સુખનું સરનામુ

                                        સુખનું સરનામુ

તમે અલગ અલગ માણસોને પૂછો કે ‘ભાઈ, તમે રોજ જે કામ કરો છો, જે મહેનત કરો છો, તે શેના માટે કરો છો?’ તો એના જે જવાબો મળશે તે કંઇક આવા હશે.

‘પૈસા કમાવા માટે’

‘બાળકોના સારા ભવિષ્ય માટે’

‘કુટુંબના સભ્યો માટે’ વગેરે વગેરે.

વળી એમને આગળ પૂછો કે ‘આ બધું શા માટે કરો છો?’ તો છેવટે અંતિમ જવાબ તો એવો જ આવે કે ‘જિંદગીમાં સુખ, સંતોષ અને આનંદ મેળવવા માટે.’

દરેક વ્યક્તિને સુખ, સંતોષ અને આનંદ સભર જિંદગી જીવવાની ઈચ્છા હોય છે. સુખ મેળવવા માટે તે રોજેરોજ મહેનત કરતો રહે છે. વળી, દરેકની સુખની વ્યાખ્યા પણ જુદી જુદી હોઈ શકે છે. સુખ, આપણા વિચારો, રસ, રુચિ અને આપણે કેવા માહોલમાં રહીએ છીએ, તેની સાથે સંકળાયેલું હોય છે. જુદા જુદા માણસોને જુદી જુદી બાબતોમાં સુખ મળે છે. તમે માણસો સાથે ચર્ચા કરી, સર્વે કરશો તો કોને શેમાંથી સુખ મળે છે, તે જાણવા મળશે. આવી થોડી બાબતો અહીં લખું?

(૧) મોટા ભાગના માણસોને કમાઈને પૈસા ભેગા કરવામાં આનંદ આવતો હોય છે.

(૨) ઘણાને સત્તા પ્રાપ્ત કરવામાં આનંદ મળે છે.

(૩) ઘણા લોકોને તંદુરસ્તી સાચવવાનું ગમે છે. તેઓ બીજી બધી બાબતો કરતાં, તંદુરસ્તીને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે.

(૪) ઘણા લોકોને કુટુંબ, સગા અને મિત્રો સાથે સંબંધ સાચવવામાં મજા આવે છે. તેઓ આવા સંબંધો સાચવવામાં હંમેશાં ખુશ રહે છે. પોતાનું જતું કરીને પણ સંબંધો નિભાવે છે.

(૫) અમુક લોકોને બીજાને મદદ કરવામાં સંતોષ મળતો હોય છે. તેઓ ગરીબગુરબાંને સહાય કરતા જ રહે છે.

(૬) ઘણા લોકો આખો દિવસ પ્રભુ ભજનમાં મસ્ત રહે છે. તેઓ દેવદર્શને જાય, સત્સંગ કરે, ભજનો ગાય, મનમાં ભગવાનનું નામ લીધા કરે અને આનંદ માણે.

(૭) એવા ઘણા લોકો છે જેમને જમીનો, મકાનો, સોનું અને મિલકતો ભેગી કરવામાં આનંદ આવતો હોય.

(૮) ઘણા યુવાનોને રમતગમતોમાં મજા આવતી હોય છે. એમાંના કોઈક તો કોઈક રમતમાં નિષ્ણાત બની જાય અને તેને જ કેરીયર બનાવી દે.

(૯) કોઈકને ફરવાનો અને રખડવાનો શોખ હોય છે. એમને એમાં જ આનંદ આવતો હોય છે. તેઓ પર્વતો, જંગલો, કેડીઓ, દરિયાકિનારો, નદીનાળાં, ઝરણાં, તળાવો, ધોધ – એમ વિવિધ જગાઓએ ફર્યા કરે અને આનંદ માણે.

(૧૦) ઘણાને નૃત્ય, સંગીત અને ગાયનમાં મજા આવતી હોય છે. તેઓ આવી કોઈક પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે.

(૧૧) કોઈકને કંઇક નવું સંશોધન કરવામાં રસ પડતો હોય છે. તેઓ હમેશાં તેમાં પ્રવૃત્ત રહે છે.

(૧૨) કોઈક કવિ, લેખક, ગઝલકાર કે પત્રકાર બની જતા હોય છે.

(૧૩) ઘણાને એશોઆરામથી પડી રહેવાનું ગમતું હોય છે.

હજુએ ઘણી બાબતો આ લીસ્ટમાં ઉમેરી શકાય. ઘણા એક કરતાં વધુ પ્રવૃત્તિઓ એકસાથે કરતા હોય એવું બને. જેમ કે કોઈ શિક્ષક રોજીરોટી માટે ભણાવવાનું કામ કરે, પણ જો તેને ગાવાનો શોખ હોય તો જોડે જોડે તે આ પ્રવૃત્તિ પણ કરે જ. ટૂંકમાં, દરેક જણ સુખ અને આનંદ મેળવવા માટે, પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરતા હોય છે.

ઘણી વાર એવું બને કે માણસ મહેનત કરે, ઢસરડા કરે, તો પણ તેને જોઈતી વસ્તુઓ પ્રાપ્ત થતી નથી, અને તે દુખી થઇ જાય છે. એવે વખતે શું કરવું તેનો રસ્તો તેને સૂઝતો નથી. પણ જો આપણે સુખી જ રહેવું છે, તો દુઃખને હળવાશથી લેવું જોઈએ. કોઈકે કહ્યું છે કે દુનિયામાં કોઈ વસ્તુ કાયમી નથી, દુઃખ પણ નહિ. એટલે દુઃખ પણ જતું રહેવાનું જ છે. આપણે મનને એવી રીતે તૈયાર કરવું જોઈએ કે દુઃખ લાગે જ નહિ. દુઃખમાં પણ સુખ શોધી કાઢતાં શીખી લેવું જોઈએ. જીંદગી જીવવાની રીત આવડવી જોઈએ, પછી સુખ તો આપણા હાથમાં જ છે.

ભારતના નિષ્ણાતો

                                    ભારતના નિષ્ણાતો

આપણા દેશના ઘણા લોકોને અમેરીકા અને કેનેડા જવાનું આકર્ષણ છે, તેની વાત આગળ ચલાવીએ.

અમેરીકા જવાનો મુખ્ય હેતુ તો પૈસા કમાવાનો જ છે. અમેરીકા જતા લોકોના બે પ્રકાર પાડી શકાય. એક પ્રકાર એવા લોકોનો છે કે જેઓ સારું ભણીને અમેરીકા જતા હોય. એવા લોકો એન્જીનીયરીંગ, મેડીકલ ડેન્ટલ, ફાર્મસી, સીએ વગેરે ક્ષેત્રોની ડીગ્રી લઈને અમેરીકા ગયા હોય. કોઈક માસ્ટર ડીગ્રીવાળા પણ હોય. ઘણાએ સ્ટુડન્ટ વીસા પર અમેરીકા જઈ, ત્યાં માસ્ટર ડીગ્રી મેળવી હોય. આવા બધા લોકોને અમેરીકાની સારી કંપનીઓમાં સહેલાઈથી જોબ મળી જાય છે, અને મહિને ઓછામાં ઓછો છ હજાર ડોલર પગાર તો મળે જ. આજના એક ડોલરના આશરે ૭૦ રૂપિયા પ્રમાણે આ પગાર, ૪,૨૦,૦૦૦ રૂપિયા થયો. ભારતના હિસાબે તો આ રકમ ઘણી મોટી લાગે. એમાંથી મહિને ૩૦૦૦ ડોલર વાપરે તો પણ કેટલી બધી બચત થાય ! આવા લોકો ટૂંક સમયમાં જ ગાડી મકાન વગેરે ખરીદી લે છે. અને છતાં ય ભારતમાં તેમના કુટુંબને સારી એવી રકમ મોકલી શકે છે.

અમેરીકા જતા બીજા પ્રકારના લોકો એવા છે કે જેઓ ઓછું ભણેલા હોય કે ખાસ ભણેલા ના હોય. તેમના સગા અહીં અમેરીકામાં રહેતા હોય અને તેમણે સ્પોન્સર કરીને અહીં અમેરીકા તેડાવ્યા હોય. આવા લોકો અહીં મોટેલમાં, પેટ્રોલ પંપ પર કે ગ્રોસરીની દુકાનોમાં નોકરીએ લાગી જાય, કોઈક બીજાઓ માટે રસોઈ બનાવીને કમાય, કોઈક બાળકોને રાખવાનું કામ કરે (આયા જેવું), પણ કામ તો મળી રહે જ. આવા બધા ધંધામાં કલાકે દસબાર ડોલર જેવું મળે તો પણ તેઓ મહીને ૨૦૦૦ ડોલર જેટલું કમાઈ લે. શરૂઆતમાં તો તેઓ એકલા જ હોય (ફેમિલી ના હોય). એમાંથી ૧૦૦૦ ડોલર વાપરે તો પણ ૧૦૦૦ ડોલર બચે. ભારતના હિસાબે આ બચત ૭૦,૦૦૦ રૂપિયા જેવી થાય. ભારતમાં મજૂરી, કારીગર, નોકર કે ક્લાર્ક જેવું કામ કરનારો મહીને ૭૦,૦૦૦ રૂપિયાની બચત કરી શકે ખરો? એટલે જ અહીંની કમાણી બધાને મોટી લાગે છે. વળી, આવા લોકો આગળ જતાં ક્યારેક મોટેલ, પેટ્રોલ પંપ કે દુકાનના માલિક પણ બની શકે છે, અને અઢળક પૈસા મેળવે છે.

અહીં અમેરીકામાં દરેકને નાનુંમોટું કામ તો મળી જ રહે છે. એટલે ભૂખ્યા સૂવું પડે કે ભીખ માગવી પડે કે ફૂટપાથ પર પડ્યા રહેવું પડે, એવું ભાગ્યે જ બને છે.

અમેરીકાના આવા આકર્ષણને લીધે, ઘણા લોકો લાખો રૂપિયા આપીને, ગેરકાયદેસર રીતે પણ અમેરીકા આવી જતા હોય છે. (એવું સાંભળ્યું છે.) ઘણા ભારતીય લોકો, ભારતમાં રહીને અમેરીકાની કંપનીઓ માટે, ખાસ કરીને આઈટી કંપનીઓ માટે, કલાકના દરે, ફોનથી અને ઈમેલથી કામ કરતા હોય છે.

આવા બધા જ લોકો ભારત માટે સેવા આપે તો દેશ કેટલી બધી પ્રગતિ કરે ! પણ આ માટે દેશમાં તેમને સારો પગાર મળે, સગવડો મળે અને તેમના કામની કદર થાય તો જ બને. આ માટે દેશદાઝ હોવી ખૂબ જરૂરી છે. ‘ભારત દેશ મારો છે, અને મારે દેશ માટે કંઇક કરવું જોઈએ’ એવી ભાવના બધા લોકોમાં કેળવાય તો ઘણો ફેર પડે. આ માટે બાળકોને નાનપણથી જ સ્કુલ, કોલેજો અને મંદિરોમાં દેશભાવનાને લગતો માહોલ ઉભો કરવો જોઈએ. ઘરમાં માબાપ તરફથી પણ આવી કેળવણી અપાવી જોઈએ.

મારા ગામમાં એક ભાઈ M. Sc. સુધી ભણ્યા, તેમને પોતાની ખેતીની જમીન હતી, એટલે આટલું ભણ્યા પછી પણ તેમને ખેતી જ ચાલુ રાખી. મારા ઓળખીતા બીજા બે આઈટી નિષ્ણાત એન્જીનીયરો, અમેરીકામાં થોડાં વર્ષ રહ્યા પછી, ભારત પાછા આવીને, અહીં જ સ્થાયી થયા છે. આપણે જાણીએ છીએ કે નારાયણમૂર્તિએ ભારતમાં જ Infosys કંપની શરુ કરીને ઘણાને રોજીરોટી પૂરી પડી છે. આવાં બીજાં ઘણાં ઉદાહરણો મોજૂદ છે. તમે વિચાર કરો કે ભારતના બધા જ નિષ્ણાતો ભારતમાં જ રહે તો  દેશ કેટલો બધો આગળ આવી જાય !

ભારતનું બુદ્ધિધન

                                            ભારતનું બુદ્ધિધન

હમણાં જ પંદરમી ઓગસ્ટ ગઈ. આપણો સ્વાતંત્ર્ય દિન, આપણે ખૂબ ભવ્ય રીતે ઉજવ્યો. આ નિમિત્તે ભારત વિષે કંઇક લખવાનું મન થાય છે.

આપણે જાણીએ છીએ કે આપણો પ્રાચીન ભૂતકાળ બહુ જ ભવ્ય હતો. આપણે ત્યાં ઋષિમુનિઓ અગાધ જ્ઞાન ધરાવતા હતા. વેદો, પુરાણો, ઉપનિષદો તથા રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની રચના આપણા ભારત દેશમાં થઇ છે. એમાં અભૂતપૂર્વ જ્ઞાન સંગ્રહાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો બોધ ‘ગીતા’માં છે. એમાં બધા જ્ઞાનનો સાર આવી જાય છે. આપણા દેશમાં ઘણા અવતારી પૂરુષો થયા છે, અને તેમણે દુનિયાને સારા માર્ગે વાળવા બહુ જ કામ કર્યું છે. આપણા દેશને કુદરતે પણ ઘણી ચીજો ભેટ આપી છે. હિમાલય પર્વત, ગંગા-જમના જેવી નદીઓ, વિશાળ સમુદ્ર કિનારો, જાતજાતનાં અનાજ અને ફળોની પેદાશ, ખનીજો – એમ ઘણી સમૃદ્ધિ અહીં છે. આપણો દેશ શિયાળામાં કેનેડાની જેમ થીજી જતો નથી, અને ઉનાળામાં આરબ દેશો (લગભગ ૫૫ અંશ સેલ્સિયસ)ની જેમ બળી જતો નથી. આપણા દેશની પુરાણી સંસ્કૃતિનો અમર વારસો આપણી પાસે છે.

આ બધાને લીધે, આપણે આપણી સંસ્કૃતિને વારંવાર યાદ કરીને ગૌરવ અનુભવીએ છીએ, અને આપણા ભૂતકાળની ભવ્યતાને વાગોળીએ છીએ. અમેરીકા પાસે તો ૫૦૦ વર્ષથી જૂનો કોઈ ઈતિહાસ જ નથી.

ભારતમાં આ બધું હોવા છતાં, ભારત આજે દુનિયામાં સૌથી આગળ પડતો દેશ કેમ નથી? આપણે સુપર પાવર કેમ નથી? દુનિયામાં છેલ્લાં બસો વર્ષોમાં જે વૈજ્ઞાનિક ક્રાંતિ થઇ, જે શોધખોળો થઇ, જેવી કે સ્ટીમ એન્જીન, વીજળી, ટેલીગ્રામ, ટેલીફોન, વીજળીનો બલ્બ, પેટ્રોલ અને ડીઝલ એન્જીનો, જનરેટર, સિનેમા, કેમેરા, રેડિયો, વિદ્યુત મોટર, વિમાન, ટેલીવિઝન, રોકેટ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરે, એમાંથી એક પણ શોધ ભારતમાં થઇ નથી. ભારતની પુરાણી સંસ્કૃતિમાં જ્ઞાનનો ભંડાર હોવા છતાં, આવી એક પણ શોધ ભારતના નામે નથી. આ બાબત વિચારવા જેવી નથી લાગતી? આ બધી શોધખોળો અને સગવડો આપણે પરદેશથી આયાત કરી છે. પછી, ભલે આમાંની ઘણી વસ્તુઓ અત્યારે ભારતમાં બનતી હોય.

આપણે ત્યાં બુદ્ધિશાળી લોકોની કમી છે, એવું નથી. આપણે ત્યાં તીવ્ર બુદ્ધિપ્રતિભા ધરાવનારા અસંખ્ય યુવાનો છે. પણ તેમાંના ઘણા અમેરીકા અને અન્ય દેશોમાં જઈને વસી જાય છે, અને પોતાના જ્ઞાનનો ઉપયોગ પરદેશની કંપનીઓને કમાવી આપવામાં કરે છે. આવા લોકો પરદેશ જતા રહે છે, એનું કારણ શું? કેમ કે ત્યાં તેમને ઉંચો પગાર અને ખૂબ સગવડો મળે છે. આ પ્રકારના બહુ જ ઓછા લોકો ભારતમાં રહી દેશના વિકાસમાં ફાળો આપે છે. (ઈમેઈલ મોકલવા માટે હોટમેઈલની સગવડ એક ભારતીય નવજવાને કરી હતી. પણ એમણે એ શોધ અમેરીકામાં રહીને જ કરી હતી. એમનુ નામ જાણો છો?)

આપણું બુદ્ધિધન ભારતમાં કેમ નથી રોકાતું? એક તો, એમને કામ અને સંશોધન કરવા માટે પૂરતી સગવડો અને નાણાં મળતાં નથી. જીવન જરૂરિઆતની બીજી સગવડો પર પૂરતી મળતી નથી. બીજું, કોઈ કંપની કે સરકાર તરફથી પણ સહાય માંડ મળે છે. તેની પ્રતિભાની કોઈ કદર કરતુ નથી. વળી, ઘણી વાર અમલદારશાહી અને politics તેને નડતરરૂપ બને છે. આવું બધું થતાં, આવા લોકો પરદેશની વાટ પકડી લે છે. એચ. એલ. ત્રિવેદી અને સામ પિત્રોડા જેવા કોઈક જ વિરલાઓ, કઠિન પરિસ્થિતિનો સામનો કરીને પણ ભારતમાં રહી ભારત માટે કામ કરે છે. ‘સ્વદેશ’ ફિલ્મ જોજો, એમાં અમેરીકાની ‘નાસા’ સંસ્થામાં કામ કરતો એક ભારતીય વૈજ્ઞાનિક ભારત પાછો આવીને, અહીં સ્થાયી થાય છે.

એટલે જરૂરી એ છે કે ભારતના પ્રતિભાશાળી લોકો દેશમાં જ્ર રહે એવું કરવું જોઈએ. એમને પૂરતો પગાર અને સગવડો આપવાં જોઈએ, અને એમની કદર કરવી જોઈએ. બીજું કે લોકોમાં એક દેશદાઝ ઉભી કરવી જોઈએ. લોકોને દિલમાં એવું થવું જોઈએ કે મારે મારા દેશ માટે કંઇક કરવું જોઈએ. આવી ભાવના ભારતમાં જો સર્વત્ર ઉભી થાય તો દેશ જરૂર આગળ આવે અને ક્યારેક સુપરપાવર પણ બની શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કામ કરી રહ્યા છે.

 કામો કઈ રીતે પતાવવાં?

                                   કામો કઈ રીતે પતાવવાં?

આપણી રોજિન્દી જિંદગીમાં આપણે ઘણાં કામ કરવાનાં હોય છે. ઘરમાં, ઓફિસમાં, અન્ય નોકરીઓમાં અને ધંધામાં ઘણી જાતનાં કામ રોજેરોજ નિપટાવવાનાં હોય છે. આ બધાં કામ આપણે કઈ રીતે કરીએ છીએ?

જરા વિગતે વાત કરીએ. નોકરી કરતા લોકોમાં, ઘણા લોકો ખૂબ મહેનતુ, સજ્જન અને પ્રામાણિક હોય છે. તેઓ નોકરીમાં, પોતાની ફરજમાં આવતાં કામ તરત જ કરી દેતા હોય છે. ફરજ ઉપરાંતનાં વધારાનાં કામ પણ તેઓ કરી આપે છે. જો કે આવા લોકોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. આવા લોકોને આગળ આવવાની તકો બહુ જ રહેલી છે. તેઓને પ્રમોશનો અને પગારવધારો જલ્દી મળી શકે છે. કામ કર્યાનો સંતોષ અને ટેન્શન વગરની લાઈફ તો ખરી જ.

બીજા પ્રકારના લોકો ધીરે ધીરે કામ કરે છે. તેઓ કામ કરવામાં જરૂર કરતાં ય વધુ ટાઈમ લગાડે છે. તેઓ માને છે કે ‘થાય છે, થશે, ઉતાવળ શું છે? ઝડપથી કામ કરીશું તો બોસ બે કામ વધારે સોંપશે’ આવી ધારણાઓથી તેઓ ઝડપથી કામો નથી પતાવતા. આવા લોકો માટે પ્રમોશનો કે ઝડપથી આગળ આવવાની તકો ઓછી રહેલી છે.

ત્રીજા પ્રકારના માણસો એવા છે કે તેઓ કામ કરતા જ નથી, અથવા બહુ જ ઓછું કામ કરે છે. તેઓ વાતો, ચાપાણી અને બોસને આડુંઅવળું સમજાવી દેવાની પ્રવૃતિઓ વધુ કરે છે. આવા લોકો, બીજા સારા મહેનતુ માણસને પણ નડતરરૂપ થતા હોય છે. આવા લોકો પ્રમોશનો તો ઠીક, ક્યારેક નોકરી યે ગુમાવી દે છે. પછી તેઓ જાતજાતની નોકરીઓ બદલી, જીવનનું ગાડું જેમતેમ રગડદગડ ચલાવ્યે રાખે છે.

કામ પતાવવા અંગેની બીજી એક બાબત વિચારીએ. ધારો કે આપણી પાસે ૫ જુદાંજુદાં કામ પેન્ડીંગ પડ્યાં છે. (જેવાં કે વીજળીનું બીલ ભરવા જવાનું, ખરીદી કરવા જવાનું, બાળકોને શીખવાડવાનું, પત્નીને ફરવા લઇ જવાનું, કોઈ સગાની ખબર કાઢવા જવાનું, ઓફિસનું એક પેન્ડીંગ કામ પતાવવાનું વગેરે). તો આ કામોમાંથી પહેલું કામ કયું કરશો? અને પછી કયા ક્રમે આ કામો પૂરાં કરશો? ઘણા લોકો શું કરે કે જે ગમતું અને સહેલું કામ હોય તે પહેલાં કરે,અને ન ગમતું કામ છેલ્લે પતાવે. ક્યારેક તો ન ગમતા કામને કોઈક ને કોઈક બહાના હેઠળ, ઠેલ્યે રાખે, છેલ્લે કદાચ એ અણગમતું કામ કરે જ નહિ. બીજા કેટલાક લોકો એવા હોય છે કે જે અણગમતાં કામ પહેલાં કરી નાખે, અને પછી નિરાંતનો શ્વાસ લે કે ‘હાશ ! હવે ફક્ત ગમતું કામ જ બાકી રહ્યું.’ ઘણા લોકો એવું કરે કે કામ ગમતું હોય કે અણગમતું, પણ જેની તાતી જરૂરિયાત હોય, emergency હોય, એ કામ પહેલું કરે, અને એ જ રીતે જરૂરિયાતના ક્રમમાં બીજાં કામ કરે. આવા લોકો વધુ સફળતા પ્રાપ્ત કરે છે.

ઘણી વાર લોકોને ‘કામ પતાવવાનાં છે’ એ બાબતનું મગજમાં ટેન્શન રહ્યા કરે, એની ચિંતામાં શરીરનું બીપી વધે, તેઓ હળવાશ અનુભવે જ નહિ. કામની સંખ્યા વધે તેમ તેઓ વધુ ગૂંચવાતા જાય. આવા કિસ્સામાં શું કરવું જોઈએ? મારું મંતવ્ય એવું છે કે કામ કેટલાં બાકી છે, એ ગણગણ કરવાને બદલે, કામોનું એક લીસ્ટ બનાવીએ, તેમાં એક પછી એક કામ કરતા જઈએ, અગત્યનું હોય એ પહેલું કરીએ, અને એ રીતે ચાલ્યા કરે તો કામનો ભરાવો થાય નહિ, બધાં જ કામ પતતાં જાય અને પછી આપણને આ રીતે કામ કરવાની ટેવ પણ પડી જાય. આપણો આત્મવિશ્વાસ વધે, અને ટેન્શન પણ ના થાય.

તમે શું કહો છો?