નર્મદા મૈયા પ્રત્યે શ્રધ્ધા

                                      નર્મદા મૈયા પ્રત્યે શ્રધ્ધા

‘તમને નર્મદા પરિક્રમા કરવામાં કેટલા દિવસ લાગ્યા?’

’૨૮ દિવસ’

રાધાબહેન પંડ્યા મારા પ્રશ્નોના ઉત્તર આપી રહ્યાં હતાં. આજે તેઓ અમારે ઘેર આવ્યાં હતાં. તેઓ અમારા વૃધ્ધ વડીલ છે. ૭૧ વર્ષનાં છે, પ્રભુભક્ત છે. બ્રાહ્મણ છે, એટલે શિવ ભગવાનમાં અખૂટ શ્રધ્ધા ધરાવે છે. તેમને મળો એટલે એમનામાં એક ભક્ત સન્નારીનાં દર્શન થાય. તેઓ શરીરે તંદુરસ્ત છે, એમનું મન તો એનાથી યે વધારે તંદુરસ્ત છે. તેમની પાસેથી, તેમના અનુભવોમાંથી ઘણું જાણવા મળે, એમાંથી પ્રેરણા પણ મળે.

આજે એમની સાથે નર્મદા નદીની વાત નીકળી. નર્મદામાં તો ‘કંકર એટલા શંકર’. એટલે કે નર્મદામાં જેટલા કાંકરા છે, એ દરેક શિવજીનાં લીંગ છે, એ દરેક શંકર ભગવાનનું સ્વરૂપ છે. નર્મદા એટલી પવિત્ર નદી છે. ઘણા લોકો નર્મદા નદીની ચાલીને પરિક્રમા કરે છે, તો વળી ઘણા બસમાં બેસીને પરિક્રમા કરે છે. રાધાબેને નર્મદાની પરિક્રમા બસમાં બેસીને કરેલી છે.

અમને નર્મદા નદીની વાતમાં રસ પડ્યો. તેમણે નર્મદા નદીની પરિક્રમા કરેલી છે. મેં આગળ પૂછ્યું, ‘બહેન, પરિક્રમાની અમને થોડી વાતો કરો ને’

તેમણે કહેવાનું શરુ કર્યું. તેમણે કહેલી વાતો અહીં તેમના જ શબ્દોમાં લખું છું.

‘પરિક્રમા દરમ્યાન અમે જયારે બીજા પરિક્રમા કરનારાને મળીએ ત્યારે ‘નર્મદે હર’ કહેતા હોઈએ છીએ. નર્મદા માતા ક્યારેક કોઈક શ્રધ્ધાળુને દર્શન આપતાં હોય છે. મને મનમાં ઘણી વાર થતું કે નર્મદા મૈયા મને દર્શન આપે તો કેવું સારું. હું મનમાં વિચારતી કે મને મૈયાનાં દર્શન ક્યારે થશે. માતા દર્શન આપે તો હું તેમને ઓળખી શકીશ ખરી? કેટલાય દિવસો સુધી મને મનમાં માતાના દર્શનનું રટણ ચાલ્યું.

એક વાર અમે મધ્ય પ્રદેશના માંડુ નગરમાં હતા. અહીં અમે રાણી રૂપમતીનો મહેલ જોવા ગયા. માંડુ નગર નર્મદા નદીથી ખાસ્સુ દૂર છે. રાણી રૂપમતીની પ્રતિજ્ઞા હતી કે રોજ એક વાર તો નર્મદા નદીનાં દર્શન કરવાં જ. રાજા બાજબહાદુરે રાણી માટે ટેકરી પર ત્રણ માળ ઉંચો મહેલ બંધાવ્યો. કદાચ મહેલના ધાબા પરથી દૂર દૂર વહેતી નર્મદાનાં દર્શન થાય. પણ તો ય નર્મદા ના દેખાઈ. આ મહેલ અત્યારે હયાત છે. અમે પણ મહેલના ધાબે જઈ આવ્યાં. પછી, હું નીચે આવી, મહેલ આગળના ખુલ્લા મેદાનમાં બેઠી હતી. ત્યાં બે છોકરીઓ આવી. તેઓએ મને ‘નર્મદે હર’ કહ્યું. મેં પણ સામે તેમને ‘નર્મદે હર’ કહ્યું. મેં છોકરીઓને ફળ આપ્યાં. અને એ છોકરીઓ જતી રહી. થોડી વારમાં અમારા ગ્રુપના એક ભાઈ આવ્યા. મને કહે, ‘રાધાબેન, તમને નર્મદા મૈયાનાં દર્શન થયાં ને?’

મેં કહ્યું, ના, ભાઈ, મને તો હજુ નથી થયાં.’

તે ભાઈ બોલ્યા, ‘બહેન, પેલી બે છોકરીઓ હતી, તે જ નર્મદા મૈયા હતી.’ મને થયું. હાય રે, માતાએ મને દર્શન આપ્યાં, પણ હું તેમને ઓળખી ના શકી. મને પારાવાર દુઃખ થયું.

અમારી પરિક્રમા આગળ ચાલી. અમે માહેશ્વર પહોંચ્યાં. અહીં અહલ્યાબાઈએ નર્મદાને કિનારે જ મહેલ બંધાવ્યો છે. મહેલમાંથી કેટલાં બધાં પગથિયાં ઉતરીએ, પછી નર્મદા કિનારે પહોંચાય છે. અમે પગથિયાં ઉતરી, નદી કિનારે પહોંચ્યાં. ત્યાં એક વૃધ્ધ સ્ત્રી બેઠી હતી. મારી અને એની નજર મળી. એટલે એ સ્ત્રીએ હસતા ચહેરે મને ‘નર્મદે હર’ કહ્યું. મેં પણ ખુશ થઇ તેને ‘નર્મદે હર’ કહ્યું. મેં તેને ફળ અને સીધુ આપ્યું, અને હું તે સ્ત્રીના કાંતિમાન દિવ્ય મુખને જોઈ રહી. પછી હું આગળ ચાલી. મેં હજુ ત્રણ જ ડગલાં ભર્યાં હતાં, અને મારાથી પાછળ જોવાઈ ગયું. પેલી સ્ત્રી ત્યાં ન હતી ! આજુબાજુ પણ ક્યાંય ન હતી !! મારી બાજુમાં ઉભેલા ભાઈ મને કહે, ‘બહેન, નર્મદા મૈયાએ તમને દર્શન આપ્યાં. પેલી વૃધ્ધા એ નર્મદા માતા જ હતાં. તમને દર્શન આપીને તે અલોપ થઇ ગયાં.’ આનંદની મારી, મારી આંખમાં આંસુ આવી ગયાં. મને થયું, ‘હાશ, મારી શ્રધ્ધા ફળી. માતાએ મને દર્શન આપ્યાં. પછી, માતાને મળવાનો મારો વિરહ ઓછો થવા માંડ્યો. અને અમે નર્મદા યાત્રા પૂરી કરી.’

અમે રાધાબહેનની વાત સાંભળી રહ્યા હતા. નર્મદા માતા દેહ ધરીને દર્શન આપે કે કેમ, એ દરેકની પોતપોતાની શ્રધ્ધાનો વિષય છે. પણ એટલું તો ખરું જ કે આવાં સ્થળોએ આપણને પવિત્ર અને સારા વિચારો જરૂર આવે છે. આપણા મનમાંથી અજંપો અને કલેશ દૂર થાય છે. અમારા બીજા એક પરિચિત વડીલે તો નર્મદા પરિક્રમા ચાલીને કરેલી, તેમની વાત ક્યારેક ફરી કરીશ. પણ બીજી એક વાત યાદ આવી, તે કહું. આ વર્ષે, ‘રેવા’ નામની એક ગુજરાતી ફિલ્મ બની છે. ‘રેવા’ એટલે નર્મદા. એની વાર્તા કંઇક આવી છે, એક યુવાન પરદેશથી ભારત આવે છે. તે સ્વચ્છંદી અને ખરાબ રસ્તે ચડી ગયેલો છે. તે કોઈ પણ રસ્તે અઢળક પૈસા મેળવવા માગે છે. એવામાં મિત્રોની સમજાવટથી તે નર્મદા પરિક્રમા કરવા તૈયાર થાય છે. પરિક્રમા કરીને પાછો આવે છે, ત્યાં સુધીમાં તો તેના વિચારો બદલાઈ જાય છે. તે સારો અને ઈમાનદાર માણસ બની જાય છે. નર્મદા મૈયાની આ જ તો મહત્તા છે.

આ વર્ષે નર્મદા નદીમાં પાણી ઘટી ગયાં છે. નર્મદા બંધમાં પાણીનું સ્તર નીચું ઉતરી ગયું છે. પહેલાં, કબીરવડ જોવા જવા માટે, કિનારેથી હોડીમાં બેસીને જવું પડતું હતું. અત્યારે પાણી એટલું ઓછું છે કે હોડીઓ ચાલતી નથી. પાણીમાં ચાલીને કે ગાડામાં બેસીને કબીરવડ જઈ શકાય છે. હોડીવાળાને આવકનું સાધન જતું રહ્યું છે. આશા રાખીએ કે આ વર્ષે વરસાદ સારો પડે અને નર્મદા મૈયા પહેલાંની જેમ વહેતી થાય. નર્મદે હર.

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. Bina
    એપ્રિલ 13, 2018 @ 04:06:38

    Bahu saras ma Narmada ne vandan. Khoob badhu lakhata raho.👌👍

    જવાબ આપો

  2. pravinshah47
    એપ્રિલ 17, 2018 @ 16:42:01

    આભાર, બીના

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: