એક ડોક્ટરની સરસ વાત

એક ડોક્ટરની સરસ વાત

એક ડોક્ટર વિષે ક્યાંક વાંચેલું. તેની અહીં વાત કરું. ડોક્ટર પોતે સર્જન (ઓપરેશનોના નિષ્ણાત) હતા. તેઓએ કરેલાં ઓપરેશન હંમેશાં સફળ થતાં.

આ ડોક્ટર પાસે જે કોઈ દર્દી આવે, તેને ઓપરેશન પહેલાં ડોક્ટર એક ફોર્મ ભરાવતા. એમાં એક બાબત ખાસ લખવાની રહેતી કે, ‘જો તમે આ ઓપરેશન દરમ્યાન બચી જશો તો તમે બાકીની જીંદગી કેવી રીતે જીવશો?’

અને દર્દીઓ ફોર્મમાં પોતાના મનની વાત દિલ ખોલીને લખતા. જેમ કે “જો હું બચી જઈશ તો બાકીની જીંદગી બહુ સારી રીતે જીવીશ.”, “જો હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વીતાવીશ.”, “ જો હું બચી જઈશ તો જે લોકોનાં દિલ મેં દુભવ્યાં છે, તેઓની સાથે મારા સંબંધો સુધારી લઈશ.”, “જો હું બચી જઈશ તો બાકીની જીંદગી હાસ્ય અને આનંદમાં વીતાવીશ.”, “જો હું બચી જઈશ તો જીંદગીમાં કોઈની સામે ફરિયાદ નહિ કરું, બધા સાથે હળીમળીને રહીશ.”, “જો હું બચી જઈશ તો, કોઈ ગુનાહિત કામ નહિ કરું, જીંદગી પ્રામાણિકપણે જીવીશ.” વગેરે. લોકો આવું બધું લખતા. બધાને જીવી જવાનો મોહ હોય છે. ડોક્ટરને આ બધું જાણવા મળતું.

(ફોર્મમાં કોઈ દર્દી એવું ના લખે કે “ જો હું જીવી જઈશ તો મારે ફલાણા સાથે વેર વાળવું છે, તે હું વાળીશ.”, “હું બહુ જ રૂપિયા કમાઇશ,” વગેરે.)

ડોક્ટર ઓપરેશન કરે, અને દર્દીને હોસ્પિટલમાંથી રજા આપે ત્યારે એનું પેલું ફોર્મ પાછું આપે. અને કહે કે “ જો જો હોં, તમે આ ફોર્મમાં જે લખ્યું છે, તેનું પાલન કરજો. તમે એમાં જે લખ્યું છે, એ પ્રમાણેની જીંદગી જીવજો. અને ફરી બતાવવા આવો ત્યારે આ ફોર્મ પાછું લેતા આવજો, અને તમે એ પ્રમાણે જીવવાનું શરુ કર્યું કે નહિ, તે મને કહેજો.”

પછી ડોક્ટર વધુમાં કહેતા કે, “તમે સાજા હતા, ત્યારે આ પ્રમાણે સારું જીવતાં તમને કોણ રોકતું હતું? તમારે ઓપરેશન કરાવવાનું આવે અને મૃત્યુનો ડર લાગે છે ત્યારે, સારી રીતે જીવવાનું તમને યાદ આવે છે, તો આ રીતે પહેલાં નહોતું જીવી શકાતું?’

મિત્રો, આજના આ લેખમાં આ જ વાત કહેવી છે. તમે સાજાનરવા છો, તમે એકદમ તંદુરસ્ત છો, ત્યારે પણ સારું જીવન જીવો, બધાની સાથે હળીમળીને રહો, કુટુંબના સભ્યો સાથે પ્રેમભાવથી જીવો. માતા, પિતા, પત્ની અને બાળકોને પૂરતો સમય આપો, બીજા લોકો સાથે પણ સારા સંબંધો રાખો, બીજાને મદદરૂપ થવાની ભાવના રાખો, જીવન આનંદ અને સંતોષથી જીવો. ભગવાને આ અમૂલ્ય જીંદગી આપી છે, તેનો ભરપૂર આનંદ માણો. માંદા પડવાની કે ઓપરેશનની સ્થિતિ આવે ત્યાં સુધી સારા બનવાની રાહ ન જુઓ. ‘જાગ્યા ત્યાંથી સવાર’ માનીને અત્યારથી જ સારું જીવન જીવવાનું શરુ કરી દો. તો માંદા પડવાની કે ઓપરેશનની નોબત જ નહિ આવે.

 જિંદગીના અંતે એવું લાગવું જોઈએ કે મારું જીવન હું ખૂબ સરસ જીવ્યો હતો.

લોકોએ સારી જીંદગી જીવવા માટેની, પેલા ડોક્ટરની વાત કેટલી સરસ છે ! તમે પણ ડોક્ટર પાસે ગયા વગર જ, પેલું ફોર્મ ભરીને, સારી રીતની જીંદગી જીવવા માંડો. 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: