મારા ગામની વાત

                                     મારા ગામની વાત

કોઈ ગામમાં વીજળીનું કનેક્શન ના હોય, એસટી બસની સગવડ ના હોય, ટેલિફોન ના હોય, ઘેર પાણીના નળ ના હોય – આવું ગામ તમે કલ્પી શકો છો? આજે તો ગામડાઓમાં આ બધી સગવડ પહોંચી ગઈ છે, પણ થોડા દસકાઓ પહેલાં, ગુજરાતનાં ઘણાં ગામડાંઓમાં આવી પ્રાથમિક સગવડો પણ ન હતી. હું તમને મારા જ ગામની વાત કરું.

મારું ગામ મહેલોલ. તે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરની નજીક મેસરી નદીને કિનારે આવેલું છે. ઈ.સ. ૧૯૬૦ના અરસામાં મારું ગામ કેવું હતું, તેની થોડી વાતો કહું.

ત્યારે ગામમાં વીજળી આવી નહતી. એટલે દરેક ઘરમાં રાતે ફાનસ કે ચીમની સળગાવવાની. રસ્તા તો અંધારિયા જ હોય. રાત્રે માણસોની અવરજવર પણ ઓછી હોય.

મહેલોલની નજીકનું શહેર ગોધરા. મહેલોલથી ખરસાલિયા, વેજલપુર થઈને ગોધરા જવાય. મહેલોલથી વેજલપુરનો ૭ કી.મી.નો રસ્તો કાચો. ગોધરા જવું હોય તો વેજલપુર સુધી ચાલતા કે બળદગાડામાં જવું પડે, પછી વેજલપુરથી ગોધરાની બસ મળે. મહેલોલ સુધી બસની સગવડ નહોતી. વચમાં મેસરી નદી અને જીતપુરા આગળ બીજી એક નદી આવે, તે ચાલતા ઓળંગવાની. તેના પર પૂલ બાંધેલો ન હતો, એટલે બસ આવી શકે જ નહિ. વળી, ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તો ચાલતા કે ગાડામાં પણ ના જવાય. ગામ આખું વિખૂટું પડી જાય. ૫ કી.મી. દૂરના ખરસાલિયામાં રેલ્વે સ્ટેશન ખરું, ત્યાંથી ગોધરા અને વડોદરા તરફની ટ્રેન મળે. ગામમાં કોઈ પબ્લીક પાસે સ્કુટર કે ગાડી ન હતાં. ગામમાં રીક્ષાઓ ન હતી.

ગામમાં ટેલિફોન આવ્યા ન હતા. એટલે બહારગામ કોઈની સાથે વાત કરવાનો પ્રશ્ન જ ન હતો. પોસ્ટ ઓફિસ હતી, એટલે પત્રથી જ બહારગામનો સંપર્ક રહેતો. ગામમાં પણ કોઈની સાથે વાત કરવી હોય તો તેને ત્યાં રૂબરૂ જવું પડે.

ગામમાં પાકા રસ્તા ન હતા, એટલે ધૂળમાં જ ચાલવાનું. ચોમાસામાં આ ધૂળનો કાદવ થાય, ત્યારે રસ્તાની સાઈડે માંડ ચાલી શકાય. ગંદકી અને મચ્છરો થાય તે વધારામાં.

પાણી માટે વોટરવર્કસ જેવી કોઈ યોજના ન હતી. ગામમાં કૂવા હતા. પાણી ભરવા કૂવે જવાનું, દોરડું અને ઘડાથી પાણી કૂવામાંથી ખેંચવાનું, અને માથે બેડું મૂકી પાણી ઘેર લાવવાનું. પીવાનું, નહાવાધોવાનું, રસોઈ, કપડાં, વાસણ – આ બધા માટેનું પાણી આ રીતે લાવવાનું. વળી, કૂવાનું પાણી ભારે હોય, ઘણી વાર આ પાણીથી દાળ ચડે નહિ, એટલે દાળ માટેનું પાણી લેવા નદીએ જવું પડે. ઘણી સ્ત્રીઓ કપડાં ધોવા નદીએ જાય, પણ એમાં બહુ જ ટાઈમ બગડે.

રસોઈ માટે ચૂલા કે સગડીનો ઉપયોગ કરવાનો. સગડી માટે કોલસા અને ચૂલા માટે લાકડાં જોઈએ. આ બળતણો ખરીદવાં ક્યાંથી? બહુ જ અઘરું કામ હતું. વળી, ચૂલામાં ધુમાડો થાય, એટલે રસોડાની ભીંતો કાળી થાય. બહુ જ ઓછા લોકો કેરોસીનવાળો સ્ટવ વાપરતા. ગેસ કે ઈલેક્ટ્રીક સગડીની તો કલ્પના જ ન હતી.

ગામમાં બેંક ન હતી. બધો જ વ્યવહાર રોકડાથી થતો. ગામમાં ધોરણ સાત સુધીની પ્રાથમિક શાળા હતી. પછી, ૧૯૫૯માં હાઈ સ્કુલનું ધોરણ આઠમું શરુ થયું. દર વર્ષે એક એક ધોરણ ખુલતું ગયું, ૧૯૬૩ સુધીમાં ધોરણ ૧૧ સુધીની સ્કુલ શરુ થઇ ગઈ હતી. કોલેજ ભણવું હોય તેને તો ગોધરા કે બીજે જ જવું પડે. આમ છતાં, એ જમાનામાં ગામમાંથી ઘણા વિદ્યાર્થીઓ હોસ્ટેલોમાં રહીને બીએ, બીએસસી, બીકોમ, બીએડ અને એન્જીનીયર થયેલા. થોડાકે માસ્ટર પણ કર્યું. અરે ! પીએચડી થનાર પણ હતા ! અમારા ગામના પ્રવીણ દરજી પીએચડી થયા, એટલું જ નહિ, સાહિત્ય ક્ષેત્રમાં તેમનું અદભૂત પ્રદાન છે. તેઓ પદ્મશ્રી વિજેતા છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે. ગામના  ઘણા વિદ્યાર્થીઓ ભણીને પરદેશમાં પણ સ્થાયી થયા છે.

ગામમાં બેચાર ઘરને બાદ કરતાં, કોઈની પાસે રેડીઓ ન હતા. ટેપ રેકોર્ડ એ કલ્પના માત્ર હતી. ટીવી કે કોમ્પ્યુટરનું નામે ય નહોતું સાંભળ્યું. ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય અને પૈસાની સગવડ હોય તો ગોધરા કે કાલોલથી બેન્ડ વાજાં મંગાવે કે થાળી વાજુ ભાડે લઇ આવે, ત્યારે ગીતો સાંભળવા મળે.

ગામમાં સીનેમા થીયેટર નહોતું. વરસે એક વાર શિયાળામાં નાટકકંપની આવે, તે ગામના એક ચોકમાં રાત્રે ધાર્મિક કે બીજાં નાટકો કરે, એ જ મનોરંજનનું સાધન હતું.

ગામમાં એક સરકારી અને એક ખાનગી દવાખાનું હતું. એ પ્રાથમિક સારવાર માટે જ કામ લાગે. સહેજ મોટો રોગ કે ઓપરેશન હોય તો ગોધરા કે મોટા શહેરમાં જ જવું પડે.

ગામમાં વાણીયા લોકો દુકાન કરે, બ્રાહ્મણો પૂજાપાઠ કે ખેતી કરે, ખેડૂતો ખેતી કરે, સુથાર, લુહાર, દરજી વગેરે પોતાના ધંધા કરે, અને આ રીતે બધાનું કામકાજ ચાલ્યા કરે. ગામમાં મંદિર, મહાદેવ તો હોય જ. ધાર્મિક તહેવારો ઘણા ઉજવાય. ચોમાસામાં કથા થાય.

ગામનું આખું ચિત્ર તમારા મગજમાં બેસી ગયું હશે. તમને એમ લાગશે કે આ બધી પાયાની સગવડો વગર લોકો કઈ રીતે જીવતા હશે? પણ અમે બધા એ રીતે જીવતા જ હતા ! અને આનંદથી જીવતા હતા. કશાયની કમી નહોતી લાગતી. લોકોના જીવ ઉદાર હતા. ગામમાં એક જણને ત્યાં કંઇક પ્રોબ્લેમ થાય તો આખું ગામ ત્યાં ભેગું થઇ જતું હતું. કોઈ માંદુ હોય તો બધા જ ખબર કાઢવા જતા અને મદદ પણ કરતા. લોકો સાંજે ફળિયામાં ભેગા થઈને ગપ્પાં પણ મારે. દિવાળીમાં બધા જ એકબીજાને ત્યાં મળવા જાય. કોઈને કશી ઉતાવળ નહિ, કોઈને ટાઈમ બગડવાની ચિંતા નહિ. બહારગામ ભણતા વિદ્યાર્થીઓ વેકેશનમાં ગામમાં આવે ત્યારનો માહોલ તો કોઈ ઓર પ્રકારનો હોય.

અને આજે? આજે ગામમાં બધી સગવડો આવી ગઈ છે. પણ એ માણસો રહ્યા નથી. મોટા ભાગના લોકો ભણીને શહેરમાં રહેવા ચાલ્યા ગયા છે. એ જમાનો બદલાઈ ગયો છે. અત્યારે અમે ગામમાં જઈએ છીએ ત્યારે બહુ જ થોડા ઓળખીતા લોકો મળે છે. સહુ પોતપોતાના કામમાં વ્યસ્ત છે, એટલે જૂની યાદોને સંભારીને થોડા કલાકોમાં પાછા આવી જઈએ છીએ.

આપણા ભણતરમાં શું ખૂટે છે?

                                               આપણા ભણતરમાં શું ખૂટે છે?

એક વાર મારો એક વિદ્યાર્થી ગૌતમ મારી પાસે આવ્યો, અને મને પૂછ્યું, ‘સર, અમે દિલ્હી ફરવા જઈએ છીએ, પણ અમારી ટ્રેન કેટલા વાગે દિલ્હી પહોંચશે, તે મારે જાણવું છે.’

મેં કહ્યું, ‘આ તો બહુ જ સહેલું છે. રેલ્વેના ટાઈમટેબલમાં જોઈ લે.’

એ બોલ્યો, ‘સર, ટાઈમ ટેબલ તો મારી પાસે છે, પણ એમાં શોધવાનું કઈ રીતે? મને એ નથી આવડતું.’

મેં કહ્યું, ‘જો, ટાઈમટેબલમાં અમદાવાદ-દિલ્હીના રૂટવાળું પાનું ખોલ. દરેક ટ્રેનને નામ અને નંબર આપેલા હોય છે. તારી ટ્રેનના નંબરવાળા કોલમમાં જો. એમાં દિલ્હીના નામ આગળ ત્યાં પહોંચવાનો ટાઈમ લખેલો હશે.’ એમ કહી, મેં એને ટાઈમટેબલમાં જોતાં શીખવાડ્યું અને એની ટ્રેનનો દિલ્હી પહોંચવાનો ટાઈમ બતાવ્યો. ગૌતમ ખુશ થઇ ગયો.

એક વાર એક છોકરી નામે શિવાની કુતૂહલવશ મને પૂછે કે ‘સર, મેં સાંભળ્યું છે કે ભારતમાં સાંજના સાડા પાંચ વાગ્યા હોય ત્યારે લંડનમાં બપોરના બાર જ વાગ્યા હોય. આવું કઈ રીતે બને? સૂરજ તો બધે સરખો જ પ્રકાશે ને? ભૂગોળમાં ક્યાંક ભણ્યા છીએ, પણ મને સમજાતું નથી.’ મેં એને પૃથ્વીના ફરવાની સાથે, પૂર્વ-પશ્ચિમમાં આવેલાં અલગ અલગ સ્થળોએ સમય કેમ જુદો જુદો હોય તે સમજાવ્યું.

અહીં વાત એ છે કે ગૌતમ અને શિવાની જેવા અનેક લોકોને આવી બધી ખબર નથી હોતી. ‘પનામા નહેર ક્યાં આવી?’ ‘બીજા કોઈ દેશના વિઝા કઈ રીતે કઢાવવા?’ ‘ઘઉંની ખેતી કઈ રીતે થાય?’ – આ અને આવા હજારો પ્રશ્નોની માહિતી વિદ્યાર્થીઓને નથી હોતી. ભણીને ડીગ્રીઓ મેળવી લીધા પછી પણ ઘણી વ્યવહારિક જાણકારી લોકો પાસે નથી હોતી. આ બધાનું કારણ શું? શું, આ બધું જાણવાની જરૂર નથી હોતી? અરે, બહુ જ જરૂર હોય છે. આ દુનિયામાં લોકો વચ્ચે રહેવું હોય તો આવી બધી ખબર હોવી જ જોઈએ.

આપણે બધા શું કરીએ છીએ કે આવી કોઈ માહિતીની જરૂર પડે ત્યારે કોઈકને પૂછીને જાણી લઈએ છીએ, અને આપણું ગાડું ગબડ્યા કરે છે. પણ એને બદલે આવી બધી જાણકારી સ્કુલ-કોલેજોમાં શીખવાડાય, એ વધુ સારું નહિ? આપણા શિક્ષણમાં આવી બધી બાબતો વિષે ક્યાંય ભણાવાતું નથી. આપણા અભ્યાસક્રમો એવા છે કે એમાં સીલેબસ નક્કી હોય, અને એમાંથી જ પરીક્ષામાં પૂછાય. વિદ્યાર્થીઓ પણ મનેકમને એ ભણી નાખે, પાસ થાય અને ડીગ્રી પણ મળી જાય.

આજે વિજ્ઞાનની આટલી બધી શોધખોળો થયા પછી, દુનિયાના લોકો એકબીજાની નજીક આવી ગયા છે. સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહાર ક્ષેત્રે અદભૂત ક્રાંતિ થઇ છે. કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોને દુનિયાને ઘણી બધી બદલી નાખી છે. આ સંજોગોમાં ઘણી વ્યવહારલક્ષી બાબતો જાણવાનું બધાએ જરૂરી બની ગયું છે. જો સ્કુલ-કોલેજોમાં આવું શિક્ષણ અપાય તો વિદ્યાર્થીની પ્રતિભામાં ઘણો વધારો થાય.

ઉપરનાં બેચાર ઉદાહરણો ઉપરાંત, હું અહીં બીજાં થોડાં નમૂનારૂપ ઉદાહરણો આપું કે જેના વિષે વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ. જેમ કે.

-ઘરમાં વપરાતી વીજળી કઈ રીતે પેદા થાય છે?

-નર્મદાની નહેરના માર્ગમાં વચ્ચે નદી આવે તો નહેર કેવી રીતે બાંધવી?

-પેટ્રોલ ક્યાંથી અને કેવી રીતે મળે છે?

-કાચ કઈ રીતે બને?

-રોડ પર જતા હોઈએ, અને રસ્તામાં કોઈને એકસીડન્ટ થાય, ત્યારે શું કરવું?

-બીજા વિદ્યાર્થીઓ સાથે હળીમળીને કેવી રીતે રહેવું?

-જાહેર જગાઓ અને રસ્તાઓ પર ગંદકી ના થાય એ માટે શું કરવું? લોકજાગૃતિ કઈ રીતે લાવવી?

-પાણીનો બગાડ કઈ રીતે અટકાવવો?

-પ્રામાણિકતાથી જીવન જીવવા શું કરવું?

-કુરિવાજો કઈ રીતે દૂર કરવા?

આવા તો અનેક પ્રશ્નો શોધી શકાય. આવું બધું વ્યવહારુ જ્ઞાન મેળવવા માટે શિક્ષણ સંસ્થાઓમાં એક વધારાનો વિષય રાખવો જોઈએ. શિક્ષકે ખૂબ જ ધ્યાનપૂર્વક વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઇ આ બધું ભણાવવું જોઈએ. ખાસ તો એ જરૂરી છે કે વિદ્યાર્થીઓમાં આ બધું શીખવાનો રસ પેદા થાય. આજના મોટા ભાગના વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસીને ભણવાનું ગમતું નથી. એટલે આ વ્યવહારુ જ્ઞાનવાળો વિષય પણ તેને બીજા વિષયો જેવો નીરસ જ લાગશે. આમ છતાં, વિદ્યાર્થીને આ વિષય ગમે, એને રસ પડે, એને મજા આવે, એને આ બધું જાણવાનું આકર્ષણ થાય એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ. વિદ્યાર્થીને આ બધું જાણવાની જિજ્ઞાસા પેદા થાય એવો માહોલ પેદા કરવો પડે. વળી, આ શિક્ષણનો વહેવારમાં જ્યાં ઉપયોગ થતો હોય, ત્યાં વિદ્યાર્થીને લઇ જઇ, તેનું જ્ઞાન પ્રત્યક્ષ કરાવવું પડે. હું તો એમ કહું કે ભણવામાં આવો વિષય ભલે ના રાખ્યો હોય તો પણ દરેક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને, પોતાના રેગ્યુલર વિષયની સાથે પાંચેક મિનીટ આવી વ્યવહારુ વાતો કરે તો પણ ઘણું છે. વિદ્યાર્થીને પ્રેમથી શીખવાડીશું તો તેને ભણવાનું જરૂર ગમશે.

વિદ્યાર્થીઓ વ્યવહારની આવી બધી વાતો શીખશે તો આપણો સમાજ ઘણો આગળ આવશે, આપણો વિદ્યાર્થી ક્યાંય પાછો નહિ પડે, દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થશે, ચોખ્ખાઈ જળવાશે, કુદરતી સ્ત્રોતોનો વેડફાટ થવાને બદલે તેનો મહત્તમ ઉપયોગ થશે, અને આપણે દુનિયાના આગળ પડતા દેશોની હરોળમાં આવી શકીશું.

આવો સમાજ કોને ન ગમે? ચાલો, આપણે આ દિશામાં આજથી જ શરૂઆત કરીએ.

અંબેધામ, ગોધરા, કચ્છ

અંબેધામ, ગોધરા, કચ્છ: કચ્છના ગોધરા ગામમાં પ્રખ્યાત અંબેધામ આવેલું છે. (પંચમહાલ જીલ્લામાં આવેલું ગોધરા એ અલગ છે.) ભૂજથી માંડવી જવાના રસ્તે, માંડવી આવતા પહેલાં કોડાય ચાર રસ્તાથી ગોધરા ગામ જવાનો રસ્તો પડે છે. અહીંથી ગોધરા ૧૬ કી.મી. દૂર છે. અહીં આરસનું બનાવેલું અંબામાતાનું ભવ્ય મંદિર છે. મંદિરનો ગેટ, ઓટલો, છત, થાંભલા – બધું જ આરસનું છે. મંદિરના ઓટલા પર વાઘની બે પિત્તળની મૂર્તિઓ ગોઠવેલી છે. તે તરત જ ધ્યાન ખેંચે છે. મંદિર જાણે હમણાં જ બન્યું હોય એટલું નવું લાગે છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ પામે છે. અહીં પ્રવાસીઓ કરતાં ભક્તો વધુ આવતા હોય એવું લાગે છે. ભૂજથી કોડાય ચાર રસ્તા ૫૦ કી.મી. અને કોડાય ચાર રસ્તાથી માંડવી ૧૦ કી.મી. દૂર છે.

અંબેધામ મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. સંકુલમાં બીજાં ઘણાં મંદિરો છે. મુખ્ય મંદિરની પાછળ ભારતમાતાની ભવ્ય મોટી મૂર્તિ છે. મૂર્તિને વંદન કરવાનું મન થઇ જાય છે. મનમાં દેશદાઝ પ્રગટી આવે છે. બાજુમાં જ એક પ્રદર્શન રૂમ છે. તે જોવા જેવું છે. બીજા એક નાના કુંડમાં પાણી ભરેલું છે અને તેમાં મૂકેલો પથ્થર પાણી પર તરે છે. પાણી પર તરી શકે એવા પથ્થરનો આ નમૂનો છે. રામાયણની કથા મૂજબ, રામ ભગવાને આવા પથ્થર વાપરીને લંકા જવા માટેનો પૂલ, સમુદ્ર પર બનાવ્યો હતો.

એની બાજુમાં પ્રેરણાધામ છે. અહીં મહાવીર સ્વામીની મૂર્તિ અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓ વિગેરેની પ્રતિકૃતિ અને મૂર્તિઓ છે. બે ઘડી ઉભા રહીને આ બધું જોવાનું ગમે એવું છે. તેની બાજુમાં એક વધુ પ્રદર્શન કક્ષ છે. અહીં આપણા ધાર્મિક ગ્રંથોમાં આવતા પ્રસંગોને પૂતળાં રૂપે રજૂ કર્યા છે એ જોઈને આપણને આ પ્રસંગોની યાદ મનમાં તાજી થઇ જાય છે. જેમ કે એક પગે ઉભા રહીને તપ કરતા ધ્રુવ, હિરણ્યકશ્યપનો વધ કરતા નરસિંહ ભગવાન વગેરે.

એની બાજુમાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને મોટો કૈલાસ પર્વત બનાવ્યો છે. એની ટોચ પર શંકર ભગવાન બિરાજે છે. પર્વત બહુ જ સરસ અને જોવા જેવો છે. દૂરથી જ તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે. પર્વતની અંદર ગુફામાં દાખલ થઇ, વાંકાચૂકા ચઢાણવાળા માર્ગે ફરી, છેક ટોચ પર બહાર નીકળાય છે. ગુફાના માર્ગમાં પણ ઘણા દેવદેવીઓની મૂર્તિઓ છે. ગુફાની રચના ખૂબ જ આકર્ષક અને અદભૂત છે. ટોચ પર શંકર ભગવાનની મૂર્તિનાં સાવ નજીકથી દર્શન થાય છે. ટોચ પરથી પગથિયાં ઉતરીને નીચે આવી જવાય છે.

આ બધાં મંદિરો આગળ બગીચા અને રસ્તાઓ પણ છે. તેમાં થઈને અન્નક્ષેત્રમાં જવાય છે. અન્નક્ષેત્રમાં અહીં  આવતા પ્રવાસીઓને માટે જમવાની વ્યવસ્થા છે. જમવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, જે ઈચ્છા હોય એટલી ભેટ નોંધાવી દેવાની. જમવાનું ખૂબ જ સારું અને વ્યવસ્થા પણ ઘણી સારી છે. રસોડામાં અને જમવાના હોલની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી છે. આમ જુઓ તો આખો અંબેધામ વિસ્તાર ખૂબ જ ચોખ્ખો છે. જમીને બગીચામાં કે મંદિરમાં કે ઓફિસ વિસ્તારમાં બેસવાનું કે થોડો આરામ ફરમાવવાનું ગમે એવું છે. આખું સ્થળ એવું સરસ છે કે અહીં બેસીને બધું જોયા કરવાનું મન થાય. અંબેધામમાં ત્રણેક કલાક તો સહેજે પસાર થઇ જાય. ખરેખર આ એક જોવાલાયક જગા છે.

26a_ambedham

26b_Ambedham.JPG

26c_ambedham

26d_ambedham