દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ

                         દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ

“Happy Diwali”, “નવું વર્ષ આપને તથા આપના કુટુંબને શુભદાયી નીવડો”, “આપણા પર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીની કૃપા વરસતી રહો”……..આવા અનેક મેસેજ સગાસંબંધી અને મિત્રો તરફથી વોટ્સ અપ પર ઉતરી રહ્યા છે, કેટલાયે ફોરવર્ડ કરેલા મેસેજ આવી રહ્યા છે. હા, આપણી અત્યારની દિવાળી આ પ્રકારની છે.

પહેલાંની એટલે કે આજથી પચાસ-સાઈઠ વર્ષ પહેલાંની વાત કરું તો….ત્યારે અમે ગામમાં રહેતા હતા. ગામડાની દિવાળીનો માહોલ જ કોઈ ઓર હતો. સવારે વહેલા ઊઠવાનું, નાહીધોઈ સારાં સારાં કપડાં પહેરવાનાં, મીઠાઈ, ફરસાણ ખાવાનાં અને ખાસ તો કુટુંબના બધા સભ્યોની સાથે રહેવાનું. ગામમાં પણ બધાને હળવામળવાનું ખૂબ થાય. નવાં વર્ષની સાંજે તો ગામમાં બધા જ એકબીજાને ત્યાં જાય, ખભેખભા મિલાવીને હેતથી બધા મળે. સર્વત્ર આનંદ આનદ જ છવાઈ જાય. એ જે કુટુંબભાવના અને સમાજભાવના હતી, તે અદ્ભુત હતી.

આજે તો અમે પણ શહેરમાં રહેવા આવી ગયા છીએ. અને જોઈ રહ્યા છીએ કે દિવાળી તો આવે છે, પણ લોકો એકબીજાને મળવાનું ટાળે છે, સગાસંબંધીને ત્યાં જવાનું બંધ થઇ ગયું છે. ફક્ત ઔપચારિકતા રહી છે. ઘણા લોકો તો ખાસ દિવાળી વખતે જ ફરવા કે કોઈ રિસોર્ટમાં રહેવા ઉપડી જાય છે. પહેલાં દિવાળી કાર્ડ લખવાની પ્રથા હતી. આજે તે બિલકુલ વિસરાઈ ગઈ છે. એને બદલે વોટ્સ અપ મેસેજ કરી દેવાના, ફોરવર્ડ કરી દેવાના. આવા છાપેલા મેસેજ ફોરવર્ડ કરનારો ય ધ્યાનથી નહિ વાંચતો હોય અને રીસીવ કરનારો ય કેટલું વાંચતો હશે, કોણ જાણે?

તમે કહેશો કે આમાં ખોટું શું છે? ટપાલમાં દિવાળી કાર્ડ મોકલવાની કેટલી બધી જફા? કાર્ડ ખરીદો, લખો, ટીકીટ લગાડો, ટપાલના ડબ્બામાં નાખવા જાવ, એના કરતાં તો અત્યારે તો મેસેજ મૂકો અને તરત જ સામેવાળાના મોબાઈલમાં પહોંચી જાય. કેટલી બધી સગવડ !! પણ મારે કહેવું એ છે કે પહેલાં રૂબરૂ મળવામાં અને દિવાળી કાર્ડ લખવામાં જે આત્મીયતા હતી, જે આનંદ અને સંતોષ થતો હતો, તે આજની પ્રથામાં થાય છે ખરો? ત્યારે લોકો પાસે સમય જ સમય હતો, આજે આટઆટલી સગવડો હોવા છતાં લોકો પાસે સમય નથી.

મારું કહેવાનું એમ નથી કે પહેલાં જે હતું તે જ સારું હતું. પણ મારે એટલું કહેવું છે કે એ જૂની પ્રથાની દિવાળીમાં અમને જે કુટુંબ પ્રત્યે, કુટુંબના અને સમાજના સભ્યો વચ્ચે જે લગાવ હતો, તે આજે નથી રહ્યો. કુટુંબ પ્રત્યેની ભાવનાને લીધે, ગમે તેવા સંજોગોમાં પણ ટકી રહેવાનું બળ મળતું હતું. બધા બહુ જ હળીમળીને રહેતા હતા. આજની પેઢીએ તો આવી કુટુંબપ્રથા જોઈ જ ન હોય.

આજે હજુ યે કોઈ કોઈ કુટુંબોમાં જૂની પ્રથા જળવાઈ રહી છે. બધા જ કુટુંબીજનો ભેગા રહીને દિવાળી ઉજવે. વતનના ગામે જાય અને દિવાળી ઉજવે. તેઓને જે આનંદ મળતો હશે, તે તો અનુભવો તો જ જાણો.

તો આ દિવાળીએ આપણે એટલું વિચારીએ કે દિવાળી કુટુંબ સાથે ભેગા મળીને ઉજવવી છે. કુટુંબમાં એ વિચાર રજૂ કરજો અને શક્ય હોય તો આવતી દિવાળીએ એ અમલમાં મૂકજો, પછી જોજો દિવાળીની મજા !

આ સાથે તમને બધાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ આરોગ્યમય અને આનંદમાં પસાર થાય એવી શુભેચ્છાઓ. જીંદગીમાં બે જ બાબતો અગત્યની છે, એક આરોગ્ય સારું રહે તે અને બીજું જીંદગી આનંદમાં પસાર થાય તે. કોઈ પણ પરિસ્થિતિમાં આ બે બાબતો સાથમાં રહે તે જોજો.

કોલંબસ દિવસ (Columbus Day)

                                       કોલંબસ દિવસ (Columbus Day)

‘કોલંબસ દિવસ’નું નામ તો જરૂર સાંભળ્યું હશે. દુનિયામાં જેમ જુદા જુદા ‘દિવસો’ ઉજવાય છે, તેમ, અમેરીકામાં દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે ‘કોલંબસ દિવસ’ ઉજવાય છે. આ વર્ષે, આ દિવસ ૧૪ ઓક્ટોબરે છે. સામાન્ય રીતે, સ્કૂલોમાં આ દિવસે રજા હોય છે.

કોલંબસ દિવસનું મહત્વ એ છે કે ઈ.સ. ૧૪૯૨ની સાલના આ દિવસે કોલંબસે અમેરીકાની ધરતી પર પ્રથમ પગ મૂક્યો હતો. તેની યાદમાં આ દિવસ મનાવાય છે. આજે આ વાતનને ૫૨૭ વર્ષ થયાં. પણ ત્યાર પહેલાં એશિયા-યુરોપના દેશોને અમેરીકા વિષે કંઈ જ ખબર ન હતી. કોઈ નહોતું જાણતું કે અમેરીકા જેવી વિશાળ ધરતી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. કોલંબસે આ શોધ કરી, તેની જરા વિગતે વાત કરીએ.

કોલંબસ મૂળ ઇટાલીનો વતની હતો. તે સારો દરિયાખેડુ અને સાહસિક નાવિક હતો. યુવાન થયા પછી તે, પોર્ટુગલ અને ત્યાર બાદ સ્પેનમાં જઈને વસ્યો હતો. સ્પેનની પશ્ચિમમાં એટલાન્ટીક મહાસાગર છે. સ્પેનથી જમીનમાર્ગે પૂર્વ બાજુ જઈએ તો ઘણા બધા દેશો પસાર કર્યા પછી, ભારત અને ચીન પહોંચાય, એવું એ જમાનાના લોકો જાણતા હતા. ભારત, ચીન વગેરે એશિયાઈ દેશો ત્યારે બહુ સમૃદ્ધ હતા. સ્પેન અને યુરોપના બીજા દેશોને ભારત-ચીન વગેરે દેશોમાંનું સોનું, મસાલા વગેરે ચીજો મેળવવાનું જબરું આકર્ષણ હતું. પૃથ્વી ગોળ છે, એની પણ બધાને ખબર હતી.

સ્પેનમાં કોલંબસે વિચાર્યું કે જમીનમાર્ગે પૂર્વમાં થઈને ભારત જવા કરતાં, જો પશ્ચિમમાં એટલાન્ટીક મહાસાગરમાં થઈને જઈએ તો પણ ભારત પહોંચાય જ. એમ વિચારી તેણે આવી સફર ખેડવાનો નિર્ણય કરી જ નાખ્યો. વહાણો તથા અન્ય ખર્ચ માટે તેણે સ્પેનના રાજા ફર્ડીનાન્ડ અને રાણી ઈસાબેલાની મદદ માગી. થોડી રકઝક પછી, સોનાની લાલચે તેને મદદ મળી પણ ગઈ, અને કોલંબસ ૧૪૯૨ના ઓગસ્ટ માસના છેલ્લા દિવસોમાં ત્રણ વહાણો અને ખલાસીઓ લઈને, સ્પેનના પાલોસ બંદરેથી એટલાન્ટીક મહાસાગરમાં પશ્ચિમ દિશામાં સફરે નીકળી પડ્યો. તે જે વહાણમાં હતો, તે વહાણનું નામ સાન્તા મારીયા હતું, બાકીનાં બે વહાણોનાં નામ પીન્ટા અને નીના હતાં.

એ જમાનામાં કોઈ યાંત્રિક વહાણો ન હતાં, કોઈ જ સગવડ વગરનાં ફક્ત સઢવાળાં વહાણો હતાં. દોઢેક મહિનાની આશરે ૪૦૦૦ કી.મી.ની દરિયાઈ સફર પછી, કોલંબસને મધ્ય અમેરીકાની નજીકના બહામાસ ટાપુ નજરે પડ્યા. તે ખુશ થઇ ગયો. તેણે તથા તેના નાવિકોએ આ ટાપુ પર ૧૨મી ઓક્ટોબરે ઉતરાણ કર્યું. તેને લાગ્યું કે પોતે ભારત પહોંચી ગયો છે, તેને ક્યાં ખબર હતી કે આ તો કોઈ અજાણી જ ધરતી છે ! બહામાસ ટાપુ પર તેણે પોતાનો અધિકાર જાહેર કર્યો, અહીં જે સ્થાનિક લોકો હતા, તેઓ સાથે મણકા, રૂ, ભાલા વગેરેની આપલે કરી. તેઓ આજુબાજુના ટાપુઓ ક્યુબા, હૈતી, ડોમિનિકન વગેરે પર પણ પહોંચ્યા, તેઓ આ બધી જગાઓને ભારત, ચીન અને જાપાન જ માનતા હતા ! તેણે સ્થાનિક લોકોની મદદથી અહીં વસાહત પણ ઉભી કરી.

બે વહાણો લઈને કોલંબસ પાછો સ્પેન ઉપડ્યો. ૧૪૯૩માં ફરી આવ્યો. આમ તેણે અમેરીકા તરફની કુલ ચાર ટ્રીપ કરી. છેલ્લી ટ્રીપ ૧૫૦૨માં કરી. આ ટ્રીપો દરમ્યાન તે મધ્ય અમેરીકાના ટાપુઓની આસપાસ જ ફર્યો. તેણે અમેરીકાની મુખ્ય જમીન પર તો પગ મૂક્યો જ ન હતો. અને પોતે ભારત જવાનો દરિયાઈ માર્ગ શોધ્યો છે, એવું છેક મૃત્યુ સુધી માનતો રહ્યો.

ઈ.સ.૧૪૯૭-૯૮માં બીજો ઈટાલિયન સાહસિક માણસ અમેરીગો વેસ્પુસી અહીં આવ્યો, તેણે અમેરીકાની મૂળ જમીન પર પગ મૂક્યો, ત્યારે દુનિયાને આ વિશાળ ધરતી વિષે ખબર પડી. અમેરીગો વેસ્પુસીના નામ પરથી આ ખંડનું નામ અમેરીકા પડ્યું. પછીનો ઈતિહાસ તો બધાને ખબર છે. અમેરીગો વેસ્પુસી પછી તો ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ વગેરે દેશોમાંથી લોકોનાં ધાડેધાડાં અમેરીકા આવવા નીકળી પડ્યાં, અહીંના સ્થાનિક લોકો ધીરેધીરે નામશેષ થતા ગયા. આમ જુઓ તો આજે અમેરીકામાં રહેતા બધા જ લોકો ઈમીગ્રાન્ટ છે. આ બધું થયું કોલંબસની શોધને લીધે. એટલે આ દિવસે બધા તેને યાદ કરે છે.

તમને આ વાર્તા ગમી?

રૂપાલની પલ્લી

                                                રૂપાલની પલ્લી

આજે નવરાત્રિનો નવમો દિવસ એટલે કે આસો સુદ નોમ છે. આ દિવસે દર વર્ષે રાતે રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લી એટલે કે રથ નીકળે છે, એ તમને બધાને ખબર હશે જ. રૂપાલ ગામ આપણા ગાંધીનગરથી માત્ર ૧૩ કી.મી. દૂર છે.

નવમા નોરતે રાતે વરદાયિની માની પલ્લી આખા રૂપાલ ગામમાં ફરે છે. આ પલ્લીનું ઘણું માહાત્મ્ય છે. એકલા ગુજરાતમાં જ નહિ, વિદેશોમાં પણ રૂપાલની પલ્લી પ્રખ્યાત છે. આ દિવસે દેશવિદેશથી લાખ્ખો લોકો પલ્લીનાં દર્શને આવે છે. રૂપાલ એક નાનકડું ગામ છે, પણ આ દિવસે લાખ્ખો લોકોની ભીડને કારણે ગામમાં ક્યાંય પગ મૂકવા જેટલી જગા પણ બાકી રહેતી નથી. ગામને છેડે ૨ થી ૩ કિલોમીટર સુધી વાહનો પાર્ક થયેલાં નજરે પડે છે. વાહન પાર્ક કરીને આ અંતર  ચાલીને જ ગામમાં આવવું પડે છે.

પલ્લી, રાત્રે લગભગ ત્રણ વાગે પલ્લીવાળા વાસમાંથી નીકળે છે અને ગામના બધા રસ્તાઓ અને ચોરે ચૌટે ફરીને સવારે લગભગ સાતેક વાગે માતાના મંદિરે પહોંચે છે.  લોકો પલ્લીનાં દર્શન માટે, પલ્લી જે રસ્તેથી પસાર થવાની હોય ત્યાં રસ્તાની બંને બાજુએ તથા ચોક વિસ્તારમાં અગાઉથી ગોઠવાઈને ઉભા રહી જાય છે.

આ પલ્લીનું ખાસ મહત્વ એ છે કે રથમાં બિરાજમાન માતાજીને ઘી ચડાવવામાં આવે છે. પલ્લીની સાથે ટ્રકોમાં, તપેલાં અને કોઠીઓ ભરીને ઘી રાખેલું હોય છે, એમાંથી પલ્લી પર ઘી ચડાવાય છે. માતાની માનતા રાખનારા ભક્તો પણ માનતાનું ઘી લઈને આવે છે, અને પલ્લી પર ચડાવે છે. પલ્લી પર ચડાવેલું ઘી રસ્તા પર ઢોળાય છે. રસ્તા પર તો ઘીની નદી વહેતી હોય એવું લાગે. રસ્તા પર ધૂળ હોય એટલે આ ઘી ધૂળમાં રગદોળાય, એટલે તે કાદવ અને પેસ્ટ જેવું લાગે. માણસો એમાં ઉભા હોય અને ચાલતા હોય એટલે તે વધુ ગંદુ થાય. માણસોના ચંપલ ઘીમાં લથપથ થઇ જાય. અમુક લોકો તો આ ઢોળાયેલું ઘી ખોબા ભરીને, તપેલાં અને ડોલોમાં ભેગું કરીને પોતાને ઘેર લઇ જાય છે અને તેને સાફ કરીને તેનો ખાવામાં પણ ઉપયોગ કરે છે ! ઘણા લોકો પોતાનાં બાળકોને માતાજીને પગે લગાડે છે.

કહે છે કે પાંડવોના જમાનામાં અહીં ખીજડાના ઝાડ નીચે વરદાયિની માતાનું સ્થાનક હતું. પછી અહીં રૂપાલ ગામ વસ્યું. પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે મા વરદાયિનીને પ્રાર્થના કરી હતી. પાંડવો પોતાનો ગુપ્તવાસ પૂરો કરી ફરી માના સ્થાનકે પાછા ફર્યા હતા અને ખીજડાના ઝાડમાં છૂપાવેલાં શસ્ત્ર પાછાં મેળવી, માના આશીર્વાદ લીધા હતા. તથા ત્યાં યજ્ઞ કરી પાંચ દીવાની જ્યોતવાળી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ, પલ્લીનો પ્રારંભ પાંડવોએ કર્યો હતો.

અમે ૨૦૧૦ની સાલમાં પલ્લીનાં દર્શને ગયા હતા. તે વર્ષે નવમું નોરતું ૧૭મી ઓક્ટોબરે હતું. અમે વહેલી સવારે ત્રણેક વાગે રૂપાલ પહોંચી ગયા હતા. ગામથી ૨ કી.મી. દૂર પાર્કીંગની જગા મળી હતી. ગામમાં પહોંચી રસ્તાને એક ત્રિભેટે માનવ મહેરામણ વચ્ચે ગોઠવાઈ ગયા હતા. થોડી વારમાં, પાછા પગે ચાલતા, ઉઘાડી તલવારવાળા રક્ષકો સહિત પલ્લી અહીં આવી પહોંચી. પલ્લીને લોકો ખેંચતા હતા. પલ્લીમાં માતાજીની મૂર્તિ સમક્ષ જ્યોત પ્રગટાવેલ હતી. માતાજીનાં દર્શન કરી અમે ધન્યતા અનુભવી હતી. રસ્તા પર બધે ઘી ઢોળાયેલું હતું. અમે ટોળામાં ઘૂસી જઈને, પલ્લીની સાવ નજીક જઈને ફોટા પાડી લીધા. ઘણા લોકો મોબાઈલથી ફોટા ખેંચતા હતા. માતાજીનાં દર્શન થતાં અમને ગરબો યાદ આવી ગયો, “મા તારી પલ્લી ઝાકમઝોળ, ઉડે રે ઘીની છોળ….”

અમે પલ્લીનો મહિમા જોયો. લોકોની ભક્તિ અને શ્રદ્ધા જોયાં. લગભગ ૬ લાખ લોકો પલ્લીનાં દર્શને આવ્યા હતા ! છેલ્લે અમે ચાલીને અમારી ગાડી સુધી પહોંચ્યા અને એ જ રસ્તે અમદાવાદ પાછા વળ્યા. પલ્લી જોવાની મનોકામના પૂરી થઇ. વરદાયિની માતા બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે એવી આશા રાખીએ. ક્યારેક અનુકૂળ હોય તો પલ્લીનાં દર્શને જજો.

1Palli 2

2DSCF5840

3DSCF5835

4DSCF5830

5_Pic-07

6DSCF5847

 રુદ્ર ગુફા

                       રુદ્ર ગુફા, જ્યાં નરેન્દ્ર મોદી એક દિવસ ધ્યાનમાં બેઠા હતા

તમને યાદ હોય તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૯ની ચૂંટણીના થોડા દિવસ પહેલાં, કેદારનાથ ગયા હતા, અને ત્યાં એક ગુફામાં એક દિવસ માટે ધ્યાનમાં બેઠા હતા. એ ગુફાનું નામ છે રુદ્ર ગુફા. આજે આ રુદ્ર ગુફા વિષે જાણકારી આપું છું. ગુફાના થોડા ફોટા પણ અહીં મૂક્યા છે. તમારે પણ ત્યાં જવું હોય તો જઈ શકો છો, અને એ ગુફામાં રોકાઈ પણ શકો છો.

રુદ્ર ગુફા ઉત્તરાખંડ રાજ્યમાં કેદારનાથ મંદિરથી એક કી.મી. દૂર, મંદાકિની નદીને કાંઠે આવેલી છે. નદીકાંઠે ઋષિમુનિઓની કુટિર જેવી આ જગા છે. આ ગુફા ગઢવાલ મંડલ વિકાસ નિગમે (GMVN) બનાવી છે. સમુદ્ર સપાટીથી ૩૫૮૩ મીટર (૧૧૭૫૫ ફૂટ) ઉંચાઈએ તે આવેલી હોવાથી, વાતાવરણ બહુ જ ઠંડુ રહે છે. ગુફાનું પ્રવેશદ્વાર પત્થરોનું બનાવેલું છે, મુખ્ય બારણું લાકડાનું છે.

નરેન્દ્ર મોદી અહીં જઈ આવ્યા પછી, આ ગુફા ટુરીસ્ટોમાં જાણીતી થઇ છે. ટુરીસ્ટોનું અહીં આકર્ષણ વધ્યું છે. ટ્રાવેલ કંપનીઓવાળા પણ હવે રુદ્ર ગુફાની ટુર્સ ગોઠવી રહ્યા છે.

તમારે અહીં જવું હોય તો બુકીંગ કરાવીને જવાય છે. બુકીંગ GMVNની વેબસાઈટ પરથી થાય છે. અહીં ૨૪ કલાક રહેવાનો ચાર્જ ૧૫૦૦/- રૂપિયા છે. ચેકઆઉટ ટાઈમ બપોરના બારનો છે. રાત ના રોકાવું હોય અને માત્ર સવારથી સાંજ સુધી જ રહેવું હોય તો ભાડું  ૯૯૦/- રૂપિયા છે. ગુફામાં એક સાથે એક જ મુસાફર માટેની વ્યવસ્થા છે.

અહીં ગુફામાં વીજળી અને પાણીની સગવડ છે. સુવા માટે એક બેડ છે, ગુફામાં ટોઇલેટ છે. હીટર પણ છે. અહીં પ્રવાસીને ચા, નાસ્તો, લંચ અને ડીનર મળી રહે છે. એક એટેન્ડન્ટ ૨૪ કલાક હાજર રહે છે. તેને બોલાવવા માટે બેલ છે. ઈમરજન્સી કેસમાં વાપરવા માટે ફોન પણ છે.

બુકીંગના બે દિવસ પહેલાં, ગુપ્તકાશીમાં GMVNની ઓફિસે પહોંચવાનું, અહીં તથા કેદારનાથ એમ બંને જગાએ મેડીકલ ચેકીંગ થાય છે, એમાં ફીટ થવું જરૂરી છે. ફોટો ID સાથે રાખવું. ગુપ્તકાશી, ઋષિકેશથી ગૌરીકુંડના માર્ગમાં વચ્ચે આવે છે.

રુદ્ર ગુફાની સાથે સાથે કેદારનાથ મંદિરના દર્શનનો લાભ પણ લેવો જોઈએ. કેદારનાથ, શિવજીનાં બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે.

રુદ્ર ગુફા કેવી રીતે પહોંચવું?

રોડ માર્ગ : દિલ્હીથી ઋષિકેશ ૨૪૦ કી.મી. અને ઋષિકેશથી કેદારનાથ ૨૨૩ કી.મી. દૂર છે. ઋષિકેશથી ગૌરીકુંડ સુધી પાકો રોડ છે. ગૌરીકુંડથી કેદારનાથ મંદિર સુધીના ૧૪ કી.મી.ના પહાડી રસ્તે  ચાલીને, ડોળી કે ઘોડા પર જવું પડે. કેદારનાથ મંદિરથી રુદ્ર ગુફા માત્ર ૧ કી.મી. દૂર છે. હેલીકોપ્ટર સર્વિસ ઉપલબ્ધ છે.

રેલ્વે માર્ગ : નજીકનું રેલ્વે સ્ટેશન ઋષિકેશ છે. ત્યાંથી કેદારનાથ ૨૧૬ કી.મી. દૂર છે.

હવાઈ માર્ગ : નજીકનું એરપોર્ટ દહેરાદુનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે. અહીંથી કેદારનાથ ૨૪૦ કી.મી. દૂર છે.

GMVN વેબ સાઈટ : www.gmvnl.in

આ ગુફામાં રહેવું ના હોય અને માત્ર જોવા જવું હોય તો પણ જઈ શકાય છે. કેદારનાથ ફરવા જાવ ત્યારે આ ગુફા જોતા આવવાની. મેં કેદારનાથ જોયું છે, રુદ્ર ગુફા નથી જોઈ.

1

3

4