ચિત્તોડ ગઢ

                                 ચિત્તોડ ગઢ

ભારતના અનેક કિલ્લાઓની જેમ, ચિત્તોડ ગઢનો કિલ્લો પણ આપણા ઈતિહાસની ગૌરવગાથાના સાક્ષી સમો ઉભો છે. ચિત્તોડ એ રાજસ્થાનના મેવાડ પ્રદેશની રાજધાની હતી. આ કિલ્લો ચિત્તોડમાં એક ટેકરી પર આશરે ૫ કી.મી લંબાઈ અને પોણો કી.મી. જેટલી પહોળાઈમાં પથરાયેલો છે. સ્થાપત્યની દ્રષ્ટિએ તે એકદમ નિરાળો છે. ભારત સરકારનું પુરાતત્વ ખાતું હાલ તેની સુરક્ષા કરે છે.

આ કિલ્લો મૌર્ય રાજા ચિત્રાંગે બંધાવેલો. મહારાણા કુંભાએ પંદરમી સદીમાં તેનો જીર્ણોધ્ધાર કર્યો. કિલ્લામાં રાણા કુંભાનો મહેલ છે. તેઓ અહીં ભવ્ય જિંદગી જીવ્યા હતા. ચિત્તોડ, નાથદ્વારાથી ૧૦૭ કી.મી. અને ઉદયપુરથી ૧૧૭ કી.મી. દૂર છે.

અમે નાથદ્વારા ગયા ત્યારે ચિત્તોડનો આ કિલ્લો જોવાનો પ્લાન બનાવી દીધો. નાથદ્વારાથી નીકળી માવલી અને કપાસન થઈને અમે ચિત્તોડ પહોંચ્યા. ટેકરી પરનો કિલ્લો દૂરથી જ દેખાય છે. ચિત્તોડ શહેર નાનું અને સાફસુથરું છે. રસ્તાઓ ઘણા સારા છે. વિનાયક નામના રેસ્ટોરન્ટ આગળ ઉભા રહી, નાસ્તામાં કચોરી ખાધી. બહુ જ ટેસ્ટી હતી.

ચિત્તોડગાઢની ટેકરી પર ચડવા માટે પાકો ઢાળવાળો રસ્તો છે. ચડવાની શરૂઆતથી જ કિલ્લાનો કોટ શરુ થઇ જાય છે. કોટની રાંગે કલાત્મક કાંગરા તથા છિદ્રો છે. એ જમાનામાં દરેક છિદ્ર આગળ એક એક સૈનિક ખડે પગે ઉભો રહેતો હતો. અમારો ડ્રાઈવર કમ ગાઈડ માધવસેન અમને બધી માહિતી આપતો જતો હતો. ઉપર જતાં એક પછી એક એમ સાત પોળ કે ગેટ આવે છે. પહેલી પાંડાલ પોળ, બીજી પોળ, ત્રીજી હનુમાન પોળ, ચોથી જોરલા પોળ, પાંચમી લક્ષ્મણ પોળ, છઠ્ઠી રામ પોળ અને સાતમી છેલ્લી બડી પોળ છે. રામ પોળ આગળ ગણેશ મંદિર અને તિજોરી છે. રાજાઓ ધન, આ તિજોરીમાં રાખતા. પોળોની વચ્ચે વચ્ચે લોકોનાં રહેઠાણો આવે છે. ઘણા લોકો અહીં કિલ્લામાં રહે છે.

સાતે પોળ વટાવીને આપણે ઉપર કિલ્લાના ખુલ્લા વિસ્તારમાં પહોંચી જઈએ છીએ. ઉપર ઘણાં બાંધકામો છે. ટીકીટ લઈને આપણે કિલ્લામાં આગળ વધીએ છીએ. પહેલાં તો એક પ્રાચીન જૈન મંદિર આવે છે. ત્યાર બાદ પ્રખ્યાત મીરાં મંદિર છે. મીરાંબાઈ અહીં તેમના ઇષ્ટદેવ ગિરિધર ગોપાલની ભક્તિ કરતાં હતાં. આ મંદિરના કેમ્પસમાં જ પત્થરનું બનેલું એક બહુ મોટું મંદિર છે. આ બધો વિસ્તાર રાધાવિહાર કહેવાય છે.

આગળ જતાં વિજયસ્તંભ આવે છે. કિલ્લાનું આ ભવ્ય અને અગત્યનું સ્થાપત્ય છે. આ એક વિજય સ્મારક છે. રાણા કુંભાએ મહમદ ખીલજી અને ગુજરાતના લશ્કર સામેના વિજયના પ્રતિક સ્વરૂપે આ સ્તંભ, ઈ.સ. ૧૪૪૦ થી ૧૪૪૮ દરમ્યાન બંધાવેલો. બાંધકામ ચૂનાના પત્થરનું છે. સ્તંભને નવ માળ છે. કુલ ઉંચાઇ ૩૭ મીટર તથા તેના પાયાનો ઘેરાવો ૧૦ મીટર છે. બહારની કલાકારીગરી અને ઝરૂખા સરસ દેખાય છે. આ વિસ્તારમાં ફરવાની મજા આવે એવું છે. બાજુમાં ગૌકુંડ અને હાથીકુંડ છે. વાંદરા તો અહીં ઠેર ઠેર જોવા મળે છે. સામે એક તૂટેલો મહેલ દેખાય છે. વિજયસ્તંભ તમારે ફિલ્મમાં જોવો હોય તો ‘ગાઈડ’ ફિલ્મનું ‘કાંટો સે ખીંચ કે યે આંચલ……’ જોઈ લેજો.

આગળ જતાં કાલિકા માતાજીનું મદિર આવે છે. આઠમી સદીનું આ મંદિર પત્થરોનું બનેલું છે. એના પછી રાણી પદ્મિનીનો મહેલ છે. આ મહેલ બહુ જાણીતો છે. દાખલ થયા પછી, બગીચાઓ છે, પછી થોડી રૂમોના અવશેષો છે. તેમાં ઝરૂખાઓ, વોશ રૂમ, નાચગાનના રૂમ, આયનારૂમ એવું બધું છે. આયનારૂમમાં ત્રણચાર મોટા અરીસા મૂકેલા છે. પદ્મિનીના મહેલની બાજુમાં કમળતળાવ નામનું એક તળાવ છે. તળાવની વચમાં બીજો નાનો મહેલ છે. એ મહેલ આયનારૂમની બારીમાંથી દેખાય છે.

આયનારૂમને લગતી વાર્તા કંઇક આ પ્રકારની છે. પદ્મિની એ ચિત્તોડના રાજા રાવળ રત્નસિંહની રૂપાળી મહારાણી હતી. તે હિંમતવાન અને ગૌરવવંતી નારી હતી. દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ પદ્મિનીના રૂપ વિષે સાંભળ્યું હતું. તેણે અહીં આવી, રત્નસિંહ પાસે પદ્મિનીને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પદ્મિનીએ તેની સમક્ષ આવવાની ના પાડી, ત્યારે પદ્મિનીને કમળતળાવના મહેલનાં પગથિયાં પર બેસાડી, તેનું આયનારૂમના અરીસામાં પડતું પ્રતિબિંબ, અલ્લાઉદ્દીન ખીલજીને બતાવવામાં આવ્યું હતું. પછીથી, અલ્લાઉદ્દીન પદ્મિનીને મેળવવા, યુદ્ધ કરીને વિજયી થયો, પણ પદ્મિનીએ અલ્લાઉદ્દીનને તાબે ન થઈને સતી થવાનું પસંદ કર્યું હતું.

પદ્મિનીનો મહેલ જોઇને પાછા વળી, અમે જોડેના બીજા રસ્તે આગળ વધ્યા. વચ્ચે, બાંધકામ અધૂરું છોડી દીધું હોય, એવું એક મંદિર છે. રસ્તાની બાજુમાં એક પછી એક થાંભલા આવે છે. અહીં દરેક થાંભલા આગળ લાલટેન લઈને સૈનિક ઉભા રહેતા.

આગળ, કિલ્લાના એક ગેટમાંથી નીચે વિશાળ મેદાન દેખાય છે. આ યુદ્ધમેદાન હતું. અહીં નીચે તરફ એકદમ સીધો ઢાળ છે. આ ઢાળ ચડીને લશ્કર ઉપર આવી શકે જ નહિ.

થોડું આગળ ગયા પછી એક શીવમંદિર આવે છે. એના પછી એક જૈન મંદિર છે. આ મંદિર પહેલા તીર્થંકર શ્રીઆદિનાથ ભગવાનને સમર્પિત છે. આ મંદિરની બાજુમાં જ કીર્તિસ્તંભ છે. એક જૈન વેપારીએ જૈન ધર્મની મહત્તા દર્શાવવા, બારમી સદીમાં આ સ્તંભ બંધાવેલો. તે સાત માળનો છે. તેની ઉંચાઈ ૨૨ મીટર છે.

કિલ્લામાં બીજાં નાનાં બાંધકામો ઘણાં છે. અમે કીર્તિસ્તંભ જોઇને, મૂળ રસ્તે કિલ્લામાંથી બહાર આવ્યા, અને ચિત્તોડ નગરમાં થઈને નાથદ્વારા તરફ પાછા વળ્યા. ભારતના ગૌરવ સમો આ કિલ્લો એક વાર જરૂર જોવા જેવો છે.

1b

2g

2h

3d

5b

6a

6e

9a

9f

ગોળી રવૈયા, ભમરેચી માતા અને બાવકા

                                  ગોળી રવૈયા, ભમરેચી માતા અને બાવકા

મોટી ગોળીમાં દહીં ભરી, રવૈયાથી તેને વલોવીએ તો માખણ નીકળે, અને છેલ્લે છાશ વધે. શ્રીકૃષ્ણનાં માતા દેવકી, ગોકુલમાં આ રીતે માખણ તૈયાર કરતાં હતાં. આ બહુ જાણીતી કથા છે. પંચમહાલ જીલ્લાના પીપલોદ ગામથી સાતેક કી.મી. દૂર, ખડકાળ ડુંગરો વચ્ચે પત્થરની મોટી ગોળી અને તેમાં રવૈયો મૂકેલો હોય એવી એક રચના એક જગાએ કુદરતી રીતે જ ગોઠવાયેલી જોવા મળે છે. એથી એ જગા ગોળી રવૈયાના નામે ઓળખાય છે. આ જ પીપલોદ ગામ પાસે રણધીકપુર (શીંગવડ)માં ભમરેચી માતાનું જાણીતું મંદિર આવેલું છે. વળી, દાહોદની નજીક જેસાવડા ગામ આગળ બાવકામાં એક જૂનું પુરાણું ઐતિહાસિક શીવ મંદિર જોવા જેવું છે. અમે આ ત્રણ સ્થળો જોવાનો પ્લાન બનાવી એક દિવસ ગોધરાથી ગાડી લઈને નીકળી પડ્યા.

પહેલાં તો પીપલોદ પહોંચ્યા. ગોધરાથી પીપલોદ-દાહોદનો રસ્તો હવે તો સરસ હાઈવે બની ગયો છે. ગોધરાથી પીપલોદ ૨૯ કી.મી. દૂર છે. પીપલોદથી રેલ્વે ક્રોસીંગ અને માર્કેટીંગ યાર્ડ થઈને સાંકડા રસ્તે ગોળી રવૈયા તરફ ચાલ્યા. પીપલોદથી અમે એક ભોમિયો નામે રાકેશ સાથે લીધો હતો. તે બતાવે એ રસ્તે જ જવાનું હતું. ગુણા ગામ પસાર થયું. પીપલોદથી ચારેક કી.મી. ગયા હોઈશું, પછી ઢાળ ઉતરવાનો અને એક નદી આવી. પાણી છીછરું હતું. પણ નદી ઓળંગવાની હતી. મને જરા ડર લાગ્યો કે ગાડી નદીમાં ફસાઈ જશે તો? પણ રાકેશ કહે, ‘તમતમારે દોડાવો, હું બેઠો છું ને.’ અને મેં ગાડી ફર્સ્ટ ગીયરમાં નાખી, સડસડાટ નદી ઓળંગી કાઢી. આગળ રસ્તો કાચો અને ખાડાટેકરાવાળો હતો. બીજો ૧ કી.મી. ગયા પછી ગાડી ખેતરમાં મૂકી દેવી પડી. હવે ગાડી આગળ જઇ શકે એવો કોઈ ચાન્સ નહોતો. કોઈ રસ્તો જ નહોતો. ફક્ત નાનામોટા ખડકો જ હતા. ગોળી રવૈયા હજુ ૨ કી.મી. દૂર હતું. અમે ચાલવા માંડ્યું. પેલી નદીના કિનારે ખડકોમાં માંડ માંડ પગ ગોઠવતા અડધો કી.મી. જેટલું તો ગયા. પછી તો આડાઅવળા ખડકોવાળા ડુંગરો જ દેખાતા હતા. હવે તો ચાલીને જવાય એવું પણ લાગતું ન હતું. માત્ર રાજ એકલો જ રાકેશ જોડે જવા તૈયાર થયો. બાકીના અમે બધા અહીં પથરા પર બેસી ગયા. રાજ અને રાકેશ ખડકોમાં ચડીને છેક ગોળી રવૈયા પહોંચ્યા. ત્યાં તેમણે ફોટા પડ્યા અને લગભગ એક કલાકે તેઓ પાછા આવ્યા. તેમણે પણ ગોળી કે રવૈયાના આકારવાળો કોઈ ખાસ પત્થર જોવા ના મળ્યો. અહીં સરકારે ગોળી રવૈયાની સાચી જગા શોધી, ત્યાં જવા માટે કેડી માર્ગ તો બનાવવો જોઈએ, કે જેથી પ્રવાસીઓ તે જોવા જઇ શકે. ગોળી રવૈયા વિશેની જાણકારી અમને વર્ષો પહેલાં પીપલોદથી જ મળી હતી.

અમે પાછા વળ્યા, ત્યારે રસ્તામાં અહીંના સ્થાનિક લોકો મળ્યા. તેઓએ વાતવાતમાં કહ્યું કે, ‘ગોળી રવૈયા આગળ હમણાં વાઘણ વિઆઈ છે, તેણે બચ્ચાં મૂક્યાં છે.’ ત્યારે થયું કે રાકેશ અને રાજને વાઘણનો ભેટો થયો હોત તો શું થાત? કદાચ પહેલેથી આવી ખબર પડી હોત તો કોઈ ત્યાં જાત જ નહિ. ગાડીમાં બેસી, ખાડા, નદી અને ઢાળ ચડાવી એ જ રસ્તે પીપલોદ પાછા આવ્યા.

પીપલોદથી ૧૮ કી.મી. કાપીને રણધીકપુર ગયા. રસ્તો છેક સુધી સારો છે. રણધીકપુર ગામને છેડે કબૂતરી નદીને કિનારે ભમરેચી માતાનું મંદિર છે. મંદિર સરસ છે. મંદિરમાં દર્શન કર્યાં, અંદર એક ગુફા છે. કહે છે કે અહીં ભમરા બહુ જ હતા, એટલે માતાજીનું નામ ભમરેચી માતા પડ્યું છે. નદીને બેઉ કિનારે ખૂબ જ ઉંચા ડુંગરો છે. એક શિવમંદિર પણ છે. અહીંનો કુદરતી નજરો ગમે એવો છે. અમે જમવાનું ઘેરથી લઈને આવ્યા હતા, તે અહીં જ પતાવ્યું.

પછી પીપલોદ પાછા, અને હાઈવે પર ગાડી દોડાવી દાહોદ તરફ. પીપલોદથી દાહોદ ૪૭ કી.મી. દૂર છે. દાહોદ મોટું શહેર છે. દાહોદના રતલામી સેવભંડારની કચોરી બહુ વખણાય છે. તો થયું કે ચાલો કચોરી ખાતા જઈએ. ત્યાં જઇ કચોરી ખાધી, મજા આવી ગઈ.

અમારે બાવકા જવું હતું. દાહોદથી જેસાવડાના રસ્તે બાવકા ૧૧ કી.મી. દૂર છે. ગામડાં વટાવતા અમે બાવકા પહોંચ્યા. રસ્તો સરસ છે. પૂછીપૂછીને પુરાણું શીવમંદિર શોધી કાઢ્યું. ગામને છેડે ઉંચાઇ પર આવેલું છે. મંદિરની બધી બાજુ વાડ કરીને તેને સુરક્ષિત બનાવ્યું છે. મંદિર પત્થરનું બનેલું છે. કહે છે કે એક દેવદાસીએ આ મંદિર બંધાવ્યું હતું. મહમદ ગઝની ભારત પર ચડી આવ્યો ત્યારે તેણે આ મંદિરનો ઉપરનો ભાગ તોડી પાડ્યો હતો. બાકીના અવશેષો બચેલા છે. દિવાલો અને થાંભલાઓ પરનું શિલ્પકામ કલાત્મક છે. પત્થરોમાં કંડારેલાં દેવીદેવતાઓ, હાથી, માનવયુગલો, ઘટનાઓ વગેરે કોતરણી જોવા જેવી છે. તે મોઢેરા અને ખાજુરાહોની યાદ અપાવે છે. મંદિરની આજુબાજુ, મંદિરના તૂટેલા પત્થરો વિખરાયેલા પડ્યા છે. કેટલાંય સ્ટેચ્યુ અને પત્થરો ચોરાઈ ગયા છે. મંદિરની બાજુમાં એક તળાવ છે. માહોલ બહુ જ સરસ છે. મંદિરના ઓટલે બેસવાનું ગમે એવું છે. આજુબાજુનો ખુલ્લો વિસ્તાર મંદિરની શોભામાં વધારો કરે છે. ભારતીય પુરાતત્વ ખાતાએ બાવકાને રક્ષિત સ્મારક જાહેર કર્યું છે. આ મંદિરને ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવાય એવું છે. અહીં એક ચોકીદાર રાખેલો છે.

બાવકા મંદિર જોઇને, આપણો ભવ્ય ભૂતકાળ મનમાં તાજો થયો. એક વાર તો આ જગા જોવા આવવું જોઈએ. અહીંથી અમે જેસાવડા થઈને દાહોદ પરત ફર્યા, અને ગાડી દોડાવી ગોધરા તરફ. અંધારું પડતામાં તો ગોધરા પહોંચી ગયા.

1

8

16

1

2

1.jpg

3

10

11

વિરાસત વન અને ચાંપાનેર

                                     વિરાસત વન અને ચાંપાનેર

ગુજરાત સરકારે, ગુજરાતમાં ઘણી જગાએ વન ઉભાં કર્યાં છે. આવા વનમાં વ્યવસ્થિત રીતે ઝાડપાન અને ફૂલછોડ ઉગાડ્યા હોય છે. તેમાં રસ્તાઓ, ચોતરા, તળાવ વગેરે બનાવ્યા હોય છે. એ ઉપરાંત, દરેક વનને કોઈક થીમ (હેતુ) પણ હોય છે, અને તેનું નામ પણ એ થીમ અનુસાર રાખ્યું હોય છે. દાખલા તરીકે, વાંસદા પાસે આવેલુ જાનકી વન રામાયણના થીમ પર બનાવ્યું છે, અને નામ પણ જાનકી એટલે કે સીતા રાખ્યું છે, જે રામાયણનું એક પાત્ર છે.

આવું એક વન, વિરાસત વન, હાલોલથી છએક કી.મી. દૂર ઉભું કરાયું છે. હાલોલથી ચાંપાનેર-પાવાગઢ જવાના રસ્તે, ૩ કી.મી. પછી ડાબા હાથે જાંબુઘોડા જવાનો રસ્તો પડે છે. એ રસ્તે વળ્યા પછી તરત જ ધાબાડુંગરી આવે, અને એ રસ્તે બીજા ૩ કી.મી. પછી વિરાસત વન આવે છે. વિરાસત એટલે વારસો. આપણી જૂની સંસ્કૃતિ અને ઔષધિઓ વગેરેનાં વૃક્ષો અને છોડ અહીં ઉગાડ્યા છે, એટલે એના વારસાના થીમ તરીકે આ વનનું નામ વિરાસત વન પાડ્યું છે.

હાલોલથી ધાબાડુંગરી થઈને સીધા જઈએ તો, હાલોલથી ૭ કી.મી. પછી ચાંપાનેર અને પાવાગઢ આવે છે. સુલતાન મહેમુદ બેગડાએ ઈ.સ. ૧૪૮૪માં ચાંપાનેરને પોતાની રાજધાની બનાવી હતી, અને અહીં ઘણી ઈમારતો બાંધી હતી. આમાંની મોટા ભાગની હજુ અસ્તિત્વ ધરાવે છે. યુનેસ્કોએ આ સ્થાપત્યોની જાળવણી માટે ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવ્યું છે. ધાબાડુંગરી, વિરાસત વન અને ચાંપાનેર-પાવાગઢ જોવા જેવાં સ્થળો છે.

અમે એક દિવસ આ સ્થળોએ ફરવાનો પ્રોગ્રામ બનાવી ગોધરાથી ગાડીમાં નીકળી પડ્યા. ગોધરાથી હાલોલ થઈને પહેલાં તો ધાબાડુંગરી પહોંચ્યા. અહીં ટેકરી પર એક વિશાળ હોસ્પિટલ ઉભી કરી છે. હોસ્પિટલ આગળ સિમેન્ટની બનાવેલી એક મોટી આંખ, પ્રવાસીઓનું તરત જ ધ્યાન ખેંચે છે. બાજુમાં માતાજીનું મંદિર છે, બાગબગીચા છે, મહારાજશ્રીની સમાધિ છે, પાછળ બદરીનાથની ગુફા અને દુર્ગામાતાનું મંદિર છે, ટેકરી પરથી હાલોલ ગામ અને પાવાગઢ ડુંગર દેખાય છે.

ધાબાડુંગરીથી અમે વિરાસત વન ગયા. વિરાસત વન રોડની જમણી બાજુ, જેપુરા ગામ આગળ આવેલું છે. વનનું પ્રવેશદ્વાર આકર્ષક છે, બહારનો દેખાવ બહુ જ સરસ છે. પાર્કીંગ માટે પૂરતી જગા છે. બેત્રણ દુકાનો પણ લાગેલી છે. ગેટમાંથી અંદર દાખલ થઈએ ત્યાં એક પીલર પર વિરાસત વનની તકતી મારેલી છે. આ વનનું ૨૦૧૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલું છે. આ વિગતો તકતીમાં લખેલી છે.

સહેજ આગળ, વિરાસત વનનો નકશો મૂકેલો છે. વિરાસત વનમાં શું શું છે, એની વિગતો નકશામાં દર્શાવી છે. અહીં સાંસ્કૃતિક વન, આનંદ વન, આરોગ્ય વન, આરાધના વન, નિસર્ગ વન, આજીવિકા વન અને જૈવિક વન આવેલાં છે. અંદરના રસ્તાઓ પર ફરીને આ બધા વિભાગો જોઈ શકાય છે. દરેક વિભાગમાં તેને લગતાં વૃક્ષો ઉગાડેલાં છે. અંદર કાફેટેરિયા, વનકુટિર અને ટોઇલેટ બ્લોક છે. એક તળાવ અને તેના પર પૂલ બનાવેલા છે. અંદરના રસ્તાઓ અને રસ્તા વચ્ચેનાં સર્કલ સરસ લાગે છે. આ બધું જોઈ અમે ગેટ તરફ પાછા વળ્યા. એક જગાએ, ચાંપાનેર તરફના રસ્તાની વિગતોનો પ્લાન મૂકેલો છે. એમાં, એક મિનારકી મસ્જીદ, હેલીકલ વાવ અને સક્કરખાનની દરગાહનો ઉલ્લેખ છે.

ગેટની બહાર આવી, પાછા વળીને અમે ગાડી દોડાવી ચાંપાનેર તરફ. આ રસ્તે એક પછી એક, એક મિનારકી મસ્જીદ, હેલીકલ વાવ અને સક્કરખાનની દરગાહ આવ્યાં. આ ત્રણે પુરાતન ઈમારતો અંદર જઈને જોવા જેવી ખરી. સક્કરખાનની દરગાહની જોડે જ જમણા હાથે, ખૂણિયા મહાદેવને લગતું એક બોર્ડ છે. ખૂણિયા મહાદેવ જવા માટે રસ્તા જેવું કંઇ દેખાતું નથી. પણ કેડી જેવા માર્ગે અંદર જઇ શકાય ખરું. અંદર બેએક કી.મી. જેટલું ગયા પછી ખૂણિયા મહાદેવ આવે. મહાદેવથી આગળના ખડકો પરથી ચોમાસામાં ધોધ પડતા હોય છે. આ બધો ભાગ પાવાગઢના મંદિરની પાછળનો ભાગ છે.

સક્કરખાનની દરગાહ પછી, રોડ પર જ પત્થરનો મોટો ગેટ છે. તે સીટી ગેટ કહેવાય છે. સીટી ગેટમાં થઈને આગળ જાઓ એટલે ડાબા હાથે ચાંપાનેરનો કિલ્લો અને જમણી બાજુ પાવાગઢનો ડુંગર છે. થોડું ગયા પછી ડાબી બાજુ, કિલ્લાનું પ્ર્રવેશદ્વાર આવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટનું અહીં બોર્ડ મારેલું છે. અહીં ખૂબ દુકાનો લાગી ગઈ છે, અને ગાડીઓ ભાડે ફેરવનારાઓએ ઘણું પાર્કીંગ કરી દીધેલું છે, એને લીધે કિલ્લાનું પ્રવેશદ્વાર સાંકડું થઇ ગયું છે. છતાં ગાડી લઈને કિલ્લામાં જઇ શકાય છે.

કિલ્લાની દિવાલોની ઉંચાઈ અને તેના પરના કાંગરાને લીધે કિલ્લો ભવ્ય લાગે છે. અંદરના માર્ગે આગળ વધતાં, સૌ પ્રથમ ડાબા હાથે, શહરકી મસ્જીદ આવે છે. ચાંપાનેરનાં સ્થાપત્યો જોવા માટેની ટીકીટ અહીંથી લેવાની હોય છે. શહરકી મસ્જીદના બે ઉંચા પીલર બહારથી જ દેખાય છે. આ મસ્જીદની બાજુમાં માંડવી છે, જે કસ્ટમ હાઉસ તરીકે વપરાતું હતું. અંદર પુરાતત્વ ખાતાની ઓફિસ છે.

કિલ્લાની અંદર ગામ વસેલું છે. ગામને બીજે છેડે બહાર નીકળીએ ત્યાં જામી કે જુમા મસ્જીદ છે. ચાંપાનેરનાં ભવ્ય બાંધકામોમાંનું આ એક છે. તેનું પ્રવેશદ્વાર સુંદર કોતરકામવાળું છે. મસ્જીદ આગળ ૩૦ મીટર ઉંચા બે મિનારા છે, સુશોભિત જાળીઓ છે, અંદર ૧૭૨ થાંભલા છે, વચમાં મોટો ઘુમ્મટ છે.

એનાથી આગળ, કેડી માર્ગે અંદર કેવડા મસ્જીદ, નગીના મસ્જીદ અને અમીર મંજિલ છે. એ બાજુ આગળ, વડા તળાવ, ખજૂરી મસ્જીદ, કામાની મસ્જીદ વગેરે બાંધકામો છે. ચાંપાનેરના કિલ્લાને નવ દરવાજા છે. અંદર ફરીને આ બધું જોવા જઇ શકાય. ચાલવાનું પણ ઘણું થાય. પણ તમને પુરાણી ઈમારતો જોવાની મજા આવી જાય.

કિલ્લાની બહાર જૈન શ્વેતાંબર મંદિર છે. કિલ્લાની સામે પાવાગઢની ઉપર જવાનો રસ્તો પડે છે. આ રસ્તે માંચી સુધી બસ અને ગાડી જઇ શકે છે. પછી રોપ વેમાં અથવા પગથિયાં ચડીને પાવાગઢની ટોચે પહોંચાય છે. ત્યાં પ્રખ્યાત કાલિકા માતાનું મંદિર આવેલુ છે. પાવાગઢ પર પણ ઘણી જોવાલાયક જગાઓ છે.

અમે ચાંપાનેરની થોડી ઈમારતો જોઈ ગોધરા તરફ પાછા વળ્યા. અહીંની બધી ઈમારતો જોવી હોય તો એક આખો દિવસ ફાળવવો જોઈએ. પાવાગઢ માટે બીજો દિવસ અલગ.

1

4

6

8

9

12

13

14_killo

15

16

17

દેલોલનો ફરતો પત્થર

                                દેલોલનો ફરતો પત્થર

આપણે ત્યાં ઘણાં ધાર્મિક સ્થળોએ જાતજાતની માન્યતાઓ જોવાસાંભળવા મળે છે. બેચાર ઉદાહરણ આપું. જેમ કે (૧) ફલાણા મંદિરમાં નાળીયેર વધેરવાથી અમુક રોગ મટી જાય છે. (૨) કોઈક ભગવાનને દૂધ ચડાવવાથી માનતાઓ પૂરી થાય છે. (૩) કોઈ મંદિરમાં શ્રીફળનું તોરણ બાંધવાથી, ભગવાન સફળતા અપાવે છે. વગેરે વગેરે. આવી જ કોઈ માન્યતાવાળા એક મંદિરની વિગતે વાત કરું.

પંચમહાલ જીલ્લાનું દેલોલ ગામ. ગોધરાથી વડોદરા જવાના રસ્તે વેજલપુર પછી આ ગામ આવે છે. ગોધરાથી તે ૧૯ કી.મી. દૂર છે. ગોધરાથી આ રસ્તે નીકળીએ ત્યારે આ ગામ આવતા પહેલાં ટોલ બૂથ આવે છે. ટોલ બૂથની સહેજ જ પહેલાં જમણી બાજુ રોડને અડીને સંકટમોચન હનુમાનજીદાદાનું મંદિર છે. કેસરી રંગે રંગેલું, ધજાવાળું મંદિર તરત જ દેખાઈ આવે છે. ગાડીને છેક મંદિરના આંગણ સુધી લઇ જઇ શકાય છે.

ઘણા લોકો અહીં હનુમાનજીનાં દર્શને આવે છે. હનુમાનજીની મૂર્તિ આગળ, બે લંબગોળ પત્થર પડેલા છે. પત્થર આશરે ૮ ઇંચ લાંબો, ૪ ઇંચ પહોળો અને ત્રણેક ઇંચ જાડો છે. પત્થર, ઈંટ જેવા આકારનો કહી શકાય, પણ ઈંટની ધારો અને ખૂણાઓ ધારદાર હોય, જયારે આ પત્થરને ધારો અને ખૂણાઓ ઘસીને સુંવાળા બનાવ્યા હોય એવું લાગે. વળી, પત્થરનો તળિયાનો ભાગ પણ ઘસીને જાણે કે તપેલીના તળિયા જેવો બનાવેલો છે. એટલે પત્થરના તળિયાનો લગભગ વચલો ભાગ જ જમીનને અડકે. પત્થરને બે હાથે ઘુમાવો તો તે તળિયાના વચ્ચેના પોઈન્ટ પર ટેકવાઇને ગોળ ગોળ ફરી શકે. તમને થશે કે આ પત્થરનું આટલું બધું વર્ણન શું કામ કરતા હશે? પણ અહીં આ પત્થર વિષેની જ એક માન્યતાની વાત કરવી છે, એટલે એનું વર્ણન કર્યું. તો આગળ વાંચો.

આ પત્થર વિષે એવી માન્યતા છે કે હનુમાનજીની મૂર્તિની સામેની જગામાં, આ પત્થર પર ઉભા પગે બેસી, તમારે જિંદગીમાં જે કંઇ પ્રાપ્ત કરવું હોય તેની ઈચ્છા મનમાં કરવાની, પત્થર પર બેઠા પછી, આ પત્થર જો ગોળ ફરવા માંડે તો સમજવું કે તમે કરેલી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. પત્થર ગોળ ફરવા માંડે, ત્યારે સાથે સાથે તમે પણ ગોળ ફરશો, તે વખતે તેના પરથી પડી ના જવાય તેનું ધ્યાન રાખવાનું. પત્થર પર બેઠા પછી જો પત્થર ગોળ ના ફરે તો માનવાનું કે તમે કરેલી ઈચ્છાઓ પૂરી નહિ થાય.

દેલોલની આસપાસના વિસ્તારમાં આ પત્થર જાણીતો છે. ઘણા લોકો તો અહીં આ પત્થર જોવા અને પોતાની ઈચ્છાઓ પૂરી થશે કે નહિ, તેની ખાતરી કરવા જ અહીં આવે છે, અને પત્થર પર બેસી, પોતાની આશાઓ ફળશે કે નહિ, તેની ખાતરી કરી લ્યે છે. જેને પત્થર ગોળ ફરે તે ખુશ થાય છે, અને જેને ના ફરે તે જરા નિરાશ થાય છે.

આ તો એક માન્યતા છે. એ કેટલે અંશે સાચી, તે વિષે કંઇ જ કહી શકાય નહિ. કદાચ એવું બને કે પત્થર પર બેસતી વખતે, પત્થરને જાણેઅજાણ્યે સહેજ ધક્કો લાગી જાય તો પત્થર ફરવા માંડે, અને કોઈનાથી આવો ધક્કો ના લાગ્યો હોય, તેના કિસ્સામાં પત્થર ના ફરે. પણ આ એક શ્રદ્ધાનો વિષય છે. જેની જેવી શ્રદ્ધા. બાકી, મારું તો મંતવ્ય છે કે તમે જિંદગીમાં સારાં કામ કરો, મહેનત કરો અને કોઈનું દિલ ના દુભવો તો મહદઅંશે તમારી ઈચ્છાઓ ફળીભૂત થતી હોય છે., પત્થર ફરે કે ના ફરે.

છેલ્લે, એક ખાનગી વાત કહું? અમે દેલોલના આ પત્થર પર બેસી આવ્યા છીએ. ઈચ્છાઓ ફળવાની આશા માટે નહિ, પણ ફક્ત કુતૂહલ ખાતર. મારે પત્થર ગોળ ફર્યો હતો, મારી સાથે આવનાર વ્યક્તિને નહોતો ફર્યો!! મારી કોઈ ઈચ્છા ફળી કે નહિ, તે મને યાદ નથી.

બોલો, તમે તમારી ઈચ્છાઓની પૂર્તિ વિષે જાણવા આ હનુમાન મંદિરે જવાના છો?

1_mandir-near-toll-booth

2_mandir-seen-from-road

3_entrance

5_darshan

6_murti-and-patthar

7_lady-on-stone

8_stone-rvolving