શબરીમાલા મંદિર

                                                       શબરીમાલા મંદિર

ભારતનું એવું કયું મંદિર છે કે જ્યાં ભારતના બીજા કોઈ પણ મંદિર કરતાં સૌથી વધુ ભક્તો દર્શને આવતા હોય? એ મંદિર છે કેરાલા રાજ્યમાં આવેલું શબરીમાલાનું ભગવાન અય્યપાનું મંદિર. આ મંદિર વર્ષના ૩૬૫ દિવસોમાંથી ફક્ત સોએક દિવસો જ ખુલ્લું રહેતું હોવા છતાં અહીં વર્ષે લગભગ ૫ કરોડ જેટલા યાત્રિકો આવે છે. યાત્રિકોની સંખ્યાની દ્રષ્ટિએ શબરીમાલા મંદિર દુનિયામાં બીજા નંબરે છે. (પહેલા નંબરે મક્કા છે.) શબરીમાલા મંદિરની બીજી ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના બંધન વગર દરેક વ્યક્તિને પ્રવેશ મળે છે. આમ છતાં, અહીં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓ માટે પ્રવેશબંધી છે. એનું કારણ એ છે કે ભગવાન અય્યપા બ્રહ્મચારી છે, એટલે યુવાન અને પુખ્ત વયની સ્ત્રીઓને અહીં આવવાની છૂટ નથી. આ મંદિર ખુલ્લું હોય એ દિવસોમાં ટ્રેનો અને બસો ભરીભરીને ભક્તો અહીં ઠલવાય છે. ચાલો, આપણે પણ આ લેખમાં અય્યપાનાં દર્શને ઉપડીએ.

અય્યપા એ ભગવાન શીવ અને મોહિની સ્વરૂપધારી ભગવાન વિષ્ણુના પુત્ર છે. એટલે એમનામાં શીવ અને વિષ્ણુ બંનેની શક્તિ છે. અય્યપાને શ્રી ધર્મ સષ્ઠા પણ કહેવાય છે. ભગવાન અય્યપાએ રાક્ષસ મહિષીનો વધ કર્યા પછી આ જગાએ તપ કર્યું હતું. કહેવાય છે કે આ મંદિર પરશુરામે બાંધ્યું હતું. ભગવાન રામ જયારે અહીંથી પસાર થતા હતા ત્યારે તેમણે ભક્ત શબરીનાં એંઠાં બોર આ જગાએ પ્રેમથી આરોગ્યાં હતાં, એટલે આ જગાને શબરીમાલા કહે છે. જો કે ભારતમાં બીજી જગાઓએ પણ રામે શબરીનાં બોર આરોગ્યાં હોવાનું કહેવાય છે. એટલે શબરીવાળી સાચી જગા કઈ, એનું પ્રમાણ મળવું મુશ્કેલ છે. ગુજરાતમાં ડાંગ જીલ્લામાં પણ આવું એક શબરીધામ છે.

શબરીમાલા મંદિર કેરાલા રાજ્યના પથાનમથીટ્ટા જીલ્લામાં આવેલું છે. પથાનમથીટ્ટા શહેરથી તે ૭૦ કી.મી. દૂર છે. પશ્ચિમઘાટની સહ્યાદ્રિ પર્વતમાળાની ૧૮ ટેકરીઓ વચ્ચેની એક ટેકરી પર આ મંદિર આવેલું છે. આ ટેકરીની ઉંચાઈ ૪૬૮ મીટર છે. આજુબાજુની ટેકરીઓ પર પણ બીજાં મંદિરો છે. શબરીમાલા મંદિરની ટેકરીની તળેટીમાં નીચે પમ્બા નામનું ગામ છે. (પમ્બાને પમ્પા પણ કહે છે.) તથા ત્યાં પમ્બા નામની નદી વહે છે. પમ્બા એ શબરીમાલા જવા માટેનો બેઝ કેમ્પ છે. શબરીમાલા જવા માટે પથાનમથીટ્ટાથી અથવા બીજા કોઈ શહેરથી પહેલાં પમ્બા પહોંચવું પડે છે. પછી અહીંથી ટેકરી પર પાંચેક કી.મી. જેટલું ચડીને શબરીમાલા પહોંચાય છે. આ ચડાણ પર કોઈ વાહન જતું નથી. ભક્તો મોટે ભાગે ચાલીને જ ઉપર ચડે છે. ઘોડા કે ડોળી ભાડે મળે છે. ઉપર ચડવાનો રસ્તો પાકો બનાવેલો છે. આખે રસ્તે તથા ઉપર મંદિરમાં લાઈટની વ્યવસ્થા છે. અહીં ક્યારેય લાઈટ ના જાય તેની પૂરી કાળજી લેવામાં આવે છે. રસ્તામાં વચ્ચે ઘણી દુકાનો છે. મેડિકલ સહાય પણ મળી રહે છે. લોકો નીચે પમ્બા નદીમાં સ્નાન કરી, પવિત્ર થઇ ઉપર ચડવાનું શરુ કરે છે. વચ્ચે માર્ગમાં જે ટેકરી, જંગલ, ઝરણાં વગેરે આવે તેને અય્યપાનો પવિત્ર બગીચો (પુકાવનમ) કહે છે.

ટેકરી પર પહોંચ્યા પછી, છેલ્લે ૧૮ સોનેરી પગથિયાં ચડીને મંદિર પહોંચાય છે. .આ પગથિયાં ખૂબ જ પવિત્ર ગણાય છે. મંદિરને સન્નીધાનમ કહે છે. અહી વિશાળ ગર્ભગૃહમાંથી ભગવાનનાં દર્શન થાય છે. લોકો અય્યપાનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર્શન માટે ખૂબ જ મોટી લાઈનો લાગે છે. પગથિયાંની બાજુમાં નીચે બીજાં બે મંદિરો છે, એક ગણેશજીનું અને બીજું મલિકાપુરાત્તમા દેવીનું.

શબરીમાલાનાં દર્શને આવનાર અય્યપાના ભક્તો આકરી બાધાઓ લે છે. અહીં આવતા પહેલાં તેઓ ૪૧ દિવસના ઉપવાસ કરે છે.ઉપવાસ મનની શુદ્ધિ માટે છે. યાત્રા પૂરી થાય ત્યાં સુધી વાળ નહિ કપાવાના, દાઢી નહિ કરવાની, નખ નહિ કાપવાના, તમાકુ-માંસ-મદિરાનું સેવન નહિ કરવાનું, રુદ્રાક્ષ કે તુલસીની માળા ગળામાં પહેરવાની, રોજ કોઈ મંદિરે દર્શન કરવા જવાનું, કાળાં કે વાદળી રંગનાં જ વસ્ત્રો પહેરવાનાં, કપાળે ચંદન કે વિભૂતિ લગાડવાની વગેરે.

તેઓ યાત્રા પર નીકળે ત્યારે પણ કાળાં કે વાદળી વસ્ત્રો પહેરે છે. સાથે ભગવાનને અર્પણ કરવાની ચીજો, શ્રીફળ, ઘી વગેરે એક થેલીમાં ભરીને લઇ જાય છે. આ થેલી માથે મૂકીને જ જવાનું. ટેકરી ચડતી વખતે પણ થેલી માથે મૂકેલી જ રાખવાની. આ થેલીને ઈરુમુડી કહે છે.

અહીં યાત્રિકો એકબીજાને સ્વામી કહીને બોલાવે છે. આ મંદિરનો સંદેશ છે કે દરેક જણ ભગવાનનો અંશ છે. સંસ્કૃતમાં તેને ‘તત ત્વમ અસિ’ કહે છે. મંદિરના પ્રવેશ આગળ પણ વાદળી રંગના બોર્ડ પર સંસ્કૃત અને મલયાલમ ભાષામાં આ સૂત્ર લખેલું છે. પ્રભુ અય્યપાનું સ્મરણ કરવા માટેનો મંત્ર ‘સ્વામીયે સરનમ અય્યપા’ છે. એનો અર્થ છે ‘હે પ્રભુ અય્યપા, હું તમારે શરણે છું.’

શબરીમાલા મંદિર નીચે મૂજબના દિવસોએ ખુલ્લું રહે છે.

(૧) આશરે ૧૫ નવેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધી. આ મંડલ પૂજાના દિવસો ગણાય છે.

(૨) આશરે ૩૦ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી સુધી. આ દિવસો મકરસંક્રાંતિ (મક્કાવિલાકું) તહેવારના ગણાય છે. એમાં ૧૪ જાન્યુઆરી મુખ્ય દિવસ છે.

(૩) ૧૪ એપ્રિલ. આ દિવસ મહાવિષ્ણુસંક્રાંતિ કહેવાય છે.

(૪) આ ઉપરાંત, દરેક મલયાલમ મહિનાના પહેલા પાંચ દિવસ.

બધા દિવસોએ મંદિરનો સમય સવારના સાડા પાંચથી રાતના દસ વાગ્યા સુધીનો છે.

મંદિરમાં સવારે ભગવાન અય્યપાને ઉઠાડવા માટેનું ગીત ‘અય્યપા સુપ્રભાતમ’ કહેવાય છે. રાત્રે મંદિર બંધ થતા પહેલાં ‘હરિવરસનમ’ ગીત ગવાય છે. ભક્તો પોતાની થેલીમાં જે ચીજો ઘી વગેરે લાવ્યા હોય તે શ્રી અય્યપાને અર્પણ કરે છે. ઘી ચડાવવાની વિધિને નય્યાભિષેક કહે છે. આ વિધિ એ જીવાત્માના પરમાત્મા સાથેના મિલનનું પ્રતિક છે. ૧૮ પગથિયાંની બાજુમાં મોટો અગ્નિકુંડ (હોમકુંડ) છે. યાત્રિકો એમાં પોતાનાં પાપ બાળવાના પ્રતિક રૂપે શ્રીફળ હોમે છે.

શબરીમાલા મંદિરમાં અરાવના પાયસમ અને અપ્પમનો પ્રસાદ હોય છે. પ્રસાદ ચોખા, ઘી, ખાંડ અને ગોળનો બને છે. આ બધી ચીજો ચેટ્ટીકુલંગારા દેવીના મંદિર દ્વારા પૂરી પડાય છે. આ મંદિર મવેલીક્કારામાં આવેલું છે. શબરીમાલા અને ચેટ્ટીકુલંગારા બંને મંદિરનો વહીવટ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડને હસ્તક છે.

શબરીમાલા મંદિરની સંભાળ તાજામોન માટોમ પૂજારી કુટુંબ રાખે છે. સૌથી ઉપરી પૂજારીને તંત્રી કહેવાય છે. બધી ધાર્મિક પૂજા તંત્રીના હાથે થાય છે. મંદિરના પ્રસંગો પણ તંત્રીની દેખરેખ હેઠળ ઉજવાય છે.

શબરીમાલા પહોંચવાના ૩ માર્ગ છે. એક માર્ગ તો આપણે જોયો તે પમ્બાથી ઉપર ચડવાનો છે. આ માર્ગને ચલકાયમ માર્ગ કહે છે. અહીં પેરુન્ડ ગામથી પણ ઉપર ચડી શકાય છે. બીજો માર્ગ વંદીપેરીયાર માર્ગ છે. એ ૧૩ કી.મી. લાંબો છે. ત્રીજો માર્ગ એરુમલી છે. આ માર્ગ સૌથી લાંબો ૬૧ કી.મી.નો છે અને સૌથી કઠિન છે. એમાં વચ્ચે ઘણી ટેકરીઓ અને મંદિરો આવે છે. ઘણા ભક્તો હજુ એ આ વિકટ માર્ગે જાય છે. ભગવાન અય્યપા મહિષીને મારવા આ માર્ગે ગયા હતા.

શબરીમાલાથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ચેન્ગાન્નુર ૨૬ કી.મી. દૂર છે. આ સ્ટેશન શબરીમાલાનો ગેટવે ગણાય છે. થીરુવલ્લા રેલ્વે સ્ટેશન શબરીમાલાથી ૩૦ કી.મી. દૂર છે. પથાનમથીટ્ટાને રેલ્વે સ્ટેશન નથી. સીઝનમાં બીજાં શહેરોથી ચેન્ગાન્નુર અને થીરુવલ્લા સુધી ખાસ ટ્રેનો દોડે છે. આ ટ્રેનો પર ‘શબરીમાલા સ્પેશ્યલ’ લખેલું હોય છે. આ સ્ટેશનોએથી શબરીમાલા માટેની ઘણી બસો દોડે છે.

કેરાલા રાજ્યની બસો, પથાનમથીટ્ટા ઉપરાંત, ત્રિવેન્દ્રમ, કોચીન તથા બીજાં શહેરોથી શબરીમાલા તરફ દોડે છે. અરે ! મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર અને માયસોરથી પણ શબરીમાલાની બસો ઉપડે છે. શબરીમાલા કોચીન એરપોર્ટથી ૧૦૪ કી.મી. અને ત્રિવેન્દ્રમ એરપોર્ટથી ૧૧૩ કી.મી. દૂર છે. સીઝન દરમ્યાન આ એરપોર્ટો ‘અય્યપા સ્પેશ્યલ સર્વીસ કાઉન્ટર’ ખોલે છે. અહીંથી પણ શબરીમાલાની બસો ઉપડે છે. સીઝનમાં દેશભરમાંથી અને પરદેશથી અસંખ્યલોકો શબરીમાલા આવે છે. ખાસ ટુરિસ્ટ સેન્ટરો ઉભાં કરાય છે. પમ્બામાં નજીકમાં મોટું પાર્કીંગ ઉભું કર્યું છે. પાર્કીંગથી પમ્બાના બેઝ પોઈન્ટ સુધી મફત શટલની વ્યવસ્થા છે.

અહીં મલયાલમ, તમિલ અને હિન્દી ભાષા બોલાય છે. આ વિસ્તારમાં વરસાદ ઘણો પડે છે. ગંદકી પણ થતી હોય છે. ૨૦૧૧ની ૧૪ જાન્યુઆરીએ અહીં એક વાહન ઢાળમાં પડી ગયું ત્યારે ઘણી અંધાધૂધી સર્જાઈ હતી. ત્યારે સોએક લોકો મરી ગયા હતા.

શબરીમાલા મંદિરને લગતી ‘સ્વામી અય્યપા’ નામની ફિલ્મ મલયાલમ અને બીજી ભાષાઓમાં બની છે. પથાનમથીટ્ટાથી ૩૬ કી.મી. દૂર પેરુન્થેનારુવી નામનો ધોધ છે. પેરુન્થેનારુવીનો અર્થ છે ‘મોટો મધ જેવો ધોધ’. આ ધોધ એક ટુરિસ્ટ કેન્દ્ર છે. આ ધોધનું પાણી પમ્બા નદીને મળે છે.

શબરીમાલાનું અય્યપા મંદિર દેશવિદેશમાં પ્રખ્યાત છે. કેરાલા ફરવા જાવ ત્યારે આ મંદિર જોવા અચૂક જજો, પણ મંદિર ખુલ્લું છે કે નહિ તે તપાસ કરીને જજો. મંદિરમાં લાગતી લાઈનો જોતાં એમ લાગે છે કે દર્શન કરવા માટે ઘણો ટાઈમ ફાળવવો પડે. પણ દર્શન કરીને સંતોષ તો જરૂર થાય જ.

1_Ayyappa Devotees at Pamba River

2_Pilgrimes

3_Sabaripeedam at sabarimala

4_18 steps at sabarimala

5_Main Temple

6_Temple

7_Pilgrims at Shabarimala

8_Pilgrims, sabarimala

10_Sabarimal Rush

11_Sabarimala

12_Rituals

13_banner14_Pathanamthitta to sabarimala

અથીરાપલ્લી અને વાઝાચલ ધોધ

                                               અથીરાપલ્લી અને વાઝાચલ ધોધ

અથીરાપલ્લી ધોધનું નામ ભલે સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પણ મોટા ભાગના લોકોએ આ ધોધ જોયો છે. ક્યાં જોયો છે એ કહું? ‘ગુરુ’ ફિલ્મનું ગીત ‘બરસો રે મેઘા મેઘા’ યાદ કરો. આ ગીતનું શુટીંગ અથીરાપલ્લી ધોધ આગળ થયું છે. હવે, ફરીથી આ ગીતનો વિડીયો જોઈ લેજો. અને ખાસ વાત એ કે અત્યારે ‘બાહુબલી’ ફિલ્મ ચાલી રહી છે એમાં પણ આ અથીરાપલ્લી ધોધ બતાવે છે. ‘જંગલ લવ’ ફિલ્મનું ‘કોયલિયાં ગાતી હૈ’ તથા ‘દિલ સે’ ફિલ્મના એક ગીતનું શુટીંગ પણ અહીં થયેલું છે. હિન્દી ‘રાવણ’ તથા ઘણી મલયાલમ ફિલ્મો અહીં ઉતરી છે. જેમ ફિલ્મ પ્રોડ્યુસરોનો આ માનીતો ધોધ છે, એમ ટુરિસ્ટોનો પણ એટલો જ માનીતો છે. દર વર્ષે ૭૦ લાખ જેટલા પ્રવાસીઓ આ ધોધ જોવા આવે છે. ચોમાસામાં જયારે ધોધમાં ભરપુર પાણી હોય ત્યારે તે અમેરીકાના નાયગરા ધોધ જેવો દેખાય છે. એટલે એને ભારતનો નાયગરા કહે છે. અહીં ચલાકુડી નદી આખી જ ધોધરૂપે પડે છે. આ જ નદી પર અથીરાપલ્લીની ૫ કી.મી. ઉપરવાસમાં વાઝાચલ નામનો બીજો ધોધ છે. વળી, અથીરાપલ્લીથી વાઝાચલ જતાં રસ્તામાં ચપરા નામનો ત્રીજો ધોધ છે. ચાલો, અહીં આ બધાની વિગતે વાત કરીએ.

કેરાલા રાજ્યના ત્રિસુર જીલ્લામાં અથીરાપલ્લી ગામ આવેલું છે. (ત્રિસુરને થ્રીસુર પણ કહે છે.) પશ્ચિમઘાટના અનામુડી પર્વતમાંથી નીકળતી ચલાકુડી નદી વાઝાચલનાં જંગલોમાં થઈને, અથીરાપલ્લી ગામ આગળ ધોધરૂપે પડે છે. આગળ જતાં આ નદી પર થુમ્બુરમુઝી આગળ બંધ બાંધેલો છે. પછી આ નદી અરબી સમુદ્રને મળે છે. નદીની કુલ લંબાઈ ૧૪૫ કી.મી. છે.

અથીરાપલ્લી ધોધ ચલાકુડી ગામથી ૩૦ કી.મી. દૂર છે. ચલાકુડીમાં રેલ્વે સ્ટેશન છે. ચલાકુડીથી બસ કે ટેક્સીમાં અથીરાપલ્લી જવાય છે. આ રસ્તો સરસ ગ્રીનરીવાળો છે. ત્રિસુર શહેરથી આ ધોધ ૬૦ કી.મી. દૂર છે. કેરાલાના જાણીતા શહેર કોચીનથી આ ધોધ ૭૦ કી.મી. અને કોચીન એરપોર્ટથી ૫૫ કી.મી. દૂર છે.

અથીરાપલ્લી ધોધ, કેરાલા રાજ્યનો સૌથી મોટો ધોધ છે. ચલાકુડી નદી અહીં ખડકોમાં વહીને આવે છે, અને ૨૪ મીટર ઉંચેથી ધોધરૂપે નીચે પછડાય છે. ધોધનું દૂધ જેવું સફેદ પાણી અને પછડાટનો અવાજ, ઘુઘવાટ લોકોનાં મન મોહી લે છે. ધોધ ૩ મોટી જાડી ધારાઓમાં પડે છે. પાણી વધુ હોય ત્યારે આ બધી ધારાઓ ભેગી થઇ જાય છે અને ૧૦૦ મીટર પહોળી આખી નદી જ ધોધ બની જાય છે. એવે વખતે આ ધોધનું દ્રશ્ય બહુ જ અદભૂત લાગે છે.

અથીરાપલ્લી ગામથી ૨ કી.મી. જેટલું ચાલીને આ ધોધ આગળ પહોંચાય છે. રસ્તો પાકો છે, એટલે ચાલવાનું ફાવે એવું છે. રસ્તો ચઢાણવાળો છે એટલે પહેલાં તો ધોધની ટોચ આગળ પહોંચાય છે. અહીંથી ઉપરવાસમાં વહેતી ચલાકુડી નદીનું સુંદર દ્રશ્ય દેખાય છે. ધોધ પણ દેખાય છે. કિનારે વાંસની સાદી વાડ બનાવેલી છે. વાડ ઓળંગીને ધોધ આગળ જવામાં જોખમ છે. પણ અહીંથી ખડકોમાં થઈને નીચે ઉતરાય છે, અને નીચે નદી કિનારે ઉભા રહી ધોધનું મનોહર દર્શન થાય છે. અહીં નદીના પાણીમાં ઉતરાય એવું છે, એટલે નદીમાં ઉતરી, કોઈ પત્થર પર બેસી, ધોધને સામેથી ધરાઈ ધરાઈને જોઈ શકાય છે, અને ફોટા પાડી શકાય છે. જો કે ધોધ પડે છે, એ જગાએ તો બિલકુલ ના જઇ શકાય. લોકો અહીં નદીમાં નહાય છે, તરે છે. સ્થાનિક લોકો માછલાં પણ પકડે છે.

નદીને સામે કિનારે ઉંચી ટેકરીઓ છે, તે શોલાયર ટેકરીઓ કહેવાય છે. આ ટેકરીઓ પર ગાઢ જંગલો છે. ધોધની નજીક નદીના કિનારા પર રેઇનફોરેસ્ટ નામનો એક રીસોર્ટ છે, એના રૂમોની બાલ્કનીમાંથી ધોધ દેખાય છે, અને ધોધનો અવાજ પણ સંભળાય છે. પણ અહીં રહેવાનું ઘણું મોંઘુ છે. ધોધથી ૧ કી.મી. દૂર કર્ણાટક ટુરીઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશનની હોટેલ અને રીસોર્ટ છે, ત્યાં રહેવાનું વધુ અનુકૂળ આવે.

ધોધ આગળ પક્ષીઓનો કલરવ સંભળાય છે. પક્ષીશોખીનો અહીં બર્ડ વોચીંગ માટે આજુબાજુ ટ્રેકીંગ  કરતા હોય છે. આ વિસ્તારમાં ઔષધિ માટેની વનસ્પતિનો બગીચો છે. બાળકો માટેનો પાર્ક પણ છે. અથીરાપલ્લીની નજીક બે વોટરપાર્ક છે. એમાં ધોધનું પાણી વાળીને બગીચામાં ધોધ જેવી રચના કરી છે.

અથીરાપલ્લી ધોધ જોવાનો સમય સવારના ૮ થી સાંજના ૬ સુધીનો છે. ધોધ જોવા માટે ટીકીટ લેવાની હોય છે. આ ટીકીટમાં વાઝાચલ ધોધ જોવાની ટીકીટ પણ આવી જાય છે.

વાઝાચલ ધોધ : આ જ ચલાકુડી નદી પર, અથીરાપલ્લી ધોધની ઉપરવાસમાં ૫ કી.મી. દૂર વાઝાચલ ધોધ આવેલો છે. આ ધોધનો દેખાવ અથીરાપલ્લી ધોધ કરતાં જુદા પ્રકારનો છે. અથીરાપલ્લી ધોધ એકદમ ઉપરથી ઉભી ધારો રૂપે નીચે પડે છે. જયારે વાઝાચલ ધોધ ઢોળાવ પર વહે છે. લગભગ ૧૦૦ મીટર જેટલી લંબાઈમાં નદી ઢોળાવવાળા ખડકો પર વહે છે. ઢોળાવ પૂરો થયા પછી મોટું તળાવ ભરાય છે., પછી તે પાણી આગળ વહે છે. અહીં ધોધમાં ઉતરવામાં જોખમ છે. જો ઢાળમાં ગબડો તો નીચે તળાવમાં પડાય અને ડૂબી જવાય. એટલે કિનારે ઉભા રહીને જ ધોધને નિહાળવો સારો.

વાઝાચલ, અથીરાપલ્લીથી વાલાપરાઈ જવાના રસ્તે આવેલો છે. અથીરાપલ્લીથી વાઝાચલ વચ્ચે ઘણાં વાહનો દોડે છે. આ રોડ, ચલાકુડી નદીને લગભગ કિનારે કિનારે જ છે. વાઝાચલ આગળથી જ શોલાયારનાં જંગલો શરુ થાય છે. વાઝાચલ આગળ, ચલાકુડી નદીમાં બંધ બાંધવાનો પ્લાન છે, પણ હજુ તે વિવાદમાં છે.

અથીરાપલ્લીથી વાઝાચલ જતાં વચ્ચે રોડ પર જ ચપરા ધોધ આવે છે. ચપરા બહુ જાણીતો નથી, પણ રોડ પર જ આવતો હોવાથી અહીં બેઘડી ઉભા રહેવાનું મન થઇ જાય. આ ધોધ ૬૩ મીટર ઉંચેથી પડે છે. સીઝનમાં અહીં પાણી સારું એવું હોય છે.

અથીરાપલ્લી-વાલાપરાઈ રોડ પર અથીરાપલ્લીથી ૪૩ કી.મી. દૂર શોલાયાર ડેમ આવેલો છે. આ ડેમ જોવા જેવો છે. અથીરાપલ્લીથી વાલાપરાઈ ૬૦ કી.મી. દૂર છે. વાલાપરાઈ હીલ સ્ટેશન છે. અહીં ચા અને કોફીના ઘણા બગીચા છે. એને દક્ષિણનું ચેરાપુંજી કહે છે. અહીંથી મંકી ધોધ ૨૪ કી.મી. દૂર છે. તે વાલાપરાઈ-પોલાચી રોડ પરાવેલો છે. ધોધ રોડ સાઈડ પર જ છે. આ એક પ્રખ્યાત ટુરિસ્ટ સ્થળ છે. અહીં ધોધમાં નહાવાની મજા આવે છે. ટીકીટ લેવાની હોય છે. અહીં વાંદરાઓ બહુ પાછળ પડે છે. કોઈમ્બતોરથી આ ધોધ ૬૫ કી.મી. દૂર છે.

ત્રિસુરમાં વડાકુનાથન, પારામેકાવુ, થીરુવમ્બડી વગેરે મંદિરો છે. ત્રિસુરમાં દર વર્ષે ત્રિસુર પુરમ તહેવાર ઉજવાય છે.  ત્રિસુરથી ૨૯ કી.મી. દૂર ગુરુવાયુર ગામમાં ગુરુવાયુરનું પ્રખ્યાત મંદિર છે. આ મંદિર કૃષ્ણ ભગવાનને સમર્પિત છે. કૃષ્ણ, વિષ્ણુના અવતાર હોવાથી અહીં કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો આ મંદિરનાં દર્શને આવે છે. ગુરુવાયુર રેલ્વે સ્ટેશન છે અને મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે.

કોચીન જાણીતું બંદર છે. વાસ્કો-ડી-ગામા અહીં ૫૦૦ વર્ષ પહેલાં આવ્યો હતો, અને યુરોપના ભારત સાથેના વેપારની શરૂઆત કરી હતી. કોચીનને કોચી પણ કહે છે. કોચીન-અર્નાકુલમ ટ્વીન સીટી છે.

કોચીનથી ૧૨૦ કી.મી. દૂર મુન્નાર નામનું એક સુંદર સ્થળ છે. એને દક્ષિણ ભારતનું સ્વીટઝરલેન્ડ કહે છે. અહીં ઘણા ટી એસ્ટેટ છે. અથીરાપલ્લીથી મુન્નાર ૧૦૦ કી.મી. દૂર છે. કેરાલાની ટુરવાળા ટુરિસ્ટોને કોચીનથી મુન્નાર લઇ જતા હોય છે. તેઓ જો કોચીનથી અથીરાપલ્લી થઈને મુન્નાર જાય તો ત્રણેક કલાક વધુ લાગે, પણ વચ્ચે એક મોટો ધોધ જોવાઈ જાય.

અથીરાપલ્લી અને વાઝાચલ બંને જાણીતાં ટુરિસ્ટ આકર્ષણ છે. અહીં ફરવા માટે જૂનથી ઓક્ટોબર સારો સમય છે. ક્યારેક આ ધોધ જોવા જજો. જોઇને એમ લાગશે કે શું આપણા દેશમાં પણ આવા ભવ્ય ધોધ છે !

તસ્વીરો: (1) અને (2) અથીરાપલ્લી ધોધ  (3) વાઝાચલ ધોધ (4) મંકી ધોધ (5) ગુરુવાયુર મંદિર

1_Athirapalli fall

5_Athirappalli Waterfalls

8_Vazachal Falls

14_Monkey falls

15_Guruvayur Temple

‘ટચ-એ-ટ્રક’ પ્રોગ્રામ

                                                 ‘ટચ-એ-ટ્રક’ પ્રોગ્રામ

અસલી હેલિકોપ્ટરને અંદર જઈને જોવાની કે તેની નજીક ઉભા રહી તેને ઉચકાતું જોવાની તક કેટલા લોકોને મળતી હશે? સામાન્ય લોકોને પોલિસના વડાની ગાડીની અંદર બેસવા મળે ખરું? અગ્નિશામક બંબાની વાન અંદરથી જોવા મળે ખરી? આવું બધું જોવાની નાનાં બાળકો અને મોટાંને પણ કેટલી બધી મજા આવે !

આ બધું જોવા મળે એવી વ્યવસ્થા ખરેખર છે. અમેરીકાના હ્યુસ્ટન શહેરમાં દર વર્ષે બાળકો માટે એક કાર્યક્રમ યોજાય છે. એ કાર્યક્રમનું નામ ‘ટચ-એ-ટ્રક ઇવન્ટ’ (ટ્રકને અડકો) છે. બાળકોની સાથે મોટાંઓને જવાની છૂટ છે. 2016માં આવો પ્રોગ્રામ ફેબ્રુઆરીની 20મી તારીખે હતો. અમે ઘરના સૌ સભ્યો અમારા નાના ચિરંજીવીને લઈને નીકળી પડ્યા. પ્રોગ્રામનો ટાઈમ સવારના 9 થી 12નો હતો.

આ પ્રોગ્રામની તારીખ, સમય અને સ્થળની અગાઉથી જાહેરાત કરવામાં આવે છે. એટલે જોવા આવનારા લોકો પોતાનો પ્લાન નક્કી કરી શકે. પ્રોગ્રામ માટે, બધા પ્રકારનાં વાહનો અહીં લાવીને એક મોટા ખુલ્લા મેદાનમાં ગોઠવવામાં આવે છે. વાહનોની સંભાળ રાખનારા અને સલામતી માટેનાં પોલિસ દળો પણ હાજર હોય છે. શો જોવાની કોઈ ફી નથી.

અમે દસેક વાગે ત્યાં પહોંચી ગયા. દૂર દૂર સુધી ગાડીઓ પાર્ક થયેલી હતી. એના પરથી લાગ્યું કે કેટલા બધા લોકો પ્રોગ્રામ જોવા આવ્યા છે ! અમને નજીકમાં પાર્કીંગ મળી ગયું. ગાડી પાર્ક કરીને અમે મેદાનમાં પહોંચ્યા. દરેક વાહનો આગળ બાળકો અને તેમની સાથેના મોટાઓની લાંબી લાઈનો લાગેલી હતી. અમે અમારા નાનકાને લઇ, સૌ પહેલાં હેલિકોપ્ટરની લાઈનમાં ઉભા રહી ગયા. આ લાઈન સૌથી લાંબી હતી. તમારે હેલિકોપ્ટરની અંદર ના જવું હોય અને ખાલી બહારથી જ જોવું હોય તો લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહિ. ખુલ્લામાં હેલિકોપ્ટરની નજીક ઉભા રહીને જોઈ શકો. બારણાં ખુલ્લાં હોય એટલે અહીં ઉભા ઉભા હેલિકોપ્ટરની સીટો વગેરે દેખાય. નાનાં બાળકો અને તેની સાથેના વાલીને તો લાઈનમાં અંદર જઇ સીટ પર બેસવા મળે.

હેલિકોપ્ટર પછી, અમે આગ હોલવવાના બંબા આગળ જઈને ઉભા રહ્યા. આ વાનનાં બધાં બારણાં ખુલ્લાં, એટલે તમે સાવ નજીકથી અંદર રાખેલી બધી જ ચીજો જોઈ શકો. આ ટ્રક પર, ઉંચા મકાનમાં છેક ઉપરની બારીઓ સુધી પહોંચવા માટેની લાંબી સીડી પણ લગાડેલી હતી. જોવાની મજા આવી ગઈ.

ત્યાર પછી, અર્થ મુવર ટ્રક જોયો. એમાં એના મોટા હુપરમાં માટી, કચરો કે પથરા ઉપાડીને ટ્રકમાં ભરવાની કે બીજે ઠાલવવાની વ્યવસ્થા હોય છે. ડ્રાઈવરની સીટ પર બેસાડીને આ બધું બતાવે છે. પછી, ટ્રેક્ટર, ટ્રેક્ટરની પાછળ જમીન ખેડવા માટેનું હળ, એ બધું જોયું.

પછી અમે પોલિસની ગાડી આગળ ગયા. પોલિસ ગાડી જયારે શહેરમાં ફરતી હોય કે ક્યાંક ઉભી હોય ત્યારે તે અંદરથી જોવા મળે ખરી? પણ અહીં મૂકેલી પોલિસ ગાડીને અંદરથી જોવાની છૂટ હતી. અંદરથી તે કેવી હોય છે, એ જોવા મળ્યું.

પછી અમે રેફ્રિજરેટેડ વાન જોઈ. જે સામાન રેફ્રીજરેટરમાં મૂકીને લઇ જવાનો હોય તેને માટે આવી ટ્રકનો ઉપયોગ થાય છે. અંદરની આખી રચના જોવા મળી.

દુનિયામાં એવી કારો પણ બની છે કે જેનાં બારણાં ઉપર તરફ ખુલતાં હોય. આવી કારો પણ અહીં મૂકેલી હતી. વળી, બે ગાડીનાં આગળનાં બોનેટ ખોલીને રાખેલાં હતાં, એને લઈને ગાડીનું આખું એન્જીન જોવા મળ્યું.

આ ઉપરાંત પણ બીજાં વાહનો હતાં, તે બધાં જોયાં. ટૂંકમાં, દુનિયામાં વપરાતાં જાતજાતનાં વાહનો અહીં, જોવા માટે ખુલ્લાં મૂકી દીધેલાં હતાં.

એક જગાએ નાનાં બાળકોને રમવા માટે રમકડાંની નાનીમોટી ગાડીઓ હતી. એ ઉપરાંત, સ્પેર પાર્ટ જોડીને ગાડી, ટ્રક વગેરે બનાવી શકાય, એવી રમતો પણ હતી. બીજી એક જગાએ, નાનાં બાળકોને રેતીમાં રમવા માટે, રેતીનું નાનું મેદાન બનાવેલું હતું. અહીં બાળકો રેતી ઉછાળે, રેતીને ડબલામાં ભરે અને ખાલવે, રેતી ચાળે- એમ ઘણી બધી પ્રવૃત્તિ કરે. આવું રમવાની તક એમને ક્યાં મળવાની હતી? બીજી એક જગાએ ખાણીપીણીની સગવડ પણ હતી.

બધું જોવામાં બે કલાક તો સહેજે નીકળી ગયા. બધે ફોટા પડ્યા. પછી છેલ્લે, ખૂબ જ રોમાંચક એવો હેલિકોપ્ટરના ઉડવાનો પ્રોગ્રામ હતો. બાર વાગ્યા એટલે બધા જ લોકો મેદાનમાં હેલિકોપ્ટરની સામે પચાસેક મીટરના અંતરે ગોઠવાઈ ગયા. હેલિકોપ્ટરના પાયલોટ અને ઓફિસરો હેલિકોપ્ટરમાં બેસી ગયા. બધી બાજુ સલામતી માટે અને કોઈ દોડીને નજીક ના પહોંચી જાય તેની કાળજી કરવા માટે સલામતીના માણસો ઉભા રહી ગયા. અને પછી જેને જોવા લોકો ખૂબ આતુર હતા, તે પ્રોગ્રામ શરુ થયો.

હેલિકોપ્ટરનું એન્જીન ધણધણી ઉઠ્યું. ઉપરનો મોટો પંખો ધમધમાટ ઘુમવા લાગ્યો. થોડી વારમાં તો તેની ઝડપ વધી. પવનના વેગથી જમીન પરની ધૂળ ઉડીને અમારી તરફ આવવા લાગી. જોતજોતામાં તો હેલિકોપ્ટર ઉંચકાયું અને આકાશમાર્ગે ચડીને આગળ તરફ ઉડવા લાગ્યું. એ દેખાયું ત્યાં સુધી લોકો એને જોતા રહ્યા. અમે વિડીયો પણ ઉતાર્યો. આવો અવસર ફરી થોડો મળવાનો હતો? બધા જ ખુશ થઇ ગયા અને આનંદની એ ક્ષણો માણીને ઘર તરફ પ્રયાણ આદર્યું.

બીજાં શહેરોમાં આવા શો યોજાય છે કે નહિ, તેની ખબર નથી. પણ દરેક શહેરમાં અને ભારતનાં શહેરોમાં પણ આવા શો યોજવા જોઈએ, કે જેથી નાનાં બાળકો અને મોટાઓને પણ આવું બધું જોવાજાણવાનો લ્હાવો મળે.

હેલિકોપ્ટર 1

હેલિકોપ્ટર 2

                                               ઝાંઝરી ધોધ

ઝાંઝરી ધોધ, સાબરકાંઠા જીલ્લામાં વાત્રક નદી પર આવેલો છે. ઝાંઝરી ગામ આગળ નદી પોતે ખડકોમાં થઈને ધોધરૂપે પડે છે, અને આગળ વહે છે. ધોધમાં ઉતરવું ભયજનક છે, પણ ધોધ જોવાની તો મજા આવે.

ઝાંઝરી ધોધ જોવા માટે અમદાવાદથી દહેગામ થઈને બાયડના રસ્તે જવાનું. આ રસ્તેથી ઝાંઝરીના બોર્ડ આગળ જમણી બાજુ વળી જવાનું. એટલે વાત્રકને કિનારે પહોંચાય. અહીં ગાડી પાર્ક કરી દેવાની. દહેગામથી અહીં સુધીનું અંતર આશરે 35 કી.મી. જેટલું છે. અહીંથી નદીમાં ઉપરવાસ તરફ ૨ કી.મી. જાવ, એટલે ધોધ આગળ પહોંચાય. નદીમાં આ ૨ કી.મી. ચાલવાનું જરા અઘરું છે, પણ ઉંટ ભાડે મળે છે. ઉંટ સવારી કરવાની મજા આવે છે.

ધોધ આગળ ખડકો છે, અને તેના પરથી નદીનું પાણી જોસભેર 25 ફૂટ જેટલું નીચે પડે છે. નીચે પાણી ઘણું ઉંડું છે, તેમાં ઉતરાય એવું નથી. ધોધના ઉપરવાસમાં જરા દૂર જઈને નદીમાં નાહી શકાય. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે નહાવાનું જોખમ ખેડવું નહિ. ઉનાળામાં અહીં સખત ગરમી લાગે છે. ધોધમાં પાણી પણ ઓછું હોય છે. તે વખતે સવારના કે સાંજના આવવું, કે જેથી ગરમી ઓછી લાગે. ધોધ આગળ ક્યાંય છાંયડો નથી. ખડકો પર ક્યારેક લીલ અને શેવાળ બાઝેલી હોય છે, એટલે લપસી ના જવાય તેનો ખ્યાલ રાખવો. ખડકો પર ઉભા રહી, ધોધને નીરખવાનો આનંદ આવે છે.

ધોધ જોઇને પાર્કીંગ આગળ પાછા આવી બેઘડી આરામ કરી શકાય છે. ઘરેથી ખાવાનું લઈને આવ્યા હોઈએ તો અહીં બેસીને પીકનીક માનવી શકાય છે. અહીં થોડીક ખાવાની ચીજો મળે છે ખરી. પાર્કીંગ આગળ કેદારેશ્વર શીવ ભગવાનનું મંદિર છે. આ જગા ગમે એવી છે.

પાર્કીંગથી નદીના કિનારે કિનારે ધોધ સુધી ૨ કી.મી.નો રસ્તો બનાવી, ત્યાં જવાની વ્યવસ્થા કરી હોય તો વધુ સુગમ રહે. પ્રવાસીઓ પણ વધે. ધોધ આગળ ચોખ્ખાઈ રાખવાની જરૂર છે. કિનારે વિશ્રામસ્થાન ઉભું કરવાની જરૂર છે.

આ ધોધ જાણીતો છે, એટલે ઘણા લોકો અહીં આવે છે. આ ધોધ જોવા માટે સપ્ટેમ્બરથી ડિસેમ્બરનો સમયગાળો વધુ સારો ગણાય. અમદાવાદથી એક દિવસની પીકનીક મનાવવા માટે આ સારું સ્થળ છે. વાત્રકને કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવ પણ એક સારી જગા છે. દહેગામથી ત્યાં જવાનો રસ્તો પડે છે.

IMG_20140228_153117

IMG_20140228_153243

zanzari-waterfalls