બાકોર ધોધ અને ચાંદણગઢની મુલાકાતે

બાકોર ધોધ અને ચાંદણગઢની મુલાકાતે

આજે હું તમને બે સરસ જગાઓની મુલાકાત કરાવું. એમાંની એક છે લુણાવાડાની નજીક બાકોર પાસે ભાદર નદી પર આવેલો ધોધ અને બીજી જગા છે શહેરા પાસે ચાંદણગઢમાં ડુંગરની ગુફામાં આવેલું ખોડિયાર માતાનું મંદિર. ગોધરાથી આ બંને જગાઓ એક જ રૂટ પર આવેલી છે. સવારે નીકળી બંને સ્થળ જોઇને સાંજે ગોધરા પાછા આવી જવાય. અમે ગોધરા ગયા ત્યારે એક દિવસ આ જગાઓએ જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો.

અમે પાંચ જણ ગોધરાથી સવારે ગાડી લઈને નીકળ્યા. ભાદરવા મહિનાનો સખત તાપ હતો. ગોધરાથી મોડાસાના રસ્તે ૨૨ કી.મી. પછી શહેરા, ત્યાંથી ૨૦ કી.મી. પછી લુણાવાડા અને ત્યાંથી ૨૪ કી.મી. પછી બાબલીયા આવ્યું. અહીંથી જમણી બાજુના ફાંટામાં ૫ કી.મી. પછી બાકોર ગામ આવ્યું. દોઢેક કી.મી. પછી, જમણી બાજુ ખાનપુર જવાના રસ્તે વળ્યા. આ રસ્તે બેએક કી.મી. પછી, અમેઠી ગામનું બોર્ડ આવતા પહેલાં, ડાબી બાજુ વળ્યા. હવે રસ્તો સાંકડો હતો. આ રસ્તે પાંચેક કી.મી. પછી વાવકૂવા પહોંચ્યા. રસ્તામાં વચ્ચે જેઠોલા ગામમાંથી અહીંની એક જાણકાર વ્યક્તિ નામે રણછોડને અમારી જોડે લઇ લીધો. વાવકૂવા આગળ ચોક જેવી જગા છે. અહીં પાકો રસ્તો પૂરો થઇ જાય છે. અહીંથી જંગલમાં સાંકડો, ઉંચોનીચો કપચીવાળો કાચો રસ્તો બનાવ્યો છે. એ રસ્તે માંડ ગાડી લીધી. દોઢેક કી.મી. પછી તો એ રસ્તો પણ પૂરો. અહીં ગાડી મૂકી દીધી. પછી અડધો કી.મી. ચાલ્યા. નદી આવી. આડાઅવળા ખડકો પર પગ ગોઠવતા સોએક મીટર જેટલું ગયા પછી ધોધ દેખાયો ! ખડકોના ખાંચામાંથી નદી આશરે પાંચેક મીટર ઉંચેથી ધોધરૂપે પડતી હતી. ધોધની પહોળાઈ પણ પાંચેક મીટર જેટલી જ હતી. આમાં જરાય ઉતરાય એવું ન હતું. એટલે ખડકો પર ઉભા રહીને જ ધોધનાં દર્શન કર્યા. સખત મહેનતે અહીં સુધી આવ્યા હતા. ધોધ એવો ભવ્ય નથી. પાણી આગળ વહીને ફરીથી ધોધરૂપે પડતું હોય એવું દેખાય છે, ત્યાં નાહી શકાય એવું છે. જો કે અમે એ બાજુ ગયા નહિ.

અમે ફોટા પાડ્યા, અને ખડકો પર થોડું બેસીને પાછા વળ્યા. ચહેરા અને શરીર પરથી પરસેવો નીતરતો હતો. છેવટે એ જ રસ્તે પેલા જેઠોલા ગામ સુધી પાછા આવ્યા. રણછોડનું ઘર રોડની બાજુમાં જ હતું. એટલે ત્યાં સહેજ આરામ કરવાનો વિચાર કર્યો. તેના ઘરે ગયા. તેના પિતા, કાકા વગેરે લોકો ત્યાં હતા. તેઓએ અમને મહેમાનની જેમ પ્રેમથી આવકાર્યા. આંગણામાં ખાટલા ઢાળ્યા, ગોદડીઓ પાથરી, પાણી પીવડાવ્યું, આજુબાજુ તેમનાં ખેતરો હતાં તેમાંથી તાજી મકાઈ તોડી લાવી, ચૂલા પર શેકીને અમને ખવડાવી. અમે તેમનું ઘર, ખેતર, ઢોર, દૂધી-સીતાફળના છોડ – એ બધું જોયું. તેઓ ખીચડી-રોટલા બનાવવાનું કહેતા હતા, પણ અમે ના પાડી. તેમની ભરપૂર આગતાસ્વાગતા માણી, તેમને બક્ષિસ આપીને અમે પાછા વળ્યા. આપણાં ગામડાંના લોકોમાં હજુ જે આત્મીયતા જળવાઈ રહી છે, એનો સરસ અનુભવ કર્યો.

પાછા વળી અમે લુણાવાડા સુધી આવ્યા. અહીં એક હોટેલમાં જમ્યા. પછી શહેરા આવ્યા. હવે અમારે ચાંદણગઢ જવું હતું. શહેરામાં અણીયાદ ચોકડીથી જમણી બાજુ વળવાનું. આ રસ્તે ૧૨ કી.મી. પછી ચાંદણગઢ આવે છે. રસ્તો ખૂબ જ સરસ છે. અણીયાદ ચોકડીથી ૧૦ કી.મી. પછી ચાંદણગઢનું બોર્ડ છે, અહીંથી ડાબે ૨ કી.મી. જવાનું છે.

અમે જતા હતા, અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. આકાશમાં વાદળાં ચડી આવ્યાં, પવન ફૂંકાવા લાગ્યો, અને વરસાદ પણ વરસી પડ્યો. થોડી ઠંડક થઇ ગઈ. આવો તોફાની વરસાદ સવારે વાવકૂવા બાજુ પડ્યો હોત તો ત્યાં ગાડી ચલાવવાનું મુશ્કેલ બની જાત.

ચાંદણગઢમાં વિશાળ ખુલ્લા મેદાનમાં ગાડી મૂકી દીધી. અહીં મોટા મોટા પત્થરો એકબીજા પર ગોઠવાઈને નાનો ડુંગર બન્યો છે. પત્થરોની ગોઠવણી વચ્ચેની જગામાં કુદરતી ગુફા બની છે. આ ગુફામાં પગથિયાં બનાવ્યાં છે. ગુફાના પ્રવેશદ્વાર આગળ ખુલ્લો ચોક છે. અહીં ‘આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર’ નું બોર્ડ છે. ગુફા સાંકડી છે. માથું નમાવી, વાંકા વળીને, પગથિયાં ચડી માતાજીના મંદિર સુધી પહોંચાય છે. માતાજીનાં દર્શન કરી મન આનંદ અનુભવે છે. ડુંગરના પત્થરો પર બહારથી પણ ચડી શકાય છે. આ પત્થરો પરથી દૂર દૂર સુધીનો નજારો નજરે પડે છે.

ગુફાના પ્રવેશદ્વારની નજીક રસોડું અને હોલ છે. અહીં દર રવિવારે ભક્તોને જમવાની વ્યવસ્થા છે. મંદિરનું આંગણ ખૂબ વિશાળ છે. બેસવા માટે બાંકડા છે. બાજુમાં બગીચો છે. એમાં બાળકોને રમવાની સરસ સુવિધા છે.

એકંદરે જગા સારી છે. ઘણા ભક્તો અહીં દર્શને આવે છે. પીકનીક મનાવવા માટે આ સારું સ્થળ છે. અમે આ બધું ફરીને સાંજે ગોધરા આવી ગયા. મજા આવી ગઈ.

1

4

9

12

13

1

2

3

4

10

IMG_9758

કામરેજના ગળતેશ્વર મહાદેવ

કામરેજના ગળતેશ્વર મહાદેવ

ગુજરાતમાં બે ગળતેશ્વર મહાદેવ બહુ જાણીતાં છે, એક પ્રાંતિજની નજીક અને બીજું ઠાસરા પાસે. આ ઉપરાંત, ઓછું જાણીતું એવું એક ત્રીજું ગળતેશ્વર મહાદેવ સૂરત જીલ્લાના કામરેજ તાલુકામાં ટીંબા ગામમાં તાપી નદીના કિનારે આવેલું છે. સૂરતથી તે ૩૯ કી.મી. અને ભરૂચથી ૭૬ કી.મી. દૂર છે. આ મહાદેવ બોધાન ગામની નજીક છે. આવો, આજે આપણે આજે આ મહાદેવની મુલાકાત લઈએ.

અમે આ સ્થળે જવા માટે ભરૂચથી નીકળ્યા. ભરૂચથી સૂરતના હાઈવે પર આશરે ૬૦ કી.મી. જેટલું ગયા પછી, ડાબા હાથે નાનો રસ્તો પડે છે. ત્યાં, ‘ગૌતમેશ્વર મહાદેવ, બોધાન’ એવું બોર્ડ છે. આ રસ્તે ૧૫ કી.મી. જેટલું ગયા પછી તાપી નદીના કિનારે બોધાન ગામ આવે છે. અહીંથી તાપી નદી પરનો પૂલ ઓળંગી સામે કિનારે જઈએ કે તરત જ જમણી બાજુ ગળતેશ્વર મહાદેવ છે. ગળતેશ્વર મહાદેવમાં શિવજીની ૬૨ ફૂટ ઉંચી મૂર્તિ છે, તે મૂર્તિ રોડ પરથી જ દેખાય છે. અમે ગાડી એ બાજુ લઈને મંદિરના પાર્કીંગમાં મૂકી દીધી. ટીંબા ગામ અહીંથી નજીક જ છે.

મંદિરના પ્રવેશદ્વારની કમાન ભવ્ય છે. તેના પર મોટા અક્ષરે ‘ઓમ નમઃ શિવાય’ લખેલુ છે. પ્રવેશ લીધા પછીના વિશાળ પ્રાંગણમાં ડાબી બાજુ ભોજનાલય છે, એના પર ‘માતાપિતા સ્મૃતિભવન ભોજનાલય’ એવું લખેલું છે. જમણી બાજુ વિશ્રામ કરવા માટે, લાઈનબંધ મંડપો બાંધેલા છે, જે ગજીબો કહેવાય છે. એમાં બેસવા માટે બાંકડા અને હીંચકા છે. આગળ જતાં, સામે જ શિવજીની ૬૨ ફૂટ ઉંચી મૂર્તિ છે. આટલી ભવ્ય મૂર્તિ જોઇને મન આનંદવિભોર બની જાય છે. એમ થાય કે મૂર્તિને જોયા જ કરીએ. મૂર્તિની સામે મોટો નંદી છે. મૂર્તિની નીચેના વિશાળ ખંડમાં બાર જ્યોતિર્લીંગનાં દર્શન થાય છે. વધુમાં, એક સ્ફટિકનું લીંગ પણ છે. શિવજીની આ મૂર્તિની સામે મેદાનમાં ઉભા રહેવાનું ગમે એવું છે.

મૂર્તિની સામે જમણી બાજુ ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. એમાં પંદરેક પગથિયાં ચડીએ એટલે શિવજીનાં દર્શન થાય છે. ડાબી બાજુ રામ, સીતા અને લક્ષમણનું મંદિર છે.

શિવજીની મૂર્તિની જમણી બાજુ તાપી નદી વહે છે. મંદિર આગળથી તે દેખાય છે. આટલે ઉંચેથી દૂર દૂર સુધી દેખાતી નદીનું દ્રશ્ય જોવાની મજા આવે છે.

બીજી એક ખાસ બાબત એ છે કે મંદિરની પાછળ નારદીગંગા નદી વહે છે અને તે તાપીને મળે છે. ત્રીજી એક ગુપ્તગંગા નદી પણ અહીં તાપીને મળે છે. આમ, મંદિરની પાછળ ત્રિવેણી સંગમ થાય છે. આ સંગમમાં નહાવાનું પવિત્ર ગણાય છે તથા તેમાં નહાવાની ખૂબ મજા આવે એવું છે.

શિવજીની મૂર્તિની બાજુમાં ‘ગંગોત્રી ત્રિવેણી સંગમ સ્નાનાગાર’ નું બોર્ડ છે, અહીંથી ટીકીટ લઈને, ૧૧૧ પગથિયાં ઉતરીને નીચે સંગમ આગળ પહોંચાય છે. નારદીગંગા તાપીને મળે એ પહેલાં તેમાં ચેકડેમ જેવું બનાવી એક પછી એક એમ બે મોટા હોજ બનાવ્યા છે. નદીનું પાણી પહેલાં એક હોજમાં અને પછી બીજામાં પડે છે. આ પાણી ધોધરૂપે, કાણાંમાં થઈને કે પગથિયાં પર વહીને એમ વિવિધ રીતે પડે છે. એમાં ઉભા રહીને નહાવાની બહુ મજા આવે છે. હોજ, ધોધ તેમ જ વહેતા પાણીનો દેખાવ બહુ જ સરસ છે.

લોકો અહીં નહાવાનો આણંદ માણે છે, અને આનંદની ચિચિયારીઓ પાડે છે. હોજ વિસ્તારમાં ચોખ્ખાઈ સારી છે, ડૂબી જવાનો કે તાપીમાં તણાઈ જવાનો ભય નથી. અમે પણ અહીં બે કલાક જેટલું નાહ્યા, પછી પગથિયાં ચડીને ઉપર આવ્યા. સ્ત્રીઓ માટે કપડાં બદલવા રૂમની સગવડ છે.

ઉપર આવી ગજીબોમાં બેસી થોડો આરામ કર્યો. અહીં રાત રોકાવુ હોય તો રહેવાની સગવડ છે. પ્રવેશદ્વાર સામે ચાનાસ્તાની દુકાનો પણ છે. અમે એનો લાભ લીધો, અને શિવજીને મનોમન પ્રણામ કરી પાછા ભરૂચ જવા નીકળ્યા. અડધા દિવસની આ ટ્રીપ બહુ જ આનંદદાયક રહી.

બોધાનનું ગૌતમેશ્વર મહાદેવ પણ જાણીતું સ્થળ છે. દર બાર વર્ષે આવતા કુંભમેળા વખતે અહીં મહાદેવને ધજા ચડાવવામાં આવે છે.

1_IMG_9097

2_IMG_9098

7_IMG_9101

10_IMG_9103

14_IMG_9115.JPG

 

19_IMG_9318

1_IMG_20170825_161945.jpg

3_IMG_20170825_155102.jpg

23_IMG_9126.JPG

24_IMG_9127.JPG

 

 

 

 

 

આણંદથી મંદિરોનાં દર્શને

                                        આણંદથી મંદિરોનાં દર્શને

આપણા ગુજરાતમાં મંદિરો કેટલાં? એનો જવાબ છે ગણ્યાં ગણાય નહિ એટલાં. દરેક ગામમાં અને શહેરમાં મંદિરો હોય જ. અમે એક વાર આણંદની આજુબાજુ આવેલાં પાંચેક જાણીતાં મંદિરોએ જવાનો પ્લાન બનાવ્યો અને સવારમાં આઠ વાગે આણંદથી ગાડી લઈને નીકળી પડ્યા.

સૌથી પહેલાં અમે કરમસદ અને સંદેસર થઈને અગાસ પહોંચ્યા. અગાસ આણંદથી પંદરેક કી.મી. દૂર છે. અહીં જૈન મુનિ શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ આવેલો છે. જૈનોનું આ પ્રખ્યાત તીર્થ છે. આશ્રમમાં રોજ સવારે તથા સાંજે જૈન ધર્મના ઉપદેશનું પઠન થાય છે. ઘણા લોકો તેનું શ્રવણ કરે છે. આશ્રમમાં રહેવાની તથા ચાનાસ્તા અને જમવાની સરસ સુવિધા છે. બગીચા અને ઝાડપાન પુષ્કળ છે. આવા વાતાવરણમાં બેચાર દિવસ રહી પડવાનું મન થઇ જાય એવું છે.

અમે લોકોની ભક્તિભાવના જોઇને ખુશ થઇ ગયા અને આશ્રમના હોલમાં પ્રભુસ્મરણમાં જોડાઈ ગયા. અડધા કલાકમાં અહીંથી નીકળી અમે ખંભાત તરફ ચાલ્યા. સિહોલ, ભટીયોલ, ફાગણી, દંતાલી, પેટલાદ અને ધર્મજ ચોકડી થઇ ખંભાત પહોંચ્યા. દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ છે. અગાસથી ખંભાત ૪૦ કી.મી. દૂર છે. ખંભાતમાં તળાવને કિનારે શ્રીગુસાંઈજી પ્રભુની બેઠક છે. આશરે પાંચસો વર્ષ પહેલાં શ્રીગુસાંઈજી અહીં બિરાજેલા અને લોકોને ઉપદેશ આપેલો. બેઠક મંદિર ઘણું જ સરસ છે. પાછળ ગિરિરાજજી છે. રહેવાની અને પ્રસાદ લેવાની સગવડ છે. શાંત અને પ્રભુમય વાતાવરણમાં અહીં બેસવાનું ગમે એવું છે.

અમે જમવાનું તો સાથે લઈને જ આવેલા. એ અહીં બેઠકજીના ઓટલે બેસી જમી લીધું. અમારા એક સંબંધી ખંભાતમાં રહે છે, તેમને ત્યાં જઇ થોડો આરામ કર્યો. ભૂખ ન હતી છતાં ય તેમણે આગ્રહ કરીને અમને સમોસા અને ભજીયાં ખવડાવ્યાં.

બપોર પછી અમે ચાલ્યા રાલેજ. ખંભાતથી રાલેજ ૭ કી.મી. દૂર છે. રાલેજમાં દરિયાની નજીક શિકોતર માતાનું પ્રખ્યાત મંદિર છે. તે વહાણવટી માતા તરીકે પણ જાણીતાં છે. મંદિરનું આંગણ વિશાળ છે, ચોખ્ખાઈ પણ ઉડીને આંખે વળગે એવી છે. કહે છે કે દરિયામાં કોઈ વહાણ માર્ગ ભૂલી ગયું હોય તો તેનો ખલાસી વહાણવટી માતાને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે, અને તેને સાચો રસ્તો જડી જાય છે.

શિકોતર માતાના મંદિરની સામે ઘુશ્મેશ્વર મહાદેવનું મંદિર છે. માતાજીના મંદિર પરથી પગથિયાં ઉતરીને આ શિવમંદિરમાં જવાય છે. આ મંદિરનો બહારનો દેખાવ દિલ્હીના પાર્લામેન્ટના મકાન જેવો નળાકાર છે. એની ઉપર ખૂબ જ મોટું શિવલીંગ બનાવ્યું છે. આખો દેખાવ બહુ જ સરસ લાગે છે. મંદિરની અંદર વચ્ચેના ભાગમાં શિવજીનાં બાર જ્યોતિર્લીંગ સ્થાપિત કરેલાં છે, તથા વર્તુળાકાર દિવાલ પર બધા જ દેવીદેવતાનાં નાનાંનાનાં મંદિર બનાવ્યાં છે. મંદિરનું વાતાવરણ બહુ જ શાંત અને ભક્તિમય છે. બેઘડી બેસીને શિવજીનું સ્મરણ કરવાનું ગમે એવું છે. બહાર વિશાળ નંદી છે. અહીં બગીચો બની રહ્યો છે. દૂર અરબી સમુદ્ર નજરે પડે છે.

આ બધું જોઈ અમે રાલેજથી પાછા વળ્યા. ગરમી પુષ્કળ હતી. રાલેજથી ઉંદેલ, જલુંધ અને કનીસા ચોકડી થઈને અમે ધર્મજ તરફ જતા મૂળ રસ્તે આવ્યા. ધર્મજ ચોકડી પહોંચી અમે ત્યાંથી તારાપુરના રસ્તે વળ્યા. આ રસ્તે ધર્મજ ચોકડીથી માત્ર ૪ કી.મી. દૂર માણેજ ગામ આગળ મણીલક્ષ્મી જૈન તીર્થ આવેલું છે. મંદિર બિલકુલ રોડ સાઈડે જ છે. આ તીર્થ હમણાં જ બનીને તૈયાર થયું છે. અંદર દાખલ થતામાં સામે ઉંચા શિખરવાળું મંદિર દેખાય છે. એની પહેલાં બગીચા વચ્ચે, હાથથી ઉંચકાયેલા એક ગોળા પર ‘મણીલક્ષ્મી તીર્થ’ લખેલું નજરે પડે છે. આ ગોળો તરત જ આપણું ધ્યાન ખેંચે છે. એની એક બાજુ ભોજનગૃહ છે. ભોજનગૃહનું મકાન ખૂબ જ ભવ્ય અને કલાત્મક છે.

ગોળાથી સીધા આગળ જતાં, મણીલક્ષ્મી તીર્થનું સફેદ આરસમાં કંડારેલું મંદિર આવે છે. વિશાળ મંદિરનાં બહારથી જ દર્શન કરીને એમ લાગે છે કે આટલું મોટું જૈન તીર્થ કદાચ બીજે ક્યાંય નથી જોયું. મંદિરમાં દાખલ થયા પછી, મન આરસના થાંભલાઓ અને છત પરની અદભૂત કોતરણી જોવામાં પરોવાઈ જાય છે. એમાં કલાકારોએ દેવીદેવતાઓની વિવિધ મુદ્રાઓને આબાદ રીતે પ્રગટ કરી છે. ધારીને જોઈશું તો લાગશે કે કોઈ એક મુદ્રા બીજે ક્યાંય રીપીટ નથી થતી. આટલું સુંદર ઝીણવટભર્યું કામ કરીને કારીગરોએ પ્રભુભક્તિ માટે પ્રાણ રેડી દીધા છે. મંદિરના સભામંડપને પણ એટલો જ સુંદર રીતે સજાવ્યો છે. ગર્ભગૃહમાં તીર્થંકરની મૂર્તિ તો અતિ સુંદર છે. એમનાં દર્શન કરીને મનમાં ખૂબ જ આનંદ થાય છે.

મંદિરની બધી બાજુ સરસ બગીચા બનાવ્યા છે. ફુવારા પણ છે. મંદિરની એક બાજુ ઉપાશ્રય અને બીજી બાજુ ધર્મશાળા છે. રાતના સુંદર રોશની થાય છે. રાતનો નઝારો જોવા જેવો છે. અમે મંદિરના સંકુલમાં ફરીને બહાર આવ્યા, અને ધર્મજ ચોકડી, પેટલાદ, ફાગણી, ભવાનીપુર સંદેસર થઈને આણંદ પાછા આવ્યા.

આણંદથી બોરસદના રસ્તે ૪ કી.મી. દૂર જીટોડિયા ગામ છે. એવું વાંચ્યું હતું કે જીટોડિયાના વૈજનાથ મંદિરમાં શિવલીંગ પરનાં કાણાંમાંથી સતત પાણી ઝરે છે. અમને થયું કે આ શિવલીંગનાં પણ દર્શન કરી આવીએ. જીટોડિયામાં અમારા એક સંબંધી રહે છે .અમે તેમને ત્યાં પહોંચ્યા અને તેમને લઈને વૈજનાથ મહાદેવ ગયા. આવું શિવલીંગ જોવાની તેમને પણ ઈંતેજારી હતી.

મંદિરમાં સાંજની આરતી ચાલુ હતી. અમે આરતીમાં જોડાઈ ગયા. અંદર શિવલીંગ પર નજર કરી. તાંબાના શિવલીંગ પરથી પાણી ઝરતું દેખાતું ન હતું. આરતી પૂરી થયા પછી, અમે પૂજારીજીને વિનમ્રતાથી આ બાબત અંગે પૂછ્યું. તેમણે કહ્યું કે, ‘અસલી શિવલીંગ, આ તાંબાના શિવલીંગની અંદર છે, અને એમાંથી પાણી ઝરે છે. આશરે આઠસો વર્ષ પહેલાં અહીં વિધર્મી લોકોએ ચડાઈ કરી અને શિવલીંગ તોડી નાખ્યું હતું. એ શિવલીંગ વધુ ખરાબ ના થાય એટલા માટે એના પર આ તાંબાનું શિવલીંગ ઢાંકી રાખીએ છીએ. રોજ બપોરે બાર વાગે એ શિવલીંગ સાફ કરવા માટે ખોલીએ છીએ. તમારે એ અસલી શિવલીંગ જોવું હોય તો બપોરે બાર વાગે આવજો. એમાંથી પાણી ઝરતું જોવા મળશે. એ પાણી ગંગા નદીના પાણી જેવું ચોખ્ખું છે. એ ક્યારેય ખરાબ થતું નથી. નિષ્ણાતોએ અહીં આવીને એ પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરીને આ વાતને અનુમોદન આપેલું છે.’

પૂજારીજીની વાત સાંભળીને અમને આનંદ થયો. અસલી શિવલીંગનો ફોટો અહીં મૂકેલો છે, તે જોઇને હાલ તો સંતોષ માન્યો. અહીં વિધર્મીઓના હુમલા દરમ્યાન, આ શિવલીંગનું રક્ષણ કરવા ૧૨૫ જવાનોએ પોતાનાં બલિદાન આપેલાં. આ ૧૨૫ વીરોની સમાધિરૂપે અહીં મંદિરની બાજુમાં ૧૨૫ નાનાંનાનાં મંદિર બનાવેલાં છે. આ હુમલા પછી સિદ્ધરાજ જયસિંહે આજથી ૮૧૪ વર્ષ પહેલાં, આ મંદિર ફરીથી બંધાવ્યું, એ જ મંદિર અત્યારે છે.

મંદિરનો ઈતિહાસ જાણવાનું ગમ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરની મુલાકાતે આવી ગયેલા છે. પૂજારીજીની દિકરી લજ્જા તિલકપુરી ગોસ્વામી, દિલ્હીમાં રાઈફલ શુટીંગ ક્લબની ચેમ્પીયન છે, એ ગૌરવની વાત છે. અસલી શિવલીંગ જોવું હોય તો, પૂજારીજીના સંપર્ક માટેનો ફોન નંબર ૯૮૨૪૪૬૭૩૦૫ છે.

જીટોડિયાના અમારા સંબંધીએ અમને પ્રેમપૂર્વક જમાડ્યા, અંતે અમે આણંદમાં અમારા મુકામે પહોંચ્યા.

તસ્વીરો (૧) રાજચંદ્ર આશ્રમ, અગાસ (૨) ખંભાતની બેઠક (૩) રાલેજમાં શિકોતર માતાનું મંદિર (૪) અને (૫) રાલેજનું ઘુશ્મેશ્વર મહાદેવ (૬) અને (૭) મણીલક્ષ્મી તીર્થ, માણેજ (૮) જીટોડિયાના વૈજનાથ મહાદેવ

1_IMG_9001

3_IMG_9015

4_IMG_9019

9_IMG_9028

15_IMG_9036

3_IMG_9055

Manilaxmi

2_IMG_9066