અર્ધજાગ્રત મન દ્વારા ધ્યેયની પ્રાપ્તિ
આપણે આગળ જોયું કે આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવું છે, તે સિદ્ધ કરવાનું કામ અર્ધજાગ્રત મનને સોંપવું જોઈએ. અર્ધજાગ્રત મનને કામ કઈ રીતે સોંપવું ,એની અહીં વાત કરીએ.
આ માટેની એક રીત અહીં લખું છું. તમે રાત્રે સૂવા પડો ત્યારે, ઉંઘ આવી જતા પહેલાંની પાંચેક મિનીટ એવી હોય છે કે જેમાં તમે પૂરા જાગતા ન હો કે પૂરા ઉંઘી પણ ન ગયા હો. આ સમયે આપણે અર્ધજાગ્રત મનને જે સૂચન કરીએ, તે અર્ધજાગ્રત મનમાં બરાબર પહોંચી જાય છે. એટલે કે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે, તેનું આ સમયે મનમાં રટણ કરતાં કરતાં ઉંઘી જવાનું. દા.ત. તમારે માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે, તો “મારે માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે, મારે માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે” એવી ઈચ્છા કરતાં કરતાં ઉંઘી જવું. પછી અર્ધજાગ્રત મન, તમે સોંપેલું કામ કરવા માંડશે. આવું રટણ રોજેરોજ રાત્રે સૂતી વખતે કરવું. ઓછામાં ઓછા ૨૧ દિવસ સુધી તો આ પ્રમાણે કરવું જ. સવારે પથારીમાં જાગો ત્યારે પણ તરતની થોડીક ક્ષણો એવી હોય છે કે જેમાં જાગતાઉંઘતા હોઈએ, આ ક્ષણે પણ આપણા ધ્યેયનું રટણ કરવું. આમ કરવાથી આપણી ઈચ્છાની માહિતી અર્ધજાગ્રત મન પાસે પહોંચી જાય છે. પછી અર્ધજાગ્રત મન આ કામ કરવાનું શરુ કરી દે છે.
અર્ધજાગ્રત મન ચિત્રોની ભાષા વધુ સારી રીતે સમજે છે. એટલે તમે તમારા ધ્યેયને લગતાં ચિત્રો તૈયાર કરો, અથવા ધ્યેયને લગતાં ચિત્રોની કલ્પના કરો. જેમ કે તમારું જો માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવાનું ધ્યેય છે, તો તમે, તમને માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી ગઈ હોય અને તમે તેની ઓફિસમાં તમારા ક્યુબમાં બેસીને લેપટોપ પર કામ કરતા હો, એવા ચિત્રની કલ્પના કરો. અરે, ક્યાંક આવી અન્ય જગાએ બેસીને તમે એવો ફોટો પડાવો, આ ફોટાને અવારનવાર જુઓ, તમારા હાલના ઘરના ટેબલ આગળ સામે એક વિઝન બોર્ડ બનાવી એના પર આ ફોટો લગાડો, અને એને અવારનવાર જોતા રહો, એટલે આ ફોટો તમારા માનસપટ પર અંકિત થઇ જશે. રાત્રે ઉંઘી જતા પહેલાં અને સવારે પૂરા જાગી જતા પહેલાં, ધ્યેયનું રટણ કરતા હોઈએ ત્યારે આંખો બંધ રાખીને કલ્પના કરશો તો આ ફોટો તમને તમારી આંખોની સામે કોઈ કાલ્પનિક પડદા પર દેખાશે. આ ક્રિયાને ‘વિઝ્યુલાઇએશન’ (Visualization) કહે છે. વિઝ્યુલાઈઝેશનથી તમારા ધ્યેયનાં ચિત્રો તમારા અર્ધજાગ્રત મનમાં પહોંચી જશે.
તમારા ધ્યેયને, આ રીતે, તમારા અર્ધજાગ્રત મન સુધી પહોંચાડ્યા પછી, તમારું અર્ધજાગ્રત મન તમારા ધ્યેયને સાચું બનાવવા માટે કામે લાગી જશે. અર્ધજાગ્રત મનને બધું જ જ્ઞાન છે, તેને સોંપેલું કામ કઈ રીતે કરાય, એની એને ખબર છે. એટલે તે આપણને, તે ધ્યેય પ્રાપ્ત કરવા અંગેના સંદેશા મોકલવાનું શરુ કરે છે, કઈ રીતે? આપણે રાબેતા મૂજબ જીવતા હોઈએ અને કોઈ દિવસ અચાનક જ આપણને સ્ફૂરણા થાય કે, “માઈક્રોસોફ્ટમાં ઇન્ટરવ્યૂમાં પાસ થવા માટે અમુક બૂક વાંચવી જોઈએ.” અને આપણે એ બુક વાંચવા માંડીએ. વળી, કોઈક વાર ઓચિંતું જ સુઝે કે “અમુક જાણીતા નિષ્ણાતને મળીને, અમુક ટેકનીકલ બાબતો જાણી લેવી જોઈએ કે જે ઇન્ટરવ્યૂમાં કામ લાગે.” અને આપણે એવા નિષ્ણાતને મળીને એ બધું જાણી પણ લઈએ. આવી સ્ફૂરણાઓ આપણા અર્ધજાગ્રત મને આપણને મોકલી હોય છે.
અર્ધજાગ્રત મનની શક્તિ એટલી વિશાળ છે કે એ બીજા માણસોનાં અર્ધજાગ્રત મન સાથે પણ જોડાય છે, તેની સાથે ઇન્ટરએક્શન કરે છે, આપણું અર્ધજાગ્રત મન, માઈક્રોસોફ્ટ કંપનીના ઇન્ટરવ્યૂ લેનારના અર્ધજાગ્રત મન સુધી પહોંચીને પણ, “તમે ઇન્ટરવ્યૂમાં પસંદ થાઓ” એવું વાતાવરણ ઉભું કરે છે. ઘણી વાર, તો આપણું અર્ધજાગ્રત મન વિશ્વચેતનાનો ઉપયોગ કરી, “તમે સિલેક્ટ થાવ” એવો આખો માહોલ ઉભો કરે છે. અને, છેલ્લે, તમે સિલેક્ટ થઇ જાઓ છો !! બોલો, જોઈ ને, અર્ધજાગ્રત મનની તાકાત? “મન હોય તો માળવે જવાય” એ ગુજરાતી કહેવત આ વાતને સાર્થક કરે છે.
આ કંઈ ગપગોળા નથી. પણ દુનિયાના ઘણા ભણેલાગણેલા વિદ્વાન માણસોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધી કાઢેલી રીત છે. અને ઘણા લોકોએ આ રીતે અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરીને પરિણામો મેળવેલાં છે. મેં પણ એવું ઘણી વાર અનુભવ્યું છે કે રાતે એન્જીનીયરીંગના વિષયનો કોઈ દાખલો ગણવા બેઠો હોઉં, અને એ દાખલો ના આવડ્યો હોય, પછી સૂવા પડું અને એ દાખલો યાદ કરતાં કરતાં ઉંઘી જાઉં, સવારે જાગું ત્યારે એ દાખલો ગણવાની રીત જડી ગઈ હોય. આ કામ અર્ધજાગ્રત મને રાત્રિ દરમ્યાન કરી નાખ્યું હોય, અને સવારે મને પ્રેરણા આપી હોય.
અર્ધજાગ્રત મનની શક્તિઓ વિષે ઘણાં પુસ્તકો લખાયાં છે. એમાંનું એક જાણીતું પુસ્તક “The power of your subconscious mind” છે. તેના લેખક Joseph Murphy છે. આ વિષયને લગતું એક ગુજરાતી પુસ્તક પણ ખૂબ જાણીતું છે. એ પુસ્તકનું નામ “પ્રેરણાનું ઝરણું” છે, અને એના લેખક છે, ડો. જીતેન્દ્ર અઢિયા.
છેલ્લે, એક ખાસ વાત કહું કે અર્ધજાગ્રત મનની શક્તિઓનો અસરકારક ઉપયોગ કરવા માટે તમારે, અમુક બાબતો અમલમાં મૂકવી જરૂરી છે. આ બાબતોની વિગતે વાત હવે પછીના લેખમાં કરી, આ વિષય પૂરો કરીશું.