મોતીશાહી મહેલ 

                                           મોતીશાહી મહેલ 

અમદાવાદમાં શાહીબાગમાં આવેલ મોતીશાહી મહેલ એક જોવા જેવી જગા છે. આ મહેલ મુગલ બાદશાહ શાહજહાંએ બંધાવ્યો હતો. એનું રીનોવેશન થયું છે. અત્યારે અહીં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક છે. એમાં સરદાર વલ્લભભાઈને લગતું મ્યુઝીયમ અને પ્રદર્શન છે. એમાં સરદારશ્રીએ કરેલાં કાર્યો, તેમનાં ચિત્રો વગેરે પ્રદર્શિત કરેલાં છે. રવીન્દ્રનાથ ટાગોર આ મહેલમાં રહ્યા હતા. તેમની યાદમાં, મહેલના પહેલા માળે એક રૂમમાં તેમનું સ્ટેચ્યુ, ચિત્રો વગેરે મૂકેલાં છે. એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવે છે. અંધારું પડ્યા પછી લાઈટ એન્ડ સાઉન્ડ શો થાય છે. સ્મારક જોવા માટે ૨૦ રૂપિયાની ટીકીટ છે. સમય ૯-૩૦ થી સાંજના પાંચ સુધીનો છે. સોમવારે બંધ હોય છે. મહેલની અંદર ફોટા પાડવા દેતા નથી. આગળ સરસ બગીચો લોન વગેરે છે. પાર્કીંગ માટે જગા છે. બાજુમાં કેન્ટીન છે, તેમાં નાસ્તો, જમવાનું વગેરે મળે છે.

1_IMG_3446

2_IMG_3450

4_IMG_3436

5_IMG_3438

8_IMG_3444

9_IMG_3442

રોડા મંદિરો

                                                 રોડા મંદિરો

હિમતનગરથી ૧૬ કી.મી. દૂર રોડા ગામમાં, ખેતરોની વચ્ચે, ૮૦૦ વર્ષ પુરાણાં પાંચ મંદિરો આવેલાં છે. રોડા જવા માટે પ્રથમ તો, હિમતનગરથી ખેડ તરફના રસ્તે ૧૫ કી.મી. જવાનું. અહીં રોડ પર એક નાનું બોર્ડ મારેલું છે, એમાં આ પ્રમાણે લખેલું છે.

“ગૃપ ટેમ્પલ [રાષ્ટ્રીય સ્મારક]

શિવમંદિર-૨

શિવમંદિર અને કુંડ

નવગ્રહ મંદિર”

આ બોર્ડથી જમણી તરફના નાના રસ્તે વળવાનું. થોડુક જ ગયા પછી, ડાબી બાજુ ખેતરમાં કાચો રસ્તો પડે છે, એ રસ્તે લગભગ પોણો કી.મી. જાવ એટલે બે મંદિરો આવે છે. અહીં ‘શિવમંદિર’ એવું બોર્ડ છે. બેમાં એક શિવમંદિર અને બીજું પક્ષીમંદિર છે. આ મંદિરો પત્થરનાં બનેલાં છે. પક્ષીમંદિરમાં અંદરની ભીંત પર પક્ષીનું ચિત્ર કોતરેલું છે.

આ બે મંદિરો જોઇને પા કી.મી. જેટલું આગળ જાવ અને ગાડી પાર્ક કરો. અહીં બીજાં બે શિવમંદિરો છે. એમાંથી એકમાં, શિવલીંગની નિયમિત પૂજા થતી હોય એવું લાગે છે. બંને મંદિરો જોડે જોડે આવેલાં છે, તેમની વચ્ચેની થોડી જગામાં ખુલ્લામાં એક મંદિર જેવું કંઇક છે.

આ બે મંદિરની સામે મોટો કુંડ છે. તેમાં ચાર ખૂણે ચાર નાનાં મંદિરો છે. પગથિયાં ઉતરીને આ મંદિરોમાં જવાય છે. એમાંનું એક સપ્તમાતૃકા મંદિર છે. એમાં રોજ નિયમિત પૂજા થતી હોય એવું દેખાય છે. અમે અહીં ગયા ત્યારે પૂજારીજી હાજર હતા, અને કોઈક યજમાનને પૂજા કરાવતા હતા. કુંડમાં પગથિયાં બહુ સાચવીને ઉતરવાં. એના પત્થરો હાલકડોલક છે. રીપેરીંગ ચાલે છે. અહીંથી નજીકમાં નવગ્રહ મંદિર છે.

રોડાનાં આ મંદિરો પુરાતત્વ ખાતા દ્વારા આરક્ષિત છે. જૂના જમાનામાં અહીં ગામ વસેલું હશે, અને આ મંદિરો આગળ ખૂબ જ લોકો આવતા હશે, એવું ધારી શકાય. આજે તો બહુ જ ઓછા લોકો આ મંદિરો જોવા આવે છે.

1b_IMG_4095

2a_IMG_4071

3a_IMG_4064

3b_Shiv mandir

6a_IMG_4087

10a_IMG_4074

11a_IMG_4077

13_Nav grah mandir

   એડમંડ હિલેરી સાથે મુલાકાત

                                         એડમંડ હિલેરી સાથે મુલાકાત

મહાન પર્વતારોહક સર એડમંડ હિલેરીને કોણ નહિ ઓળખતું હોય? તેઓ ન્યુઝીલેન્ડના વતની હતા. તેમણે અને ભારતના તેનસીંગ નોરકેએ દુનિયાના સૌથી ઉંચા પર્વતશિખર એવરેસ્ટ પર ૨૯મી મે, ૧૯૫૩ના રોજ સૌ પ્રથમ સફળ આરોહણ કર્યું હતું. ત્યાર પછી તો ઘણા સાહસિકો એવરેસ્ટ પર ચડી આવ્યા છે. પણ સૌ પ્રથમ ચડનાર તરીકેનું બિરુદ તો આ બેલડીને જ મળ્યું છે. એવરેસ્ટ શિખર નેપાળ અને તિબેટની સરહદ પર આવેલું છે. તેની ઉંચાઈ ૮૮૪૮ મીટર એટલે કે ૨૯૦૩૫ ફૂટ છે. તેના પર કાયમ બરફ છવાયેલો રહે છે. ત્યાં તોફાની પવન સતત ફૂંકાતા હોય છે, હિમવર્ષા થતી રહે છે, અને ગાત્રો થીજાવી દે એવી ઠંડી હોય છે. આવા કાતિલ વાતાવરણમાં પર્વતના સીધા ઢાળ પર ખીલા ઠોકીને, દોરડાના સહારે ચડવું એ સખત કપરું કામ છે. મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારા હિલેરી અને નોરકે જેવા કોઈક વિરલાઓ જ આવું સાહસ કરી શકે.

એડમંડ હિલેરીએ એવરેસ્ટ સર કર્યા પછી, એ વિસ્તારમાં, પર્વત પર ચડવાની તાલિમ માટેની સ્કુલ ખોલી હતી. ઘણા નવલોહિયાઓને એવી તાલિમ આપીને તેમણે તૈયાર કર્યા હતા. આ ઉપરાંત, ઘણાં સેવાકીય કામ તેમણે કર્યાં હતાં. તેઓ ૨૦૦૮ની સાલમાં મૃત્યુ પામ્યા.

તેમના જીવનકાળ દરમ્યાન, ઘણી સંસ્થાઓએ તેમને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. ભારતમાં પણ તેઓ ઘણું ફર્યા હતા. એક વાર ૧૯૮૮ની સાલમાં તેઓ ચેન્નઈ (મદ્રાસ) આવ્યા હતા, ત્યારે ચેન્નઈની IIT એન્જીનીયરીંગ કોલેજે તેમને આમંત્રિત કર્યા હતા. હું તે વખતે ત્યાં Ph.D.નો અભ્યાસ કરતો હતો, એટલે મને સર હિલેરીને જોવાનો અને તેમને સાંભળવાનો મોકો મળ્યો હતો. ત્યારની વાત વિગતે કરું.

તેમના આગમન સમયે અમે બધા એક હોલમાં ગોઠવાઈ ગયા હતા. હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. હિલેરી સમયસર આવી પહોંચ્યા, બધાએ ઉભા થઇ તેમનું સ્વાગત કર્યું. થોડી ઔપચારિક વાતો પછી, સર હિલેરીએ પોતાનું વક્તવ્ય શરુ કર્યું. તેઓએ, એવરેસ્ટ સર કરવા કેવી તૈયારીઓ કરી, પહેરવાનાં કપડાં તથા સાથે રાખવાનાં સાધનો, ખોરાક, પડાવ માટેની વસ્તુઓ – એ બધાની વિગતે વાત કરી.  વાર્તાની જેમ આખી ઘટના વર્ણવી. સાથે સાથે, તેમણે એવરેસ્ટ પર ચડતી વખતે પાડેલા ફોટોગ્રાફ્સ પડદા પર બતાવ્યા. સર હિલેરી કેવી કપરી પરિસ્થિતિમાંથી પાર ઉતરીને સફળ થયા છે, અને રેકોર્ડ સ્થાપ્યો છે, તે જાણવા મળ્યું. આવી બધી દુર્લભ અસલી બાબતો જાણવા બીજે ક્યાં મળે? અમને આ બધું જાણવાની અને જોવાની મજા આવી ગઈ. તેમનું પ્રવચન સાંભળીને આવી બર્ફીલી જગાઓએ જવાની કલ્પના મનમાં આવી ગઈ. પણ હું તો આવી જગાએ ક્યાં જવાનો હતો?

પ્રવચન પછી પ્રશ્નો પૂછવાની છૂટ હતી. મેં એક પ્રશ્ન પૂછ્યો, ‘સર, તમારા બંનેમાંથી એવરેસ્ટની ટોચ પર સૌ પ્રથમ પગ કોણે મૂક્યો હતો?’

તેમનો જવાબ બહુ જ જોરદાર હતો, ‘અમે બંનેએ એકસાથે પ્રથમ પગ મૂક્યો હતો !’ તેઓએ બંને દેશોને સરખું ગૌરવ અપાવ્યું.

પ્રશ્નોત્તરી પૂરી થયા પછી, અમે બધા સ્ટેજની નજીક ગયા. આવા પહાડી પુરુષને નજીકથી જોયા. મેં તેમની સાથે હાથ મિલાવ્યા, ત્યારે મારા મનમાં અદભૂત રોમાંચ પેદા થયો. જે હાથ એવરેસ્ટ પર જઇ આવ્યો છે, તે હાથની સાથે જાણે કે મારો હાથ (અને સાથે સાથે હું પણ) એવરેસ્ટ ચડી આવ્યો હોય, એવી લાગણી મેં અનુભવી. આ ઘટના મારા મનમાં હજુ યે એવી ને એવી તાજી છે. એ જમાનામાં આજની જેમ મોબાઈલ કેમેરા ન હતા, નહીં તો મેં સર હિલેરી સાથે ફોટા પડાવી એ સ્મૃતિને કાયમ સાચવી રાખી હોત. જો કે મેં કાગળ પર તેમના ઓટોગ્રાફ લીધા હતા, અને તે સાચવી રાખ્યા છે. આ સાથે તેનો ફોટોગ્રાફ મૂક્યો છે.

1_Edmund Hillary,

2_Edmund Hillary_old

3_Hillary and Norke

Autograph

 

નડાબેટ બોર્ડરની મુલાકાતે

                                               નડાબેટ બોર્ડરની મુલાકાતે

બનાસકાંઠા જીલ્લાના નડાબેટ ગામથી ૨૫ કી.મી. દૂર ભારત-પાકિસ્તાનની સરહદ (બોર્ડર) પસાર થાય છે. સરહદ પર તારની મજબૂત વાડ કરેલી છે. સરહદની આ જગાને ઝીરો પોઈન્ટ કહે છે. અહીં સરહદની વાડનો ૯૬૦મો થાંભલો છે. આ સરહદનું રક્ષણ BSF (Border Security Force) કરે છે. ૨૦૧૬ની ૨૪મી ડિસેમ્બરથી પબ્લીકને આ જગા જોવા માટે છૂટ આપેલી છે. આ પ્રોજેક્ટ ‘સીમા દર્શન’ના નામે ઓળખાય છે. ફક્ત શનિ અને રવિવારે જ આ બોર્ડર જોવા જવા દે છે. સરહદ સુધી જઈને તારની વાડને અડકી શકાય છે. સરહદને અડકવાનો રોમાંચ કેવો અદભૂત હોય ! વાડમાંથી સામેની પાકિસ્તાનની જમીન પણ દેખાય છે.

નડાબેટની આ બોર્ડર વિષે બહુ ઓછા લોકોને ખબર છે. અમને આ બોર્ડર વિષે ખબર પડી ત્યારથી જ ત્યાં જવા માટે મન તડપી રહ્યું હતું. છેવટે અમે ૨૪ ડિસેમ્બર ૨૦૧૭ ને રવિવારે ત્યાં જવાનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો. આગલે દિવસે BSFની ઓફિસને એક ફોન પણ કરી લીધો. અમે ત્રણ જણ હતા. ઘરની ગાડીમાં જ જવાનું નક્કી કર્યું હતું.

અમે અમદાવાદથી સવારે નવ વાગે નીકળ્યા. અમદાવાદથી મહેસાણા, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, સુઈગામ અને છેલ્લે નડાબેટ, એ રૂટ લીધો હતો. આ રસ્તે નડાબેટ ૨૩૫ કી.મી. દૂર છે. પાલનપુર થઈને પણ જવાય છે, પણ એ રસ્તો લાંબો પડે. રાધનપુર પસાર થયા પછી, અમે એક ઝાડ આગળ, હનુમાનજીના મંદિરના ઓટલે બેસી, થેપલાં વગેરે ખાઈ લીધું. ઘેરથી લઈને જ આવ્યા હતા. સુઈગામ પછી જેમ નડાબેટ નજીક આવતું ગયું, તેમ બંને બાજુ રણ જેવો વિસ્તાર દેખાવા લાગ્યો. રસ્તો લગભગ નિર્જન હતો. અમે બપોરે અઢી વાગે નડાબેટ પહોંચ્યા. બોર્ડર અહીંથી હજુ ૨૫ કી.મી. દૂર છે.

બોર્ડર જોવાની મંજૂરી નડાબેટમાંથી લેવાની હોય છે. એટલે પહેલાં અમે અહીં BSFની ઓફિસે ગયા. આધાર કાર્ડ બતાવ્યું, એટલે એમના ચોપડામાં નોંધ કરી, અમને સહીંસિક્કાવાળી ચિઠ્ઠી આપી. એ લઈને બોર્ડર તરફ જવાનું હતું.

અહીં ઓફિસની જોડે બે મંડપ બાંધેલા છે. એક પર ‘હથિયાર પ્રદર્શની’ અને બીજા પર ‘સીમા દર્શન’ લખેલું છે. અમે આ બંને મંડપ જોવા ગયા. હથિયાર પ્રદર્શનીમાં યુદ્ધમાં વપરાતાં હથિયારો જેવાં કે રાયફલ, મશીનગન, મોર્ટાર વગેરે મૂકેલાં છે. હથિયારો જોડે ઉભેલા BSFના જવાનો આ હથિયારો પબ્લીકને બતાવે છે, હાથમાં પકડવા પણ આપે છે અને ફોટા પણ પાડવા દે છે. અમને આ હથિયારો હાથમાં પકડવામાં ખૂબ જ રોમાંચ થયો, જાણે કે યુદ્ધભૂમિ પર ઉભા હોઈએ એવી કલ્પના થઇ ગઈ. અમારી જેમ બીજા ઘણા લોકો આ બધું જોવા આવ્યા હતા. પછી બાજુના મંડપમાં ગયા. અહીં, સીમા પર થતા યુદ્ધનાં દ્રશ્યોનો વિડીયો પડદા પર બતાવે છે. તે થોડી વાર જોયો. સામેના મેદાનમાં સાંજે પાંચ વાગે પરેડનો શો યોજાય છે. બોર્ડર પરથી પાછા આવીને અમે તે જોવાના હતા.

BSFના આ સંકુલની નજીક નડેશ્વરી માતાનું મંદિર છે, તે જોવા ગયા. મંદિર બહુ જ સરસ છે. BSFનો સ્ટાફ આ મંદિરનો વહીવટ કરે છે. અમે મંદિરમાં માતાજીનાં દર્શન કરી પ્રસન્નતા અનુભવી. મંદિર તરફથી જમવાની અને બાજુની રૂમોમાં રાત રહેવાની પણ વ્યવસ્થા છે.

હવે અમે બોર્ડર તરફ જવા નીકળ્યા. ૨૫ કી.મી. જવાનું હતું. છેક સુધી પાકો રસ્તો છે. થોડું ગયા પછી, BSFનું ચેકપોસ્ટ આવ્યું. ત્યાં પેલી ચિઠ્ઠી અમે બતાવી. અમારી નોંધણી કરી, સહીં લીધી. પછી આગળ ચાલ્યા. રસ્તાની બંને બાજુ રણવિસ્તાર છે, અને એમાં ક્યાંય સુધી વરસાદી પાણી ભરાયેલું છે. જાણે કે મોટું સરોવર જ જોઈ લ્યો ! આ પાણીમાં ઘણાં દેશીવિદેશી પક્ષીઓ ઉતરી આવેલાં અમે જોયાં. સફેદ રંગનાં બગલા જેવાં, કેસરી ડોકવાળાં હજારો પક્ષીઓ જોઇને અમને બહુ જ આનંદ થયો. પક્ષી અભ્યારણ્યમાં ય કદાચ આટલાં પક્ષી જોવા ના મળે. એક જગાએ તો અમે ગાડીમાંથી ઉતરી, સરોવરને કિનારે જઈને ઉભા રહ્યા. મજા આવી ગઈ.

રસ્તો પ્રમાણમાં સાંકડો છે. સામેથી બજી ગાડી આવે તો તકલીફ જ પડે. સાઈડમાં ઉતરાય એવું નથી. સાઈડમાં ગાડી નમી પડે તો સરોવરના પાણીમાં જ પડે. આથી રોડ પર થોડા થોડા અંતરે સાઈડમાં ગાડી ઉભી રહી શકે એવી જગા બનાવી છે. સામેથી વાહન આવતું દેખાય તો પેલી જગામાં ઉભા રહી જવાનું.

આમ કરીને અમે સરહદ પર પહોંચ્યા. અહીં, ‘Welcome to India-Pakistan Border’નું બોર્ડ મારેલું છે. ‘સૂચિત સીમા દર્શન પોઈન્ટ’નું બોર્ડ પણ છે. પછી ગાડી પાર્ક કરી, તારની વાડ આગળ પહોંચો ત્યાં ‘150 meter, Pakistan, BP 960/Mainનું મોટું બોર્ડ છે. એટલે કે તારની આ વાડથી પાકિસ્તાન ૧૫૦ મીટર દૂર છે, અને અહીં વાડનો ૯૬૦મો થાંભલો છે. બીજાં બોર્ડ પણ છે. અમે તારની વાડને અડક્યા, અને આનંદની એક ઝણઝણાટી અનુભવી કે અમે છેક ભારતની સરહદ સુધી આવ્યા છીએ ! વાડમાંથી પાકિસ્તાનની ધરતી પણ દેખાતી હતી. મનમાં થયું કે જો ભારતના ભાગલા ના પડ્યા હોત તો સામેની ધરતી પણ ભારતની જ હોત. તારની આ વાડ ભારતની આખી સરહદે એટલે કે કચ્છથી શરુ કરી છેક કાશ્મીર સુધી છે. વાડની સમાંતરે જોડે પાકો રોડ પણ છે. એટલે BSFનાં વાહનો વાડની ધારે ધારે બધે ફરી શકે છે. અહીં BSFના જવાનો ફરજ પર હાજર હતા. અમે તેમની સાથે ઘણી વાતો કરી, ફોટા પણ પડાવ્યા. આ જવાનો માટે અહીં કામચલાઉ રહેઠાણો પણ ઉભાં કર્યાં છે.

વાડની નજીક મેદાનમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકે છે. એક સાઈડે પીવાનું પાણી અને ટોઇલેટની વ્યવસ્થા છે. BSFની ગાથા વર્ણવતાં બોર્ડ છે. શનિ-રવિ સિવાયના દિવસોએ અને રાત્રે તો અહીં કોઈ હોય નહિ. આવી એકલીઅટૂલી એકાંત જગાએ BSFના જવાનો ખડેપગે ફરજ બજાવે છે, એ જોઇને આપણને એમના માટે ગૌરવ અનુભવાય છે. આપણામાં દેશદાઝ પ્રગટે છે.

અહીંથી અમે ચાર વાગે પાછા વળ્યા, અને ચેકપોસ્ટ પર પેલી ચિઠ્ઠી આપીને નડાબેટ પહોંચ્યા. ચેકપોસ્ટ પર ચિઠ્ઠી પરત કરવાનો સમય પાંચ વાગ્યા સુધીનો છે. એથી મોડું નહિ.

નડાબેટ પાછા પહોંચી અમે પેલા પરેડ મેદાનમાં ગયા. અહીં મેદાનમાં બંને બાજુ ખુરશીઓ ગોઠવેલી છે, એમાં અમે ગોઠવાઈ ગયા. પાંચ વાગતા સુધીમાં તો નડાબેટ આવેલા બધા પ્રવાસીઓ અહીં આવી ગયા હતા. લગભગ પંદરસો જેટલા લોકો હતા. અહીં પરેડ જોવાનો પ્રોગ્રામ હતો. માઈકમાં દેશભક્તિનાં ગીતો વાગતાં હતાં….સંદેશે આતે હૈ, હમે તડપાતે હૈ…….આપણને પણ એ સાંભળીને શૂર ચડી જાય એવો માહોલ હતો.

પાંચ વાગે આપણા ગુજરાતી ગરબા શરુ થયા. એમાં ય ઘણા લોકો જોડાઈ ગયા. જાણે કે નવરાત્રિ !  પછી પરેડનો પ્રોગ્રામ શરુ થયો. ઉંટસવાર સૈનિકો, પરેડ, બ્યુગલ વાદન, સાથે સાથે કોમેન્ટ્રી પણ ખરી. સાંજ પડી હતી. એટલે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હતો. ખૂબ જ માનપૂર્વક, સલામી સાથે ધ્વજ ઉતારવામાં આવ્યો. લોકોએ ‘જય હિન્દ’ના નારા લગાવ્યા. એ સાથે પ્રોગ્રામ પૂરો થયો. ખૂબ જ આનંદ આવ્યો. આવો જ પ્રોગ્રામ અમૃતસરમાં વાઘા બોર્ડર પર થતો હોય છે. એમાં તો સામે પાકિસ્તાની સૈનિકો પણ હાજર હોય છે.

પ્રોગ્રામ પત્યા પછી લોકો વિખરાવા લાગ્યા. અમારા સહિત ઘણા લોકો સ્ટેજ પર પહોંચ્યા. ત્યાં જવાનો જોડે ફોટા પડાવ્યા. બહુ જ મજા આવી. દેશદાઝની એક લાગણી ઉભરી આવી. છેવટે બરાબર પોણા છ વાગે અમે અમદાવાદ આવવા નીકળ્યા. રસ્તામાં એક હોટેલ પર પંજાબી ખાણું જમ્યા. સાડા અગિયાર વાગે ઘેર પહોંચી ગયા. ભારત-પાકિસ્તાન સરહદ પર ફર્યાનો આજનો દિવસ અમને કાયમ યાદ રહી જશે. બોલો, જય હિન્દ.

4a.jpg

4c.jpg

1c

5a_

5j_

6a_

11c

13a

13d

15b

16c

17b