આજે એક સરસ નવી વાત કહેવી છે. હમણાં જ મેં ડો. નિમિત્ત ઓઝાનો એક લેખ વાંચ્યો. તેમણે કહેલી વાતનો ભાવાર્થ અહીં જણાવું છું.
અનીતા મૂર્જાની નામની એક સ્ત્રીને ૨૦૦૨ની સાલમાં કેન્સર થયું, ચારેક વર્ષ રીબાયા પછી હોસ્પિટલમાં દાખલ કર્યાં. ત્યાં ૩૦ કલાક બેભાન રહ્યા. ડોકટરોએ કહી દીધું કે હવે અનિતાની બચવાની બિલકુલ શક્યતા નથી. પણ કોઈક ચમત્કાર થયો અને તેઓ સાજા થવા માંડ્યા, દોઢેક મહિનામાં તો તેઓ બિલકુલ સાજા થઇ ગયા. પછી એમણે એક પુસ્તક લખ્યું, પુસ્તકનું નામ ‘Dying to be me’. આ પુસ્તકમાં એમને પોતે કઈ રીતે સાજા થયા એની વાત લખી છે. અનીતાબેન હજુ પણ જીવે છે.
અનીતાએ એ પુસ્તકમાં લખ્યું છે કે ‘હું બેભાન અવસ્થામાં હતી ત્યારે મેં અંદરખાનેથી વિચારવા માંડ્યું કે મને કેન્સર શાથી થયું? મેં મારી જીંદગીની કેટલીયે વાતો મનમાં ને મનમાં જ સંગ્રહી રાખેલી, બહાર કોઈનેય કહેતી ન હતી. મારા અમુક કુટુંબીઓ કેન્સરને લીધે મૃત્યુ પામેલા, એટલે મને કાયમ ડર રહ્યા કરતો કે ‘મને કેન્સર તો નહિ થાય ને?’ આમ, હું કાયમ ડરથી જ જીવતી હતી. મેં આવું બધું ક્યારેય કોઈને જણાવ્યું નહિ. કેન્સરનો ડર હતો, એમાં જ છેવટે મને કેન્સર થયું. બેભાન અવસ્થામાં મને આ બધી બાબતો સમજાવા માંડી. એમાં મેં મનમાં નક્કી કર્યું ‘I will heal myself’ (હું મારી જાતે જ સાજી થઈશ)
પછી તો મેં મારા વિચારો બદલ્યા. મેં નિર્ભય બનીને જીવવાનું નક્કી કર્યું. મારી જાતને બહાર સ્નેહીઓ, મિત્રો આગળ પ્રગટ કરવા માંડી. મારા વિચારો રજૂ કરવા માંડી. કોઈ પણ રોગથી હું ડરીશ નહિ, એવું મેં વલણ રાખ્યું. અને ધીરે ધીરે મારો કેન્સરનો રોગ મટી ગયો. આજે હું બિલકુલ સજીનારવી છું.’
મિત્રો, આજે ‘આજની વાત’માં મારે બધાને આ જ વાત કહેવી છે. તમે તમારી જીંદગી નિર્ભય બનીને જીવો. તમારી જાતને નબળી ન માનો. તમારી જાતને પ્રેમ કરો. જે કંઈ દુઃખો હોય તે મનમાં સંગ્રહી ના રાખો. તેને બીજા આગળ વ્યક્ત કરીને દિલ હળવું કરી નાખો. મન પરનો ભાર દૂર કરો. અને એવી જ માન્યતા કેળવતા રહો કે ‘હું બિલકુલ તંદુરસ્ત છું. મને કોઈ રોગ થયો જ નથી’ આવું વિચારશો તો બધા રોગ ભાગી જશે, બધાં દુઃખ હળવાં થઇ જશે. મનમાં નેગેટીવ વિચારો ના રાખો. ક્રોધ, ઈર્ષ્યા, નફરત જેવા નેગેટીવ વિચારો મનમાંથી કાઢી નાખો. નેગેટીવ વિચારો મનને નબળું બનાવે છે.
બીજા આગળ જયારે આપણી વાત કરીએ ત્યારે મનનો ભાર હળવો કરવાની જ વાત છે. બીજા આગળ રોદણાં રળવાની વાત નથી. આપણે તો બિન્ધાસ્ત નિર્ભયતાથી જ જીવવાનું છે.
આપણે આપણા વિચાર બદલવાના છે. ડરપોકપણું ત્યજવાનું છે. આપણા શરીરના દરેક કોષ આપણા વિચારોને અનુસરે છે. તમે તંદુરસ્ત રહેવાનું વિચારશો, તો શરીરના દરેક કોષ અને અવયવો એ દિશામાં કામ કરતા થશે. Our body follows our mind.
જયારે ડોકટરો કોઈ રોગનું નિદાન ના કરી શકે ત્યારે કહેતા હોય છે કે ‘કોઈ અજાણ્યા કારણસર આ રોગ થયો છે.’ ત્યારે એ કારણમાં આપણા વિચારો જ હોય છે. આપણા નબળા વિચારો અને ડરને લીધે જ એ રોગ થયો હોય.
આ બધી વાતો ડો. નિમિત્ત ઓઝા જેવા એમ.ડી., સુપર શ્પેશ્યાલીસ્ટ ડોક્ટર કહેતા હોય, ત્યારે આ વાતોનું મહત્વ ખૂબ જ વધી જાય છે.
સ્વામી રામદેવે પણ વારંવાર કહ્યું છે કે રોગ માણસનો સ્વભાવ નથી. સ્વ. ડો. ભમગરા કહેતા કે રોગ માત્ર શારીરિક વિકૃતિ નથી, માણસના માનસિક, નૈતિક અને આધ્યાત્મિક અપરાધનું એ પરિણામ છે.
તો હવે યાદ રાખો કે ‘I will heal myself’ (હું મારી જાતે જ સાજો/સાજી થઈશ.) જીવનનો આ મહામંત્ર છે. આજે અહીં જે લખ્યું, તેનો પ્રયોગ શ્રદ્ધાથી નાનામોટા રોગ માટે તમારી જાત પર કરી જોજો, તમને ચોક્કસ પરિણામ મળશે. મારો એ અનુભવ છે.
આજની આ વાત સુંદર જીવન જીવવા માટે બહુ જ ઉપયોગી છે, એવું મને લાગે છે. અમલમાં મૂકજો અને તમારો અનુભવ જણાવજો.