પ્રવાસીઓ વધે તે માટે

પ્રવાસીઓ વધે તે માટે

આપણા દેશમાં જોવાલાયક સ્થળો અને મંદિરો બહુ જ મોટી સંખ્યામાં છે. આ સ્થળોએ જો અઢળક પ્રવાસીઓ આવતા થાય તો સરકારની આવક ખૂબ જ વધે. પણ એવું નથી થતું. આ માટે શું શું કરવું જોઈએ, એની અહીં વાત કરીએ.

જોવાલાયક સ્થળો અને મંદિરો આગળ સરસ ચોખ્ખાઈ રહે, એ ખૂબ જરૂરી છે. કોઈ વ્યક્તિ કાગળના ડૂચા, પ્લાસ્ટિકની બોટલો વગેરે ગમે ત્યાં ન ફેંકે પણ કચરાના બોક્સમાં જ નાખે, ગમે ત્યાં પાણી ન ઢોળે, આવી બધી કાળજી લેવાવી જોઈએ. આવાં સ્થળોએ ટોઇલેટ હોવાં જ જોઈએ, અને તે પણ એકદમ સ્વચ્છ, તો લોકોને ગમશે.

બીજું કે ફરવાનાં સ્થળોએ છેક સુધી વાહન જઈ શકે એવી સુવિધા હોય તો ઘણું જ સારું. અને ત્યાં નજીકમાં જ પાર્કીંગની સગવડ ઉભી કરાય તો બહુ જ સારું રહે. પાર્કીંગ પણ ખૂબ જ વ્યવસ્થિત અને ચોખ્ખું રાખવાનું.  

આ બધી વ્યવસ્થા માટે ખર્ચ થાય, પણ એ માટે ટીકીટ રાખી શકાય. આ ટીકીટ બહુ મોંઘી નહિ રાખવાની, ટીકીટ સસ્તી હોય તો પણ પ્રવાસીઓ વધવાને કારણે સારી એવી રકમ ભેગી થાય, અને સ્વચ્છતા તથા પાર્કીંગના ખર્ચને પહોંચી વળાય. ટીકીટ મોંઘી ના હોય તો પ્રવાસીઓને  પોષાય પણ ખરી.

બીજું કે આપણાં મંદિરો આગળ પૂજાનો સામાન, પ્રસાદ, ચાનાસ્તો વગેરેની ખૂબ જ દુકાનો લાગી જાય છે, અને મંદિર સુધી જવા માટે માત્ર સાંકડી ગલી જ હોય છે. મંદિરનું પ્રવેશદ્વાર પણ ઢંકાઈ જાય, એટલી બધી નાની નાની દુકાનો લાગેલી હોય છે. એને બદલે મંદિરના પ્રવેશદ્વાર આગળ અમુક ખુલ્લી જગા હોવી જોઈએ, બેસવા માટે થોડા બાંકડા રાખવા જોઈએ, અને દુકાનો થોડેક દૂર વ્યવસ્થિત ઉભી કરવી જોઈએ, કે જેથી મંદિર આગળ બહુ જ ગીચ ગિર્દી ના થાય. વળી ખાણીપીણીની દુકાનો આગળ જરાય ગંદકી ના થાય, એ બાબતનું ખાસ ધ્યાન રખાવું જોઈએ.  

સામાન્ય રીતે, જોવાલાયક સ્થળોએ લોકો દૂરથી આવ્યા હોય છે, તેઓ આ સ્થળથી અજાણ્યા હોય છે, એટલે અહીંના અમુક સ્થાનિક લોકો તેમને છેતરીને પૈસા પડાવવાનું કરતા હોય છે. રીક્ષાવાળાઓ મીટરથી ભાડું લેવાને બદલે ઉચ્ચક વધુ પૈસા માગે, ગાઈડ વધારે પૈસા પડાવે, હોટેલોવાળા પણ તકનો લાભ લે, આવું બધું બને છે. એટલે પ્રવાસીઓને છેતરાવાનો બહુ ડર રહે છે. જો આવી છેતરાવાનો ડર ન હોય તો પ્રવાસીઓ વધુ આવે. ઘણી જગાએ તો લોકલ લોકો દાદાગીરી કરતા હોય એવું પણ બને છે.

ઘણી જગાએ હોટેલોમાં પણ સ્વચ્છતા નથી હોતી. ચાદર મેલી હોય, સંડાસ બાથરૂમ ચોખ્ખાં ન હોય, પ્રવાસીઓની ગરજનો લાભ લેતા હોય એવું બને છે.

હોટેલો અને ધર્મશાળા જોવાલાયક સ્થળની નજીક હોવાં જોઈએ. બસ સ્ટેન્ડ અને સ્ટેશનની નજીક પણ રહેવાની સારી વ્યવસ્થા હોવી જોઈએ.

જોવાલાયક સ્થળ આગળ તે સ્થળના ઈતિહાસની વિગતોનાં બોર્ડ મૂકવાં જોઈએ, એ સ્થળના અને આજુબાજુના નકશા મૂકવા જોઈએ, એ સ્થળને લગતાં બેચાર પાનાંનાં ચોપાનિયાં ત્યાં રાખવાં જોઈએ, આ બધું જરૂરી છે. આપણે ત્યાં ઘણી જગાએ ફોટા કે વિડીયો શુટિંગ નથી કરવા દેતા. ફોટા અને વિડીયો શુટિંગ તો કરવા જ દેવું જોઈએ.

મંદિરના પૂજારીઓ અને અન્ય કર્મચારીઓને પ્રવાસીઓ સાથે નમ્રતાથી અને મદદની ભાવનાથી વર્તવું જોઈએ. ઘણી જગાએ આ લોકો પ્રવાસીઓને માર્ગદર્શન નથી આપતા, બલકે રફ અને તોછડાઈથી વર્તતા હોય છે. તેઓ પ્રવાસીઓને તુચ્છ ગણે છે.

લોકો ઘણી વાર ફરવા જવા માટે ઓનલાઈન બુકીંગ કરાવીને જાય છે. એમાં હોટલો વિષે સારું સારું લખ્યું હોય છે, અને ત્યાં જાય ત્યારે સારાને બદલે બધું ખરાબ નીકળે છે, ત્યારે ફસાઈ ગયાનો અને છેતરાયાનો અહેસાસ થાય છે.

એટલે જો આપણે પ્રવાસન ઉદ્યોગ વિકસાવવો હોય તો આ બધી બાબતો સુધારવાની જરૂર છે. તમારા વ્યૂઝ પણ જણાવજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: