આજે જ એક ફોટો જોયો અને એના વિષે વાંચ્યું. એ અહીં મુકું છું. એ ફોટો સુખનાથ ધોધનો છે. જામનગરથી ૩૫ કી.મી. દૂર આવેલ ખડ ખંભાળિયા ગામની નજીક, નાગમતિ નદીની નજીક આ ધોધ આવેલો છે. આ ધોધનું પાણી રણજીત સાગર ડેમમાં જાય છે. અત્યારે આ ધોધ જોવા અને નહાવાની મજા માણવા જામનગર અને આજુબાજુના લોકો શનીરવિની રજાઓમાં અહીં ઉમટી પડે છે. જામનગરથી દક્ષિણમાં જામજોધપુર તરફ જવાના રસ્તે,પંચાસરા મોતા ગામ પછી, જમણી બાજુ રસ્તો પડે છે, એ રસ્તે ખડ ખંભાળીયા ગામ છે. મેં આ જગા નથી જોઈ. કોઈને આ વિષે વધુ માહિતી હોય તો જણાવજો.
કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી
12 સપ્ટેમ્બર 2020 Leave a comment
કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, યુપી: વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર, એ શિવજીનાં બાર જ્યોતિર્લીંગોમાનું એક જ્યોતિર્લીંગ મંદિર છે. તે ગંગા નદીને કિનારે, મણિકર્ણિકા ઘાટ પર આવેલું છે. મુખ્ય મંદિરની આજુબાજુ બીજાં નાનાં મંદિરો છે. મંદિરને ત્રણ ભાગ છે. પ્રવેશવાળા ભાગ પછી આગળ સભાગૃહ અને ગર્ભગૃહ છે. ગર્ભગૃહમાં શિવલિંગ છે. શિખરો સોનાથી મઢેલાં છે. નંદી મંદિરના પાછળના ભાગમાં છે. સંકુલમાં એક કૂવો છે, એ જ્ઞાનવાપી કૂવા તરીકે ઓળખાય છે. આ પુરાણું મંદિર અવારનવાર તૂટ્યું છે, અને ફરી ઉભું થયું છે. છેલ્લે, ઈ.સ. ૧૬૬૯માં તૂટ્યું પછી,હાલનું મંદિર ઇન્દોરનાં અહલ્યાબાઈ હોલકરે ઈ.સ. ૧૭૮૦માં બંધાવેલું છે. મહારાજા રણજીતસિંહે મંદિરના ઘુમ્મટ માટે સોનાનું દાન આપેલું. મંદિરની જોડે જ્ઞાનવાપી મસ્જીદ છે. ૧૯૮૩થી આ મંદિરનો વહીવટ ઉત્તર પ્રદેશની સરકાર સંભાળે છે. હિંદુઓ માટે આ અતિ પવિત્ર સ્થળ છે. લાખો લોકો આ મંદિરનાં દર્શને આવે છે.
મંદિરમાં મોબાઈલ કે કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ લઇ જવા દેતા નથી. બહાર લોકર રૂમમાં બધું સોપી દેવાનું.
ફોન: +91 54223 92629
સમય: આ મંદિર દર્શન માટે બધા દિવસ ચોવીસે કલાક ખુલ્લું રહે છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ, મથુરા, ઉત્તર પ્રદેશ
08 સપ્ટેમ્બર 2020 Leave a comment
મથુરામાં આ જગાએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. આ મંદિર અનેક વાર તૂટ્યું છે, અને ફરી બંધાયું છે. છેલ્લે ઔરંગઝેબે તે ૧૬૭૦માં તોડ્યું, અને ત્યાં શાહી ઇદગાહ ઉભી કરી હતી. એના પછી, બિરલા અને દાલમિયાના દાનથી આ મંદિર ઈ.સ. ૧૯૮૨માં બનીને તૈયાર થયું છે. તેમાં મુખ્ય ૩ મંદિર છે, ગર્ભગૃહ, કેશવદેવ મંદિર અને ભાગવત ભવન. ગર્ભગૃહમાં કૃષ્ણ જ્યાં જન્મ્યા હતા, ત્યાં મંદિર છે. ભાગવત ભવનમાં રાધાકૃષ્ણ, બલરામ, સુભદ્રા અને જગન્નાથ, રામ, લક્ષ્મણ અને સીતા, ગરુડ સ્તંભ, હનુમાન, દુર્ગા અને શિવલિંગ મંદિરો છે. સંકુલમાં બિરલા અને માલવિયાનાં સ્ટેચ્યુ છે. આ ઉપરાંત, આયુર્વેદ ભવન, ગેસ્ટ હાઉસ, દુકાનો, લાયબ્રેરી અને ખુલ્લું મેદાન છે. સંકુલમાં એક પવિત્ર કુંડ પણ છે. જન્માષ્ટમી, દિવાળી અને હોળી અહીં ખાસ ઉજવાતા તહેવારો છે. આ મંદિરનો ફોન નંબર: +91 56524 23888