હલ્દીઘાટીની ચેતક સમાધિ, મહારાણા પ્રતાપ મ્યુઝીયમ અને ગુફા

                        હલ્દીઘાટીની ચેતક સમાધિ, મહારાણા પ્રતાપ મ્યુઝીયમ અને ગુફા

ભારતમાં ઘણા દેશભક્ત સપૂતો વિદેશી શાસકો સામે ઝઝૂમ્યા છે. મેવાડના મહારાણા પ્રતાપ આવા જ એક શૂરવીર દેશભક્ત હતા. તેમની વાત કંઇક આ પ્રમાણે છે.

મુગલ સમ્રાટ અકબરે, ભારતના ઘણા રાજાઓને જીતી, તેમનાં રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધાં હતાં. પણ મેવાડના મહારાણા પ્રતાપ અકબરને તાબે થયા નહિ. આથી અકબરે, પ્રતાપની સામે ઈ.સ. ૧૫૭૬માં યુદ્ધ છેડ્યું. રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં અકબર અને પ્રતાપનાં સૈન્યો સામસામે ગોઠવાયાં. આ જગાની માટી પીળી હળદર જેવી હોવાથી, આ જગા હલ્દીઘાટી તરીકે ઓળખાય છે. અકબરનું સૈન્યબળ બહુ જ પ્રચંડ હતું. રાજા માનસીંગ તેનો સેનાપતિ હતો. મહારાણા પ્રતાપ પોતાના ચેતક ઘોડા પર સવાર થઈને યુદ્ધમેદાનમાં આવ્યા. ચેતક બહુ જ બળવાન અને વફાદાર અશ્વ હતો. પ્રતાપે યુદ્ધમાં બહુ જ બહાદુરી બતાવી, પણ તેના ઘોડાનો પગ ઘાયલ થતાં, તેણે ભાગવું પડ્યું. ઘોડો, માલિકનો જીવ બચાવવા, ઘાયલ પગે પણ ભાગ્યો. એક જગાએ તો તે ૨૨ ફૂટ પહોળી ખાઈ એક જ કૂદકે ઓળંગી ગયો. અંતે ઘોડો પડ્યો, અને મૃત્યુ પામ્યો. મહારાણા પ્રતાપે હલ્દીઘાટીમાં એ જગાએ ચેતક સમાધિ બનાવી. તેમણે જે વીરતા બતાવી, તેની વાત કહેતું એક મ્યુઝીયમ હલ્દીઘાટીમાં બન્યું છે. પ્રતાપ પોતાનાં શસ્ત્રો જે ગુફામાં છૂપાવીને રાખતા હતા, તે ગુફા, મહારાણા પ્રતાપ ગુફા તરીકે જાણીતી છે. હલ્દીઘાટી, નાથદ્વારાથી ૨૦ કી.મી. અને ઉદયપુરથી ૪૦ કી.મી. દૂર આવેલુ છે.

અમને હલ્દીઘાટીમાં આ બધી જગાઓ જોવાની બહુ જ ઈચ્છા હતી. એટલે અમે નાથદ્વારા ગયા ત્યારે, આ જગાઓ જોવાનો પ્લાન બનાવી કાઢ્યો. એક બપોરે અમે નાથદ્વારાથી ટેક્સી કરીને નીકળી પડ્યા, તથા મોલેલા અને ખીમનોર થઈને હલ્દીઘાટી પહોંચ્યા. મોલેલા ગામ, માટીની ચીજવસ્તુઓ માટે જાણીતું છે. અહીં માટીની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ઘેરઘેર ખીલ્યો છે. આ વસ્તુઓ પરદેશમાં પણ નિકાસ થઈને પહોંચે છે. હલ્દીઘાટી ટેકરીઓમાં વસેલું છે. ટેકરીઓ કોરીને રસ્તો બનાવેલો છે. હલ્દીઘાટી જેમ નજીક આવતું ગયું તેમ, ટેકરીઓની માટી પીળાશ પડતી દેખાવા લાગી. અમારો ટેક્સી ડ્રાઈવર આ વિસ્તારનો જાણકાર હતો, તે અમને બધી માહિતી આપતો હતો. આ વિસ્તારમાં ગુલાબના છોડ ખૂબ જ થાય છે. તમને જ્યાં ને ત્યાં ગુલાબના બગીચા જોવા મળશે. ગુલાબને કારણે અહીં ગુલાબજળ, ગુલાબનું શરબત, ગુલકંદ વગેરે બનાવવાનો ધંધો પૂરબહારમાં વિકસ્યો છે. અહીં આ બધી ચીજો બનાવવાની નાની નાની ફેક્ટરીઓ અને તે વેચવા માટેની દુકાનો પણ ઘણી છે. અમે એક ફેક્ટરી કમ દુકાન આગળ ગાડી ઉભી રાખી, એ જોવા માટે નીચે ઉતર્યા. દુકાનના માલિકે અમને ગુલાબજળ, ગુલકંદ, જાંબુનો અર્ક વગેરે બનાવવાની નાનકડી મશીનરી બતાવી, તથા દુકાનમાંથી ગુલાબના શરબત અને ગુલકંદનો અમને ટેસ્ટ કરાવ્યો. અદભૂત ટેસ્ટ હતો. આવું શરબત અમે ક્યાંય પીધું ન હતું. અમે ગુલાબ, વરીયાળી અને પાનનાં શરબત ખરીદ્યાં પણ ખરાં.

ગાડી આગળ ચાલી. પહેલાં તો ચેતક સમાધિ આવી. અહીં અંદર જઇ સમાધિનાં દર્શન કર્યાં, ચેતક ઘોડા પ્રત્યે અહોભાવ પેદા થયો. આજુબાજુ બગીચો બનાવ્યો છે. એક મંદિર પણ છે.

અહીંથી આગળ જઇ અમે મહારાણા પ્રતાપ મ્યુઝીયમ પહોંચ્યા. એક રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ, જાતે રસ લઈને આ મ્યુઝીયમ ઉભું કર્યું છે. હલ્દીઘાટીનું આ મુખ્ય આકર્ષણ છે. બહાર પાર્કીંગની વ્યવસ્થા છે. નાસ્તાપાણીની થોડી દુકાનો છે. થોડાં શણગારેલાં ઉંટ અહીં હતાં. ઉંટમાલિકો પ્રવાસીઓને ઉંટ પર બેસાડી આજુબાજુ ફેરવે છે. મ્યુઝીયમનું પ્રવેશદ્વાર ઘણું જ ભવ્ય છે. તે રાજસ્થાની શૈલીના કિલ્લાના પ્રવેશદ્વાર જેવું છે. બહાર દિવાલ પર, યુદ્ધના એક દ્રશ્યનું તામ્રકલરનું મોટું ઉપસાવેલું ચિત્ર મૂકેલું છે. ટીકીટ લઇ અમે અંદર પ્રવેશ્યા.

અંદર ખુલ્લા મેદાનમાં ડાબી બાજુએ રાણા પ્રતાપ અને મુગલ સૈન્ય વચ્ચેના યુદ્ધના દ્રશ્યનાં વિશાળ તામ્રવર્ણ સ્ટેચ્યુ ઉભાં કરેલાં છે. હાથી પર સવાર મુગલ સેનાપતિ સામે રાણા પ્રતાપનો ઘોડો આગલા પગે હાથીની ઉંચાઇ જેટલો ઉંચો થઇ જાય છે, અને ઘોડા પર બેઠેલો પ્રતાપ ભાલાથી સેનાપતિ પર વાર કરે છે. આ પ્રખ્યાત દ્રશ્ય અહીં આબેહૂબ ખડું કર્યું છે. આ જોઇને આપણને પ્રતાપની શૂરવીરતા પર ગર્વ થઇ આવે છે. અહીં બીજા સૈનિકોનાં સ્ટેચ્યુ પણ છે. આ દ્રશ્યની બાજુમાં, સ્વાગત કરતા બે હાથીઓની પ્રતિમાઓ મૂકેલી છે.

ડાબી બાજુએ યુદ્ધનાં સ્ટેચ્યુની પાછળ, ઢાળ ચડીને એક ઓડીટોરીયમમાં જવાય છે. અહીં પ્રતાપની ગાથા વર્ણવતો વિડીયો જોવા મળે છે. અહીં યુદ્ધનાં બીજાં ચિત્રો પણ છે. ત્યાર બાદ એક પછી એક હોલમાં રાણા પ્રતાપના જીવનના પ્રસંગો દર્શાવતાં સ્ટેચ્યુ મૂકેલાં છે. ઉદાહરણ તરીકે એક પ્રસંગ એવો છે કે જેમાં દાનવીર ભામાશા, પ્રતાપને મેવાડ બચાવવા માટે લાખો રૂપિયાનું દાન આપે છે. આ પ્રસંગો સાથે તેની વિગતની ઓડિયો ટેપ પણ સંભળાય છે. પ્રવાસીઓ આ બધું જોતા સાંભળતા આગળ વધે છે. આ પ્રસંગો અને યુદ્ધના એક વિડીયો પછી આપણે બહાર ખુલ્લી જગામાં આવીએ છીએ.

બહાર ગ્રામ્ય જીવનનાં દ્રશ્યો દર્શાવતાં કેટલાંક પૂતળાં ઉભાં કર્યાં છે, જેવાં કે બળદો હાંકતો ખેડૂત, લોખંડ ટીપતો લુહાર, ગાય, ઉંટ વગેરે. આ પૂતળાં જોઇને મેડમ તુષાડનું વેક્સ મ્યુઝીયમ યાદ આવી જાય. આ પૂતળાં, મેડમ તુષાડના મ્યુઝીયમથી કમ નથી. પણ મેડમનું મ્યુઝીયમ આખી દુનિયામાં પ્રખ્યાત થયું છે, જયારે આ પૂતળાંને બહુ ઓછી પ્રસિદ્ધિ મળી છે. આ પૂતળાંની જોડે એક નાનકડું તળાવ છે. તેમાં પેડલ વડે બોટીંગ કરવાની સુવિધા છે. બાજુમાં ખાણીપીણી માટે રેસ્ટોરન્ટ છે. એક જગાએ ઘાણીની જેમ બળદ દ્વારા શેરડીનો રસ કાઢવાનો સંચો છે. અમે અહીં રસ પીધો. તેની જોડે એક શોપ છે. એમાં રાજસ્થાની કલાકારીગરીની ઘણી ચીજો વેચાતી મળે છે. બાજુમાં શીવજીનું મંદિર છે. આમ, મ્યુઝીયમમાં જોવા જેવી ઘણી ઘણી ચીજો છે. આ મ્યુઝીયમ જરાય નીરસ નહિ લાગે, બલ્કે આનંદ આવશે. એક વાર તો આ મ્યુઝીયમ જરૂર જોવા જેવું છે. જોવામાં દોઢબે કલાક તો લાગે જ. મ્યુઝીયમ જોઇને અમે બહાર આવ્યા. મ્યુઝીયમની નજીકમાં કપડા અને કાષ્ઠની ચીજોની દુકાનો છે, રહેવા માટે એક હોટેલ પણ છે.

અહીંથી અમે આશરે એક કી.મી. દૂર આવેલી મહારાણા પ્રતાપ ગુફા જોવા ગયા. ગુફાનું પ્રવેશદ્વાર સરસ છે. કુદરતી રીતે બનેલી આ ગુફામાં મહારાણા પ્રતાપ શસ્ત્રો સંતાડીને રાખતા હતા, એવું જાણવા મળ્યું. ગુફામાં અંદર અંધારું છે, એમાં એક નાની સળગતી જ્યોત રાખેલી છે. ગુફાની જોડે જ ઝાડ નીચે ખુલ્લામાં રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરની જોડે, પાછળની ટેકરી પરથી પાણીની એક ધારા કુદરતી રીતે જ પડે છે. ચોમાસામાં આ ધારા ધોધ જેવી લાગે. દ્રશ્ય બહુ જ સુંદર છે.

હવે હલ્દીઘાટી વિસ્તારમાં અમારે બધું જ જોવાઈ ગયું હતું. એટલે એ જ રસ્તે ખીમનોર થઈને અમે નાથદ્વારા પાછા વળ્યા. ખીમનોરમાં શ્રી હરિરાય મહાપ્રભુની બેઠક આવેલી છે. ઘણા ભક્તો અહીં દર્શને આવે છે.

હલ્દીઘાટી એટલે મહારાણા પ્રતાપની કર્મભૂમિ. તેમણે આ ધરતી ક્યારેય પરદેશીઓને હસ્તક જવા દીધી નહિ. દેશદાઝથી ભરેલ આ ભૂમિનાં દર્શન કરી અમને ખૂબ આનંદ થયો, અને વીરપુરુષ પ્રતાપ માટે ખૂબ આદરભાવ પેદા થયો. ક્યારેક તક મળે તો હલ્દીઘાટી જોવા જરૂર જજો.

4

1

4

6.jpg

21

22

2

10

 

 

અમરીકાના વૈજ્ઞાનિક ડો. વિન્સ્ટન સાથેની મુલાકાત

                                  અમરીકાના વૈજ્ઞાનિક ડો. વિન્સ્ટન સાથેની મુલાકાત

ડો. રોલેન્ડ વિન્સ્ટન એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વૈજ્ઞાનિક છે. સોલર એનર્જી (સૂર્ય શક્તિ)ના વિષયમાં તેમણે અનેક સંશોધનો કર્યાં છે. તેમની શોધખોળોનો સમાજમાં તથા ઔદ્યોગિક ક્ષેત્રે બહોળો ઉપયોગ થયો છે. તેઓએ સૂર્ય શક્તિનો વ્યાપકપણે ઉપયોગ કરવાના રસ્તાઓ સૂઝાડ્યા છે, એને લીધે વ્યવહારમાં ઉર્જા સ્ત્રોતોની ઘણી બચત થાય છે. ડો. વિન્સ્ટને અમેરીકામાં યુનીવર્સીટી ઓફ શીકાગો અને યુનીવર્સીટી ઓફ મરસીડમાં વર્ષો સુધી પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે. તેઓ આંતરરાષ્ટ્રીય સોલર એનર્જી સોસાયટીના પ્રમુખ રહી ચૂક્યા છે. સોલર એનર્જી ક્ષેત્રમાં તેમનું નામ અગ્રસ્થાને છે. આટલા ઉંચા સ્થાને બિરાજતા હોવા છતાં, તેઓ નમ્ર, વિવેકી અને ઉમદા દિલના માનવી છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિને મળવામાં કેટલો બધો આનંદ થાય ! અહીં મારે તેમની સાથેની મુલાકાતની વાત કરવી છે. તેમની સાથે અંગ્રેજીમાં થયેલી વાતચીત, અહીં મોટાભાગે તો ગુજરાતીમાં જ લખીશ.

૨૦૦૩ના મે મહિનામાં હું અમેરીકામાં ડલાસ શહેરમાં હતો. મારું રીસર્ચનું કામકાજ ચાલતું હતું. મારી રીસર્ચ પણ, ડો. વિન્સ્ટને કરેલી શોધખોળના અનુસંધાનમાં હતી. આથી ડો. વિન્સ્ટનના નામથી અને કામથી હું પરિચિત હતો. મને થયું કે વિન્સ્ટન સાહેબને રૂબરૂ મળવાની અને તેમના માર્ગદર્શનમાં કામ કરવાની તક મળે તો કેવી મજા આવી જાય ! મેં મારા પુત્રને મારો વિચાર જણાવ્યો. તેણે ગુગલ પરથી ડો. વિન્સ્ટનનો ફોન નંબર અને ઠેકાણું શોધી કાઢ્યું. આવી મહાન વ્યક્તિનું ઠેકાણું, ઈન્ટરનેટના જમાનામાં તો સહેલાઇથી મળી જાય. ડો. વિન્સ્ટન અત્યારે યુનીવર્સીટી ઓફ શીકાગોમાં હતા, અને ત્યાં એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટમાં ભૌતિક વિજ્ઞાનીની ફરજ બજાવતા હતા.

મારા પુત્રએ મને એમનો ફોન જોડી આપ્યો. ધડકતે હૈયે મેં વાતની શરૂઆત કરી, ‘Hello Sir, I am Pravin Shah, speaking from Dallas. Can I talk to you for about 2-3 minutes?’

સામેથી વિન્સ્ટન સાહેબનો નમ્ર સ્વર સંભળાયો, ‘Sure, You are welcomed.’

મને વાત કરવાનો ઉત્સાહ આવ્યો. મેં કહ્યું, ‘સર, હું ઇંડિયાથી બેએક મહિના માટે અમેરીકા આવ્યો છું. હું ઇંડિયામાં અમદાવાદની એક એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર છું. હું આપના જ ક્ષેત્રમાં રીસર્ચ કરી રહ્યો છું. જો આપને અનુકૂળ હોય તો, મને આપને મળવાની તથા આપના માર્ગદર્શનમાં થોડા દિવસ કામ કરવાની ઈચ્છા છે.’

અને તમે માનશો? એમણે મને, એક સાવ અજાણ્યા માણસને, એમની સાથે બે અઠવાડિયાં રહેવાની મંજૂરી આપી દીધી ! મારે તો હૈયે હરખ ન માય, એવું થયું. નક્કી કરેલી તારીખે હું ડલાસથી વિમાનમાં શીકાગો ઉપડ્યો. તેમના કહેવાથી, યુનીવર્સીટી ઓફ શીકાગોના ગેસ્ટ હાઉસમાં રહેવાનું મળી ગયું. મારે તેમને બીજે દિવસે સવારે નવ વાગે તેમની ઓફિસમાં મળવાનું હતું. મેં એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટ શોધી કાઢી. હું પાંચેક મિનીટ લેટ હતો. ચોથા માળે જવાનું હતું. હું લિફ્ટ આગળ ઉભો રહ્યો. ઉપરથી લિફ્ટ નીચે આવી. લિફ્ટમાંથી ચારેક જણ બહાર નીકળ્યા. તે બધા પર મારી નજર પડી. તેમાંના એક વ્યક્તિ વડિલ જેવા પ્રભાવશાળી દેખાતા હતા. તેમની નજર પણ મારા પર પડી. એકબે ક્ષણમાં તેઓ બોલી ઉઠ્યા, ‘Are you Mr. Pravin Shah?’

મને એક ક્ષણ તો નવાઈ લાગી કે અહીં મને ઓળખે એવું કોણ હોય? પણ પછી તરત જ મગજમાં ઝબકારો થયો કે કદાચ આ વ્યક્તિ ડો. વિન્સ્ટન પોતે તો નહિ હોય? મેં કહ્યું, ‘હા, હું જ પ્રવીણ શાહ છું. આપ……..’ મારી ધારણા સાચી પડી. તેઓ બોલ્યા, ‘હા, હું જ વિન્સ્ટન છું. તમને મારી રૂમ શોધવામાં તકલીફ ન પડે, એ માટે હું તમને લેવા જ નીચે આવ્યો.’

મને પાંચ મિનીટ મોડા પડ્યાનો ક્ષોભ થયો. અને વિન્સ્ટન સાહેબની નમ્રતા તો જુઓ. તેઓ સામેથી મને લેવા માટે આવ્યા ! મોડા પડવા બદલ મેં તેમની માફી માગી અને તેમનો આભાર માન્યો. અમે બંને લિફ્ટમાં ચડીને તેમની કેબીનમાં પહોંચ્યા.

થોડી ઔપચારિક વાતો પછી, તેમણે મને તેમની કેબીનની બાજુની રૂમમાં બેસવાની વ્યવસ્થા કરી આપી. તેમણે જાતે ટેબલખુરશી કટકાથી લુછીને સાફ કર્યાં. અહીં કોઈ પટાવાળાની સીસ્ટીમ તો હોતી જ નથી. બધું જાતે જ કરવાનું. મેં ટેબલખુરશી સાફ કરવાનો અને ગોઠવવાનો પ્રયત્ન કર્યો, તો તેઓએ મને રોક્યો અને બોલ્યા, ‘No, I will do it. You are my guest.’ એમ કહી મને કશું જ ના કરવા દીધું.

મને રૂમમાં ફોનની સગવડ આપી. એક નવું કોમ્પ્યુટર ગોઠવી આપ્યું. ઈન્ટરનેટ કનેક્શન કરી આપ્યું. મારા વિષયની થોડી ચર્ચા કરી,અને એવું નક્કી કર્યું કે મારે તેમની સાથે ચર્ચા કરવા તેમની રૂમમાં નહિ જવાનું. તેઓ ફ્રી પડશે ત્યારે અવારનવાર મારી રૂમમાં આવી જશે.

આમ, ૧૩ દિવસ સુધી હું ત્યાં રોકાયો. તે દરમ્યાન, તેમણે મને મારા વિષયને લગતું ઘણું બધું શીખવાડ્યું. મને યુનીવર્સીટીની લાયબ્રેરીનું કાર્ડ કઢાવી આપ્યું. આથી, મને લાયબ્રેરીમાં ઘણાં પુસ્તકો અને મેગેઝીનો વાંચવા મળ્યાં. એક પ્રસંગની વાત કરું. એક લેટેસ્ટ પુસ્તકમાં વિન્સ્ટન સાહેબે લખેલો ૧૧૨ પાનાનો એક લેખ મારે વાંચવો હતો. લાયબ્રેરીમાં આ ચોપડી હતી નહિ. મેં લાયબ્રેરીના અધિકારીને પૂછ્યું, ‘મને આ ચોપડી ક્યાંથી મળી શકે?’ અધિકારીએ તપાસ કરીને મને કહ્યું, ‘દુનિયાની ફક્ત ૧૩ જગાએ આ પુસ્તક ઉપલબ્ધ છે.’ આવું અલભ્ય પુસ્તક મને તો ક્યાંથી મળે? મેં વિન્સ્ટન સાહેબને આ પુસ્તક માટે વાત કરી. તેઓએ મને ૧૧૨ પાનાંનો આ લેખ કોમ્પ્યુટર પર ઓનલાઈન વાંચવાની વ્યવસ્થા કરી આપી, અને તેની કોપી કરવાની છૂટ આપી. મારી પાસે પ્રિન્ટર હતું નહિ. મેં એ લેખને મારા પુત્ર પર અપલોડ કર્યો, અને મારા પુત્રએ ડલાસમાં તેના કોમ્પ્યુટર પરથી પ્રિન્ટ કાઢી. અહીં મેં એ લેખ ઓનલાઈન વાંચી લીધો. આવી અદભૂત સગવડ બીજું કોઈ આપે ખરું?

મેં આ દિવસોમાં યુનીવર્સીટી ઓફ શીકાગોની સોલર લેબોરેટરી પણ વિગતથી જોઈ. અન્ય એક પ્રોફેસર ડો. ઓ’ગાલાઘરનો પરિચય થયો. તેઓ પણ અઢળક રીસર્ચ પેપરોના લેખક હતા. વિન્સ્ટન અને ગાલાઘર સાહેબો સાથે સરસ ઘરોબો થયો. યાદગીરી રૂપે તેમની સાથે ફોટા પણ પાડ્યા. છેલ્લે, વિન્સ્ટન સાહેબે, સંતોષકારક કામ કર્યાનું મને સર્ટીફીકેટ આપ્યું. બધી જ સગવડો પૂરી પડવાનો કોઈ ચાર્જ લીધો નહિ. ફક્ત ગેસ્ટ હાઉસમાં રહેવા અને જમવાના પૈસા ભરી, હું વિન્સ્ટન સાહેબને વંદન કરી ડલાસ આવવા નીકળ્યો.

ડો. વિન્સ્ટન જેવા પ્રોફેસરો ભારતના મારા જેવા કે અન્ય લોકોની કેટલી બધી દરકાર કરે છે, તે મને અહીં અનુભવવા મળ્યું. આવી મહાન વિભૂતિ આટલી બધી પ્રેમાળ અને નમ્ર હોય, તે મેં જાતે અનુભવ્યું.

મારા ઘરમાં વિન્સ્ટન અને ગાલાઘર સાહેબોની વાત તો નીકળે જ. ઘરવાળાઓએ તેમનાં ટૂંકાં હુલામણા નામ ‘વિનુદાદા’ અને ‘ગાલાબાપુ’ પાડી દીધાં છે. આવા આદરણીય વિનુદાદા મને હંમેશા યાદ રહેશે. અહીં મેં તેમની સાથેના, એનરીકો ફર્મી ઇન્સ્ટીટયુટના અને લેબોરેટરીના ફોટા મૂક્યા છે.

1

2

3

4

5

6

7