સાંવલિયાજી

                                                સાંવલિયાજી

રાજસ્થાનના મંડપિયા ગામમાં ભગવાનશ્રી સાંવલિયા શેઠનું વિખ્યાત મંદિર આવેલું છે. અહીં સાંવલિયા શેઠ બિરાજતા હોવાથી આ ગામ સાંવલિયાજી તરીકે પણ ઓળખાય છે. સાંવલિયા શેઠ એ કૃષ્ણ ભગવાનનું જ સ્વરૂપ છે. સાંવલિયા શેઠ બહુ જ ઉદાર છે. તેઓ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે.

કહે છે કે મીરાંબાઈ જે ગિરધરગોપાલની પૂજા કરતાં હતાં, તે જ મૂર્તિ અહીં સાંવલિયા શેઠ તરીકે બિરાજમાન છે. મીરાંબાઈ, ભગવાનની ચાર મૂર્તિઓ લઈને અહીંતહીં ભ્રમણ કરતાં હતાં. મોગલ સેનાના ડરથી તેમણે આ મૂર્તિઓ બાગુન્ડ ગામની નજીક વડલાના એક ઝાડની નીચે ખાડો ખોદીને દાટી દીધી. આશરે ૨૦૦ વર્ષ પહેલાં, મંડપિયા નિવાસી ભોલીરામ નામના એક ગોવાળિયાને સ્વપ્નમાં આ મૂર્તિઓ વિષે જાણકારી મળી. ગામલોકોની સહાયથી ત્યાં ખોદકામ કરતાં, આ ચાર મૂર્તિઓ નીકળી. તેમાંની સૌથી મોટી મૂર્તિને અહીંથી દોઢેક કી.મી. દૂર ભાદસોડા ગામમાં સ્થાપિત કરાઈ. તેનાથી નાની મૂર્તિ બાગુન્ડમાં જ પ્રાગટ્ય સ્થળે સ્થાપિત કરાઈ. એક મૂર્તિ થોડી તૂટેલી હોવાથી ત્યાં જ પાછી પધરાવી દીધી અને સૌથી નાની મૂર્તિને ભોલીરામ મંડપિયા લઇ આવ્યા અને અહીં સ્થાપના કરીને મંદિર બંધાવ્યું. એ જ આ સાંવલિયા શેઠનું મંદિર. ભોલીરામ જીવનપર્યંત તેમની સેવા કરતા રહ્યા, જીવનના અંતિમ સમયે તેમણે સેવા વૈષ્ણવોને સોંપી દીધી. મંદિરનું પણ અવારનવાર રીનોવેશન થયું અને આજે અહીં ભવ્ય મંદિર ઉભું છે.

ઉદયપુરથી  ચિત્તોડગઢ જવાના રસ્તે 61 કી.મી. ગયા પછી ભાદસોડા  ગામ આવે છે. અહીં ચાર રસ્તા પડે છે. ચાર રસ્તાથી આશરે દોઢ કી.મી. દૂર ભાદસોડા ગામમાં મંદિર છે. ચાર રસ્તા આગળ જ બાગુન્ડનુ મંદિર છે. અને આ ચાર રસ્તાથી 7 કી.મી. દૂર મંડપિયા ગામમાં ત્રીજું મંદિર છે. નાથદ્વારાથી માવલી અને કપાસન થઈને ભાદસોડા અને મંડપિયા અવાય છે. નાથદ્વારાથી મંડપિયા 100 કી.મી. દૂર છે. ભાદસોડા ચાર રસ્તાથી ચિત્તોડગઢ 35 કી.મી. દૂર છે.

સાંવલિયાજી શેઠ વિષે અવારનવાર સાંભળ્યું હતું, એટલે ત્યાં દર્શન  કરવા જવાની ખૂબ જ ઉત્કંઠા હતી. આથી, આ વખતે અમે નાથદ્વારા ગયા ત્યારે સાંવલિયાજી જવાનુ મનોમન નક્કી જ કર્યું હતું. નાથદ્વારાથી જીપ કે ટેક્સી કરીને જઈ શકાય અથવા તો એસ.ટી. બસમાં કે ખાનગી બસમાં પણ જઈ શકાય. અમે નાથદ્વારાથી સવારે ચિત્તોડ તરફ જતી બસમાં નીકળી પડ્યા.

વાતાવરણ ખુશનુમા હતુ. રસ્તો પાકો અને સારો હતો. ટ્રાફિક તદ્દન ઓછો હતો. 29 કી.મી. પછી માવલી આવ્યું. માવલીને રેલ્વે સ્ટેશન છે. અમદાવાદથી નાથદ્વારા ટ્રેનમાં આવો તો આ માવલી સ્ટેશન વચમાં આવે છે. માવલીથી 43 કી.મી. દૂર પછી કપાસન આવ્યું. અમે અહીં ઉતરી ગયા, કેમ કે આ બસ ચિત્તોડગઢ જવાની હતી, જયારે અમારે સાંવલિયાજી જવું હતું. કપાસનથી સાંવલિયા જવા ઘણી ખાનગી બસો મળે છે, એમાં બેસી અમે સાંવલિયાજી તરફ ઉપડ્યા. માવલી અને કપાસન બંને મોટાં ગામ છે. કપાસનથી ભાદસોડાનો રસ્તો ઠીક-ઠીક છે. વચમાં શનિદેવ મહારાજનું મોટું મંદિર આવે છે, આ વિસ્તારમાં તે પ્રખ્યાત મંદિર છે. ભાદસોડા જતા લોકો, શનિદેવ આગળ બસમાંથી ઉતરી શનિદેવના ફટાફટ દર્શન કરી આવે છે. બસ એટલી વાર ઉભી પણ રહે છે. અમે ભાદસોડા ચાર રસ્તા પહોચ્યા. કપાસનથી ભાદસોડા ચાર રસ્તાનું અંતર 24 કી.મી. છે. અહીં અમે બાગુન્ડનું સાંવલિયા શેઠનું મંદિર, બસમાં બેઠા બેઠા જ જોયું. ભાદસોડા ચાર રસ્તા આગળ વિશાળ ખુલ્લી જગા છે. અહીં બેઘડી વિશ્રામ કરવાનું મન થાય એવું છે. અહીંથી મંડપિયા 7 કી.મી. દૂર છે. બસ અમને લઈને ઉપડી મંડપિયા તરફ. મંડપિયા પહોંચ્યા ત્યારે સવારના સાડા દસ વાગ્યા હતા. મંદિર આશરે અડધો કી.મી. દૂર હતું. ચાલતા ચાલતા મંદિરે પહોચ્યા. રસ્તામાં સ્ત્રીઓના શણગારની ઘણી વસ્તુઓ બંગડીઓ, પાટલા, બુટ્ટી, સેટ, માળાઓ, ઝાંઝર વગેરેની પુષ્કળ દુકાનો લાગેલી હતી. દૂરથી મંદિરના શિખરનાં પણ દર્શન થયાં, મનમાં આનંદની એક લહેરખી પ્રસરી ગઈ.

મંદિરની બહાર વિશાળ ખુલ્લી જગા છે. અહીં પ્રસાદની તથા નાસ્તા અને ખાણીપીણીની દુકાનો છે. અમે પહેલાં તો દર્શન કરવાની તીવ્ર  ઈચ્છાથી, મંદિરમાં પ્રવેશ્યા. રાજભોગની આરતી ચાલુ જ હતી. સેંકડો લોકો દર્શનાર્થે આવેલા હતા. અમે પણ તેમાં ગોઠવાઈ ગયા. ભગવાન સાંવલિયા શેઠનાં દર્શન કરી મન ભાવવિભોર થઇ ગયું. આગળ જઈ નજીકથી પણ દર્શન કરી આવ્યા. બધાં સ્નેહીજનોને યાદ કરી તેમના વતી પણ દર્શન કર્યાં. મનમાં અપાર પ્રસન્નતા અનુભવી. દર્શન કરી સભાગૃહમાં બેઠા. ગર્ભગૃહમાં સાંવલિયા શેઠ રત્નજડિત આસન પર બિરાજેલા છે.

ગર્ભગૃહનો મુખ્ય ઘુમ્મટ 121 ફૂટ ઉંચો છે. તેની આગળના બે સભામંડપનાં શિખરો 70 ફૂટ ઉંચાં છે. થાંભલાઓ અને છત લાલ પથ્થરનાં બનેલાં છે. તેઓ પર સુંદર સ્થાપત્યો કંડારેલાં છે. દેવીદેવતાઓ અને વાદ્યો વગાડતાં નરનારીનાં સ્થાપત્યો બહુ જ અદભૂત લાગે છે. થાંભલાઓ વચ્ચેની કમાનોની રચના તો બહુ જ આકર્ષક છે. આરસની ફરસ અને બધી ખુલ્લી બાજુઓથી આવતી હવાને લીધે ગરમી જરાયે લાગતી નથી. ગુંબજો પર બહારના ભાગે કરેલી ડીઝાઇન પણ ઘણી જ સુંદર છે. અહીં અડધો પોણો કલાક બેઠા પણ મજા આવી.

મંદિરની આગળ વિશાળ ખુલ્લી જગા છે. આ જગામાં મંદિરની બંને બાજુ બાગબગીચા બનાવવાનું આયોજન છે. પાછળ તથા આગળ વિશાળ લોબીઓ (પરસાળ) બનાવેલી છે. હજુ અહીં કામ ચાલુ છે. અહીં દર્શનાર્થીઓ માટે આરામ કરવા, ટોઇલેટ વગેરે સુવિધાઓ ઉભી કરવાનો પ્લાન હોય એવું લાગે છે.

આ બધુ જોઇને અમે બહાર આવ્યા. બહારથી પ્રસાદ લીધો. પ્રસાદમાં મઠડી અને લાડુ હતા. મઠડી સરસ પોચી હતી. થોડો નાસ્તો પણ કર્યો. અહીં નાસ્તાની દુકાનોમાં ખાસ કરીને કચોરી, સમોસા અને જલેબી મળતાં હતાં. કચોરીનો ટેસ્ટ તો દાઢે વળગે એવો સરસ હતો. પછી પેલું બંગડી બજાર જોયા વગર કેમ ચાલે? એમાંય ફર્યા અને જે ઠીક લાગ્યું તે ખરીદ્યું. મંડપિયા ગામમાં રહેવા માટે ગેસ્ટ હાઉસ, હોટલો વિગેરે સગવડ છે. પછી બસ સ્ટેન્ડ આગળ પાછા આવ્યા.

હવે એ જ રસ્તે પાછા ફરવાનું હતું. ખાનગી બસમાં ઠાંસી ઠાંસીને લોકોને ભર્યા. ઘેટાંબકરાંની જેમ માણસોને બસમાં ભર્યા. અહીં બીજી કોઈ સગવડ નથી, પછી શું થાય? સ્થાનિક લોકો, પ્રવાસીઓનો ગેરલાભ ઉઠાવે છે. કપાસન પાછા પહોંચ્યા. ગરમી બરાબર હતી. કપાસન થોડી રાહ જોયા પછી, માવલી સુધીની જ બસ મળી, માવલીથી વળી બીજી બસમાં નાથદ્વારા પહોંચ્યા. આમ છતાં, સાંવલિયા શેઠનાં દર્શનની અભિલાષા પૂરી થઇ, તેનો આનંદ હતો. પોતાની કે ભાડાની ગાડી કરીને અહી આવ્યા હોઈએ તો વધુ સગવડ રહે.

સાંવલિયાજીમાં મંદિર સવારે 5 થી બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. તે દરમ્યાન મંગળા, શણગાર અને રાજભોગનાં દર્શન થાય છે. 12 થી 2:30 મંદિર બંધ રહે છે. પછી બપોરના અઢીથી 11 સુધી દર્શનનો લાભ મળે છે.

સાંવલિયાજીથી ચિત્તોડગઢ જોવા જઈ શકાય છે. અહીં ચિત્તોડગઢનો કિલ્લો ખાસ જોવા જેવો છે. કિલ્લામાં રાણા કુંભાનો પેલેસ, વિજય સ્તંભ, કીર્તિ સ્તંભ વિગેરે જોવા જેવા છે.

મંડપિયાથી ઘણા લોકો આવરી માતાનાં દર્શને જતા હોય છે. મંડપિયાથી 12 કી.મી. દૂર આવેલું આ મંદિર, લોકોની અતૂટ આસ્થાનું સ્થળ છે.

અજંતાની ગુફાઓ

                               અજંતાની ગુફાઓ

ભારતનાં જોવાલાયક સ્થળોમાં અજંતા અને ઈલોરાની ગુફાઓનાં નામ મોખરે છે. દેશ તેમ જ વિદેશમાં આ ગુફાઓ જાણીતી છે. દર વર્ષે લાખો ટુરિસ્ટો આ ગુફાઓ જોવા આવે છે. જૂના જમાનાની આ ગુફાઓની કોતરણી, શિલ્પ અને પેઈન્ટીંગ એવાં અદભૂત છે કે લોકો એ જોઇને મુગ્ધ થઇ જાય છે, અને તેમનાં મોઢામાંથી ‘વાહ ! અદભૂત !’ જેવા શબ્દો સરી પડે છે.

અજંતા અને ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. મહારાષ્ટ્રના જાણીતા શહેર ઔરંગાબાદથી ઈલોરાની ગુફાઓ આશરે ૨૦ કી.મી. અને અજંતાની ગુફાઓ ૧૦૦ કી.મી. દૂર છે. અજંતાની ગુફાઓ જલગાંવથી ૫૮ કી.મી. દૂર છે. ઔરંગાબાદ બાજુ ફરવા જનારા લોકો અજંતા અને ઈલોરાની ગુફાઓ જોવા જરૂર જતા હોય છે. અહીં આપણે અજંતાની ગુફાઓની વાત કરીશું. અજંતા ગુફાને મરાઠીમાં અજંતા લેની કહે છે.

અજંતાનું નામ સાંભળીએ એટલે બુદ્ધ ભગવાનનું એક કલાત્મક ચિત્ર આપણી આંખો સમક્ષ તરી આવે છે. માથે મુગટ, ગળામાં માળા, હાથમાં ફૂલ અને નેત્રો નીચાં ઢાળી, કમરેથી ધડને વળાંક આપી શાંત મુદ્રામાં ઉભેલા બુદ્ધ ભગવાન – આ સ્વરૂપને જોઇને મન પ્રસન્ન થઇ જાય છે. બુદ્ધનું આ ચિત્ર એટલું બધું પ્રખ્યાત છે કે તમને કલાજગતમાં, કેલેન્ડરોમાં, પુસ્તકોમાં, સુશોભનની દુકાનોમાં તથા કેટલાં ય ઘરોમાં આ ચિત્ર કે એની પ્રતિમા જોવા મળશે. પદ્મપાણી બુદ્ધ ભગવાનનું આ ચિત્ર, મૂળ અજંતાની ગુફામાં કંડારેલું છે. અજંતાની ગુફાઓમાં આ ઉપરાંત, બીજાં અનેક બેજોડ પેઈન્ટીંગ અને શિલ્પો જોવા જેવાં છે.

અહીં કુલ ૨૯ ગુફાઓ છે. તેને ૧ થી ૨૯ ક્રમમાં નંબર આપેલા છે. બધી જ ગુફાઓ બૌદ્ધ ધર્મની છે. અહીં ‘U’ આકારે વહેતી વાધુર નદીના કાંઠે, ઘોડાની નાળના આકારની ઉંચી ખડકાળ ભેખડોમાં આ ગુફાઓ કોતરેલી છે. આ ગુફાઓ ઈ.સ. પૂર્વેની બીજી સદીથી માંડી, ઈ.સ. ૬૫૦ સુધીના સમયગાળામાં બની હોવાનું મનાય છે. ગુફાઓ બન્યા પછી, વખત જતાં વરસાદ, પાણી અને માટીથી ગુફાઓ દટાઈ ગયેલી. ઈ.સ. ૧૮૧૯માં એક બ્રિટીશ ઓફિસર જ્હોન સ્મિથ આ બાજુ શિકારે નીકળેલા, તેમણે ગુફા નં. ૧૦નું પ્રવેશદ્વાર દેખાયું. અહીંના સ્થાનિક લોકો આ ગુફાનો ભગવાનની પ્રાર્થના માટે ઉપયોગ કરતા હતા. સ્મિથે એક ઉંચા પત્થર પર ચડી, ગુફાની દિવાલ પર પોતાનું નામ અને તારીખ કોતર્યાં. પછી તો ખોદકામ કરતાં અહીં ઘણી ગુફાઓ મળી આવી અને દુનિયાને ભારતની એક અનોખી કલાની જાણ થઇ. પછી આ ગુફાઓ દુનિયાભરમાં જાણીતી થઇ ગઈ.

ગુફાઓ જોવા માટે પહેલાં તો, ગુફાના પાર્કીંગ સુધી પહોંચ્યા પછી, આપણું વાહન ત્યાં પાર્કીંગમાં મૂકી દેવાનું. પછી ગુફા માટેની ખાસ બસમાં ત્રણેક કી.મી. જંગલમાં થઈને જવાનું. પછી ટીકીટ લઈને ગુફાના સંકુલમાં દાખલ થવાનું.

ગુફાઓ નદીના લેવલથી ૩૦ થી ૪૦ મીટર ઉંચે ભેખડોમાં છે. શરૂઆતમાં તો આ ગુફાઓ આગળ રસ્તો ન હતો. ત્યારે નદીમાંથી ભેખડોમાં કોતરેલાં પગથિયાં ચડીને ગુફાઓમાં જવાતું. આવાં પગથિયાંના અવશેષો ક્યાંક દેખાય છે. હાલ તો ગુફાઓ આગળ સરસ પહોળો પાકો રસ્તો બનેલો છે. શરૂઆતમાં પચાસેક પગથિયાં ચડ્યા પછી, આ રસ્તા પર ચાલીને એક પછી એક ગુફા જોઈ શકાય છે. રસ્તો ઉંચોનીચો ખરો, આશરે દોઢેક કી.મી. જેટલું ચાલવાનું થાય. ચોમાસામાં ક્યાંક ભેખડ પરથી નદીમાં પડતો ધોધ જોવા મળી જાય. આ ગુફાઓથી ૧૨ કી.મી. દૂર અજંતા નામનું ગામ આવેલું છે, તેના પરથી આ ગુફાઓનું નામ પડ્યું છે.

અજંતાની ગુફાઓ બે અલગ સમયમાં બની હોવાનું મનાય છે. ઈ.સ. પૂર્વેની બીજી સદીથી ઈ.સ.ની બીજી સદી સુધીના પહેલા સમયગાળામાં, સત્યવાહન સામ્રાજ્યમાં ગુફા નં. ૯, ૧૦, ૧૨, ૧૩ અને ૧૫ બની હતી. એ વખતે બૌદ્ધ ધર્મનો હીનયાન પંથ જોરમાં હતો. ગુફા નં. ૯ અને ૧૦ ચૈત્યગૃહ છે. ગુફા નં. ૧૨, ૧૩ અને ૧૫ વિહાર છે. બીજો સમયગાળો ઈ.સ.ની ૫ થી ૭મી સદીનો હતો. તે દરમ્યાન, રાજા હરીસેનના સમયમાં બાકીની ગુફાઓ બની. આ સમયે મહાયાન પંથનું વર્ચસ્વ હતું. આ ગુફાઓમાં નં. ૧૯, ૨૬ અને ૨૯ ચૈત્યગૃહો છે, જયારે બાકીના વિહાર છે.

ચૈત્યગૃહમાં, હોલમાં સ્તૂપ કે ભગવાન બુદ્ધની પ્રતિમા હોય છે, અને તેમાં ભગવાન બુદ્ધ ઉપદેશ આપતા હોય છે. ચૈત્ય હોલ સાંકડા અને ઉંચા છે. વિહારમાં, સાધુઓને પ્રાર્થના કરવા માટેનો હોલ (Monastery) તથા તેમના રહેવા જમવાની વ્યવસ્થા હોય છે. તેના હોલમાં થાંભલા, તેની પાછળ ગેલેરી અને પછી મઠ જેવી રૂમો હોય છે. હોલને છેડે બુદ્ધની મૂર્તિ હોય છે.

હવે અજંતાની ગુફાઓની રચના એક પછી એક જોઈએ ગુફા નં. ૧ વિહાર છે. અજંતા ગુફાઓની આ પહેલી ગુફા છે. બહાર પરસાળ છે અને અંદર ચોરસ હોલ છે. અંદરની દરેક દિવાલ આશરે ૧૨ મીટર લાંબી અને ૬ મીટર ઉંચી છે. હોલમાં ૧૨ થાંભલા છે. દિવાલો, થાંભલા અને છત પર સુંદર પેઈન્ટીંગ કરેલાં છે. આ ચિત્રો જાતક કથાઓ પર આધારિત છે. તેમાં બુદ્ધ, પૂર્વ જન્મમાં રાજા હતા, ત્યારના પ્રસંગોનાં ચિત્રો છે. પાછળની દિવાલમાં નાના મંદિર જેવો ભાગ બનાવ્યો છે, તેમાં બુદ્ધની મૂર્તિ છે, અલબત્ત ખડકમાં કોતરેલી જ. આ મૂર્તિની બંને બાજુની દિવાલો પર પદ્મપાણી અને વજ્રપાણીનાં મશહૂર પેઈન્ટીંગ છે. આપણે શરૂઆતમાં પદ્મપાણીની વાત કરી તે જ. ડાબે જમણે સાધુઓને રહેવાની રૂમો છે. અહીં ગુફામાં પૂરતો પ્રકાશ નથી રાખતા, સાવ ઝાંખા પ્રકાશમાં જ જોવાય એટલું જોવાનું.

ગુફા નં. ૨, ગુફા ૧ જેવી જ દેખાય છે. પરસાળમાંથી હોલમાં જવાના બારણાની બંને બાજુ દિવાલમાં ચોરસ બારીઓ છે કે જેથી હોલમાં થોડું અજવાળું આવે. હોલમાં ૪ થાંભલા છે. આ ગુફા પણ દિવાલો, છત અને થાંભલાઓ પરનાં પેઈન્ટીંગ માટે જાણીતી છે. આ ચિત્રો પણ જાતક કથાનાં છે. એ બુદ્ધના અગાઉના ‘બોધિસત્વ’ તરીકેના જીવન પ્રસંગો દર્શાવે છે.

ગુફા ૩ અધૂરી છે. ગુફા ૪ એ સૌથી મોટો વિહાર છે. અહીં વરંડા, હોલ અને ગર્ભગૃહ છે. વરંડાની દિવાલ પર અવલોકીતેશ્વરનાં ચિત્રો છે.  ગર્ભગૃહમાં બુદ્ધ ઉપદેશ આપતી મુદ્રામાં છે. પાછળ બોધિસત્વ છે. ગુફા ૫ અને ૬ વિહાર છે. ગુફા ૬ બે માળની છે. ઉપલા માળે બુદ્ધનું મંદિર છે. ગુફા ૭નો આગળનો દેખાવ સરસ છે. તેને હોલ નથી, પણ નાનું મંદિર છે. ગુફા ૮માંનું સ્ટેચ્યુ ખોવાઈ ગયું હોય એમ લાગે છે.

ગુફા ૯ અને ૧૦ ચૈત્ય હોલ છે. અહીં બીમમાં લાકડું વાપરેલું છે પણ તે નાશ પામ્યું છે. ગુફામાં છેડે સ્તૂપ છે, તેને જ બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે. અંદરનાં પેઈન્ટીંગ ઘણાં સરસ છે. અંદર બીજી નાની ગુફાઓ છે.

ગુફા ૧૬ને પરસાળ નથી. ગુફા ૧૬ અને ૧૭નાં પેઈન્ટીંગ બહુ જ જાણીતાં છે.અહીં રાજકુંવરની શ્રીલંકા પર ચડાઈ, વહાણનું તૂટવું વગેરે ચિત્રો છે. કુંવરી મેકઅપ કરતી હોય અને કુંવર પ્રેમિકાને વાઇન આપતો હોય એવાં ચિત્રો પણ છે.

ગુફા ૧૯ અને ૨૬ ચૈત્ય ગૃહ છે. છત બીમવાળી છે. બંનેમાં છેડે સ્તૂપ છે. સ્તૂપની પાછળ પ્રદક્ષિણા માટે થોડી ચાલવાની જગા છે. બંનેમાં સ્તૂપની આગળ બુદ્ધનું સ્ટેચ્યુ છે. (ઈલોરાની ગુફા નં. ૧૦માં પણ આવું જ છે.) ગુફા ૧૯માં સ્ટેચ્યુ ઉભેલી અવસ્થામાં છે, જયારે ૨૬માં તે બેઠેલી સ્થિતિમાં છે.

અજંતાનાં શિલ્પો અને પેઈન્ટીંગ જોઇને લાગે છે કે તે જમાનામાં કુશળ કારીગરો અને પેઇન્ટરો હતા. ત્યારે તો આજના જેવાં આધુનિક મશીનો ન હતાં. માત્ર હથોડી અને ફરસી કે ટાંકણાની મદદથી ખડકો કોતરીને ગુફાઓ બનાવી છે. એ બનાવવામાં કારીગરોની ભગવાન બુદ્ધ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને બુદ્ધની પ્રેરણાએ મહત્વનો ભાગ ભજવ્યો હોય એવું બને. આ ગુફાઓએ બૌદ્ધ સાધુઓને શાંત અને પવિત્ર વાતાવરણ પૂરું પાડ્યું છે.

અજંતાની ગુફાઓ શોધાયાપછી, તેનાં પેઈન્ટીંગનાં ચિત્રોની ઘણા નિષ્ણાતોએ કોપી કરી, તેના જેવાં ચિત્રો દોર્યાં છે. લંડનના મ્યુઝીયમમાં અને અન્ય સ્થળોએ આવાં ચિત્રો પ્રદર્શનમાં પણ મૂકાયાં છે. આ ગુફાઓ વિષે પુસ્તકો લખાયાં છે. આ ચિત્રોની કલા શ્રીલંકા, અફઘાનિસ્તાન, તિબેટ, નેપાળ, ચીન અને જાપાનમાં પણ ફેલાઈ છે. અજંતાની ગુફાઓ ભારતીય પુરાતત્વ ખાતા હેઠળ રક્ષિત જાહેર કરાઈ છે. ૧૯૮૩થી તે યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવાઈ છે.

અજંતાની ગુફાઓ એ બૌદ્ધ કલાનો માસ્ટરપીસ છે. મહારાષ્ટ્ર માટે તે ગૌરવ સમાન છે. ગુફાઓ જોવાનો સમય સવારના નવથી સાંજના પાંચ સુધીનો છે. સોમવારે રજા હોય છે. ઔરંગાબાદ જાવ ત્યારે આ ગુફાઓ જરૂર જોજો. ઔરંગાબાદમાં પણ બીબીકા મકબરા, પનચક્કી વગેરે જોવા જેવાં છે અને નજીકમાં દોલતાબાદનો કિલ્લો, ઈલોરા અને ઘ્રુષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લીંગ તો જોવા જેવાં ખરાં જ.

3_Walkway

5_Cave 1_Padmapani

20_Cave 12

24_Cave 17_entrance

28_Entrance to cave 19

33_Cave 26_Chaitya hall with stupa