શ્રી પદ્મનાભસ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ, કેરાલા

                                     શ્રી પદ્મનાભસ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ, કેરાલા

આ મંદિર કેરાલાના પાટનગર ત્રિવેન્દ્રમમાં આવેલું છે. આ મંદિર પદ્મનાભસ્વામી એટલે કે વિષ્ણુ ભગવાનનું છે. તેઓ શેષનાગની છાયામાં આડા પડીને સૂતેલી મુદ્રામાં છે. બાજુમાં લક્ષ્મીદેવી છે. વિષ્ણુનો જમણો હાથ શિવલિંગ પર મૂકેલો છે. તેમની નાભિમાંથી કમળ ખીલેલું છે, એના પર બ્રહ્માજીનો વાસ છે. મુખ્ય મૂર્તિ ૧૨,૫૦૦ શાલીગ્રામનો ઉપયોગ કરીને બનાવેલી છે. આ શાલીગ્રામ નેપાળમાંથી ગંડકી નદીમાંથી લાવવામાં આવ્યા હતા. આ મંદિર ૮મી સદી જેટલું જુનું છે. હાલનું મંદિર ત્રાવણકોરના રાજા માર્તંડ વર્મા (Marthanda)એ ઈ.સ. ૧૭૩૧માં બંધાવ્યું છે. (તેનું રાજ ૧૭૨૯ થી ૧૭૫૮). મંદિરનું બાંધકામ દ્રવિડિયન શૈલીનું છે. મંદિરનું ગોપુરમ ૭ સ્તરમાં અને ૩૦ મીટર ઊંચું છે. મંદિરની બાજુમાં તળાવ છે, તેનું નામ પદ્મ તીર્થ છે. મંદિરની પરસાળોમાં ૩૬૫ થાંભલાઓ છે, તેઓના પર કોતરણી કરેલી છે. અહીં નવરાત્રિ તહેવાર ધામધુમથી ઉજવાય છે. લક્ષ દીપમ એ અહીનો મોટો ઉત્સવ છે. તે દર છ વર્ષે ઉજવાય છે, તે વખતે અહીં એક લાખ દીપ પ્રગટાવવામાં આવે છે. છેલ્લે આ ઉત્સવ જાન્યુઆરી ૨૦૨૦માં ઉજવાયો હતો.

મંદિરના ગર્ભગૃહની નીચે છ ભંડારો (Vaults) છે, તેમને A થી F નામ આપેલાં છે. આ ભંડારોમાંથી પાંચ ભંડારો છેલ્લાં થોડાં વર્ષોમાં ખોલવામાં આવ્યા છે. એમાં ઘણું બધું સોનું, ઝવેરાત, હીરા, મૂર્તિઓ, સિક્કા, વાસણો વગેરે જોવા મળ્યું છે. વોલ્ટ B ખોલવાનો હજુ બાકી છે. આ વોલ્ટ ખોલવાથી ખૂબ અશુભ થવાની શંકા છે. કહે છે કે હજુ ખોલ્યા વગરના બીજા બે વધુ વોલ્ટ G અને H પણ છે.

આ મંદિરમાં લેંઘો, પેન્ટ, ચડ્ડી કે જીન્સ પહેરીને જવાની છૂટ નથી. પુરુષોએ ધોતી અને સ્ત્રીઓએ સાડી, ઓઢણી, સલવાર કમીજ, સ્કર્ટ બ્લાઉઝ કે ગાઉન પહેરીને જવાનું હોય છે. તમે દર્શને ગયા હો અને આવાં કપડાં જો તમારી પાસે ન હોય તો ત્યાં કાઉન્ટર પર ભાડે મળે છે, એ ભાડે લઇ ત્યાં જ બદલી લેવાનાં, તમારાં પેન્ટ વિગેરે સાચવવાની ત્યાં વ્યવસ્થા છે. મંદિરમાં મોબાઈલ કે બીજી કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ લઇ જવાની છૂટ નથી. ફોટો પાડવાની મનાઈ છે.

સ્થાન: ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી મંદિર માત્ર ૬૦૦ મીટર દૂર છે.

ફોન: +91 47124 64606

દર્શન સમય: સવારે ૩-૧૫ થી ૧૨, સાંજે ૫ થી ૭-૨૦

જોવા માટેનો સમય: ૧ થી ૨ કલાક

1_Padmnabhswamy Front area

2_Padmanabhaswamy Gopuram

3_Tank near padmanabhaswamy temple

5_God Vishnu

શ્રીરંગનાથસ્વામી મંદિર, શ્રીરંગમ, તમિલનાડુ

                              શ્રીરંગનાથસ્વામી મંદિર, શ્રીરંગમ, તમિલનાડુ

આ મંદિર તમિલનાડુના શ્રીરંગમમાં આવેલું છે. શ્રીરંગનાથ એ વિષ્ણુનું સ્વરૂપ છે. મંદિરને ૮૧ મંદિરો, ૨૧ નાનાંમોટાં ગોપુરમ અને ૩૯ મંડપ છે. ચાલુ સ્થિતિમાં હોય એવું દુનિયાનું આ સૌથી મોટું મંદિર છે. સૌથી બહારનું ગોપુરમ ૬૭ મીટર ઉંચું છે, અને તે ૧૯૮૭માં બનીને પૂરું થયું છે. મંદિર શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલ પણ ચલાવે છે. ડોનેશનમાંથી બીજા પ્રોજેક્ટ પણ ચાલે છે. ૨૧ દિવસનો વાર્ષિક તહેવાટ ડિસેમ્બર-જાન્યુઆરીમાં યોજાય છે, ત્યારે લાખો લોકો અહીં આવે છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં છે.

સ્થાન: શ્રીરંગમ, ત્રિચિનાપલ્લીથી ઉત્તરમાં ૮ કી.મી. દૂર છે. ચેન્નાઈથી ત્રિચી દક્ષિણ-પશ્ચિમમાં ૩૩૨ કી.મી. દૂર છે. આ મંદિર કાવેરી અને કોલીડેમ નદીઓની વચ્ચે બનેલા ટાપુ પર આવેલું છે.

ફોન: +૯૧ ૪૩૧ ૨૪૩ ૨૨૪૬

1_શ્રીરંગનાથ પ્રવેશદ્વાર

 

2_શ્રીરંગનાથ મંદિર

3_Sri Ranganathaswamy, Srirangam, TN

ગોલ્ડન ટેમ્પલ, શ્રીપુરમ, તમિલનાડુ

ગોલ્ડન ટેમ્પલ, શ્રીપુરમ, તમિલનાડુ

આ મંદિર તમિલનાડુમાં વેલ્લોરની નજીક મલાઈકોડી પાસે શ્રીપુરમ ગામમાં આવેલું છે. તેને લક્ષ્મી નારાયણી ગોલ્ડન ટેમ્પલ કહે છે. મંદિરમાં મુખ્ય દેવી લક્ષ્મી નારાયણી છે. મંદિરના ગર્ભગૃહ અને સભામંડપની ઉપરનો ભાગ સોનાથી મઢેલો છે. આ ભાગ સુંદર કારીગરીવાળો છે. અંદર મંદિર સુધી પહોંચવા સ્ટાર આકારનો માર્ગ બનાવેલો છે. મંદિર બહુ જ આકર્ષક છે. ઘણા ભક્તો અહીં દર્શને આવે છે.

સ્થાન: વેલ્લોરથી તે દક્ષિણ-પશ્ચિમમાં ૮ કી.મી. દૂર છે. વેલ્લોર, ચેન્નાઈથી પશ્ચિમમાં ૧૩૮ કી.મી., બેગ્લોરથી પૂર્વમાં ૨૧૮ કી.મી. અને તિરુપતિથી દક્ષિણ-પશ્ચિમમાં ૧૨૦ કી.મી. દૂર છે.

દર્શનના સમય: બધા દિવસોએ સવારના આઠથી સાંજના આઠ સુધી દર્શન થાય છે.

1_Entrance, Golden Temple, Sripuram

2_Golden temple, Sripuram, Vellore, TN

3_Golden Temple, Sripuram

5_Sripuram Temple