હોગેન્કલ ધોધ
16 Feb 2012 Leave a Comment
હોગેન્કલ ધોધ
કુદરતે આ પૃથ્વીને કેટલું બધું આપ્યું છે ! નદીનાળાં, પર્વતો, દરિયા, ધોધ, જંગલો અને ઘણુંબધું. પ્રકૃતિની આ લીલા નીરખવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. તેમાં ય ધોધ તો કુદરતનું મનોહર અને નિરાળુ સ્વરૂપ છે. તમને ધોધ જોવાનો ગમે ને ? આપણા દેશમાં નાનામોટા એટલા બધા ધોધ આવેલા છે કે એમાંથી બહુ ઓછાનાં નામઠામ આપણે જાણીએ છીએ. આવું એક નામ છે હોગેન્કલ ધોધ. કાવેરી નદી પર આ ધોધ આવેલો છે. કાવેરી નદી કર્ણાટક રાજ્યના કોડાગુ જિલ્લામાં આવેલી બ્રહ્મગિરિની ટેકરીઓમાંથી નીકળે છે અને કર્ણાટક તથા તમિલનાડુમાં વહીને બંગાળાના ઉપસાગરને મળે છે. કર્ણાટકમાં કાવેરી નદી પર શીવસમુદ્રમ ધોધ છે, અને આગળ જતાં કર્ણાટક-તમિલનાડુની સરહદ આગળ તમિલનાડુના ધર્માપુરી જિલ્લામાં હોગેન્કલ ધોધ આવેલો છે.
હોગેન્કલ એ માત્ર એક જ ધોધ નથી. પણ વિશાળ જગામાં પથરાયેલ ઘણા ધોધોની હારમાળા છે. હોગેન્કલ આગળ, રેતાળ બીચવાળા મોટા વિસ્તારમાં નદી પથરાય છે, તેથી તે અનેક જળધોધ રચે છે અને એક અલૌકિક દ્રશ્ય ખડુ કરે છે. ધોધનો ફોટો જોતાં જ એની ખબર પડી જશે. આ ધોધ સરેરાશ ૨૦ મીટરની ઉંચાઈએથી પડે છે. તમિલ ભાષામાં hoge એટલે ધુમાડા અને kal એટલે ખડકો. ધોધ પડે ત્યારે અહીં ખડકોમાંથી ધુમાડા નીકળતા હોય એવું લાગે છે. એટલે આ ધોધ હોગેન્કલ(Hogenakkal)તરીકે ઓળખાય છે. તમિલમાં તેને મેરીકોટ્ટાયમ પણ કહે છે. વળી, હોગેન્કલ નામના ગામ આગળ આ ધોધ આવેલો હોવાને લીધે પણ તેને હોગેન્કલ કહે છે. અમેરિકાના નાયગરા ધોધ જોડે તે થોડું સામ્ય ધરાવતો હોઈ, તે ‘ભારતના નાયગરા’ તરીકે પણ જાણીતો છે.
ધોધનું પાણી ખડકો પરથી નીચે ખીણમાં પડે ત્યારે વાદળના ગડગડાટ જેવો અવાજ સતત સંભળાય છે. એક બાજુ ઘુઘવતો, ગર્જના કરતો, ઉછળતો ધોધ અને બીજી બાજુ સાંકડી ખીણમાં શાંત લયબદ્ધ રીતે વહેતું ધોધનું પાણી. કેવું સરસ દ્રશ્ય ! સામે અનેક જગાએથી ધોધ જોઈ શકાય છે. પણ પાણીમાં ઉતરાય એવું નથી. લોકો આ ધોધ જોવા ચોમાસુ પૂરું થયા પછી તરત આવતા હોય છે કે જેથી ચોમાસાના પૂરની રૌદ્રતા ન હોય અને પાણી ઘટીને ઓછું પણ ના થઇ ગયુ હોય. આવા સમયે અહીં ઘણી ભીડ હોય છે. કુદરતના ચાહકો માટે આ એક રમણીય પીકનીક સ્થળ છે. વળી,આ એક પવિત્ર સ્થળ છે. લોકો અહીં સ્નાન કરીને પવિત્ર થાય છે. નહાવાનું ઉપરવાસમાં વધુ અનુકૂળ છે. નદીની આજુબાજુ ગાઢ જંગલો આવેલાં છે. તેમાં ટ્રેકીંગની મજા લઇ શકાય છે.
આ ધોધ ખાસ બે બાબતો માટે વધુ જાણીતો છે. એક તો, આ પાણીમાં નહાવાથી ચામડીના રોગો દૂર થાય છે, એવી માન્યતા છે. ધોધરૂપે પડતા પહેલાં કાવેરી નદી જંગલની વનસ્પતિમાં થઈને પસાર થાય છે, એટલે તેનું પાણી દવાની ગરજ સારે છે. જાણે કે સ્પા માટેનો હેલ્થ રીસોર્ટ ! અને બીજી બાબત એ કે ધોધ પડ્યા પછી, ખીણમાં વહેતા પાણીમાં, ખાસ પ્રકારની બોટમાં બેસીને બોટીંગ કરી શકાય છે. અહીના સ્થાનિક લોકો, ગોળ ટોપલા જેવી હોડી બનાવે છે. વાંસની આ હોડીનો વ્યાસ આશરે સાત ફૂટ જેટલો હોય છે. તેમાં વધુમાં વધુ આઠ જણ બેસી શકે છે. હોડીનો નાવિક તેને એક જ હલેસાથી આગળ ધકેલે છે. અહીના લોકો આવી હોડી, વાંસના સળિયા ગૂંથીને એક જ દિવસમાં તૈયાર કરી નાખે છે. તળિયે ચામડાની ખાલ કે પ્લાસ્ટિકનુ કપડું મઢી લે છે, એટલે પાણી હોડીમાં પેસી ના શકે. આ હોડી કેવી દેખાય છે તે ફોટામાં જોઈને તરત જ ખ્યાલ આવી જશે. આવી હોડીને તમિલમાં ‘પરિસાલ’ તથા કન્નડ ભાષામાં ‘ટેપ્પા’ કે હરિગોલુ’ કહે છે. આવી ગોળ થાળી જેવી હોડીમાં બેસવાની કેવી મજા આવે ! ઘણા પ્રવાસીઓ તો, આવી હોડીથી આકર્ષાઈને ખાસ તેમાં સફર કરવા માટે અહીં આવે છે. હોડીવાળો, હોડીને ધોધની સામે લઇ જઈને ધોધનાં નજીકથી દર્શન કરાવે છે. ધોધના વહેતા તરંગમય પાણી પર, લયબદ્ધ રીતે ઊંચીનીચી થતી બોટની સફર કેવી રોમાંચક હોય ! એની મજા તો આ હોડીમાં બેસો તો જ માણવા મળે. જો કે ધોધમાં પાણી પુષ્કળ હોય ત્યારે હોડીઓ ફરતી બંધ થઇ જાય છે. જમીન રસ્તે તો ધોધની સામે નજીક પહોંચાય એવું છે જ નહિ. ટોપલાહોડીમાં જ જવું પડે. હોડીવાળાની, હોડીમાંથી થતી કમાણી એ જ તેમની આવકનું મુખ્ય સાધન છે. હોડીવાળા માછલી અને નાસ્તો પણ વેચતા હોય છે. નદીકિનારે દુકાનોમાં પણ આ બધું મળે છે. અહીં મસાજ કરનારા પણ મળી રહે છે.
નીચવાસમાં ખીણની બંને બાજુ ઉંચા ઉંચા ખડકો છે.અહીં નાના છોકરાને થોડા રૂપિયા આપો તો તે ત્રીસેક ફૂટ ઉંચા ખડક પરથી ખીણમાં કૂદી, પળવારમાં તો સીધા ચઢાણવાળા ખડક પર ચડીને ઉપર પાછો પહોંચી જાય. એની ચપળતા, ઝડપ અને સાહસ જોઈને દંગ રહી જવાય.
ધોધ પડ્યા પછી, તે દક્ષિણ બાજુએ વહી જાય છે અને પછી, મેત્તુર ડેમ આગળ મોટુ સરોવર રચે છે. આ ડેમ ૧૯૩૪ માં બંધાયો હતો. બંધના પાણીનો ઉપયોગ સિંચાઇ અને વીજળી પેદા કરવામાં થાય છે. તમિલનાડુ સરકાર, હોગેન્કલ ધોધમાંથી પીવાનું ચોખ્ખું પાણી મેળવવાનો પ્રોજેક્ટ હાથ ધરી રહી છે.
ફિલ્મોવાળાને તો આવો ધોધ જરૂર આકર્ષે. અહીં ઘણી તમિલ ફિલ્મોનાં શુટીંગ થયેલાં છે. હિન્દી ફિલ્મ ‘રોઝા’ ના એક ગીતનું શુટીંગ અહીં થયેલું છે.
હોગેન્કલ ધોધ ધર્માપુરીથી ૪૬ કી.મી. અને બેંગ્લોરથી ૧૮૦ કી.મી. દૂર છે. હોગેન્કલ જવા માટે બેંગલોર અને સાલેમથી બસો મળે છે. નજીકનું રેલ્વે સ્ટેશન ધર્માપુરી છે. ક્યારેક તક મળે તો ધોધ જોવા અને પેલી ટોપલાહોડીમાં બેસવા જરૂર જજો.
પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને
03 Feb 2012 2 Comments
પાલિતણા, શેત્રુંજય તીર્થનાં દર્શને
ગુજરાતમાં ખૂબ જાણીતાં હોય એવાં ઘણાં બધાં યાત્રાધામો છે. જેવાં કે ડાકોર, અંબાજી, સોમનાથ, શામળાજી, વડતાલ વગેરે. પાલિતણા પણ આવું જ પ્રસિદ્ધ યાત્રાધામ છે. જૈન ધર્મનાં અહીં એટલાં બધાં મંદિરો છે કે ના પૂછો વાત ! અહીં ફક્ત જૈન મંદિરો હોવા છતાં, ધર્મના કોઈ પણ જાતના બાધ વગર, બધા લોકો દર્શને આવે છે, એવું એ પવિત્ર ધામ છે. અમે પણ આ પવિત્ર ભૂમિના દર્શને જવાનો કાર્યક્રમ બનાવી, એક દિવસે બપોરે બે વાગે પાલિતણા જવા નીકળી પડ્યા.
અમદાવાદથી પાલિતણા શહેરનું અંતર ૨૨૦ કી.મી. છે. અમદાવાદથી બાવળા, બગોદરાના રસ્તે જવાનું. બગોદરાથી ભાવનગર તરફ વળવાનું. ત્યાંથી ધંધુકા, બરવાળા, વલભીપુર, ધાંધલી, શિહોર અને સોનગઢ થઈને પાલીતણા પહોંચાય. આમ તો આ રસ્તે પણ ઘણાં જૈન તીર્થો આવે છે. બગોદારમાં નવકાર તીર્થ છે. હમણાં એક વર્ષ પહેલાં જ બન્યું છે. ખુલ્લી વિશાળ જગામાં બગીચા, પાર્કીંગ અને રહેવાજમવાની વ્યવસ્થાવાળું આ સ્થળ ઘણું જ સરસ છે. અહીં બેસો તો મનને શાંતિ જરૂર લાગે છે. અમે અહીં પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી પ્રવાસ આગળ વધાર્યો.
ધંધુકા પછીના તગડી ગામે વૈષ્ણવ સંપ્રદાયની શ્રીમહાપ્રભુજીની બેઠક આવેલી છે. તળાવને કિનારે આવેલી આ જગા પણ એક સરસ નૈસર્ગિક સ્થળ છે. અહીં વૈષ્ણવો માટે રહેવાજમવાની વ્યવસ્થા છે. તગડીથી બરવાળાના રસ્તે પાંડવકાલીન ભીમનાથ મહાદેવ આવે છે. એ પણ એક જાણીતું શીવમંદિર છે. બરવાળાથી ૨૦ કી.મી. પછી અયોધ્યાપુરમ નામે એક પ્રખ્યાત જૈન મંદિર છે. ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અહીં આદિનાથ ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિનાં દર્શન કરીને મન પ્રફુલ્લિત થઇ જાય છે. આદિનાથ દાદા એટલે જૈનોના પહેલા તીર્થંકર. મહાવીર સ્વામી એ ચોવીસમા તીર્થંકર. જૈનોના પ્રખ્યાત તીર્થ સમેતશિખરજીમાં પાર્શ્વનાથ પ્રભુ અને ગીરનારમાં નેમિનાથ પ્રભુ બિરાજે છે. અયોધ્યાપુરમમાં પણ રહેવાજમવાની સગવડ છે. જૈનોનાં બધાં તીર્થોમાં જમવાની વ્યવસ્થા હોય જ છે. દર્શને આવનારાઓને તકલીફ ના પડે તેની સારી કાળજી લેવાય છે. તમે આ રસ્તે નીકળો તો અયોધ્યાપુરમ થોભીને આ મંદિર જરૂર જોજો.
અમે આગળ ચાલ્યા. વલભીપુર પસાર થયું. અહીં વલભીપુરમાં કોઈ દાતાએ એક મોટો બંગલો પ્રજા માટે દાનમાં આપેલો છે. અહીંથી પસાર થતા જૈન ધર્મીઓને રાત્રિનિવાસ કરવો હોય તો અહીં થઇ શકે છે. આગળ જતાં ધાંધલી, શિહોર અને સોનગઢ ગામ આવ્યાં. ધાંધલીથી શિહોરનો રસ્તો થોડો ખરાબ છે. પણ વાહનો તો આરામથી જઈ શકે. સોનગઢની હીંગ વખણાય છે. સોનગઢથી આગળ જઈએ એટલે ‘શેત્રુંજય પ્રવેશદ્વાર’ લખેલી મોટી કમાન આવે છે. અહીંથી પાલિતણા માત્ર ૨૮ કી.મી. દૂર છે. આગળ જતાં વીસેક કી.મી. પછી અઢીદ્વીપ નામનું જૈન મંદિર આવે છે. આ બધું જોતા જોતા અમે સાંજે સાત વાગે પાલિતણા પહોંચી ગયા.
પાલિતણામાં પુષ્કળ લોકો દર્શનાર્થે આવે છે. વર્ષના કોઈ પણ સમયે અહીં લોકોની ભીડ દેખાય છે.તહેવારોમાં તો માનવ મહેરામણ ઉમટે છે. જૈનોના સંઘ તો અવારનવાર આવ્યા જ કરે છે. આટલા બધા લોકોને રહેવા માટે અહીં ઘણી ધર્મશાળાઓ ઉભી થઇ છે. નામ ભલે ‘ધર્મશાળા’ હોય, પણ તેમાં હોટેલ જેવી બધી સગવડો હોય છે. અમે અગાઉથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવ્યું ન હતું, એટલે ધર્મશાળામાં રૂમ મળવામાં થોડી તકલીફ પડી, પણ છેવટે મળી તો ગઈ જ. ફોનથી કોઈ ધર્મશાળામાં બુકીંગ કરાવીને આવવું વધુ સારું. રાત્રે જમીને આરામ કર્યો. બીજે દિવસે શેત્રુંજય ડુંગર ચડવાનો કાર્યક્રમ હતો.
પાલિતણા શહેર એક નાના નગર જેવું લાગે. શહેરના રસ્તાઓ ખૂબ જ સારા અને પહોળા છે. રસ્તાઓ પર ચોખ્ખાઈ ખૂબ જ છે. પાલિતણાનું મુખ્ય આકર્ષણ છે શેત્રુંજય ડુંગર અને ડુંગર પરનાં જૈન મંદિરો. પાલિતણા નગરના છેડેથી જ ડુંગર શરુ થાય છે. આ જગાને તળેટી કહે છે. પાલિતણાની મોટા ભાગની ધર્મશાળાઓ તળેટીની નજીક જ આવેલી છે. શેત્રુંજય તીર્થની યાત્રાએ આવનારા લોકો, તળેટીથી ડુંગર ચડવાનું શરુ કરે છે. અહીં ડુંગર તરફ ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે. પ્રવેશદ્વારમાં દાખલ થતામાં જ એક મોટું મંદિર છે. તેને બાબુ દેરાસર કહે છે. દેરાસરમાં આદિનાથ ભગવાનની મૂર્તિ છે. આ દેરાસર ખૂબ વિશાળ પરિસરમાં પથરાયેલું છે. જેને શેત્રુંજય ડુંગર ન ચડવો હોય કે શારીરિક તકલીફને કારણે ચડી શકાય તેમ ન હોય તે બાબુ દેરાસર સુધી તો આવે જ. એટલે અહીં તો મોટા મેળા જેવું લાગે. લોકો બાબુ દેરાસરમાં પૂજાપાઠ, અર્ચન કરતા હોય છે. જૈન ધર્મની દીક્ષા લેવાની વિધિ પણ અહીં થાય છે. અહીં મહારાજ સાહેબ(મ.સા.) તથા સાધ્વીઓનાં દર્શન કરવાની તક પણ આસાનીથી મળે.
બાબુ દેરાસરની બાજુમાં સમોવર્ષણ નામનું દેરાસર છે. તેનો દેખાવ ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અજાયબીમાં ગણી શકાય એવી સરસ આ કલાકૃતિ છે. સમોવર્ષણની તસ્વીર એ પાલિતણાની ઓળખ છે. થોડી વાર સુધી જોયા જ કરવાનું મન થાય એવો એનો દેખાવ છે.
શેત્રુંજય પર ચડવાનો રસ્તો બાબુ દેરાસર અને સમોવર્ષણ દેરાસરની વચ્ચે થઈને પસાર થાય છે. અમે આ બંને દેરાસરમાં દર્શન કરી, ડુંગર ચડવાનું શરુ કર્યું. રસ્તો પગથિયાંવાળો છે. પગથિયાં એટલાં સરસ અને પહોળાં બનાવ્યાં છે કે ચડવાનું સહેલું લાગે. વળી, દરેક પગથિયાની ઊંચાઈ પણ છ ઈંચથી વધારે નથી એટલે ચડવામાં થાક ઓછો લાગે. દર પચાસ પગથિયાંએ પગથિયાંનો નંબર લખેલો છે એટલે તમે કેટલાં પગથિયાં ચડ્યા, તેનો અંદાજ મળતો રહે. ડુંગરની ટોચ સુધી કુલ ૩૩૬૪ પગથિયાં છે. થોડા થોડા અંતરે પગથિયાંની બંને બાજુએ શીલાઓ પર ભગવાનને નમન કરતાં સૂત્રો લખેલાં નજરે પડે છે. ઘણા લોકો ચંપલ પહેર્યા વગર ડુંગર ચડવાની બાધા રાખતા હોય છે, એટલે ગરમીમાં પગે દઝાવાય નહિ તે માટે પગથિયાં પર બંને બાજુએ થોડા ભાગમાં સફેદ રંગ કરેલો છે. એક બાજુનો સફેદ પટ્ટો ચડનારાઓ માટે તથા બીજી બાજુનો પટ્ટો ઉતરનારાઓ માટે. થોડા થોડા અંતરે વિસામાઓ પણ આવે છે. વિસામા પર માટલાનું ઠંડું ચોખ્ખું પીવાનું પાણી મળી રહે છે. અહીં પાણી પીને બે ઘડી બેસવાથી નવું જોમ આવી જાય અને પછી યાત્રિકો આગળ પગથિયાં ચડવાનું શરુ કરે.
લગભગ છસો એકાવન પગથિયાં પછી થોડો સપાટ રસ્તો આવે છે. પછી વળી પાછાં પગથિયાં. લગભગ અઢારસો પગથિયાં પછી હિંગળાજ માતાનું મંદિર આવે છે. માતાને પગે લાગી યાત્રિકો આગળ વધે છે. બધાને ઠેઠ ટોચ પર પહોંચી આદિનાથ દાદાને મન ભરીને નિરખવા છે. અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી જીંદગીમાં ધન્યતા અનુભવવી છે. એ ઉત્સાહમાં થાક વર્તાતો નથી. આમ છતાં, યાત્રિકો ચડતાં ચડતાં હાંફી જાય તો દર થોડાં પગથિયાંએ સહેજ ઉભા રહીને થાક ખાઈ લે છે. જાતે ન ચડી શકનારા માટે ડોળી મળી રહે છે. પણ ચઢાણવાળા રસ્તે આપણી જાતને બીજા મનુષ્યો દ્વારા ઉચકાવવી એ માનવતા વિરુદ્ધનું કૃત્ય લાગે છે. ડોળીમાં બેસીને યાત્રા કરવાથી ભગવાન પ્રસન્ન થતા હશે કે કેમ, એ તો ભગવાન જ જાણે !
અમે એક બહેનને તો દરેક પગથિયે નીચે બેસી, માથું પગથિયે નમાવી, ઉપર ચડતાં જોયાં. એ બહેનને કેટલું કષ્ટ પડ્યું હશે ? એ ભગવાનમાં કેટલી અતૂટ શ્રદ્ધા ધરાવતાં હશે ?
શેત્રુંજયની ઉપર પહોંચ્યા પછી, અહીનાં મંદિરોનો માહોલ તો ખરેખર અદભૂત છે. અહીં કુલ કેટલાં મંદિરો હશે, તે કલ્પી શકો છો ? લોકોના કહેવા પ્રમાણે, અહીં મંદિરોની સંખ્યા ૯૦૦ જેટલી છે ! દરેક મંદિરમાં દર્શનનો લ્હાવો લેવા જેવો છે. આ મંદિરો અગિયારમી સદીથી ઓગણીસમી સદી સુધીના આઠસો વર્ષના ગાળામાં બંધાયાં છે. મંદિરો બાંધવામાં પથ્થર અને આરસનો ઉપયોગ થયેલો છે. મંદિરોની દિવાલો પરની દેવદેવીઓની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ જોતાં એમ લાગે છે કે એ વખતના લોકો કેવા કલાપ્રેમી હશે ! આટલું બધું શિલ્પકામ કરવામાં કેટલો બધો સમય લાગ્યો હશે ! પણ નિપુણતા, પ્રભુભક્તિ અને શોખને લીધે આ બધું શક્ય છે. અને મંદિરો કેવાં ભવ્ય અને ઉત્તુંગ શિખરોવાળાં છે ! એક જુઓ અને એક ભૂલો, એવાં આ મંદિરો જોઈને મન આનંદ, ભક્તિ અને પ્રભુપ્રેમમાં તરબોળ થઇ જાય છે. અમને આબુનાં દેલવાડાનાં દહેરાં અને મોઢેરાનું સૂર્ય મંદિર યાદ આવી ગયાં. અહીનાં મંદિરોમાં મુખ્ય મંદિર આદિનાથ દાદાનું છે. આ મંદિરને દાદાની ટુક પણ કહે છે. આદિનાથ દાદાનાં દર્શન કરીને મન પાવન થઇ જાય છે. એક વાર તો અહીં દર્શન કરવા જજો જ.
શેત્રુંજયની ટોચ પરથી, પાલિતણાની બાજુમાં વહેતી શેત્રુંજી નદીનું દ્રશ્ય બહુ જ સુંદર લાગે છે. શેત્રુંજી પર બાંધેલા બંધને લીધે ઉપરવાસમાં ભરાયેલ સરોવર અહીંથી દેખાય છે. ટોચ પથી ચારે બાજુ નજર કરતાં એમ લાગે કે ભગવાને કેવી સરસ સૃષ્ટિ રચી છે ! ઘણે દૂર એક અન્ય ડુંગર પર બાંધેલાં મંદિરો પણ ઝાંખાં ઝાંખાં દેખાય છે. એ છે હસ્તગિરિ પરનું જૈન મંદિર. બીજા દિવસે અમે હસ્તગિરિ જવાના હતા.
બસ, પછી મનમાં સંતોષ ભરી અમે ડુંગર ઉતરવાનું શરુ કર્યું. પેલાં છસો એકાવન પગથિયાંના સપાટ રસ્તા આગળ, એક ભાઈ ભાતાગૃહમાં નાસ્તો કરવાના(નવકારસીના) પાસ આપતા હતા. તે પાસ લઈને તળેટીએ પહોંચી ગયા.
તળેટીમાં ચાનાસ્તાની દુકાનો છે. તે એકદમ વ્યવસ્થિત રીતે લાઈનબંધ ઉભી કરેલી છે. ચોખ્ખાઈ તો ખૂબ જ. અહીં શેરડીનો રસ બારે માસ મળે છે. અમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો. અહીં કાચું પપૈયું અને ચવાણું નાખેલી ખાસ પ્રકારની ભેળ મળે છે. તે ખાવાની મજા આવી. બાજુમાં જ ભાતાગૃહ છે. પેલા પાસ ધરાવનારને અહીં ખાવાપીવા માટે બુંદી, સેવ અને ચા મળે છે, અને તે પણ જોઈએ તેટલાં. ખાધા પછી સાકર-વરિયાળીનું પાણી મળે છે. આ બધાથી ડુંગર ચડ્યાઉતર્યાનો થાક ઉતરી જાય છે.
ભાતાગૃહમાં ખાધા પછી અમે ત્રણેક કલાક આરામ કર્યો અને સાંજના પાલિતણા નગર જોવા નીકળ્યા. તળેટીની નજીકના વિસ્તારમાં મણીભદ્ર દેરાસર, કાચનું દેરાસર તથા અન્ય જાણીતાં મંદિરો છે. મ.સા. તથા સાધ્વીઓના મુકામ માટે પણ વ્યવસ્થા છે. એ બધું જોયું.
બીજા દિવસે અમે પાલિતણાથી ૧૭ કી.મી. દૂર આવેલા હસ્તગિરિ ડુંગર જવા નીકળ્યા. શેત્રુંજીના કિનારે કિનારે રસ્તો છે. હસ્તગિરિ ડુંગરની ટોચ પર છેક મંદિર સુધી ગાડી તેમ જ લક્ઝરી બસો જઈ શકે છે. વળાંકો તેમ જ ઢાળ પર જરા સાચવીને ડ્રાઈવિંગ કરવાનું. કુલ છ કિલોમીટરનું ચઢાણ છે. ઉપર ઋષભદેવ(આદિનાથ) ભગવાનનું ભવ્ય દેરાસર અને પરિસરમાં ૭૨ જિનાલય છે. આખું બાંધકામ સફેદ આરસનું છે. સવારના સૂર્યના કોમળ તડકામાં આ મંદિરોનાં શિખરો ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. મંદિરની બહાર ચારે બાજુ વિશાળ ચોગાન અને તેમાં ઉભાં કરેલાં નાનાં મંદિરો અહીના આકર્ષણમાં ઓર વધારો કરે છે. એમ થાય કે આ જગાએ બસ, બેસી જ રહીએ. મનને અપૂર્વ શાંતિ મળે છે અને ચારે બાજુનો નઝારો એટલો સરસ કે બસ જોયા જ કરો. દૂર દૂર શેત્રુંજયની ટોચ પણ દેખાય છે.
છેવટે હસ્તગિરિથી પાલિતણા પાછા વળી, જમીને અમદાવાદ તરફ વળ્યા. રસ્તામાં અયોધ્યાપુરમ, તગડી અને બગોદરાના નવકારતીર્થમાં વિરામ કર્યો. સાંજે તો અમદાવાદમાં. પ્રવાસમાં ખૂબ જ આનંદ આવ્યો. સારા વિચારો અને ભગવાન પ્રત્યેની શ્રધ્ધાને થોડું બળ મળ્યું. એક વાર તો પાલિતણા જોવા જેવું ખરું જ. કોઈક શ્રદ્ધાળુ લોકો તો બે મહિનાના ગાળામાં શેત્રુંજય ડુંગરની ૯૯ વખત યાત્રા કરે છે.
પાલિતણાથી સૌથી નજીકનું મોટું શહેર ભાવનગર અહીંથી ૫૧ કી.મી. દૂર છે. અમદાવાદ, ભાવનગર, ગારિયાધાર વગેરે સ્થળોએથી પાલિતણા જવા માટે એસ.ટી. બસો મળી રહે છે. ભાવનગરથી પાલિતણા રેલ્વે રસ્તે પણ જવાય છે. પાલિતણાથી આગળ બગદાણામાં સીતારામ બાપનો આશ્રમ, તળાજા પાસે ગોપનાથ મહાદેવ, ભાવનગર પાસે ખોડિયાર માતાનું મંદિર, નિષ્કલંક મહાદેવ વગેરે જોવાલાયક સ્થળો છે. અમદાવાદથી બગોદરા પહોંચતા પહેલાં, ધોળકા પાસે ગણેશપુરામાં ગણેશ મંદિર અને અરણેજમાં બૂટભવાની માતાનું મંદિર પણ જાણીતાં છે. ત્યાંથી નજીકમાં જ લોથલમાં પુરાના જમાનાના અવશેષો મળી આવ્યા છે. બરવાળાથી ૩ કી.મી. દૂર કુંડળમાં સ્વામીનારાયણ મંદિર, દરબારગઢ અને શનિદેવ તથા ત્યાંથી ૧૧ કી.મી. દૂર સાળંગપુરમાં હનુમાન મંદિર પણ પ્રખ્યાત છે.
શીવસમુદ્રમ ધોધ
27 Jan 2012 Leave a Comment
શીવસમુદ્રમ ધોધ
કર્ણાટક રાજ્ય એટલે ધોધભર્યો પ્રદેશ. ભારતના કોઈ પણ રાજ્યની સરખામણીમાં કર્ણાટકમાં સૌથી વધુ ધોધ આવેલા છે. આવો જ એક ધોધ છે શીવસમુદ્રમ. કર્ણાટકના માંડ્યા જીલ્લામાં વહેતી કાવેરી નદી શીવસમુદ્રમ ગામ આગળ ધોધરૂપે પડે છે. એ જ શીવસમુદ્રમ ધોધ. પહેલાં આ ધોધ કાવેરી ધોધના નામે ઓળખાતો હતો. કાવેરી નદીને દક્ષિણની ગંગા પણ કહે છે. જાણે કે ગંગા શીવજીની જટામાંથી જોરદાર રીતે પછડાઈને નીચે સમુદ્ર રચતી હોય એવી કલ્પના કરી શકાય. ધોધની ઉંચાઇ ૯૦ મીટર એટલે કે ૩૦૦ ફૂટ છે. બારે માસ આ ધોધ જોવા મળે છે. સામાન્ય રીતે દર સેકંડે ૯૩૪૦૦૦ લીટર પાણી ધોધરૂપે પડે છે. ચોમાસામાં જયારે પૂર આવે ત્યારે તો પાણીનો જથ્થો આનાથી દસ ગણો પણ થઇ જાય.
કાવેરી, ધોધરૂપે પડતા પહેલાં, ઉપરવાસમાં બે ફાંટામાં વહેંચાઈ જાય છે. એટલે આખી નદી બે જુદા જુદા ધોધરૂપે પડે છે. પશ્ચિમ બાજુના ધોધને ગગનાચુક્કી અને પૂર્વ બાજુના ધોધને ભારાચુક્કી કહે છે. બંને વચ્ચે આશરે ૧ કી.મી. જેટલું અંતર છે. જો કે નીચે પડ્યા પછી તો બંનેનાં પાણી ભેગાં જ થઇ જાય છે. બંને ફાંટા વચ્ચે ઉપરવાસમાં ટાપુ રચાય છે. પહેલાં અહીં કોઈ ગામ પણ વસેલું હતું. હાલ અહીં જૂનાં મંદિરોનાં ખંડેરો જોવા મળે છે. ભારાચુક્કીમાં ખડકો ઓછા છે એટલે એ ધોધ વધુ શાંત, નિર્મળ અને ગંભીર લાગે. ધોધરૂપે પડ્યા પછી કાવેરી નદી ખીણમાં પૂર્વ તરફ આગળ વહે છે. ધોધનો આકાર નાયગરાની જેમ થોડોક ‘U’ જેવો લાગે છે.
ધોધ જોવા માટે, ધોધની સામે વોચટાવર ઉભો કરેલો છે. અહીં ઉભા રહીને જોતાં ધોધ ખૂબ જ ભવ્ય અને મનોહર લાગે છે. જોઈને એમ લાગે કે કુદરતની લીલા કેવી અપરંપાર છે. મનને મોહી લે એવો કેવો સુંદર નઝારો કુદરતે સર્જ્યો છે ! વોચટાવર પરથી, ધોધ જ્યાં નીચે ખાબકે છે તે જગા દેખાતી હોય છે. અહીં ધુમ્મસ અને પાણીનાં ફોરાંનાં જોરદાર વાદળો ઉડે છે. એ જોઈને હૃદય એક ધબકારો ચૂકી જાય એવો અદભૂત દેખાવ સર્જાય છે. એમાં ય વળી, કાવેરીને મળતી હેમાવતી, હરંગી, કપિલા વગેરે નદીઓમાં ચોમાસામાં પૂર આવ્યાં હોય ત્યારે તો પૂછવું જ શું ? ‘સમુદ્ર’ નામ સાર્થક થઇ જાય. ધોધના ફોટા પાડવા માટે વોચટાવર સારામાં સારી જગા છે.
કાવેરીની બાજુમાં કબિની નદી પણ ધોધરૂપે પડીને કાવેરીમાં વિલીન થઇ જાય છે, અને એમાં પણ ઘોડાપૂર આવતાં હોય છે. સામાન્ય રીતે, જુલાઈ-ઓગસ્ટની વરસાદી ઋતુમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. ઘણા ટૂરિસ્ટો ખડકો વીંધીને ધોધના ઉપરવાસમાં જવાનું સાહસ ખેડે છે, પણ તે જોખમી છે.
કાવેરી નદી કર્ણાટકમાં વહ્યા પછી તમિલનાડુમાં પ્રવેશે છે, તે દરમ્યાન તેમાં બીજા ધોધ પણ આવે છે. પણ તે બધામાં ખાસ અગત્યનો છે શીવસમુદ્રમ.
૧૯૦૨માં આ ધોધ પર હાયડ્રો પાવર સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું હતું. માયસોર સ્ટેટના દીવાન શેષાદ્રી અય્યરે તે શરુ કરાવેલું. એશિયાનું એ પહેલું વિદ્યુત સ્ટેશન હતું. અહીં પેદા થતી વીજળી પહેલવહેલી બેંગલોર શહેરને પૂરી પાડવામાં આવી હતી. ત્યાર બાદ અહીંથી કોલારની સોનાની ખાણ અને માયસોરને વીજળી આપવામાં આવી હતી. તે વખતે ધોધ અને વીજળીઘર જોવા જવા માટે, રોપવે પર ટ્રોલી શરુ કરવામાં આવી હતી. પણ પછી આતંકવાદીઓનો ભય વધતાં, ટ્રોલી બંધ કરવામાં આવી છે. જો પૂરતી સલામતી સાથે રોપવે ટ્રોલી ફરી શરુ થાય તો અહીં મુલાકાતીઓની સંખ્યા જરૂર વધે. વીજળીઘર તરફથી કે દરગાહ બાજુથી પણ ધોધ જોઈ શકાય છે.
શીવસમુદ્રમ ધોધની આજુબાજુ ગાઢ જંગલો છે. ધોધ આગળ દુકાનો કે રેસ્ટોરન્ટ નથી. રહેવાની સગવડ પણ નથી. એટલે પ્રવાસીઓએ પાણી, નાસ્તો વગેરે લઈને જ જવું. ધોધ આગળની જગા બિલકુલ પ્રદૂષણરહિત છે.
શીવસમુદ્રમ ધોધ, માયસોરથી ૮૦ કી.મી., બેંગ્લોરથી ૧૩૯ કી.મી., સોમનાથપુરમથી ૨૭ કી.મી. અને માંડ્યા શહેરથી ૬૦ કી.મી. દૂર આવેલો છે.મદુર નામનું નજીકનું રેલ્વે સ્ટેશન ધોધથી ૪૦ કી.મી. દૂર છે. માંડ્યા અને માયસોરથી શીવસમુદ્રમ જવા માટે બસો મળી રહે છે. બસમાંથી ઉતર્યા પછી, ધોધ સુધી પહોંચવા માટે કાવેરીના કિનારે કિનારે બેએક કી.મી. જેટલું ચાલવું પડે છે.
ફિલ્મોવાળા, સારા ધોધને તો ફિલ્મોમાં ચમકાવવાનું ચૂકતા નથી. ‘દિલ એ નાદાન’ ફિલ્મનું ગીત ‘ચાંદની રાત મેં એક બાર તુઝે દેખા હૈ’ જોજો. એ જોઈને તથા અહીં આપેલા ફોટા જોઈને, શીવસમુદ્રમ ધોધ જોવા જવાનું મન જરૂર થઇ જશે. બોલો, ક્યારે જાઓ છો ?
વાર્તા ‘મોડે મોડે પણ………સમજાયું !’
12 Jan 2012 Leave a Comment
મોડે મોડે પણ………સમજાયું !
‘અરે ઓ, સાંભળે છે ? બે ગુલાબજાંબુ વધારે આપ ને ? આજે તો આખી જિંદગીની ભૂખ લાગી છે.’ પત્ની લીલાએ બે ગુલાબજાંબુ વધારે પીરસ્યાં. જીતુભાઈએ જમીને આનંદનો ઓડકાર ખાધો. મુખવાસ પણ ખાધો.
‘ચાલ ને થોડું બહાર ફરી આવીએ, મજા આવશે.’ પતિ-પત્ની થોડું ચાલી આવ્યાં. જીતુભાઈએ લીલાને શિંગોડા પાન પણ ખવડાવ્યું. જૈફ વયે પહોંચેલાં આધેડ દંપતિ આજે ખુશખુશાલ હતાં. જીવનમાં આવો પ્રેમ તેમણે વર્ષો પછી માણ્યો હતો.
બીજે દિવસે ઓફિસમાં જીતુભાઈ મને મળવા આવ્યા. ‘પ્રકાશભાઈ, મારી જિંદગીમાં ફરી વસંત આવી હોય એમ લાગે છે. લીલા હવે બિલકુલ સુધરી ગઈ છે. આશા રાખું કે ફરી તેનું ફટકે નહિ.’
મેં કહ્યું, ‘જીતુભાઈ, ધીરજ રાખો. સહુ સારાં વાનાં થશે. જિંદગીમાં સારાં કર્મો કરનારને તેનું સારું ફળ મળે જ છે.’
થોડી વાતો કરીને જીતુભાઈ ગયા. જીતુભાઈ મારી ઓફિસમાં મેનેજર જેવી જ પાયરી પર હતા. અમે સમવયસ્ક હોવાથી તેમને મારી સાથે ઘણું સારું ફાવતું. ધીરે ધીરે મિત્રતા વધતાં, તેમણે તેમની જિંદગીની કિતાબનાં પાનાં મારી સમક્ષ ખુલ્લાં કર્યાં હતાં. તેમાં રહેલું દુઃખ અને સહનશીલતા મેં તેમની વાતો પરથી જાણી હતી.
જીતુભાઈનાં લીલા સાથે લગ્ન થયાં ત્યારે તો તે દુનિયાનું સુખી જોડું હતું. પ્રેમભર્યા પ્રવાહમાં જિંદગી વહી રહી હતી. લીલાબેને એક પછી એક, એમ બે પુત્રીઓ સ્તુતિ અને સુહાનાને જન્મ આપ્યો. માતાપિતાના લાડકોડમાં બંને પુત્રીઓ મોટી થવા લાગી. મોટી પુત્રી સ્તુતિ, સ્કુલનું ભણતર પૂરું કરી, કોલેજના ઉંબરે ચઢી. લીલાબેન બહુ મહત્વાકાંક્ષી ન હતાં. સ્તુતિ એક ગ્રેજ્યુએશન પૂરું કરી, પોતાની જેમ ગૃહસ્થીમાં ગોઠવાઈ જાય એવી તેમની ઈચ્છા. તેમણે જીતુભાઈને ત્યારે કહ્યું યે ખરું, ‘આપણી સ્તુતિ બી.એ. સુધી ભણી એ ઓછું નથી. હવે આપણે તેનાં લગ્ન કરી નાખવાં જોઈએ.’
પણ જીતુભાઈ સારું ભણેલા હતા. તેમને મનમાં એવું ખરું કે ભલે મને પુત્ર નથી. પણ પુત્રીઓ ય પુત્રસમોવડી બની શકતી હોય છે. સ્તુતિ કોઈ સારી લાઈનમાં ભણી, આગળ જઈને નામ કાઢે, એવી તેમની ઈચ્છા હતી.
પણ સ્તુતિ માતા તરફ વધુ ઢળેલી હતી. માતાની મમતા જીતી ગઈ. સ્તુતિ બી.એ. થઈને, સમીર સાથે પરણીને પોતાના સંસારમાં ગોઠવાઈ ગઈ. જીતુભાઈએ મન મનાવ્યું, ‘કંઈ નહિ, મારી બીજી દિકરી સુહાનાને તો હું જરૂર સારું ઉચ્ચ શિક્ષણ આપીશ જ.’
સુહાના આમે ય વધુ ચપળ હતી. આધુનિક જમાનાની નવી નવી બાબતો, રીતરસમો, ફેશન અને નવા વિકસતા ધંધાઓની તેણે સારી જાણકારી મેળવી હતી. એ બધામાં એને ફેશનનો કોર્સ ગમી ગયો. ફેશનના કોર્સમાં એને એડમીશન પણ મળી ગયું. ‘દિકરી સારા ક્ષેત્રમાં આગળ આવશે’ એ વિચારે જીતુભાઈ ખુશ હતા.
ફેશનના અભ્યાસ દરમ્યાન, સુહાના ઘણું બધું નવું શીખી. આધુનિક ફેશનેબલ વસ્ત્રો કઈ રીતે બનાવવાં, તે માટેનું કાપડ, કટીંગ તથા તેના પરનું આકર્ષક સુશોભન કઈ રીતે કરવું – એ બધું તેને જાણવા, શીખવા મળ્યું. આકર્ષક અને મોહક વ્યક્તિત્વ ઉભુ કરવા માટે પૂરુષો અને સ્ત્રીઓએ કેવાં કપડાં પહેરવાં જોઈએ, એ બધું તેને જાણવા અને અનુભવવા મળ્યું. તેની ડીક્ષનરીમાં smart, dashing, hot, handsome જેવા શબ્દો ઉમેરાયા. ભારતનાં અને દુનિયાનાં ફેશન મેગેઝીનોથી તે પરિચિત થવા લાગી.
આજકાલ ફેશનની દુનિયા એ એક અલગ પ્રકારની દુનિયા છે. ફેશન ડીઝાઈનરો હીરોહીરોઈનો માટે નવી નવી જાતની ફેશનનાં મોંઘાંદાટ કપડાં તૈયાર કરતા હોય છે. પૈસાદાર કુટુંબના નબીરાઓ અને કન્યાઓ પણ નવી ડીઝાઈનોનાં કપડાંનો ક્રેઝ ધરાવે છે. સુહાના આવા વાતાવરણના સંપર્કમાં આવવા લાગી. એક વાર તેની સહેલી ઉર્વશીએ કહ્યું, ‘ચાલ ને સુહાના, આપણે વસ્ત્રહરિફાઈમાં ભાગ લઈએ. મુંબઈમાં નવી ડીઝાઈનોનાં વસ્ત્રોનો શો થવાનો છે, તેમાં આપણે પણ આપણી ડીઝાઈનનું વસ્ત્ર લોન્ચ કરીએ.’ સુહાનાને આ વિચાર ગમી ગયો. તે ‘શો’ અને ‘લોન્ચ’ શબ્દોથી પરિચિત હતી.
ફેશન કોર્સના અભ્યાસના છેલ્લા વર્ષની પરીક્ષા પણ પૂરી થઇ ગઈ હતી. તેની પાસે હરીફાઈમાં ભાગ લેવા માટે પૂરતો સમય હતો. ફેશનની દુનિયાની કલ્પનાઓમાં તે વિહરવા લાગી. તેણે જીતુભાઈને કહ્યું, ‘પપ્પા, મારું ભણવાનું હવે પૂરું થયું છે. મને આવતે મહિને મુંબઈમાં યોજાનારા ફેશન શોમાં ભાગ લેવાની ઈચ્છા છે.’
પપ્પાને તો આ ગમ્યું. પોતાની દીકરી કોઈ એક ક્ષેત્રમાં આગળ વધીને નામ કાઢે એ તેમને પસંદ હતું. પણ મમ્મીને સુહાનાનો વિચાર ગમ્યો નહિ. તે બોલી, ‘સુહાના, તું ફેશન શો સુધી પહોંચે એ મને તો પસંદ નથી. એ દુનિયા બહુ જ ખરાબ છે. બહારથી ચમકદમકવાળી દેખાતી એ દુનિયાનાં માણસોનાં મન કદાચ તું પારખી શકે તો તને સાચી સ્થિતિનું ભાન થશે.’
પણ સુહાના તો શોની તૈયારીમાં લાગી ગઈ. પપ્પાનો તેને સાથ હતો. પપ્પાએ તો ફેશન શો જોવા માટે મુંબઈ આવવાની પણ તૈયારી બતાવી. સુહાના ખુશ હતી. જયારે લીલાબેન નાખુશ હતાં. તેઓ જીતુભાઈ ઉપર બગડ્યાં, ‘તમે જ છોકરીને ચડાવી મારી છે. ‘બેટા, તું આગળ વધ’ કહીને ફટવી મારી છે. ફેશનની નખરાળી માયામાં છોકરી ફસાઈ જશે, ત્યારે તમને ભાન આવશે.’
લીલાબેનનો વાણીપ્રવાહ અટકતો ન હતો. છેવટે જીતુભાઈએ કહ્યું, ‘જો લીલા, તું કહે છે એવું ખરું, પણ આપણી સુહાના ડફોળ નથી. તેને સારાનરસાનું ભાન છે. તે જ્યાં જશે ત્યાં સાચવીને જ આગળ વધશે. એની પ્રગતિ થતી હોય એમાં તો આપણે ખુશ થવું જોઈએ.’
પણ લીલાબેનને આ પ્રગતિમાં અધોગતિ દેખાતી હતી. તે અવારનવાર આ બાબતે જીતુભાઈ જોડે દલીલમાં ઉતરી પડતાં. અંતે તો જીતુભાઈના મક્કમ નિર્ણયો આગળ તેમનું કંઈ ઉપજતું નહિ.
ધીરે ધીરે લીલાબેન અને જીતુભાઈ વચ્ચે, બીજી બાબતોમાં પણ વિચારભેદ ઉભા થવા લાગ્યા. જીતુભાઈ રોજ ઓફિસે ટીફીન લઈને જતા. લીલાબેન સવારે નાહીધોઈ પરવારી ઝડપથી ટીફીન તૈયાર કરી આપતાં. કોઈક દિવસ કંઇક ભૂલ થઇ જાય તો જીતુભાઈ ઉકળી ઉઠતા, ‘ આજે તેં શાકમાં મીઠું વધારે નાખી દીધું. કાલે દાળ સાવ પાણી જેવી હતી.’
આવી ઘણી નાની બાબતો માટે તેમની વચ્ચે કચકચ વધી ગઈ. લીલાબેને પણ જીતુભાઈની ઘણી ભૂલો શોધી કાઢી. એમ કરતાં તેમની વચ્ચે અંતર વધતું ચાલ્યું. એકબીજા સાથે બોલવાનું પણ ઓછું થઇ ગયું. દિવસે દિવસે પરિસ્થિતિ વધુ બગડતી ચાલી. ઘરમાં જાણે કે બે અલગ વ્યક્તિ પોતપોતાની રીતે રહેતી હોય એવી હાલત ઉભી થઇ ગઈ.
સુહાનાના ફેશન શોમાં જીતુભાઈ એકલા જ મુંબઈ જઈ આવ્યા. તેમણે લીલાબેનને શોની તારીખની જાણ પણ ના કરી. લીલાબેન અવારનવાર સ્તુતિ સાથે ફોનથી વાત કરતાં. સ્તુતિના વરને દિલ્હી નોકરી મળી અને દિલ્હી જવાનું થયું, પણ લીલાબેને જીતુભાઈને કંઈ જણાવ્યું નહિ.
ઘરમાં બે ભાગ પડી ગયા હતા. લીલાબેન અને સ્તુતિ એક બાજુ, જીતુભાઈ અને સુહાના બીજી બાજુ. પતિ-પત્નિ બંને પોતપોતાના તાનમાં મસ્ત હતા. બંનેને અહમ નડતો હતો, ‘એ વાત ન કરે તો હું શું કામ કરું ?’ એવી વણબોલાયેલી ચડસાચડસી પર બંને જણ આવી ગયાં હતાં. અબોલ રહીને એકબીજાની ભૂલો શોધ્યા કરતાં હતાં. આજુબાજુનાં પડોશીઓ પણ તેમને ઓળખી ગયાં હતાં.
જીતુભાઈએ મને આ બધી વાત કરી. મને દુઃખ થયું. એક કુટુંબની ગાડી અવળે પાટે ચડી ગઈ હતી. મને ઘણું મનમાં થતું કે આ દંપતિ અભિમાનના ડુંગરેથી હેઠે ઉતરે અને સાચી દિશા પકડે તો સારું.
એક વાર હું કોઈક બહાનાસર તેમને ઘેર પહોંચી ગયો. લીલાબેને ચા-બિસ્કીટ તૈયાર કરીને મૂક્યાં. મેં કહ્યું, ‘ભાભી, અમારી સંસ્થામાં અઠવાડિયા પછી ભજનસંધ્યાનો પ્રોગ્રામ છે, તેમાં તમે પણ આવો, મજા આવશે.’
‘એમ ? મને તો ખબર જ નથી. એ મને કહે તો ખબર પડે ને ?’
મેં પ્રોગ્રામમાં આવવા વધુ આગ્રહ કર્યો પણ તબિયતનું બહાનું બતાવી, તે ન આવ્યાં. જીતુભાઈ એકલા આવ્યા. મારા પ્રયત્નથી કંઈ ફેર પડ્યો નહિ.
આમ ને આમ છ મહિના પસાર થઇ ગયા.એક વાર જીતુભાઈ થોડી રજાઓ લઇ, દિકરી સુહાનાને ત્યાં મુંબઈ રહેવા ગયા. દસેક દિવસ પછી પાછા ફર્યા ત્યારે ઘેર તાળું હતું ! ‘લીલા ક્યાં ઉપડી ગઈ હશે ?’ એમ વિચારતાં પડોશીને પૂછ્યું. પડોશીએ કહ્યું, ‘તમારા ગયા પછી લીલાબેન એક વાર રસોડામાં લપસી પડ્યાં. અમે તેમને ડોક્ટરને ઘેર લઇ ગયા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું, ‘પગે ફેકચર છે. ઓપરેશન કરવું પડશે.’ અમે લીલાબેનના ભાઈ કનુને ભાવનગરથી ફોન કરીને બોલાવી લીધો. ઓપરેશન થઇ ગયું. કનુ લીલાબેનને આરામ કરવા ભાવનગર લઇ ગયો છે.’
જીતુભાઈએ કહ્યું, ‘મને કોઈએ ફોન પણ ના કર્યો ?’
પડોશી કહે, ‘અમે તમને ફોન કરવાની વાત કરી, પણ લીલાબેને ના પાડી.’
જીતુભાઈ બોલ્યા, ‘ભાવનગર જતી વખતે કંઇ કહેતાં ગયાં છે ખરાં ?’
પડોશી, ‘ના, પણ રડતાં હતાં ખૂબ. પડી ગયાં ત્યારે નહોતાં રડ્યાં, એટલું ભાવનગર જતી વખતે રડતાં હતાં. એવું લાગતું હતું કે કદાચ તેમને તેમના અત્યાર સુધીના વર્તનનો પસ્તાવો થતો હોય.’
જીતુભાઈનું મન પીગળી ગયું. ‘વર્ષો સુધી અકળાઈ રાખ્યાનો તેને પશ્ચાતાપ થયો હોય એવું બને. પથારીવશ થવાથી કદાચ અહમ ઓગળ્યો હોય.’
જીતુભાઈ તાબડતોબ ભાવનગર જવા ઉપડ્યા. પત્નીના ખાટલે પહોંચ્યા. તેમને ઓચિંતા આવેલા જોઈને, લીલાબેન પળવાર તો મૂળ સ્વભાવ પર આવીને, તેમને તાકી રહ્યાં. પણ તરત જ ખ્યાલ આવ્યો કે ‘મારી ચિંતા કરતા દોડી આવ્યા છે.’ આ ખ્યાલથી તેમનું હૃદય ભરાઈ આવ્યું. નફરત અને ગુસ્સો ઓગળી ગયાં. ફક્ત પ્રેમની સરવાણી આંખોમાંથી ફૂટી નીકળી. જીતુભાઈ પણ તેના પ્રેમમાં ભીંજાઈ રહ્યા. થોડી વાર પછી બોલ્યા, ‘લીલા, હવે આપણે ઘેર અમદાવાદ ક્યારે આવવું છે ?’
‘બસ, તમે લઇ જાવ એટલે તરત જ.’
જીતુભાઈ, કનુભાઈની રજા લઇ, લીલાબેનને સાચવીને અમદાવાદ લઇ આવ્યા. જાણે કે તાજાં લગ્ન કરીને લીલાને પોતાને ઘેર લઇ ના જતા હોય ! ધીરે ધીરે લીલાબેન સાજાં થઇ ગયાં. જીતુભાઈએ તેમની ખડે પગે સેવા કરી. તેમના જીવનમાં નવેસરથી વસંત પાંગરી હતી. સહુથી વધુ ખુશ હતાં સ્તુતિ અને સુહાના.
અંબોલી ધોધ
01 Jan 2012 2 Comments
અંબોલી ધોધ
ભારતના પશ્ચિમઘાટ વિસ્તારમાં ઘણા ધોધ આવેલા છે. દક્ષિણ મહારાષ્ટ્રના સાવંતવાડી શહેરની નજીક આવેલો અંબોલી ધોધ તેમાંનો એક છે. ખૂબ ઉંચાઈએથી ખડકો અને પથ્થરોમાં પડતો આ ધોધ જોવાની મજા આવે છે. વરસાદની ઋતુમાં તો આ ધોધનું સ્વરૂપ બહુ જ જાજરમાન લાગે છે.
અંબોલી, ખરેખર તો એક હીલ સ્ટેશન તરીકે વિકસાવાયેલું સ્થળ છે. દરિયાની સપાટીથી ૬૯૦ મીટર ઉંચાઈએ આવેલી આ જગા, અંગ્રેજોના જમાનામાં, અહીંના પોલિટીકલ એજન્ટ કર્નલ વેસ્ટ્રોપે વિકસાવી હતી. હીલ સ્ટેશનથી માત્ર ૩ કી.મી.ના અંતરે અંબોલી ધોધઆવેલો છે. ચોમાસુ પૂરુ થયા પછી, છેક ઉનાળા સુધી, અહીં પ્રવાસીઓ આવ્યા કરે છે. વર્ષે દહાડે સરેરાશ ૫૦૦૦૦ જેટલા ટુરિસ્ટો સ્થળની મુલાકાત લે છે. ખાસ તો પૂના, બેલગામ, ગોવા અને મુંબઈથી આવનારા લોકો બહુ હોય છે. આ જગા પીકનીક સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીંનું વાતાવરણ એકદમ ખુશનુમા રહે છે. હનીમૂન કપલ્સની આ પ્રિય જગા છે. અંબોલી હીલ સ્ટેશનના વિસ્તારમાં વાર્ષિક વરસાદ પણ ઘણો જ પડે છે. જંગલો અને ખીણો ધરાવતા આ વિસ્તારમાં જૂનાં શીવમંદિરો પણ ઘણાં જ છે.
ધોધની સામે ઉભા રહીને જોતાં, ધોધ ખૂબ જ સુંદર લાગે છે. ધોધનો દેખાવ રોમાંચક અને અદભૂત છે. ધોધ આગળ રોપ વે બાંધેલો છે. તેમાં બેસીને ધોધ આગળથી પસાર થાવ ત્યારે ધોધનું મનોહર દ્રશ્ય જોવા મળે છે. અહીં ખાસ ખૂબી એ છે કે ધોધની એક બાજુએ, ધોધનો પ્રવાહ ઢાળવાળા વ્યવસ્થિત પણ વળાંકોવાળા રસ્તા પર વાળેલો છે. જાણે કે ઢોળાવવાળી નહેર ! એમાંથી ખળખળ વહેતુ દૂધ જેવું સફેદ પાણી જોવાની કેટલી બધી મજા આવે ! આ પ્રવાહમાં આરામથી ચાલી શકાય છે અને કોઈ પણ જાતના તણાઈ જવાના ડર વગર નાહી શકાય છે. લોકો અહીં નહાવાની મજા માણે છે અને પાણી ઉડાડવાનો આનંદ લે છે. ગરમીની સીઝનમાં અહીં પાણીમાં પડ્યા રહેવાનું ખૂબ જ ગમે એવું છે.
સાવંતવાડીથી અંબોલી ધોધ ૩૦ કી.મી. દૂર છે. તે, ગોવાથી ૬૪ કી.મી., કોલ્હાપુરથી ૧૧૦ કી.મી., અજારા નામના ગામથી ૨૭ કી.મી. અને મુંબઈથી ૫૦૨ કી.મી. દૂર છે.ક્યારેક તક મળે તો અંબોલી ધોધ જોવા જરૂર જજો.
દૂધસાગર ધોધ
24 Dec 2011 1 Comment
દૂધસાગર ધોધ
દૂધ જેવા સફેદ પાણીનો વિશાળ જળરાશિ ખૂબ ઉંચાઈએથી ધોધરૂપે પડતો હોય, એ દ્રશ્ય કેટલુ બધુ સરસ લાગે ! જાણે કે દૂધનો સાગર જ જોઈ લો ! ગોવાની નજીક આવેલો દૂધસાગર ધોધ એટલે તો દૂધસાગરના નામે ઓળખાય છે. તે, ખડકોના ખાંચામાં વારંવાર અથડાઈને, ખૂબ ઉંચાઈએથી અને ઝડપથી પડતો હોવાથી તેનાં પાણી દૂધ જેવાં લાગે છે.
આ ધોધ ગોવાના સંગુએમ જિલ્લામાં પણજી શહેરથી માત્ર ૬૦ કી.મી. દૂર, કર્ણાટક રાજ્યની સરહદ નજીક, ગાઢ જંગલોમાં આવેલો છે. માંડોવી નદી અહીં ધોધરૂપે પડી, આગળ વહીને ગોવા આગળ અરબી સમુદ્રને મળે છે. ધોધ ૬૦૬ મીટર (૨૦૦૦ ફૂટ) ઉંચાઈએથી પડે છે. નીચે ઉભા રહીને ઉપર નજર કરો તો એમ લાગે કે જાણે આકાશમાંથી ધોધ પડી રહ્યો છે ! દુનિયાના સો ઉંચા ધોધમાં દૂધસાગરની ગણતરી થાય છે. ધોધની લગભગ અડધી ઉંચાઈએ, પૂનાથી અર્નાકુલમ જતી રેલ્વે લાઈન પસાર થાય છે. ખડકો પર પીલરો ઉભા કરીને આ રેલ્વે લાઈન નાખેલી છે. અહીં ટ્રેનમાં બેસીને જતા હો ત્યારે ચાલુ ટ્રેને ધોધનો અદભૂત નજારો જોવા મળે છે. આવી એક ઝલકની તસ્વીર અહીં આપી છે. ધોધની સરેરાશ પહોળાઈ ૩૦ મીટર છે.
અહીં ગાઢ જંગલોને લીધે ધોધની સુંદરતામાં ઓર વધારો થાય છે. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે તો ધોધ ખૂબ જ મનોહર લાગે છે. સવારમાં સૂર્યનાં સોનેરી કિરણો પડે ત્યારે ધોધ તારલાઓની જેમ ચમકે છે. ચોમાસામાં ધોધ જોવા ઢગલાબંધ લોકો અહીં ઉમટી પડે છે.
દૂધસાગર ધોધ જવા માટે કોલેમ રેલ્વે સ્ટેશનથી જવાનું વધુ અનુકૂળ રહે છે. ગોવાના મડગાંવ સ્ટેશનથી ટ્રેનમાં ૪૫ મિનિટમાં કોલેમ પહોંચી જવાય છે. કોલેમથી ધોધ ૧૦ કી.મી. દૂર છે. અહીંથી ધોધ સુધી જવા માટે જીપો મળે છે. આ રસ્તો જંગલો, ઝરણાં અને નાની નદીઓમાં થઈને પસાર થાય છે. આ વિસ્તાર જોવાની બહુ જ મજા આવે છે. ગોવાનું વનવિભાગ ખાતુ આ રસ્તાની જાળવણી કરે છે. જો કે ચોમાસામાં નદીઓમાં પાણી વધવાને કારણે આ રસ્તો બંધ થઇ જાય છે. ફરી તે ઓક્ટોબરમાં ખુલે છે. જીપમાંથી ઉતરીને ૧ કી.મી. જેટલું ચાલીને ધોધના તળિયા આગળ પહોંચાય છે. ઉપરથી પડતો ધોધ અહીં એક મોટુ તળાવ સર્જે છે. અહીં તળાવમાં નહાવાની ભૂલ તો કરવી જ નહિ. ડૂબી જવાનું ભારોભાર જોખમ છે. કોલેમથી જીપ કરીને આવ્યા હોઈએ તો જીપનો ડ્રાઈવર બે કલાક જેટલું રોકાય, રાહ જુએ પછી એ જ જીપમાં કોલેમ પાછા.
કોલેમથી આગળ જતાં ટ્રેન દૂધસાગર સ્ટેશને પણ સહેજ થોભે છે. અહીંથી ધોધ માત્ર ૧૦૦ મીટર જ દૂર છે. ખાવાપીવાનું લઈને આવવાનું, કારણ કે દૂધસાગર સ્ટેશને કે ધોધની નજીક કાંઈ મળતું નથી. અહીં રેલ્વે લાઈનની આજુબાજુના વિસ્તારમાં ફરીને, બે ત્રણ કલાકમાં તો બધુ જોઈ લઇ શકાય અને પછી સાંજની ટ્રેનમાં પાછા વળી શકાય. દૂધસાગર સ્ટેશનથી ટ્રેન, કેસલરોક, ટીનાઈઘાટ અને લોન્ડા થઈને બેલગામ કે હુબલી તરફ જાય છે. કેસલરોકથી પણ ધોધ જોવા આવી શકાય છે.
પણજી કે મડગાંવથી બસ કે ટેક્સીમાં પણ દૂધસાગર જોવા જઈ શકાય છે. ગોવા ટુરિઝમ ડેવેલપમેન્ટ કોર્પોરેશન(GTDC)શનિ અને રવિવારે પણજી તથા કલનગૂટથી દૂધસાગરની ટૂરો ગોઠવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH4A પરથી બસમાં આવીએ તો મોલેમ નામના સ્થળે ઉતરી જવાનું. મોલેમથી કોલેમ ૬ કી.મી. દૂર છે અને એ માટે લોકલ બસો મળી રહે છે.
આ ધોધની ઉત્પત્તિને લગતી એક સરસ પ્રાચીન દંતકથા છે. એ જમાનામાં અહીંના રાજાને એક ખૂબસુરત રાજકુંવરી હતી. તે દરરોજ સવારે દાસીઓને લઈને બાજુના સરોવરમાં સ્નાન કરવા જતી. સરોવરમાં નાહ્યા પછી તે, એક સોનેરી જગમાંથી ગળ્યું મધુર દૂધ પીતી. એક વાર તે આ રીતે જગમાંથી દૂધ પીતી હતી ત્યારે ઝાડીમાં સંતાઈને એક સુંદર રાજકુમાર તેના સૌંદર્યને નીરખી રહ્યો હતો. કુંવરીએ તેને જોયો અને શરમની મારી લાલચોળ થઇ ગઈ. તેની નજરોથી બચવા કુંવરીએ જગમાંથી પડતા દૂધના આવરણનો પડદો, તેની અને રાજકુમારની વચ્ચે રચી દીધો. જગમાંનું દૂધ સરોવરમાં પડવા લાગ્યું. એક દાસી કુંવરીને વસ્ત્રોથી ઢાંકવા લાગી. આ કુંવરીના માનમાં, મધુર દૂધ જેવો ધોધ આજે
પણ પર્વતના ઢોળાવ પરથી, નીચે સરોવરમાં પડી રહ્યો છે. છે ને મજાની વાર્તા !
કોઈકને એવો વિચાર આવે કે અહીંથી ખડકો પર પગ ગોઠવતા ગોઠવતા ધોધની ટોચ સુધી ચડી જઈએ. પણ ચડવાનું બહુ જ ખતરનાક છે. ધોધની ટોચ એટલે ડુંગરની ટોચ, ઢાળ એકદમ સીધો, ખડકોમાં ક્યાંક ઘાસ તો ક્યાંક લીલ અને ઉંચાઇ તો કેટલી બધી ! વળી, ખડકોની બખોલોમાં પક્ષીઓ રહે છે, તે આમતેમ ઉડાઉડ કરતાં હોય છે. વાંદરાઓ પણ ખડકો પર કૂદાકૂદ કરતા હોય છે. પતંગિયાં અને મધમાખીઓનો ગુંજારવ અને પક્ષીઓનો કલબલાટ વાતાવરણને અવાજોથી ભરી દે છે. આમ છતાં, લોકો ટ્રેકીંગ માટે આવતા હોય છે. તેઓ ધોધની બાજુમાં તંબૂ બાંધીને પડાવ નાખે છે. અને ખડકો પર ચડવાનો રોમાંચ પણ માણે છે. પણ લપસી જવાની શક્યતા ખરી. ઉપર પહોંચવામાં ત્રણચાર કલાક તો લાગે જ. પક્ષી નિરીક્ષકો માટે આ વિસ્તાર ઉત્તમ છે.
દૂધસાગર ધોધ, ભગવાન મહાવીર વાઈલ્ડ લાઈફ સેન્કચ્યુરીમાં આવેલો છે. અહીં જંગલોમાં ઘણી જાતનાં પ્રાણીઓ વસે છે. આ જંગલ કિંગ કોબ્રાના વસવાટ માટે જાણીતું છે. ધોધ તરફ જતી કેડીઓ પર માનવ અવરજવરને લીધે, પ્રાણીઓ ઓછાં જોવા મળે છે. ખાસ તો વાંદરાઓ ઢોળાવ પરથી ઉતરીને માણસો જોડે હાથ મિલાવે છે. જો કે પ્રાણીઓને ખાવાનું આપવા પર પ્રતિબંધ છે.
ધોધની નજીક તામડી સુરલા નામનું એક મંદિર છે. આ મંદિર અહીના કદમ્બ લોકોએ બાંધેલું છે.
ટૂંકમાં કહીએ તો દૂધસાગર ધોધ એક અદ્વિતીય ધોધ છે. એને માટે બેજોડ, અતિસુંદર, મનોહર, ઉત્કૃષ્ટ, આકર્ષક, મોહક, અદભૂત – ગમે એટલા શબ્દો શોધો, પણ ઓછા પડે. તેની સુંદરતા જાદુભરી છે. અહીં આવો પછી, અહીંથી ખસવાનું મન ન થાય એવું એનું આકર્ષણ છે. ચોમાસા પછી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમ્યાન અહીનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. ગોવા બાજુ જાવ ત્યારે સમય કાઢીને આ ધોધ જોવા જરૂર જજો.
ગોકાક ધોધ
16 Dec 2011 2 Comments
ગોકાક ધોધ
તમે ગોકાક મીલનું નામ સાંભળ્યું છે ? કર્ણાટક રાજ્યના બેલગામ જીલ્લાના ગોકાક ગામમાં આવેલી આ મીલનું કાપડ એક જમાનામાં ખૂબ જ વખણાતું હતું. આજે આપણે અહીં ગોકાક મીલની વાત નથી કરવી, પણ ગોકાક ગામથી ૬ કી.મી. દૂર આવેલા ગોકાક ધોધની વાત કરવી છે.
અહીં ગોકાક ગામ પાસે ખડકાળ વિસ્તારમાં ઘટપ્રભા નામની વિશાળ નદી ધોધ રૂપે પડે છે. એને જ ગોકાક ધોધ કહે છે. આ ધોધનાં પાણી ૫૨ મીટર(૧૭૧ ફૂટ)ની ઉંચાઇએથી મોટી ગર્જના સાથે પડે છે અને એક અનુપમ કુદરતી દ્રશ્ય સર્જે છે. પડતા પાણીનો જથ્થો જોઈને મોંઢામાંથી ‘વાહ’ શબ્દ નીકળી જાય છે. ચોમાસામાં નદીનું પાણી લાલાશભર્યું, ડહોળું અને ઘૂઘવતુ હોય ત્યારે ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે. ત્યારે તેનો અવાજ પણ ઘણે દૂરથી સંભળાય છે. નદીની પહોળાઈ ૧૭૭ મીટર છે. ધોધના ઉપરવાસમાં નદી પર ઝૂલતો પૂલ બાંધેલો છે. પૂલની ઊંચાઈ નદીના પાણીની સપાટીથી આશરે ૧૪ મીટર જેટલી છે. આટલા ઊંચા પૂલ પરથી નદી કેવી ભવ્ય લાગે ! તે તો ત્યાં જઈને નજરે જોઈએ ત્યારે જ ખબર પડે ! આ પૂલ પર એકી સાથે ૩૦ થી વધુ માણસોને જવા દેતા નથી.
ગોકાક ધોધનો આકાર ઘોડાની નાળ(Horse shoe)જેવો છે. અમેરિકાના વિખ્યાત ધોધ નાયગરાનો આકાર પણ ઘોડાની નાળ જેવો છે. એટલે ગોકાક ધોધ નાયગરાની મીની આવૃત્તિ જેવો લાગે છે. ધોધનો આકાર, ઊંચાઈ અને ઝડપ – એ બધું જ નાયગરા ધોધને મળતું આવે છે.
ઘટપ્રભા નદી બેલગામની ટેકરીઓ આગળ વહીને ગોકાક આગળ આવે છે. અહીં નદીના કિનારે ચાલુક્ય યુગના ઘણા અવશેષો મળી આવ્યા છે. એ જમાનાનું એક શીવમંદિર હાલ અહીં મોજુદ છે. તે મહાલીન્ગેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. ઘણા લોકો અહીં દર્શને આવે છે.
ગોકાક ધોધ આગળ એક જૂનું પાવર સ્ટેશન છે. ૧૮૮૭ માં એશિયામાં પ્રથમ વીજળી ઉત્પાદન આ પાવર સ્ટેશનમાં થયું હતું.
ગોકાકની નજીક ગોડાચીનામલ્કી નામનો એક બીજો ધોધ પણ આવેલો છે. ગોકાક મીઠાઈઓ માટે જાણીતું છે. આ મીઠાઈઓને Gokak Kardant કહે છે.
ગોકાક ધોધ બેલગામથી ૬૫ કી.મી. દૂર છે. બેલગામથી ગોકાક જવા માટે કર્ણાટક રાજ્યની એસ.ટી. બસો મળી રહે છે. આ ધોધ પણજી(ગોવા)થી આશરે ૧૦૦ કી.મી. દૂર, ગોવા અને કર્ણાટકની સરહદ નજીક કર્ણાટકમાં આવેલો છે. પૂનાથી ૪ નંબરના નેશનલ હાઈવે પર થઈને પણ બેલગામ જવાય છે. ગોકાક પાસે ઘટપ્રભા રેલ્વે સ્ટેશન પણ છે. ચોમાસાની ઋતુમાં જુલાઈથી ઓક્ટોબર દરમ્યાન, આ ધોધ જોવાની બહુ જ મઝા આવે. અહીં આપેલા ફોટા જોઈને ગોકાક ધોધ જોવાનું જરૂર મન થઇ જશે.
એબી ધોધ
10 Dec 2011 Leave a Comment
એબી ધોધ
આપણા દેશમાં કર્ણાટક રાજ્યમાં એટલા બધા ધોધ આવેલા છે કે આપણને એ જાણીને નવાઈ લાગે. એબી ધોધ પણ એમાંનો એક છે. એ બહુ જાણીતો ન હોવા છતાં જોવાલાયક તો છે જ. આ ધોધ કર્ણાટક રાજ્યના કૂર્ગ (કોડાગુ) જીલ્લાના મુખ્ય મથક મેડિકેરી શહેરથી માત્ર ૧૦ કી.મી. દૂર પશ્ચિમઘાટમાં આવેલો છે. અહીંની સ્થાનિક ભાષામાં એબી(Abbey, Abbi)નો અર્થ જ થાય છે ‘જળધોધ’.
અહીં આજુબાજુનાં જંગલોમાં વહેતાં ઝરણાં ભેગાં થઇ, એક નાની નદી સર્જે છે. આ નદી એક મોટા ખડક પરથી અત્યંત ઝડપે ધોધ રૂપે નીચે પડે છે. ધોધની ઉંચાઇ ૨૧ મીટર(૭૦ ફૂટ) છે. વરસાદી ઋતુમાં ધોધમાં પુષ્કળ પાણી હોય છે. ધોધના પડવાની ગર્જના દૂર રોડ પર પણ સંભળાતી હોય છે. ધોધનું પડતું પાણી ફોરાં રૂપે ઉડીને સખત ધુમ્મસભર્યું વાતાવરણ સર્જે છે. આ દ્રશ્ય ખૂબ જ સરસ લાગે છે.
ધોધ પડ્યા પછી વહેતી નદીના કિનારે વાડ બનાવેલી છે. ત્યાં આગળ ઉભા રહીને ધોધ જોઈ શકાય છે. આ ઉપરાંત, એ વહેતી નદી પર ઝૂલતો પૂલ બનાવેલો છે. આ પૂલ પરથી, ધોધ બિલકુલ સામેથી જોવા મળે છે. સામેથી દેખાતા ધોધનું આ દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. અહીંથી ધોધને ક્યાંય સુધી ધરાઈને જોયા કરવાની મજા આવી જાય. ધોધ પડ્યા પછી, નદીનું વહેણ આગળ જઈને કાવેરી નદીને મળે છે.
ધોધના પાણીમાં ઉતરીને નાહી શકાય એવું નથી. તથા પછી વહેતી નદીમાં પણ ઉતરાય એવું નથી. ખૂબ જ જોખમી છે.
બ્રિટીશ લોકો આ ધોધને જેસી ધોધ તરીકે પણ ઓળખે છે. મેડિકેરી શહેરના પ્રથમ કેપ્ટનની દિકરી જેસીના નામ પરથી, આ ધોધ જેસી ધોધ તરીકે ઓળખાય છે.
મેડિકેરીથી આ ધોધ સુધીનો રસ્તો સાંકડો, વાંકોચૂકો અને ચડાવઉતાર વાળો છે પણ ગાડી છેક ધોધ સુધી જઈ શકે એવો છે. રસ્તાની આજુબાજુનો કુદરતી નઝારો પ્રવાસીઓને આકર્ષે એવો છે. આ રસ્તો ખાનગી માલિકીના કોફી તથા તેજાનાના બગીચાઓમાં થઈને પસાર થાય છે. એટલે આજુબાજુ ઈલાઈચી, લવિંગ, મરી, તજ, સોપારી વગેરેનાં ઝાડ જોવા મળે છે. ધોધ નજીક પહોંચ્યા પછી ગાડી પાર્ક કરીને આશરે ૫૦૦ મીટર નીચે ઉતરો એટલે ધોધનાં દર્શન થાય. ઉતરવા માટે પગથિયાં બનાવેલાં છે.
આ ધોધ ટુરિસ્ટોનું માનીતું એક સરસ પીકનીક સ્થળ છે. અહીં મિત્રો અને સ્નેહીઓ સાથે પીકનીક મનાવવાનો બહુ જ આનંદ આવે. એમાં ય ચોમાસામાં પાણી પુષ્કળ હોય ત્યારે તો અહીંની મજા કોઈ ઓર જ છે. આ ધોધ જોવા ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ (જુલાઈથી ડીસેમ્બર) જવું જોઈએ. ઉનાળામાં ધોધમાં પાણી ઓછું થઇ જાય.
એબી ધોધ મેંગ્લોરથી ૧૩૬ કી.મી., માયસોરથી ૧૩૦ કી.મી. અને બેંગલોરથી ૨૭૦ કી.મી. દૂર આવેલો છે. મેંગ્લોરથી માયસોરનો રસ્તો મેડિકેરી થઈને જ પસાર થાય છે. ગુજરાતમાંથી એબી ધોધ જોવા ગોવા, કારવાર, ઉડુપી અને મેંગ્લોર થઈને મેડિકેરી પહોંચવું જોઈએ.
જોગનો ધોધ
04 Dec 2011 1 Comment
જોગનો ધોધ
કુદરતનાં વિવિધ સ્વરૂપો જેવાં કે નદી, પર્વતો, ખીણો, સાગર, ધોધ, જંગલો, આકાશ, તારા – આ બધામાં સૌથી વધુ આકર્ષક સ્વરૂપ કદાચ ધોધ છે. ધોધ જોવાનું કોને ના ગમે ? ઊંચેથી પડતું અને સંગીતમય અવાજ કરતું પાણી જોવાની કેટલી બધી મજા આવે ! સામાન્ય રીતે નદીના વહેણમાં સખત ખડકો આવે અને આગળનો ભાગ ધોવાઈ જાય ત્યારે ધોધ રચાઈ જતો હોય છે. નદીના પાણીનો જથ્થો, ખડકોની ઊંચાઈ અને આકાર તથા નદીની પહોળાઈ પ્રમાણે જાતજાતના ધોધ બનતા હોય છે. ભારતમાં અને દુનિયામાં એટલા બધા ધોધ આવેલા છે કે બધે તો ભાગ્યે જ જોવા જઈ શકાય.
જોગનો ધોધ ભારતના ઊંચા ધોધમાંનો એક છે. તે કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી પર આવેલો છે. નોનાબાર પાસે આવેલા અંબુતીર્થમાંથી શરાવતી નદી નીકળે છે અને પશ્ચિમ દિશામાં વહે છે. આ નદી ગેરસપ્પા ગામની નજીક ધોધરૂપે પડે છે. આ ધોધને જ જોગનો ધોધ કહે છે. તે ગેરસપ્પા ગામની નજીક આવેલો હોવાથી તેને ગેરસપ્પાનો ધોધ પણ કહે છે. શરાવતી નદી અહીં ધોધરૂપે પડ્યા પછી, ૬૦ કી.મી. દૂર હોનાવર ગામ આગળ અરબી સમુદ્રને મળે છે.
જોગના ધોધનું પાણી ૮૨૯ ફૂટ એટલે કે ૨૫૩ મીટર ઊંચાઈએથી પડે છે. તેની અ ધ ધ ધ.. લાગતી ઊંચાઈને લીધે તે માત્ર ભારતમાં જ નહિ, દુનિયામાં પણ ખૂબ જાણીતો છે. દેશવિદેશના અસંખ્ય પ્રવાસીઓ આ ધોધની મુલાકાતે આવે છે. ધોધની ટોચ આગળ તેની પહોળાઈ આશરે ૧૨૦૦ ફૂટ છે.
જોગનો ધોધ ગોવાથી ૨૬૧ કી.મી., પૂનાથી ૫૯૫ કી.મી., બેંગલોરથી ૩૭૯ કી.મી., શીમોગાથી ૧૦૪ કી.મી. અને સાગરથી ૩૦ કી.મી. દૂર આવેલો છે. નેશનલ હાઈવે નં ૨૦૬ પર શીમોગાથી સાગર થઈને ધોધ તરફ જવાય છે. વચ્ચે રસ્તો થોડો ખરાબ ખરો, પણ વાહનો જરૂર જઈ શકે. હાઈવેથી ૨ કી.મી. અંદર જાવ એટલે ધોધનાં દર્શન થાય. ધોધ જોઈને મોઢામાંથી ‘વાહ’, ‘અદભૂત’ એના શબ્દો અનાયાસે નીકળી જાય. બેંગલોર, શિમોગા, સાગર તથા ગોવાથી પણ જોગનો ધોધ જવાની બસો મળી રહે છે. ગુજરાતમાંથી જવું હોય તો ગોવાથી બસમાં કારવાર થઈને જવાય છે. જોગના ધોધથી નજીકનું રેલ્વે સ્ટેશન શિમોગા છે.
ધોધની સામે એકાદ કી.મી. દૂર વ્યૂ પોઈન્ટ એટલે કે પ્રેક્ષકો માટેની ગેલેરી બનાવેલી છે. અહીં ઉભા રહીને ધોધ જોઈ શકાય છે. ધોધનો દેખાવ જોઈને એમ થાય કે ધોધને બસ જોયા જ કરીએ. વ્યૂ પોઈન્ટ આગળ પાર્કીંગ, ખાણીપીણી, ગેસ્ટ હાઉસ, બસ સ્ટેન્ડ – એવી બધી વ્યવસ્થા છે. થોડાં પગથિયાં નીચે ઉતર્યા પછી બીજું વ્યૂ પોઈન્ટ છે. અહીંથી વાંકાચૂકા માર્ગે વધુ નીચે ઉતરીને, છેક નીચે જ્યાં ધોધનું પાણી પડે છે, તેની નજીક જઈ શકાય. પણ આમાં જોખમ ખરું. ખડકો પર થઈને ઉતરવાનું અને નીચે પાણીમાં તો ઉતરાય જ નહિ, પડ્યા તો ગયા જ સમજો. એટલે મોટા ભાગના પ્રવાસીઓ તો છેક નીચે ઉતરે જ નહિ. પહેલા વ્યૂ પોઈન્ટથી ઉતરીને લગભગ અડધા કલાકમાં નીચે પહોંચી શકાય.
ધોધ મુખ્ય ચાર ધારાઓ રૂપે પડે છે. આ ચાર ધારાઓનાં નામ ડાબેથી જમણે અનુક્રમે રાજા, રોર (Roar,ગર્જના), રોકેટ અને રાણી છે. પહેલી ધારા ખૂબ જ ભવ્ય દેખાવવાળી છે, એટલે એને રાજા નામ આપ્યું છે. બીજો પ્રવાહ ખૂબ મોટી રૌદ્ર ગર્જના સાથે પડે છે, એટલે એ ‘રોર’ના નામે ઓળખાય છે. ત્રીજી ધારા, એક સાંકડા ભાગમાંથી, રોકેટની જેમ ખૂબ જ ઝડપે મોટા જથ્થામાં પડે છે, એટલે એને રોકેટ કહે છે. અને છેલ્લી ધારા, નૃત્ય કરતી ઠસ્સાદાર યુવતિની જેમ પડતી હોવાથી તેનું નામ રાણી રાખ્યું છે. ખૂબી એ છે કે આ ચારેય નામની શરૂઆત ‘ર’થી થાય છે. ધોધની બીજી બાજુએ ઉપર જઈ, ધોધની નજીક જઈ શકાય છે.
ધોધના ઉપરવાસમાં ૬ કી.મી. દૂર લીંગનમક્કી આગળ, શરાવતી નદીમાં બંધ બાંધેલો છે અને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે હાઈડ્રો પાવર સ્ટેશન ઉભુ કરેલ છે. શરૂઆતમાં આ પાવર સ્ટેશન ૧૨૦ મેગાવોટ વીજળી પેદા કરતું હતું, હાલ તેની ક્ષમતા વધારવામાં આવી છે.
ધોધમાં જયારે પુષ્કળ પાણી હોય ત્યારે ધોધ ખૂબ જ જાજરમાન લાગે છે, અને તેનો અવાજ પણ ભયંકર હોય છે. ચોમાસામાં કે ચોમાસા પછી તરત જ (ઓગસ્ટથી ડીસેમ્બર) જાવ તો ધોધમાં પાણી ઘણું હોય અને ધોધ જોવાની મજા આવી જાય. ધોધ પડે ત્યારે, પડતા પાણીમાંથી ઉડતાં કણો અને ફોરાંથી ધોધ આગળનો દેખાવ ધુમ્મસમય લાગે છે. ધોધનું આ દ્રશ્ય એટલું સરસ દેખાય છે કે તેના વર્ણન માટે શબ્દો જડતા નથી. જયારે આગળના ડેમમાંથી પાણી ઓવરફ્લો થાય કે ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પણ ધોધમાં પુષ્કળ પાણી હોય છે.
ધોધની સુંદરતાથી આકર્ષાઈને અહીં ફિલ્મોનાં શુટીંગ પણ થયેલાં છે. એવી એક ફિલ્મનું નામ કહું. ‘આદમી ઔર ઇન્સાન’ ફિલ્મના ગીત ‘નીલે પર્બતોકી ધારા…..’ ના દ્રશ્યમાં પશ્ચાદભૂમાં જોગનો ધોધ દેખાય છે.
જોગનો ધોધ એ કર્ણાટકનું જાણીતું જોવાલાયક સ્થળ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બીજા ઘણા ધોધ આવેલા છે પણ તે બહુ જાણીતા નથી. અમ છતાં જોવાલાયક તો છે જ. એ બધાની વાત પછી કરીશું. ક્યારેક તો જોગનો ધોધ જોવા જજો.
થોડામાં ઘણું
17 Nov 2011 2 Comments
થોડામાં ઘણું
આપણે ઘણી વાર વાતવાતમાં, નીચે લખ્યાં છે એવાં વાક્યો બોલીએ છીએ.
૧. મેં ‘ચાર ધામ’ની જાત્ર કરી.
૨. દેવો-દાનવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે ‘૧૪ રત્નો’ નીકળ્યાં.
૩. અકબરના દરબારમાં ‘નવ રત્નો’ હતાં.
૪. દુનિયાની ‘સાત અજાયબીઓ’ જોવા જેવી છે.
આ બધાં વાક્યોમાં આવતાં ‘ચાર ધામ’ ‘૧૪ રત્નો’ ‘નવ રત્નો’ ‘સાત અજાયબીઓ’ વગેરે કયાં કયાં છે, એ તથા એવું બધું જાણવા માટે, વાંચો આગળ……….
૧. ચાર ધામ
૧. બદરીનાથ
૨. કેદારનાથ
૨. ગંગોત્રી
૪. જમનોત્રી
૨. શંકરાચાર્યની ચાર પીઠ
૧. જ્યોતિમઠ, બદરીનાથ
૨ શૃંગેરી મઠ, મદુરા
૩. જગન્નાથ પીઠ, જગન્નાથપુરી
૪. દ્વારકા પીઠ, દ્વારકા
૩. બાર જ્યોતિર્લિંગો
૧. સોમનાથ (સૌરાષ્ટ્ર)
૨. મલ્લિકાર્જુન (શ્રીશૈલ પર્વત, આન્ધ્ર)
૩. મહાકાલેશ્વર, ઉજ્જૈન
૪. ઓમકારેશ્વર(મમલેશ્વર), ખંડવા પાસે, નર્મદા નદીને કિનારે(મધ્ય પ્રદેશ)
૫. વૈજનાથ (પરલી, બિહાર)
૬. ભીમાશંકર(ડાકિન્ય, મહારાષ્ટ્ર)
૭. રામેશ્વર(તમિલનાડુ)
૮. નાગેશ્વર(દ્વારકા પાસે)
૯. કાશીવિશ્વનાથ(બનારસ)
૧૦. ત્ર્યંબકેશ્વર(ત્ર્યંબક)
૧૧. કેદારનાથ(ઉત્તર પ્રદેશ)
૧૨. ઘ્રુશ્મેશ્વર(નાસિક પાસે)
૪. દેવો-દાનવોએ કરેલ સમુદ્રમંથનમાંથી નીકળેલ ૧૪ રત્નો
૧. લક્ષ્મી ૮. કલ્પવૃક્ષ
૨. કૌસ્તુભ મણી ૯. ઐરાવત હાથી
૩. પારિજાતનું ફૂલ ૧૦. અપ્સરા રંભા
૪. વરુણી સુરા ૧૧. ઉચ્ચૈશ્રવા ઘોડો
૫. ધન્વંતરી ૧૨. સારંગ ધનુષ્ય
૬. ચંદ્ર ૧૩. પાંચજન્ય શંખ
૭. કામધેનું ગાય ૧૪. અમૃત કળશ
૫. અકબરના દરબારનાં નવ રત્નો
૧. તાનસેન ૬. મુલ્લાં દુપિયાઝ
૨. બિરબલ ૭. ફૈઝી
૩. રાજા માનસિંહ ૮. અબ્દુલ ફમેવ
૪. ટોડરમલ ૯. મિરઝા અબ્દુર રહીમાન
૫. હકીમ હુનામ
૬. પ્રાચીન યુગની સાત અજાયબીઓ
૧. ઈજીપ્તના પિરામિડો
૨. બેબિલોનના હેન્ગીંગ ગાર્ડન, બગદાદ
૩. ગ્રીકના એફેટસ શહેરનું દેવળ
૪. ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાંની જીસસની પ્રતિમા
૫. તુર્કીમાં સમ્રાટનો મકબરો
૬. રહોડ્સ બંદરમાં સૂર્યદેવતા હેલીયોસની તાંબાની પ્રતિમા
૭. ઇજીપ્તના એલેક્ઝાન્ડ્રીયા બંદરમાં ઉભેલી દીવાદાંડી
૭. મધ્ય યુગની સાત અજાયબીઓ
૧. તાજમહાલ
૨. ચીનની દિવાલ
૩. પીઝાનો ટાવર
૪. ઈજીપ્તના પિરામિડો
૫. કોલોસિયમ, ઈટાલી
૬. હેગિયા સોફિયા, તુર્કી
૭. સ્ટોન હેજ, ઈંગ્લેન્ડ
૮. આજના યુગની સાત અજાયબીઓ
૧. ચીચેનીત્ઝા, મેક્સિકો
૨. ક્રાઇસ્ટ ધી રીડીમર, બ્રાઝિલ
૩. કોલોસિયમ, ઈટાલી
૪. તાજમહાલ
૫. ચીનની દિવાલ
૬. પેટ્રા, જોર્ડન
૭. માચુ પીચ્છુ, પેરુ
૯. બીજી થોડી અજાયબીઓ
૧. ઈંગ્લીશ ચેનલની નીચેની ટ્રેન
૨. પનામા નહેર
૩. ઉંચામાં ઉંચુ મકાન બુર્જ ખલીફા, દુબઈ
૪. પેરેના નદી પરનો ઇતાઇપુ ડેમ, બ્રાઝિલ
૫. સેંટ લુઈસની કમાન
૬. કાન્સાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(કૃત્રિમ ટાપુ પર એરપોર્ટ, જાપાન)
૭. ગોલ્ડન ગ્રેટ બ્રીજ
૧૦. મહાન શોધો
૧. કોમ્પ્યુટરની મેમરી
૨. બીજા ગ્રહ પર જતાં યાન
૩. ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ
૪. બોઇંગ ૭૪૭
૫. જેનોમ મેપીંગ
૬. ઓપ્ટીકલ ફાઈબર
૭. ક્લોન
૧૧. કુદરતની મહાન રચનાઓ
૧. શરીરની આંતરિક રચના
૨. જન્મ અને મરણની ઘટનાઓ
૩. ખુલ્લા અનંત અવકાશનું અસ્તિત્વ
૪. અવકાશમાં તારાઓ અને ગ્રહોની રચના
૫. માણસના મગજની વિચારશક્તિ
૬. માણસને સૂઝેલું ઈશ્વરનું અસ્તિત્વ
૭. વારસાગત લક્ષણો
૧૨. ઉકેલ વગરના કોયડાઓ
૧. અવકાશની ખુલ્લી જગામાં સૂર્ય અને બીજા કરોડો તારા ઘૂમી રહ્યા છે. તેઓ કદાચ વધુ ને વધુ દૂર જઈ રહ્યા છે. આ ખુલ્લી જગાનો છેડો ક્યાં હશે ? જો છેડો હોય તો ત્યાર બાદ શું હશે ? અવકાશમાં કરોડો તારા રચવાનું પ્રયોજન શું હશે ?
૨. શરીર પર ઘા પડે તો રૂઝ આવે છે. ખાધેલો ખોરાક પચી જાય છે. મગજ વિચાર કરી શકે છે. શરીરનું અંદરનું તંત્ર ખૂબ જ ગૂંચવણભર્યું છે તો પણ તે ચાલ્યા કરે છે. આ બધું કઈ રીતે થાય છે ?
૩. જીવનનું અસ્તિત્વ અને જન્મ-મરણની પ્રક્રિયા શાથી ઉભી થઇ ? અને કઈ રીતે ચાલ્યા કરે છે ?
૪. વારસાગત લક્ષણો કેવી રીતે ઉતરી આવતાં હશે ?
૫. ઉપરના કોયડાઓ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરે છે ખરા ? જો હા, તો એ ઈશ્વર કેવો હશે ? અને ક્યાં રહેતો હશે ?






![10_Hogennakkal ]](http://pravinshah47.files.wordpress.com/2012/02/10_hogennakkal1.jpg?w=535&h=401)
![11_Talakad, MM Hills, Hogennakkal 149[1]](http://pravinshah47.files.wordpress.com/2012/02/11_talakad-mm-hills-hogennakkal-1491.jpg?w=535&h=300)

![11_185india[2]](http://pravinshah47.files.wordpress.com/2012/02/11_185india2.jpg?w=535&h=401)





























![17s_ATT463145[1]](http://pravinshah47.files.wordpress.com/2011/12/17s_att4631451.jpg?w=535&h=401)
![9s_girsappa(jog's)[1]](http://pravinshah47.files.wordpress.com/2011/12/9s_girsappajogs1.jpg?w=535&h=401)
![3s_Jog Falls9[2]](http://pravinshah47.files.wordpress.com/2011/12/3s_jog-falls92.jpg?w=535&h=357)
![13s_IMG_0454[1]](http://pravinshah47.files.wordpress.com/2011/12/13s_img_04541.jpg?w=535&h=401)

Recent Comments