મહીસાગર વન
આપણા ગુજરાતમાં અનેક ‘વન’ ઉભાં થયાં છે, જેવાં કે જાનકી વન, વિરાસત વન વગેરે. દરેક વનને કોઈક ને કોઈક થીમ હોય છે. મહીસાગર વન પણ આવાં વનોમાંનું એક છે. તેના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ વન મહી નદીને કાંઠે આવેલું છે. વહેરાખાડી ગામ આગળ મહી નદી અને સાગર(દરિયો)નું મિલન થાય છે, આ ગામ આગળ જ મહીસાગર વન આવેલું છે. વહેરાખાડી, વાસદથી ડાકોર જવાના રસ્તે વાસદથી ૭ કી.મી. દૂર છે. આણંદથી તે ૧૭ કી.મી. દૂર છે. વહેરાખાડી ગામમાં એક સુંદર આશ્રમ આવેલો છે. આશ્રમમાં બગીચો, અયોધ્યાનાથનું મંદિર તથા અન્ય ચીજો જોવા જેવી છે. આ આશ્રમની પાછળ નદીકિનારે એક ટેકરી પર વિશાળ જગામાં મહીસાગર વન ઉભું કરેલું છે.
મહીસાગર વનનું પ્રવેશદ્વાર બહુ જ ભવ્ય છે. એ જોઇને જ અંદરનું વન જોવાનું મન થઇ જાય એવું છે. આ વનનું શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે તારીખ ૨૭-૭-૧૬ના રોજ લોકાર્પણ કરાયું છે. પેસતામાં જ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુ તરત ધ્યાન ખેંચે છે. તેની બાજુમાં મહીસાગર વનના પ્લાનનો નકશો મૂકેલો છે. પાછળ દૂર લોનમાં મોટા અક્ષરે ‘મહીસાગર વન’ લખેલું વંચાય છે. સ્ટેચ્યુની બાજુમાં ચાર બોર્ડ છે. એમાં મહીદેવીનું સાગર સાથે વહેરાખાડીમાં લગ્ન કઈ રીતે થયું, તેની કથા કહેતા ફોટા અને વર્ણન લખેલું છે.
મહીસાગર વનમાં એક પછી એક, જ્ઞાનકુટિર, નાળિયેરી વન, નક્ષત્ર વન, આનંદ વાટિકા, ફોટો પોઈન્ટ, કદંબ વન વગેરે વિભાગો છે. અંદર ફરવા માટે સરસ રસ્તાઓ છે. નાળિયેરી વનમાં નાળિયેરીનાં ઝાડ છે. આનંદ વાટિકામાં બાળકોને રમવા માટેનાં સાધનો મૂકેલાં છે. એક જગાએ લીલા કલરનાં પતરાંની ટનલ બનાવી છે, એમાં થઈને પસાર થવાની મજા આવે છે. ફોટો પોઈન્ટ આગળ ઉભા રહી લોકો ફોટા પડાવે છે. અન્ય એક જગાએ, મહીસાગરના મોતી મગરની વાત લખેલી છે. વનમાં ઝાડપાન અને ફૂલોના પુષ્કળ છોડ છે. બેસવા માટે ચોતરા છે.
વનમાં એક જગાએ જૂના જમાનાનો કૂવો છે, તે ભમરીયા કૂવાના નામથી જાણીતો છે. આ કૂવાનો ઈતિહાસ ત્યાં બોર્ડ પર લખ્યો છે. આ કૂવાની નજીક, કિલ્લાના કોટના અવશેષો દેખાય છે. આવો એક ભમરીયો કૂવો મહેમદાવાદમાં પણ છે.
આખા વનમાં ફરવાની મજા આવે એવું છે. અમે, ૧૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ અમારા પરિવારનો ગેટ-ટુગેધરનો પ્રોગ્રામ રાખ્યો હતો, ત્યારે આ વન જોવા ગયા હતા, અને વનમાં ફરવાનો આનંદ માણ્યો હતો. એક વાર આ વન જોવા જરૂર જજો. તમને ગમશે.
pruthashah1996
ફેબ્રુવારી 21, 2017 @ 13:41:59
Bauj majjjja aai ti 👌👌👌