વંદે ભારત ટ્રેન
આપણા દેશમાં નવી વંદે ભારત ટ્રેનો શરુ થઇ છે, એની તો બધાને ખબર જ છે. આજ સુધીમાં ૨૫ રૂટ પર વંદે ભારત ટ્રેનો શરુ થઇ છે. સૌથી પહેલી વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ શરુ થઇ હતી. અને છેલ્લી ૨૫મી ટ્રેન જોધપુર અને સાબરમતી(અમદાવાદ) વચ્ચે હમણાં ૭ જુલાઈ ૨૦૨૩ તારીખે શરુ થઇ. બીજી બે ટ્રેનો સ્પેરમાં રાખેલી છે. આ બધી ૨૭ ટ્રેનોનો રંગ સફેદ અને બ્લુ છે. હમણાં ૨૮ મી વંદે ભારત ટ્રેન બની તેનો રંગ સફેદ અને કેસરી રાખેલો છે. આપણા રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ છે, એના પરથી પ્રેરણા લઇ હવે આ ટ્રેનનો રંગ કેસરી કરવામાં આવ્યો છે. મોટા ભાગનાં રાજ્યોમાં વંદે ભારત ટ્રેન છે.
આ ટ્રેનોમાં બે ક્લાસ છે, ચેર કાર અને એક્ઝીક્યુટીવ ક્લાસ. આ બધી ટ્રેનો ટૂંકા અંતરની છે, અને દિવસે જ દોડે છે, એટલે એમાં રાત્રે સુવાનો પ્રશ્ન જ નથી. આથી આ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ રાખ્યા જ નથી. આ ટ્રેન દેશનાં મુખ્ય મુખ્ય સ્ટેશનો વચ્ચે દોડે છે. આ ટ્રેનો ૧૬ ડબ્બા અથવા ૮ ડબ્બાની છે, જેમ કે જોધપુર સાબરમતી ૮ ડબ્બાની છે. આ ટ્રેનોમાં એસી, ઓટોમેટીક ડોર ઓપનીંગ એન્ડ કલોઝીંગ, સીસીટીવી કેમેરા, આખી ગોળ ફરી શકે એવી ખુરસી, વાઈ ફાઈ, વધુ સારાં ટોઇલેટ, કેટરીંગની સગવડ, મોટી બારીઓ, વાંચવા માટે લાઈટ, ઉપર સામાન મૂકવાના રેક વગેરે સગવડો આપવામાં આવી છે. પ્લેન જેવું લાગે. આ ટ્રેનનાં બારણાં બંધ થાય પછીજ ટ્રેન ચાલે. એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવાનો માર્ગ એકદમ એરટાઈટ છે, એટલે બહારનો અવાજ ના સંભળાય.
આ ટ્રેન બનાવવામાં મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ રાખ્યો છે, એટલે કે આપણે જ બનાવવાની. આપણા જ એન્જીનીયરો અને ટેકનીશીયનો દ્વારા આ ટ્રેન બનાવાઈ છે. તેની સૌથી વધુ ઝડપ ૧૩૦ કિમી પ્રતિ કલાક છે, શતાબ્દિ ટ્રેન કરતાં ઝડપ વધુ છે. જો કે પાટાઓની ક્ષમતા ઓછી હોવાને લીધે સ્પીડ ૯૦-૯૫થી વધુ નથી રાખી શકાતી. ભવિષ્યમાં વધુ ઝડપે દોડાવવાનો પ્લાન છે. વંદે ભારત ટ્રેનનો ઉદ્દેશ વધુ ઝડપ અને વધુ સગવડનો છે, જો કે ભાડું પણ થોડુક વધારે છે.
હમણાં જે ૨૮મી ટ્રેન બની તેમાં નાનામોટા ૨૫ ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જેવા કે મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ પહેલાં કરતાં વધુ સહેલાઈથી મળી રહે એવી રચના કરાઈ છે.
વંદે ભારત ટ્રેન ક્યાં બને છે, એ તમે જાણો છો? આપણા દેશમાં મદ્રાસ (ચેન્નાઈ)ના પેરામ્બુર વિસ્તારમાં Integral Coach Factory (ICF) નામનું એક મોટું ટ્રેનો બનાવવાનું કારખાનું છે, એમાં આ ટ્રેનો બને છે. આ ટ્રેનને બીજી ટ્રેનોની જેમ જુદું એન્જીન જોડવાનું નથી હોતું, ટ્રેનને મળતો પાવર સપ્લાય આઠ કે ચાર ભાગમાં છે, દર બે ડબ્બાએ એક જગાએ. એકાદ ભાગ ફેલ થાય તો પણ ટ્રેન ચાલુ રહે છે. ૧૬ ડબ્બાવાળી ટ્રેન બનાવવાનો ખર્ચ આશરે ૧૨૦ કરોડ રૂપિયા જેટલો થાય છે, જે સાદી ટ્રેન કરતાં વધુ છે, જો કે મુસાફરો માટે સગવડો પણ વધુ છે.
આ ટ્રેન સાથે બળદ કે ભેંસ અથડાવાના બનાવો બન્યા છે, ભવિષ્યમાં આવું કોઈ પ્રાણી અથડાય તો ટ્રેનને ઓછામાં ઓછું નુકશાન થાય, એવો સુધારો કરવાનો પ્લાન છે. એ ઉપરાંત, આવું પ્રાણી ટ્રેનના પાટા સુધી ના પહોંચે, એવી વ્યવસ્થા ગોઠવવાની યોજના પણ વિચારણા હેઠળ છે.
ગુજરાતને બે વંદે ભારત ટ્રેનો મળી છે, (૧) મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર (૨) જોધપુરથી સાબરમતી, જે હમણાં જ શરુ થઇ.
તમે વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કર્યો? નથી કર્યો, તો કરજો, મજા આવશે.