અમદાવાદનું એક આકર્ષણ ‘અમદાવાદની ગુફા’

                             અમદાવાદનું એક આકર્ષણ ‘અમદાવાદની ગુફા’

‘અમદાવાદની ગુફા’ તો તમે જોઈ જ હશે. ગુજરાત યુનીવર્સીટી વિસ્તારમાં, વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સાયંસ સેન્ટરની બિલકુલ બાજુમાં આ ગુફા આવેલી છે. આ કોઈ કુદરતી ગુફા નથી, પણ ભોંયરામાં કૃત્રિમ  રીતે બનાવેલી ગુફા છે, અને તે કલાનો એક ઉત્તમ નમૂનો છે. ચિત્રકાર એમ. એફ. હુસૈનની કલ્પનાને સાકાર કરતી, સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ સર્જેલી આ ગુફા છે. તેઓએ આ ગુફા ઈ.સ. ૧૯૯૩માં બનાવી છે, અને મુલાકાતીઓ માટે એક અનેરું આકર્ષણ ઉભું કર્યું છે. આ ગુફા પહેલાં ‘હુસૈન દોશી ગુફા’ તરીકે ઓળખાતી હતી, હવે તે ‘અમદાવાદની ગુફા’ તરીકે જાણીતી છે.

થોડાં પગથિયાં ઉતરી તમે ગુફામાં પ્રવેશો એટલે એમાં દિવાલો પર ચિત્રકાર હુસૈનનાં દોરેલાં ચિત્રો અને આકારો જોવા મળે છે. આ ગુફાની છત ઘણા નાનામોટા ગુંબજોની બનેલી છે. આ ગુંબજો અંદરથી નાનામોટા અનિયમિત થાંભલાઓ પર ટેકવાયેલા છે. ગુંબજો પર બહાર મોટા નાગનું ચિત્ર દોરેલું નજરે પડે છે.

આ ગુફામાં ચિત્રોનાં પ્રદર્શનો યોજવાની અને ફિલ્મો રજૂ કરવાની સગવડ છે. અવારનવાર આવાં પ્રદર્શનો અહીં યોજાય છે. ગુફા અંદરથી જોવાની ગમે એવી છે. કલા, સ્થાપત્યો અને ફરવાનો શોખ ધરાવતા ઘણા લોકો આ ગુફા જોવા આવે છે.

ગુફાની બહાર ગાર્ડન અને રેસ્ટોરન્ટ છે. ગુફાની જોડે સુંદર મજાની આર્ટ ગેલેરી છે. ગુફાની બહાર ઝાડ પર ‘અમદાવાદની ગુફા’નું બોર્ડ લગાવેલું છે, તે તરત જ ધ્યાન ખેંચે છે. ગુફા જોવાની કોઈ ફી નથી, ફોટા પાડવાની છૂટ છે. ગુફા જોવાનો સમય સાંજના ૪ થી ૮ સુધીનો છે, સોમવારે બંધ રહે છે. ફોન કરીને જવું હોય તો તેનો ફોન નંબર 079 2630 8698 છે. આ સાથે ગુફાના થોડા ફોટા મૂક્યા છે.

અમદાવાદની ગુફાની નજીક જ ‘એલ. ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી’ આવેલી છે. તે પણ સાથે સાથે જોવા જઈ શકાય.

1_Amdavad Ni Gufa

1c

2c

3a

3c

3n

3r

5a

8c

 જતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ

                             જતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ

ઉત્તર પ્રદેશમાં આવેલા ગિરિરાજજી પર્વતનું નામ કોણે નહિ સાંભળ્યું હોય? આ પર્વત મથુરાથી ૨૧ કી.મી. દૂર આવેલો છે. કૃષ્ણ ભગવાને આ પર્વત ટચલી આંગળી પર તોળ્યો હતો, અને મથુરાવાસીઓને એની નીચે સાત દિવસ સુધી રક્ષણ આપ્યું હતું. એ બહુ જ જાણીતી કથા છે. બહુ જ લોકો આ પર્વતની પાંચ, સાત કે નવ કોશની પરિક્રમા કરતા હોય છે. આ પરિક્રમા, ગિરિરાજ પર્વતની તળેટીમાં આવેલા જતીપુરા ગામ આગળ આવેલી દંડવતી શિલા આગળથી શરુ થતી હોય છે.

અહીં જતીપુરા વિષે થોડી વાત કરીએ. ગિરિરાજ પર્વત પર અનેક નાનામોટા પત્થરો (શિલા) છે, તળેટીમાં જતીપુરા ગામ આગળ આવી એક શિલાને શ્રી ગિરિરાજ ભગવાનનું સ્વરૂપ આપી તેની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપને મુખારવિંદ કહે છે. અહીં સાંજના સમયે સ્વરૂપને શણગાર આપી તેમની આરતી કરાય છે. મૂર્તિ બહુ જ દેદીપ્યમાન અને ભવ્ય લાગે છે. આરતી સમયે અહીં પુષ્કળ લોકો દર્શને આવે છે, ખૂબ ભીડ થાય છે, પણ દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે.

જતીપુરા ગામમાંથી મુખારવિંદ સુધી પહોંચવા માટે એક સાંકડી ગલીમાંથી પસાર થવું પડે છે. આ ગલીની બંને બાજુ પુષ્કળ દુકાનો લાગેલી છે. દુકાનો છેક મુખારવિંદના ચોક સુધી લાગેલી છે. આને લીધે મુખારવિંદની જગા બહુ સાંકડી લાગે છે. વળી, દુકાનો આગળ ગંદકી, ગલીનો રસ્તો પણ ખાડાખબૂચાવાળો, ગિરદી ખૂબ, વચ્ચે ગાયો અને કૂતરાં પણ હોય, ચંપલ કાઢવાની કોઈ ખાસ જગા નહિ, ચંપલ ચોરાઈ જવાની બીક – આ બધાને લીધે દર્શન કરવા જવામાં ખૂબ તકલીફ પડે છે. આ મંદિર દેશવિદેશોમાં પણ જાણીતું છે, બહારથી સુધરેલા દેશના લોકો અહીં જોવા આવે, ત્યારે તેઓ આપણા દેશની કેવી છાપ લઈને જતા હશે? આ બધું સુધારવાની ખાસ જરૂર છે.

બીજું કે ગિરિરાજજીના આ મુખારવિંદને દૂધ ચડાવવાનો મહિમા બહુ મોટો છે. લોકો અહીં નિશ્ચિત સમય દરમ્યાન દૂધ ચડાવે છે. દૂધ ચડાવવા માટે લોકો બહુ જ ધક્કામુક્કી કરે છે. ખબર નહિ, આવી ધક્કામુક્કી કરી આગળ પહોંચી દૂધ ચડાવનારને કેટલું પુણ્ય મળતું હશે? કાચાપોચા માણસનો તો નંબર ઝટ આવે જ નહિ. વળી, દૂધ ઢોળાય, એની ગંદકી થાય, લપસી જવાય અને ટોળામાં પડી જવાય તો વાગે. એને બદલે એક લાઈન કરી હોય તો દૂધ ચડાવવામાં કોઈને ય તકલીફ ના પડે. પણ આ કામ કોઈ જ કરતુ નથી. ઉપરાંત, ચડાવેલું આ દૂધ એક નીકમાં આગળ વહે છે. તે બગડે, એટલે એની ગંદી દુર્ગંધ આવ્યા કરે છે. એને બદલે તમને જો ગિરિરાજજીમાં શ્રધ્ધા જ હોય, તો દૂધ તેમના શિરે ચડાવવાને બદલે ગરીબ લોકોને પીવા આપો તો ભગવાન વધુ પ્રસન્ન થાય, તથા દૂધનો વેડફાટ અને ગંદકી ના થાય. પણ આવી વસ્તુ યે કોઈ સમજવા તૈયાર નથી.

આશા રાખીએ કે જતીપુરામાં સત્તાધીશ લોકો મુખારવિંદ આગળ આવા સુધારા કરે.

અર્ધજાગ્રત મન વિષે ખાસ બાબતો

                                        અર્ધજાગ્રત મન વિષે ખાસ બાબતો

અર્ધજાગ્રત મનને કામ સોંપવાનું તો હવે તમને આવડી ગયું છે.અર્ધજાગ્રત મનને બધું જ જ્ઞાન છે. તેની પાસે બધા જ પ્રશ્નોના ઉકેલ છે. તેને સોંપેલું કામ કઈ રીતે કરવું, એની એને પૂરી ખબર છે. એટલે એને કામ સોંપાયા પછી, એ તમને સ્ફુરણાઓ દ્વારા એ કામ કરવાની રીતની જાણ કરે છે, તમે એ સ્ફુરણાઓને અનુસરો એટલે તમારું કામ થાય જ. આ રીતે તમે જીવનમાં નક્કી કરેલાં બધાં ધ્યેય પ્રાપ્ત કરી શકો. તમે ધારો એ બધું જ મેળવી શકો. આમ, જીવનમાં સુખની કોઈ કમી ના રહે.

બીજી એક બાબત ખાસ યાદ રાખવાની કે અર્ધજાગ્રત મનને પોતાની કોઈ વિચારશક્તિ નથી. એ ફક્ત નોકરની જેમ કામ જ કરે છે. એટલે જો એને ખોટું કામ સોંપાઈ જાય, તો એ ખોટું કામ પણ કરવા જ માંડે. એટલે એને કામ સોંપતી વખતે ખૂબ કાળજી રાખવી.

બીજી થોડીક બાબતો:

(૧) આપણે જે મેળવવું છે, જે ધ્યેય પ્રાપ્ત કરવું છે, તે મેળવવાની આપણને તીવ્ર ઈચ્છા, પ્રબળ ઝંખના (Burning Desire) હોવી જોઈએ.

(૨) જીવનમાં હકારાત્મક બનવું જરૂરી છે. જો તમે હકારાત્મક જીંદગી જીવતા હશો, તો તમારું અર્ધજાગ્રત મન વધુ અસરકારક રીતે કામ કરશે. તમારા ધ્યેય વિષે વિચારતા હો ત્યારે તમારું મન ધ્યેયના વિચારથી લાગણીવિભોર બની જવું જોઈએ.

(૩) ગુસ્સો ના કરવો.

(૪) આપણે બીજા લોકોની ભૂલો કે તેમના સ્વાર્થીવેડાને બહુ યાદ રાખતા હોઈએ છીએ. એવા લોકો માટે આપણા મનમાં રોષ પ્રગટે છે. એ રોષને દૂર કરી, તેમની ભૂલો માટે તેમને માફ કરવાની વૃત્તિ કેળવવી જોઈએ.

(૫) અર્ધજાગ્રત મનની શક્તિઓ પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ.અર્ધજાગ્રત મન પર શ્રધ્ધા હોવી જોઈએ. “અર્ધજાગ્રત મન કામ કરશે કે નહિ” એવી શંકા ન હોવી જોઈએ.

(૬) અર્ધજાગ્રત મન એ કદાચ શરીરમાં રહેલો ‘જીવાત્મા’ કે ભગવાનનો અંશ જ છે. અર્ધજાગ્રત મન કામ કરતુ અટકી જાય, એટલે શરીરની બધી પ્રવૃત્તિઓ (હૃદય ધબકવું વગેરે) અટકી જાય, અને માણસનું મૃત્યુ થાય.

(૭) અર્ધજાગ્રત મન એ ભગવાને મૂકેલો જીવાત્મા હોવાથી, એ બીજા લોકોના અર્ધજાગ્રત મન સાથે પણ સંપર્ક કરી શકે છે. વિશ્વમાં જે શક્તિઓ છે, એ બધા સાથે પણ એ સંપર્ક કરી શકે છે. આથી, એને બધું જ કામ કરતાં આવડે છે.

તમે તમારા અર્ધજાગ્રત મનને ઓળખો. તેની સાથે થોડો સમય વિતાવો. તમારી અંદરની દુનિયામાં ડોકિયું કરવાની ટેવ પાડો, તે તમારાં બધાં કામ કરી આપશે. તમારું જીવન ધન્ય થઇ જશે. અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગના જીનની જેમ અર્ધજાગ્રત મન બધાં જ કામ કરી આપશે.

આમ છતાં, ઘણા લોકો દુખી કેમ છે? કેમ કે તેમને અર્ધજાગ્રત મન વિષે બહુ ખબર નથી, અથવા તો અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરતાં આવડતો નથી. તેમને ઉપર લખી એ બધી બાબતોનો ખ્યાલ નથી. એટલે તમે આ બધું વિચારો, જીવનનો રાહ બદલો. પછી જુઓ કે અર્ધજાગ્રત મન તમને સુખની ચરમસીમાએ પહોંચાડે છે કે નહિ.

ઘણા લોકોએ અર્ધજાગ્રત મનની શક્તિઓનો ઉપયોગ કરીને ઘણું મેળવ્યું છે. (એક સાદું ઉદાહરણ લખું. તમે રાત્રે નક્કી કરીને સુઈ જાવ કે સવારે પાંચ વાગે ઉઠવું છે, તો એલાર્મ મૂક્યા વગર જ તમે પાંચ વાગે ચોક્કસ જાગી જશો. આ અર્ધજાગ્રત મનની શક્તિ છે.) ભગવાન બુદ્ધ, મહાપ્રભુજી વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા – આવા મહાપુરુષોએ જે સિધ્ધિઓ મેળવી છે, કે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, તે તેમણે તેમના અર્ધજાગ્રત મન દ્વારા જ મેળવ્યું છે.