હસે તેનું ઘર વસે

                                        હસે તેનું ઘર વસે

ફોટો પડાવતી વખતે, ફોટો પાડનાર આપણને કહે છે, ‘Smile please’, એક-બે સેકંડ માટે આપણે ચહેરા પર હાસ્ય રેલાવીએ છીએ, અને ફોટો સરસ આવે છે. એ ફોટો જીંદગીનું એક સંભારણું બની જાય છે. અવારનવાર એ ફોટો જોઇને આપણે ખુશ થઈએ છીએ. ફક્ત એક-બે સેકંડનું હાસ્ય, જીંદગીમાં વારંવાર ખુશી લાવતું હોય તો, જો આપણે કાયમ માટે હસતા રહીએ, ખુશ રહીએ તો જીંદગી કેટલી સુહાની બની જાય !

વિચાર કરજો આ બાબત પર. કોઈ પણ પ્રસંગે કે વાતચીતમાં જયારે આપણે હસતા રહીએ છીએ (Smiling) ત્યારે તે ક્ષણો પૂરતો તો મનમાં આનંદ છવાઈ જાય છે, શરીર હળવુંફૂલ બની જાય છે, મન પરનો ભાર (Stress) હળવો થઇ જાય છે. ઘરના સભ્યોની કે મિત્રોની મંડળી જામી હોય અને એમાં હાસ્ય સાથે વાતો થતી હોય એમાં કેટલી બધી મજા આવતી હોય છે, એ તો બધાએ અનુભવ્યું જ છે. કોઈ કલાકાર જોક્સ કહેતા હોય (દા. ત. શાહબુદ્દીન રાઠોડ), કોઈ કોમેડી નાટક જોતા હોઈએ (દા. ત. સિધ્ધાર્થ રાંદેરિયા) કે કોઈ કોમેડી ફિલ્મ ચાલતી હોય (દા. ત. ધમાલ, હંગામા) એમાં બધાને બહુ જ મજા આવે છે.

હાસ્યનો આરોગ્ય સાથે પણ ખૂબ સંબંધ છે. હાસ્યસભર જીવનમાં મન બહુ પ્રફુલ્લિત રહે છે. શરીરનું બીપી ક્યારે ય વધતું નથી. ખોરાક આસાનીથી પચી જાય છે, આથી બીજા રોગો થતા નથી. ઘણા લોકો હસવા માટે લાફીંગ ક્લબનો સહારો લે છે.

હસીખુશીથી વાત કરનાર વ્યક્તિ સહુને ગમે છે. આવી વ્યક્તિ બધાને પ્રિય થઇ પડે છે. તેની વાતો સાંભળવાનું બધાને મન થાય છે. તમારા બોસને તમે ‘ગુડ મોર્નીંગ’ કહો, અને તે સ્માઈલ સાથે તમને વળતું ‘ગુડ મોર્નીંગ’ કહે, તો તમને કેટલું બધું ગમે ! એને બદલે એ મોઢું બગાડીને જવાબ આપે તો તમારો દિવસ કેટલો ખરાબ જાય !

કોઈક ઓફિસમાં કંઇક કામે ગયા હોઈએ, અને આપણે પ્રેમથી થોડા સ્માઈલ સાથે રજૂઆત કરીએ, તો આપણું કામ જલ્દી પતશે. આપણે ડોક્ટર પાસે ગયા હોઈએ અને ડોક્ટર હસીખુશીથી વાતો કરે તો આપણું અડધું દર્દ તો એમનેમ જ ગાયબ થઇ જાય છે.

કોઈ હસીખુશીથી વાત કરે તો તેમાં આપણને તેની સાથે પોતાપણાનો અનુભવ થાય છે. એ માણસ આપણો હોય એવું લાગે છે. એનાથી આપણા મનમાં હકારાત્મક (પોઝીટીવ) સ્પંદનો ઉત્પન્ન થાય છે, સારા વિચારો આવે છે, અને એ વ્યક્તિ જલ્દી આપણો મિત્ર બની જાય છે. હાસ્ય એ એક જડીબુટ્ટી છે.

દરેક છાપાં અને મેગેઝીનોમાં હાસ્ય કોલમો આવત્તી હોય છે. ઘણા લોકો તો પહેલાં આ કોલમો જ વાંચી લેતા હોય છે. આપણી ભાષામાં પણ આપણે ‘હાસ્યનું મોજું ફરી વળ્યું’, ‘હાસ્યની છોળો ઉછળી’, ‘પેટ પકડીને હસી પડ્યા’, ‘ખડખડાટ હસી પડ્યા’, ‘મુક્ત હાસ્ય’ જેવા રુઢિપ્રયોગો વાપરીએ છીએ. હસીએ ત્યારે દાંત દેખાતા હોય છે, ઘણા લોકોના દાંત એટલા સરસ હોય છે કે એ વ્યક્તિ હસે એ આપણને બહુ ગમે છે. એક દાંતના ડોકટરે પોતાના કલીનીકનું નામ ‘સ્મિત ડેન્ટલ કલીનીક’ રાખ્યું છે, એ કેટલું બધું યોગ્ય છે ! ચાર્લી ચેપ્લીને કહેલું, ‘દિવસમાં એક પણ વાર જે વ્યક્તિ હસ્યો નથી, તેનો તે દિવસ નકામો ગયો સમજવો’.

આ બધું જોતાં લાગે છે કે જીવનમાં હાસ્ય ખૂબ જ અગત્યનું છે. ભગવાને હસવાની ખૂબી ફક્ત માણસને જ આપી છે. બીજા કોઈ પણ પ્રાણીને હસતાં આવડતું નથી. તમે પણ આજથી જ હાસ્યમય જીવવાનું શરુ કરી દો, અને પછી જુઓ ચમત્કાર ! એટલે જ કહ્યું છે કે ‘હસતો નર સદા સુખી’ અને ‘હસે તેનું ઘર વસે’.

બે પ્રશ્નો અહીં લખું છું, એના જવાબ તમારા માટે શોધજો, અને યોગ્ય લાગે તો કોમેન્ટમાં તેના જવાબ લખજો. બધાને તે વાંચવાની મજા આવશે.

(૧) તમારા માટે એવી કઈ ત્રણ બાબતો કે ઘટનાઓ છે કે જે તમારા ચહેરા પર તરત જ હાસ્ય લાવી દેતી હોય.

(૨) તમારે આજે એવી કઈ બાબત કે ઘટના બની કે જેથી તમે હસી પડ્યા હો.

અમેરીકામાં કેવી સગવડો નથી?

                                અમેરીકામાં કેવી સગવડો નથી?

આપણે ત્યાં શર્ટ, પેન્ટ, ડ્રેસ કે બીજું કંઈ સીવડાવવું હોય અથવા કપડાને રીપેર કરાવવું હોય તો દરજી હાજરાહજૂર છે. ગામડામાં કે શહેરમાં બધી જગાએ નાનામોટા દરજીની દુકાનો હોય જ. અમેરીકામાં દરજીની દુકાન ક્યાંય હોય જ નહિ. ફક્ત તૈયાર કપડાં જ ખરીદવાનાં.  એવું જ જૂતાંનું છે. બૂટ, ચપ્પલ,સ્લીપર વગેરે દુકાનમાંથી તૈયાર જ ખરીદવાનાં. રીપેરીંગનું તો વિચારવાનું જ નહિ. મોચી ક્યાંય હોય જ નહિ. તમારે ઘરમાં સુથારીકામ કરાવવું હોય તો એવા સુથાર અહીં ના મળે. હા, અહીં સુથાર, કડિયા, પ્લમ્બર એવા કારીગરો છે ખરા, પણ તે બહુ જ મોંઘા હોય. પોષાય જ નહિ. એ રીતે એસી, ફ્રીજ વગેરેના રીપેર કરનારા હોય ખરા, પણ ખૂબ ખૂબ મોંઘા. ઘણી વાર તો વસ્તુ રીપેર કરાવવાને બદલે ફેંકી દઈને નવી લાવવાનું સસ્તું પડે. મજૂરી કરનારા મજૂરોની મજૂરી પણ ખૂબ મોંઘી.

અહીં વાસણ ઘસવા, કચરાપોતું કરવા અને કપડાં ધોવા માટે કામવાળીઓ મળે જ નહિ. કામવાળી રાખવાની પ્રથા જ નથી. વાસણો ડીશવોશરમાં ધોઈ નાખવાનાં, કપડાં વોશીંગ મશીનમાં અને કચરો વેક્યુમ ક્લીનરથી સાફ કરવાનો. જવલ્લે જ કોઈ કામવાળી રાખે, તે પણ ખૂબ જ મોંઘી. લોકો ઈસ્ત્રી પણ જાતે જ કરી લે. બહાર ઈસ્ત્રી કરાવવાનું સખત મોંઘુ છે. પાંચ પેન્ટને ઈસ્ત્રી કરાવો એટલા ડોલરમાં તો નવું પેન્ટ આવી જાય. ઓફિસોમાં લોકો મોટેભાગે જીન્સનું પેન્ટ અને જર્સી ચડાવીને પહોંચી જાય. આ કપડાંને બહુ ઈસ્ત્રીની જરૂર નહિ.

અહીં છાપાંની પસ્તીને ખરીદનાર કોઈ હોય જ નહિ. પસ્તીને ડસ્ટ બીનમાં જ નાખી દેવાની. એ રીતે લોખંડ, પ્લાસ્ટીકનો ભંગાર પણ ડસ્ટ બીનમાં જ જાય. ફાટેલાં, જૂનાં કપડાં, જૂતિયાં વગેરે પણ નાખી જ દેવાનાં.

અહીં છાપાં હોય છે ખરાં, પણ લોકો છાપું આપણા જેટલું વાંચે નહિ. અહીં સામાજિક જીવન નથી. સોસાયટીમાં લોકો ભેગા થઈને વાતો કરે, એવું હોતું નથી. દરેક જણ ઘરમાં જ ભરાઈ રહે, બહાર ખરીદી કે નોકરી કરવા જાય ત્યારે ગેરેજમાંથી જ ગાડીમાં બેસીને બહાર નીકળી જાય, એટલે સોસાયટીમાં કોઈ માણસ દેખાય જ નહિ. આપણી જેમ અહીં મંદિરો, રોડ પર ખુલ્લી દુકાનો, રોડની ધારે પાથરણાં પાથરીને વેચનારાઓ, ચાભજીયાંની લારીઓ, પાનગુટકાની દુકાનો એવું કશું જ હોતું નથી. એટલે માણસો ક્યાંય દેખાય નહિ. ઘેરથી ગાડીમાં નીકળેલા લોકો મોલ કે ઓફિસ આગળ ગાડી પાર્ક કરીને અંદર ઘુસી જાય એટલે બહાર તમને માણસો દેખાય જ નહિ. આથી આપણી જેમ અહીં નાનામોટા બનાવો બહુ ઓછા બને. એટલે છાપાંમાં આપણા જેવા સામાજિક બનાવોના કોઈ સમાચારો પણ ના હોય. આપણી જેમ અહીં રોડ પર ખરીદવાનું, સગાંવહાલાં કે મિત્રોને ત્યાં જવાનું, કોઈની ખબર જોવા જવાનું એવું બધું ના હોય. હા, કોઈક લોકો રોડ પર ચાલવા નીકળે, તેઓ જોવા મળી જાય ખરા.

અહીં આપણી જેમ રોડ પર વરઘોડા ના નીકળે, રોડ પર દારૂખાનું તો ફોડાય જ નહિ. અહીંના સ્વાતંત્ર્ય દિને, ઘરના ગેરેજ આગળ સાદું દારૂખાનું ફોડી શકાય. અહીં આપણી જેમ, નવરાત્રિમાં રોડ પર કે સોસાયટીમાં ગરબા કરી શકાય નહિ. કોઈ મોટા બંધ હોલમાં જ ગરબા કરી શકાય. બહાર લાઉડસ્પીકર તો રાખી શકાય જ નહિ. પતંગ ચગાવવા માટે તળાવ કિનારે કે કોઈ ખુલ્લા મેદાનમાં મંજૂરી લઈને જ પતંગ ચગાવાય. ખુલ્લામાં હોળી પ્રગટાવી ના શકાય.

આપણે ત્યાં સાદા રોગ માટેના ડોકટરો તો બહુ સહેલાઇથી મળી રહે. અહીં શરદી, ખાંસી, તાવ જેવા સાદા રોગ માટે પણ એપોઇન્ટમેન્ટ વગર ડોક્ટર મળે નહિ. ઘણી વાર તો મોટા રોગ માટેની એપોઇન્ટમેન્ટ પણ તરત ના મળે. હા, ઈમરજન્સી હોસ્પિટલો છે ખરી. હોસ્પિટલોનો ખર્ચ અહીં બહુ મોંઘો છે. મેડીકલ વીમો હોવા છતાં ય બહુ મોંઘુ છે. ઘણા ભારતીય લોકો તો ટીકીટ ખર્ચીને ભારત આવીને ટ્રીટમેન્ટ કરાવી જાય, એ સસ્તું પડે છે.

અહીં પોતાની ગાડી રાખવી એ ખૂબ જરૂરી છે. પબ્લીક ટ્રાન્સપોર્ટ ખૂબ ઓછો છે. આપણી જેમ રીક્ષાઓ નથી, કે જેથી રોડ પર હાથ ઉંચો કરો ને રીક્ષા મળી જાય. ટેક્ષી તો અતિશય મોંઘી છે. ખરીદી માટે કોઈ પણ વસ્તુ નજીક નથી હોતી. દૂધ, શાક ખરીદવા પણ ગાડી લઈને મોલમાં જ જવું પડે.

તમે જુઓ કે આપણે ત્યાં જે નાનીનાની સગવડો છે, તે અમેરીકામાં છે જ નહિ.

લશ્કરનો ખર્ચ

                                                   લશ્કરનો ખર્ચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી લાંબી સરહદ છે. મોટા ભાગની સરહદ પર વાડ કરેલી હોવા છતાં, અવારનવાર ઘુસણખોરી, આતંકવાદીઓના હુમલા, ચોકીઓ પર ગોળીબાર, જમીન પચાવી પાડવાની પેરવી, જાસૂસી – એવું બધું ચાલ્યા કરે છે. આ બધું અટકાવવા અને વળતો જવાબ આપવા આપણે સરહદ પર લશ્કર તૈનાત રાખવું પડે છે. આ લશ્કર નિભાવવા પાછળ કેટલો બધો ખર્ચ થતો હશે, એ વિચારી જુઓ. લશ્કરના સૈનિકો અને અધિકારીઓના પગાર, ખોરાક, રહેઠાણ, યુનિફોર્મ, જૂતાં, માંદગી, હથિયારો, દારૂગોળો, ચોકીઓ, બંકર, રસ્તાઓ, વાહનો વગેરેનો ખર્ચ બહુ મોટો હોય છે. આ બધું નિભાવવાની પાછળ સરકારના એટલે કે પ્રજાના કેટલા બધા રૂપિયા વપરાઈ જાય ! આવો ખર્ચ બચાવવા માટે શું થઇ શકે?

જો પાડોશી દેશ સમજદારી કેળવે , હુમલા અને ઘુસણખોરી બંધ કરે, યુદ્ધનો તો વિચાર સરખો પણ ના કરે અને ફક્ત પોતાની સરહદ સાચવીને બેસી રહે, તો આવડું મોટું લશ્કર રાખવાની જરૂર ના રહે. સરહદ પર ફક્ત થોડા પહેરગીરો રાખવા પડે એટલું જ. આમ થાય તો ઘણો ખર્ચ બચી જાય. અને એ પૈસા દેશના વિકાસ, પ્રગતિ, શિક્ષણ, આરોગ્ય, ખેતી અને સંશોધન પાછળ વાપરી શકાય. આવું થાય તો દેશ કેટલો બધો આબાદ બને !

લશ્કર પાછળનો ખર્ચ એ તો નર્યો વેડફાટ જ છે. પણ પાડોશી દેશને સખણો રાખવા, નાછૂટકે આ ખર્ચ કરવો પડે છે. પાડોશી દેશને આવી સમજણ આવવી જરૂરી છે. એને જો આ સમજણ આવે તો એનો પણ ઘણો ખર્ચ બચી જાય.

વળી, ઘણાં શસ્ત્રો, યુદ્ધવિમાનો, સબમરીન વગેરે બીજા દેશો પાસેથી ખરીદવાં પડે છે. આ બધામાં ખૂબ જ હૂંડિયામણ વપરાઈ જાય છે.

વચમાં ક્યાંક વાંચેલું કે આપણા સૈનિકો માટેના બૂટ આપણા દેશની જ કોઈક કંપની બનાવે છે. પણ એ કંપની, પહેલાં, તે બૂટ વિદેશની કોઈક કંપનીને વેચે છે, પછી ભારત સરકાર તે બૂટ, તે વિદેશી કંપની પાસેથી ખરીદે છે, આમ કરવામાં બૂટ ખૂબ જ મોંઘા પડે છે. હાલની સરકારના ધ્યાનમાં આ બાબત આવતાં, હવે તે બૂટ ડાયરેક્ટ ભારતની કંપની પાસેથી જ ખરીદવાનું શરુ કર્યું છે, અને ઘણો ખર્ચ બચાવ્યો છે.

આ બધું જોતાં લાગે છે કે બે પાડોશી દેશો સમજદારી કેળવે અને સરહદ પર કોઈ જ અડપલાં ના કરે, તે બંને દેશોના હિતમાં છે, અને બંને દેશોનો પુષ્કળ ખર્ચ બચી શકે છે.

અમેરીકા (યુએસએ) અને કેનેડા દેશોની વચ્ચે પણ લાંબી સરહદ છે. પણ આ દેશોને સરહદ સાચવવા કોઈ લશ્કર નથી રાખવું પડતું. બંને દેશો એકબીજામાં કોઈ ઘુસણખોરી કે બીજી કોઈ કારવાઈ નથી કરતા. બંને દેશો ખૂબ જ આબાદ છે. આવું જ યુરોપના ઘણા દેશો વચ્ચે છે. બેલ્જીયમ, નેધરલેંડ, ફ્રાન્સ, ઇટાલી, સ્વીટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રીયા, જર્મની – આ બધા દેશો ક્યાંક ને ક્યાંક અડીને આવેલા છે. પણ તેઓની સરહદો વચ્ચે ક્યાંય લશ્કરો નથી. બધા પોતપોતાની આબાદીમાં પડ્યા છે. અમે યુરોપનો પ્રવાસ કરેલો ત્યારે, એક દેશમાંથી બીજામાં દેશમાં, ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા હોઈએ, એટલી સરળતાથી  પ્રવેશ કરતા હતા.

ભારત અને પાકિસ્તાન તો એક જ દેશ હતા. અંગ્રેજો ભાગલા પાડીને બે અલગ દેશ બનાવતા ગયા. લડવાથી બંને દેશો ખુવાર થઇ રહ્યા છે. એને બદલે સંપથી રહીને આબાદ બનવું જોઈએ. સંપની આ વાત આખી દુનિયાને લાગુ પાડીએ તો દુનિયામાં પણ કોઈ દેશે મોટું લશ્કર રાખવું ના પડે. યુદ્ધથી ક્યારે ય કોઈનું ભલું થયું નથી. આશા રાખીએ કે લોકો આ બાબત સમજે. વસુધૈવ કુટુમ્બકમ.

   મનપસંદ કારકિર્દી

                                                     મનપસંદ કારકિર્દી

આપણે ત્યાં છોકરો કે છોકરી દસમું ધોરણ પાસ કરે પછી, તેને અગિયારમા ધોરણમાં કઈ લાઈન લેવી, આર્ટસ/કોમર્સ કે સાયન્સ, એ નક્કી કરવાનું હોય છે. આમ તો કઈ લાઈનમાં જવું, એ વિદ્યાર્થીએ પોતે જ નક્કી કરવું જોઈએ, પણ મોટા ભાગના કિસ્સામાં માબાપ બાળકને અમુક લાઈનમાં જ જવાનો આગ્રહ રાખતાં હોય છે. માબાપ તેને કઈ લાઈનમાં જવાનું કહેતાં હોય છે, એ તમે જાણો જ છો. એ છે સાયન્સ લાઈન. માબાપ શા માટે સાયન્સ લાઈનનો જ આગ્રહ રાખે છે? મોટા ભાગનાં માબાપ તેમનો દિકરો/દિકરી  ડોક્ટર થાય, અને ડોક્ટર ના થવાય તો એન્જીનીયર થાય, એવું ઇચ્છતાં હોય છે, શા માટે? એનું કારણ છે પૈસો, કમાણી અને સ્ટેટસ તથા સોશિયલ સાઈકોલોજી.

પણ દિકરા/દિકરીને મેડીકલ (ડોક્ટર) કે એન્જીનીયરીંગ લાઈનમાં રસ છે કે નહિ, તે નહિ વિચારવાનું? તેને મેડીકલના વિષયો, બાયોલોજી વગેરે ગમતું હોય તો તે મેડીકલ લાઈન પસંદ કરે તો બરાબર છે. અને એને મેથેમેટીક્સ, યંત્રો, વિદ્યુત વગેરેમાં રસ પડતો હોય તો તે એન્જીનીયરીંગ લાઈનમાં જાય એ બરાબર છે. પણ મારા જેવા અનેકને બાયોલોજીમાં રસ ના પડતો હોય તો મેડીકલ લાઈનમાં જઈ બળજબરીથી ડોક્ટર બનવાનો શું અર્થ? આવા ડોક્ટર પોતાના તથા સમાજ બંને માટે કેટલા ઉપયોગી થાય?

ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે દરેકને જે વિષયોમાં રસ હોય, જે બાબતોનો શોખ હોય એ લાઈનમાં જ ભણવું જોઈએ. તો તે જરૂર સરસ કારકિર્દી બનાવી શકશે. અને સાથે સાથે સારી કમાણી પણ કરી શકશે. શોખને કમાણીનું સાધન બનાવીશું, તો તમારી કારકિર્દી દીપી ઉઠશે, અને પૈસા, આનંદ, સુખ અને શાંતિ પણ મળશે.

માબાપે આ રીતે વિચારીને દિકરા/દિકરીએ કઈ લાઈન લેવી તે નક્કી કરવું જોઈએ. તેને ગમતી લાઈનમાં જ જવાની તેને સલાહ આપવી જોઈએ. એ પણ જોવું જોઈએ કે ડોક્ટર કે એન્જીનીયર સિવાય પણ ઘણાં ક્ષેત્રો છે, જેમાં આગળ અભ્યાસ કરી શકાય. જેમ કે સીએ, આર્કિટેક્ટ, એમબીએ, ફાર્મસી, લો (કાયદો), આઈએએસ, ગૃહવિજ્ઞાન, ડેરી સાયન્સ, એગ્રીકલ્ચર, વેટરનરી વગેરે વગેરે. આ ઉપરાંત, પત્રકાર, સંગીત, નૃત્ય જેવાં ક્ષેત્રો પણ છે. ભણવા માટે વિશાળ તકો છે, તો વિદ્યાર્થીને શું ગમે છે, તે શોધી તેને તે પ્રમાણેની લાઈનમાં ભણવાનું આયોજન કરવું જોઈએ. તમારી આવડત હોય તો પૈસો, ધન તો કોઈ પણ લાઈનમાં મળે જ છે.

બીજી એક વાત કે આપણે જીવનમાં ફક્ત પૈસા મેળવવા માટે જ ભણીએ છીએ? જીવનમાં પૈસાનું મહત્વ જરૂર છે, એની ના નથી. પણ ફક્ત પૈસો જ સર્વસ્વ છે, એવું નથી. આ બાબતની વિગતે ચર્ચા ફરી કોઈ વાર કરીશું. હાલ તો ભણવાના રસ અંગેની જ વાત ચાલુ રાખીએ.

એવાં ઘણાં ઉદાહરણ મેં જોયાં છે કે જેમાં પોતાની પસંદગી સિવાયની લાઈનમાં ભણ્યા હોય અને પાછળથી પોતાની લાઈન બદલીને પોતાની ગમતી લાઈનમાં જતા રહ્યા હોય. મારા એક સંબંધીની દિકરીને આર્કિટેક્ટમાં એડમીશન મળ્યું, પણ છ જ મહિનામાં તે આર્કિટેક્ટ છોડીને કોમર્સમાં જતી રહી, કેમ કે એ એનો ગમતો વિષય હતો. કોમર્સમાં તે જરૂર ઉચ્ચ કારકિર્દી બનાવશે. મારો એક વિદ્યાર્થી એન્જીનીયર થયા પછી, થોડા જ વખતમાં શેરદલાલ બની ગયો, એન્જીનીયરીંગ સાવ છોડી દીધું. મારા એક મિત્ર એન્જીનીયર થયા પછી દુકાનદાર/વેપારી બની ગયા છે. ડોક્ટર બન્યા પછી લાઈન બદલી કાઢી હોય એવા ઘણા દાખલા મોજૂદ છે. ઇસ્કોન મંદિરમાં ઘણા સાધુઓ એન્જીનીયર થયેલા છે. મારા એક પરિચિત, એન્જીનીયર થયા પછી ગાયક બની ગયા છે, અને ગાયક તરીકે તેમની કારકિર્દી ટોચ પર છે.

ટૂંકમાં, તમને જે લાઈન ગમતી હોય તેમાં ઝંપલાવો, તો મજા આવશે. વિદ્યાર્થીઓને જણાવવાનું કે તમને શું ગમે છે, એ શોધી કાઢો. માબાપ પણ પોતાનાં પુત્ર/પુત્રીને શું ગમે છે, તેનું અવલોકન કરે, અને પહેલેથી જ તેને ગમતી લાઈનમાં ભણાવે, પછી જુઓ કે તમારું બાળક તેના મનગમતા ક્ષેત્રમાં કેવું ઝળહળી ઉઠે છે !