હીલ સ્ટેશન તોરણમલ
મહારાષ્ટ્રમાં આવેલું તોરણમલ હીલ સ્ટેશન ગુજરાતીઓ માટે કદાચ બહુ જાણીતું નથી. પણ જોવા અને માણવા જેવું તો છે જ. ચોમાસામાં તો અહીં ટેકરીઓ પરથી ખીણમાં પડતા ઘણા ધોધ જોવા મળે છે. અહીંના યશવંત સરોવરની આજુબાજુનું કુદરતી સૌન્દર્ય મનને મોહી લે એવું છે. ખીણના સામા છેડે આથમતા સૂર્યનો નજારો કોઈ ઓર જ છે. આવા હીલ સ્ટેશનની મજા માણવા અમે ભરૂચથી નવેમ્બર મહિનાની એક સવારે નીકળી પડ્યા. અમે બે ફેમીલી, કુલ ચાર જણ હતા. ભાડાની ગાડી કરી હતી. ભરૂચથી વાલિયા, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા, સેલંબા, અક્કલકૂવા, તલોદા, પ્રકાશા અને શાહદા થઈને તોરણમલ – એ રૂટ લીધો હતો. આ રસ્તે ભરૂચથી તોરણમલ ૨૫૦ કી.મી. દૂર છે. ડેડીયાપાડા અને સાગબારાની વચ્ચે દેવમોગરા જવાનો ફાંટો પડે છે. દેવમોગરામાં પાંડેરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અમે સાગબારામાં ચાનાસ્તા માટે રોકાયા. સવારનો પહેલો નાસ્તો કરવાની મજા પડી ગઈ. સાગબારા પછી મહારાષ્ટ્રની હદ શરુ થાય છે. પ્રકાશા ગામમાં તાપી નદીના કિનારે શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં શિવજીનાં દર્શન કર્યાં. અહીં મહાદેવજીના પોઠિયાની સાઈઝ ખૂબ મોટી છે. પ્રકાશાને દક્ષિણનું કાશી કહે છે. અહીં તાપી નદીમાં ડેમ બાંધેલો છે.
શાહદા શહેર ગુજરાતીઓ માટે જાણીતું છે. શાહદાથી તોરણમલ ૫૦ કી.મી. દૂર છે. શાહદાથી પચીસેક કી.મી. આવ્યા પછી, જંગલો અને ચડાણ શરુ થાય છે. અમારી ગાડી વાંકાચૂકા પર્વતીય માર્ગે ચાલી રહી હતી. જંગલોનું દ્રશ્ય આહલાદક હતું. ચોમાસું હોય તો આજુબાજુ ઢોળાવો પર વહેતાં ઝરણાં જોવા મળી જાય. પણ અત્યારે તો એવું કંઇ ન હતું. તોરણમલની નજીક પહોંચવા આવ્યા ત્યારે રોડ પર સાત પાયરી (Seven steps) નામની જગા આવી. બોર્ડ મારેલું હતું, પણ લખાણ મરાઠી ભાષામાં હતું. જો કે થોડીઘણી તો ખબર પડી જાય. અમે અહીં ઉભા રહ્યા. બાજુમાં ખીણનું દ્રશ્ય બહુ જ સરસ લાગતું હતું. આગળ જતાં રોડ પર નાગાર્જુન મંદિર અને મચ્છીન્દ્રનાથની ગુફા તરફ જવાનો ફાંટો આવ્યો. પણ આ સ્થળો આવતાં જોવાનાં રાખી, અમે સીધા તોરણમલ પહોંચ્યા.
તોરણમલ હીલની ઉંચાઇ ૧૧૪૩ મીટર છે. ગામમાં પેસતામાં જ યશવંત લેકનાં દર્શન થયાં. તળાવ છલોછલ ભરેલું હતું. ગામ સાવ નાનું જ છે. તળાવની ફરતે નાનું સરખું બજાર, રહેઠાણ માટેની સુવિધાઓ વગેરે છે. અમે બજારમાં થઈને આગળ વધ્યા. અમે રહેવા માટે અરુણોદય વિશ્રામગૃહમાં બુકીંગ કરાવ્યું હતું. એ મીશન બંગલોના નામથી પણ ઓળખાય છે. સરોવરને સામે કિનારે આવેલું છે. થોડું પૂછીને અમે એ શોધી કાઢ્યું, અને રૂમોમાં પહોંચ્યા. હાશ ! ઠેકાણે પડ્યા. બપોરના બે વાગ્યા હતા. ભૂખ લાગી હતી. એટલે થોડા ફ્રેશ થઇ, અમારી સાથે લાવેલી વાનગીઓ થેપલાં, હાંડવો, અથાણું વગેરે ખાઈ લીધું. ગુજરાતીઓ પાસે આવી જ વાનગીઓ હોય.
થોડો આરામ કરી, બહાર આવ્યા. અમારા મીશન બંગલાનો ઓટલો બહુ જ સરસ હતો. અહીં ખુરશીઓ નાખીને બેસી રહેવાની પણ મજા આવે. આગળ બગીચો અને ઝાડપાન, પછી પેલા સરોવરનું પાણી. દ્રશ્ય બહુ જ સુંદર હતું. અહીં બધે ફોટા પાડ્યા. બંગલાનાં પગથિયાં ઉતરી તળાવ આગળ ગયા.
પછી, અમારી ગાડીમાં તોરણમલના પોઈન્ટ્સ જોવા નીકળ્યા. મીશન બંગલામાં થોડું પૂછી લીધું હતું. સૌથી પહેલાં સનસેટ પોઈન્ટ આવ્યું. અહીં ઉંડી ખીણને કિનારે ઉભા રહી સૂર્યાસ્ત બહુ જ સરસ રીતે દેખી શકાય એવું છે. જો કે સૂર્યાસ્તને હજુ વાર હતી. અહીંથી ખીણ અને આજુબાજુની ટેકરીઓના ઢોળાવોનો બહુ મોટો વિસ્તાર નજરે પડતો હતો. અહીં બેસવા માટે મંડપ (પેવેલિયન) બનાવેલો છે. બાજુમાં બોટાનીકલ ગાર્ડન છે. અહીંથી ડાબી તરફ એકાદ કી.મી. દૂર આવેલા અંબાદરી પોઈન્ટ પર ગયા. વચમાં એક જગાએ ઘણા બધા તંબૂ જોયા. તંબૂઓ રંગીન અને આકર્ષક દેખાતા હતા. તોરણમલમાં બહુ જ બધા પ્રવાસીઓ આવે ત્યારે હોટેલો ઉપરાંત આ તંબૂઓમાં પણ રહે છે. અંબાદરીમાં પેલી જ ખીણનો એક છેડો દેખાતો હતો. અહીં પણ મંડપ છે. સામાન્ય રીતે બધા પોઈન્ટ પર મંડપ બાંધેલા છે. અંબાદરીથી પાછા આવી, સનસેટ પોઈન્ટથી જમણી તરફ ગયા. બેએક કી.મી. પછી ખડકી પોઈન્ટ આવ્યું. પેલી જ ખીણનો બીજો છેડો અહીં હતો. નીચે ખીણમાં કોઈ કોઈ માણસો પણ દેખાતા હતા. તેઓ કદાચ ખીણમાં રહેતા હશે અને ખેતી કરતા હશે.
અહીંથી પાછા વળી, અમે ગામમાં આવ્યા. બજારમાં મોટા ભાગની દુકાનો તો ખાણીપીણીની જ હતી. હોટેલોમાં વેજ અને નોનવેજ બંને મળતું હતું. અત્યારે પ્રવાસીઓની સીઝન ન હતી, એટલે માણસો કે વાહનો ખાસ દેખાતાં ન હતાં. બજારમાં થઈને અમે તળાવ કિનારે બોટીંગ પોઈન્ટ આગળ પહોંચ્યા. સાંજ પડવા આવી હતી. અહીંથી અમે સૂર્યાસ્ત જોયો. બોટીંગ બંધ થઇ ગયું હતું. થોડી ઠંડી પણ શરુ થઇ હતી. અહીં જ એક શાકાહારી રેસ્ટોરન્ટ હતું. સરસ, અમને લાગ્યું કે અહીં અમને જોઈએ એવું ખાવાનું મળી રહેશે. અને મળ્યું પણ ખરું. રેસ્ટોરન્ટની માલિક બહેને અમને ગરમાગરમ ખીચડી, કઢી અને પાપડ બનાવી આપ્યાં. જમવાની મજા આવી ગઈ. બાજુમાં જ બાળકોને રમવા માટે હીંચકા, લપસણી એવું બધું હતું.
અહીંથી નીકળી અમે અમારા મીશન બંગલે પહોંચ્યા. રૂમમાં આરામથી બેઠા. વાતોનાં વડાં કર્યાં. ઠંડી વધી ગઈ હતી, એટલે બબ્બે બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયા. હોટેલવાળાના બ્લેન્કેટ ઉપરાંત અમે બે મોટા બ્લેન્કેટ ઘેરથી લઈને આવ્યા હતા, તે અત્યારે કામ લાગ્યા.
સવાર પડી. આજે બાકીના પોઈન્ટ જોઇને પાછા ભરૂચ આવવા નીકળી જવાનું હતું. એટલે બધો સામાન પેક કરીને, હોટેલનો હિસાબ પતાવીને જ નીકળ્યા. સૌ પહેલાં તો અમે સીતાખાઈ તરફ ગયા. રસ્તામાં પહેલાં લોટસ પોન્ડ (કમળ તળાવ) આવ્યું. અહીં તળાવમાં કમળો જ કમળો ખીલેલાં હતાં. આખું તળાવ કમળોથી ભરેલું હતું. આવું દ્રશ્ય જોવાની કેવી મજા આવે !
અમે તળાવને કિનારે જઇ, કમળોને બસ જોયા જ કર્યાં. અહીંના ગામડાનાં નાનાં બાળકો તળાવમાં જઇ થોડાંક કમળો તોડી લાવ્યાં, તે અમે તેમને પૈસા આપીને લીધાં. પથ્થરો પર બેસી તળાવના ફોટા પાડ્યા. મનમાં ખૂબ આનંદ ભરીને આગળ ચાલ્યા. તળાવને કિનારે એક વિશાળ વડલો છે, તે પાછા વળતાં જોવાનું રાખ્યું. બે કી.મી. પછી અમે સીતાખાઈ પહોંચ્યા.
ખાઈ એટલે ખીણ. આ ખીણ ખરેખર જોવાલાયક છે. અહીં બે પોઈન્ટ બનાવ્યા છે, એક પોઈન્ટ સીતાખાઈ-૨ આ કિનારે, અને બીજો પોઈન્ટ સીતાખાઈ-૧ ખીણને સામે કિનારે. આ ખાઈમાં ચોમાસામાં બધી બાજુથી પાણી અંદર પડતું હશે, અને અનેક ધોધ સર્જતું હશે, એવું લાગતું હતું. આ કિનારે આજુબાજુ ફર્યા પછી, ગાડી લઈને સામેના પોઈન્ટ પર ગયા. અહીંનું દ્રશ્ય પણ જોરદાર હતું. એક નાનકડો ધોધ, ઉપરથી નીચે ખીણમાં પડતો દેખાતો હતો. એ જોતાં, ચોમાસામાં અહીંનો દેખાવ કેવો ભવ્ય હશે, એની કલ્પના જ કરવી રહી. જો બધી બાજુથી ખીણમાં ધોધ પડતા હોય તો, એ દ્રશ્ય અમેરીકાના નાયગરા ધોધ જેવું લાગે. ચોમાસામાં અહીં આવવા જેવું ખરું.
સીતાખાઈથી પાછા વળ્યા. લોટસ તળાવના પેલા વડ આગળ ઉભા રહ્યા. ગાડીમાંથી ઉતરીને વડની વડવાઈઓ વચ્ચે ફર્યા, ચાદર પાથરીને બેઠા, નાસ્તો કર્યો, ફોટા પડ્યા અને પાછા ગામ આગળ આવ્યા. અહીં ગોરક્ષાનાથ મંદિરમાં દર્શન કર્યાં. એક ટેકરી પર તોરણાદેવીનું મંદિર છે, ત્યાં જવાનું માંડી વાળ્યું અને તોરણમલ છોડ્યું. બધા પોઈન્ટ જોવાઈ ગયા હતા.
પાછા વળતાં મચ્છીન્દ્રનાથની ગુફાનો ફાંટો આવ્યો. એ ફાંટામાં ત્રણેક કી.મી. પછી અંદર આ ગુફા આવેલી છે. ગાડી પાર્ક કર્યા પછી, ખીણના કિનારે અડધો કી.મી. ચાલવાનું છે. છેલ્લે, થોડાં પગથિયાં ઉતરી ગુફા આગળ પહોંચાય છે. આ ગુફામાં સંત મચ્છીન્દ્રનાથે ધ્યાન ધર્યું હતું.
ગુફા જોઈ મૂળ રસ્તે આવ્યા. આગળ જતાં, રોડની બાજુમાં જ નાગાર્જુન મંદિર આવ્યું. મંદિરમાં દર્શન કરી આગળ ચાલ્યા. આ મંદિર આગળથી આવાસબારી જવાનો રસ્તો પડે છે. આવાસબારી આગળથી મધ્ય પ્રદેશની હદ શરુ થાય છે. અમે એ બાજુ ન ગયા, અને મૂળ રસ્તે આગળ ચાલ્યા. તોરણમલથી દસેક કી.મી. જેટલું આવ્યા પછી, કાલાપાની પોઈન્ટ આવ્યું. આ પોઈન્ટ અમારા ધ્યાનમાં ના આવ્યું, એટલે થોડા આગળ નીકળી ગયા, પૂછીને પાછા આવ્યા. આ પોઈન્ટ આગળ એક ધોધ છે. અત્યારે એમાં પાણી ઓછું હતું.
હવે જોવાનું કંઇ બાકી રહેતું ન હતું. કાલાપાનીથી અમે શાહદા તરફ આગળ વધ્યા. શાહદાથી મૂળ રસ્તે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. વચમાં, તલોદા ગામ આગળ એક ધાબા પર પંજાબી ખાણું ખાધું. સાંજ સુધીમાં તો ભરૂચ પહોંચી ગયા. પ્રવાસનો આનંદ તો કોઈ ઓર જ હોય છે.