હેરીટેજ વોક (Heritage walk)

                                   હેરીટેજ વોક (Heritage walk)

આજે અમદાવાદ કે બીજાં શહેરો આધુનિક બની રહ્યાં છે, પણ એક જમાનો હતો કે જયારે આપણાં શહેરો પોળોમાં સમાયેલાં હતાં. આજે લોકો પોળોની બહાર જઈને વસી રહ્યા છે, પણ પોળો એવી ને એવી જ એક વારસારૂપે (હેરીટેજ, Heritage) સચવાયેલી રહી છે. આજની યુવાન પ્રજાને પોળોની સંસ્કૃતિ વિષે બહુ ખબર નથી. એ જાણવાજોવા માટે ‘હેરીટેજ વોક’ (Heritage walk) યોજાતી હોય છે.

અમદાવાદમાં આવી હેરીટેજ વોક, રીલીફ રોડની નજીક આવેલા કાલુપુર સ્વામીનારાયણ મંદિરથી યોજાય છે. અહીંથી દરરોજ સવારે આઠ વાગે હેરીટેજ વોક શરુ થાય છે. તમે આવી ‘હેરીટેજ વોક’ કરી છે ખરી? એક વાર કરવા જેવી છે. આ માટે તમારે સવારે આઠ વાગે કાલુપુર સ્વામીનારાયણ મંદિર પહોંચી જવું. ત્યાં હેરીટેજ વોકની ઓફિસ છે. બોર્ડ મારેલું છે. હેરીટેજ વોક માટે વ્યક્તિદીઠ ૫૦ રૂપિયાની ટીકીટ છે.

ત્યાં સૌ પ્રથમ બધાને એક હોલમાં બેસાડી, એક વિડીયો દ્વારા અમદાવાદની પોળો વિષે માહિતી આપે છે. પછી હેરીટેજ વોક માટે નીકળવાનું હોય છે. ગાઈડ સાથે હોય છે. એક પછી એક પોળમાં ચાલતા જ જવાનું હોય છે. ગાઈડ દરેક પોળ વિષે માહિતી આપતા જાય છે. આશરે બે કલાકમાં ૨ કી.મી. જેટલું ફરવાનું થાય છે.

અમે એક વાર આ હેરીટેજ વોકમાં જોડાયા હતા. કાલુપુર સ્વામીનારાયણ મંદિરથી શરુ કરી, અમે લંબેશ્વરની પોળમાં કવિ દલપતરામનું સ્ટેચ્યુ, કેલિકો ડોમ, હાજા પટેલની પોળમાં કાલા રામજી મંદિર અને શાંતિનાથજી મંદિર, ડોશીવાળાની પોળ, ઝવેરી વાડ, ચૌમુખજીની પોળ, સંભવનાથની ખડકી, ચાંદલા ઓળ, મુહુર્ત પોળ, જામા મસ્જીદ, માણેકચોકમાં રાણી અને બાદશાહના હજીરા વગેરે જગાઓ જોઈ હતી. અમારી સાથે વિદેશથી આવેલા ત્રણેક પ્રવાસીઓ પણ હતા. બધાને આ રીતે ફરવાનો બહુ જ આનંદ આવ્યો હતો. ઘણી નવી જાણકારી મળી હતી. આપણો વારસો વૈભવ જાણવા સમજવા માટે આવી ટ્રીપ કરવા જેવી છે.

આ સાથે આ ટ્રીપના થોડા ફોટા અહીં મૂકું છું.

1Heritage walk

2IMG_20151108_074734462_HDR

IMG_8129

IMG_8132

IMG_8135

IMG_8138

IMG_8143

IMG_8145

IMG_8152

IMG_8158

IMG_8178

 

આપણી મહેમાનગતિ

                                    આપણી મહેમાનગતિ

એક વાર અમે કાયાવરણથી માલસર જતા હતા. (આ બંને ગામ ગુજરાતમાં વડોદરાની નજીક આવેલાં છે.) રસ્તો ઘણો જ સારો અને ટ્રાફીક પણ ખૂબ જ ઓછો, એટલે મજા આવતી હતી. રોડની બંને બાજુ ઘટાદાર વૃક્ષો, શીતલ છાંયડો અને વૃક્ષોએ રોડ પર નમીને, રોડ પર બનાવેલી સરસ મજાની ગુફા. દ્રશ્ય બહુ જ સરસ હતું.

રોડની બંને બાજુ શેરડીનાં ખેતરો દેખાતાં હતાં. કોઈક ખેતરમાં શેરડી પીલવાના નાના સંચા પણ દેખાતા હતા. ખેતરોમાં ખેડૂતો પણ હતા. અમને થયું કે ‘ચાલો, એક ખેતરમાં જઈએ અને ખેડૂતને મળીએ. તેમના વિષે જાણીએ, શેરડીનો રસ પણ પીએ, મજા આવશે’

એક ખેતર આગળ ગાડી ઉભી રાખી, અમે ખેતરમાં ગયા. ત્યાં ત્રણ-ચાર માણસો હતા. અમને જોઈ, એમણે અમને પ્રેમથી આવકાર્યા. મેં કહ્યું, ‘ભાઈ, અમે તો તમારું ખેતર અને આ શેરડીનો પાક જોવા આવ્યા છીએ.’

તેમાંના એક ખેડૂતે કહ્યું, ‘આવો, આવો, તમારા જેવા સાહેબ લોકો અમારે આંગણે ક્યાંથી?’ એમ કહી, બાજુમાં ચાલતા શેરડીના કોલુમાંથી અમને બધાને એક એક ગ્લાસ તાજો રસ આપી દીધો. (શેરડી પીલીને તેનો રસ કાઢવાના સંચાને કોલુ કહે છે.)

પછી, તે ખેડૂતે અમને શેરડીનું ખેતર અને કોલુ બતાવ્યું. તેઓ શેરડીનો રસ કાઢી, ત્યાં ખેતરમાં જ તેનો ગોળ બનાવતા હતા. રસને મોટા ચૂલા પર તાવડામાં ગરમ કરતાં, તેમાંથી ગોળ બનતો હતો. તેમણે અમને આ બધું રસપૂર્વક બતાવ્યું. આ દરમ્યાન, એમણે અમને દરેકને શેરડીના રસનો બીજો ગ્લાસ પણ પીવડાવી દીધો.

પછી તેઓ કહે, ‘સાહેબ, હવે તમે બધા આ ખુરસીઓ પર બેસો, થોડો આરામ કરો.’ અમે ત્યાં બેઠા, તેમણે અમને ગોળ ભરેલા ડબ્બા બતાવ્યા, જેમાં અગાઉ બનાવેલો ગોળ ભર્યો હતો. થોડી વારમાં, એમણે અમને રસનો ત્રીજો ગ્લાસ પણ આગ્રહ કરીને પીવડાવી દીધો.

અમારા જેવા અજાણ્યા માણસોની આટલી સરસ સરભરાથી અમે બહુ જ ખુશ હતા. તેઓ કહે, ‘આંગણે આવેલા મહેમાનનું સ્વાગત કરવું એ તો અમારી ફરજ છે.’

અમને ઘણો જ સંતોષ થયો. છેલ્લે, અમે અહીંથી નીકળતી વખતે, તેમને રસના પૈસા આપવા માંડ્યા, તે પણ લેવાની તેમણે ના પાડી. છેવટે, અમે ત્યાં ઉભેલા તેમના નાના છોકરાના ખીસામાં થોડા રૂપિયા મૂકી, તેમની વિદાય લીધી.

આવી મહેમાનગતિ આપણા ભારત દેશમાં જ સંભવી શકે. ભારતનાં ગામડાંમાં હજુ આવી માનવતા અને મહેમાનગતિ સચવાઈ રહી છે. ગામડાનો માણસ પૈસાની કેવી લાલચ વગર અને માનવતાથી જીવે છે, એનું પ્રત્યક્ષ ઉદાહરણ અમે જોયું. એને એના જીવનમાં શાંતિથી જીવવાનો ઘણો જ આનંદ અને સંતોષ હશે, એ દેખાઈ આવે છે. એ હાયવોય અને લાલસાભરી જીંદગીથી ઘણો જ દૂર છે. એને ક્યારે ય બીપી અને ડાયાબીટીસ નહિ થતા હોય.

તમને પણ આવા માણસોના અનુભવ થયા હોય તો શેર કરજો.