તો છે. આ ભક્તો અને ટુરિસ્ટોથી શિરડી હંમેશાં ઉભરાતું રહે છે. સાંઇબાબાના મંદિરમાં દર્શન માટે લાઈનો લાગેલી જ રહે છે.

અમે એક હોટેલમાં રૂમ રાખી લીધી અને સાંઇબાબાના મંદિરે દર્શન કરવા નીકળ્યા. ફેમિલી લાઈનમાં જઈને ઉભા રહ્યા. ત્રણ કલાકે નંબર લાગ્યો. સાંઇબાબાની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન કર્યાં. સાંઇના ચહેરા પર કરુણા અને સેવાના ભાવો જોઈ મનમાં તૃપ્તિ થઇ. લોકોમાં સાંઇ પ્રત્યેની આસ્થાનું ઘોડાપૂર નિહાળ્યું. સાંઇ મંદિરને સમાધિ મંદિર કહે છે. બાજુમાં ગુરુસ્થાન, ચાવડી અને દ્વારકામાઈ છે. આ બધે દર્શન કરી, રૂમ પર આવી, પથારીમાં લંબાવ્યું. થાક તો લાગ્યો જ હતો.

ચોથે દિવસે સવારે શિરડીથી નીકળ્યા. આજે ભીમાશંકર જ્યોતિર્લીંગ અને શીંગણાપુરમાં શનિદેવનાં દર્શનનો પ્લાન હતો. શિરડીથી ભીમાશંકર ૧૮૩ કી.મી. દૂર છે. અમે લોની થઈને સંગમનેર પહોંચ્યા. શિરડીથી સંગમનેરનું અંતર ૫૦ કી.મી. છે. અહીંથી પૂનાના રસ્તે ચડ્યા. આડેફાટા અને નારણગાંવ થઈને મંચર પહોંચ્યા. સંગમનેરથી મંચર ૭૩ કી.મી. દૂર છે. મંચરથી સાઈડમાં ફાંટો પડે છે. એ રસ્તે ૬૦ કી.મી. ગયા પછી ભીમાશંકર આવે. છેલ્લા ૩૩ કી.મી. તો ટેકરીઓમાં થઈને ચડાણવાળા રસ્તે જવાનું છે. ઉપર ચડતાં ચડતાં આજુબાજુનાં દ્રશ્યો જોવાની મજા આવે છે. એક જગાએ નદીમાં બંધ બાંધેલો દેખાય છે. એની પાછળ ભરાયેલું પાણીનું સરોવર, અહીં ઉંચાઈ પરથી જોતાં કેવું ભવ્ય લાગે ! ચડાણવાળો રસ્તો તો લગભગ નિર્જન હતો. મનમાં એમ થાય કે આ જગાએ તો બહુ ઓછા લોકો દર્શને આવતા હશે. અમે ભીમાશંકરની નજીક પહોંચ્યા ત્યારે એક રીસોર્ટ દેખાયો, પછી જાણે કે ગુફામાં પ્રવેશવાનું હોય એવી ઘનઘોર ઝાડી આવી, અને ભીમાશંકર માટેના પાર્કીંગમાં પહોંચ્યા ત્યારે તો અ હો હો હો ! ત્યાં એટલાં બધાં વાહનો પાર્ક થયેલાં હતાં કે અમને પાર્કીંગની જગા માંડ મળી. એટલા બધા લોકો અહીં દર્શને આવેલા હતા. અહીં પહોંચીને ખબર પડી કે અહીંથી ૨૫૦ પગથિયાં ઉતરીને ખીણમાં જવાનું છે, ત્યાં ભીમાશંકર જ્યોતિર્લીંગનું મંદિર છે. ચાનાસ્તાની થોડી દુકાનો વટાવ્યા બાદ, ઉતરવાનાં પગથિયાં શરુ થયાં. બપોર હતી, પણ પગથિયાં પર છાપરું બાંધેલું છે, એટલે ગરમી ના લાગી. પગથિયાં પર પણ દુકાનો લાગેલી છે. નીચે  પહોંચ્યા. અહીં વિશાળ ખુલ્લી જગામાં ભીમાશંકર જ્યોતિર્લીંગનું મંદિર છે.

ભીમાશંકર ડાકિની ક્ષેત્રમાં છે. આ મંદિર ૧૩મી સદીમાં બનેલું છે. સભામંડપ અને શિખર ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવેલા. મંદિરના આંગણામાં નંદી અને શનિમહારાજનું જુદું મંદિર છે. તેમાં જે ઘંટ છે તેના પર ઈ.સ. ૧૭૨૯ની સાલ કોતરેલી છે. આ ઘંટ, બાજીરાવ પેશ્વાના ભાઈ ચીમાજી અપ્પાએ આપેલો. ચીમાજીએ પોર્ટુગીઝો સામે જીતીને આ ઘંટ મેળવેલો.

મંદિરનો સભામંડપ મોટો છે. એમાં સ્થાનિક પુરોહિતો પૂજાઅભિષેક કરાવવા અને નોંધણી કરવા બેસે છે. અહીં જ્યોતિર્લીંગ પર બિલીપત્રની સાથે ગલગોટા અર્પણ કરવાની પ્રથા છે. ભીમાશંકર મંદિરની આજુબાજુ ૩ દિશામાં રામમંદિર, દત્તમંદિર અને વિઠ્ઠલમંદિર આવેલાં છે. દત્તમંદિર પરથી ભીમાશંકરના કળશ અને શિખરનાં દર્શન થઇ શકે છે. મંદિરમાં દર્શનનો સમય સવારના સાડા ચારથી સાંજના સાડા નવ સુધીનો છે. વચ્ચે અડધો કલાક સાડા અગિયારથી બાર મંદિર બંધ રહે છે.

અહીંથી ભીમા નદી નીકળે છે, અને રાયચુર ખાતે કૃષ્ણા નદીને મળે છે. નદીના મૂળ આગળ સર્વ તીર્થ અને કુશારણ્ય તીર્થ છે. નજીકમાં પાર્વતીજી મંદિર છે. તેમણે શીવને ત્રિપુરાસુર સામે લડવામાં મદદ કરેલી. શિવજીને લડાઈ દરમ્યાન જે પરસેવો થયો તેમાંથી ભીમા નદી બની.

આ વિસ્તાર જંગલ અભયારણ્ય જેવો છે. અહીં ઝાડ અને ફૂલ ઘણાં છે. ભીમા નદીનો અવાજ મધુર અને કર્ણપ્રિય છે. ટ્રેકીંગ કરનારા માટે આ સરસ જગા છે. શિવરાત્રિએ અહીં મેળો ભરાય છે. અહીં ધર્મશાળા અને હોટેલો છે. પ્રવાસીઓને આ સ્થળ ગમી જાય એવું છે.

બાર જ્યોતિર્લીંગોમાંનાં દરેક ત્યાં બિરાજતા શીવજીના નામથી ઓળખાય છે. દરેક જગાએ લીંગ હોય છે. લીંગ એ આદિ અને અંત વગરનો પ્રકાશનો પુંજ (થાંભલો) છે, જે શીવના અનંત સ્વરૂપને રજૂ કરે છે. જ્યોતિર્લીંગ વિષેની એક કથાની વાત કરીએ. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે ચડસાચડસી થઇ. કોણ મહાન ? શીવજીએ તેમની પરીક્ષા કરવા, તેમને એક અનંત પ્રકાશની જ્યોતનો છેડો ક્યાં છે, તે શોધવા કહ્યું. બ્રહ્મા અને વિષ્ણુ બંને છેડે ફરી વળ્યા, પણ જ્યોતનો છેડો મળ્યો નહિ. બ્રહ્મા જૂઠું બોલ્યા, ‘મેં છેડો શોધી કાઢ્યો છે.’ વિષ્ણુએ હાર સ્વીકારી લીધી. શીવ દિવ્યજ્યોત તરીકે હાજર થયા અને બ્રહ્માને શાપ આપ્યો કે ‘તમને પૃથ્વી પર કોઈ નહિ પૂજે, વિષ્ણુને બધા પૂજશે.’ આમ, પૃથ્વી પર બ્રહ્માનાં મંદિરો નથી, પણ વિષ્ણુનાં મંદિરો બધે છે. શીવ જ્યોત તરીકે જ્યાં પ્રગટ થયા ત્યાં બધે જ્યોતિર્લીંગો છે.

અમે મંદિરમાં જઇ લીંગનાં દર્શન કર્યાં. શીવજીને જોઈ મન ભાવવિભોર થઇ ગયું. દર્શન કરી, પરસાળમાં થોડું બેઠા. પછી પગથિયાં ચડી ઉપર આવ્યા, અને એ જ માર્ગે ગાડી મંચર તરફ દોડાવી. મંચર આગળ ગાડીને પંચર પડ્યું. એક નટ પણ ખરાબ થઇ ગયો. પણ શીવકૃપાથી બધું રીપેર થઇ ગયું.

હવે જવાનું હતું શીંગણાપુર શનિદેવના ધામમાં. ધાર્યા કરતાં લગભગ બે કલાક જેટલું મોડું થઇ ગયું હતું. અમે મંચરથી આડેફાટા અને અહમદનગર થઈને શનિદેવ પહોંચ્યા ત્યારે રાતના સાડા દસ વાગ્યા હતા. વચમાં થોડી જગાએ રસ્તો પણ ખરાબ હતો. ભીમાશંકરથી શનિદેવનું અંતર આશરે ૨૩૦ કી.મી. જેટલું થયું.

અહીં પણ શનિદેવની કૃપા. શનિદેવનું મંદિર ચોવીસે કલાક ખુલ્લું રહે છે. એટલે રાત્રે સાડા દસે પણ દર્શન થયાં. વળી, અત્યારે કોઈ જ ભીડ ન હતી. દિવસ હોત તો દર્શનની લાઈન ખૂબ જ લાંબી હોત. શનિદેવનું મંદિર ખુલ્લામાં જ હોય છે. અહીં એક ચબૂતરા પર શનિદેવની કાળા પત્થરની બનેલી મૂર્તિ છે. મૂર્તિ પર બોટલમાંથી આપોઆપ તેલનો અભિષેક થાય છે. અમને રાત્રે રહેવા માટે હોટેલ પણ મળી ગઈ., ઠીક હતી.

શનિદેવના આ ગામનું નામ શીંગણાપુર છે. આ ગામની ખૂબી એ છે કે ગામમાં કોઈ ઘરનાં બારણાં બંધ કરતુ નથી. કિમતી ચીજોને પણ કોઈ તાળાચાવીમાં મૂકતું નથી. છતાં અહીં ચોરી થતી નથી. લોકો માને છે કે અહીં ભગવાન શનિદેવ ખૂબ જ શક્તિશાળી છે. ચોરી કરનારને તે સખત શિક્ષા કરે છે. અમારી હોટલના બારણાને પણ સ્ટોપર ન હતી.

શિરડીથી રાહોરી થઈને શનિદેવ સીધા જ જવાય છે. આ અંતર ૭૨ કી.મી. જેટલું છે.