મોટે ભાગે બધા એવું માને છે કે જેવું કર્મ કરો તેવું જ તેનું ફળ મળે. આપણી ‘ગીતા’માં પણ કર્મ કરવા વિષે ઘણી વાતો છે. ગુજરાતી કહેવત ‘કરો તેવું પામો’ સાંભળી જ હશે.
દરેક કર્મનું પરિણામ (ફળ) મળે એ સામાન્ય નિયમ છે. વૈજ્ઞાનિક રીતે પણ સાચું છે. જેમ કે તમે ખૂબ જ ખાઓ, ઓવરડોઝ કરો તો, સ્વાભાવિક છે કે પેટમાં દુખે અથવા ઉલટી થાય. ચીકણી ફરસ પર ચાલો તો લપસી જવાય, એ દેખીતું છે. આમ દરેક ઘટનાનું શું પરિણામ આવે તેની આપણને, અનુભવ પરથી ખબર છે. જો આ દેખીતી ઘટનાઓને પરિણામ (ફળ) હોય, તો જે નજરે ના દેખાય એવી બાબતોને પણ પરિણામ તો હોય જ ને? આમ, કર્મનું ફળ તો મળે જ.
કોઈ એક હોંશિયાર પણ લુચ્ચો માણસ, બીજાઓને છેતરીને ધન એકઠું કરે અને એ પોતાને હોંશિયાર માને કે ‘મેં લોકોને કેવા ઉલ્લુ બનાવીને પૈસા એકઠા કર્યા !’ આવું માનીને તે ખુશ થાય. આજે ભલે તે ખુશા થાય, પણ એ જે છેતરપીંડી કરી, તેનું પરિણામ તો તેને ક્યારેક ભોગવવું જ પડે. એ કર્મ-ફળના નિયમથી નક્કી જ છે.
એક ભાઈનો કિસ્સો મારી નજર સમક્ષ છે. તેઓ સરકારી ઓફિસર હતા. તેઓ સાચા લોકોનું પણ કામ ન કરતા. ટલ્લે ચડાવતા. પણ કોઈ તેમને લાંચ આપે, તેનું કામ તેઓ તરત કરી દેતા. ખોટું કામ હોય તો પણ કરી દેતા. આમ કરીને તેમણે બહુ જ પૈસા ભેગા કર્યા. ચારેક વર્ષ પછી, તેમને એક્સિડન્ટ થયો, એમાં કમર તૂટી ગઈ. ઓપરેશનોમાં પૈસા ખર્ચ્યા, પણ સારું થયું નહિ. તેમનાથી બેઠા ના થવાય, પાસુ ના બદલાય એવી સ્થિતિ આવી ગઈ. છેવટે એ છ મહિના રીબાઈને મૃત્યુ પામ્યા. ભેગા કરેલા પૈસા વાપરવા માટે જીવતા ના રહ્યા.
એક વકીલને મેં જોયેલા. ખોટા કેસને પણ સાચા ઠેરવીને જીતાડી દે, અને સાચા માણસને રોવડાવે. આવું કરીને પૈસા એકઠા કરે. પણ એમનો પુત્ર એવો મંદ બુદ્ધિનો અને વિકલાંગ હતો કે એની પાછળ અઢળક પૈસા ખર્ચવા છતાં, એ સારો ના થયો. વકીલને વારસદારનું કાયમ દુઃખ જ રહ્યું.
એક સાવ નાની ઘટના. વર્ષો પહેલાં એક વાર, હું અમદાવાદથી નડિયાદ બસમાં જતો હતો. સાડા ચાર રૂપિયા ટીકીટ હતી. મેં કંડકટરને પાંચની નોટ આપી. કંડકટરે ‘છુટા નથી’ કહીને આઠ આના પાછા ના આપ્યા. સાંજે નડિયાદથી બીજી બસમાં અમદાવાદ પાછો આવ્યો. બસમાં સાડા ચાર રૂપિયાની ટીકીટ લેવાની હતી. મારી પાસે ચાર રૂપિયા છુટા હતા. મેં કંડકટરને કહ્યું, ‘મારી પાસે ચાર રૂપિયા છુટા છે. આઠ આના છુટા નથી.’ કંડકટર કહે, લાવો ચાર રૂપિયા, ચાલશે.’ આ ઘટનાને શું કહેવાય?
જો તમે ધ્યાનથી જોશો તો, કર્મના બદલાનાં તમને અનેક ઉદાહરણ સમાજમાં જોવા મળશે. ક્યારેક એવું પણ જોવા મળે એ કોઈ માણસ બહુ જ ખોટું કરતો હોય તો પણ તેની જીંદગી સરસ ચાલતી હોય, તેને કોઈ ઉપાધી ના આવતી હોય. તો એનું કારણ એવું હોય કે તેણે તેના પૂર્વજન્મમાં સારાં કામ કર્યાં હોય, અને તેનું પરિણામ અત્યારે મળતું હોય. આમાં, પૂર્વજન્મની માન્યતા સ્વીકારવી પડે. જો કે, ભગવાને ગીતાજીમાં પણ પૂર્વજન્મ વિષે કહ્યું જ છે. એટલે પૂર્વજન્મ અને હવે પછીના જન્મની બાબત સાચી હોય એવું તો લાગે છે. (એના વિષે આપણે એક જુદા લેખમાં વાત કરીશું.) ટૂંકમાં, પૂર્વજન્મના સારા કામનો બદલો માણસને અત્યારે મળતો હોય, અને એ માણસ અત્યારે જે ખરાબ કામો કરે છે, એનો બદલો એને જો અત્યારે ના મળી રહ્યો હોય તો એને એનું પરિણામ આવતા જન્મે ભોગવવું પડે એવું બને.
આ પરથી એવું લાગે છે કે કર્મનું ફળ તરત જ મળે એવું નથી. તેનું ફળ ગમે ત્યારે મળે. બીજા જન્મે પણ મળે. ભગવાને બનાવેલા સોફ્ટવેરમાં એનું પ્લાનીંગ લખેલું હશે, જે હજુ આપણને ખબર નથી.
આ બધા અંગે તમે શું માનો છો? કોમેન્ટમાં લખજો. જાણવાની મજા આવશે.