ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ

                                              ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ

ભારતમાં શીવ ભગવાનનાં(શંકર ભગવાનનાં) ૧૨ જ્યોતિર્લીંગ આવેલાં છે. શીવભક્તો જીવનમાં એક વાર તો આ બધાં જ્યોતિર્લીંગનાં દર્શન કરવાની અદમ્ય ઈચ્છા ધરાવતા હોય છે. બારેબાર જ્યોતિર્લીંગો ભારતમાં ખૂબ જ જાણીતાં છે. ટુરિઝમની દ્રષ્ટિએ પણ આ જ્યોતિર્લીંગો મહત્વનાં છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ આ બારમાંનું એક છે. તે મધ્ય પ્રદેશના ખંડવા જીલ્લાના ઓમકારેશ્વર ગામ આગળ નર્મદા નદીના કિનારે આવેલું છે. લીંગ એટલે દિવ્ય પ્રકાશનો અનંત પુંજ. શીવ ભગવાન જ્યાં જ્યાં આ પુંજ તરીકે પ્રગટ થયા, ત્યાં બધે જ્યોતિર્લીંગો બન્યાં. આ બધે ખાસ આકારના લીંગની પૂજા કરવામાં આવે છે.

નર્મદા નદી માટે કહેવાય છે કે આ નદીમાં ‘કંકર એટલા શંકર. એટલે કે આ નદીમાં જેટલા કાંકરા છે, એ બધા શંકર ભગવાનનું સ્વરૂપ છે. આવી પવિત્ર નદીને કિનારે આવેલું જ્યોતિર્લીંગ, સ્વયં શંકર ભગવાનના નિવાસ સ્થાન જેવું લાગે.

નર્મદા નદી અમરકંટક આગળથી નીકળે છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. તે જબલપુર, ઓમકારેશ્વર, શુક્લતીર્થ, ભરૂચ વગેરે ગામો આગળથી વહે છેલ્લે અરબી સમુદ્રને મળે છે. ઓમકારેશ્વર આગળ નર્મદાના બે ફાંટા પડે છે. ચારેક કિલોમીટર પછી આ બે ફાંટા ભેગા થઇ, સળંગ એક જ નદી આગળ વહે છે. જ્યાં બે ફાંટા પડે છે, ત્યાં નદી વચ્ચે ટાપુ રચાય છે. આ ટાપુ માંધાતા કે શીવપુરી તરીકે ઓળખાય છે. આ ટાપુ પર નર્મદાના એક ફાંટાને કિનારે ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ આવેલું છે.

માંધાતા ટાપુ લગભગ ૪ કી.મી. લાંબો અને ૨ કી.મી. પહોળો છે. ઉપરથી જોતાં એનો આકાર સંસ્કૃત શબ્દ ‘ઓમ’ જેવો દેખાય છે. એટલે આ જ્યોતિર્લીંગનું નામ ઓમકારેશ્વર પડ્યું છે. આ ટાપુની જમીન ઉંચી ટેકરી જેવી છે, એટલે ઓમકારેશ્વર જ્યોતિર્લીંગનું આ મંદિર ઉંચાઈ પર છે.

રાજા માંધાતાએ અહીં શંકર ભગવાનનું પ્રખર તપ કર્યું હતું. આથી શીવજી પ્રસન્ન થયા અને લીંગરૂપે અહીં પ્રગટ થયા હતા. એમના નામ પરથી આ ટાપુ માંધાતા ટાપુ કહેવાય છે. આ જગાએ અગત્સ્ય ઋષિએ પણ તપ કર્યું હતું. આ લીંગ પર અહીં મંદિર ક્યારે બન્યું, તેની બહુ આધારભૂત માહિતી મળતી નથી. પણ શરૂઆતમાં નાનું મંદિર બન્યું હતું, પછી ધીમે ધીમે સુધારાવધારા થઈને તે આજનું સ્વરૂપ પામ્યું છે. તેના સ્થાપત્યમાં ઉત્તર ભારતનાં મંદિરોની છાંટ દેખાઈ આવે છે.

આ મંદિર પાંચ માળનું છે. તેની ઉપરનો ઘુમ્મટ પત્થરોના એક ઉપર એક સ્લેબ ગોઠવીને બનાવેલો છે.  બહારથી સફેદ રંગનો આ ઘુમ્મટ ઘણે દૂરથી દેખાય છે. એને જોઇને જ આ મંદિર તરફ દોડી આવવાનું મન થઇ જાય છે.

મંદિરની અંદર નીચેના પહેલા માળ પર ઓમકારેશ્વર જ્યોતિર્લીંગ બિરાજમાન છે. મંદિરમાં દાખલ થયા પછી વિશાળ સભામંડપ છે. એને પ્રાર્થના હોલ પણ કહે છે. અંદરના ગર્ભગૃહમાં જ્યોતિર્લીંગ છે. સભામંડપ અને લીંગ એક જ લેવલે છે. સભામંડપમાં ઉભા રહીને લીંગનાં દર્શન કરી શકાય છે. સભામંડપમાં ૪ મીટર ઉંચા, ૬૦ જેટલા પત્થરના જાડા થાંભલા છે. થાંભલા પર ધાર્મિક પ્રસંગો દર્શાવતી અદભૂત કોતરણી પ્રવાસીઓનું તરત જ ધ્યાન ખેંચે છે. ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરીને અહીં દર્શને આવે છે. સાથે નર્મદાના જળ ભરેલો લોટો, શ્રીફળ અને પૂજાપો લઈને આવે છે. નદીથી તે છેક ઉપર મંદિર સુધી રસ્તામાં અને મંદિરની અંદર ‘ઓમ નમઃ શીવાય’નો નાદ સંભળાય છે. ભક્તો શીવજીનાં ભજનો ગાય છે, પૂજા કરે છે અને લીંગનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં વાતાવરણ એટલું ભક્તિમય હોય છે કે અહીં આવતો દરેક પ્રવાસી આ ભક્તિમાં તરબોળ થઇ જાય છે. અને અહીંના માહોલની ઝલક, સંભારણારૂપે પોતાની સાથે લઇ જાય છે. મંદિર હંમેશાં યાત્રિકોથી ભરચક રહે છે. લોકો દર્શન કર્યા પછી મંદિરની પ્રદક્ષિણા કરે છે, આ પ્રદક્ષિણાથી ઓમ પર્વતની પરિક્રમા કર્યાનું પુણ્ય મળે છે.

મંદિરમાં રોજ ૩ પૂજા નિયમિત થાય છે. સવારની પૂજા મંદિરના ટ્રસ્ટવાળા કરે છે. બપોરની પૂજા સિંધીયા સ્ટેટના પૂજારીઓ કરે છે, અને સાંજની પૂજા હોળકર સ્ટેટના પૂજારીઓ કરે છે. સાંજે શયન આરતી થાય છે.

મંદિરના બીજા માળે મહાકાલેશ્વર મંદિર છે. ત્રીજા, ચોથા અને પાંચમા માળે અનુક્રમે સિદ્ધનાથ, ગુપ્તેશ્વર અને ધ્વજેશ્વર મંદિરો છે. ઓમકારેશ્વર મંદિર આગળ દર કાર્તિકી પૂનમે મેળો ભરાય છે.

ટાપુ પરના ઓમકારેશ્વર મંદિર જવા માટે, ઓમકારેશ્વર ગામમાંથી નર્મદા નદી ઓળંગીને જવાનું હોય છે. આ માટે બોટમાં બેસીને જઇ શકાય છે. એ ઉપરાંત, બે પુલ પણ બનાવેલા છે. એક ઝૂલતો પુલ છે, એના પરથી ચાલીને સામે જઇ શકાય છે. બીજો પુલ સિમેન્ટ કોન્ક્રીટનો છે. એના પરથી વાહનો પણ જઇ શકે છે.

ટાપુ પર મંદિરની આસપાસ શ્રીફળ, પૂજાપો, ફુલો, બીલીપત્રો વગેરે મળે છે. ખાણીપીણીની પણ ઘણી દુકાનો છે. ટાપુ પર બીજાં થોડાં મકાનો પણ છે. બોટમાંથી ઉતરીએ ત્યાં ઘાટ બાંધેલા છે. જૂના ઘાટો સુધારીને નવા કરાયા છે. ઘાટનાં પગથિયાં અને બીજું થોડું ચડાણ ચડીને જ્યોતિર્લીંગ મંદિરે પહોંચાય છે. આજુબાજુની દુકાનોથી આખો વિસ્તાર ખીચોખીચ લાગે છે. એ બધું વ્યવસ્થિત કરીને રસ્તો સરસ બનાવાય તો યાત્રિકોને વધુ સગવડ રહે.

આ બાજુ ઓમકારેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. ગામ નાનું છે, પણ બધી સગવડ મળી રહે છે. રતલામ-ખંડવા રેલ્વે લાઈન ઓમકારેશ્વર આગળથી પસાર થાય છે. અહી ઓમકારેશ્વર રોડ નામનું રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશનથી ઓમકારેશ્વર ગામ ૧૨ કી.મી. દૂર છે. ઓમકારેશ્વર, ઇન્દોરથી ૭૭ કી.મી., મોરટાકાથી ૨૦ કી.મી., ખંડવાથી ૬૧ કી.મી. અને ઉજ્જૈનથી ૧૩૩ કી.મી. દૂર છે. આ બધેથી ઓમકારેશ્વર જવાની બસો મળે છે. ઇન્દોરથી ખંડવા જતી બસ મોરટાકા થઈને જ જાય છે. ઓમકારેશ્વરથી નજીકનું એરપોર્ટ ઇન્દોરમાં છે. ગાયક કિશોરકુમાર ખંડવાના વતની હતા. ખંડવામાં તેમનું મેમોરીયલ છે.

ઓમકારેશ્વર ગામ આગળ કાવેરી અને નર્મદાનો ગુપ્ત સંગમ થતો હોવાનું કહેવાય છે. ઓમકારેશ્વરના આ કિનારે મામલેશ્વર જ્યોતિર્લીંગનું મંદિર છે. નર્મદા નદી પર ઓમકારેશ્વરથી ઉપરવાસમાં થોડે દૂર એક બંધ બાંધેલો છે. મંદિર આગળથી પણ એ બંધ દેખાય છે. આ બંધનું પાણી સિંચાઈ અને વીજળી પેદા કરવામાં વપરાય છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લીંગનાં દર્શને ઘણા રાજામહારાજાઓ અને ગવર્નરો આવેલા છે. અંગ્રેજોના જમાનામાં લોર્ડ કર્ઝન આ મંદિરની મુલાકાતે આવ્યા હતા. અહીંનાં જૂનાં સ્મારકોનું રક્ષણ કરવાની તેમણે ખાત્રી આપી હતી. લોર્ડ રીડીંગ પણ અહીં દર્શન કરવા આવ્યા હતા. તેઓ પિત્તળનો મોટો લેમ્પ ભેટમાં આપી ગયા હતા. ઓમકારેશ્વર મંદિરનું ૧૯૫૯થી પબ્લીક ટ્રસ્ટ બન્યું છે.

ઓમકારેશ્વરથી આશરે ૭૦ કી.મી. દૂર માહેશ્વર નામનું સ્થળ નર્મદાને કિનારે જ આવેલું છે. આ જગાએ ઘણાં મંદિરો છે. હોળકર રાજ વખતનો મહેલ અને કિલ્લો પણ છે. ‘અશોકા’ તથા બીજી ઘણી ફિલ્મોનાં શુટીંગ અહીં થયેલાં છે.

નર્મદા નદી ભારતની અતિ પવિત્ર નદી છે. આ નદી પર કપિલધારા ધોધ, દૂધધારા ધોધ, ધુઆંધાર ધોધ, સરદાર સરોવર ડેમ, કબીરવડ જેવી બહુ જ જાણીતી જગાઓ આવેલી છે. ઓમકારેશ્વરનું ધાર્મિક અને ટુરિસ્ટ સ્થળ  તરીકે ઘણું મહત્વ છે. ક્યારેક આ જગાએ જઇ શીવનો સાક્ષાત્કાર કરજો જ.

 

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

2_Omkareshwar

3_Bridge to island

4_Floating bridhe and dam

5_Omkareshwar ling

6_Carvings on walls and pillars

નેપોલિયન, એક બહાદુર યોદ્ધો

નેપોલિયન, એક બહાદુર યોદ્ધો

નેપોલિયન બોનાપાર્ટનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. આશરે 200 વર્ષ પહેલાં ફ્રાન્સમાં થઇ ગયેલો નેપોલિયન એક વીર યોદ્ધો હતો, મહાન નેતા હતો. તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. તેની વિચાર શક્તિ અને શારીરિક તાકાત અદભૂત હતી. બસો વર્ષ પહેલાં જયારે આપખુદ રાજાઓ અને જમીનદારો સત્તાસ્થાને બિરાજતા હતા, તે જમાનામાં નેપોલિયને રાજા તરીકે જમીનદારી નાબૂદ કરી, સામાન્ય જનતાને તેમના હકો આપ્યા, જનતા માટે શિક્ષણ પ્રથા શરુ કરી, પ્રજા પરનાં બંધનો દૂર કર્યાં. તેણે સ્થાપેલો સીવીલ કોડ આજે પણ હજુ યુરોપમાં ઘણી જગાએ ઉપયોગમાં લેવાય છે. તેણે શરુ કરેલી યુદ્ધ પદ્ધતિઓ આજે લશ્કરી સ્કુલોમાં શીખવાડાય છે. તે એક પ્રજાવત્સલ રાજા હતો. તે નેપોલિયન-1 તરીકે ઓળખાતો હતો.

નેપોલિયનનો જન્મ ફ્રાન્સના કોર્સીકા ટાપુના અજેક્સીઓ ગામમાં 15 ઓગસ્ટ, 1769 ના રોજ થયો હતો. આ ટાપુ ઇટાલીની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રમાં આવેલો છે. તેના જન્મનું ઘર આજે મ્યુઝીયમ બની ગયું છે.

તેણે ફ્રાન્સમાં લશ્કરી તાલીમ લીધી. 1789માં તે ફ્રેંચ લશ્કરમાં તોપખાનાનો ઓફિસર બન્યો. આ વર્ષથી જ ફ્રેંચ ક્રાંતિ શરુ થઇ. 26 વર્ષની ઉંમરે તે ફ્રેંચ લશ્કરમાં જનરલ તરીકે નિમાયો. પછી તેણે ઇટાલી સામે મોરચો માંડ્યો, ત્યારે તે આખા યુરોપમાં જાણીતો થઇ ગયો. 1798માં તે ઈજીપ્ત સામે હુમલો લઇ ગયો, અને ઓટોમન સામે જીત્યો. 1802માં તેણે બ્રિટન સાથે યુદ્ધ નહિ કરવાના કરાર કર્યા. 1804માં તે ફ્રાન્સનો સમ્રાટ બન્યો. બ્રિટન સાથે મતભેદો તો ચાલતા જ હતા.

નેપોલિયને 1805માં ઓસ્ટ્રીયા અને રશિયા સામે યુદ્ધમાં વિજય મેળવ્યો. જો કે તે બ્રિટન સામે ટ્રફાલ્ગર યુદ્ધમાં હાર્યો. 1807માં તેણેરશિયાને ફ્રીડલેન્ડ યુદ્ધમાં હરાવ્યું. 1808માં તેણે લાયબેરીયા પર હુમલો કર્યો, અને તેના ભાઈ જોસેફ બોનાપાર્ટને સ્પેનનો રાજા બનાવ્યો.

બ્રિટન, સ્પેન અને પોર્ટુગલે ભેગા થઇ, તેની સામે છ વર્ષ સુધી ગેરીલા યુદ્ધ જારી રાખ્યું અને એપ્રિલ 1814માં નેપોલિયનને હરાવ્યો. આમ 1804થી 1814, એમ 10 વર્ષ સુધી તે ફ્રાન્સનો સમ્રાટ રહ્યો. તેના કાર્યકાળ દરમ્યાન તેણે ઘણાં પ્રજાલક્ષી કામ કર્યાં. તેણે બેન્કીંગ, શિક્ષણ, વિજ્ઞાન અને કલા ક્ષેત્રે ઘણા સુધારા કર્યા. તોલમાપની મેટ્રીક પદ્ધતિ પણ તેના વખતમાં શરુ થઇ. જો કે તેનો ઘણો વખત યુધ્ધોમાં ગયો.

1814માં હાર્યા પછી, તેને ઇટાલીના એલ્બા ટાપુ પર મોકલી દેવાયો. ત્યાંથી તે છટકીને ફેબ્રુઆરી 1815માં ફ્રાન્સ પાછો આવ્યો, વળી, ત્રણેક મહિના સત્તા તેના હાથમાં રહી. પણ જૂન 1815માં તે વોટરલુના યુદ્ધમાં હાર્યો. અંગ્રેજોએ તેને પકડ્યો અને સેંટ હેલિના ટાપુ પર લોંગવુડમાં જેલમાં પૂરી દીધો. આ નાનકડો ટાપુ દક્ષિણ આફ્રિકાની પશ્ચિમે 1950 કી.મી. દૂર આટલાંટિક મહાસાગરમાં આવેલો છે. અહીં તે નજરકેદ રહ્યો અને 1821ની 5 મી મેએ, 52 વર્ષની ઉંમરે તે અહીં જ મરણ પામ્યો. એક બહાદુર વીરલો કાયમ માટે પોઢી ગયો.

નેપોલિયન ફ્રાન્સના લોકોને બહુ જ ચાહતો હતો. તે ઈચ્છતો હતો કે તેને મૃત્યુ પછી, ફ્રાન્સમાં જ સીન નદીને કિનારે દફનાવવામાં આવે. છેવટે છેક 1840માં તેના અવશેષો સેંટ હેલિનાથી ફ્રાન્સ લાવવામાં આવ્યા, અને પેરીસમાં લેસ ઇન્વાલીડીસ ખાતે રખાયા. આ પ્રસંગે ત્યાં દસ લાખ જેટલા લોકો હાજર હતા.

નેપોલિયન રોમન કેથોલિક ધર્મ પાળતો હતો. તે 1796માં જોસેફાઇન ડી બોહારનીસ નામની 32 વર્ષની વિધવાને પરણ્યો હતો. જોસેફાઇન તેનાથી 6 વર્ષ મોટી હતી. તેનાથી તેને બાળકો ના થયાં. આથી જોસેફાઇનને ડાયવોર્સ આપી, તે 1810 માં મેરી લુઇસને પરણ્યો. તેનાથી તેને પુત્ર જન્મ્યો, તે નેપોલિયન-2 ના નામે ઓળખાયો.

નેપોલિયનના સમય દરમ્યાન, અમેરીકાનું લુઇઝીયાના ફ્રાન્સના તાબામાં હતું. નેપોલિયને આ રાજ્ય અમેરીકાને વેચી દીધું, અને સારા એવા પૈસા મેળવ્યા.

તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. તે તેની નીચે કામ કરતા યોધ્ધાઓ પર સારું વર્ચસ્વ ધરાવતો હતો. તે દરેકને પ્રેમથી નામ દઈને બોલાવતો અને દેશદાઝ માટે પાનો ચડાવતો.

તેના મૃત્યુ પછી, કેટલા યે રસ્તાઓ, ઓફિસો, જાહેર મકાનો, દુકાનો વગેરેને તેનું નામ અપાયું છે. તમને યાદ હશે કે પત્તાંની એક રમતનું નામ પણ નેપોલિયન છે. નેપોલિયન વિષે ઘણાં પુસ્તકો અને લેખો લખાયા છે. તેના જીવનની ઘટનાઓ પર ફિલ્મો બની છે. તેણે અવારનવાર ઘણાં સોનેરી સુવાક્યો ઉચ્ચાર્યાં હતાં. તેમાંનાં થોડાંક અહીં મૂકું છું.

(1) Impossible is the word to be found only in the dictionary of fools.

(2) Never interrupt your enemy when he is making a mistake.

(3) Victory belongs to the most persevering.

આવો, આપણે આવી એક મહાન વિભૂતિને બિરદાવીએ અને તેમના જીવનમાંથી કંઇક શીખીએ.

1_Napoleon

2_The_Emperor_Napoleon

3_Napoleon_Tomb at Les Invalides

                                                             કઈ ઉજવણી ક્યારે?

અનુ. નં. ઉજવણી ક્યારે?
1 દશાબ્દિ જયંતિ દસ વર્ષે
2 સિલ્વર જ્યુબિલી (રજત જયંતિ) પચીસ વર્ષે
3 પર્લ જ્યુબિલી (મોતી જયંતિ) ત્રીસ વર્ષે
4 રૂબી જ્યુબિલી (માણેક જયંતિ) ચાલીસ વર્ષે
5 ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ) પચાસ વર્ષે
6 ડાયમંડ જ્યુબિલી (હીરક જયંતિ) સાઠ વર્ષે
7 પ્લેટીનમ જ્યુબિલી (પ્લેટીનમ જયંતિ) સિત્તેર વર્ષે
8 અમૃત મહોત્સવ પંચોતેર વર્ષે
9 રેડીયમ જ્યુબિલી (રેડીયમ મહોત્સવ) એંશી વર્ષે
10 યુરેનિયમ જ્યુબિલી (યુરેનિયમ મહોત્સવ) નેવું વર્ષે
11 સેન્ટેનરી જ્યુબિલી (શતાબ્દિ મહોત્સવ) સો વર્ષે
     

ભારતના રાષ્ટ્રપતિઓ

               ભારતના રાષ્ટ્રપતિઓ

     નામ                               ક્યાંથી               ક્યાં સુધી

રાજેન્દ્રપ્રસાદ                    26 – 1 – 50         12 – 5 – 62

રાધાક્રીશ્નન                      13 – 5 – 62         13 – 5 – 67

ઝાકીર હુસેન                    13 – 5 – 67          3 – 5 – 69

વી. વી. ગીરી                    3 – 5 – 69         20 – 7 – 69

મોહમદ હિદાયતુલ્લા        20 – 7 – 69         24 – 8 – 69

વી. વી. ગીરી                  24 – 8 – 69        24 – 8 – 74

ફખરુદ્દીન અલીઅહમદ     24 – 8 – 74         11 – 2 – 77

બી.ડી. જત્તી                    11 – 2 – 77         25 – 7 – 77

સંજીવ રેડ્ડી                     25 – 7 – 77          25 – 7 – 82

જ્ઞાની ઝૈલસીંગ               25 – 7 – 82          25 – 7 – 87

વેંકટ રામન                    25 – 7 – 87          25 – 7 – 92

શંકરદયાળ શર્મા             25 – 7 – 92           25 – 7 – 97

કે. આર. નારાયણન         25 – 7 – 97           25 – 7 – 2002

અબ્દુલ કલામ                 25 – 7 – 02            25 – 7 – 07

પ્રતિભા પાટીલ                25 – 7 – 07            25 – 7 – 12

પ્રણવ મુખરજી                 25 – 7 – 12            હાલ ચાલુ