હાઉડી મોદી

                                                      હાઉડી મોદી

એક અદ્ભુત ઉત્સવ ઉજવાઈ ગયો ! એ ઉત્સવનું નામ ‘હાઉડી મોદી’. અમેરીકાના હ્યુસ્ટન શહેરને આંગણે તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરીકાના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે, પચાસ હજારથી વધુ ભારતીયોની હાજરીમાં પોતાની અને બંને દેશોની દોસ્તીની વાત કરી. ભારતના અને દુનિયાના લાખોકરોડો લોકોએ આ પ્રોગ્રામ ટીવી પર ‘લાઈવ’ નિહાળ્યો, એનાથી રૂડું બીજું શું હોઈ શકે? મોદીની લોકપ્રિયતા અને દેશનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા જોઇને એકેએક ભારતીયનું હૈયું આનંદથી નાચી ઉઠ્યું હશે. પ્રોગ્રામમાં મોદીજી અને ટ્રમ્પ હાથમાં હાથ ભીડાવી, લોકોની વચ્ચે સ્ટેડીયમમાં ફર્યા, એ દ્રશ્ય તો ભલભલા માનવીના મનને ભીંજવી ગયું હશે.

છેલ્લા બેએક મહિનાથી ‘મોદી હ્યુસ્ટનમાં આવવાના છે’ એનો નાદ મનમાં ગુંજતો હતો. અહીં હ્યુસ્ટનના NRG સ્ટેડીયમમાં તેઓ ભારતીયોને સંબોધન કરવાના હતા. આ સ્ટેડીયમની કેપેસીટી લગભગ ૬૦,૦૦૦ માણસોને બેસાડી શકે એટલી છે. મોદીજીને સાંભળવા જવા માટે કોઈ ટીકીટ રાખેલી ન હતી. ફક્ત અગાઉથી ઓનલાઈન રજીટ્રેશન કરાવવાનું એટલું જ. અહીં હ્યુસ્ટનના લોકોએ તો રજીટ્રેશન કરાવ્યું , એટલું જ નહિ, અમેરીકાનાં ઘણાં શહેરો ડલાસ, ન્યૂયોર્ક, વોશીંગટન અને બીજાં નાનાંમોટાં અનેક સ્થળોએથી લોકોએ નોંધણી કરાવી. દૂરનાં શહેરોના લોકો તો વિમાનનાં ભાડાં ખર્ચી, અહીં હોટેલમાં રૂમ રાખી, મોદીજીને સાંભળવા માટે આવ્યા. નોંધણી કરાવનાર દરેકને સીટ નંબર આપેલ હતો.

પ્રોગ્રામનું પ્લાનિંગ એટલું પરફેક્ટ હતું કે ના પૂછો વાત. પચાસ હજાર લોકો માટે તો કાર પાર્કીંગ સ્ટેડીયમમાં ના થઇ શકે. એટલે પ્રોગ્રામના દિવસે, હ્યુસ્ટનમાં ઘણી જગાઓ જેવી કે હિંદુ મંદિરો અને અન્ય જાહેર જગાઓએથી બસોની વ્યવસ્થા રાખી હતી. લોકોએ આવી જગાએ પોતાની ગાડી મૂકી દઈ, બસોમાં સ્ટેડીયમ જવાનું. બધા જ લોકો આ રીતે સ્ટેડીયમ પહોંચીને પોતપોતાની સીટો પર ગોઠવાઈ ગયા. ક્યાંય કોઈ દોડાદોડી કે બૂમાબૂમ નહિ, કોઈ કન્ફયુઝન નહિ. કોઈ ગિરદી કે ધક્કામુક્કી નહિ. સંપર્કમાં આવતા માણસો વચ્ચે, સ્માઈલ સાથે ‘થેંક્યુ’ અને ‘સોરી’ જેવા શબ્દો સાંભળવા મળે.

વાતાવરણ એવું લગતું હતું કે હ્યુસ્ટન જાણે કે ભારતનું જ એક શહેર હોય. મોદીજીના આવતા પહેલાં, દોઢ કલાક જેટલો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમાં ભારતના વિવિધ પ્રદેશોના કલાકારોએ તેમની ભાષામાં નૃત્ય, સંગીત અને ગીતો રજૂ કર્યાં. મોદીજી બિલકુલ સમયસર આવી પહોંચ્યા, ત્યારે સ્ટેડીયમમાં લોકોએ ‘મોદી, મોદી’ના નારા લગાવી તેમનું જોરદાર સ્વાગત કર્યું. પછી, ટ્રમ્પ આવ્યા, એટલે બંને મિત્રો એકબીજાને ભેટ્યા, હસ્તધૂનન કર્યું, અને સાથે જ સ્ટેજ પર પધાર્યા. સ્કુલમાં ભણતા બે મિત્રો એકબીજાને મળીને કેવા ખુશ થાય, એવો એ સીન હતો. કોઈ જ ઔપચારિકતા નહિ. અમેરીકા જેવા દુનિયાના નંબર વન શક્તિશાળી દેશનો વડો, ભારતના વડાપ્રધાનને મળવા સામેથી આવે અને આટલું માન આપે, એ મોદીજીની સફળતા, પ્રેમ અને વિશ્વાસ ઉભો કરવાની તાકાત છે.

અમેરીકા અને ભારતનાં રાષ્ટ્રગીતો ઉપરાંત, ગાંધીજીને પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ સુંદર સ્વરોમાં રજૂ થયું. મોદીજીએ ટ્રમ્પનું સ્વાગત કરતાં, પોતાની મિત્રતા દોહરાવી અને ટ્રમ્પની શક્તિઓ તથા તેમના ભારત સાથેના હુંફાળા સંબંધોની વાત કરી. ત્યાર બાદ, ટ્રમ્પે પોતાના ભાષણમાં ભારત સાથે સહકાર અને આતંકવાદ સામે લડવાની વાત રજૂ કરી.

પછી મોદીજીએ સતત એક કલાક સુધી, પોતાની અસલી અદામાં વાતો કરીને લોકોને ખુશ ખુશ કરી દીધા. ‘હાઉડી મોદી’ એટલે કે How do you do, Modi?‘ ‘મોદીજી, તમે કેમ છો?’ મોદીએ એનો ભારતની બધી ભાષાઓમાં જવાબ આપ્યો, ‘અમે મજામાં છીએ.’ મોદીજી કેટલી બધી ભાષાઓમાં આ જવાબ તૈયાર કરીને આવ્યા !  કોઈ કાગળમાં જોયા વગર તે બોલ્યા. ભારતના વિકાસને લગતાં જે કામો કર્યાં છે, તેનું આંકડાઓ સાથે બયાન કર્યું. ખરેખર, મોદીજીને સરસ્વતી દેવી પ્રસન્ન છે. મોદીજીએ દેશ માટે કામ કરવાની અને દરેક નાનામાં નાના માણસને બધી સગવડો મળે તે માટે કામ કરવાની મક્કમતાપૂર્વક વાત કરી. ખાસ તો મોદીએ ટ્રમ્પને પરિવાર સહિત ભારત પધારવાનું આમંત્રણ આપ્યું, એ બહુ ગમતી વાત હતી.

છેલ્લે તો, અગાઉ કહ્યું તેમ, મોદી અને ટ્રમ્પ હાથમાં હાથ ભીડી, બીજા હાથે લોકોનું અભિવાદન કરતા લોકોની સીટો આગળથી પસાર થયા, ત્યારે બધાને તેમની દોસ્તીનો પાક્કો અહેસાસ થઇ ગયો. દુનિયાની બે સહુથી મોટી લોકશાહીના નેતાઓ આ રીતે આટલા બધા લોકો સમક્ષ, કોલેજની લોબીમાં ફરતા મિત્રોની જેમ ફરે, એ અજોડ ઘટના છે. આવું દ્રશ્ય પહેલાં ક્યાંય જોયું નથી. આ મિત્રતા ભારત અને દુનિયાને ચોક્કસ એક નવી પ્રગતિશીલ દુનિયામાં લઇ જશે, એ વિષે બેમત નથી. મિત્રો, તમને શું લાગે છે?

પ્લાસ્ટીકને બદલે પતરાળાં અને માટીનાં વાસણોનો ઉપયોગ

                     પ્લાસ્ટીકને બદલે પતરાળાં અને માટીનાં વાસણોનો ઉપયોગ

અમે ડાયનીંગ ટેબલ પર જમવા કે ચાનાસ્તો કરવા બેઠા હોઈએ ત્યારે જાતજાતની ચર્ચા નીકળે. એમાં ઘરગથ્થું વાતો ઉપરાંત ઘણા કરન્ટ ટોપિક પર ચર્ચા થાય. ચંદ્રયાન-૨, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં કામ, કાશ્મીર…. જેવા વિષયોની વાતો પણ નીકળે. આજનો વિષય હતો પ્લાસ્ટીકના ઉપયોગ વિષે. એની વાત અહીં લખું છું.

અત્યારે પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા વિષે બહુ જ વાતો ચાલે છે. આપણી રોજિંદી જીંદગીમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. પીવાના પાણીની બોટલો, જમવાની ડીશો, ચમચીઓ, બાઉલ, ચાના કપ, પાણી પીવાના ગ્લાસ, ડોલ, ટમ્બલર, સાબુનું બોક્ષ, પાટલી, બજારમાં ખરીદેલી વસ્તુઓ ભરવા માટે વપરાતી કોથળીઓ…..લીસ્ટ બહુ જ લાંબુ છે. આવી ચીજોનો વપરાશ વધવાનાં ઘણાં કારણો છે. પ્લાસ્ટીકની ચીજો કારખાનાંમાં સહેલાઇથી અને સસ્તામાં બને છે. પ્લાસ્ટીકનાં વાસણો દેખાવમાં સરસ હોય છે, ખાધા પછી ધોવાનું સહેલું છે. મોટા ભાગની ચીજો, ચમચી, ગ્લાસ વગેરે તો વાપરીને ફેંકી જ દેવાનાં હોય છે, તેમને ધોવાનાં પણ નથી હોતાં.

આમ છતાં, પ્લાસ્ટીકની ચીજો વાપરવાનાં નુકશાન પણ ઘણાં છે. આપણે પ્લાસ્ટીકની ચીજો જેવી કે પાણીની બોટલો, કોથળીઓ, ચમચીઓ, ગ્લાસ વગેરે વાપર્યા પછી કચરા તરીકે જે ફેંકી દઈએ છીએ, તે બધું સેંકડો વર્ષો સુધી નાશ નથી પામતું. તે પૃથ્વી પર જમીનમાં સચવાઈ રહે છે, તેનાથી જમીનનો કસ ઓછો થઇ જાય છે. તેને બાળી કે દાટી દઈએ તો પણ તેના અવશેષો નાશ નથી પામતા. આમ, તે પર્યાવરણને ખૂબ જ નુકશાન કરે છે. વળી, આપણે ત્યાં તો રખડતી ગાયો પ્લાસ્ટીકની કોથળીઓ ખાઈને શરીરને નુકશાન કરે છે. આપણે પણ પ્લાસ્ટીકનાં વાસણોમાં રાંધીએ, પ્લાસ્ટીકની ડીશોમાં ખાઈએ કે પ્લાસ્ટીકની બોટલ અને ગ્લાસમાં પાણી પીએ તે નુકશાનકારક છે. શાક, દાળભાત જેવું ગરમ ખાવાનું તો પ્લાસ્ટીકની ડીશોમાં ના જ ખાવું જોઈએ. એનાથી કેન્સર જેવા રોગો થવાની શક્યતા રહે છે.

આ બધામાંથી બચવાનો ઉપાય એ છે કે ખાવાનાં સાધનોમાં પ્લાસ્ટીકની ચીજો વાપરવાનું બંધ કરવું. અને બાકીની જગાએ જ્યાં પ્લાસ્ટીક વપરાય છે, ત્યાંથી નીકળતો પ્લાસ્ટીકનો કચરો રીસાઈકલ કરવો અથવા તેને કોઈ અવાવરું જગાએ ઊંડે દાટી દેવાની વ્યવસ્થા કરવી. તો માનવજાત, ગાયો અને પર્યાવરણ બધું બચી શકશે.

હવે ખાવાની બાબતમાં, રસોડામાં પ્લાસ્ટીક ન વાપરવું હોય તો શું કરવું? તેની વિગતે વાત કરીએ. થોડાં વર્ષો પહેલાં, આશરે ચાલીસ વર્ષો અને તેનાથી યે જૂના વખતમાં આપણાં ગામડાંઓમાં ક્યાંય પ્લાસ્ટીક વપરાતું ન હતું. રસોઈ કરવા માટે પિત્તળ અને સ્ટીલનાં વાસણો વપરાતાં હતાં, જમવા માટે થાળી, વાટકા, ચમચી, ગ્લાસ બધું પિત્તળ કે સ્ટીલનું વપરાતું હતું. ચા પીવા માટે કાચનાં કપરકાબી હતાં. મોટા જમણવારમાં આજે પણ પિત્તળ કે સ્ટીલની બુફે ડીશો વાપરી શકાય. જમ્યા પછી આ ડીશોને ધોવાની વ્યવસ્થા કરવી પડે.

પહેલાં લગ્ન કે બીજા પ્રસંગે જમણવારોમાં પતરાળાં-પડિયા વપરાતા હતા. આજની પેઢીને તો આ પતરાળાં-પડિયા વિષે કશો જ ખ્યાલ નહિ હોય, કદાચ જોયાં પણ નહિ હોય. પણ જો આપણે આ પતરાળાં-પડિયા તરફ પાછા વળીએ, તો પ્લાસ્ટીકનાં વાસણોનો જમવામાં ઉપયોગ બંધ કરી શકાય. પતરાળાંમાં જમ્યા પછી, તેને ફેંકી દેવાનાં હોય છે, એટલે ધોવાની તકલીફ પણ નથી. આરોગ્યને કોઈ જ નુકશાન નથી. પર્યાવરણ પણ બગડતું નથી.

પહેલાંનાં જમાનામાં પતરાળાં-પડિયા એક ગૃહ ઉદ્યોગ હતો. પતરાળાં-પડિયા ખાખરાનાં પાનમાંથી બનાવાય છે. બનાવવાનું ખૂબ જ સહેલું છે. ઘરની દરેક વ્યક્તિ તે આસાનીથી બનાવી શકે છે. આશરે ચાલીસ વર્ષ પહેલાંની ગામડામાં રહેતી દરેક વ્યક્તિને આ કામ આવડતું હશે. અત્યારે જો આ ગૃહ ઉદ્યોગ ફરી શરુ કરાય તો પૂરતા પ્રમાણમાં પતરાળાં-પડિયાનો જથ્થો મળી રહે. અને કેટલા બધા લોકોને રોજીરોટી મળી રહે ! એક વસ્તુ કે પતરાળાં-પડિયાથી બુફે જમવાનું ના થઇ શકે, કેમ કે પતરાળું હાથમાં લઇ તમે ઉભા ઉભા ખાઈ ન શકો. એનો પણ વાંધો નહિ. લાઈનમાં ટેબલખુરસી ગોઠવી દઈ, તેના પર બેસી, પીરસવાની પદ્ધતિથી જમવાનું થઇ શકે. એક જમાનામાં આવી પ્રથા પણ હતી જ ને !

તમિલનાડુમાં ઘણા લોકો હજુ યે કેળનાં પાનમાં જમે છે. સોપારીના ઝાડનાં પાન મોટાં હોય છે, તેમાં પણ જમી શકાય. સોપારીનાં પાનમાંથી થાળી, વાટકા બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.

વળી, ઘણી જગાએ માટીનાં વાસણ પણ વાપરી શકાય. પહેલાં રોટલા બનાવવા માટે માટીના કલેડાનો ઉપયોગ થતો હતો. પીવાનું પાણી ભરવા માટે માટલાં હજુયે વપરાય છે. નાથદ્વારા અને ઘણી જગાએ ચા પીવા માટે માટીની કુલડીનો ઉપયોગ થાય છે.

આપણા રોજીંદા જીવનમાં આવા ફેરફાર લાવીશું  તો પ્લાસ્ટીકની તકલીફોમાંથી બચી જઈશું. તમે શું માનો છો?

આપણો રોજનો સાત્વિક આહાર અને કસરતો કેવાં હોવાં જોઈએ?

                      આપણો રોજનો સાત્વિક આહાર અને કસરતો કેવાં હોવાં જોઈએ?

અત્યારે આપણા સમાજમાં, તંદુરસ્ત રહેવા અંગે ઘણી જાગૃતિ આવી ગઈ છે. આપણે બધા આ અંગે ઘણું વાંચીએ છીએ, જાણીએ છીએ અને અમલમાં પણ મૂકીએ છીએ. આવી બધી માહિતીમાંથી, નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે, આપણો રોજનો ખોરાક અને કસરતો કેવાં હોવાં જોઈએ, એ અંગે મેં જે તારણો કાઢ્યાં છે, તે અહીં લખું છું. આમાં ફેરફાર હોઈ શકે, તમારા અભિપ્રાયો જણાવજો.

સવારે ઉઠીને આંખો પર પાણી છાંટવું.

રોજ સવારે ખુલ્લી હવામાં અડધો કલાક ચાલવા જવું. અઠવાડિયામાં એક રજા રાખી શકાય.

સવારે સૂર્યના તાપમાં આશરે પંદર મિનીટ બેસવું. (ઉનાળામાં ના બેસો તો ચાલે.)

જયારે યાદ આવે ત્યારે ઉંડા શ્વાસ લેવા.

જયારે યાદ આવે ત્યારે ભગવાનનું નામ લેવું.

આખા દિવસ દરમ્યાન આશરે ૧૨ ગ્લાસ પાણી પીવું. (પાણી ઉભા ઉભા ના પીવું, પણ બેસીને પીવું.)

રોજ સવારે દૂધીનો રસ પીવો, તેમાં તુલસી, મરી વગેરે નાખવું. (દૂધીનો રસ તૂરો હોવો જોઈએ. કડવો ના હોવો જોઈએ.)

રોજ આદુનો રસ, લીંબુ, મધ લેવું.

રોજની એક ટાઈમ ચા (સવારમાં) પૂરતી છે. ચામાં આદુ, ફુદીનો નાખવાં.

સવારે હળવો નાસ્તો કરવો. (મમરા, પૌઆ, ખાખરા વગેરે). સીરીયલ ન લો.

નહાતી વખતે શરીરનાં અંગોને ગરમ પાણીનો શેક થાય એવું કરવું.

રોજ નાહીને દસેક મિનીટ ભગવાનનું નામ લેવું.

રોજ એક કેળું ખાવું.

સૂકો મેવો લેવો : રોજ એક અખરોટ, બે બદામ, એક ખજૂર, એક અંજીર, સૂકી દ્રાક્ષ લેવાં.

રોજ એક કપ દૂધ પીવું. (દૂધ ગાય-ભેંસનું તાજું મળે તો વધુ સારું.)

બપોરે જમણમાં સામાન્ય રીતે દાળભાત, રોટલી, લીલું શાક ખાવું. સાથે તાજું દહીં કે છાશ, સલાડ વગેરે લેવું. દાળમાં આદુ નાખવું. દાળમાં લીંબુ પણ લેવું. રોટલી પર ઘી પ્રમાણસર. જમવા સાથે લીલી હળદર, આંબામોર, ધાણાની ચટણી, લસણ, કાચી કેરીનો છૂંદો, લઇ શકાય. છૂંદો, અથાણું, પાપડ-પાપડી ક્યારેક લેવાં, રોજ નહિ. શાકમાં બટાકા ઓછા ખાવા. ક્યારેક કઢી બનાવી શકાય.

લીલાં શાકનું લીસ્ટ : ભીંડા, પરવળ, ટીન્ડોરાં, કંકોડાં, દૂધી, રીંગણ, પાલક, મેથી, તાંદળજા, વાલોળ, ચોળી, ગવાર, ફણસી, સરગવો, શક્કરિયાં, કોબીજ, ફ્લાવર

સલાડ : કાકડી, ટામેટા, મૂળા, ગાજર, બીટ, ડુંગળી

મુખવાસ : તલ

જમીને હાથ ધોઈને કોગળા કરવા.

ખાતી વખતે પાણી ન પીવું. જમ્યા પછી એકથી દોઢ કલાક પછી પીવું.

બપોર પછી નાસ્તામાં ફ્રુટ લઇ શકાય. અથવા શેકેલા ચણા, થોડી સીંગ, બાફેલા ચણા વગેરે.

ફ્રુટનું લીસ્ટ : ચીકુ, દાડમ, પપૈયું, સફરજન, સંતરાં, નારંગી, મોસંબી, દ્રાક્ષ, અનેનાસ, નાસપતી, પેરુ, કેરી, જામફળ, તડબૂચ, બોર, જાંબુ, આમળાં, નાળિયેર વગેરે. ફળોના રસને બદલે ફળ સીધાં લો.

સાંજનું જમવાનું : સામાન્ય રીતે ભાખરી, શાક અથવા કઠોળ, ગોળ, ખીચડી અને દૂધ લેવું. એ ઉપરાંત, અલગ અલગ ફરતી આઇટેમ બનાવી શકાય. જેવી કે પરોઠા, ઢોકળાં, મૂઠીયાં, ઇદડાં, થેપલાં, હાંડવો, દાળઢોકળી, પૂડા, ખમણ, ખાંડવી, ઈડલી, ઢોંસા, ભાજીપાઉં, ઉત્તપા, દાળબાટી, બટાટાપૌઆ, ઉપમા, દાબેલી, વડા પાઉં, સબવેનો સબ વગેરે.

કઠોળનું લીસ્ટ : મગ, ચોળી, તુવેર, ચણા, વાલ

ક્યારેક શેરડીનો રસ પીવાય. નાળિયેરની ચટણી સારી. તેલ મગફળી, તલ કે નાળિયેરનું વાપરવું. લોકલ ખોરાક ખાવ, એટલે કે જે પ્રદેશમાં જે પાકતું હોય તે ખાવું. દરેક વસ્તુ પ્રમાણસર ખાવી. ઓવરડોઝ ન કરવો.

રોજ અનુકૂળ ટાઈમે અડધો કલાક હળવી કસરત કરવી. (હાથ-પગની કસરતો, એરોબીક્સ, પ્રાણાયામ, ધ્યાન, ઉંડા શ્વાસ, ઓમકાર વગેરે). અવારનવાર સાઈકલ ચલાવવી.

રોજ સૂતા પહેલાં દાંત પર મીઠું ઘસીને કોગળા કરવા.

શું ન ખાવું, અથવા બને એટલું ઓછું ખાવું? : બટાકા, ખાંડ-મીઠું, બ્રેડ, પાઉં, મેંદો, બિસ્કીટ, ચોકલેટ, કેક, પેક્ડ ફૂડ, ચીઝ, આઈસક્રીમ, બરફનો ગોળો, ઠંડાં પીણાં (કોકા કોલા, પેપ્સી વગેરે), તળેલી વાનગીઓ, મીઠાઈઓ

ન ખાવા જેવી અથવા ઓછું ખાવા જેવી તળેલી વાનગીઓનું લીસ્ટ : પૂરી, ભજીયાં, બટાકાવડાં, સેવ, પાપડી, ગાંઠિયા, ચેવડો, તળેલી ચણા દાળ, દાળવડાં, સમોસા, ફાફડા, કચોરી, પાણી પૂરી, ભાખરવડી, મઠિયાં વગેરે.

ન ખાવા જેવી અથવા ઓછું ખાવા જેવી મીઠાઈઓનું લીસ્ટ : લાડુ, મોહનથાળ, બુંદી, શીરો, જલેબી, ગુલાબજાંબુ, બાસુદી, પેંડા, હલવો, કાજુ કતરી, મગશ વગેરે.

ક્યારેક આવી મીઠાઈઓ ખાવામાં બહુ વાંધો નહિ : દૂધીનો હલવો, ગાજરનો હલવો, કોપરાપાક, દૂધપાક, શ્રીખંડ, અંજીરનો હલવો, રસગુલ્લાં, સુખડી

ન ખાવા જેવા આધુનિક ફૂડ : પીઝા, પાસ્તા, મેગી, હક્કા નુડલ, કસાડિયા, ફ્રેંચ ફ્રાઈઝ, ચીપ્સ, બ્રેડ સ્ટીક્સ

વિરુદ્ધ આહાર ન ખાવો, જેમ કે દૂધ સાથે ડુંગળી, ફ્રુટસલાડ વગેરે.

મૂળા, દહીં, છાસ સાંજે ન લેવાં.

ફ્રીઝનું પાણી ન પીવું.

બહાર હોટેલો, રેસ્ટોરન્ટ, લારી, ખૂમચા વગેરેમાં બને ત્યાં સુધી ના ખાવું.

ગુજરાતમાં ફરવા ક્યાં જશો? – ૨

                                   ગુજરાતમાં ફરવા ક્યાં જશો? – ૨

ગયા લેખમાં ગુજરાતમાં ફરવા જવાનાં સ્થળોનું લીસ્ટ જીલ્લા વાઈઝ લખ્યું હતું, તે અધૂરું હતું. હવે બાકીના જીલ્લાઓમાં ફરવાનાં સ્થળોનું લીસ્ટ અહીં જુઓ.

(૧૮) ડાંગ જીલ્લો : સાપુતારા, ગીરા ધોધ, વઘઈ બોટાનીકલ ગાર્ડન, કિલાડ કેમ્પ સાઈટ, ગૌમુખ ધોધ, ચીમેર ધોધ, ગીરામલ ધોધ, શબરીધામ, પંપા સરોવર, મહલ કેમ્પ સાઈટ, મહલ ધોધ, પૂર્ણા ધોધ, માયાદેવી, ડોન હીલ સ્ટેશન, અંજનીકુંડ

(૧૯) નવસારી અને વલસાડ જીલ્લા : ઉભરાટ બીચ, દાંડી, વાંસદા નેશનલ પાર્ક, અજમલગઢ, તીથલ, પારનેરા ડુંગર, દેવકા બીચ, દુધની, વિલ્સન હીલ, ફલધરા, બરૂમાળ, શંકર ધોધ

(૨૦) સુરેન્દ્રનગર જીલ્લો : તરણેતરનો મેળો અને ત્રિનેત્રેશ્વર મહાદેવ, જાખણનું રાજરાજેશ્વર ધામ, પાટડીમાં વર્ણીન્દ્ર ધામ

(૨૧) રાજકોટ શહેર : વોટસન મ્યુઝીયમ, કબા ગાંધીનો ડેલો, મોહનદાસ ગાંધી હાઈસ્કુલ, કોમ્યુનીટી સાયંસ સેન્ટર અને પ્લેનેટોરીયમ, રામકૃષ્ણ આશ્રમ અને જગત મંદિર, આજી ડેમ અને ગાર્ડન, ઇસ્કોન, પ્રદ્યુમ્ન પ્રાણીસંગ્રહાલય, ઈશ્વરીયા મંદિર

(૨૨) રાજકોટ અને મોરબી જીલ્લા : ઘેલા સોમનાથ, હિંગોળગઢ કિલ્લો, ગોંડલમાં ઓર્ચાર્ડ પેલેસ, નવલખા પેલેસ અને સ્વામીનારાયણ મંદિર, વીરપુરમાં જલારામ મંદિર, ખંભાલીડાની શૈલ બુદ્ધ ગુફાઓ, કાગવડમાં ખોડલધામ, વાંકાનેરમાં રણજીતવિલાસ પેલેસ, મોરબીમાં દરબારગઢ, ઝૂલતો પૂલ અને મણીમંદિર, રફાળેશ્વર મહાદેવ, રાજસમઢીયાળા

(૨૩) ભાવનગર શહેર : તખ્તેશ્વર મહાદેવ, નીલમબાગ પેલેસ, ગૌરીશંકર સરોવર, ભાવવિલાસ પેલેસ, બાર્ટન મ્યુઝીયમ અને ગાંધીસ્મૃતિ, લોક ગેટ, શામળદાસ કોલેજ, દરબારગઢ

(૨૪) ભાવનગર અને બોટાદ જીલ્લા : અયોધ્યાપુરમ, પાલીતણા, હસ્તગિરિ તીર્થ, રાજપરાનું ખોડિયાર મંદિર, ઘોઘા બીચ, કોડિયાકમાં નિષ્કલંક મહાદેવ, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ, ગોપનાથ મહાદેવ અને બીચ, બગદાણામાં બાપા સીતારામ આશ્રમ, ગઢડાનું સ્વામીનારાયણ મંદિર, ત્રમ્બક ધોધ, સણોસરામાં લોકભારતી

(૨૫) અમરેલી જીલ્લો : નાગનાથ મહાદેવ, લાઠીમાં ભુરખીયા હનુમાન, પીપાવાવ પોર્ટ

(૨૬) જૂનાગઢ શહેર : ઉપરકોટનો કિલ્લો, દામોદર કુંડ, ભવનાથ મહાદેવ, અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો, સક્કરબાગ ઝૂ, સાયન્સ મ્યુઝીયમ, વિલિંગટન ડેમ, દરબાર હોલ મ્યુઝીયમ, મહાબતખાનનો મકબરો, દાતાર હીલ

(૨૭) જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા : ગીરનાર પર્વત, સાસણગીર, સોમનાથ મહાદેવ, ભાલકા તીર્થ, અહમદપુર માંડવી, દીવ, ગુપ્ત પ્રયાગ, તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડ, સતાધાર, કનકાઈ માતા મંદિર, જમજીર ધોધ, પ્રાચી તીર્થ, બીલખા

(૨૮) જામનગર શહેર : દરબારગઢ, લાખોટા તળાવ, કોઠા બેસ્ટન, બાલા હનુમાન સંકીર્તન મંદિર, વિલિંગડન ક્રીસન્ટ, સોલારીયમ, પ્રતાપ વિલાસ પેલેસ, રણજીતસાગર ડેમ અને પાર્ક, ભુજીયો કોઠો, સ્વામીનારાયણ મંદિર

(૨૯) જામનગર અને દ્વારકા જીલ્લા: દ્વારકા, બેટ દ્વારકા, ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, હર્ષદ માતા, નરારામાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ખીજડીયા પક્ષી અભયારણ્ય, સસોઈ ડેમ, પીરોટન ટાપુ, ઘુમલીનાં સ્થાપત્યો

(૩૦) પોરબંદર શહેર અને જીલ્લો : કીર્તિ મંદિર, સુદામા મંદિર, પોરબંદર બીચ, હુઝુર પેલેસ, પ્લેનેટોરીયમ, ભારત મંદિર, દરબારગઢ પોરબંદર બર્ડ સેન્કચ્યુરી

(૩૧) ભુજ શહેર : પ્રાગ મહેલ, આયના મહેલ, સ્વામીનારાયણ મંદિર, હમીરસર તળાવ, કચ્છ મ્યુઝીયમ, હીલ ગાર્ડન, શરદબાગ પેલેસ, છાત્તરડી, ભુજીયો ડુંગર

(૩૨) કચ્છ જીલ્લો : આશાપુરા માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, પુંઅરેશ્વર મંદિર, કક્કડભીટ યક્ષ, સીયોટ ગુફાઓ, લખપત, રૂદ્રમાતા ડેમ અને મંદિર, મેકરણદાદા સમાધિ, ઘોરડોમાં કચ્છ રણોત્સવ અને સફેદ રણ, કાળો ડુંગર, ઇંડિયા બ્રીજ, સર ક્રીક, વીઘાકોટ બોર્ડર, હાજીપીર દરગાહ, ફોસિલ પાર્ક, ધોળાવીરા, વ્રજવાણી મંદિર, રવેચી માતા મંદિર, કંથકોટનો કિલ્લો, રોહા કિલ્લો, કોઠારા જૈન તીર્થ, પીંગલેશ્વર બીચ, માંડવીમાં વિજયવિલાસ પેલેસ અને બીચ, ક્રાંતિ તીર્થ, ગોધરામાં અંબે ધામ, કોડાયમાં ૭૨ જીનાલય, ભદ્રેસરમાં વસઈ જૈન તીર્થ, કેરા શિવ મંદિર, સુરલભીટ્ટમાં જડેશ્વર મહાદેવ, ટપકેશ્વરી માતા, ભુજોડીમાં વન્દેમાતરમ સ્મારક અને હીરાલક્ષ્મી પાર્ક, સૂરજબારી પૂલ, અંજારમાં જેસલતોરલની સમાધિ, આંતરજાલના પાતળિયા હનુમાન