જીવનમાં પૈસાનું મહત્વ કેટલું?

                     જીવનમાં પૈસાનું મહત્વ કેટલું?

આપણે પૈસાને લગતી ઘણી કહેવતો સાંભળી છે, જેવી કે ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ’, ‘પૈસો બોલે છે’, ‘નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ’ વગેરે. આ બધી કહેવતો જીવનમાં પૈસાનું મહત્વ દર્શાવે છે. પણ જીવનમાં શું ફક્ત પૈસો જ મહત્વનો છે? મારો જવાબ છે, ‘ના’. જીવનમાં પૈસો અગત્યનો ખરો, પણ પૈસો જ સર્વસ્વ છે, એવું નથી. પૈસા એકલાથી બધું જ પ્રાપ્ત થાય નહિ. અહીં આ બાબતે વિગતે વાત કરીશું.

પૈસાની જરૂર શા માટે છે, તેની પહેલાં વાત કરીએ. માણસની મુખ્ય જરૂરિયાતો ખોરાક, કપડાં અને રહેવાનું  મકાન, એ માટે પૈસાની જરૂર પડે છે. શિક્ષણ, આરોગ્ય અને હરવાફરવા માટે પણ પૈસા જ જોઈએ. વાહનખરીદી, મોજશોખ વગેરે પૈસાથી જ થાય. આ સિવાય બીજી ઘણી ચીજો જેવી કે ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, ઓવન, એસી, ડાયનીંગ ટેબલ, સોફા કોમ્પ્યુટર, મોબાઈલ….અરે આજે એટલી બધી ચીજો ઉપલબ્ધ છે કે ઢગલો પૈસા પણ ઓછા પડે. લોકો આજે લગ્નપ્રસંગે પણ અઢળક પૈસા વાપરે છે. આમ, પૈસાની જરૂરિયાત એટલી બધી છે કે ના પૂછો વાત. વળી, ખર્ચ ઉપરાંત, બચત કરવી પણ જરૂરી છે કે જેથી આકસ્મિક સંજોગોમાં કે માંદગી વખતે કામ આવે. આ બધાં કારણોસર પૈસા તો કમાવા જ પડે, અને કમાવા જોઈએ જ.

આર્થિક રીતે જોઈએ તો, આપણા સમાજમાં ત્રણ પ્રકારના લોકો છે, ગરીબ, મધ્યમ અને પૈસાદાર. જે ગરીબ લોકોની આવક ઓછી છે, અથવા તો ઉપર જણાવી તેવી બધી જરૂરિયાતો સંતોષાય એટલું નથી કમાતા, તેવા લોકો માટે તો પૈસો કમાવો એ જ જીવનનું ધ્યેય બની જાય છે, અને આખી જિંદગી સુધી કમાયા જ કરવું પડે છે. એવા લોકોને આરામ, આનંદપ્રમોદ કે શોખ પૂરા કરવાનો ટાઈમ કે મોકો મળતો નથી. મધ્યમ વર્ગના લોકો કમાઈને સુખેથી જીવી શકે છે. પોતાના શોખ પણ મહદઅંશે પૂરા કરી શકે છે. પણ તેઓ અઢળક સંપત્તિ ભેગી નથી કરી શકતા.

પણ… જે અમીર લોકો છે, તેઓની વાત કંઇક અલગ જ છે. તેઓ પોતાની જરૂરિયાતો કરતાં ઘણું વધારે કમાય છે. કેટલાક સુપર અમીર લોકો તો એટલું બધું કમાય છે કેતેમની પેઢીઓની પેઢીઓ ખાય તો ય ધન વધે. આમાંના ઘણા લોકો પોતાનું થોડુક ધન ક્યારેક બીજાઓ માટે પણ વાપરે છે, જેમ કે ગરીબોને મદદ, સંસ્થાઓમાં દાન, મંદિરોમાં ધર્માદા વગેરે. આ એક સારી વાત છે. આમ છતાં, આ પ્રકારના લોકો ધન ભેગું કરવાનું સતત ચાલુ રાખે છે. તેઓ પૈસાને જમીનો, મકાનો, શેર, હોટેલો વગેરેમાં રોકી સંપત્તિમાં વધારો કર્યે જ રાખે છે. તેઓને ધન ભેગું કરવાની લાયમાં આનંદ માણવા, શોખ પૂરા કરવા કે ફરવા જવાનો ય ટાઈમ હોતો નથી. જો ભેગા કરેલા પૈસા, વાપરવાનો ય સમય ના હોય તો એ પૈસા કોના માટે ભેગા કરવાના? વારસદારો માટે? ક્યારેક વારસદાર પૈસા વેડફી નાખે, ક્યારેક તે સાચવીને મૂકી રાખે અને તેની પછીની પેઢીને આપતો જાય, આમ પેઢી દર પેઢી પૈસા સચવાયા કરે, પણ તો એ પૈસા વાપરે કોણ?

એક શેઠની વાત કરું. તેઓએ આખી જિંદગી સુધી ધંધો કરીને ધન એકઠું કર્યે રાખ્યું. પત્ની મરી ગઈ. પુત્ર હતો નહિ. એક ખાસ વિશ્વાસુ નોકર તેમનું બધું કામ કરતો હતો. શેઠના મરી ગયા પછી, બધી દોલત એ નોકરને મળી, ત્યારે એ બોલ્યો, ‘શેઠ આખી જિંદગી મારા માટે કમાયા.’

હા, માણસે જરૂર પૂરતું કમાવું જોઈએ, સારી એવી બચત પણ કરવી જોઈએ. પણ અઢળક પૈસાનો મોહ રાખીને, પૈસા પાછળ પાગલ થઇ જવું એ બરાબર નથી. તમે જુઓ કે પૈસો બધે જ કામ નથી લાગતો. કોઈને શરીરમાં કોઈ અસાધ્ય રોગ પેસી ગયો હોય, ત્યારે ગમે એટલા પૈસા ખર્ચી કાઢો તો પણ રોગ ના મટે એવું બને. પાસે પૈસા ઘણા હોય પણ ઘરમાં પત્ની કર્કશા હોય કે પુત્ર ઉડાઉ અને નશાબાજ હોય, ઘરમાં રોજ કકળાટ થતો હોય તો સુખ ક્યાં? પૈસા બધું સુખ નથી આપી શકતા.

અત્યારે મોટા ભાગના લોકોનું ધ્યેય ફક્ત પૈસો ભેગો કરવા તરફ જ હોય છે. ભણવા માટે કઈ લાઈન લેવી, એ નક્કી કરતી વખતે પણ લોકો ‘શેમાં વધુ પૈસા મળશે’ એ જ વિચારે છે. માબાપ પણ પુત્ર/પુત્રીને, ભણીને વધુ કમાવાય એવી લાઈનમાં એડમીશન લેવાનું કહેતાં હોય છે. કોઈ એવું નથી વિચારતું કે ‘મને શેમાં વધુ રસ છે, કઈ લાઈનમાં ભણવાનું મને વધુ ગમે છે?’ જીવન આખું આજે પૈસાલક્ષી બની ગયું છે. આ યોગ્ય નથી.

જીવનમાં સુખ, સંતોષ અને આનંદ મળે એ અગત્યનું છે. મગજ હમેશાં પ્રફુલિત રહેતું હોય, મગજ પર કોઈ જાતનું ટેન્શન ના હોય, પૈસા હોય કે ના હોય તો પણ દિવસ આખો આનંદમાં પસાર થતો હોય એ વધુ મહત્વનું છે. કુટુંબીઓ, સગાઓ અને સમાજમાં લોકો સાથે સારા, લાગણીભર્યા અને હુંફાળા સંબંધો હોય તો જિંદગી જીવવામાં બહુ જ મજા આવે. કોઈકને કંઇક મદદ કરીને તેના ચહેરા પર સ્મિત લાવો, તેનાથી ઉત્તમ કશું જ નથી. કોઈકને ત્રણ પ્રકારે મદદ કરી શકાય, તેના માટે પૈસા ખર્ચીને, તેનું કોઈક કામ કરી આપીને કે તેને માટે સમય ફાળવીને. જીવનમાં આ બધી બાબતો બહુ મહત્વની છે. પૈસા ઘણા હોય પણ બોલવાચાલવામાં નમ્રતા ના હોય, મન અહંકારથી ભરેલું હોય તો લોકો તમારા તરફ આકર્ષાતા નથી.

ટૂંકમાં પૈસાથી બધું મળતું નથી. તમે સમજદારીપૂર્વક વિચારીને શોધી કાઢો કે તમારા માટે સાચું સુખ શેમાં છે? અને એ રીતે જીવવાનું શરુ કરી દો.

મહીસાગર વન

                                                      મહીસાગર વન

આપણા ગુજરાતમાં અનેક ‘વન’ ઉભાં થયાં છે, જેવાં કે જાનકી વન, વિરાસત વન વગેરે. દરેક વનને કોઈક ને કોઈક થીમ હોય છે. મહીસાગર વન પણ આવાં વનોમાંનું એક છે. તેના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ વન મહી નદીને કાંઠે આવેલું છે. વહેરાખાડી ગામ આગળ મહી નદી અને સાગર(દરિયો)નું મિલન થાય છે, આ ગામ આગળ જ મહીસાગર વન આવેલું છે. વહેરાખાડી, વાસદથી ડાકોર જવાના રસ્તે વાસદથી ૭ કી.મી. દૂર છે. આણંદથી તે ૧૭ કી.મી. દૂર છે. વહેરાખાડી ગામમાં એક સુંદર આશ્રમ આવેલો છે. આશ્રમમાં બગીચો, અયોધ્યાનાથનું મંદિર તથા અન્ય ચીજો જોવા જેવી છે. આ આશ્રમની પાછળ નદીકિનારે એક ટેકરી પર વિશાળ જગામાં મહીસાગર વન ઉભું કરેલું છે.

મહીસાગર વનનું પ્રવેશદ્વાર બહુ જ ભવ્ય છે. એ જોઇને જ અંદરનું વન જોવાનું મન થઇ જાય એવું છે. આ વનનું શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તારીખ ૨૭-૭-૧૬ના રોજ લોકાર્પણ કરાયું છે. પેસતામાં જ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુ તરત ધ્યાન ખેંચે છે. તેની બાજુમાં મહીસાગર વનના પ્લાનનો નકશો મૂકેલો છે. પાછળ દૂર લોનમાં મોટા અક્ષરે ‘મહીસાગર વન’ લખેલું વંચાય છે. સ્ટેચ્યુની બાજુમાં ચાર બોર્ડ છે. એમાં મહીદેવીનું સાગર સાથે વહેરાખાડીમાં લગ્ન કઈ રીતે થયું, તેની કથા કહેતા ફોટા અને વર્ણન લખેલું છે.

મહીસાગર વનમાં એક પછી એક, જ્ઞાનકુટિર, નાળિયેરી વન, નક્ષત્ર વન, આનંદ વાટિકા, ફોટો પોઈન્ટ, કદંબ વન વગેરે વિભાગો છે. અંદર ફરવા માટે સરસ રસ્તાઓ છે. નાળિયેરી વનમાં નાળિયેરીનાં ઝાડ છે. આનંદ વાટિકામાં બાળકોને રમવા માટેનાં સાધનો મૂકેલાં છે. એક જગાએ લીલા કલરનાં પતરાંની ટનલ બનાવી છે, એમાં થઈને પસાર થવાની મજા આવે છે. ફોટો પોઈન્ટ આગળ ઉભા રહી લોકો ફોટા પડાવે છે. અન્ય એક જગાએ, મહીસાગરના મોતી મગરની વાત લખેલી છે. વનમાં ઝાડપાન અને ફૂલોના પુષ્કળ છોડ છે. બેસવા માટે ચોતરા છે.

વનમાં એક જગાએ જૂના જમાનાનો કૂવો છે, તે ભમરીયા કૂવાના નામથી જાણીતો છે. આ કૂવાનો ઈતિહાસ ત્યાં બોર્ડ પર લખ્યો છે. આ કૂવાની નજીક, કિલ્લાના કોટના અવશેષો દેખાય છે. આવો એક ભમરીયો કૂવો મહેમદાવાદમાં પણ છે.

આખા વનમાં ફરવાની મજા આવે એવું છે. અમે, ૧૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ અમારા પરિવારનો ગેટ-ટુગેધરનો પ્રોગ્રામ રાખ્યો હતો, ત્યારે આ વન જોવા ગયા હતા, અને વનમાં ફરવાનો આનંદ માણ્યો હતો. એક વાર આ વન જોવા જરૂર જજો. તમને ગમશે.

1

6

7

9

12

14

18

19

20

21

22

27

37

41

29

32

 

સુંધામાતાના પ્રવાસે

                                      સુંધામાતાના પ્રવાસે

ઘણી વાર સેવેલાં સપનાંને સાચાં પડતાં બહુ વાર લાગતી હોય છે. સુંધામાતા ફરવા જવાની બાબતમાં અમારે એવું જ થયું. પાંચેક વર્ષથી સુંધામાતા વિષે સાંભળ્યું હતું, માહિતી ભેગી કરી રાખેલી હતી. પણ જવાનો મેળ જ પડતો ન હતો. પણ એક વાર જાણે કે માતાજીનો આદેશ થયો હોય એમ, સુંધામાતા જવાનું ગોઠવાઈ ગયું. કુલ ૧૭ જણ આવવા માટે તૈયાર થઇ ગયા. અમે ૨૦ સીટની બસ ભાડે કરી લીધી.

સુંધામાતાનું મંદિર બહુ જ જાણીતું છે. તે રાજસ્થાનમાં રાનીવારાની નજીક સુંધા પર્વતની ટેકરીઓમાં વસેલું છે. અમદાવાદથી મહેસાણા, ઉંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, રેવદર અને જસવંતપુરાના રસ્તે તે ૨૭૦ કી.મી. દૂર છે. પાલનપુર પછી દાંતીવાડા, કુચાવાડા, પાંથાવાડા, ગુંદરી અને રાનીવારાના રસ્તે જઈએ તો અંતર થોડું ઓછું થાય છે. અમે આ ટૂંકો રસ્તો પસંદ કર્યો.

અમદાવાદથી નીકળી, વચમાં એક જગાએ ચા અને ભજીયાંને ન્યાય આપ્યો. સવારનો પહેલો નાસ્તો તો ખૂબ વહાલો લાગે. દાંતીવાડા ગામથી માત્ર ૧ કી.મી.ના અંતરે બનાસ નદી પર ડેમ બાંધેલો છે. અમે એ ડેમ જોઈ આવ્યા. અત્યારે ડેમમાં પાણી ઘણું ઓછું હતું. જો ચોમાસામાં અહીં આવ્યા હોઈએ તો જાણે કે સાગર લહેરાતો હોય એવું લાગે. એટલું મોટું રીઝર્વોયર છે.

ગુંદરી આગળથી રાજસ્થાનની સરહદ શરુ થાય છે. એટલે અહીં ચેકપોસ્ટ છે. અહીં ટેક્સના પૈસા ભરી આગળ ચાલ્યા. રસ્તો થોડો ખરાબ છે, પણ ચાલે એવો છે. થોડો ડુંગરાળ પ્રદેશ છે. રાનીવારા થઈને અમે લગભગ ચાર વાગે સુંધામાતા પહોંચ્યા. સુંધામાતાની ટેકરીઓ દૂરથી જ દેખાતી હતી. સુંધામાતા ગામમાં અને આજુબાજુ, રહેવા માટે રીસોર્ટ તથા હોટલો છે. અમને આવી બે ત્રણ હોટલો નજરે પડી. સુંધામાતા ડુંગર પર ચડવાના પ્રવેશદ્વાર આગળ પહોંચ્યા. અહીં બસો તથા ગાડીઓ મૂકવા માટે વિશાળ પાર્કીંગ છે, ચા પાણીની દુકાનો છે. પ્રવેશદ્વાર ભવ્ય છે. પ્રવેશદ્વારમાં પેઠા પછી, ડુંગર પર ચડવા માટેનાં પગથિયાં શરુ થાય છે. કુલ ૫૭૦ જેટલાં પગથિયાં છે. ઉપર જવા માટે રોપવેની પણ સગવડ છે. પગથિયાંની બાજુમાં જ રોપવેનું સ્ટેશન છે.

કમનસીબે આજે રોપવે બંધ હતો. રીપેરીંગ ચાલતુ હતું. હવે? પગથિયાં ચડીને ઉપર જવાની બધામાં તાકાત નહોતી. લગભગ અમે બધા જ સીનીયર સીટીઝન હતા. અહીં ડોળીવાળા હતા. તેઓ ડોળીમાં બેસાડીને ઉપર લઇ જવા તૈયાર હતા. પણ અમને આ બહુ ગમતું ન હતું. બીજા માણસ પાસે આપણી જાત ઉંચકાવવી અને તેને કષ્ટ આપવું, એ બરાબર નહોતુ લાગતું. પણ બીજો કોઈ રસ્તો ન હતો. આટલે સુધી આવ્યા છીએ, તો માતાજીનાં દર્શન કર્યાં વગર પાછા કઈ રીતે જવાય? છેવટે નાછૂટકે ડોળીમાં જવાનું સ્વીકારવુ પડ્યું. જેઓમાં તાકાત હતી, તેઓ તો પગથિયાં ચડવા માંડ્યા. મોટા ભાગના અમે, ડોળીમાં ઉપર ગયા. સામાન ઉંચકવા માટે પણ મજૂર કરી લીધા.

પગથિયાં સારાં બનાવ્યાં છે, એટલે તકલીફ ઓછી પડે એવું છે. પગથિયાંવાળા રસ્તાની બંને બાજુ ડુંગરની પથરાળ કરાડો જ છે. એક બાજુ પત્થરોમાં થઈને એક ઝરણું, ઉપરથી નીચે સુધી વહે છે. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે આ ઝરણું ઘણી જગાએ ધોધરૂપે પડતું દેખાય. એ દ્રશ્ય જોવાની મજા આવી જાય. એવે વખતે કોક જગાએ ધોધમાં નહાવા પણ જઇ શકાય. રોપ વેમાં ઉપર જવાનો આનંદ અદભૂત છે. અત્યારે રોપવે બંધ હતો, એટલે પ્રવાશીઓની સંખ્યા ઓછી હતી. ચૌદસ અને પૂનમે, માતાજીનો મહિમા ઘણો વધારે છે, એટલે તે દિવસોમાં તો અહીં પુષ્કળ ગિરદી થાય છે. નીચે તળેટીમાંથી પર્વતનો રાત્રિનો નજારો બહુ જ ભવ્ય લાગે છે.

ડુંગર પર રહેવા માટે ઘણી ધર્મશાળાઓ છે. અમે એક ધર્મશાળામાં રૂમો રાખી લીધી, અને રૂમોમાં ગોઠવાયા. હાશ! ધર્મશાળા સરસ અને ચોખ્ખાઈવાળી હતી. હવે, મુખ્ય તો અમે માતાજીનાં દર્શન માટે જ આવ્યા હતા. હાથમોં ધોઈ, જરા તાજા થઇ દર્શન કરવા નીકળ્યા. સાંજના સાત વાગ્યા હતા. માતાજીની આરતી શરુ થઇ હતી, તેનો મધુર અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો. વાતાવરણ બહુ જ પવિત્ર લાગતુ હતું. અમે દસેક મીનીટ જેટલું ચાલીને મંદિરે પહોંચ્યા.

મંદિર બહારથી ઘણુ જ સરસ દેખાતું હતું. પર્વતના ઢોળાવ પર, આરસમાંથી કંડારેલા મંદિરનું સ્થાપ્ય અદભૂત લાગતું હતું. આશરે ૭૦ પગથિયાં ચડી, અમે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા. આરતી ચાલુ જ હતી. ઘણા ભક્તો અહીં દર્શનાર્થે ઉભા હતા. ચૌદસ પૂનમે તો અહીં લાંબી લાઈન લાગેલી હોય.

સુંધામાતા એ ચામુંડા માતા જ છે. માતાજીની મૂર્તિ અંદર ઉંડે ડુંગરના પત્થરોની ગુફામાં છે. મંદિરનું બધું જ બાંધકામ આરસનું છે. ખુલ્લા દેખાતા પત્થરોને પણ સફેદ રંગથી રંગીને શોભા વધારી છે. ક્યાંય ગંદકી કે ધૂળ નથી. ગર્ભગૃહમાં, માતાજીની મૂર્તિની સામે શીવજીની મૂર્તિ છે. આરતી પૂરી થયા પછી, ગુફામાં છેક, માતાજીની મૂર્તિ સુધી, જવા દે છે. અમે અંદર જઇ માતાજીનાં દર્શન કર્યાં. માતાજીની મૂર્તિમાંથી આપણા પર આશીર્વાદ વરસતા હોય એવું અનુભવ થાય છે. દર્શન કરીને પરમ આનંદ અને સંતોષ થયો. થાક ઉતરી ગયો. પછી બહાર આવી ચોગાનમાં થોડું બેઠા.

માતાજીના મંદિરની સામે જ ભોજનશાળા છે. અહીં દર્શને આવતા તમામ યાત્રીઓને રૂ! ૧૦ની નજીવી રકમમાં જમવાની વ્યવસ્થા છે. ચોખ્ખાઈ સારી છે. અમે અહીં જમીને અમારી ધર્મશાળાએ પહોંચ્યા. ઠંડી ખૂબ હતી, છતાં બધા મિત્રો હોલમાં થોડો સમય બેઠા, વાતો અને હાઉસીની રમતમાં મજા આવી ગઈ. પછી તો રૂમમાં જઇ નિદ્રાદેવીને શરણે થયા, તે વહેલી પડે સવાર.

અને સવાર વહેલી જ પડી. સવારનાં દર્શન કરી, અમારે પાછુ નીકળવાનુ હતું. એટલે ઝટપટ નહાવા ધોવાનું પતાવી બહાર નીકળ્યા. એક દુકાને ચા પીધી તથા અમે સાથે લાવેલો નાસ્તો કર્યો. પછી માતાજીનાં દર્શન કર્યાં. ગુફામાંની મૂર્તિ સામે થોડી વાર બેઠા. માતાજીની કૃપા પામીને પાછા આવ્યા, અને બધું પેક અપ કરીને નીકળી પડ્યા. ઘણા લોકોએ ઉતરવામાં પણ ડોળી કરી. નીચે આવી, અમારી બસમાં બેઠા.

પાછા આવવા માટે અમે જસવંતપુરા, રેવધર આબુ રોડવાળો રસ્તો પસંદ કર્યો. કારણ કે આ તરફ આવેલાં પાવાપુરી જૈનતીર્થ અને અંબાજીના દર્શને જવાનો પ્લાન હતો. રેવધરથી થોડું ફંટાઈને અમે પાવાપુરી પહોંચ્યા. પાવાપુરી જૈનતીર્થ એ જૈનોનું મહત્વનું ધાર્મિક સ્થળ છે. મંદિરનું પ્રવેશદ્વાર ખૂબ જ મોટું અને ભવ્ય છે. અંદર આખું સંકુલ ખૂબ જ વિશાળ છે. મુખ્ય મંદિર ઉપરાંત જલમંદિર, રહેવાના આવાસો, ભોજનશાળા, ગૌશાળા તથા અનેક બાંધકામો છે. ભોજનશાળામાં સાત્વિક જમવાનું મળે છે. આખો વિસ્તાર બાગબગીચાથી શોભે છે. અહીં એક ખાસ આકર્ષણ ગાયોના જીવનને લગતું જોવા મળે છે. ઠેર ઠેર ગાયોનાં સ્ટેચ્યુ બનાવીને મૂકેલાં છે. જેવાં કે ગાયોને ચરાવવા લઇ જતો ગોવાળ, મટકીમાંના દહીંને વલોવતી સ્ત્રી, ગાયને ધાવતું વાછરડું, બળદથી ચાલતો રેંટ, બળદગાડું વગેરે. આ બધું જોવાનું ગમે એવું છે. અહીં બેટરીથી ચાલતી ખુલ્લી ગાડીમાં બેસીને આખા સંકુલમાં ફરવાની વ્યવસ્થા છે. અમે એમાં આખું સંકુલ જોયું.

આ બધું જોઈ, માણીને અને જમીને અમે બહાર આવ્યા અને આબુ રોડ થઈને અંબાજી પહોંચ્યા. આબુરોડ અને અંબાજી વચ્ચે ગુજરાતની સરહદનું ચેકપોસ્ટ આવે છે. અંબાજીના રસ્તે આસપાસ ગાઢ જંગલો છે. અંબાજી પહોચ્યા ત્યારે સાડાચાર વાગ્યા હતા. દર્શન છેક સાડા છ વાગે થવાનાં હતાં. એટલો બધો ટાઇમ બેસી રહેવાનું યોગ્ય લાગ્યું નહિ, એટલે અમે અમદાવાદ તરફ પ્રયાણ શરુ કર્યું, અને ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ, ચિલોડા, ગાંધીનગર થઇ અમદાવાદ પહોંચ્યા. વચમાં પ્રાંતિજ આગળ ભોજન લીધું.

પ્રવાસ ઘણો જ સરસ રહ્યો. બધા મિત્રોનો સહકાર ખૂબ જ સારો રહ્યો. બે દિવસ ખૂબ જ મજા કરી. છેલ્લે  બધાનો એક જ સૂર હતો, ‘હવે બીજો પ્રવાસ ક્યારે?’……

img_2184

img_2187

img_2189

img_2194

1_sundha-enterance-gate

2_sundha-mata

img_2223

6_sundha-mata

img_2222

img_2216

img_2235

ગુજરાતનું મુન્દ્રા પોર્ટ

                                 ગુજરાતનું મુન્દ્રા પોર્ટ

મુન્દ્રા બંદરનું નામ તો તમે સાંભળ્યું જ હશે, કદાચ જોયું પણ હશે. મુન્દ્રા બંદર, ગુજરાતનાં જાણીતાં બંદરોમાંનું એક છે. અદાણી ગૃપના આ બંદરેથી કેટલી યે કંપનીઓના માલસામાનની આયાતનિકાસ થાય છે. મોટી સ્ટીમરો છેક કિનારા સુધી આવી શકે એ માટે અહીં બહુ જ સરસ વ્યવસ્થા કરેલી છે.

બંદરની આ બધી રચના જોવા અને જાણવા માટે અમે મુન્દ્રા પોર્ટની એક દિવસની મુલાકાત ગોઠવી કાઢી. ઇફકો કંપનીનાં ખાતરોની આ બંદરેથી ઘણી નિકાસ અને આયાત થાય છે. આ માટે, ઇફકોને આ બંદરમાં દરિયા કિનારે એક ઓફિસ પણ ફાળવેલી છે. અહીં કામ કરતા એક અધિકારી શ્રી પરમાર મારફતે અમે, મુન્દ્રા પોર્ટની વિઝીટ માટે મંજૂરી મેળવી લીધી, અને એક સવારે અમે ગાંધીધામથી મુન્દ્રા બંદરે પહોંચી ગયા. મુન્દ્રા ગામ પછી, પોર્ટનો વિસ્તાર શરુ થતાં, આજુબાજુ રેલ્વેનાં વેગનો અને મોટાં કન્ટેઈનર દેખાવા લાગ્યાં.

અમે કુલ ૭ જણ હતા. પહેલાં તો અમે બંદરના કસ્ટમ રીસેપ્શન સેન્ટર પર પહોંચ્યા. શ્રી પરમાર પણ ત્યાં આવી ગયા. મંજૂરીની વિધિ પૂરી કરી, તેઓ અમને રંગોળી ગેટ નામના પ્રવેશદ્વારમાં થઈને ઇફકોની ઓફિસમાં લઇ ગયા. બંદરનો વિસ્તાર ઘણો જ મોટો છે, રીસેપ્શન સેન્ટરથી ઇફકોની ઓફિસ આશરે ત્રણેક કી.મી. દૂર હતી. અહીંથી દરિયો સાવ નજીક હતો. આ દરિયો એ કચ્છનો અખાત છે.

મુન્દ્રા બંદર, કચ્છના મુખ્ય શહેર ભુજથી ૫૪ કી.મી. દૂર આવેલું છે. અહીં દરિયાના કિનારે વિશાળ પ્લેટફોર્મ બાંધેલાં છે. આ પ્લેટફોર્મને જેટી કહે છે. સ્ટીમરો છેક પ્લેટફોર્મ સુધી આવી શકે એ માટે, પ્લેટફોર્મ આગળના દરિયાના તળિયાની રેતી, માટી અને પત્થરો ખોદી કાઢીને પાણીની ઉંડાઈ વધારવામાં આવી છે. અહીં ઓછામાં ઓછી ઉંડાઈ ૧૨ મીટર છે, અમુક જગાએ ૧૬ મીટર અને ૨૦ મીટર ઉંડાઈ પણ છે. તળિયેથી નીકળતી માટી અને પત્થરોનો ઉપયોગ જમીન પર અન્ય જગ્યાએ ખાડા પૂરવામાં કરાય છે. અહીં કુલ ૧૨ જેટી ઉભી કરવામાં આવી છે. જેટીના પ્લેટફોર્મની દરિયા તરફની દિવાલ પર કુશન ફીટ કરેલા છે. વહાણ  જયારે પ્લેટફોર્મની નજીક આવે ત્યારે પ્રથમ કુશનને અડકે છે, કુશનની અંદરની સ્પ્રીંગો વહાણના ધક્કાને શોષી લે છે, આથી વહાણ કે પ્લેટફોર્મને નુકશાન થતું નથી. ત્યાર પછી વહાણને મજબૂત દોરડાંથી પ્લેટફોર્મ પરના ખીલાઓ સાથે બાંધી દેવાય છે, અને પછી માલસામાન ચડાવવા કે ઉતારવાનું કામ થાય છે.

શ્રી પરમારે અમને ઇફકોની કેન્ટીનમાં ચાનાસ્તો કરાવ્યો. એક બીજા કર્મચારી પણ અમારી સાથે જોડાયા. અમને અદાણી પોર્ટના લોગોવાળી એક કેસરી બંડી અને હેલમેટ પહેરવા માટે આપ્યાં. એ પહેરીને બધાની સાથે થોડા ફોટા પડાવ્યા, પછી અહીંથી નીકળીને એક જેટી પર ગયા.

દરિયો સામે જ હતો. જેટી પર DASIN નામનું એક વહાણ નાંગરેલુ હતું. સાવ નજીક ઉભા રહીને જોતાં, વહાણ ઘણું જ ઉંચું અને વિશાળ લાગતું હતું. આ વહાણને અમે આખું અંદરથી જોવાના હતા, એ વિચારે ઘણા ખુશ હતા.

વહાણમાં ચડવા માટે સાંકડાં પગથિયાંવાળી ખુલ્લી સીડી ગોઠવેલી હતી. સીડીનાં ૮૦ પગથિયાં ચડીને અમે સાચવીને વહાણની ગેલેરીમાં ઉતર્યા. સીડી ચડતાં આજુબાજુ અને નીચે પાણી તરફ નજર કરો તો ડર લાગી જાય. વહાણમાં એક બાજુ, થોડા માળો પર ત્યાંના કર્મચારીઓ માટે કેબિનો, રસોડું, ભોજનરૂમ વગેરે હતાં, તો બીજી બાજુ સામાન રાખવાનાં ભંડકિયાં અને સામાન ઉતારવા-ચડાવવા માટેના મોટા ઉંટડા હતા.

અમે પહેલાં તો કર્મચારીઓની રૂમો વગેરે જોયું. પછી ૫૬ પગથિયાં ચડીને ટોચ પરના હોલમાં પહોંચ્યા. અહીં વહાણનો કંટ્રોલ રૂમ હતો. વહાણની સ્પીડમાં વધઘટ કરવા માટે, દિશા બદલવા માટે, નિર્ધારિત દિશામાં જવા માટે – એમ વિવિધ કામો માટેના કંટ્રોલ અને સાધનો અહીં હતાં. અહીંના કર્મચારીએ અમને આ બધું બતાવ્યું અને સમજાવ્યું. મજા આવી ગઈ. આટલે ઉંચેથી દૂર દૂર સુધીનો દરિયો દેખાતો હતો. વ્યૂ બહુ જ ભવ્ય લાગતો હતો. આ વહાણ સિંગાપોરથી આવેલું હતું, એટલે કે વહાણ વિદેશી હતું.

વહાણમાં કામ કરતા કર્મચારીઓ પાસે પોતોતાના દેશના પાસપોર્ટ હોય છે. એક વધુ વાત એવી જાણવા મળી કે વહાણ અહીં નાંગર્યુ હોય એ દરમ્યાન આ વિદેશી કર્મચારીઓએ વહાણમાં જ રહેવાનું હોય છે. તેઓ જેટી પર ઉતરીને ગમે ત્યાં ફરી શકતા નથી. કોઈ ખાસ કિસ્સામાં, તેમણે ખાવાનું મંગાવવું હોય કે અન્ય કંઇ કામ હોય તો પોતાનો પાસપોર્ટ બતાવી મંજૂરી લઈને જ જેટી પર ઉતરી શકાય છે. બીજી એક વાત કે વહાણમાંનો સામાન નિર્ધારિત દિવસોમાં ખાલી કરી દેવાનો હોય છે, એનાથી વધુ દિવસો લાગે તો બંદરવાળાએ પૈસા આપવા પડે, અને જો વહેલા ખાલી કરી દો તો સામેથી પૈસા મળે !

પછી અમે ભંડકિયા તરફ ગયા, અને ઉપરથી તેમાં નજર કરી. ઓ હો હો ! શું વિશાળ ભંડકિયુ ! જાણે કે મોટી વખાર જ જોઈ લ્યો ! અત્યારે તેમાંથી લોખંડની મોટી પાટો, ઉંટડા વડે ઉંચકાતી હતી, અને જેટી પર ઉભેલી ટ્રકમાં ઉતરતી હતી. આ બધુ જોયા પછી, અમે સીડી ઉતરી, પ્લેટફોર્મ પર પાછા આવ્યા. વહાણને  વિગતે જોવાની મજા પડી ગઈ. આ એક અનન્ય અનુભવ હતો.

અહીંથી અમે ઇફકો ઓફિસે પાછા ગયા. અદાણીનાં બંડી અને હેલમેટ પાછાં સોંપ્યાં. પરમારભાઈએ અમને કેન્ટીનમાં પ્રેમથી જમાડ્યા, અને પછી અમે ઉપડ્યા બંદર પરના બીજા વિભાગો તરફ. વહાણમાંથી ખાલી થતા માલને રાખવા માટે ઘણાં ગોડાઉન અને શેડ બનાવેલા છે. ટ્રકોમાં આવેલો સામાન અહીં વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. ઇફકોનું ઘણું ખાતર બંદરેથી વિદેશોમાં જાય છે, ઘણો માલ બહારથી પણ આવે છે. અમે આવા માલનાં ગોડાઉનો જોયાં. વહાણની ક્ષમતા આશરે ૬૦,૦૦૦ ટન સામાન લઇ જવા જેટલી હોય છે. મુન્દ્રાથી ઉપડેલા વહાણને ઓમાન પહોંચતાં માત્ર ૩ દિવસ, જયારે અમેરીકા પહોંચતાં ૩૧ દિવસ લાગે છે, એવું જાણવા મળ્યું. આ ઉપરાંત, અહીંથી સ્ટીલ, ખનીજો, જવ, ચણા, વટાણા, પત્થર, માટી, રમકડાં એમ ઘણી ચીજોની હેરફેર થતી હોય છે.

સામાનને વેગનોમાં ભરીને ટ્રેન દ્વારા અન્યત્ર લઇ જવાય છે. અમે અહીંની ટ્રેનની વ્યવસ્થા પણ જોઈ. અહીં ઘણું કામ યંત્રોથી થાય છે. ભારતની મારુતિ ગાડીઓની વિદેશોમાં સારી માંગ છે. આ ગાડીઓની પણ બંદરેથી વહાણોમાં ભરીને નિકાસ થાય છે. એક વહાણમાં ૩૦૦૦ ગાડીઓ જતી હોય છે. અહીં બંદર પર પડેલી ગાડીઓ અમે જોઈ.

મુન્દ્રા બંદર પર અદાણીનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટ ૫૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરી આપે છે. આ માટેનો કોલસો ઓસ્ટ્રેલીયાથી આવે છે. તે ખૂબ સસ્તો હોય છે.

બંદર પર હવે લગભગ બધું જોવાઈ ગયું હતું. આ બધું જોવામાં ઘણું નવું જાણવા મળ્યું. શ્રી પરમારે સારી જહેમત લઇ અમને બધું બતાવ્યું. એમનો હૃદયપૂર્વક આભાર માની અમે બહાર આવ્યા, અને ગાંધીધામ પરત આવવા નીકળ્યા.

img_0660

img_0670

img_0674

img_0682

img_0695

img_0719

img_0737