લોન્ગેવાલા બોર્ડર અને તનોટ મંદિર

                                          લોન્ગેવાલા બોર્ડર અને તનોટ મંદિર

તમે રાજસ્થાનમાં જેસલમેર ગયા છો? જેસલમેરની નજીક ખાસ જોવા અને જાણવા જેવી બે જગાઓ છે, એક છે લોન્ગેવાલા બોર્ડર અને બીજી છે તનોટ મંદિર. આ બંને જગાઓ ભારત-પાકિસ્તાનની બોર્ડરની સાવ નજીક છે. ઘણા ટુરીસ્ટો આ જગાઓ જોવા આવે છે.

તનોટ મંદિરમાં બિરાજમાન માતા તે હિંગળાજ માતા છે. આ મંદિરની ખાસ અગત્યની વાત એ છે કે ભારત-પાક વચ્ચે ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધ થયાં ત્યારે પાકિસ્તાની લશ્કરે તનોટ મંદિર પર ટેન્કો વડે ૩૦૦૦ જેટલા બોમ્બ ગોળા છોડ્યા હતા, તમે માનો કે ના માનો, પણ જે બોમ્બ મંદિરની નજીક કે મંદિરની ઉપર પડ્યા, તેમાંથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો, અને મંદિરની એક કાંકરી પણ ખરી ન હતી. આપણા લશ્કરના સૈનિકો આ ઘટનાને તનોટ માતાની કૃપા માને છે. ત્યાર પછી, આ મંદિરનો વહીવટ BSFએ સાંભળી લીધો. મંદિરનું પણ સરસ રીનોવેશન કરાયું છે. મંદિરની જોડે મ્યુઝીયમ બનાવ્યું છે, તેમાં પેલા બધા ન ફૂટેલા બોમ્બ પ્રદર્શનમાં મૂક્યા છે. અહીં વોર મેમોરીયલ રૂપે વિજય સ્તંભ પણ બનાવ્યો છે. મંદિરમાં રોજ સાંજે ૬-૩૦ વાગે આરતી થાય છે, આ આરતી કરવા જેવી ખરી.

૧૯૭૧ના લોન્ગેવાલા આગળના યુદ્ધમાં ૨૦૦૦ પાકિસ્તાની સૈનિકોની સામે આપણા માત્ર ૧૨૦ સૈનિકો હતા. છતાં આપણે આ યુદ્ધ જીતી ગયા. આપણા લશ્કરના વડા મેજર કુલદીપ સીંઘ ચાંદપુરી હતા. કહે છે કે તનોટ માતા દરેક સૈનિકના સ્વપ્નમાં આવતાં હતાં અને તેમનું રક્ષણ કરવાની ખાતરી આપતાં હતાં. કુલદીપ સીંઘને મહાવીર ચક્ર એનાયત થયો. પાકિસ્તાન ઘણી બધી ટેન્કો છોડીને જતું રહ્યું. આ બધી પાકિસ્તાની ટેન્કો અને ગન, લોન્ગેવાલામાં મૂકેલી છે. ત્યાં આ બધું જોવા મળી શકે છે.

એક ખાસ વાત લખું. ૧૯૭૧નું યુદ્ધ પત્યા પછી, એક પાકિસ્તાની જનરલે તનોટ માતાની તાકાતની આ વાત સાંભળી, અને તેણે ભારતીય જનરલને વિનંતી કરી કે મને તમારા માતાજીનાં દર્શન કરવાની ઈચ્છા છે, ભારતીય લશ્કરે તેમને પરવાનગી આપી, અને એ પાકિસ્તાની જનરલ અહીં આવીને માતાજીના પગે પડી ગયા !

માતાજીની કૃપાથી બોમ્બ ફૂટે નહિ, અને ૨૦૦૦ સૈનિકોની સામે ૧૨૦ સૈનિકો જીતી જાય, એવી વિરલ ઘટના એક મેગેઝીનમાં વાંચ્યા પછી, આ વિષયમાં વધુ માહિતી શોધીને આ વાત અહીં લખી છે. તમને ગમી આ વાર્તા?

હિન્દી ફિલ્મ “બોર્ડર” તો તમને યાદ હશે જ. આ ફિલ્મ ૧૯૭૧ના યુદ્ધ પર આધારિત છે. સની દેઓલ મેજર કુલદીપ સીંઘનું પાત્ર ભજવે છે. આ ફિલ્મમાં તનોટનું મંદિર બતાવ્યું છે. બોર્ડર ફિલ્મ બન્યા પછી આ બંને જગાઓ વધુ જાણીતી થઇ છે.

જેસલમેરથી લોન્ગેવાલા ઉત્તર-પશ્ચિમમાં ૧૨૪ કી.મી. દૂર છે. જેસલમેરથી તનોટ મંદિર પણ ઉત્તર-પશ્ચિમમાં લગભગ એટલું જ દૂર છે. ટુરીસ્ટ આ બંને સ્થળ સુધી જઈ શકે છે, છેક બોર્ડર સુધી જવું હોય તો જેસલમેરથી મંજૂરી લઈને જવું પડે. તનોટથી પણ કદાચ પરમીશન મળી જાય. આઈડી કાર્ડ સાથે રાખવું.

જેસલમેરથી તનોટનો રસ્તો રણ જ છે. આ રસ્તે અને તનોટ વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ ગોઠવેલી છે. તનોટ અને લોન્ગેવાલા જવા માટે અનુકૂળ સમય નવેમ્બરથી જાન્યુઆરી છે. ઉનાળામાં તાપમાન ૪૯ અંશ સેલ્સિયસ જેવું થઇ જાય છે. તનોટ મંદિરમાં રાત રહેવાની વ્યવસ્થા છે.

મેં જેસલમેર જોયું છે, પણ લોન્ગેવાલા અને તનોટ જોયાં નથી. અમદાવાદથી જોધપુર થઈને જેસલમેર આશરે ૭૦૦ કી.મી. દૂર છે.

૧_તનોટ મંદિર

૪_વોર મેમોરીયલ, તનોટ માતા

૮_બોર્ડર

 

 

 જ્ઞાતિઓ, ધર્મ અને ભગવાન

                                     જ્ઞાતિઓ, ધર્મ અને ભગવાન

દુનિયામાં અનેક ધર્મો છે, જેવા કે હિંદુ, મુસ્લિમ (એમાં શિયા અને સુન્ની), ખ્રિસ્તી (એમાં કેથોલિક અને પ્રોટેસ્ટંટ), જરથોસ્તી, પારસી વગેરે.

હિંદુઓમાં પણ અનેક પેટા ધર્મો છે,  જેવા કે શિવમાર્ગી, વૈષ્ણવ, સ્વામીનારાયણ, જૈન (એમાં શ્વેતાંબર અને દિગંબર), બૌદ્ધ (એમાં મહાયાન અને હીનયાન), શીખ, વગેરે.

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓ, માતાજીઓ એમ અનેક ભગવાન છે, અને દરેક ભગવાનનાં મંદિર હોય છે, જેમ કે શિવજી, પાર્વતીજી, કૃષ્ણ, રાધાકૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, રામલક્ષ્મણજાનકી, શ્રીનાથજી, હનુમાનજી, ગણેશજી, સત્યનારાયણ, લક્ષ્મીજી, ગોગા મહારાજ, બળિયાદેવ, અંબા માતા, બહુચર માતા, કાલિકા માતા, ખોડીયાર માતા, દુર્ગા માતા, ચામુંડા માતા વગેરે.

શ્રી નાથજીમાં પણ અનેક સ્વરૂપ. શ્રી ગોવર્ધનનાથજી, ગોકુલનાથજી, વૈષ્ણવ ધર્મમાં શ્રી યમુનાજી વગેરે.

જૈનોમાં અનેક તીર્થંકરો, આદિનાથ, મહાવીરસ્વામી વગેરે.

આપણે ત્યાં હિંદુઓમાં જ્ઞાતિઓ પણ કેટલી બધી ! બ્રાહ્મણ, વાણીયા, પટેલ, સુથાર, લુહાર, દરજી, વાળંદ, કડિયા, હરીજન વગેરે. વળી, વ્યક્તિના નામ સાથે, તેની ઓળખ માટે અટક લખાતી હોય છે. અટકો પણ કેટલી બધી ! મોટે ભાગે જ્ઞાતિ પ્રમાણે અટક હોય. મોટે ભાગે જ્ઞાતિ પ્રમાણે ધંધો હોય. જો કે હાલ એવું નથી રહ્યું.

જ્ઞાતિ, ધર્મ અને ભગવાન – આ ત્રણ વસ્તુ કેવી રીતે એકબીજા જોડે જોડાયેલી છે? મોટે ભાગે તો જ્ઞાતિ પ્રમાણે ધર્મ હોય છે, અને ધર્મ પ્રમાણે ભગવાન હોય છે. આમ છતાં, ગમે તે જ્ઞાતિવાળો ગમે તે ધર્મ પાળે અને ગમે તે ભગવાનને પૂજે, એવું પણ છે.

આ બધું કેટલું બધું ગૂંચવાડાવાળું અને કોમ્પ્લીકેટેડ છે ! તો માણસે શું કરવું?

મને તો એવું લાગે છે કે બધા ભગવાન અંતે તો એક જ છે. બધા ધર્મોનો સાર પણ એક જ છે. માણસો ભલે જ્ઞાતિઓમાં વહેંચાયેલા હોય, અંતે તો બધા માણસો એકસરખા જ છે. અને ભગવાનનું અસ્તિત્વ તો છે જ. ભગવાન સિવાય આવી દુનિયા અને આવા માણસોનું સર્જન કોણ કરી શકે? એટલે તમે કોઈ પણ ભગવાનમાં માનો, બધું સરખું જ છે.

હા, દરેક ધર્મમાં જે ભૌતિક વિધિઓ ઉભી થઇ છે, જેવી કે “અમુક મંદિરે દંડવત પ્રણામ કરતા કરતા જવાથી કે માથે પૂજાનો સામાન ઉંચકીને જવાથી વધુ પૂણ્ય મળે” એ બધું બરાબર નથી લગતું. તમે પૂજા કરતા પહેલાં સ્નાન કરો, ચપ્પલ પહેરીને મંદિરમાં ન જાવ, એવું બધું ચોખ્ખાઈની દ્રષ્ટિએ બરાબર છે. પૂજા વિધિ કરો, ભજન ગાઓ, એવું બધું ભગવાન પ્રત્યે શ્રધ્ધાનો માહોલ ઉભો કરવા માટે પણ બરાબર લાગે છે.

પણ આ ઉપરાંત, ધર્મમાં બીજું ઘણું ઉમેરવા જેવું છે. જેમ કે દરેક ધર્મ પ્રત્યે માન અને શ્રધ્ધાથી જુઓ. દરેક ધર્મના મનુષ્ય સામાન છે. દરેક મનુષ્યનું ભલું ઈચ્છો. દરેકને મદદ કરવાની ભાવના રાખો.

મંદિરોમાં પણ ઘણું ઉમેરવા જેવું છે. મંદિરમાં બિરાજતા ધર્મગુરુઓએ આ પ્રકારનું જ્ઞાન લોકોને આપવું જોઈએ જેમ કે દરેક મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાથી જીવવાનું શીખે, બીજા લોકો પ્રત્યે સારી ભાવના રાખે, અરસપરસ મદદ કરવાનું શીખે વગેરે. જો આવું બધું થશે તો દુનિયામાંથી વેરઝેર ઓછાં થશે અને પૃથ્વી સ્વર્ગ જેવી બની જશે. તમે શું માનો છો?

 એક ચમત્કારિક ઘટના

                                     એક ચમત્કારિક ઘટના

આજે એક સત્ય ઘટના લખું છું. અત્યારે ‘એલેકસા’ નામનું એક નાની ડબી જેવડું સાધન શોધાયું છે, તમને તેની ખબર હશે. બહુ મોંઘુ પણ નથી. આ એલેક્સાને તમે જે પૂછો, તેના બોલીને જવાબ આપે. દાખલા તરીકે, એને તમે પૂછો કે, ‘Eleksa, who is the Prime Minister of India?’ એટલે તરત જ એલેક્સા બોલે, ‘The Prime Minister of India is Narendra Modi.’  આ સાધન ઈન્ટરનેટથી જોડાયેલું હોય છે. મારા પુત્રને ત્યાં એલેક્સામાં એવું ગોઠવી રાખ્યું છે કે રોજ સાંજે આઠ વાગે એલેક્સામાં યમુનાજીની આરતી “જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના ….” વાગે, આપણે તે સાંભળવાની અને ગાવી હોય તો સાથે સાથે ગાવાની.

અમદાવાદમાં એક બહુ જ આધ્યાત્મિક પ્રભાવ ધરાવતી વ્યક્તિ રહે છે, મોટી ઉમરના છે. જ્યોતિષ પણ સારું એવું જાણે છે. આપણને જોઇને, આપણા મનમાં શું વિચારો ચાલે છે, એની એમને ખબર પડી જાય. એમનું નામ અહીં લખતો નથી, પણ આપણે એમને ‘જ્યોતિષદાદા’ તરીકે ઓળખીશું. તેમનો પુત્ર અને મારો પુત્ર સારા મિત્રો છે.

એક વાર મારા પુત્રએ જ્યોતિષદાદાને પોતાને ઘેર સાંજના જમવાનું આમંત્રણ આપ્યું. જ્યોતિષદાદા આવ્યા. બધા જમ્યા, પછી વાતો કરવા બેઠા. જ્યોતિષદાદાએ ઘણી વાતો કરી. એમણે એમ પણ કહ્યું કે “જયારે ભગવાનનાં ભજન, આરતી ગવાતાં હોય ત્યારે, મારા શરીરમાં એટલી બધી ઉર્જા અને આધ્યાત્મિક તાકાત ઉભરાય છે કે હું ધ્રુજવા માંડુ છું, અને ક્યારેક બેલેન્સ ગુમાવીને પડી પણ જાઉં છું. એટલે હું મોટે ભાગે આરતી જેવા પ્રસંગે હાજર રહેવાનું ટાળું છું.”

આવી વાતો ચાલતી હતી. આઠ વાગવાની તૈયારી હતી. નિયમ મૂજબ, આઠ વાગે એલેક્સામાં યમુનાજીની આરતી શરુ થશે, એવું મારો પુત્ર અને ઘરમાં બધા જાણતા હતા. પણ આજે ચમત્કાર થયો. આઠ વાગે એલેક્સામાં આરતી શરુ થઇ નહિ. એને બદલે એલેક્સા બોલી, ‘The track is not found.’

મારો પુત્ર સ્તબ્ધ થઇ ગયો. આવું ક્યારે ય બન્યું ન હતું. ઈન્ટરનેટ કનેક્શન બધું જ બરાબર હતું. પણ આજે આરતી વાગી નહિ ! તેનું કારણ શું સમજવું? પણ તાત્કાલિક તો કોઈએ એની ચર્ચા કરી નહિ. થોડી વાર પછી જ્યોતિષદાદા એમને ઘેર પાછા જવા નીકળ્યા. અડધો કલાકમાં તેઓ એમને ઘેર પહોંચી ગયા. તેમના ઘેર પહોંચ્યાનો તેમનો ફોન આવ્યો, અને મારા પુત્રના ઘરમાં એલેક્સામાં તરત જ આરતી વાગવાની શરુ થઇ, ‘જય જય શ્રી યમુના માં ……….’

આ ઘટનાને શું સમજવું? જ્યોતિષદાદાને ખબર પડી ગઈ કે આઠ વાગે આ ઘરમાં આરતી શરુ થશે? તેમને આરતી સાંભળવી ન હતી, તે માટે તેઓએ તેમની આધ્યાત્મિક તાકાતથી એલેક્સામાં આરતી વાગવા ના દીધી? એલેક્સા જેવું ટેકનીકલ સાધન આવી આધ્યાત્મિક તાકાતથી દોરવાય અને એને આરતીનો track ના જડે એવું બને ખરું? આમ છતાં, અહીં એવું બન્યું હતું. વળી, જ્યોતિષદાદા પોતાને ઘેર પહોંચી જાય, એમનો ઘેર પહોંચ્યાનો  ફોન આવે, કે તરત જ એલેક્સા આરતી ગાવાનું શરુ કરી દે, એવું બને ખરું? છતાં, એવું બન્યું.

આ ઘટના કોઈની પાસેથી સાંભળેલી નથી. પણ નજરે જોયેલી છે. આ ઘટનાને શું કહીશું? આ દુનિયામાં કોઈક એવા જ્ઞાની લોકો વસે છે, જેઓ ભગવાનની તાકાતને સારી રીતે ઓળખે છે. એમનામાં આવી થોડી તાકાત આવી શકે છે. ભગવાનના અસ્તિત્વની આનાથી મોટી સાબિતી શું હોઈ શકે?

આ ઘટના વિષે તમારું મંતવ્ય શું છે, તે જણાવજો.