મહેલોલની મેસરી નદીની વાત

                              મહેલોલની મેસરી નદીની વાત

મારું ગામ મહેલોલ પંચમહાલ જીલ્લામાં મેસરી નદીને કાંઠે વસેલું છે. આ નદી સાથે નાનપણથી જ અમારો નાતો રહેલો છે. એ જમાનામાં મેસરી નદી કેવી રૂપાળી હતી, અને આજે તે કેવી બદલાઈ ગઈ છે, એની અહીં વાત કરું.

લગભગ ૧૯૫૭ના અરસાની વાત. ત્યારે અમે પ્રાયમરી સ્કુલમાં ભણતા હતા. તે વખતે મેસરી નદીમાં બારે માસ પાણી વહેતું રહેતું. અમે અવારનવાર નદીએ નહાવા જતા, અગિયારસો અને જન્માષ્ટમી જેવા તહેવારોએ તો ખાસ. નદીના ચોખ્ખા, સ્વચ્છ પાણીમાં નહાવાની ખૂબ મજા આવતી. ગામની લગભગ બધી જ સ્ત્રીઓ કપડાં ધોવા નદીએ આવતી. કપડાં ધોતી જાય અને વાતો કરતી જાય. તેઓને અરસપરસ મળવા અને સમાચારોની આપલે માટે આ સરસ જગા હતી. નદીના પાણીમાં ક્ષારો ખૂબ ઓછા હતા, એટલે આ પાણીથી દાળ સહેલાઇથી ચડી જતી. આથી ઘણા લોકો નદીનું પાણી ઘડો ભરીને ઘેર લઇ જતા.

ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તો પૂર જોવા ગામલોકો નદી કિનારે ઉમટી પડતા. નદીમાં એક બહુ મોટો પત્થર હતો, તે ‘કુવારીકાનો પત્થર’ કહેવાતો. આ પત્થર અંગે એક લોકકથા અમે સાંભળી હતી. એ કથા પ્રમાણે, એક વાર ચોમાસામાં નદીમાં પૂર આવ્યું, ત્યારે નદીમાંથી બધી જ સ્ત્રીઓ અને અન્ય લોકો ફટાફટ નદીની બહાર નીકળી ગયા. અઢારેક વર્ષની એક છોકરી બહાર ના નીકળી શકી. તે પેલા મોટા પત્થર પર ચડી ગઈ. પત્થરની થોડી ટોચ પાણીની બહાર દેખાતી હતી, તેના પર તે બેસી રહી. ભૂખી તરસી અને ડરામણી રાતે પણ તે બેસી રહી. ચારે બાજુ જોસમાં વહેતું પૂરનું પાણી જોઇને તેને કેટલો ડર લાગ્યો હશે ! બે દિવસે પાણી ઉતર્યું, ત્યારે તે પત્થર પરથી ઉતરી, નદીની બહાર આવી. તે છોકરી કુંવારી હતી, એના પરથી એ પત્થરનું નામ ‘કુવારીકાનો પત્થર’ પડી ગયું. આ કુવારીકાના પત્થરની નજીક, નદીકિનારે ‘વોટર વર્કસ’ ઉભું કરેલું છે. એના વડે નદીમાંથી પાણી ખેંચી, ઉંચી ટાંકીમાં ચડાવી ગામનાં ખેતરોને ખેતી માટે પાણી પૂરું પડાય છે.

મહેલોલથી આશરે ૨ કી.મી. દૂર, મેસરી નદીના સામા કિનારે ભાટપુરા નામનું ગામ છે. ત્યાં મંદિર અને ફૂલછોડના બગીચા છે. જન્માષ્ટમીના દિવસે ત્યાં મેળો ભરાતો. અમને આ મેળાનું આકર્ષણ ખૂબ હતું. અમે ચાલીને, વહેતી નદીને ઓળંગીને એ મેળામાં અચૂક જતા. મેસરીને કિનારે બીજું એક નીલકંઠ મહાદેવ છે, ત્યાં જવાનું પણ ખૂબ ગમતું. સ્કુલમાંથી અમને ત્યાં પ્રવાસે લઇ જતા.

મહેલોલથી ગોધરા શહેર નજીક જ છે. ગોધરા પણ મેસરી નદીને કાંઠે જ છે. ત્યારે ગોધરાથી વેજલપુર થઈને મહેલોલ આવતી એસટી બસ, નદીમાં બનાવેલા કાચા રસ્તા પર થઈને આવતી. ચોમાસામાં આ રસ્તો તૂટી જાય, એટલે બસ નદીને સામે કાંઠે જ ઉભી રહેતી. બસમાં બેસવા માટે અમારે ચાલીને નદી ઓળંગીને બસ સુધી જવું પડતું. થોડાં વર્ષો પછી, નદી પર પૂલ બન્યો, અને બસ ચોમાસામાં પણ ગામમાં આવતી થઇ. આ પૂલ કુવારીકાનો પત્થર તોડી, તે જગાએ બનાવાયો છે.

હવે અમે કોલેજમાં આવી ગયા હતા. અમે બધા કોલેજમાં ભણવા અમદાવાદ અને બીજાં સ્થળોએ ગયા, પણ વેકેશનમાં તો ઘેર જ આવી જતા. વેકેશનના દિવસોમાં સાંજના ટાઈમે, બધા મિત્રો ભેગા મળી નદી બાજુ ફરવા નીકળી પડતા. નદીની રેતીમાં બેસવાનું, વાતો કરવાની, ક્યારેક નાસ્તાપાણી, પછી અંધારું પડતામાં તો ઘેર પહોંચી જવાનું. પણ હવે નદીમાં પાણી ઓછું થવા માંડ્યું હતું. નદી ચોમાસામાં તો વહેતી રહેતી, પણ બાકીના મહિનાઓમાં સુકાઈ જતી. નદીની આ સ્થિતિ જોઇને મનમાં દુઃખ થતું.

પછી તો અમે બધા નોકરીધંધે વળગ્યા અને શહેરમાં જ સ્થાઈ થવા લાગ્યા. મહેલોલ જવાનું ઓછું થવા માંડ્યું. જયારે જઈએ ત્યારે નદીના પૂલ પરથી પસાર થવાનું થાય, અને કોરીકટ નદી જોઇને મનમાં વિષાદ થાય. નદીમાં કપડાં ધોવાનું, નદીએથી પાણી લાવવાનું અને નદીમાં નહાવાનું બંધ થઇ ગયું છે. જૂનો પૂલ ખરાબ થઇ જતાં, બાજુમાં નવો પૂલ બન્યો છે. હમણાં જયારે મહેલોલ ગયો ત્યારે નદી જોઈ. નદીમાં ઘાસ અને છોડ ઉગી નીકળ્યા છે. પાણી તો નથી, પણ રેતી યે દેખાતી નથી. નદી, નદી જેવી જ રહી નથી. નદીમાં કોઈ માણસ તો દેખાતું જ નથી. આ છે હાલની મેસરી નદીની સ્થિતિ.

અહીં મેસરી નદીના અને જૂના-નવા પૂલના ફોટા મૂકું છું. જો કે આ ફોટા ત્રણેક વર્ષ પહેલાંના છે. ત્યારે નદીમાં ચેક ડેમ બાંધીને પાણી સંગ્રહવામાં આવ્યું હતું.

નોંધ: મારી જાણ પ્રમાણે, મેસરી નદી ગોધરાની નજીક કાલિયા કુવા પાસેથી નીકળે છે, અને મહેલોલથી આગળ જઈને, ટીંબા અને સાવલી વચ્ચે અજબપુરા ગામ આગળ મહી નદીને મળે છે.

1

2

3

IMG_8350

શ્રી મોહન દાંડીકર સાથે મુલાકાત

                                  શ્રી મોહન દાંડીકર સાથે મુલાકાત

પહેલાં તો શ્રી મોહન દાંડીકર વિષે થોડી વાત કરું. તેઓ ગુજરાતના એક જાણીતા લેખક છે. મહાત્મા ગાંધીજીના જીવન વિષે તેમણે બહુ ઉંડાણથી અભ્યાસ કર્યો છે. તેઓએ કેટલાંએ હિન્દી પુસ્તકોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. તેમણે કુલ ૭૩ જેટલાં પુસ્તકો લખ્યાં છે. આજે ૮૫ વર્ષની ઉંમરે પણ તેમનું લેખનકાર્ય ચાલુ છે. ગાંધીજીના જીવનનો તેમના પર ઉંડો પ્રભાવ છે.

એક ખાસ બાબત એ છે કે તેઓ મૂળ દાંડી ગામના વતની છે. દાંડીને કોણ નહિ જાણતુ હોય? આ ગામ દેશવિદેશમાં પ્રખ્યાત છે. મહાત્મા ગાંધીજીએ ઈ.સ. ૧૯૩૦માં દાંડીયાત્રા યોજી હતી, અને દાંડીમાં દરિયા કિનારે ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાને તોડ્યો હતો. મોહન દાંડીકરે પોતાની અટક ‘દાંડીકર’ પણ દાંડીના નામ પરથી રાખી છે. તેઓ આજીવન શિક્ષક રહ્યા છે. તેઓ સાવરકુંડલા, જામનગર, વેડછી વગેરે સ્થળોએ નોકરી કર્યા બાદ, નિવૃત જીવન, પત્ની સાથે વતન દાંડીમાં પસાર કરી રહ્યા છે. ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. નવસારીથી આશરે ૧૨ કી.મી. દૂર, જંગલ વચ્ચે વસેલું દાંડી સાવ નાનું ગામ છે. ગામના એક ફળિયામાં તેમનું મકાન છે. મુખ્ય રસ્તા પરથી એક સાંકડી કેડી જેવા રસ્તેથી, તેમને ઘેર જવાય છે. કેડીની બંને બાજુ ઝાડપાન છે. તેમના ફળિયામાં બીજાં આઠદસ મકાન છે, એમાં ખેતી અને મજૂરી કરતા લોકો વસે છે. કોઈને પણ કલ્પના ના આવે કે આવી ગલીમાં આવા મશહુર લેખક વસતા હોય. તેમના આ ઘરમાં મોરારિબાપુ, યાસીન દલાલ, રતિલાલ બોરીસાગર અને ગુણવંત શાહ જેવા મહાનુભાવો તેમને મળવા માટે આવી ગયા છે.

મારી બહેનનો પુત્ર એટલે કે મારો ભાણો તેજસ શ્રી મોહન દાંડીકરની પુત્રી સંગીતા સાથે પરણ્યો છે, એ હિસાબે, મને તેજસ પાસેથી શ્રી મોહન દાંડીકર વિષે ઘણું જાણવા મળ્યું હતું. મને શ્રી દાંડીકરને મળવાની તથા તેમના વ્યક્તિત્વને નજીકથી નિહાળવાની બહુ ઈચ્છા હતી. એટલે એક દિવસ હું અને મારી પત્ની મીના સૂરત તેજસને ઘેર પહોંચી ગયા. બીજે દિવસે દાંડી જવાનો પ્લાન હતો. શ્રી દાંડીકરને આ અંગે અગાઉથી જાણ પણ કરી દીધી. બીજા દિવસે અમે, તેજસ અને સંગીતા દાંડી જવા નીકળ્યા.

પહેલાં તો અમે, દાંડીમાં ગાંધીજીએ મીઠું ઉપાડ્યું હતું તે જગા, દરિયા કિનારો વગેરે જોઈ આવ્યા, અને પછી તેમના ઘેર પહોંચ્યા. સાંજનો સમય હતો, ખબર પડતાં જ શ્રી દાંડીકર અને તેમનાં પત્ની બહાર આવ્યાં અને હાથ જોડી અમારું સ્વાગત કર્યું. અમે બધા તેમને પગે લાગ્યા અને ઘરમાં પ્રવેશ્યા. એક મહાન લેખક અને મહાત્મા જેવા વ્યક્તિના ઘરમાં જવામાં અમે બહુ જ ગૌરવ અનુભવ્યું.

બસ, પછી તો અમારી પાસે સમય જ સમય હતો. રાત અહીં રહેવાનું હતું. એક બાજુ ચાપાણી નાસ્તો અને બીજી બાજુ વાતો ચાલી. તેમના વિષે મને ઘણું જાણવા મળ્યું. તે વિષે થોડી વાતો કરું. તેઓ કોઈ પુસ્તક લખે કે અનુવાદ કરે ત્યારે પ્રથમ તો કાચું લખાણ હાથે લખે છે. પછી તેમાં ભૂલો સુધારે છે. ત્યાર બાદ પાકું લખાણ ફરી લખે છે, અને પછી છાપવા માટે મોકલે છે. પ્રકાશક પાસે મહેનતાણું માંગતા નથી, પણ તે જે આપે તે સ્વીકારી લે છે. ગાંધીજી વિષે ઘણી નાની નાની બાબતો પણ તેમને યાદ છે. ગાંધીજીએ મીઠાનો કાયદો તોડવા દાંડી કેમ પસંદ કર્યું, તે તેમણે બહુ જ વિગતે અમને સમજાવ્યું. ગિરિરાજ કિશોર લિખિત પુસ્તક ‘પહેલો ગિરમીટિયો’નું તેમણે હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. ૯૦૦ પાનાંનું આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય છે. આ પુસ્તકમાં, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો સામે કરેલા સત્યાગ્રહની કથા વર્ણવી છે.

તેમણે ઘરમાં પોતાનાં તથા અન્ય પુસ્તકોની લાયબ્રેરી વસાવી છે. તેમાંથી ઘણાં પુસ્તકો તેમણે અમને બતાવ્યાં. દાંડીયાત્રાનો પરિચય કરાવતી એક પુસ્તિકા મને ભેટ આપી. હું તો એક સામાન્ય માણસ છું, છતાં તેમણે મારા અભ્યાસ, નોકરી અને કુટુંબ વિષે જાણવાની ઘણી તત્પરતા દેખાડી.

તેમના ઘરના વાડામાં તેમણે નાળિયેરી, ચીકુ અને આંબો ઉગાડ્યાં છે. તેઓ ચાર પુત્રીઓ અને એક પુત્રના પિતા છે. હાલ તેઓ ખાસ બહાર જતા નથી. તેઓ ખાદીનાં કપડાં પહેરે છે. તેઓ સાંજનું સાદું ભોજન કરી આઠસાડાઆઠ વાગે સુઈ જાય છે, અને સવારે ચાર વાગે ઉઠી, પ્રાતઃસ્મરણ કરી, પોતાનું લખવાનું કામ શરુ કરી દે છે. આપણે ઈચ્છીએ કે તેમની તંદુરસ્તી આવી ને આવી જ સારી રહે. અને તેઓ તેમનું મનગમતું કામ કર્યા કરે.

ત્રણેક કલાકની વાતો પછી અમે બધા જમ્યા. આજે અમે અહીં મહેમાન હતા, એટલે તેઓ થોડા મોડા સુઈ ગયા. સવારે ઉઠીને અમે તેમના વાડામાં વૃક્ષો જોયાં, આજુબાજુનો જંગલ વિસ્તાર જોયો, સૂર્યોદય જોયો, તેમના ઘર આગળ મોર અને ઢેલ ચણ ચણવા આવે છે, તે જોયું. આવું કુદરતી દ્રશ્ય શહેરમાં ક્યાં જોવા મળે? અમે તેમની સાથે ફોટા પડાવ્યા. સવારનો ચાનાસ્તો અને નહાવાધોવાનું પતાવી અમે જવા માટે તૈયાર થયા. આટલા ટૂંકા ગાળામાં તેઓ એટલા બધા હળીમળી ગયા કે તેઓ અમારા સ્વજન વડિલ હોય એવું અમને લાગ્યું. આટલા પ્રખ્યાત લેખકની નમ્રતા અમને પ્રભાવિત કરી ગઈ. છેવટે તેમના આશિર્વાદ લઇ, તેમને શુભેચ્છાઓ પાઠવી અમે તેમની વિદાય લીધી. તેમની સાથેની આ મુલાકાત અમને સતત પ્રેરણાદાયી બની રહેશે.

1_IMG_2491

3_IMG_2346

6_IMG_2348

9_IMG_2343

14_IMG_2352

16_IMG_2349

 

 

વર્ણીન્દ્ર ધામ, પાટડી

                                              વર્ણીન્દ્ર ધામ, પાટડી

સ્વામીનારાયણ સંપ્રદાયનાં ઘણાં મંદિરો આપણા ગુજરાતમાં છે. એમાં કોઈ કોઈ મંદિર તો ખૂબ જ ભવ્ય છે, જેમ કે પોઈચાનું મંદિર. આવું જ એક ભવ્ય સ્વામીનારાયણ મંદિર પાટડી ગામથી ૨ કી.મી. દૂર બન્યું છે. એનું નામ છે વર્ણીન્દ્ર ધામ. આ મંદિરનું ઉદઘાટન હમણાં જ ઓક્ટોબર ૨૦૧૭માં થયું છે, અને પબ્લીકને દર્શન કરવા તથા જોવા માટે ખુલ્લું મૂકાયું છે. આ મંદિર વર્ષના બધા દિવસોએ ખુલ્લું રહે છે. અમદાવાદથી વિરમગામ અને માલવણ થઈને પાટડી જવાય છે. અમદાવાદથી વર્ણીન્દ્ર ધામ સુધીનું અંતર ૧૦૫ કી.મી. જેટલું છે. અમદાવાદથી સવારે નીકળો તો મંદિર જોઈ સાંજે પાછા આવી જવાય.

અમે પાંચ ફેમીલી એક વાર આ મંદિર જોવા માટે અમદાવાદથી નીકળી પડ્યા. અમે નાનામોટા મળી કુલ ૧૪ જણ હતા. મંદિરની બાજુમાં પાર્કીંગની જગા છે, મંદિરના પ્રવેશદ્વારમાં દાખલ થતામાં જ તેની ભવ્યતાનો ખ્યાલ આવી જાય છે. સામસામે મૂકેલા મોટા હાથીઓનાં બાવલાં, એના પર પણ હાથીઓ અને એની ઉપર વચ્ચે બેઠક પર બિરાજેલા ભગવાન – આવું પ્રવેશદ્વાર કેટલું બધું આકર્ષક લાગે ! પ્રવેશ આગળ કુંડ, ફુવારા અને ભગવાનનાં કલરફૂલ બાવલાં તો ખરાં જ. આખા મંદિરમાં અગણિત બાવલાં છે.

પ્રવેશદ્વાર પછી અંદર વિશાળ ખુલ્લું ચોગાન છે. એમાં પણ એક પછી એક, જુદા જુદા પ્રસંગો દર્શાવતાં પૂતળાં છે. દા. ત. એક પ્રસંગ, કૃષ્ણ ભગવાન ગોપીઓનાં વસ્ત્રો લઈને ઝાડ પર ચડી ગયા હતા, તેનો છે. અમે આ બધાં જ પૂતળાં આગળ ઢગલાબંધ ફોટા પાડ્યા. આ મંદિરમાં બધી જ જગાએ ફોટા પડવાની છૂટ છે. અમારી જેમ ઘણા દર્શનાર્થીઓ અહીં આવેલા હતા, એટલે માહોલ તો જાણે કે મોટો મેળો ભરાયો હોય એવો લાગતો હતો. વચ્ચેના ચોગાનની ડાબી બાજુના ભાગમાં પીવાનું પાણી, ટોઇલેટ તથા ભોજનગૃહ છે.

ચોગાનમાં એક સોનેરી થાંભલા પર ગરુડનું પૂતળું છે. ચોગાન પૂરું થયા પછી મોટો ખુલ્લો ઓટલો છે. એના પછી, બે બાજુ, ઢાળવાળા વર્તુળાકાર રસ્તે ચડી મુખ્ય મંદિર આગળ પહોંચાય છે. મંદિર આખું કમળ પર બનાવ્યું હોય એવી એની રચના છે. મંદિરના થાંભલા, કમાનો અને છત પર સુંદર કોતરણી કરેલી છે. બધા જ ભાગો સોનેરી રંગથી સુશોભિત છે. દૂરથી આખું મંદિર જાણે કે સોનાનું બનેલું હોય એવું લાગે છે. આ બધું જોઈ, મુખ્ય મંદિરમાં અમે દર્શન કર્યાં. મંદિરમાં બિરાજમાન શ્રી નીલકંઠ વર્ણીન્દ્ર ભગવાનનાં દર્શન કરી ધન્ય થયાનો અનુભવ થાય છે. દર્શન આખો દિવસ ચાલુ જ હોય છે. મંદિરની એક બાજુ હનુમાનજી અને બીજી બાજુ લાલાને લાડનાં મંદિરો છે. આ મંદિરો પણ ભવ્ય છે. મંદિરની ફરતે વર્તુળાકારમાં ૧૦૮ મોટા સુવર્ણ કળશો બનાવેલાં છે, એમાં દરેકમાં ભગવાન બિરાજે છે. આ સુવર્ણ કળશોની નીચે વર્તુળાકાર ગેલેરીમાં ૧૦૮ ગૌમુખ બનાવ્યાં છે, એ દરેક ગૌમુખમાંથી પાણી પડે છે.

પ્રવેશથી શરુ કરીને આખું મંદિર જોતાં અમને લગભગ બે કલાક લાગ્યા. બપોરનો એક વાગ્યો હતો. એટલે વિચાર્યું કે ભોજનગૃહમાં જમી લઈએ. ભોજનગૃહ આગળ ‘સ્વરુચિકર નીલકંઠ ભોજન પ્રસાદમ’નું મોટું બોર્ડ મારેલું છે. સેલ્ફ સર્વિસ છે. ટોકન કાઉન્ટર પરથી ટોકન લઈને બારી પરથી જે તે વાનગી જાતે લેવાની હોય છે. બપોરના જમવામાં ગુજરાતી થાળી મળે છે, એમાં રોટલી, શક, કઠોળ અને દાળભાત મળે છે. ભાવ ખૂબ જ રીઝનેબલ (ગુજરાતી થાળીના ૬૦ રૂપિયા) છે. આ ઉપરાંત, ભાજીપાઉં, દાબેલી, નમકીન, વેફર, બિસ્કીટ, કોલ્ડડ્રીંક, આઈસક્રીમ વગેરે પણ મળે છે. બપોરે ચાર વાગ્યા પછી ખીચડી અને કઢી મળે છે. જમવા બેસવા માટે મોટા મંડપ નીચે ટેબલો અને પાટલીઓ મૂકેલી છે, પણ તે પૂરતા પ્રમાણમાં નથી. ઉભા ઉભા ખાવું પડે છે, તે અઘરું છે. નીચે ધૂળ જ છે, આથી નીચે બેસીને પણ ખાવાનું ફાવે એવું નથી. આશા રાખીએ કે ભવિષ્યમાં આમાં સુધારો થાય. ચોગાનની બાજુમાં ખરીદી માટેની દુકાનો છે.

વર્ણીન્દ્ર ધામનું બીજું આકર્ષણ અહીંનું પ્રદર્શન છે. પ્રદર્શન મંદિરની નીચે ભોંયરામાં અને સાઈડમાં છે. એમાં કલાનિદર્શન, માછલીઘર, સાહસ શિક્ષા, રામ, શ્યામ, ઘનશ્યામ ચરિત્ર, મીરર હાઉસ, ટીવી કલા, વૈજ્ઞાનિક કરામતો, ધુમ્ર શો, લેસર શો, સાયંસ સીટી, ટ્રેન વિહારમાં હોરર ટનલ, વન ચરિત્ર વગેરે બાબતો જોવા મળે છે. પ્રદર્શનમાં હીંચકા, લપસણી, ફુવારા, લક્ષ્મણઝુલા તથા નૌકાવિહાર પણ છે. આખું પ્રદર્શન જોતાં સહેજે ત્રણેક કલાક લાગે છે. આખું પ્રદર્શન જોવાની ટીકીટ ૧૯૦ રૂપિયા અને ટ્રેન વિહાર સિવાયના ભાગો જોવાની ટીકીટ ૧૫૦ રૂપિયા છે. પ્રદર્શનનો સમય ૧ થી ૭-૩૦ અને રવિવારે ૧૨ થી ૭-૩૦ છે. પ્રદર્શન એટલું વિશાળ છે કે ચાલી ચાલીને થાકી જવાય. અમારામાંના થોડા જણ પ્રદર્શન જોવા ના ગયા, તેમણે મંદિરના ઓટલે આરામ ફરમાવ્યો.

સાંજના પાંચ વાગ્યા હતા. આ સમયે ઢોલ-નગારા અને શરણાઈઓની સુરાવલિ સાથે થાળ લાવીને પ્રભુને અર્પણ કરાય છે, તે અમે જોયું. અહીં સાડા પાંચથી સાડા છ શોભા યાત્રા નીકળે છે. ભગવાનને સોનેરી બગીમાં બેસાડી, તેમને ચોગાનમાં ફેરવવામાં આવે છે. બગીની આગળ બે ઘોડા ચાલે છે, પણ બગીને ઘોડા નથી ખેંચતા. બગીને બે જાડાં લાંબાં દોરડાં બાંધેલાં છે, અને ભાવિક ભક્તો આ દોરડાંથી બગીને ખેંચે છે. બગીની આગળ લોકો રસ્તો સાફ કરે છે, ઢોલમંજીરા સહિત ભક્તિગીત વાગે છે. આખો માહોલ બહુ જ સરસ લાગે છે. આ જોઇને આપણું મન ભક્તિમય બની જાય છે. મનને ખૂબ આનંદ થાય છે. શોભાયાત્રા પૂરી થયા પછી, ચોગાનમાં જ ભગવાનની આરતી થાય છે. આ સાથે આખા દિવસનો કાર્યક્રમ પૂરો થાય છે.

અમે આરતી પૂરી થયા પછી, ભોજનગૃહમાં ખીચડીકઢી ખાધાં. અંધારું પડી ગયું હતું. મંદિર પર રાતની રોશની થઇ હતી. આ રોશનીમાં મંદિર ચાંદનીમાં નહાતું હોય એવું લાગે છે. રોશની જોઈ અમે પાર્કીંગમાંથી અમારી ગાડીમાં અમદાવાદ આવવા નીકળ્યા. પાર્કીંગની જગા ઉંચીનીચી અને ધૂળવાળી છે. એને સમતલ બનાવીને પાકું પાર્કીંગ કરવાની જરૂર છે.

વર્ણીન્દ્ર ધામ પૂરેપૂરું જોવામાણવા માટે એક દિવસ પૂરતો છે. હાલ અહીં રાત રહેવાની વ્યવસ્થા નથી. મંદિરને લગતી માહિતી જાણવા માટે ૮૦૦૦૬૩૫૦૦૦ નંબર પર ફોન કરી શકાય છે. માલવણથી પાટડી ૧૫ કી.મી. દૂર છે. એમાં વચ્ચે થોડો રસ્તો ખરાબ છે. પાટડીથી વર્ણીન્દ્ર ધામનો ૨ કી.મી.નો રસ્તો પણ ખરાબ છે. જો કે ગાડી તથા અન્ય વાહનો જઇ શકે છે. આ મંદિર, રાજકોટ ગુરુકુળની શાખા છે, સુરત ગુરુકુળ તેનું સંચાલન કરે છે.

3_IMG_3194

3c1_IMG_3379

12_IMG_3211

17b_IMG_20171203_120649052

17c_IMG_3248

21_IMG_3216

26_IMG_3222

27_IMG_3224

33c_IMG_20171203_153009573

33_IMG_3237

34b_IMG_3376

38_IMG_20171203_145427295

 

ભગવાન કેવા હશે?

                                         ભગવાન કેવા હશે?

સામાન્ય રીતે દરેક માણસ ભગવાનમાં માનતો હોય છે, અને પોતે માનેલા ભગવાનમાં શ્રધ્ધા ધરાવતો હોય છે, ચાહે તે વ્યક્તિ હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય કે અન્ય કોઈ ધર્મી હોય. હિન્દુ ધર્મમાં ભગવાન કેટલાં બધાં સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ! કોઈ કૃષ્ણના પૂજારી હોય તો વળી કોઈ રામના, તો  વળી કોઈ શિવ, વિષ્ણુ, શીનાથજી, બુધ્ધ, મહાવીર સ્વામી, અંબે મા, હનુમાનજી, ગણેશજી, કાલકા માતા, દુર્ગામા, બહુચરમા, આશાપુરામા કે અયપ્પામાં આસ્થા ધરાવતા હોય. મુસલમાનો અલ્લાહમાં અને ખ્રિસ્તીઓ ઇસુમાં માનતા હોય. આમ, ભાગ્યે જ કોઈ નાસ્તિક હોય છે.

ભગવાનને કોઈએ નજરે જોયા નથી. ભગવાન કેવા છે, કયા સ્વરૂપે છે, ક્યાં રહે છે, દુનિયા કઈ રીતે ચલાવે છે, એની કોઈને કશી જ ખબર નથી. છતાં પણ ભગવાનના અસ્તિત્વને બધા સ્વીકારે છે. તેનું કારણ કદાચ એવું હોઈ શકે કે માણસને જયારે દુઃખ આવી પડે છે, મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો જડતો નથી, એવે વખતે ભગવાનરૂપી સહારો તેને સાંત્વન આપે છે. ભગવાનનું નામ લેવાથી શાંતિ મળે છે. કદાચ એની મુશ્કેલીઓ દૂર પણ થઇ જાય છે.

ભગવાનના અસ્તિત્વને વિજ્ઞાન ભલે સાબિત નથી કરી શક્યું, છતાં ભગવાન કે એવી કોઈ અદ્રશ્ય શક્તિનું અસ્તિત્વ તો જરૂર છે જ. આ અંગે હું નીચે મૂજબના તર્ક રજૂ કરું છું.

માણસ કે કોઈ પણ પ્રાણી ખોરાક ખાય છે, પછી એનું પાચન થાય છે, લોહી બને છે, અને તેનાથી તાકાત આવે છે. શરીરની વૃધ્ધિ થાય છે, મગજ વિચાર કરી શકે છે, પ્રાણીનો જન્મ અને મૃત્યુ થાય છે. આ બધી ઘટનાઓ ભગવાનની યોજના સિવાય બીજું કોઈ કરી શકે ખરું?

બ્રહ્માંડમાં સૂર્ય જેવાં અસંખ્ય તારાઓ છે, સૂર્યમાળામાં પૃથ્વી ઉપરાંત મંગળ, ગુરુ વગેરે અન્ય ગ્રહો છે. આ બધાનું સર્જન કોણે અને શા માટે કર્યું? પૃથ્વી પર વનસ્પતિ, ઝાડપાન, પાણી, હવા, જાતજાતનાં પ્રાણીઓ અને આ બધામાં શ્રેષ્ઠ એવા મનુષ્યનું સર્જન શા માટે થયું? મનુષ્ય બધાં પ્રાણીઓમાં સૌથી ચડિયાતો છે. માણસ કપડાં પહેરતાં, ઘર બાંધતાં, ખેતી કરતાં અને રાંધીને ખાતાં શીખ્યો. અવનવી શોધખોળો કરીને આજની આધુનિક જિંદગી સુધીની પ્રગતિ કરી. બીજું કોઈ જ પ્રાણી કંઈ જ કરી શક્યું નથી. માણસની આ પ્રગતિ થવા દેવા પાછળનું કારણ શું? કારણ કે ભગવાનની એવી ઈચ્છા.

મારા મત મૂજબ, ભગવાને શ્રેષ્ઠ પ્રાણી (એટલે કે માણસ)ની રચના કરવાનું વિચાર્યું હશે. આ માટે પહેલાં તો બ્રહ્માંડ ઉભું કર્યું. બીજા તારાઓ વગેરેની એવી ગોઠવણ કરી કે જેથી તેમના ગુરુત્વાકર્ષણથી સૂર્ય પોતાનું સ્થાન ટકાવી રાખે છે. સૂર્યને લીધે પૃથ્વી પોતાના સ્થાને રહે છે. પૃથ્વી ધરી પર તથા, ૨૩.૫ અંશ નમેલી ધરી સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે, એને લીધે અનુક્રમે રાતદિવસ અને ઋતુઓ થાય છે. પૃથ્વી પર ત્રણ ભાગે પાણી (દરિયા વગેરે) અને એક ભાગે જમીન રાખી છે કે જેથી દરિયાના પાણીનું બાષ્પીભવન થઇ, વાદળો બની, પૂરતા પ્રમાણમાં વરસાદ વરસી શકે. આ બધું માનવજીવન ટકી શકે એ હેતુથી જ કરાયેલું છે. વનસ્પતિ અને બીજાં પ્રાણીઓ પણ માનવના અસ્તિત્વ માટે જરૂરી છે. માણસને બુધ્ધિ આપીને પૃથ્વી પરની પેદાશોનો ઉપયોગ કરતાં શીખવાડ્યું છે. આમ, તમે જોશો કે માણસના અસ્તિત્વ અને પ્રગતિ માટે જ આ વિશ્વની રચના કરવામાં આવી છે. આ કામ કોણ કરી શકે? ભગવાન જેવી કોઈ તાકાત જ આ કામ કરી શકે. આ રીતે વિચારતાં લાગે છે કે ભગવાનનું અસ્તિત્વ છે.

માણસ કે પ્રાણી જીવતા કેવી રીતે રહી શકે? જીવ શું છે? ભગવાન જ કદાચ પોતાનો એક અંશ, શરીરમાં મૂકે, એનાથી શરીર જીવતું રહી શકે. એ અંશ નીકળી જાય એટલે મૃત્યુ થાય. આમ, જીવ જેવી બાબતની માન્યતા સમજી શકાય છે.

બીજા ગ્રહો કે વિશ્વમાં બીજે ક્યાંય માનવી જેવા જીવો હશે ખરા? ના, ભગવાનને માણસનું અસ્તિત્વ ઉભું કરવું હતું, તો તે માટેના બધા જ સંજોગો ઉભા કરી, પૃથ્વી પર માણસનું સર્જન કરી દીધું. પછી બીજે આવા સંજોગો ઉભા કરવાનો કે ત્યાં પ્રાણીઓના સર્જન કરવાનો સવાલ જ પેદા થતો નથી.

ભગવાને બધું હંમેશાં સારા માટે જ કર્યું છે. ભગવાને માણસને બુધ્ધિ પણ સારાં કામ કરવા માટે જ આપી છે. એટલે તો કહીએ છીએ કે ‘ભગવાન જે કરે તે સારા માટે.’ ભગવાને માણસને બુધ્ધિ આપીને સારાં કામ કરવા માટે દુનિયામાં છોડી દીધો છે. પછી માણસ બુધ્ધિનો ઉપયોગ કરીને ખોટાં કામ કરે તો એમાં ભગવાન શું કરે? પછી તો માણસે એ ખોટાં કામ કર્યાની સજા ભોગવવી પડે. એટલે તો કહે છે કે ‘કરો તેવું પામો.’ આમ, કર્મનાં બંધન ઉભાં થાય. જે કરો તેનું પરિણામ તો ભોગવવું જ પડે. સારા કર્મનું સારું અને ખરાબ કર્મનું ખરાબ. આ રીતે કર્મનો સિધ્ધાંત ઉભો થયો. કર્મનું ફળ આ જન્મમાં ના ભોગવાઈ રહે તો આવતા જન્મે ભોગવવું પડે, આમ પુનર્જન્મની માન્યતા સાચી લાગે છે. કર્મનું પરિણામ અને પુનર્જન્મ બધું ઓટોમેટીક ગોઠવાયેલું જ હોય એવું માની શકાય. ભગવાન એક એવી તાકાત છે કે જેણે આ બધું થયા જ કરે એવું ગોઠવી રાખેલું છે.

ભગવાનનું અસ્તિત્વ આ રીતે સાબિત થયા પછી આપણને પ્રશ્ન થાય કે ભગવાન કેવા હશે અને ક્યાં રહેતા હશે? મને લાગે છે કે ભગવાન બધે જ છે. જીવનના અંશ તરીકે દરેકના દિલમાં વસે છે. તેમનું ખાસ કોઈ સ્વરૂપ નથી. બધી જ ઘટનાઓ તેમણે કરેલા નિયમો મૂજબ બનતી રહે છે. પૃથ્વી પર જયારે દુષ્ટ લોકોનો પ્રભાવ ખૂબ વધી જાય ત્યારે ભગવાન બધું સમુસુતરું કરવા, કોઈક વાર માનવ કે અન્ય સ્વરૂપે અવતાર લઇ લે. ભગવાનના અવતારોની વાત પણ આ રીતે સાચી લાગે છે.

ભગવાને ગીતામાં જે બોધ આપ્યો છે, તેની સાથે ઉપર જણાવેલ દરેક સિધ્ધાંતો બંધબેસતા આવે છે. આ બધાનો સારાંશ એટલો જ કે હંમેશાં સારું કામ કરતા રહો, બીજાઓને મદદરૂપ થતા રહો, ભગવાને જે બુધ્ધિ આપી છે, તેનો સદુપયોગ કરો.

ઘણા જ્ઞાની પુરૂષોએ ભગવાનનું અસ્તિત્વ શોધવા પ્રયત્ન કર્યો છે. બુધ્ધ, મહાવીર સ્વામી, વલ્લભાચાર્ય જેવા મહા પુરૂષોએ સારાં કર્મ કરી, ભગવાનની ખૂબ જ આરાધના કરી છે. તેઓએ કદાચ ભગવાનને જોયા પણ હશે. પણ તેઓ તેમની સાધનાની વિગતો સામાન્ય માણસોને નહિ સમજાવી શક્યા હોય, સામાન્ય માણસોને કદાચ એ બધું સમજમાં પણ ના આવે. આથી, સામાન્ય માણસને ભગવાનના અસ્તિત્વની સાબિતી ના મળે. એટલે આપણે ભગવાનના અસ્તિત્વને સ્વીકારી લેવું અને શ્રદ્ધા રાખવી એ જ યોગ્ય રસ્તો છે.

આ બધી બાબતો અંગે તમે શું માનો છો?

ગોલ ગુંબજ, બીજાપુર

                                                ગોલ ગુંબજ, બીજાપુર

ગોલ ગુંબજ, કર્ણાટક રાજ્યના બીજાપુર શહેરમાં આવેલો છે. તે આદિલ સામ્રાજ્યના સમ્રાટ મોહમદ આદિલ શાહનો મકબરો છે. આ મકબરો તેની ખૂબ મોટી સાઈઝ અને અંદર અવાજ પરાવર્તનની ખૂબીને લીધે ખાસ જાણીતો છે. દુનિયાભરના પ્રવાસીઓ ગોલ ગુંબજ જોવા આવે છે, અને તેની ખૂબી જોઇને આશ્ચર્યચકિત થઇ જાય છે. આદિલ શાહે જ તેનું બાંધકામ શરુ કરાવેલું અને ૧૬૫૬માં તે પૂરું થયું હતું. ઇન્ડો-ઇસ્લામીક સ્થાપત્ય ધરાવતો આ ઘુમ્મટ તે વખતના પ્રખ્યાત  આર્કિટેક્ટ યાકુત ઓફ દાબુલે બનાવ્યો હતો. અહીં રાજા મોહમદ આદિલ શાહ, તેની પત્નીઓ, દિકરીઓ અને પૌત્રની કબરો છે.

ગોલ ગુંબજ મોટા ક્યુબ આકારનો છે, અને તેની ઉપર અર્ધગોળાકાર ઘુમ્મટ છે. ક્યુબની દરેક સાઈડ ૪૭.૫ મીટર લાંબી છે. બહારની દરેક સાઈડની દિવાલ પર ત્રણ કમાનો છે. વચ્ચેની કમાન વધારે પહોળી છે. ઉત્તર તરફની દિવાલ સિવાય, દરેક દિવાલની વચ્ચેની કમાનમાં બારણું છે. ઉપરના અર્ધગોળાકાર ઘુમ્મટનો બહારનો વ્યાસ ૪૪ મીટર અને અંદરનો વ્યાસ ૩૮ મીટર છે. ઘુમ્મટ શરુ થાય ત્યાં આગળ એની જાડાઈ ૩ મીટર છે. મકાનની અંદરના હોલમાં એક પણ થાંભલો નથી. થાંભલા વગર આટલો મોટો ઘુમ્મટ આ રીતે બાંધવો એ જ તો આ બાંધકામની ખૂબી છે. ભારતનો આ સૌથી મોટો ઘુમ્મટ છે. દુનિયામાં તે બીજા નંબરે  છે. દુનિયાનો એક નંબરનો મોટો ઘુમ્મટ વેટીકન સીટીનો સેન્ટ પીટર બેસીલીકાનો ઘુમ્મટ છે.

ગોલ ગુંબજના અંદરના હોલનો વિસ્તાર ૧૭૦૩ ચો. મી. છે. એક જ હોલનો આટલો મોટો વિસ્તાર, એ પણ એક બેજોડ રચના છે. અંદર હોલમાં વચ્ચે ચોરસ પ્લેટફોર્મ છે, તેના પર ચડવા માટે ચારે બાજુ પગથિયાં છે. પ્લેટફોર્મ પર કબર ચણેલી છે. હોલમાં જમીનથી ૩૩ મીટરની ઉંચાઇએ, ઘુમ્મટની અંદરની સાઈડે ગેલેરી છે. તે સવા ત્રણ મીટર પહોળી છે. એને વ્હીસ્પરીંગ ગેલેરી કહે છે. ઘુમ્મટની  ખરી ખૂબી આ ગેલેરીમાં અનુભવવા મળે છે. ગેલેરીમાં ઉભા રહી, નાનો સરખો અવાજ કરો તો પણ તે ગેલેરીમાં બધે સંભળાય છે. તાલી પાડો તો પડઘા રૂપે બીજી દસ તાળીઓ સંભળાય છે. આનું કારણ એ છે કે ઘુમ્મટની સપાટી પરથી અવાજનું વારંવાર પરાવર્તન થાય છે. લોકો ગેલેરીમાં ઉભા રહી અવાજની આ ખૂબી જોઇને ખુશ થઇ જાય છે. દુનિયાનું આ અજોડ સ્થાપત્ય છે.

ગોલ ગુંબજની બહારના ચારે ખૂણે, ૭ માળવાળા અષ્ટકોણીય ટાવર છે. દરેક ટાવરમાં અંદર સીડી છે. ટાવરના ઉપલા માળમાંથી, સીડીમાંથી ઘુમ્મટ ફરતેની ગેલેરીમાં અવાય છે. અહીંથી આખું બીજાપુર શહેર દેખાય છે. બધા ટાવર પર પણ નાના ઘુમ્મટો છે.

ગોલ ગુંબજની આગળ એક મ્યુઝીયમ છે. આ ઉપરાંત, અહીં મસ્જીદ, નગારખાના અને ધર્મશાળા પણ છે. ગોલ ગુંબજ જોવાનો સમય સવારના ૧૦ થી સાંજના ૫ સુધીનો છે. શુક્રવારે રજા હોય છે. બીજાપુરમાં આ ઉપરાંત, ઈબ્રાહીમ રોજા, મેહતાર મહલ, જુમ્મા મસ્જીદ અને બારા કમાન જોવા જેવી છે. બીજાપુર, કોલ્હાપુરથી પૂર્વમાં ૧૭૮ કી.મી., સોલાપુરથી દક્ષિણમાં ૯૭ કી.મી., પંઢરપુરથી દક્ષિણમાં ૧૧૦ કી.મી.અને  હોસ્પેટ(હમ્પી)થી ઉત્તરમાં ૨૦૫ કી.મી. દૂર છે. ક્યારેક કોલ્હાપુર, પંઢરપુર, સોલાપુર કે હમ્પી જાવ ત્યારે બીજાપુર પણ પહોંચી જજો.

તસ્વીરો ગુગલ પરથી લીધી છે. (૧) ગોલ ગુંબજ (૨) વ્હીસ્પરીંગ ગેલેરી (૩) ઘુમ્મટ (૪) દીવાલો પરનું આર્ટવર્ક (૫) વ્હીસ્પરીંગ ગેલેરીમાં જવા માટેની સીડી.

1_Gol Gumbaj

2_Whispering Gallery

3_Dome, Gol Gumbaz

4_Art on the Walls

5_staircase to go in whispering gallery