વાત ઉત્તર કોરીયાની

                                  વાત ઉત્તર કોરીયાની

આજકાલ ઉત્તર કોરીયા દેશનું નામ ખૂબ સાંભળવા મળે છે. તમે પણ છાપાં કે ટીવીમાં તેના વિષે વાંચ્યું કે સાંભળ્યું હશે. આ નાનકડા દેશે ઘણાં પરમાણુંશસ્ત્રો (Nuclear weapons) એકઠાં કર્યાં છે, અને પોતાની તાકાત દુનિયાને દેખાડી રહ્યું છે. અમેરીકા અને બીજા દેશો એની સામે સાવધાનીપૂર્વક વર્તી રહ્યા છે. ઘણાને તો એવું પણ લાગી રહ્યું છે કે આમાંથી કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ પણ થઇ જાય. એક જ્યોતિષીએ તો વળી ત્રીજું  વિશ્વયુદ્ધ શરુ થવાની તારીખ પણ ભાખી છે, ૧૩મી મે, ૨૦૧૭ !!

આ બધું સાંભળીને, ઉત્તર કોરીયા દેશ અને ત્યાંનો રાજા કેવો છે, એ જાણવાની જીજ્ઞાસા જરૂર થાય. અહીં તમને આ દેશ વિષે થોડી વાતો કહું. અહીં અત્યારે કીમ જોંગ યુએન નામે સરમુખત્યાર રાજા રાજ કરે છે. તે ૨૦૧૧થી સત્તા પર છે.

ઉત્તર કોરીયા બહુ નાનો દેશ છે. ઉત્તર કોરીયાની વસ્તી માત્ર અઢી કરોડ છે, જે આપણા ગુજરાતની વસ્તીના અડધા કરતાં ય ઓછી છે. આટલી ઓછી વસ્તીવાળા દેશના લશ્કરના જવાનોની સંખ્યા ૧૨ લાખની છે. દુનિયામાં ચીન, અમેરીકા અને ભારત પછી તેનો ચોથો નંબર આવે. કેટલું મોટું લશ્કર ! ઉત્તર કોરીયાએ ફક્ત લશ્કર વધારવામાં જ ધ્યાન આપ્યું છે.

રાજા કીમ જોંગ યુએન હાલ ૩૩ વર્ષના છે. તેઓ લશ્કરના સૌથી વડા માર્શલ છે. તેમના આ દેશના કાયદાઓ બહુ કડક અને ક્રૂર છે. અહીં દર પાંચ વર્ષે ચુંટણી થાય છે, પણ મતપત્રકમાં એક જ નામ હોય છે, બધાએ તેને જ વોટ આપવાનો. અહીં છાપાં અને ટીવી સમાચારો પર સખત પાબંદી છે. આ દેશમાં કોઈ ગુનો કરે તો તેની સજા, તે વ્યક્તિ તથા તેના પુત્ર બંનેએ ભોગવવાની. અહીં લશ્કર અને સરકારી ઓફિસરો સિવાય બીજા કોઈ ગાડી રાખી શકે નહિ. જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. સામાન્ય નાગરિકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે નહિ. વાળ પણ સરકાર માન્ય અમુક દુકાનોએ જ કપાવવાના. દેશમાં ગરીબી ઘણી છે, પણ ગરીબાઈના ફોટા પાડી શકાય નહિ. બીજા દેશવાળા એ દેખે તો આ દેશની છાપ બગડે. રાજા વિષે ક્યારે ય હલકું બોલાય નહિ. કવિતા, સંગીત, સ્થાપત્ય વગેરેમાં પણ રાજાનાં જ ગુણગાન ગાવાનાં. માનવ અધિકારો ઓછામાં ઓછા.

આવા આ ઉત્તર કોરીયા દેશનું ભાવિ કેવું હશે? તમે શું ધારો છો? આ દેશની ઉત્તરે ચીન, દક્ષિણે દક્ષિણ કોરીયા અને પૂર્વ-પશ્ચિમમાં દરિયો છે. પૂર્વમાં દરિયા પછી જાપાન છે. ઉત્તર કોરીયાનું પાટનગર યોંગયાન્ગ, આપણા દિલ્હીથી ઇશાન દિશામાં, હવાઈ માર્ગે ૪૬૦૦ કી.મી. દૂર છે. યુદ્ધ થાય તો આપણને સીધી અસર ના થાય, પણ તેનાં પરિણામો તો ભોગવવાં પડે.

પહેલાં કોરીયા એક આખો દેશ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી, તેના બે ભાગ પડી ગયા, એક ઉત્તર કોરીયા અને બીજો દક્ષિણ કોરીયા. ઉત્તર કોરીયા પર રશિયાનું પ્રભુત્વ રહ્યું, અને દક્ષિણ કોરીયા પર અમેરીકાનું વર્ચસ્વ રહ્યું. ઉત્તર કોરીયા રશિયન સામ્યવાદ હેઠળ, બહુ વિકાસ પામ્યો નહિ.

માહિતી અને અહીં મૂકેલી તસ્વીરો ગુગલ પરથી લીધી છે. તસ્વીર નં. (૧) ઉત્તર કોરીયાનો નકશો (૨) રાજા કીમ જોંગ યુએન (૩) ઉત્તર કોરીયાનો રાષ્ટ્રધ્વજ (૪) કીમ જોંગ યુએન તેમની પત્ની સાથે (૫) તેમની વિધાનસભાનો હોલ (૫) પાટનગર યોંગયાન્ગનું એક દ્રશ્ય.

1_Map of north korea

2_Kim Jong un

3_North korea flag

4_Kim Jong with his wife

5_Mansudae Assembly Hall

6_View of cityPyongyang

Engineering Alphabets

                                                      Engineering Alphabets

A for Alternator, Aircraft

B for Belt, Brake

C for Compressor, Crank, Current

D for Dynamo, Drill

E for Engine

F for Fuel, Fins

G for Gear, Generator, Governor

H for Heat, Hammer

I for Induction, Ignition

J for Jumper

K for Key, Kelvin

L for Lubrication

M for Machine

N for Nut, Natural gas

O for Oil

P for Pulley, Piston, Pin, Petrol

Q for Quality, Quenching

R for Refrigeration, Rocket, Resistance

S for Shaft, Spark

T for Turbine

U for Upstream, Union

V for Valve, Voltage

W for Wheel, Welding, Waves

X for X rays

Y for Yield

Z for Zener diode

આનંદની ક્ષણો

                                            આનંદની ક્ષણો

દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આનંદની ક્ષણો આવતી હોય છે. તમારી જિંદગીમાં પણ આનંદના પ્રસંગો બન્યા હશે. તમને એ બધા યાદ છે? યાદ કરવા બેસો તો યાદ આવી જાય, એનું લીસ્ટ પણ ઘણું લાંબુ થાય. કેવા પ્રસંગો આનંદના હોય? જેમ કે કોઈને પરીક્ષાનું રીઝલ્ટ ઘણું સારું આવ્યું હોય, કોઈકને ત્યાં સુંદર દેખાવડો પુત્ર જન્મ્યો હોય, કોઈને સરસ મનગમતી જોબ મળી હોય…. આવી વસ્તુઓ પ્રાપ્ત થયાની ક્ષણો બહુ જ સુખદ હોય છે.

મારી આનંદની ક્ષણવાળી એક ઘટનાની અહીં વાત કરું. ૧૯૮૪ની સાલ. મને પી.એચ.ડી.નું ભણવા માટે મદ્રાસ (ચેન્નાઈ) આઈ.આઈ.ટી.માં એડમીશન મળ્યું. મારી કોલેજે મને ત્યાં ભણવા જવા માટે સ્પોન્સર કર્યો. ત્રણ વર્ષ હું ત્યાં ભણ્યો, પણ મારું પી.એચ.ડી. ત્યાં પૂરું ના થયું. ઘણું પ્રાયોગિક કામ તથા થીસીસ લખવાનું અધૂરું રહી ગયું. મારી સ્પોન્સરશીપ પૂરી થઇ ગઈ એટલે મારે મારી કોલેજમાં પાછા આવવાનું થયું. બસ, પછી તો કોલેજમાં મારી જોબનું રૂટીન……..મહિનાઓ, વર્ષો પસાર થઇ ગયાં. હું જાણે કે ભૂલી ગયો કે હું પી.એચ.ડી. કરવા ગયો હતો, અને પૂરું થયું ન હતું. હા, મનમાં ક્યારેક યાદ આવી જતું કે ‘મેં મદ્રાસમાં ૩ વર્ષ સખત મહેનત કરી હતી, તે શું સાવ એળે જશે?’

આમ ને આમ પંદર વર્ષ પસાર થઇ ગયાં. પી.એચ.ડી. પૂરું કરવા તરફ મેં કંઇ ધ્યાન પણ ના આપ્યું. ૨૦૦૨ની સાલ આવી. મારી એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં ડો. એલ.એન. પટેલ સાહેબ પરીક્ષા, સેમીનાર જેવાં કામ અંગે અવારનવાર આવતા હતા. તેઓ ત્યારે વિસનગર એન્જીનીયરીંગ કોલેજમાં પ્રીન્સીપાલ હતા. તેઓ બહુ જ વિદ્વાન પ્રોફેસર હતા, અને ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. મારે ધીરે ધીરે તેમની સાથે પરિચય થયો. બહુ જ મોટા માણસ, મારી અંગત વાતો તો તેમની સાથે કરાય નહિ. પણ એક દિવસ વાતવાતમાં મેં મદ્રાસમાં ૩ વર્ષ દરમ્યાન મારું પી.એચ.ડી. અધૂરું રહી ગયાની વાત કરી. તેઓ બહુ જ માયાળુ સ્વભાવના હતા, તેમણે મને કહ્યું, ‘તુ એક વાર, તેં જે કામ મદ્રાસમાં કર્યું હતું, તે મને બતાવ.’

મેં તો મદ્રાસમાં કરેલું કામ બધું જ સાચવી રાખ્યું હતું. એટલે ફરી જયારે તેઓ અમારી કોલેજમાં આવ્યા ત્યારે મેં મારું કામ, પ્રાયોગિક વર્ક, ગ્રાફ્સ, ફોટાઓ, મેં લખેલી અડધી થીસીસ વગેરે તેમને બતાવ્યું. હું બધી તૈયારી કરીને જ આવ્યો હતો. આ બધું જોઇને પટેલ સાહેબ બોલ્યા, ‘આ તો પી.એચ.ડી. પૂરું થઇ જાય એવુ છે.’

મેં કહ્યું, ‘સર, મને પી.એચ.ડી. પૂરું કરવાની ઈચ્છા તો છે. પણ કઈ યુનીવર્સીટીમાં, મારા ગાઈડ કોણ બને, સરકારની મંજૂરી, આ બધાનું શું?’

તેઓ બોલ્યા, ‘તારો ગાઈડ હું, યુનીવર્સીટી, પાટણની નોર્થ ગુજરાત યુનિવર્સીટી, સરકારની મંજૂરી તારે મેળવી લેવાની. બોલ, કરવું છે પૂરું પી.એચ.ડી.?’

મને તો ચમત્કાર થતો હોય એવું લાગ્યું. પી.એચ.ડી. માટે તો ગાઈડ જ ભાગ્યે મળે, એવો એ જમાનો હતો. પટેલ સાહેબ કેટલા સારા માણસ હતા ! આ વાત થઇ તે દિવસ ૨૦૦૨ની ૨૮મી ઓગસ્ટનો હતો. પાટણમાં પી.એચ.ડી. માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ હતી. ફક્ત ત્રણ જ દિવસ બાકી હતા. આ ત્રણ દિવસો દરમ્યાન હું પાટણથી કોરું ફોર્મ લઇ આવ્યો, ફોર્મ ભર્યું, અમારી કોલેજના પ્રીન્સીપાલે સારો સહકાર આપ્યો, તેમણે ફોર્મ recommend કરી આપ્યું. મેં સરકારની મંજૂરી માટે અરજી કરી દીધી, વિસનગર જઇ પટેલ સાહેબની ગાઈડ તરીકે સહી કરાવી, અને ૩૧ ઓગસ્ટે પાટણ જઇ ફોર્મ સુપ્રત પણ કરી દીધું.

આમ પી.એચ.ડી. માટે નવું રજીસ્ટ્રેશન થઇ ગયું. બસ, પછી તો કામ ચાલ્યું. મેં જૂનું કરેલું કામ તાજું કર્યું, નવું ઉમેર્યું, પ્રાયોગિક કામ માટે કોલેજમાં ફેબ્રીકેશન કર્યું, સરકારની મંજૂરી પણ આવી ગઈ. અવારનવાર વિસનગર જઇ, કરેલું કામ પટેલ સાહેબને બતાવતો, અને તેમના માર્ગદર્શન પ્રમાણે કામ આગળ ધપાવતો. વિસનગર પટેલ સાહેબ મારા માટે સમય ફાળવતા. ત્રણેક વર્ષ આમ ચાલ્યું. મને દિવસે સમય બહુ ઓછો મળે, એટલે મેં લગભગ છ મહિના સુધી રાતના ૨ થી ૫ દરમ્યાન ગ્રાફ્સ અને થીસીસનું કામ કર્યું.

પી.એચ.ડી.નું કામ આમ ચાલ્યા કરે. તેનો અંત ક્યારે આવશે, અને ક્યારે મારું કામ પૂરું થશે, એની મને કોઈ ધારણા કે કલ્પના ન હતી. આમ તો કામ પૂરું થવા આવ્યું હતું, પણ હજુ થીસીસમાં સુધારાવધારા ચાલ્યા કરતા હતા. આનંદની ક્ષણ હવે આવે છે. એક વખત મારી વિસનગરની મુલાકાત દરમ્યાન, પટેલ સાહેબે, મારી કલ્પનાની બહાર, મારી થીસીસના સર્ટીફીકેટમાં સહી કરી દીધી ! એમણે સહી કરી એ ખૂબ આનંદની ક્ષણ હતી, કેમ કે ગાઈડની સહી થાય, એટલે પી.એચ.ડી. પૂરું થયું સમજવાનું. પછી તો પ્રોસીજર જ બાકી રહે છે. મારી થીસીસનો બીજા પરીક્ષકો દ્વારા રીવ્યુ, સુધારા, બાઈન્ડીંગ, પરીક્ષકો આગળ અંતિમ પ્રેઝન્ટેશન એ બધું પત્યા થયા પછી ૨૦૦૬માં મારું પી.એચ.ડી. પૂરું થયું. પટેલ સાહેબે સહી કર્યાની ક્ષણ હજુ યે મનમાં તાજી છે.

કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી, તેનું ફળ ગમે ત્યારે પણ મળે જ છે, એ મેં અનુભવ્યું.

તાજમહાલ

                                                      તાજમહાલ

તાજમહાલ એટલે આરસે મઢેલી પ્રેમકવિતા. દુનિયાના પ્રેમીઓને માટે સાચા નિર્મળ પ્રેમનું પ્રતિક. તાજમહાલ એટલે દુનિયાની જૂની-નવી સાત અજાયબીઓમાંની એક ઈમારત. તાજમહાલ એટલે ચંદ્રની ચાંદનીમાં, દૂધમાં નહાતું આરસનું ગચ્ચું. તાજમહાલ આપણા માટે શું નથી? તાજમહાલ પર શાયરોએ અઢળક શાયરીઓ રચી કાઢી છે. તાજમહાલ વિષે બેસુમાર ગઝલો, કવિતાઓ, વર્ણનો અને લેખો લખાઇ ચૂક્યા છે, ફિલ્મો બની છે. તાજમહાલને ૧૯૮૩થી યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે. દર વર્ષે દેશવિદેશના ત્રીસેક લાખ જેટલા પ્રવાસીઓ તાજમહાલ જોવા આવે છે, અને એમના મોમાંથી શબ્દો સરી પડે છે, ‘વાહ, તાજ !’. આવો, આપણે આવા તાજમહાલ વિષે અહીં થોડી વાતો કરીએ.

તાજમહાલ, મોગલ બાદશાહ શાહજહાંએ, તેની વહાલી પત્ની મુમતાજમહલની યાદમાં બંધાવ્યો હતો. શાહજહાંએ ઈ.સ. ૧૬૨૮થી ૧૬૫૮ સુધી રાજ કર્યું, તેની બધી રાણીઓમાં મુમતાજમહલ તેને સૌથી વહાલી  હતી. મુમતાજમહલનું મૂળ નામ આરઝુમંદ બાનુ હતું, શાહજહાંએ જ તેને મુમતાજમહલ નામ આપ્યુ હતું. આ નામનો અર્થ છે, ‘મહેલનું કિંમતી રત્ન’. મુમતાજમહલે એક પછી એક ૧૪ બાળકોને જન્મ આપ્યો, ત્યાર પછી ઈ.સ. ૧૬૩૧માં તે ખુદાને પ્યારી થઇ ગઈ (મૃત્યુ પામી). શાહજહાં બહુ દુઃખી થઇ ગયો. તેણે મુમતાજમહલની યાદગીરીરૂપે એક ભવ્ય મકબરો બાંધવાનું નક્કી કર્યું. આ મકબરો તે જ તાજમહાલ.

આગ્રામાં યમુના નદીના કિનારે, તાજમહાલનું બાંધકામ ઈ.સ. ૧૬૩૨માં શરુ થયું. મુખ્ય બાંધકામ ૧૬૪૩માં પૂરું થયું. ત્યાર બાદ, આજુબાજુ બગીચા, ફુવારા વગેરેનું બાંધકામ કરતાં બીજાં ૧૦ વર્ષ લાગ્યાં. કુલ ૨૦૦૦૦ કારીગરોએ ૨૦ વર્ષ સુધી કામ કર્યું, ત્યારે આ ભવ્ય મકબરો તૈયાર થયો. શાહજહાંની પાછલી જિંદગીમાં, તેના પુત્ર ઔરંગઝેબે તેને આગ્રાના લાલ કિલ્લામાં કેદ કર્યો, છેવટે શાહજહાં, જેલમાંથી તાજમહાલને જોતાં, ૧૬૬૬માં મૃત્યુ પામ્યો. તેની કબર, તાજમહાલની અંદર મુમતાજમહલની કબરની બાજુમાં જ બનાવવામાં આવી.

તાજમહાલ એક અદભૂત કલાકૃતિ છે, તેનો દેખાવ, પ્રેક્ષકનું મન મોહી લે છે. એને જોનારાને ત્યાંથી ખસવાનું મન નથી થતું. આવો આ તાજમહાલ યમુનાના દક્ષિણ કિનારે ૧૭ એકરના સંકુલમાં પથરાયેલો છે. તે આખેઆખો સફેદ આરસનો બનેલો છે. આ આરસ રાજસ્થાનના મકરાણામાંથી લવાયેલો. તાજમહાલના આરસમાં જુદી જુદી ૨૮ જાતના કિંમતી પત્થરો જડેલા છે. આ પત્થરો, પંજાબ, તિબેટ, ચીન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાથી લાવેલા. બાંધકામ માટેના કડિયા, પત્થર કાપનારા, આરસમાં કોતરકામ કરનારા, ચિત્રકારો, કેલીગ્રાફર, ઘુમ્મટ બાંધનારા – આવા બધા કારીગરો દેશવિદેશથી તેડાવ્યા હતા. ઉસ્તાદ અહમદ લાહોરી મુખ્ય આર્કિટેક્ટ હતો. તે જમાનામાં તાજમહાલ બાંધવાનો ખર્ચ ૩ કરોડ ૨૦ લાખ રૂપિયા થયો હતો. આજના હિસાબે આ રકમ ૫૨૮ અબજ રૂપિયા જેટલી થાય.

તાજમહાલનું બાંધકામ મુગલ અને ઈરાની શૈલીનું છે. તેનું પ્લેટફોર્મ યમુના નદીના તટથી ૫૦ મીટર જેટલું ઉંચું છે. પ્લેટફોર્મ પરની મુખ્ય ઈમારત અષ્ટકોણીય છે. તેની દરેક બાજુ ૫૫ મીટર લાંબી છે. કમાન આકારનું પ્રવેશદ્વાર ખૂબ જ ભવ્ય છે. એના પર અરબી ભાષામાં કુરાનની આયાતો લખેલી છે. અંદર મુમતાજ અને શાહજહાંની કબરો છે. અસલી કબરો નીચેના હોલમાં છે. આ કબરો આરસની લંબચોરસ પ્લીન્થ પર બનાવેલી છે. મુમતાજ કરતાં શાહજહાંની કબર થોડી મોટી છે. બંનેના ચહેરા જમણી તરફ, મક્કા તરફ રાખેલા છે. મુમતાજની કબર પર અલ્લાહનાં ૯૯ નામ લખેલાં છે. શાહજહાંની કબર પર, તે ક્યારે ગુજરી ગયા, તેની તવારીખ લખેલી છે.

તાજમહાલની, તેના મુખ્ય ઘુમ્મટ સહિતની કુલ ઉંચાઇ ૭૩ મીટર છે. ઘુમ્મટ પરના સળિયા પર ચંદ્રનું ચિહ્ન છે. મુખ્ય ઘુમ્મટની આજુબાજુ બીજા ૪ નાના ઘુમ્મટ છે. આ ઘુમ્મટો નાના નાના થાંભલા પર ઉભા છે. થાંભલાઓ વચ્ચેની જગામાંથી અંદરના ખંડમાં અજવાળું પ્રવેશે છે. પ્લેટફોર્મ પર ચાર ખૂણે ચાર મિનારા છે. દરેક મિનારો ૪૦ મીટર ઉંચો છે. મિનારા પર જુદી જુદી ઉંચાઈએ કુલ ૩ બાલ્કની છે. ટોચ પર ઘુમ્મટ જેવી છત્રી છે. તાજમહાલની દિવાલો પર ફૂલો વગેરે ડિઝાઇનો તથા જાળીઓ પરનું કોતરકામ ખૂબ જ કલાત્મક છે.

તાજમહાલની આગળ પાણી ભરેલો લાંબો હોજ અને તેમાં ફુવારા છે. તેની બંને બાજુ લોન, ઝાડ, ચાલવાના રસ્તા અને બગીચા છે. મુખ્ય ગેટથી આ રસ્તાઓ પર ચાલીને તાજમહાલ સુધી અવાય છે. એ જમાનામાં મુખ્ય ગેટ આગળ તાજગંજી કે મુમતાજાબાદ નામનું ગામ ઉભું કરાયેલું. એમાં તાજમહાલ જોવા આવનારા માટે ધર્મશાળાઓ, બજાર વગેરે હતાં.

તાજમહાલની બંને બાજુ એક એક ઈમારત છે. ડાબી બાજુની ઈમારત એ મસ્જીદ છે, જમણી બાજુ ગેસ્ટ હાઉસ છે. આ બંને મકાન લાલ પત્થરનાં બનેલાં છે. તાજમહાલની પાછળ કોટની દિવાલ અને એની પાછળ યમુના નદી છે.

તાજમહાલ બન્યા પછી, તે થોડો જીર્ણ થતો ગયો છે, વચ્ચે એનું રીપેરીંગ પણ થયું છે. ૧૮૫૭ના બળવા વખતે અંગ્રેજ સૈનિકોએ તાજમહાલની દિવાલોમાંથી કેટલાક કિંમતી પત્થરો કાઢી લીધેલા. ૧૯મી સદીના અંતમાં વાયસરોય લોર્ડ કર્ઝને અંદર મોટો લેમ્પ મૂકાવેલો. ૧૯૪૨માં બીજા વિશ્વયુદ્ધ વખતે, જાપાનના સંભવિત હુમલા સામે, તાજમહાલના ઉપલા ભાગને ઢાંકી દીધેલો. ૧૯૬૫ અને ૧૯૭૧નાં પાકિસ્તાન સાથેનાં યુદ્ધ વખતે પણ સરકારે આવું કરેલું.

મથુરાની રીફાઈનરીને લીધે યમુનાને કિનારે પ્રદૂષણ વધી રહ્યું છે. તાજમહાલ પીળો પડી રહ્યો છે. ભારત સરકારે, તાજમહાલની આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ન થાય તે માટેના કડક નિયમો અમલમાં મૂક્યા છે. પ્રદૂષણ થાય એવા ટ્રાફિકને નજીક નથી આવવા દેવાતો. પાર્કીંગથી મુખ્ય ગેટ સુધી ઈલેક્ટ્રીક બસની વ્યવસ્થા છે. અત્યારે ભારતીય પુરાતત્વ ખાતું (Archeological Survey of India, ASI) તાજમહાલનો વહીવટ સંભાળે છે.

આવો સુંદર તાજમહાલ મુસ્લિમ કલાનો ઉત્તમ નમૂનો છે. આખી દુનિયાએ તેને એકી અવાજે વખાણ્યો છે. આને લીધે તે દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામ્યો છે. ૨૦૦૭માં દુનિયાની સાત અજાયબીઓની ફરીથી વરણી થઇ, ત્યારે તેમાં પણ તે પસંદ થયો છે.

આવા અદભૂત તાજમહાલને જોવાનું મન કોને ન થાય? તાજમહાલ જોવા માટે ટીકીટ લેવાની હોય છે. ત્રણ ગેટ આગળ ટીકીટ મળે છે, દક્ષિણ ગેટ, પૂર્વ ગેટ અને પશ્ચિમ ગેટ. દક્ષિણ ગેટ એ મુખ્ય ગેટ છે. અહીંથી જ તાજમહાલ સંકુલમાં દાખલ થવાનું હોય છે. સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી ટીકીટ મળે છે. એક વાર અંદર દાખલ થયા પછી સાંજ સુધી અંદર રહી શકાય છે. ભારતીય નાગરિક અને વિદેશીઓ માટે ટીકીટના દર જુદા જુદા છે. ભારતીય માટે ટીકીટના ફક્ત ૪૦ રૂપિયા છે. વિદેશી ટુરિસ્ટ માટે તે ૧૨૫૦ રૂપિયા છે. પંદર વર્ષથી નીચેનાં બાળકો માટે તાજમહાલ જોવાનું મફત છે. ટીકીટ ઓનલાઈન પણ મળે છે. અંદર મોબાઈલ, કેમેરા, પાણીની પારદર્શક બોટલ તથા નાનું લેડીઝ પર્સ લઇ જવા દે છે. ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની છૂટ છે. દર શુક્રવારે રજા હોય છે. આ દિવસે ફક્ત બપોરે ૧૨ થી ૨ દરમ્યાન, મસ્જીદમાં પ્રાર્થના કરવા માટે જવા દે છે.

પૂનમની રાતે તાજમહાલનો નઝારો કોઈ ઓર જ હોય છે. સફેદ આરસ ચંદ્રની ચાંદનીમાં એટલો બધો ઉજળો અને પ્રકાશિત દેખાય છે કે આપણે જાણે કે સ્વર્ગમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે છે. મન રોમાંચિત થઇ ઉઠે છે. આખું દ્રશ્ય કંઇક અલૌકિક લાગે છે. શાહજહાંની આ કૃતિ પર હૃદય આફરીન પોકારી ઉઠે છે. તાજમહાલનું આ રાત્રિદર્શન, મહિનામાં પાંચ દિવસોએ કરી શકાય છે, પૂનમ તથા પૂનમની આગળની અને પાછળની બબ્બે રાતોએ. રાતનો સમય ૮-૩૦ થી ૧૨-૩૦નો છે. દરેક રાતે ફક્ત ૪૦૦ લોકોને પ્રવેશ અપાય છે. તેમાં ય પચાસ પચાસનાં આઠ ગ્રુપ બનાવાય છે, અને દરેક ગ્રુપને ફક્ત અડધો કલાક માટે જ અંદર જવા દેવાય છે. શુક્રવારે અને રમજાન મહિનામાં તાજમહાલનું રાત્રિદર્શન બંધ હોય છે. રાત માટેની ટીકીટ એક દિવસ અગાઉ, આગ્રાની ASIની ઓફિસેથી લેવાની હોય છે. વહેલો તે પહેલોના ધોરણે ટીકીટ મળે છે. આ ટીકીટનો દર ભારતીય માટે ૫૧૦ રૂપિયા અને વિદેશી માટે ૧૨૫૦ રૂપિયા છે. ૩ વર્ષની નીચેના બાળક માટે મફત છે. ભારતની કોઈ પણ વર્લ્ડ હેરીટેજ સાઈટ જોવાની ટીકીટ, કોઈ પણ વર્લ્ડ હેરીટેજ સાઈટના કાઉન્ટર પરથી ખરીદી શકાય છે. દા.ત. તાજમહાલ જોવાની ટીકીટ, દિલ્હીના કુતુબ મિનાર કે હુમાયુના મકબરાના કાઉન્ટર પરથી મળી શકે છે.

તાજમહાલ, આગ્રા કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ૫.૭ કી.મી. અને આગ્રા ફોર્ટ સ્ટેશનથી ૫.૨ કી.મી. દૂર છે. આગ્રા દિલ્હીથી ૨૩૨ અને મથુરાથી ૫૬ કી.મી. દૂર છે. તાજમહાલની વેબસાઈટ tajmahal.gov.in છે. બોલો, તાજમહાલ જોવા ક્યારે જવું છે?

1_from entrance

3_Very near

4_Actual Tombs of Mumtaz and Shah jahan in lower level

7_Decoration on outside wall

8_Marble jali

10_Mumtaz Mahal by Artist

13_Main gate

16_Taj Mahal_Backside

16_IMG_3255

ટેક્સાસ તુલીપની મુલાકાતે

                                                 ટેક્સાસ તુલીપની મુલાકાતે

તમે તુલીપનાં ફૂલ જોયાં હશે. આ ફૂલોનો દેખાવ અને રંગો એટલા સરસ હોય છે કે એને જોઇને મન પ્રસન્ન થઇ જાય. એ ફૂલોના બગીચામાંથી ખસવાનું મન ના થાય, એટલાં આકર્ષક એ ફૂલો દેખાતાં હોય છે. તુલીપનો છોડ સહેજે એક ફૂટ જેટલો ઉંચો વધે છે. દરેક છોડ પર ટોચે એક જ ફૂલ આવે છે. ફૂલને સુગંધ નથી હોતી, પણ ફૂલ, છોડ પર લાંબા સમય સુધી ટકે છે. ફૂલનો આકાર લાઈટના બલ્બ જેવો હોય છે, એટલે એને ઘણી વાર ‘તુલીપ બલ્બ’ પણ કહે છે. આ ફૂલોના રંગની વિવિધતાનું તો પૂછવું જ શું? સફેદ, પીળાં, લાલ, જામલી, કાળાં, ગુલાબી, કેસરી – એમ વિવિધ રંગોનાં તુલીપ જોવા મળે છે.

સામાન્ય રીતે, ખેડૂત તુલીપની વાવણી એવી રીતે કરે છે કે એક લાંબા પટ્ટામાં એક જ રંગનાં તુલીપ હોય, તેની બાજુમાં બીજા કલરનો પટ્ટો, પછી ત્રીજા કલરનો – એમ અલગ કલરના પટ્ટા જોડે જોડે આવે. આ તુલીપ પૂરબહારમાં ખીલ્યાં હોય ત્યારે આ પટ્ટાઓનું ખેતર કેટલું મનમોહક અને સૌન્દર્યસભર લાગે ! જમીન પર જાણે કે રંગીન પટ્ટાઓવાળી શેતરંજી પાથરી હોય એવું લાગે. બે પટ્ટા વચ્ચે ચાલવા જેટલી જગા રાખતા હોય છે. એટલે તમે આસાનીથી તુલીપના બગીચામાં હરીફરી શકો, છોડની બાજુમાં બેસી ફોટા પડાવી શકો અને રંગોનો આનંદ લૂંટી શકો. તમારી જોડે બીજા માણસો પણ બગીચામાં ફરતા હોય, આ આખુ દ્રશ્ય કેટલું બધું સુંદર દેખાય ! કુદરતના આ કરિશ્માને માણવાની મજા આવી જાય.

તુલીપ એ ઠંડા પ્રદેશનો છોડ છે. ગરમી બિલકુલ ના હોય અને ઠંડી પણ પ્રમાણસરની જ હોય એવા પ્રદેશમાં તે થાય છે. દુનિયાના ઘણા દેશોમાં તુલીપના છોડ ઉગે છે. યુરોપમાં નેધરલેન્ડનું લીસ શહેર તુલીપના બગીચા માટે દુનિયાભરમાં જાણીતું છે. આ બગીચા કુકેનહોફ તરીકે ઓળખાય છે. અહીં માર્ચથી મે માસ દરમ્યાન તુલીપના છોડ પર ફૂલો આવે છે. એ વખતે દેશવિદેશના લાખો સહેલાણીઓ તુલીપનાં ફૂલ જોવા માટે નેધરલેન્ડમાં ઉમટી પડે છે., અને બગીચા જોઇને ખુશ ખુશ થઇ જાય છે. ભારતમાં કાશ્મીરના શ્રીનગરમાં તુલીપના બગીચા છે. તમારે તે જોવા હોય તો માર્ચથી મે દરમ્યાન ત્યાં પહોંચી જવું. તમે ‘સિલસિલા’ ફિલ્મ જોઈ છે? એનું ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ….’ગીત, અમિતાભજી અને રેખા પર  તુલીપના બગીચામાં ફિલ્માવાયેલું છે.

આ વર્ષે અમે માર્ચ મહિનામાં USAના ડલાસ શહેરમાં આવ્યા છીએ. અહીં પણ આબોહવા સરસ સમઘાત છે, અને તુલીપના છોડને માફક આવે એવી છે. અહીં ટેક્સાસ તુલીપ નામના ફાર્મમાં તુલીપ ઉગાડ્યા છે. અમે પણ, એક દિવસ, આ બગીચા જોવા માટે ઉપડ્યા. ફેમિલીના નાનામોટા મળી અમે કુલ નવ જણ હતા. ત્યાં પહોંચી, ગાડી પાર્ક કરી, ૩ ડોલરની ટીકીટ લઇ અંદર દાખલ થયા. બગીચાનું દ્રશ્ય અને માહોલ જોઈ ખુશ થઇ ગયા. કેટલા બધા લોકો અહીં તુલીપનાં ફૂલ જોવા આવ્યા હતા ! અહીં ખૂબ જ વિવિધ રંગોનાં તુલીપ ઉગાડ્યાં હતાં. અમે આરામથી બગીચામાં ચાલીને ફર્યા, છોડને સાવ નજીકથી જોયા, છોડની, ફૂલોની સાવ બાજુમાં બેઠા, ફૂલોના સાનિધ્યમાં અઢળક ફોટા પડ્યા, એમ થાય કે બસ અહીંથી ખસવું જ નથી, એટલી બધી પ્રસન્નતા મનમાં છવાઈ ગઈ. મનમાં કાશ્મીર અને નેધરલેન્ડના બગીચા યાદ આવી ગયા. છેવટે તુલીપનાં સંભારણાંરૂપે અમે બે ફૂલ જાતે તોડીને ખરીદ્યાં, એક ફૂલના અઢી ડોલરના ભાવે. ઘરની ફૂલદાનીમાં પાણી ભરીને આ ફૂલ તેમાં મૂક્યાં છે, એને જોઇને અત્યારે પણ તુલીપના એ બગીચા યાદ આવી રહ્યા છે.

8_IMG_0895

11_IMG_0974

13_IMG_0950

15_IMG_0935

16_IMG_0957

17_IMG_4160

18_IMG_4110

30_IMG_0979

32_IMG_0960

33_IMG_4106

IMG_0906

IMG_0929

IMG_4070