દેલોલનો ફરતો પત્થર

                             દેલોલનો ફરતો પત્થર

આપણે ત્યાં ઘણાં ધાર્મિક સ્થળોએ જાતજાતની માન્યતાઓ જોવાસાંભળવા મળે છે. બેચાર ઉદાહરણ આપું. જેમ કે (૧) ફલાણા મંદિરમાં નાળીયેર વધેરવાથી અમુક રોગ મટી જાય છે. (૨) કોઈક ભગવાનને દૂધ ચડાવવાથી માનતાઓ પૂરી થાય છે. (૩) કોઈ મંદિરમાં શ્રીફળનું તોરણ બાંધવાથી, ભગવાન સફળતા અપાવે છે. વગેરે વગેરે. આવી જ કોઈ માન્યતાવાળા એક મંદિરની વિગતે વાત કરું.

પંચમહાલ જીલ્લાનું દેલોલ ગામ. ગોધરાથી વડોદરા જવાના રસ્તે વેજલપુર પછી આ ગામ આવે છે. ગોધરાથી તે ૧૯ કી.મી. દૂર છે. ગોધરાથી આ રસ્તે નીકળીએ ત્યારે આ ગામ આવતા પહેલાં ટોલ બૂથ આવે છે. ટોલ બૂથની સહેજ જ પહેલાં જમણી બાજુ રોડને અડીને સંકટમોચન હનુમાનજીદાદાનું મંદિર છે. કેસરી રંગે રંગેલું, ધજાવાળું મંદિર તરત જ દેખાઈ આવે છે. ગાડીને છેક મંદિરના આંગણ સુધી લઇ જઇ શકાય છે.

ઘણા લોકો અહીં હનુમાનજીનાં દર્શને આવે છે. હનુમાનજીની મૂર્તિ આગળ, બે લંબગોળ પત્થર પડેલા છે. પત્થર આશરે ૮ ઇંચ લાંબો, ૪ ઇંચ પહોળો અને ત્રણેક ઇંચ જાડો છે. પત્થર, ઈંટ જેવા આકારનો કહી શકાય, પણ ઈંટની ધારો અને ખૂણાઓ ધારદાર હોય, જયારે આ પત્થરને ધારો અને ખૂણાઓ ઘસીને સુંવાળા બનાવ્યા હોય એવું લાગે. વળી, પત્થરનો તળિયાનો ભાગ પણ ઘસીને જાણે કે તપેલીના તળિયા જેવો બનાવેલો છે. એટલે પત્થરના તળિયાનો લગભગ વચલો ભાગ જ જમીનને અડકે. પત્થરને બે હાથે ઘુમાવો તો તે તળિયાના વચ્ચેના પોઈન્ટ પર ટેકવાઇને ગોળ ગોળ ફરી શકે. તમને થશે કે આ પત્થરનું આટલું બધું વર્ણન શું કામ કરતા હશે? પણ અહીં આ પત્થર વિષેની જ એક માન્યતાની વાત કરવી છે, એટલે એનું વર્ણન કર્યું. તો આગળ વાંચો.

આ પત્થર વિષે એવી માન્યતા છે કે હનુમાનજીની મૂર્તિની સામેની જગામાં, આ પત્થર પર ઉભા પગે બેસી, તમારે જિંદગીમાં જે કંઇ પ્રાપ્ત કરવું હોય તેની ઈચ્છા મનમાં કરવાની, પત્થર પર બેઠા પછી, આ પત્થર જો ગોળ ફરવા માંડે તો સમજવું કે તમે કરેલી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. પત્થર ગોળ ફરવા માંડે, ત્યારે સાથે સાથે તમે પણ ગોળ ફરશો, તે વખતે તેના પરથી પડી ના જવાય તેનું ધ્યાન રાખવાનું. પત્થર પર બેઠા પછી જો પત્થર ગોળ ના ફરે તો માનવાનું કે તમે કરેલી ઈચ્છાઓ પૂરી નહિ થાય.

દેલોલની આસપાસના વિસ્તારમાં આ પત્થર જાણીતો છે. ઘણા લોકો તો અહીં આ પત્થર જોવા અને પોતાની ઈચ્છાઓ પૂરી થશે કે નહિ, તેની ખાતરી કરવા જ અહીં આવે છે, અને પત્થર પર બેસી, પોતાની આશાઓ ફળશે કે નહિ, તેની ખાતરી કરી લ્યે છે. જેને પત્થર ગોળ ફરે તે ખુશ થાય છે, અને જેને ના ફરે તે જરા નિરાશ થાય છે.

આ તો એક માન્યતા છે. એ કેટલે અંશે સાચી, તે વિષે કંઇ જ કહી શકાય નહિ. કદાચ એવું બને કે પત્થર પર બેસતી વખતે, પત્થરને જાણેઅજાણ્યે સહેજ ધક્કો લાગી જાય તો પત્થર ફરવા માંડે, અને કોઈનાથી આવો ધક્કો ના લાગ્યો હોય, તેના કિસ્સામાં પત્થર ના ફરે. પણ આ એક શ્રદ્ધાનો વિષય છે. જેની જેવી શ્રદ્ધા. બાકી, મારું તો મંતવ્ય છે કે તમે જિંદગીમાં સારાં કામ કરો, મહેનત કરો અને કોઈનું દિલ ના દુભવો તો મહદઅંશે તમારી ઈચ્છાઓ ફળીભૂત થતી હોય છે., પત્થર ફરે કે ના ફરે.

છેલ્લે, એક ખાનગી વાત કહું? અમે દેલોલના આ પત્થર પર બેસી આવ્યા છીએ. ઈચ્છાઓ ફળવાની આશા માટે નહિ, પણ ફક્ત કુતૂહલ ખાતર. મારે પત્થર ગોળ ફર્યો હતો, મારી સાથે આવનાર વ્યક્તિને નહોતો ફર્યો!! મારી કોઈ ઈચ્છા ફળી કે નહિ, તે મને યાદ નથી.

બોલો, તમે તમારી ઈચ્છાઓની પૂર્તિ વિષે જાણવા આ હનુમાન મંદિરે જવાના છો?

તસ્વીરો (૧) ટોલ બૂથ આગળ મંદિર (૨) રોડ પરથી દેખાતું મંદિર (૩) પ્રવેશ (૪) મંદિર (૫) દર્શન (૬) મૂર્તિ અને પત્થર (૭) પત્થર પર બેઠેલ (૮) ફરતો પત્થર

1_Mandir near toll booth

2_Mandir seen from road

3_entrance

4_Mandir

5_Darshan

6_Murti and patthar

7_Lady on stone

8_stone rvolving

કેરીઓ, ત્યારે અને આજે

                                                          કેરીઓ, ત્યારે અને આજે

કેરી ખાવાની કોને ના ગમે? અમે નાના હતા ત્યારે કેરી ખૂબ ગમતી હતી, આજે સાઈઠ વર્ષ પછી પણ એટલી જ ગમે છે. કેરી તો પૃથ્વી પરનું અમૃતફળ છે, આપણા દેશમાં તો ખાસ.

સાઈઠ વર્ષ પહેલાં, હું જયારે દસેક વર્ષનો હતો, એ જમાનાની વાત કરું. હું મારા વતનમાં, પંચમહાલ જીલ્લાના એક ગામડામાં રહેતો હતો. ગામની આજુબાજુ ખેતરોમાં આંબા હતા. હોળી આવે ત્યારથી જ કાચી કેરીની શરૂઆત થઇ જાય. પિતાજી ક્યારેક કેરી ખરીદીને લાવે, પણ જાતે કોઈકના આંબેથી મફતમાં કેરી પાડી લાવવાનો આનંદ અદભૂત હતો. અમે કોઈકના ખેતરમાં ઘૂસી જતા, અને આંબા પર પથરા મારી કેરીઓ પાડતા. (કેરીવાળાને નુકશાન થતું.) ક્યારેક આંબાનો ચોકીદાર ત્યાં બેઠેલો હોય, તો તે આંબેથી કેરીઓ નહિ પાડવાની. એક વાર, એક આંબાએ ચોકીદાર નહોતો, મેં આંબા પર પથરા મારવાના શરુ કર્યા, અને ચોકીદાર ક્યાંકથી ફૂટી નીકળ્યો. એણે મને ઝાલ્યો. હું તો ગભરાઈ ગયો, એવું લાગ્યું કે આજે ચોક્કસ માર પડવાનો. પણ ચોકીદારે મને પૂછ્યું, ‘અલ્યા, કોનો દિકરો છું?’ મેં મારા બાપાનું નામ દીધું. અને એણે મને જવા દીધો. એ મારા બાપાની શાખ હતી.

અમે નાના છોકરા ઘણી વાર સાંજના નદીએ ફરવા જતા. ત્યારે કાચી કેરી, ચપ્પુ અને મીઠુંમરચું સાથે લઈને જતા. ત્યાં બેસી, કેરીઓ કાપી, તેના પર મીઠુંમરચું ભભરાવીને ખાવાનો આનંદ માણતા. ત્યારે કાચી કેરીથી દાંત ખટાઈ નહોતા જતા.

પછી કેરીઓ મોટી થાય. એટલે એ કાચી કેરીઓ થેલીમાં ભરીને ગામડાના લોકો વેચવા આવે. ઉચ્ચક થેલીના ભાવે જ તે ખરીદવાની. થેલીમાં ચારપાંચ કિલોગ્રામ જેટલી કેરી હોય, તે ચાર આનાથી આઠ આનાના ભાવમાં મળી જાય. (ત્યારે ૧ રૂપિયો બરાબર ૧૬ આના). એ કેરીના ટુકડા કરી, એને મીઠું દઈ, સૂકવી, તેનાં અંબોળીયાં બનાવવાનાં અને આખું વર્ષ વાપરવાનાં.

થોડા દિવસ પછી પાકી રસની કેરીઓ આવવાની શરુ થાય. જેને આંબા હોય તેઓ કેરીઓ પકવી, ગામમાં વેચવા આવે. કેરીઓ મોટા ટોપલા કે ગાડામાં લઈને આવે. ભાવની રકઝક પછી, જે ભાવ નક્કી થાય તે ભાવે બધા લોકો કેરી ખરીદે. મોટે ભાગે પાંચ આનાથી માંડી એક રૂપિયાની પાંચ શેર એવો ભાવ હોય. પાચ શેર એટલે આશરે અઢી કિલો. વિચારો કે કેટલી સસ્તાઈ હતી એ જમાનામાં !! આમ જુઓ તો બિચારા કેરી પકવનારનું શોષણ પણ થતું હતું. પણ અમને બચ્ચાંઓને એવી ગતાગમ ત્યારે ન હતી. વળી, કેરી તોલવામાં ‘ધડા’ની એક કેરી કાટલાંના પલ્લામાં મૂકાતી, આમ એક કેરી વધારે પડાવી લેવાની વ્યવસ્થા હતી !!

પાકી કેરી ચૂસીને ખાવાની તો શું મજા આવતી હતી ! માંચી પર ટાટીયુ (કોથળા જેવું) બાંધી, પાકી કેરીનો રસ કાઢવામાં આવતો. જમતી વખતે એ રસ ખાવાનો. આ ઉપરાંત, સાખ પડેલી કાચી કેરી ખરીદી, તેને ઘેર પકવતા. આ માટે કાચી કેરીને ઘરના એક ખૂણામાં લીમડા કે ખાખરાનાં પાન પાથરી તેના પર મૂકીને ઢાંકી દેવાની. ધીરે ધીરે તે કેરી પાકતી જાય, પછી એ કેરીઓનો રસ ખાવાનો. આમ, સીઝનમાં ક્યાંય સુધી રસ ખાવા મળતો. કેરીની સીઝન વખતે જ સ્કુલમાં ઉનાળાનું વેકેશન હોય, એટલે મામાને ત્યાં ગયા હોઈએ તો ત્યાં પણ રસની મજા માણવા મળતી.

અમે આ બધી જે કેરીઓ ખાતા, તે બધી દેશી કેરીઓ જ હતી, અને આજુબાજુના વિસ્તારમાં જ પાકતી હતી. કેસર, હાફૂસ, લંગડો એવી કેરીઓનાં નામ સાંભળ્યાં હતાં, પણ એ બધી અમને જોવા મળતી ન હતી. કદાચ કોઈક પૈસાદાર લોકો એવી કેરીઓ શહેરમાંથી લાવીને ખાતા હોય એવું બને.

ક્યારેક ઘરમાં રસના પાપડ પણ બનતા.રસને થાળી કે પાટલા પર પાથરી, તેને તડકામાં સૂકવતા થોડા દિવસમાં રસનો પાપડ તૈયાર. એકાદશી કે વારતહેવારે ખાવા માટે તેને રાખી મૂકતા. પાકી કેરીના ગાળા દરમ્યાન સાખ પડેલી કાચી કેરીઓ ખરીદી, તેનો છૂંદો, કટકી, અથાણું અને તાપનો છૂંદો બનાવાતો. પછી આખું વર્ષ તેનો ખાવામાં ઉપયોગ કરતા.

બોલો, બાળપણની કેરીઓ યાદ આવી ગઈ ને? આજે આ ચિત્ર કેવું છે? અમે ગામડામાંથી શહેરમાં આવીને વસી ગયા છીએ. કેસર, આલ્ફાન્ઝો, લંગડો, રત્નાગીરી એવી બધી કેરીનાં બોક્સ બહુ મોંઘા ભાવે ખરીદીને ખાઈએ છીએ. ટેસ્ટ સરસ છે. પણ ગામડામાં કુદરતી રીતે પકવેલી કેરી ખાવામાં જે આનંદ આવતો હતો, તે નથી. અને બીજું કે ઝાડ પરથી કાચી કેરીઓ પાડી લાવવામાં જે મજા હતી, તે આજે નથી. ગામડામાં હજુ આ બધું છે કે નહિ, તેની ખબર નથી.

1

2

3

4

અર્ધજાગ્રત મન, માણસને મળેલી આશ્ચર્યજનક ભેટ

મિત્રો, તમારે તમારી જિંદગીમાં, તમે ધારો એ બધું મેળવવું છે? તો આ લેખ ધ્યાનથી વાંચો. તમે અહીં લખેલી રીતનો પ્રયોગ કરવાની ટેવ પાડશો તો, જિંદગીમાં તમે ધારો તે બધું જ મેળવી શકશો. લેખ બને એટલો ટૂંકો લખવા પ્રયત્ન કર્યો છે, ભાષા શક્ય એટલી સાદી રાખી છે.

                                        અર્ધજાગ્રત મન, માણસને મળેલી આશ્ચર્યજનક ભેટ

તમને રાજા અલ્લાઉદીનના જાદુઈ ચિરાગની ખબર છે? અલ્લાઉદીન પાસે એક જાદુઈ ચિરાગ હતો, એના પર તે આંગળી ઘસે, એટલે એમાંથી જીન પ્રગટ થાય, અને પૂછે, “બોલ, માગ, માગે તે આપું.” પછી રાજાને જે જોઈતું હોય તે માંગે, અને જીન તરત જ એ વસ્તુ હાજર કરી દે. આવો જાદુઈ ચિરાગ આપણને મળી જાય તો, કેવી મજા આવી જાય ! હું તમને જણાવું કે આવો જાદુઈ ચિરાગ આપણી પાસે છે જ. ક્યાં છે, કહું? ભગવાને દરેક માણસને અર્ધજાગ્રત મન (Subconscious mind) આપ્યું છે, અને આ અર્ધજાગૃત મન એ આપણો જાદુઈ ચિરાગ છે. એની પાસેથી તમે ઈચ્છો તે બધું જ મેળવી શકો છો. બોલો, હવે જાણવાની ઉતાવળ આવી ગઈ ને? કે કઈ રીતે આ થઇ શકે? તો ચાલો, વાંચવા માંડો.

આપણી પાસે બે મન હોય છે, એક જાગ્રત મન અને બીજું અર્ધજાગ્રત મન. આપણે જાગતા હોઈએ ત્યારે આપણે બુદ્ધિથી સમજી વિચારીને જે કાર્યો કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, સારુંનરસું સમજી શકીએ છીએ, એ બધું જ જાગ્રત મન દ્વારા કરીએ છીએ. એટલે કે જાગ્રત મન વિચાર કરી શકે છે, નિર્ણયો લઇ શકે છે, સારુંખોટું સમજી શકે છે. તકને ઓળખી શકે છે. જાગ્રત મન આપણે જાગતા હોઈએ ત્યારે જ કામ કરે છે. જાગ્રત મનની શક્તિ ફક્ત ૧૦ ટકા જ છે.

અર્ધજાગ્રત મન, ચોવીસે કલાક કામ કરે છે. તેની તાકાત ૯૦ ટકા છે. એક બે ઉદાહરણ આપું. શરીરમાં ખોરાક પચવાની, હૃદયને ધબકતું રાખવાની, ઘા પડ્યો હોય તો રૂઝાવાની, ઉંઘમાં પડખું ફેરવવાની, યાદશક્તિ, શરીરની વૃદ્ધિ, ત્રિકાળજ્ઞાન, ટેલીપથી  – આવી બધી જે ક્રિયાઓ છે, તે અર્ધજાગ્રત મન દ્વારા થાય છે. આ ઉપરાંત, તેને જે કામ સોંપો, તે બધું જ તે કરી આપે છે. અર્ધજાગ્રત મન પાસે  નિર્ણય લેવાની શક્તિ નથી. પણ તેને જે સૂચનો કરવામાં આવે તેનો તે એક વફાદાર સેવકની જેમ અમલ કર્યા જ કરે છે. તમે એને સારું કે ખરાબ, જે કામ સોંપશો તે એ અચૂક કરશે જ.

પહેલાં તો આપણે શું મેળવવા ઈચ્છીએ છીએ, આપણું ધ્યેય (Goal) શું છે, તે નક્કી કરવું જોઈએ. હવે, અર્ધજાગ્રત મનને આ કામ કઈ રીતે સોંપવું? એની એક રીત અહીં લખું છું. તમે રાત્રે સૂવા પડો ત્યારે, ઉંઘ આવી જતા પહેલાંની પાંચેક મિનીટ એવી હોય છે કે જેમાં તમે પૂરા જાગતા ન હો કે પૂરા ઉંઘી પણ ન ગયા હો. આ સમયે અર્ધજાગ્રત મનને જે સૂચન કરીએ, તે અર્ધજાગ્રત મનમાં બરાબર પહોંચી જાય છે. એટલે આ સમયે, જે વસ્તુ પ્રાપ્ત કરવી છે, તેનું મનમાં રટણ કરતાં કરતાં ઉંઘી જવું. દા.ત. મારે પરીક્ષામાં ૯૦ ટકા, લાવવા છે, ૯૦ ટકા લાવવા છે, એવી ઈચ્છા કરતાં કરતાં ઉંઘી જવું. પછી અર્ધજાગ્રત મન તમે સોંપેલું કામ કરવા માંડશે. મેં એવું ઘણી વાર અનુભવ્યું છે કે રાતે કોઈ દાખલો ના આવડ્યો હોય અને પછી સૂવા પડું અને એ દાખલો યાદ કરતાં કરતાં ઉંઘી જાઉં, સવારે જાગું ત્યારે એ દાખલો ગણવાની રીત જડી ગઈ હોય.

અર્ધજાગ્રત મનને આપણું ધ્યેય સોંપવાની બીજી રીત. અર્ધજાગ્રત મન ફક્ત ચિત્રોની ભાષા સમજે છે. તમે શાંત ચિત્તે એક રૂમમાં આંખો બંધ કરીને બેસો. અને તમારા ધ્યેયને લગતાં ચિત્રો કપાળ આગળ એક કાલ્પનિક પડદા પર જુઓ. આ ચિત્રો અર્ધજાગ્રત મનમાં અંકિત થઇ જશે, અને તમારા ધ્યેયને સાચું બનાવવા માટે તે કામે લાગી જશે. અર્ધજાગ્રત મનને આ રીતે કામ સોંપવાનું થોડા દિવસો સુધી રોજ કરવું જોઈએ.

અર્ધજાગ્રત મનને કામ સોંપ્યા પછી, તે આપણને ધ્યેય સિદ્ધ થયાનો સંદેશો કઈ રીતે મોકલે? (૧) આપણે રાબેતા મૂજબ જીવતા હોઈએ અને કોઈ દિવસ એકાએક આપણને સ્ફૂરણા થાય કે ઓહો ! ફલાણું કામ તો આ રીતે કરી શકાય. આ સ્ફૂરણા અર્ધજાગ્રત મને મોકલી હોય છે. (૨) દા.ત. પરીક્ષામાં ૯૦ ટકા લાવવાનું કામ અર્ધજાગ્રત મનને સોંપ્યું હોય તો તે આપણને પ્રેરણા કરે કે અમુક રીતે વાંચો, આપણે એ પ્રમાણે વાંચીએ, અને ૯૦ ટકા આવી જાય.

અર્ધજાગ્રત મન તમારાં કામ કરી આપે એ માટે અમુક જરૂરિયાતો છે. (૧) હમેશાં હકારાત્મક (Positive) બનવું. (૨) ગુસ્સો ના કરવો. (૩) બીજાઓને તેમની ભૂલો માટે માફી આપવી. (૪) જે મેળવવું છે, તેની તીવ્ર ઈચ્છા (Burning desire) હોવી જોઈએ.(૫) અર્ધજાગ્રત મનની શક્તિઓ પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ.

અર્ધજાગ્રત મન એ કદાચ શરીરમાં રહેલો આત્મા કે ભગવાનનો અંશ છે. તમે તમારા અર્ધજાગ્રત મનને ઓળખો. તેની સાથે થોડો સમય વિતાવો. તમારી અંદરની દુનિયામાં ડોકિયું કરવાની ટેવ પાડો, તે તમારાં બધાં કામ કરી આપશે. તમારું જીવન ધન્ય થઇ જશે. અર્ધજાગ્રત મન પાસે બધા જ પ્રશ્નોના ઉકેલ છે.

નોંધ: અર્ધજાગ્રત મનને લગતી ઘણી બુક્સ અંગ્રેજી અને ગુજરાતીમાં લખાઈ છે. આ લેખ લખવામાં, એવી એક બુક “પ્રેરણાનું ઝરણું”નું માર્ગદર્શન લીધું છે.